CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 17 of 44 - CIA Live

March 21, 2022
chinaplane-2.jpg
1min431

ચીનનું 133 લોકોને જઈ રહેલું ચાઈના ઈસ્ટર્ન પેસેન્જર જેટ ક્રેશ થયું છે. આ વિમાન દક્ષિણ-પૂર્વ ચીનમાં ક્રેશ થયું છે. જોકે, આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તે અંગેનો આંકડો હજુ સુધી સામે આવ્યો નથી.

બોઈંગ 737 પ્લેન વુઝોઉ શહેર પાસે આવેલા ગ્રામ્ય વિસ્તાર ગુઆંગશીમાં તૂટી પડ્યું છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, ચીનનું વિશાળ બોઈંગ વિમાન ક્રેશ થયા બાદ પર્વત વિસ્તારમાં આગની જ્વાળાઓ અને ધૂમાડો જોવા મળ્યો હતો.

રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર જવા માટે રવાના થઈ ગઈ છે. ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ 133 લોકોને લઈને જઈ રહ્યું હતું ત્યારે વુઝોઉ પાસે તૂટી પડ્યું હતું.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ચાઈના ઈસ્ટર્ન ફ્લાઈટ MU5735 નિર્ધારિત સમય પર ગંતવ્ય સ્થાન પર ના પહોંચ્યા બાદ તપાસ શરુ કરવામાં આવી હતી, જેમાં આ દુર્ઘટના વિશે જાણ થઈ હતી. આ વિમાન કુનુમિંગથી સ્થાનિક સમય પ્રમાણે સોમવારે બપોરે 1 વાગ્યે રવાના થયું હતું પરંતુ તે નિર્ધારિત સમયે ગુઆંગઝો નહોતું પહોંચ્યું.

હજુ સુધી આ દુર્ઘટના અંગે ચીન દ્વારા સત્તાવાર માહિતી પૂરી પાડવામાં આવી નથી.

March 21, 2022
biren_singh.jpg
1min363

મણિપુરમાં ભાજપાને મળેલી પ્રચંડ જીત બાદ આગામી મુખ્યમંત્રીને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. મણિપુરમાં સીએમને લઈને ચાલી રહેલ સસ્પેન્સને ભાજપ હાઇકમાન્ડે ખતમ કરીને બિરેન સિંહનાં નામની જાહેરાત કરી દીધી છે. બીરેનાસિંહ જ મણિપુરમાં ભાજપા ધારાસભ્ય દળના આગામી નેતા હશે. મણિપુરમાં બીજેપી વિધાયક દળની બેઠક બાદ એન બિરેનાસિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. બિરેનાસિંહ સતત બીજી વખત મણિપુરની સત્તા સંભાળવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. મણિપુરમાં આયોજિત બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક નિર્મલા સીતારમણ અને સહ-િનરીક્ષક કિરેન રિજિજુ હાજર હતા.

March 20, 2022
kishida.jpg
1min386

જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો કિશિદા (Japanese Prime Minister Fumio Kishida) શનિવારે તા.19 માર્ચ 2022ના રોજ ભારતની સંક્ષિપ્ત યાત્રા પર પહોંચ્યા હતા. શનિવારે સાંજે તેમણે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સાથે શિખર વાર્તા કરી હતી. ટૂંકી મુલાકાત બાદ આજરોજ તા.20 માર્ચને રવિવારે સવારે 8 વાગ્યે તેઓ રવાના પણ થઇ ચૂક્યા હતા. ભારત-જાપાનની વચ્ચે ગત વાર્ષિક શિખર બેઠક ઓક્ટોબર 2018માં ટોક્યોમાં થઈ હતી. ડિસેમ્બર 2019માં નાગરિકતા સંશોધન કાનૂનને લઈને થયેલ વિરોધ-પ્રદર્શનોને કારણે પીએમ મોદી અને તત્કાલીન જાપાની પીએમ શિંજો આબેની વચ્ચે શિખર વાર્તા રદ કરી દેવામાં આવી હતી. જ્યારે 2020 અને 2021માં કોરોના મહામારીને કારણે શિખર વાર્તા યોજાઈ ન હતી.

પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ ફુમિયો કિશિદા વચ્ચેની બેઠક બાદ ભારત અને જાપાન વચ્ચે 6 ડીલ પર હસ્તાક્ષર થયા છે. જાપાને 2014માં કરેલ રોકાણ પ્રોત્સાહન પાર્ટનરશિપ હેઠળ ભારતમાં 3.2 લાખ કરોડ રૂપિયાના રોકાણ લક્ષ્યની જાહેરાત કરી છે. પીએેમ નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ કિશિદા વચ્ચે વાર્તા બાદ જાપાને પૂર્વોત્તર ક્ષેત્રના સતત વિકાસ અભિયાનની જાહેરાત કરી છે. ભારત અને જાપાનના પીએમ વચ્ચે વાર્તા બાદ સ્વસ્છ ઊર્જા પાર્ટનરશિપની પણ જાહેરાત કરાઈ હતી.

રશિયાના આક્રમણ અંગે જાપાનના પીએમ કિશિદાએ કહયું કે, બળપ્રયોગ કરીને યથાસ્થિતિને બદલવાની એકતરફી પ્રયત્નોની મંજૂરી આપવી જોઈએ નહીં. તેઓએ કહ્યું કે અમે યુક્રેનની સ્થિતિ પર ચર્ચા કરી, રશિયાનો હુમલો એક ગંભીર બાબત છે કેમ કે તેણે ઈન્ટરનેશનલ માપદંડોને હલાવી દીધા છે.

પીએમ મોદીએ બેઠક બાદ કહ્યું કે, કોરોના, આર્થિક રિકવરી અને જિયો પોલિટિકલ જેવા અનેક પડકારો વચ્ચે ભારત અને જાપાનની પાર્ટનરશિપને વધારે ઊંડી કરવી બંને દેશો માટે જ મહત્વપુર્ણ નથી પણ તેનાથી ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને સમગ્ર વિશ્વ સ્તર પર શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પ્રોત્સાહન મળશે. ભારત અને જાપાન બંને જ સુરક્ષિત અને સ્થિર એનર્જી સપ્લાયના મહત્વને સમજે છે. આ સ્થિર ઈકોનોમીના ગ્રોથના લક્ષ્યને મેળવવા માટે અને ક્લાયમેન્ટ ચેન્જની સમસ્યાને ઉકેલવા માટે જરૂરી છે. ભારત આજે મેક ઈન ઈન્ડિયા ફોર વર્લ્ડની અપાર સંભાવનાઓ રજૂ કરે છે. ત્યારે જાપાની કંપનીઓ ઘણા સમયથી એક પ્રકારે અમારી બ્રાન્ડ એમ્બેસડર રહી છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ જેવા અમારા ફ્લેગશિપ પ્રોજેક્ટ્સમાં જાપાનનો સહયોગ ઉલ્લેખનીય છે. અમે આ યોગદાન માટે આભારી છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં સારી પ્રગતિ થઈ રહી છે.

March 19, 2022
yogi.jpg
1min438

યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહ (yogi adityanath swearing in ceremony)ની તારીખ આવી ગઈ છે. શુક્રવારે, ANIએ એક ટ્વિટ કર્યું, જેમાં તેણે 25 માર્ચે યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહનો ઉલ્લેખ કર્યો. તેમણે પોતાના ટ્વિટમાં જણાવ્યું કે યોગી સાંજે 4 વાગ્યે યુપીના સીએમ તરીકે શપથ લેશે.

પાંચ વર્ષના સફળ કાર્યકાળ બાદ યુપીમાં સત્તામાં વાપસી કરીને 37 વર્ષ જૂની માન્યતાને તોડીને ભાજપ માટે ઈતિહાસ રચનાર સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં બીજેપી સરકારનો બીજો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ સમારોહ 25 માર્ચેના શહીદ પથ ખાતે આવેલા ઇકાના સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. કેબિનેટમાં મહિલાઓ અને યુવાનો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. બપોરે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્ર સરકારના ઘણા મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય અને ભાજપના વરિષ્ઠ નેતાઓ શપથ ગ્રહણમાં હાજરી આપશે. ઈકના સ્ટેડિયમમાં પ્રસ્તાવિત શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેબિનેટના સ્વરુપ અને કોને કોને સમાવવા તેને લઈને યોગી આદિત્યનાથ સાથે પાર્ટી નેતૃત્વએ પરામર્શ કરી લીધો છે અને તેમને અલગથી સૂચિત કરી દેવામાં આવશે. યુપીમાં સરકારની રચના માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુવર દાસને અનુક્રમે નિરીક્ષક અને સહ-નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ગોરખપુરથી લખનૌ પહોંચશે ત્યારે શપથ ગ્રહણ કરનાર મંત્રીઓની યાદી બનાવવામાં આવશે.

March 16, 2022
kids.jpg
1min484

કેન્દ્ર સરકારે મંગળવારે 12-14 વર્ષના બાળકો માટે COVID-19 વેક્સિનેશન માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. આજથી એટલે કે, બુધવારથી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ઉંમરના બાળકોને ફક્ત કોર્બેવેક્સ વેક્સિન (Corbevax Vaccine)નો ઉપયોગ કરવામાં આવશે. 

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિકલ-ઈની વેક્સિન Corbevaxના 2 ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવામાં આવશે. મતલબ કે વેક્સિનના બંને ડોઝ વચ્ચે 28 દિવસનો ગેપ રહેશે. કેન્દ્રએ સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર દ્વારા આ ગાઈડલાઈન મોકલી હતી. તા. 01 માર્ચ 2021 સુધીની ગણતરી પ્રમાણે દેશમાં 12 અને 13 વર્ષની ઉંમરના 4.7 કરોડ બાળકો છે. વેક્સિનેશન માટે CoWIN એપ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 

તે સિવાય હવે 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના તમામ લોકોને પણ પ્રિકોશન ડોઝ આપી શકાશે. હકીકતે આ ડોઝ વેક્સિનના બીજા ડોઝના 9 મહિના કે 39 સપ્તાહ પૂર્ણ થયા બાદ વૃદ્ધોને આપવાનો છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રિકોશન ડોઝમાં એ જ વેક્સિન આપવામાં આવશે જે પહેલા અને બીજા ડોઝમાં લીધી હોય. 

March 16, 2022
Ukraine-Russia.jpg
1min472

યુક્રેનમાં 20-20 દિવસથી ચાલી રહેલા રશિયાએ છેડેલા યુદ્ધમાં હજી સુધી શાંતિનાં કોઈ અણસાર મળી રહ્યા નથી. ઉલટાં રોજ રશિયાનાં હુમલા વધુ ઘાતક બનતા જાય છે અને સ્થિતિ વધુ દારુણ. રશિયાનાં વિદેશ મંત્રાલય દ્વારા આજે યુક્રેનનાં દોનેત્સકમાં કરવામાં આવેલા હુમલા વિશે નિવેદન જારી કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે, 14મી માર્ચે દોનેત્સકમાં યુક્રેનની સેનાએ રહેણાંક વિસ્તાર આસપાસ ટોચકા-યુ મિસાઈલથી હુમલો કર્યો હતો. તેમાં 20 લોકોનાં મોત અને 28 ઘાયલ થયા છે. ટૂંકમાં રશિયાએ યુક્રેન ઉપર પોતાની જ જનતા ઉપર હુમલો કરી નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બીજીબાજુ યુદ્ધનાં અંતની ગુહાર લગાવતા યુક્રેને કરેલી અરજી ઉપર આંતરરાષ્ટ્રીય કોર્ટ આવતીકાલે પોતાનો આદેશ સંભળાવી શકે છે.

દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એલાન કર્યું હતું કે, રશિયાની ખિલાફ લડવા માટે યુક્રેનને શત્રો અને માનવીય સહાય પહોંચાડવામાં આવશે. શરણાર્થીઓને પણ અમેરિકામાં પનાહ આપવામાં આવશે.
યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કીએ સોમવારની મોડી રાતે સંસદમાં એક વિધેયક પેશ કર્યુ હતું. જેમાં 24 માર્ચથી આગામી 30 દિવસ માટે સૈન્ય કાનૂન લંબાવવાનો પ્રસ્તાવ હતો.

બ્રિટનનાં રક્ષા મંત્રાલય દ્વારા આજે એક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયા હવે યુક્રેનમાં રાસાયણિક કે જૈવિક શત્રોનો ઉપયોગ કરવાનો કારસો કરી શકે છે. અગાઉ અમેરિકી અધિકારીઓ તરફથી પણ આ મતલબનાં નિવેદન આપવામાં આવેલા. યુક્રેને પણ આવી ભીતિને પગલે રશિયાને ચેતવણી આપેલી છે કે, આવા કોઈ રાક્ષસી શત્રો વપરાશે તો રશિયાને વધુ કઠોર પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે આંતરરાષ્ટ્રીય અદાલતમાં ચાલતા કેસ ઉપર પણ આવતીકાલે 16મીએ ફેંસલો આવી શકે છે. રશિયાએ યુક્રેન તરફથી મૂકવામાં આવેલા નરસંહારનાં આરોપોને ખોટા ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 24મી ફેબ્રુઆરીએ યુક્રેન ઉપર રશિયાનાં આક્રમણ બાદ તુરંત જ યુક્રેને ઈન્ટરનેશનલ કોર્ટમાં આ લડાઈનો અંત લાવવાની પોકાર કરવામાં આવી હતી.

March 16, 2022
basic.jpg
1min668

28મી માર્ચથી રાજ્યભરમાં Gujarat બોર્ડની SSC & HSC પરીક્ષા શરૂ થઇ રહી છે. શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રના વિકલ્પ આપવા અંગે સરકારે નિર્ણય કર્યો હતો. શિક્ષણ બોર્ડે આ વર્ષથી બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ આપતા 80% વિદ્યાર્થીઓએ સરળ ગણિત પસંદ કર્યું.

ધો.10ની પરીક્ષા આપતા કુલ 9.64 લાખ વિદ્યાર્થીમાંથી અંદાજિત 8.10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ (અઘરું) ગણિત છોડી દીધું છે અને તેમણે બેઝિક એટલે કે સરળ ગણિત વિષય પસંદ કર્યો છે. જ્યારે માત્ર 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જ સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કર્યુ છે.

જેનો સીધો મતલબ એ નીકળી રહ્યો છે કે 8.10 લાખ વિદ્યાર્થીઓ હવે પછી ધો.11માં સાયન્સ બાયોલોજી ગ્રુપ, કોમર્સ, હ્યુમેનિટીઝ કે ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં ભણવા માટે જશે. જ્યારે 1.25 લાખ પૈકી કેટલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, ટેક્નોલોજીને વળગી રહે છે તે પણ જોવું રહ્યું.

સ્ટાન્ડર્ડ ગણિત પ્રમાણમાં અઘરું હોય છે, આ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓ સાયન્સમાં A ગ્રૂપમાં જાય છે, JEE પરીક્ષા પાસ કરી એન્જિનિયરિંગમાં આગળ વધી શકે છે. બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી સાયન્સમાં B ગ્રૂપ રાખી શકે છે, મેડિકલમાં આગળ વધી શકે, કોમર્સ-આર્ટસ રાખી શકે. 

A ગ્રૂપ: ‘એ’ ગ્રૂપમાં જનારા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત રાખશે. જેમાં વિજ્ઞાનના વિષયો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અભ્યાસ માટે આગળ જઈ શકે છે.​​​​​​​
B ગ્રૂપ: ‘બી’ ગ્રૂપના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે બેઝિક ગણિત રાખે છે. આગળ ધો.11 સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના વિષય ભણે છે, આ વિદ્યાર્થીઓ બાયોલોજી સબ્જેક્ટ હોવાને કારણે મેડિકલ, ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ મેળવી શકે છે.

March 15, 2022
hijab.jpg
1min526

કર્ણાટક હાઈકોર્ટની ફુલ બેન્ચે હિજાબ વિવાદ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે હિજાબ ઈસ્લામનો ભાગ નથી. આ આદેશ સાથે હાઇકોર્ટે વિદ્યાર્થિનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબને લઈને હાઈકોર્ટમાં પહોંચેલી ફુલ બેન્ચે 15 દિવસથી વધુ સમય સુધી સુનાવણી કરી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગયા અઠવાડિયે નિર્ણય અનામત રાખ્યો હતો. અહીં મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીન રાજ્ય સરકારે કર્ણાટકના જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી છે. જે વિસ્તારો અતિસંવેદનશીલ છે ત્યાંની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દક્ષિણ કન્નડના ડેપ્યુટી કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કે.વી.એ જણાવ્યું કે મંગળવારે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એક્સટર્નલ પરીક્ષાઓ સમયપત્રક મુજબ જ લેવામાં આવશે પરંતુ મંગળવારે જે ઇન્ટરનલ પરીક્ષાઓ યોજાવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે. ઉડુપીના ડીએમ કુરમા રાવ એમએ પણ મંગળવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

પોલીસ ફોર્સ તૈનાત
શિવમોગા જિલ્લામાં શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. અહીં 21 માર્ચ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. એસપી બીએમ લક્ષ્મી પ્રસાદે જણાવ્યું કે KSRPની 8 કંપનીઓ, ડિસ્ટ્રિક્ટ આર્મ્ડ રિઝર્વની 6 કંપનીઓ અને RPFની 6 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. કલબુર્ગી પ્રશાસને કલમ 144 પણ લગાવી છે.

ઉડુપીની કોલેજથી શરૂ થયો હતો વિવાદ
ઉડુપીની એક કોલેજમાંથી હિજાબનો વિવાદ ઉભો થયો હતો. ગવર્નમેન્ટ પ્રી કોલેજમાં છોકરીઓને સ્કૂલમાં હિજાબ પહેરવાની છૂટ હતી પરંતુ ક્લાસની અંદર હિજાબ પર પ્રતિબંધ હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોલેજના છ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને ક્લાસરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેમને અટકાવવામાં આવ્યા હતા પરંતુ છોકરીઓ મક્કમ હતી. જે બાદ તે કોલેજની બહાર ધરણા પર બેસી ગઈ હતી અને ત્યારબાદ વિવાદ વધુ ગરમાયો હતો. કોલેજની અંદરનું આ પ્રદર્શન દેશના અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં ફેલાઈ ગયું.

ખંડપીઠે નિર્ણય અનામત રાખ્યો હતો
કર્ણાટક હાઈકોર્ટે ગયા મહિને હિજાબ વિવાદની સુનાવણી પૂર્ણ કરી હતી. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જેએમ ખાજી અને જસ્ટિસ કૃષ્ણા એમ દીક્ષિતની બનેલી ફુલ બેન્ચે કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટમાં કર્ણાટક સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે હિજાબ જરૂરી ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક સૂચનાઓને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવી જોઈએ.

હાઇકોર્ટે વચગાળાનો સ્ટે લગાવ્યો હતો
કર્ણાટક સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર પ્રભુલિંગ નવદગીએ કહ્યું હતું કે બંધારણની કલમ 25 હેઠળ માત્ર આવશ્યક ધાર્મિક પ્રથાઓ જ સુરક્ષિત છે, જે નાગરિકોને તેમની પસંદગીના ધર્મનું પાલન કરવાની ખાતરી આપે છે. કર્ણાટક હાઈકોર્ટે હાલમાં કોઈપણ ધાર્મિક પ્રતીક પહેરીને શાળાએ જવા પર વચગાળાનો પ્રતિબંધ લગાવી દીધો છે!

હિજાબ વિવાદ કેસમાં સુનાવણીના કેટલાક તથ્યો
– ફેબ્રુઆરીમાં મેરેથોન સુનાવણી પછી, કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
– મોટાભાગની અરજીઓ ઉડુપી અને કુંડાપુરા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવી. બે પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી.
– અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે હિજાબ પહેરવું ફરજિયાત છે અને રાજ્ય સરકારની કાર્યવાહી ધર્મના આધારે પ્રતિકૂળ ભેદભાવ સમાન છે.
– અરજદારોએ વધુમાં દલીલ કરી હતી કે મુસ્લિમ છોકરીઓ ઓછી શિક્ષિત હોય છે અને વર્ગોમાં તેનું પ્રતિનિધિત્વ ઓછું હોય છે અને જો તેઓને આ રીતે બંધ કરવામાં આવશે તો તેની અસર તેમના શિક્ષણ પર પડશે.
– રાજ્ય સરકારે દલીલ કરી હતી કે હિજાબ પહેરવું એ જરૂરી ધાર્મિક પ્રથા નથી. સરકારે એમ પણ કહ્યું હતું કે ડ્રેસ કોડ સંબંધિત તેનો 5 ફેબ્રુઆરી, 2022નો પરિપત્ર – જેને કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો – તે અરજદારોના અધિકારોમાં દખલ કરતું નથી.

March 14, 2022
kids.jpg
1min572

કોવિડ સામે રસીકરણના અભિયાનમાં હવે બાળકોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. સરકારે જાહેરાત કરી છે કે 12થી 14 વર્ષના બાળકોને 16 માર્ચ (બુધવાર)થી કોવિડની રસી આપવામાં આવશે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાહેરાત કરી કે 13થી 13 અને 13થી 14 વર્ષની વયજૂથના બાળકોને બુધવારથી રસી અપાશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લઈ શકશે.

તેમણે હિંદીમાં ટ્વિટ કરી હતી કે, “બાળકો સુરક્ષિત રહેશે તો દેશ પણ સુરક્ષિત રહેશે.” 12થી 14 વર્ષના બાળકોને Biological E’ની Corbevax વેક્સિન આપવામાં આવશે. માર્ચની શરૂઆતમાં જ કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં 15થી 18 વર્ષના વયજૂથમાં ત્રણ કરોડથી વધુ કિશોરોને કોવિડ-19ની વેક્સિન આપવામાં આવી છે. યુવા ભારત વિશ્વમાં સૌથી મોટા રસીકરણ અભિયાનને આગળના તબક્કે લઈ જવા માંગે છે. માંડવિયાએ ટ્વિટ કરી કે સૌને મફત વેક્સિન આપવાના અભિયાનને આગળ વધારવામાં આવી રહ્યું છે.

ભારતે એક વર્ષ અગાઉ કોવિડ-19 રસીકરણની શરૂઆત કરી હતી. 15થી 18 વર્ષના બાળકોને રસી આપવા માટે Covaxin અને ZyCoV-1 વિચારણા હેઠળ હતી. ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિન એ પુખ્ત વયના લોકોને પણ આપવામાં આવે છે. જ્યારે ઝાયડસ કેડિલા દ્વારા વિકસાવાયેલી ZyCoC-1 નવી રસી છે અને તેના સંપૂર્ણ વેક્સિનેશનમાં ત્રણ ડોઝની જરૂર પડે છે.

March 14, 2022
india_vs_srilanka.jpg
1min489

બેંગલુરૂમાં રમાયેલી બીજી ટેસ્ટમાં શ્રીલંકાને 238 રને પરાજય આપ્યો છે. આ ડે-નાઈટ ટેસ્ટ હતી જેમાં તેનો આસાન વિજય થયો છે. ભારતે અત્યાર સુધી ઘરઆંગણે બે ડે-નાઈટ ટેસ્ટ રમી છે અને બંનેમાં તેણે વિજય નોંધાવ્યો છે. બેંગલુરૂ ટેસ્ટમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમે શ્રીલંકા સામે 447 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો જેના જવાબમાં સુકાની ઓપનર દિમુથ કરૂણારત્નેએ લડાયક સદી ફટકારી હોવા છતાં શ્રીલંકન ટીમ તેના બીજા દાવમાં 208 રનમાં આઉટ થઈ ગઈ હતી. બંને દાવમાં શ્રીલંકન બેટર્સ ઝડપી બોલર જસપ્રિત બુમરાહના ઝંઝાવાત અને સ્પિનર અશ્વિનની સ્પિન બોલિંગ સામે લાચાર જોવા મળ્યા હતા.

શ્રીલંકાએ પ્રથમ દાવમાં પ્રભાવશાળી બોલિંગ કરી હતી અને ભારતીય ટીમને 252 રનમાં આઉટ કરી દીધી હતી. ભારત માટે શ્રેયસ ઐય્યરે સૌથી વધુ 92 રન નોંધાવ્યા હતા. જોકે, જસપ્રિત બુમરાહે ધમાકેદાર બોલિંગ કરી હતી જેના કારણે શ્રીલંકાનો પ્રથમ દાવ ફક્ત 109 રનમાં જ સમેટાઈ ગયો હતો. એન્જેલો મેથ્યુઝે સૌથી વધુ 43 રન નોંધાવ્યા હતા. બુમરાહે 10 ઓવરમાં 24 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ભારતે નવ વિકેટે 303 રનના સ્કોરે પોતાનો બીજો દાવ ડિક્લેર કર્યો હતો. જેમાં ઐય્યરે વધુ એક વખથ અડધી સદી ફટકારતા 67 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે રિશભ પંતે ભારત માટે સૌથી ઝડપી ટેસ્ટ અડધી સદી ફટકારતા 50 રનની ઈનિંગ્સ રમી હતી.

શ્રીલંકા સામે 447 રનના લક્ષ્યાંક હતો પરંતુ ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ત્રીજા જ બોલ પર લાહિરૂ થિરિમને ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. જોકે, દિમુથ કરૂણારત્ને અને કુસલ મેન્ડિસે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. આ જોડીએ 97 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ મેન્ડિસ આઉટ થયા બાદ શ્રીલંકાના ધબડકાની શરૂઆત થઈ હતી. મેન્ડિસે 60 બોલમાં આઠ ચોગ્ગા સાથે 54 રન ફટકાર્યા હતા. એન્જેલો મેથ્યુઝ એક, ધનંજય ડીસિલ્વા ચાર, નિરોશન ડિકવેલા 12 અને ચરિત અસાલંકા પાંચ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા.

દિમુથ કરૂણારત્નેએ એક છેડો જાળવી રાખ્યો હતો અને લડત આપી હતી. જોકે, તેની લડત પૂરતી ન હતી કેમ કે સામે છેડે તેને યોગ્ય સાથ મળ્યો ન હતો. કરૂણારત્નેએ શાનદાર સદી ફટકારી હતી. તેણે 174 બોલનો સામનો કરતા 107 રનની ઈનિંગ્સ રમી હતી. જેમાં તેણે 15 ચોગ્ગા ફટકાર્યા હતા. ભારત માટે બુમરાહે ત્રણ, અશ્વિને ચાર તથા અક્ષર પટેલે બે તથા રવિનદ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી.

ભારત માટે જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિને વેધક બોલિંગ કરી હતી. બુમરાહે પ્રથમ દાવમાં 10 ઓવરમાં 24 રન આપીને ચાર તથા બીજા દાવમાં નવ ઓવરમાં 23 રન આપીને ત્રણ મળીને કુલ આઠ વિકેટ ઝડપી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિને પ્રથમ દાવમાં 8.5 ઓવરમાં 30 રન આપીને બે વિકેટ ઝડપી હતી જ્યારે બીજા દાવમાં 19.3 ઓવરમાં 55 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આમ અશ્વિને કુલ છ વિકેટ ખેરવી હતી.