આગામી 2 સપ્ટેમ્બરને બુધવારથી પૌરાણિક રીતીરિવાજો અને પરંપરા અનુસાર શ્રાદ્ધ દિવસો શરૂ થશે. પિતૃઓની પ્રસન્નતા માટે વિવિધ ધાર્મિક પૂજા-પાઠ અને તર્પણની પરંપરા આદિકાળથી ચાલી આવે છે.

આગામી સપ્તાહમાં તા.2 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષનો આરંભ થશે જે 17 સપ્ટેમ્બર સુધી રહેશે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ તર્પણ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય ગણાય છે.
શ્રાદ્ધ પક્ષના તુરંત બાદ અધિક મહિનો શરૂ થશે, એ પછી નવરાત્રી
સામાન્ય રીતે આ ગુજરાતીમાં કહેવત પ્રચલિત છે. દુકાળમાં અધિક માસ. આ કહેવતથી વિપરીત સંજોગો હાલમાં જોવા મળી રહ્યા છે. ગુજરાત અતિવૃષ્ટીથી પીડીત થયું છે. 115 ટકા જેટલો મોસમનો વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર, મોરબી, ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળોએ પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. આવી સ્થિતિને લીલો દુકાળ કહેવાય છે. આ વખતે અધિક માસ પણ બુધવારથી શરૂ થઇ રહ્યો હોઇ, દુકાળમાં અધિક માસની કહેવતથી વિપરીત લીલા દુકાળમાં અધિક માસનો સંયોગ રચાયો છે.
શ્રાદ્ધ પક્ષની પૂર્ણાહૂતિ બાદ સામાન્ય સંજોગોમાં નવરાત્ર શરૂ થાય છે પરંતુ આ વખતે હિન્દુ પંચાંગ અધિક મહિનો શ્રાદ્ધ પક્ષના તુરંત બાદ શરૂ થશે. શ્રાદ્ધ પક્ષમાં શુભ અને માંગલિક કામો નિષેધ હોવાનું મોટા ભાગના શાસ્ત્રોમાં દર્શાવાયું છે. આ વર્ષે હિન્દુ વર્ષ અનુસાર તિથિઓમાં વધ-ઘટ છે, પરંતુ, શ્રાધ્ધ પક્ષ માટે 16 દિવસ પૂરા મળી રહ્યાં છે. સામાન્ય રીતે પિતૃપક્ષ પૂર્ણ થતાં જ બીજા દિવસથી નવરાત્રિ શરૂ થઇ જાય છે. પરંતુ આ વર્ષે 19 વર્ષ બાદ આવો સંયોગ બની રહ્યો છે જ્યારે પિતૃપક્ષના પૂર્ણ થવાના એક મહિના પછી નવરાત્રિ શરૂ થશે.
હિંદુ પંચાંગ મુજબ તિથિઓની વધ-ઘટના કારણે વર્ષના 365 દિવસોની ગણતરીમાં ફેરફાર આવે છે. જેને એડજસ્ટ કરવા માટે આપણે ત્યાં અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રકારે લિપ યર 4 વર્ષમાં એકવાર આવે છે તેવી જ રીતે અધિકમાસ દર 3 વર્ષે એકવાર આવે છે.
















