
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં થઇ રહેલા વધારાને પગલે હવે હોળી-ધુળેટી પર્વની જાહેરમાં ઉજવણીના કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવાયો છે જોકે હોલીકા દહન માટે છૂટ આપવામાં આવી છે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે હતું કે, રાજ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે, પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્યમાં ધુળેટીની જાહેર ઉજવણી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
શનિવારે મુખ્ય પ્રધાન સાથેની કોરગ્રુપની મીટિંગમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ધાર્મિક ઉજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યારે કેટલાંક શહેરોમાં જુદા જુદા પ્રકારના સ્ટ્રેઇન જોવા મળી રહ્યા છે. પરંતુ સદનસીબે જે ઇંગ્લેન્ડનો સ્ટ્રેન ખૂબ ફેલાવે એવી ચિંતા હતી તેવા ચિંતાકારક કોઈ સ્ટ્રેન હોય તેવું માલૂમ પડ્યું નથી. ક્રિકેટના કારણે સંક્રમણ ફેલાયું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે સંક્રમણ ફેલાયું તેવું કહેવું ઉચિત નથી. કારણ કે એવું હોત તો મહારાષ્ટ્રમાં ચૂંટણી નથી, મેચ પણ નથી છતાં દેશના ૫૦ ટકા કરતાં વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવે છે. અગાઉ જે કોરોનાના ગંભીર કેસ આવતા હતા, એવા ગંભીર કેસ હાલમાં રાજ્યમાં નોંધાઈ રહ્યા નથી.















