જયેશ બ્રહ્મભટ્ટ
સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેંકના કરન્ટ ખાતેદારો હાલ બેંકની કાર્યવાહીથી ધૂંઆપૂંઆ બની ગયા છે. આવું થવાના કારણની તપાસ કરાતાં જાણવા મળ્યું કે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકે તેની તમામ શાખાઓમાં કરન્ટ ખાતું ધરાવતા ખાતેદારો પાસેથી એમની અન્ય બેંકના ખાતામાં ચાલતી લોન, ઓવરડ્રાફ્ટ કે અન્ય દેવાની વિગતો મંગાવી છે અને બેંક દ્વારા ખાતેદારો પાસેથી રોજેરોજ આ માહિતીની ઉઘરાણી કરવામાં આવતી હોવાથી કરન્ટ ખાતેદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક શું કહે છે
સી.આઇ.એ. લાઇવ એ જ્યારે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના અધિકારીઓ અને પદાધિકારીઓને આ અંગે સવાલ કર્યો ત્યારે આધિકારીક રીતે બેંકના સૂત્રોએ જણાવ્યું કે બેંકીંગ કાર્યવાહીના ભાગરૂપે કરન્ટ ખાતેદારો પાસે આ માહિતી મંગાવવામાં આવી રહી છે. કોઇપણ બેંકમાં જ્યારે કરન્ટ ખાતું ખોલાવવામાં આવે ત્યારે ખાતેદાર પાસેથી તેમના અન્ય બેંક ખાતાની લોન, ઓવરડ્રાફ્ટ કે અન્ય દેવા અંગેનું ડેકલેરેશન લેવામાં આવે છે, આ પ્રોસેસ સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકે હાલમાં હાથ ધરી છે.
કેટલાક એવા ખાતેદારો હોય છે જેઓ અન્ય બેંકોમાંથી લોન કે ઓવરડ્રાફ્ટ લઇ, ડિફોલ્ટર બન્યા પછી ફંડ ટ્રાન્સફર કરીને અન્ય બેંકનું ખાતું ચલાવતા હોય છે આવી પ્રવૃતિ પર રોક લગાડવા માટે વિગતો માંગવામાં આવી રહી છે.
કરન્ટ ખાતેદારોની ફરીયાદ શું છે?
સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના કરન્ટ ખાતેદારોએ જણાવ્યું હતું કે અન્ય બેંકની બ્રાન્ચમાં લોન હોય કે ઓવરડ્રાફ્ટ હોય તેની સાથે ડિસ્ટ્રીક્ટ બેંકને શું લેવા દેવા?,
કરન્ટ ખાતેદારો લોન કે ઓવરડ્રાફ્ટ માંગે ત્યારે તેની પાસે દેવાની વિગતો માંગી શકાય પરંતુ, કરન્ટ ખાતુ યોગ્ય રીતે ચાલતું હોય ત્યારે બેંકને ગ્રાહકના અન્ય ખાતાની વિગતોની આવશ્યકતા કેમ પડે?
એક એવી પણ દલીલ છે કે જો ગ્રાહક પોતાના અન્ય બેંકના ખાતા કે તેના લોન-ઓવરડ્રાફ્ટની વિગતો છુપાવે તો બેંક શું કરી શકે?
એવી જ રીતે બેંકને અન્ય બેંકના લોન અને ઓવરડ્રાફ્ટ અંગેનું ડેકલેરેશન આપ્યા બાદ ખાતેદારોએ બીજી બેંકોમાંથી લોન કે ઓવરડ્રાફ્ટ લીધા હોય તેવા સંજોગોમાં સુરત ડિસ્ટ્રીક્ટ બેંક શું કરશે ?
આમ, કરન્ટ ખાતેદારોનું કહેવું છે કે બેંકે કોઇ ભેદી કારણોસર કરન્ટ ખાતેદારોના અન્ય બેંકના દેવા અંગેની વિગતો મંગાવી છે. ઘણાં ખાતેદારોએ બેંકની આ પ્રવૃત્તિને શંકાસ્પદ ગણાવી છે.
વિવાદ કેમ ઉપસ્થિત થયો?
સુરત ડિસ્ટ્રીક્ટ બેંક અને કરન્ટ ખાતેદારો વચ્ચે વિવાદ ઉપસ્થિત થવાનું કારણ એ છે કે શહેરમાં સેંકડો બેંકો ચાલી રહી છે પણ ફક્ત સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક દ્વારા જ કોઇપણ ચોક્કસ કારણ કે નોટિસ આપ્યા વગર કરન્ટ ખાતેદારો પાસે તેમના અન્ય બેંકોના લોન-ઓવરડ્રાફ્ટ કે અન્ય દેવાની વિગતો મંગાવી છે. પરીણામે ખાતેદારોમાં એવી શંકા છે કે જો રિઝર્વ બેંકે આદેશ કર્યો હોય તો અન્ય બેંકો કેમ આવી માહિતી મંગાવતી નથી અને ફક્ત સુરત ડિસ્ટ્રીક્ટ બેંક જ કેમ આવી પ્રાઇવેટ માહિતી બેંક ખાતેદારો પાસે મંગાવી રહી છે.