તા.14 ઓક્ટોબર 2020ને બુધવારથી બુધ ગ્રહ તુલા રાશિમાં વક્રી થશે અને આ પ્રકારનું વક્રી ભ્રમણ તા.4 નવેમ્બર 2020 સુધી જોવા મળશે. તા. 4થી નવેમ્બરે બુધ ગ્રહની ચાલ સીધી થશે. બુધ ગ્રહની ચાલમાં થઇ રહેલા આ ફેરફારની સીધી અસર રાશીઓ અને જાતકો પર પડશે.
બુધના પ્રભાવથી લેવડ-દેવડ, અર્થવ્યવસ્થા અને કામકાજમાં ફેરફાર થાય છે
5 રાશિઓ માટે સારો સમય
બુધની વક્રી ચાલ અંગે વિશ્વભરમાં સનસાઇન અને મૂનસાઇન બન્ને પ્રકારથી જ્યોતિષનું કામકાજ કરી રહેલા એક્સપર્ટસના મંતવ્યોના તારણ પરથી એવું કહી શકાય કે બુધના પ્રભાવથી લેવડ-દેવડ, અર્થવ્યવસ્થા અને કામકાજમાં ફેરફાર થઇ શકે છે. બુધની ચાલમાં ફેરફાર થવાથી વૃષભ, મિથુન, કન્યા, મીન અને મકર રાશિના લોકો માટે સમય શુભ રહેશે.
આ પાંચ રાશીના જાતકો કામકાજમાં પ્રગતિકારક સમય પણ જોવા મળશે. બુધના કારણે આ રાશિઓના લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધાર આવી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો થઇ શકે છે. અટવાયેલું ધન પાછું મળવાના પણ યોગ બની રહ્યા છે.
7 રાશિના જાતકો સાવધાની રાખીને ડગલા માંડે
બુધની વક્રી ચાલ સંદર્ભે જુદા જુદા એક્સપર્ટસના મંતવ્યોના તારણ પર નજર કરીએ તો મેષ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશીના જાતકોએ પોતાના કામકાજમાં ઉતાવળ કે બેદરકારી દાખવશે તો તેના કારણે મુશ્કેલીઓ વધી શકે છે. લેવડ-દેવડ અને રોકાણના મામલે લેવામાં આવેલાં નિર્ણય ખોટા સાબિત થાય તેવી સંભાવના છે. ગુપ્ત વાતો જાહેર થઇ શકે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યામાં સાવધાન રહેવું. ગળા સાથે જોડાયેલી બીમારી થઇ શકે છે.
જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતો કહે છે કે વક્રી બુધના અશુભ પ્રભાવથી બચવા અને શુભ અસર વધારવા માટે ભગવાન ગણેશની પૂજાનો ઉપાય કરવો હિતાવહ છે. દર બુધવારે ગણેશજીના દર્શન કરો અને લાડવાનો ભોગ ધરાવી શકાય. ગાયને ઘાસ ખવડાવો. મગનું દાન કરો. ગણેશજીને દૂર્વા ચઢાવો. ગણેશ મંદિરમાં લીલા કપડાનું દાન કરો. પાણીમાં આપામાર્ગની જડ રાખીને તે પાણીથી સ્નાન કરો. આવું કરવાથી બુધ ગ્રહની અશુભ અસરમાં ઘટાડો આવી શકે છે.












