
આદ્યશક્તિ મા અંબેના નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે યાત્રિકોની ધાર્મિક ભાવના લક્ષમાં લઇ બનાસકાંઠા કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વ્રારા દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
અંબાજીમાં નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓનો ધસારો વધતા દર્શનના સમયમાં વધારો કરાયો છે. જેથી હવે મંદિર રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. દર્શન સવારે- ૭.૩૦ થી ૧૧.૪૫ , દર્શન બપોરે- ૧૨.૧૫ થી ૧૬.૧૫ , દર્શન સાંજે- ૭.૦૦ થી ૧૧.૦૦ રાત્રે નો સમય રાખવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માતાજીની સવારની આરતીનું ૭.૦૦ થી ૭.૩૦ અને સાંજની આરતી ૬.૩૦ થી ૭.૦૦ વાગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ તેમજ ફેસબુક, ટ્વિટર, યુ-ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.
કોરોના મહામારી અંતર્ગત સરકારની ગાઇડલાઇન અન્વયે અંબાજી દેવસ્થા ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે સેનેટાઇઝેશન તથા સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર દર્શન વ્યવસ્થામાં સહયોગ આપવા ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે.











