ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી મેની ફાઇનલનું સ્થળ ચેન્નઈથી બદલીને હૈદરાબાદ કરવામાં આવ્યું છે. તમિળનાડુ ક્રિકેટ એસોસિયેશન (ટીએનસીએ) ત્રણ બંધ પડેલા સ્ટૅન્ડ ખોલવા સંબંધમાં સરકારની જરૂરી મંજૂરી લેવામાં નિષ્ફળ જતાં ક્રિકેટ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ચેન્નઈ સુપર કિંગ્સ પૉઇન્ટ્સ-ટેબલમાં સતતપણે નંબર વન પર રહ્યું છે અને જો નિર્ધારિત કુલ 14 લીગ મૅચને અંતે ટોચના બે સ્થાનમાં જળવાઈ રહેશે તો એને ઘરઆંગણે ક્વૉલિફાયર-વનમાં રમવાનો મોકો મળશે. જોકે, એલિમિનેટર (8 મે) તથા ક્વૉલિફાયર-ટૂ (10 મે) મૅચનું સ્થળ બદલીને વિશાખાપટનમ કરવામાં આવ્યું છે.
કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના વડા વિનોદ રાયે સોમવારે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘નૉકઆઉટ મૅચોમાં સ્ટેડિયમો ખાતે જે ગેટ-સેલ્સ (પ્રેક્ષકોના પ્રવેશ)ની આવક થતી હોય છે એના પર ક્રિકેટ બોર્ડનો હક હોવાથી અમે ફાઇનલના નવા સ્થળ વિશેનો નિર્ણય લીધો છે.’
સરકાર તરફથી જે ત્રણ સ્ટૅન્ડ ખોલવાની મંજૂરી નથી મળી એ જો ખુલ્યા હોત તો એમાં 12,000થી વધુ પ્રેક્ષકો બેઠા હોત. એ જોતાં, 12,000 ટિકિટોના વેચાણ ન થતાં જો ચેન્નઈમાં જ મૅચ રખાઈ હોત તો ક્રિકેટ બોર્ડે ઘણી કમાણી ગુમાવી હોત.
ત્રણ સ્ટૅન્ડ 2012ની સાલથી (સાત વર્ષથી) બંધ છે.

















