આધ્યાત્મિક Archives - Page 16 of 37 - CIA Live

October 17, 2020
ambaji-4.jpg
1min5270

આજથી જગત જનની મા જગદંબાના નવરાત્રિ પર્વનો દીવ્ય પ્રારંભ થઇ રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે પ્રાચિન ગરબી કે અર્વાચીન રાસોત્સવ યોજાશે નહિ. માત્ર એક કલાક પૂજા-અર્ચના-આરતી કરી શકાશે.

સૌ કોઇ ઘરમેળે માની પૂજા અર્ચના કરશે. નવધા ભક્તિ કરતાં માના ગુણગાન ગાશે. નવ દિવસ સુધી માતાજીની આરાધના કરશે. શહેરમાં વિવિધ વિસ્તારમાં માના નોરતા પહેલા ગરબાની ધૂમ ખરીદી થઇ હતી. સાથોસાથ માતાજીની ચૂંદડી દરરોજ વિવિધ વાનગીની પ્રસાદીની પણ ભાવિકોએ કરી હતી.

માતાજીના વસ્ત્ર, અલંકાર, હાર વગેરે ખરીદતા લોકો જોવા મળ્યા હતા. માતાજીના પર્વને વધાવવા માટે માતાજીના મંદિરોમાં લાઈટીંગ, ડેકોરેશન સહિતના શણગાર કરાયા હતા. જો કે દર્શનાર્થીઓ માત્ર દર્શન કરી શકશે. કોઇપણ સ્થળે રાસોત્સવ, ગરબી યોજાવાના નથી. શહેરમાં માના નોરતાને વધાવવા થનગનાટ છે. માની ભક્તિમાં ભાવિકો લીન થતા માતાજીને કાલાવાલા કરશે.

October 15, 2020
prasad.jpg
1min5800

રાજ્યના મંદિરોમાં પ્રસાદ વિતરણને લઇને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામા ંઆવ્યો છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેર કર્યું હતું કે, રાજ્યમાં મંદિરોમાં હવેથી બંધ પેકેટમાં પ્રસાદી આપી શકશે અને જે મંદિરો આ પ્રમાણે ભક્તોને પ્રસાદ આપવા માગતા હોય તે પ્રસાદ આપી શકે છે. પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, 7 જૂન 2020થી રાજ્ય સરકાર’ નક્કી કર્યું હતું કે, નિશ્ચિત માર્ગદર્શક સૂચનાના આધાર પર રાજ્યના મંદિરો દર્શન માટે ખોલવામાં આવે. રાજ્ય સરકારે કોઇ પણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી. કેટલી જગ્યા પર નવરાત્રિના સમયમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને દર્શનાર્થીઓ આવતા હોવાથી તેમજ કેટલીક જગ્યાએ ધર્મસ્થાનોમાં પૂરતી જગ્યા ન હોવાના કારણે અને કેટલાક મંદિર પર્વતની ટોચ પર હોવાના કારણે લાખો લોકો આવે તો ત્યાં સંક્રમણની શક્યતા વધી શકે છે. તેવા સંજોગોમાં જે તે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આ અંગેનો જરૂરી નિર્ણય લેવામાં આવ્યા છે. મંદિરમાં પરંપરાગત પૂજા, અર્ચના, આરતી અને હવનની પરંપરાઓ ચાલુ રહેવાની છે પરંતુ મંદિર સુધીના માર્ગ પર ઓછામાં ઓછા લોકો દાખલ થઇ શકે તેવી વ્યવસ્થા આ પરિસ્થિતિ વચ્ચે કરવામાં આવી છે અને રસ્તાની વચ્ચેના ભાગમાં એલઇડીની વ્યવસ્થા કરીને દર્શનાર્થીઓને દર્શન થાય તેના માટેની સુવિધા ઊભી કરી છે.

તેમણે કહ્યું હતું કે, જ્યારથી અનલોક 1 થયું ત્યારથી ગુજરાતના તમામે તમામ મંદિરોમાં નિશ્ચિત માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરીને તમામ જગ્યાએ દર્શન ખુલ્લા કરવામાં આવ્યા છે. નવરાત્રિ દરમિયાન અલગ-અલગ ટ્રસ્ટોએ પોતાની સગવડ અનુસાર અને સામાજિક અંતર જાળવીને જે નિર્ણયો લીધા છે. ટ્રસ્ટીઓએ પોતાની સ્થળ પરની પરિસ્થિતિ અને કોરોના સંક્રમણ વધે નહીં તેના માટે નિર્ણયો લીધા છે. સાથે-સાથે રાજ્ય સરકારે આ નવરાત્રિના સમય દરમિયાન તમામ ધર્મસ્થાનો અને મંદિરોમાં તમામ જગ્યાઓ પર કોરોના સંક્રમણ ન વધે તે ધ્યાને રાખીને ધાર્મિક શ્રધ્ધાળુઓ આસ્થા કેન્દ્રમાં આવતા લોકોને આપવામાં આવતો પ્રસાદ બંધ પેકેટમાં આપવાનો નિર્ણય લીધો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંદિરોમાં ક્ષમતા કરતા વધારે લોકો દર્શન કરવા આવે છે. પાવાગઢના મંદિરોમાં આશરે પાંચ લાખ જેટલા લોકો દર્શન કરવા આવે છે અને તેમાં પણ નિશ્ચિત દિવસે મોટી સંખ્યામાં ભીડ હોય એટલા માટે વ્યવસ્થાના ભાગરૂપે જે તે ટ્રસ્ટના લોકોએ વ્યક્તિગત રૂપે પોતે વ્યવસ્થાની જાળવણી માટે આ નિર્ણય કર્યા છે.

ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલા રાજ્ય સરકારે રાજ્યમાં કોઇપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મુક્યો હતો. જેની ગાઈડલાઈન્સમાં નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જો કે પ્રસાદ પરના પ્રતિબંધ સામે ભાવિક ભક્તોમાં અસંતોષની લાગણી જોવા મળી હતી. જેને પગલે આજે મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ, નવરાત્રિમાં પ્રસાદ માટેની ગાઈડલાઈનમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયને કારણે મીઠાઈનાં વેપારીઓને હવે નુકશાન વેઠવું નહીં પડે.

October 14, 2020
vaishno-devi.jpg
1min5270

વૈષ્ણોદેવીમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર છે કે ૧૫મી ઓક્ટોબરથી અહીં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા સાત હજાર કરી દેવામાં આવી છે. તેમ છતાં અહીં આવનારા શ્રદ્ધાળુઓને ઘણો ત્રાસ વેઠવો પડી રહ્યો છે, કારણ કે તેઓને પ્રવેશદ્વાર લખનપુરમાં કોરોનાની તપાસના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે. આશ્ર્ચર્યની વાત છે કે સંપૂર્ણ દેશમાં અનલોક-૫ હેઠળ કોઇ પણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવેશ કરવા પર કોઇ પણ પ્રકારની તપાસ નથી થઇ રહી, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં કોરોનાની તપાસ કરાવવા માટેનો આદેશ રજૂ કરવામાં આવ્યો છે. જમ્મુમાં પ્રવેશ કરનારાઓને લખનપુરમાં તથા કાશ્મીર જનારા લોકોને લોઅર મુંડામાં કોરોનાની તપાસના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી વૈષ્ણોદેવી આવનારાઓની સંખ્યા પાંચ હજાર હતી, જેમાં ૪૦૦૦ પ્રદેશના અને એક હજાર બહારના શ્રદ્ધાળુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ પ્રતિબંધો દૂર કરાયા છે.

October 13, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6130

તા.14 ઓક્ટોબર 2020ને બુધવારથી બુધ ગ્રહ તુલા રાશિમાં વક્રી થશે અને આ પ્રકારનું વક્રી ભ્રમણ તા.4 નવેમ્બર 2020 સુધી જોવા મળશે. તા. 4થી નવેમ્બરે બુધ ગ્રહની ચાલ સીધી થશે. બુધ ગ્રહની ચાલમાં થઇ રહેલા આ ફેરફારની સીધી અસર રાશીઓ અને જાતકો પર પડશે.

બુધના પ્રભાવથી લેવડ-દેવડ, અર્થવ્યવસ્થા અને કામકાજમાં ફેરફાર થાય છે

5 રાશિઓ માટે સારો સમય

બુધની વક્રી ચાલ અંગે વિશ્વભરમાં સનસાઇન અને મૂનસાઇન બન્ને પ્રકારથી જ્યોતિષનું કામકાજ કરી રહેલા એક્સપર્ટસના મંતવ્યોના તારણ પરથી એવું કહી શકાય કે બુધના પ્રભાવથી લેવડ-દેવડ, અર્થવ્યવસ્થા અને કામકાજમાં ફેરફાર થઇ શકે છે. બુધની ચાલમાં ફેરફાર થવાથી વૃષભ, મિથુન, કન્યા, મીન અને મકર રાશિના લોકો માટે સમય શુભ રહેશે.

આ પાંચ રાશીના જાતકો કામકાજમાં પ્રગતિકારક સમય પણ જોવા મળશે. બુધના કારણે આ રાશિઓના લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધાર આવી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં ફાયદો થઇ શકે છે. અટવાયેલું ધન પાછું મળવાના પણ યોગ બની રહ્યા છે.

7 રાશિના જાતકો સાવધાની રાખીને ડગલા માંડે

બુધની વક્રી ચાલ સંદર્ભે જુદા જુદા એક્સપર્ટસના મંતવ્યોના તારણ પર નજર કરીએ તો મેષ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશીના જાતકોએ પોતાના કામકાજમાં ઉતાવળ કે બેદરકારી દાખવશે તો તેના કારણે મુશ્કેલીઓ વધી શકે છે. લેવડ-દેવડ અને રોકાણના મામલે લેવામાં આવેલાં નિર્ણય ખોટા સાબિત થાય તેવી સંભાવના છે. ગુપ્ત વાતો જાહેર થઇ શકે છે. સ્વાસ્થ્યને લગતી સમસ્યામાં સાવધાન રહેવું. ગળા સાથે જોડાયેલી બીમારી થઇ શકે છે.

જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતો કહે છે કે વક્રી બુધના અશુભ પ્રભાવથી બચવા અને શુભ અસર વધારવા માટે ભગવાન ગણેશની પૂજાનો ઉપાય કરવો હિતાવહ છે. દર બુધવારે ગણેશજીના દર્શન કરો અને લાડવાનો ભોગ ધરાવી શકાય. ગાયને ઘાસ ખવડાવો. મગનું દાન કરો. ગણેશજીને દૂર્વા ચઢાવો. ગણેશ મંદિરમાં લીલા કપડાનું દાન કરો. પાણીમાં આપામાર્ગની જડ રાખીને તે પાણીથી સ્નાન કરો. આવું કરવાથી બુધ ગ્રહની અશુભ અસરમાં ઘટાડો આવી શકે છે.

October 9, 2020
jalarambapa.jpg
1min5270

રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા વીરપુરનું જલારામ મંદિર આઠ દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે બાદ ગુરૂવારથી ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

સરકારી ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન સાથે ભાવિકોના જલારામ બાપાનાં દર્શન શરૂ થયાં હતાં. ભાવિકોએ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલા માનકેશ્ર્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલય પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવવાનું રહે છે. જે બાદ સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે મંદિરમાં માસ્ક બાંધવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પૂજ્ય બાપાના દર્શન સવારે ૭થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી થઈ શકશે.

કોરોના સંક્રમણને કારણે મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર થાય નહીં તે માટે મંદિર દ્વારા અગાઉ પણ ૩૦ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિ વધુ વણસી હોવાથી ફરી આઠ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

September 30, 2020
jagganthpuri.jpg
1min5380

શ્રી જગન્નાથ મંદિરના ઓછામાં ઓછા ૩૫૧ પૂજારી અને ૫૩ કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મંદિરમાં કાર્ય કરતા કુલ ૪૦૪ જણનો કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું, એમ શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્ર (એસજેટીએ)ના સભ્ય અજય જેનાએ જણાવ્યું હતું.

મંદિરના મોટાભાગના કર્મચારીઓની ગેરહાજરી હોવા છતાં ભગવાન જગન્નાથની પારંપારિક રીતે સેવા કરવાનું ચાલુ જ છે. કોરોના મહામારી શરૂ થયા બાદ માર્ચ મહિનાથી જગન્નાથ મંદિર બંધ છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ કર્મચારીઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે અને હાલમાં જગન્નાથ ભગવાનની વિધિ-પૂજા કરવાનું જ્ઞાન હોય એવી વ્યક્તિઓનો અભાવ છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.

ભગવાન જગન્નાથ, દેવી સુભદ્ધા અને ભગવાન બાળભદ્રાની પાંરપારિક પૂજા કરવા માટે ઓછામાં ઓછા ૧૩ પૂજારીના ગ્રુપની જરૂર હોય છે. તેથી રોજના ૩૯ પૂજારીની પૂજા કરવા માટે જરૂર પડતી હોય છે.

ભગવાન જગન્નાથના નામે ઓળખાતા વિષ્ણુ મંદિરમાં વહેલી સવારથી મોડી રાત સુધી પૂજા-આરતી થતી હોય છે. જો કોઇ એક પૂજા ના થાય તો ત્યાર પછીની પૂજા પણ ન કરવાની મંદિરની પરંપરા છે, એમ જગન્નાથ પરંપરાના સંશોધક ભાસ્કર મિશ્રાએ જણાવ્યું હતું.

September 27, 2020
Navratri_9swaroop.jpg
1min4900

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી   નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજવનારો રાજ્ય કક્ષાનો નવરાત્રી મહોત્સવ નહિ ઉજવવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણની સ્થિતિ ફરીથી ગંભીર બની રહી હોવાથી પ્રજાના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રીએ વિશાળ જનહિતમાં  આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તાજેતરમાં ગુજરાતમાં કોરોનાના કુલ કેસોનો આંકડો 1.30 લાખને પાર ગયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુ 3,396 થયા છે. રાજ્ય સરકારે નવરાત્રિના તેમના આયોજનને રદ કરવાનો નિર્ણય કરતા આ વર્ષે કોરોનાકાળમાં અન્ય ખાનગી આયોજનોને પણ આડકતરો ઈશારો કરી દીધો હોવાનું જણાય છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે  ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિ.

September 25, 2020
ashapura.jpg
1min5860

આવતા મહિને નવરાત્રિના પવિત્ર તહેવારનો પ્રારંભ થાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે કચ્છના અત્યંત પવિત્ર ધામ એવા માતાના મઢ આશાપુરા મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મંદિર-પ્રશાસન અને સરકારી અધિકારીઓ વચ્ચે થયેલી મીટિંગમાં સ્થાનિક કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું જેમાં ૧૩થી ૨૫ ઑક્ટોબર વચ્ચે મંદિર બંધ રાખવાની જાહેરાત કરી છે. જોકે દર્શનાર્થીઓ ઑનલાઇન દર્શનનો લાભ લઈ શકશે.

નવરાત્રિમાં માતાના મઢનું મંદિર બંધ રહેશે એવી આ પ્રથમ ઘટના છે. દર વર્ષે નવરાત્રિમાં કચ્છના માતાના મઢમાં અનેક ભક્તો ઊમટી આવે છે. દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન માટે આવે છે. લાખો ભાવિકો માનતા રાખીને કે શ્રદ્ધાથી પદયાત્રા કરીને માતાના મઢ આવે છે. ગુજરાતનાં જ નહીં, મુંબઈ સહિતનાં દેશનાં અન્ય શહેરો-રાજ્યોમાંથી પદયાત્રા, સાઇકલયાત્રા કરીને લોકો માતાજીનાં દર્શન કરવા કચ્છમાં માતાના મઢ જાય છે. પદયાત્રાના માર્ગ પર અનેક કૅમ્પનું આયોજન થાય છે.

September 13, 2020
Mahant_Swami_Maharaj.jpg
1min7860

મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ધર્મવડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજનો આજે તા.13મી સપ્ટેમ્બર 2020ને રવિવારે 87મો જન્મજયંતી દિન સમગ્ર વિશ્વભરમાં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાઓમાં તેમજ અનુયાયીઓમાં હર્ષોલ્લાસભેર ઉજવાય રહ્યો છે. આજે સવારથી જ ઓનલાઇન પ્લેટફોર્મ પર દેશ-વિદેશના લાખો ભક્તો ગુરુવંદના તેમજ અન્ય કલ્યાણકારી વક્તવ્યો સાથે જન્મજયંતી ઉત્સવ ઉજવી રહ્યા છે.

મધ્યપ્રદેશના જબલપુર ખાતે 1933માં જન્મ

પૂજ્ય મહંતસ્વામી મહારાજનો જન્મ મધ્યપ્રદેશમાં જબલપુર ખાતે સન 1933માં 13મી સપ્ટેમ્બરે થયો હતો. તેમનું વિદ્યાર્થીકાળ અંગ્રેજી માધ્યમની કોન્વેન્ટ શાળામાં વિતાવીને આણંદ ખાતે વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે સન 1952માં કોલેજમાં જોડાયા હતા. સન 1956માં એગ્રિકલ્ચરલ સાયન્સમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કરીને તેઓ મહાન સંત બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના ચરણે સમર્પિત થઈ ગયા હતા. સન 1961માં તેઓના હસ્તે દીક્ષા લઈને સ્વામી કેશવજીવનદાસજી બન્યા હતા.

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની છત્રછાયામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના અનેક આધ્યાત્મિક-સામાજિક આયોજનોમાં મહત્ત્વનું યોગદાન આપનાર તેઓ મુંબઈના બી.એ.પી.એસ. મંદિરના મહંતશ્રી હોવાથી મહંત સ્વામીના નામથી વિખ્યાત થયા છે. તેઓનું ચિંતનસભર વ્યક્તિત્વ અને તેમની શાંત આધ્યાત્મિક પ્રતિભામાં તેમની અનોખી સાધુતા મહેકે છે. તેજસ્વી વ્યક્તિત્વ હોવા છતાં તેઓની સહજ વિનમ્રતા અને સાદગી સૌનાં હૃદયને સ્પર્શી જાય છે.

આજે તેઓશ્રીની 87મી જન્મજયંતીના પર્વે તેઓના આ સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વની વિવિધ અનુભૂતિઓ વિવિધ રીતે પ્રસ્તુત થશે. સાંજે 5થી 8 દરમિયાન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની વેબસાઈટ અને જીટીપીએલની કથા ચેનલ દ્વારા રજૂ થનાર આ વર્ચ્યુઅલ જન્મજયંતી ઉત્સવમાં પૂજ્ય ડોક્ટર સ્વામી, પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી સહિત વિદ્વાન સંતોના વક્તવ્યો તેમજ અન્ય કાર્યક્રમોનો લાભ મળશે.

જુદા જુદા સ્થાનોમાં રહેલા મહંત સ્વામી મહારાજ તેમજ સંતોને વર્ચ્યુઅલ ટેક્નોલોજી દ્વારા એક જ પ્લેટફોર્મ પર લાવીને કરવામાં આવનાર જીવંત પ્રસારણને દેશવિદેશમાં લાખો ભક્તો માણશે, અને આરતી તેમજ પુષ્પાંજલિ દ્વારા પોતાના આ પ્રાણપ્યારા ગુરુહરિને જન્મજયંતીએ વધાવશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ભાદરવા વદ નવમી તિથિએ પણ ભારતીય કેલેન્ડર મુજબ તેઓનો જન્મદિન હતો. સંતોએ ભાવવંદના કરીને તેઓને આ પ્રંસગે વધાવ્યા હતા.

August 31, 2020
vaishno-devi-golden-gate-in-darbar_1569770611.jpeg
1min6270

દેશભરના શ્રદ્ધાળુઓ વૈષ્ણોદેવીનો પ્રસાદ પૉસ્ટ મારફતે મેળવી શકશે, એમ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બૉર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

દેશભરના શ્રદ્ધાળુઓને પ્રસાદ ઝડપથી મોકલી શકાય તે માટે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બૉર્ડે પૉસ્ટ ખાતા સાથે કરાર કર્યા છે, એમ તેમણે કહ્યું હતું.

શ્રાઈન બૉર્ડના સીઈઓ રમેશકુમાર અને પૉસ્ટલ સેવાના ડિરેક્ટર (જમ્મુ-કાશ્મીર-વડુમથક) ગૌરવ શ્રીવાસ્તવે આ કરાર પર સહી કરી હોવાનું તેમણે કહ્યું હતું.

આ સુવિધાને કારણે જે લોકો કોરોના મહામારીને કારણે વૈષ્ણોદેવીની યાત્રાએ જઈ નથી શકતા તેમને પણ ઘરબેઠા પ્રસાદનો લાભ મળશે, એમ તેમણે કહ્યું હતું.

ન નફો ન નુકસાનના ધોરણે બૉર્ડે પ્રસાદને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કર્યો છે. લોકો સત્તાવાર વૅબસાઈટ પરથી તેમ જ ૯૯૦૬૦ ૧૯૪૭૫ મોબાઈલ નંબર પર ફોન કરીને પણ પ્રસાદનો ઑર્ડર આપી શકશે. અગાઉ શ્રાઈન બૉર્ડે શ્રદ્ધાળુઓને ભવનસ્થિત યજ્ઞશાળા ખાતે પૂજા અને હવન કરવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

કોરોના વાઈરસની મહામારીને કારણે લગભગ પાંચ મહિના જેટલો સમય બંધ રાખવામાં આવ્યા બાદ ત્રિકુટા પર્વત પર આવેલું માતા વૈષ્ણોદેવીનું મંદિર દર્શનાર્થીઓ માટે ૧૬ ઑગસ્ટથી ફરી શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન, વૈષ્ણોદેવી યાત્રા દિવસોદિવસ વેગ પકડી રહી હોવાનું બૉર્ડે કહ્યું હતું.

યાત્રાળુઓ માટે હૅલિકોપ્ટર, બૅટરી સંચાલિત વાહનો, ભવન અને ભૈરવનાથ વચ્ચે રૉપ વે સહિતની સેવાઓ શરૂ કરવામાં આવી હોવાનું બૉર્ડે કહ્યું હતું.