CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 12 of 44 - CIA Live

May 6, 2022
kedardhm.jpg
1min539

બાબા કેદારનાથના કપાટ આજે તા.6 મે 2022થી સામાન્ય ભાવિકો માટે ખોલવામાં આવ્યા છે.

કોરોના કાળના બે વર્ષના વહાણા વાયા બાદ આ વર્ષે યાત્રાળુઓ માટે પહેલીવાર ચાર ધામની યાત્રાની મંજૂરી મળી છે તેથી આ વર્ષે બાબા કેદારનાથના દર્શને ભક્તોનો મહેરામણ ઊમટયો છે.

છેલ્લા અઠવાડિયાથી જ ભક્તો દેવાધિદેવના દર્શન માટે હિમાલયની તળેટીનાં સ્થળોમાં ઊમટી પડયા હોવાથી આ વર્ષે હૉટેલો, ધર્મશાળાઓ તેમ જ રહેવાનાં સ્થળોમાં જગ્યા ઓછી પડી રહી છે. દરમિયાન પરંપરા પ્રમાણે બાબા કેદારનાથની પંચમુખી સવારી આજે ગૌરી કુંડથી કેદારનાથ ધામ પહોંચી ગઇ હતી.

બે વર્ષ બાદ બાબા કેદારનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓનો ઉત્સાહ એટલી હદે છે કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી જતાં કેદારનાથ ધામની આસપાસની વ્યવસ્થાઓ લગભગ પડી ભાંગી છે.

ગૌરી કુંડથી કેદારનાથ ધામ સુધીના 21 કિલોમીટરના પગપાળા રસ્તામાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી એટલી હદે શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટયો છે. કેદારનાથ ધામની આસપાસની હૉટેલો-ધર્મશાળાઓ અને આશ્રમોમાં ઉતારા માટે જગ્યા જ નથી.

હૉટેલોમાં લોકો એક રાત માટે 10-12 હજાર રૂપિયા આપવા તૈયાર છે પરંતુ જગ્યા જ નથી. કિંમત ચૂકવવા છતાં લોકો માટે તંબૂઓમાં જગ્યા ન હોવાથી હજારો લોકો કડકડતી ઠંડીમાં રાત ગુજારવા મજબૂર છે. ખાણી-પીણીની વસ્તુઓનો પુરવઠો પણ ખૂટી પડયો છે. આટલી ભીડને ધ્યાનમાં લઇને વાહનોને સોનપ્રયાગથી આગળ જવા દેવાતા નથી. માત્ર નાનાં વાહનોને સોનપ્રયાગથી ગૌરી કુંડ’ સુધીના પાંચ કિલોમીટર સુધી વારાફરતી જવા દેવામાં આવે છે.

છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીના પગલે ચાર ધામની યાત્રા બંધ હતી તેથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ છે, સારા વ્યવસાયની આશા છે પરંતુ છેલ્લાં બે વર્ષમાં કુદરતી આફતોના કારણે સડકો તૂટી પડી છે તેના સમારકામ ક્યાંક ચાલી રહ્યા છે અને ક્યાંક તો શરૂ જ નથી થયા, ભેખડો, શીલાઓ ધસી પડવાની દુર્ઘટનાઓ થઇ હતી એવાં કેટલાંય સ્થળોએ પણ હજુ કામ થયાં નથી તેથી યાત્રાળુઓને પરેશાની વેઠવી પડે છે. સોનપ્રયાગ સુધી કેટલાંય સ્થળોએ આવાં કામ ચાલી રહ્યાં છે કે હજુ શરૂ જ થયા છે. ટૂંકમાં સડકો હજુ પૂરી રીતે સામાન્ય કે સુરક્ષિત નથી.

આ ઉપરાંત હાલમાં ઇંધણના ભાવ રોજ વધી રહ્યા છે તેથી ચાર ધામની યાત્રાનું ભાડું લગભગ ત્રીસ ટકા વધી ગયું છે. હરિદ્વારથી ચાર ધામની યાત્રાનાં ભાડાંમાં ત્રીસ ટકા વધારો થયાનું સ્થાનિક ટૂર અૉપરેટરોએ જણાવ્યું હતું. આ રીતે જ ટુકડે-ટુકડે જવાનાં ભાડાંમાં તો ભાડું લગભગ બે ગણું ચૂકવવું પડે છે. ખાસ તો રૂપિયા ચૂકવવા છતાંય વાહનોમાં જગ્યા જ નથી.

May 5, 2022
fenil.jpg
1min686

સમગ્ર ભારતમાં ચકચાર મચાવનાર સુરતના પાસોદરા વિસ્તારમાં ગઇ તા.12મી ફેબ્રુઆરી 2022ના રોજ ગ્રીષ્મા નામની યુવતિની હત્યાના કેસમાં આરોપી ફેનિલને સુરતની કોર્ટે આજે તા.5મી મે 2022ના રોજ ફાંસીની સજા આપતો હુકમ કર્યો છે.

આજે તા.5મી મેએ ગ્રીષ્મા હત્યા કેસમાં સજાનું એલાન થવાનું હોવાથી સુરતની કોર્ટમાં બંને પક્ષના વકીલો સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર હતા. મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરતા જજે કહ્યું હતું કે, દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. ત્યાર બાદ ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

સરકાર પક્ષના વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે ફેનિલ ગોયાણીને સજા સંભળાવી છે. ફેનિલને મૃત્યુદંડની સજા કરી છે. બેને મારી નાખવાના પ્રયાસના કેસમાં પણ સજા ફટકારી છે. ભોગ બનનારને વળતર મળે એવી પણ પ્રક્રિયા કરી છે.

સજાનું એલાન થઇ ગયા બાદ કોર્ટ પરિસરમાં ગ્રીષ્માના પિતાએ પત્રકારો સમક્ષ પહેલી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. અમારી તમામ માગણી પૂર્ણ થઈ છે. અમને ન્યાયપ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ છે. પોલીસથી લઈને મદદ કરનારા તમામ નેતાઓનો આભાર.

May 5, 2022
Coal.jpeg
1min354

કોલસાના રેકના પરિવહન માટે રેલવેએ અત્યાર સુધીમાં ઘણી ટ્રેનો રદ કરી છે. હવે ફરી એકવાર રેલવેએ 1100 ટ્રેનો રદ કરી છે. આ ટ્રેનોમાં મેલ એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોનો સમાવેશ થાય છે.

મે મહિનામાં કોલસાના કારણે વીજળીની કટોકટી વધવાની આશંકા છે, જેના કારણે કોલ રેક ટ્રેનો માટે પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી રહી છે. 24 મે સુધી ઓછામાં ઓછી 1100 ટ્રેનો રદ રહેશે. જેમાં મેલ એક્સપ્રેસ ટ્રેનોની 500 ટ્રીપ્સ, જ્યારે પેસેન્જર ટ્રેનોની 580 ટ્રીપ્સનો સમાવેશ થાય છે. કહેવાય છે કે, આ ટ્રેનોને એટલા માટે રદ કરવામાં આવી છે જેથી થર્મલ પાવર પ્લાન્ટને સપ્લાય કરવામાં આવતી કોલસાથી ભરેલી માલગાડીઓને સરળતાથી રસ્તો આપી શકાય, જેથી કોલસો સમયસર પહોંચી શકે.

યુપી, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ સહિત ઘણા રાજ્યોમાં કોલસાની કટોકટીથી વીજળીની સમસ્યા સર્જાઈ હતી. આ પછી સરકારે ઘણી બેઠકો કરી. ઘણા રાજ્યોમાં પાવર કટ પણ કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ કોલસાની કટોકટી અંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ માહિતી આપી હતી કે, થર્મલ પાવર પ્લાન્ટ્સમાં 21 મિલિયન ટન કોલસાનો સ્ટોક છે, જે આવનારા કેટલાક દિવસો માટે પૂરતો છે. જ્યારે કોલ ઈન્ડિયા સહિત ભારત પાસે 80 દિવસનો સ્ટોક છે.

May 5, 2022
rbi.png
1min514

ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિએ વ્યાજદર વધારવાની કરેલી જાહેરાતથી ઘર, વાહન અને અન્ય ચીજો પર લીધેલી લોનનો ઇએમઆઇ (ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ) વધી જશે.

બૅન્ચમાર્ક પૉલિસી રેટ (રેપો) તાત્કાલિક અમલથી ૪૦ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૪ ટકા કરાયો છે. પૉલિસી રેટમાં ૨૦૧૮ના ઑગસ્ટ બાદ કરાયેલા આ સૌપ્રથમ વધારાને લીધે વ્યક્તિગત અને કૉપૉર્રેટ્સ માટે લોન (કરજ) મોંઘી થશે. કૅશ રિઝર્વ રૅશિયો ૨૧ મેથી અમલમાં આવે એ રીતે પચાસ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૫ ટકા કરાયો હોવાથી બૅન્કોએ મધ્યવર્તી બૅન્કમાં વધુ નાણાં જમા કરાવવા પડશે.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસે વીડિયો સંદેશામાં સંબંધિત જાહેરાત કરી હતી. આ નિર્ણયને લીધે બૅન્કિંગ સિસ્ટમમાંની પ્રવાહિતા (લિક્વિડિટી)માંથી અંદાજે રૂપિયા ૮૭,૦૦૦ કરોડ ઘટવાની શક્યતા છે. તેમણે રિવર્સ રેપો રેટનો કોઇ ઉલ્લેખ નહિ કર્યો હોવાથી તે યથાવત્ (૩.૫ ટકા) રખાયો હોવાનું મનાય છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ હવે ૪.૧૫ ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ તેમ જ બૅન્ક રેટ ૪.૬૫ ટકા રહેશે.

આર્થિક નીતિને લગતી સમિતિએ ફુગાવાને કાબૂમાં લેવા અને વિકાસને વેગ આપવા બીજીથી ચોથી મે સુધી યોજેલી બેઠક બાદ સંબંધિત નિર્ણય જાહેર કરાયો હતો. ભારતીય રિઝર્વ બૅન્કની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિની આગામી બેઠક છઠ્ઠીથી આઠમી જૂન સુધી યોજાશે અને તે વખતે પણ રેપો રેટ ઓછામાં ઓછો પચીસ બેસિસ પૉઇન્ટ વધવાની આશા રખાય છે.

રિઝર્વ બૅન્કે આંતરરાષ્ટ્રીય સમસ્યાને ધ્યાનમાં રાખીને ફુગાવાનો દર ઊંચો રહેવાનો ભય વ્યક્ત કર્યો હતો. ખાતર અને ખેતી માટેની અન્ય સામગ્રીમાંના ભાવવધારાને લીધે દેશમાં ખાદ્યાન્નની કિંમત પર સીધી માઠી અસર થશે. ઘઉંની વિશ્ર્વભરમાં ઊભી થયેલી અછતને લીધે સ્થાનિક બજારમાં પણ ઘઉંના ભાવ ઊંચા રહેવાની શક્યતા. (એજન્સી)

રિઝર્વ બૅન્કની નીતિના મુખ્ય મુદ્દા

  • ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિએ ત્રણ દિવસની બેઠકને અંતે જાહેર કરેલા નિર્ણયના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે:
  • બૅન્ચમાર્ક પૉલિસી રેટ (રેપો) તાત્કાલિક અમલથી ૪૦ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૪ ટકા કરાયો.
  • પૉલિસી રેટમાં ૨૦૧૮ના ઑગસ્ટ બાદ કરાયેલા આ સૌપ્રથમ વધારાને લીધે વ્યક્તિગત અને કૉપૉર્રેટ્સ માટે લૉન (કરજ) મોંઘી થશે.
  • કૅશ રિઝર્વ રૅશિયો ૨૧ મેથી અમલમાં આવે એ રીતે પચાસ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૫ ટકા કરાયો.
  • આર્થિક નીતિને લગતી સમિતિએ ફુગાવાને કાબૂમાં લેવા અને વિકાસને વેગ આપવા બીજીથી ચોથી મે સુધી યોજેલી બેઠક બાદ સંબંધિત નિર્ણય જાહેર કરાયો.
  • ફુગાવાનો દર ઊંચો રહેવાની ભીતિ.
  • ખાતર અને ખેતી માટેની અન્ય સામગ્રીમાંના ભાવવધારાને લીધે દેશમાં ખાદ્યાન્નની કિંમત પર સીધી માઠી અસર થશે.
  • ઘઉંની વિશ્ર્વભરમાં ઊભી થયેલી અછતને લીધે સ્થાનિક બજારમાં પણ ઘઉંના ભાવ ઊંચા રહેવાની શક્યતા.
  • ભારતીય રિઝર્વ બૅન્કની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિની આગામી બેઠક છઠ્ઠીથી આઠમી જૂન સુધી યોજાશે.
May 4, 2022
IPL_2022.jpg
1min528

આઈપીએલની ફાઈનલ મેચ ૨૯મી મેના રોજ અમદાવાદમાં જ રમાવાની છે અને મહિલાઓની ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટના કાર્યક્રમની મેચ ૨૩થી ૨૮મી મેના રોજ રમાવાની છે, તેને હવે પુણે ખાતે ખસેડવામાં આવી હોવાની વાતને બીસીસીઆઈએ પુષ્ટિ આપી હતી.

આઈપીએલની ક્વોલિફાયર વન અને એલિમિનેટર કોલકાતામાં અનુક્રમે ૨૪ અને ૨૫મી મેના રોજ થવાની હોવાનો, જ્યારે ક્વોલિફાયર ટુ અને ફાઈનલ અમદાવાદમાં અનુક્રમે ૨૭ અને ૨૯મી મેના રોજ રમાવાની હોવાનો અહેવાલ ગયા મહિને પ્રકાશિત કરાયો હતો, એ અંગે મંગળવારે ફાઈનલ તો અમદાવાદમાં જ રમાશે એ વાતને પુષ્ટિ આપી હતી.

‘ક્વોલિફાયર વન ૨૪મી મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાશે, જ્યારે ત્યાર પછી ૨૫મી મેના રોજ એલિમિનેટર પણ ઈડન ગાર્ડનમાં રમાવાની છે. ટાટા આઈપીએલની ક્વોલિફાયર ટુ અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, એવું બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું.

ગયા મહિને બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠક મળ્યા બાદ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે મહિલા ટી-ટ્વેન્ટી મેચો લખનઊમાં રમાવાની હતી, પણ હવે તેને પુણે ખાતે ફેરવવામાં આવી છે. ફાઈનલ મેચ ૨૮મી મેના રોજ છે અને એ પહેલાં ત્રણ મેચ રમાશે.

May 2, 2022
cia_gst.jpg
1min394

ભારતમાં કુલ્લ જીએસટી વસૂલાતમાં નવો વિક્રમ સર્જાયો છે. વસ્તુ અને સેવાકર (જીએસટી) વસૂલાતથી એપ્રિલ 2022માં દેશની સરકારને કુલ્લ 1.67 લાખ કરોડથી વધુ કમાણી થઇ છે. એવું પહેલીવાર થયું છે, જ્યારે જીએસટી વસૂલાત 1.50 લાખ કરોડને આંબી ગઇ છે. એપ્રિલ 2022માં રૂા. 1,67,590 કરોડની વસૂલાત થઇ છે.

માર્ચ મહિનામાં’ 1,42,095 કરોડ રૂપિયા જીએસટી વસૂલાત થઇ હતી, જે અગાઉના મહિનાઓ કરતાં સૌથી વધુ હતી.
એપ્રિલ 2021માં જીએસટીરૂપે વસૂલાત રૂા. 1,39,708 કરોડ થઇ હતી. આમ, વાર્ષિક આધાર પર જીએસટી વસૂલાતમાં 20 ટકા વધારો આવ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તામિલનાડુ અને’ ઉત્તરપ્રદેશ એ પાંચ રાજ્યોમાં સૌથી વધુ વસૂલાત થઇ છે. એક વર્ષના ગાળામાં મહારાષ્ટ્રમાં 25 ટકા, કર્ણાટકમાં 19,’ ગુજરાતમાં 17 ટકા, ઉત્તરપ્રદેશમાં 16, તામિલનાડુમાં 10 ટકા વસૂલાત વધી છે. ખાસ ઉલ્લેખનીય છે કે, છૂટક તેમજ જથ્થાબંધ મોંઘવારીમાં વિક્રમસર્જક વધારા વચ્ચે જીએસટી વસૂલાતે વિક્રમ સર્જ્યો છે.

April 30, 2022
trains.jpg
1min468

કોલસાની અછત સર્જાતા વીજળીની કટોકટી ઘેરી બની છે. કોલસો ભરીને દેશભરમાં દોડતી માલગાડીઓને પ્રાથમિકતા મળે તે માટે કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો હતો અને ૬૫૭ પેસેન્જર ટ્રેનો રદ્ કરી હતી. ઈમરજન્સી રૃટ બનાવીને માલગાડીઓ મારફતે અછતગ્રસ્ત વિસ્તારોમાં કોલસો મોકલવામાં આવશે. કાળઝાળ ગરમી વચ્ચે ૧૦-૧૦ કલાકનો વીજકાપ મૂકાતા લોકો પરેશાન થઈ ગયા છે.

સમગ્ર દેશમાં ગરમીનો હાહાકાર મચ્યો છે. કાળઝાળ તાપના કારણે બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે કોલસાની અછત સર્જાવાથી વીજળીની કટોકટી પણ ઘેરી બની છે. આ સ્થિતિ વચ્ચે લોકો પરેશાન થઈ ગયા છે. કોલસાની અછતનો સામનો કરતા રાજ્યોને તુરંત કોલસો મળે તે માટે સરકારે ૬૫૭ પેસેન્જર ટ્રેન રદ્ કરીને માલગાડીઓને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. દેશના થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની તંગી સર્જાઈ ગઈ છે. કેટલાય થર્મલ પાવર સ્ટેશનોમાં તો માત્ર ૫થી ૧૦ ટકા જ કોલસો બચ્યો છે. ગણતરીના દિવસોમાં એ કોલસો વપરાય જશે. આ થર્મલ સ્ટેશને કોલસાની સપ્લાય કરવા માટે માલગાડીઓને પ્રાથમિકતા અપાશે.

સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, બિહાર, ઝારખંડનો સમાવેશ થાય છે. તે સિવાય કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાતના થર્મલ સ્ટેશનોને પણ કોલસો પ્રાથમિકતાથી અપાશે. દેશના ૧૩ રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ છે. આકરા તાપના કારણે વીજળીની ડિમાન્ડ વધી ગઈ છે. અચાનક વીજળીની ખપત વધી હોવાથી કોલસો પણ વધુ વપરાવા લાગ્યો છે. તેના કારણે ભરઉનાળામાં કોલસાની અછત સામે આવી છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તો ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦-૧૦ કલાકનો વીજકાપ ઝીંકાઈ રહ્યો છે. તેનાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેન્દ્ર સરકારે ૬૫૭ પેસેન્જર ટ્રેનો રદ્ કરી તે નિર્ણયનો ઘણાં લોકો વિરોધ કરી રહ્યા છે. રેલવે મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે ઘણાં રાજ્યોમાં ટ્રેનો રદ્ થતાં વિરોધ થયો છે, પરંતુ અત્યારે સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નથી. સરકારની પ્રાથમિકતા થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની અછત ન સર્જાય તે જોવાની છે. સ્થિતિ યથાવત થશે કે તરત પેસેન્જર ટ્રેનો નિયમિત થઈ જશે. અત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલેલી માલગાડીઓ રસ્તામાં છે અને તેને પ્રાથમિકતા મળે તે ખૂબ જ અગત્યનું છે એવું અધિકારીઓએ જણાવ્યું હતું.

April 29, 2022
gpbs.jpg
1min415

સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર ખાતે સરદાર ધામ આયોજીત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 અને એક્ઝિબિશનનું 29મી એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલી ઉદ્દઘાટન કરશે.  30 હજાર ચોરસ મીટર વિસ્તારમાં 950 સ્ટોલ છે.

આઈ.ટી. ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, એન્જિનિયરીંગ, રબર, ડાયમંડ અને ટેક્ષટાઈલ સહિતના 15થી વધુ સેક્ટરના ઉદ્યોગકારો 2 હજારથી વધારે પ્રોડક્ટ પ્રદર્શનમાં મુકાશે. મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે સ્ટોલમાં 50 ટકા રાહત છે.

4 લાખથી વધારે લોકોએ સમીટમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. ત્યારે 700 એકરમાં પાર્કિંગની વ્યવસ્થા છે. જેમાં 7 હજાર કાર અને 50 હજાર બાઈક પાર્કિંગ થઈ શકશે.

April 29, 2022
saturn.jpg
3min457

29 એપ્રિલ 2022ના રોજ શનિદેવ 30 વર્ષ બાદ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને 24 માર્ચ 2025 સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. શનિદેવ લગભગ દર 2.5 વર્ષે પોતાની રાશિ બદલે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વનું ગણાય છે કારણ કે, તમામ રાશિના જાતકો પર તેનો પ્રભાવ પડે છે. 

જોકે શનિના રાશિ ગોચરથી મુખ્યત્વે 5 રાશિના જાતકો પ્રભાવિત થાય છે. 2 રાશિઓ પર શનિની ઢૈયા (2.5 વર્ષ) ચાલશે જ્યારે 3 ઉપર એકસાથે શનિની સાડાસાતી.

શનિના કુંભ રાશિમાં પ્રવેશથી ધનુ રાશિના જાતકોને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે જ્યારે મીન રાશિના જાતકો પર સાડાસાતી શરૂ થશે. શનિના આ ગોચરથી કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની ઢૈયા શરૂ થઈ જશે. જ્યારે મિથુન અને તુલા રાશિના જાતકો તેમાંથી મુક્ત થઈ જશે. 

શનિદેવના રાશિ પરિવર્તનથી 4 લગ્નવાળા જાતકો માટે ભાગ્યશાળી સમય શરૂ થશે. શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરવા જઈ રહ્યો છે. આ યોગનું નિર્માણ વૃષભ લગ્નવાળા જાતકો માટે 10મા ભાવમાં, સિંહ લગ્નવાળા જાતકો માટે સપ્તમ ભાવમાં, વૃશ્ચિક લગ્નવાળા જાતકો માટે ચતુર્થ ભાવમાં અને કુંભ લગ્નવાળા માટે લગ્નમાં બનવા જઈ રહ્યો છે જેનો જોરદાર લાભ મળશે. 

‘શશ’ યોગવાળા જાતકો ખૂબ જ મહેનતું હોય છે અને પોતાના પ્રયત્નો દ્વારા સફળતા પ્રાપ્ત કરે છે. તેમના કોઈ ગોડફાધર નથી હોતા. તેઓ અન્ય લોકોની સેવા કરવા માટે હંમેશા તત્પર રહે છે. ‘શશ’ યોગ શનિના પ્રભાવને સુધારવામાં મદદ કરે છે અને શુભ પરિણામ આપે છે. આ યોગ જાતકને શનિના કુપ્રભાવમાંથી બચાવવા માટે ખૂબ જ લાભદાયી છે. ‘શનિની સાડાસાતી’ અને ‘શનિ ઢૈયા’ના દુષ્પ્રભાવને પણ ઘટાડી દે છે. કુંડળીમાં બનેલો ‘શશ’ યોગ જાતકને નિરોગી બનાવે છે અને જીવનને દીર્ઘાયુ બનાવે છે. આવા જાતકો ખૂબ જ વ્યાવહારિક હોય છે. ‘શશ’ યોગવાળા જાતકો ખૂબ જ સફળ થાય છે અને રાજકીય ક્ષેત્રે નવી ઉંચાઈઓ સર કરે છે. 

મેષ લગ્નઃ

મેષ લગ્નવાળાઓ માટે શનિ દશમ અને એકાદશ ભાવનો સ્વામી છે અને તમારા એકાદશ ભાવમાંથી ગોચર કરશે. જોકે તમારા માટે શનિ અકારક ગ્રહ છે. જોકે શનિ તમને ભરપૂર ધનલાભ કરાવી આપશે. તમને વિભિન્ન સ્ત્રોતમાંથી ધનપ્રાપ્તિ થશે. તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે. તમારી ધર્મ પ્રત્યેની રૂચિ વધશે. તમે નવું વાહન કે મકાન ખરીદી શકો છો. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. ખાણી-પીણી પર નિયંત્રણ રાખો. 

વૃષભ લગ્નઃ

વૃષભ લગ્નવાળાઓ માટે શનિ નવમ અને દશમ ભાવનો સ્વામી છે. તમારા માટે શનિ સર્વાધિક કારક ગ્રહ છે. તમારી કુંડળીમાં શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. તમે છેલ્લા 4-5 વર્ષમાં ઘણાં કષ્ટ સહન કર્યા છે, હવે સમય આવી ગયો છે જ્યારે શનિ તમારા પર મહેરબાન થશે. તમારા માટે શાનદાર સમયની શરૂઆત થઈ રહી છે. આ સમય તમારા માટે ભાગ્યશાળી સમય છે. 

ચલ-અચલ સંપત્તિ અને જમીનના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા લોકો આ અનુકૂળ અવધિથી લાભાન્વિત થશે. ભવન-મકાન ખરીદવા અને નિર્માણ માટે આ યોગ્ય સમય છે. તમે આનંદ-પ્રમોદના હેતુથી યાત્રા પર જઈ શકો છો. નવા ઉદ્યમ શરૂ કરવા માટે કે નવા રોકાણ માટે આ ઉત્તમ અવધિ છે. જો તમે નોકરિયાત વર્ગના છો તો તમને પ્રમોશન મળવાની પૂરી શક્યતા છે. 

મિથુન લગ્નઃ

મિથુન લગ્નવાળાઓ માટે શનિ અષ્ટમ અને નવમ ભાવનો સ્વામી છે. શનિના આ રાશિ પરિવર્તનની સાથે જ તમારા માટે ભાગ્યશાળી સમયની શરૂઆત થઈ છે. તમારા સંઘર્ષના દિવસો સમાપ્ત થયા છે. તમારા વ્યાવસાયિક ક્ષેત્રે જોરદાર વિસ્તાર થશે. તમે પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે જોડાશો જેના સહયોગથી તમારા કામકાજમાં વધારો થશે. નવા ઉદ્યમ શરૂ કરવા માટે આ એક આદર્શ સમય છે. જે લોકો નોકરિયાત વર્ગના છે તેમને પ્રમોશન મળવાની પૂરી શક્યતા છે. 

કર્ક લગ્નઃ

કર્ક લગ્નવાળા જાતકો માટે શનિ સપ્તમ અને અષ્ટમ ભાવનો સ્વામી છે. અષ્ટમ ભાવ આયુ અને ગુપ્ત વિદ્યાનો છે. શનિ તમારા માટે અકારક છે. આ સમય દરમિયાન તમને મિશ્રિત પરિણામો મળશે. આ સમય ધૈર્ય રાખીને કામ કરવાનો છે. આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત કરવા માટે તમારે આકરી મહેનત કરવી પડશે. આ સમય દરમિયાન તમારી જીવન શૈલીનું વિશેષ ધ્યાન રાખો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની પણ આવશ્યકતા છે. જોકે બેરોજગાર જાતકોને નોકરીના પ્રસ્તાવ કે નોકરી મળવામાં સફળતા મળશે. આ સમય દરમિયાન તમને બિનજરૂરી ખર્ચાથી બચવાની સલાહ આપવામાં આવે છે. 

સિંહ લગ્નઃ

સિંહ લગ્નવાળાઓ માટે શનિ છઠ્ઠા અને સપ્તમ ભાવનો સ્વામી છે અને શનિ તમારા સપ્તમ ભાવમાંથી ગોચર કરશે. શનિ તમારા માટે અકારક ગ્રહ છે. જોકે તમારી કુંડળીમાં શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે જેનો તમને લાભ મળશે. ચલ-અચલ સંપત્તિ અને જમીનના ખરીદ-વેચાણ કારોબાર સાથે સંકળાયેલા લોકો આ અનુકૂળ અવધિથી લાભાન્વિત થશે. ભવન-મકાન ખરીદવા અને નિર્માણ માટે આ અનુકૂળ સમય છે. નવા ઉદ્યમ શરૂ કરવા કે નવા રોકાણ માટે આ ઉત્તમ અવધિ છે. આ સમય દરમિયાન તમારા જીવનસાથીને કેટલીક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી તમને આ સમય દરમિયાન જે પણ અડચણ આવે તેને દૂર કરવામાં સહાયતા મળશે. 

કન્યા લગ્નઃ

કન્યા લગ્નવાળા જાતકો માટે શનિ પંચમ અને છઠ્ઠા ભાવનો સ્વામી છે. શનિ તમારા માટે કારક ગ્રહ છે અને આ સમયે તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આ સમય દરમિયાન તમને મિશ્રિત પરિણામો મળશે. આ સમય ધૈર્ય રાખીને કામ કરવાનો છે. આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત કરવા માટે આકરી મહેનત કરવી પડશે. પારિવારિક જીવન સુખમય રહેશે. આ સમય દરમિયાન તમારી જીવનશૈલીનું વિશેષ ધ્યાન રાખો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની પણ આવશ્યકતા છે. તમને પેટ સંબંધી રોગ થઈ શકે છે. જોકે બેરોજગાર જાતકોને નોકરીના પ્રસ્તાવ કે નોકરી મળવામાં સફળતા મળશે. નોકરિયાત લોકોને તેમની આકરી મહેનત અને સમર્પણના બદલામાં વરિષ્ઠો દ્વારા પદોન્નતિ અને વેતન વૃદ્ધિ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. 

તુલા લગ્નઃ 

તમારા માટે શનિ ચતુર્થ અને પંચમ ભાવનો સ્વામી છે અને તમારી કુંડળીમાં લગ્નથી પંચમ ભાવમાં ગોચર કરશે. શનિના આ ગોચરથી તમે આ વર્ષે કોઈ અધૂરો રહી ગયેલો અભ્યાસ ફરી શરૂ કરી શકો છો અથવા તો કોઈ વિષયમાં સંશોધન કરી શકો છો. શનિની સ્થિતિ તમારા વિચારને ગંભીર બનાવી દેશે જેથી તમે ખૂબ ઉંડાણમાં જઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. આ વર્ષે વ્યાપાર અંગે ભ્રમ જળવાઈ રહેશે અને નવા કાર્યને લઈને પણ કશ્મકશ બની રહેશે. કર્મચારીઓ વચ્ચે મતભેદ પણ થઈ શકે છે. કોઈ જૂનું અટવાઈ પડેલું સરકારી કામ આ વર્ષે પૂર્ણ થશે. તમને માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે. કોઈ મોંઘી ભૌતિક વસ્તુ માટે તમારા નાણાં વપરાઈ શકે છે. તમે તમારી મહિલા મિત્ર માટે આભૂષણ પણ ખરીદી શકો છો. 

વૃશ્ચિક લગ્નઃ

શનિ તમારા માટે ત્રીજા અને ચોથા ભાવનો સ્વામી છે. શનિ તમારા માટે અકારક ગ્રહ છે પરંતુ તમારી કુંડળીમાં શનિ ચોથા ભાવમાં ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. આ સમય તમારા માટે ખૂબ જ નસીબવંતો છે. વૃશ્ચિક લગ્નવાળાઓને શનિ વ્યાપારમાં નવા અવસર પ્રદાન કરશે. જોકે કોઈ પણ પ્રકારનો અહંકાર તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. જો તમે વિદેશ સાથે સંકળાયેલા કોઈ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છો તો તે મળી જવાથી તમને લાભપ્રાપ્તિ થશે. ભવન-મકાન ખરીદવા અને તેના નિર્માણ માટે આ અનુકૂળ સમય છે. નવા ઉદ્યમો શરૂ કરવા કે નવા રોકાણ માટે આ ઉત્તમ અવધિ છે. સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી તમને આ સમય દરમિયાન કોઈ પણ અડચણોનો સામનો કરવામાં સહાયતા મળશે. 

ધનુ લગ્નઃ 

ધનુ લગ્નવાળા જાતકો માટે શનિ બીજા અને ત્રીજા ભાવનો સ્વામી છે અને તમારા ત્રીજા ભાવમાંથી ગોચર કરશે. વ્યાપારમાં કોઈ નવું કામ કરવા માટે વિચારી રહ્યા છો તો કાર્ય માટે આ સમય શ્રેષ્ઠ રહેશે. આર્થિક સ્થિતિ પણ સામાન્ય જળવાઈ રહેશે અને આર્થિક સ્થિતિને પગલે કામમાં કોઈ અડચણ નહીં આવે. કોઈ મિત્રની મદદથી તમારા અટકી પડેલા કામો સુચારૂરૂપે આગળ વધશે પરંતુ તે જ મિત્ર સાથે કોઈ નવા કામની શરૂઆત ન કરતા. કોઈ જૂનો અધૂરો રહી ગયેલો અભ્યાસ આ વર્ષે ફરી શરૂ થશે અને પૂર્ણ પણ થઈ શકશે. આ સમય દરમિયાન તમને આળસનો અનુભવ થશે પંરતુ કામને આવતીકાલ પર ટાળવામાં તમારૂં જ નુકસાન છે. 

મકર લગ્નઃ

મકર લગ્નવાળા જાતકો માટે શનિ લગ્ન અને બીજા ભાવનો સ્વામી છે અને શનિ તમારા બીજા ભાવમાંથી ગોચર કરશે. આ સમય તમારી અંદર સકારાત્મક પરિવર્તન લાવશે. જો આ સમય દરમિયાન કોઈ પણ કાર્ય શરૂ કરવા ઈચ્છો તો તમારી જાત પર સંપૂર્ણ ધ્યાન લગાવીને જ કરવું, તો જ શનિ તમને સફળતા દેખાડશે. જોકે શનિ તમને ભરપૂર ધનલાભ કરાવશે. તમને વિભિન્ન સ્ત્રોતોમાંથી ધનપ્રાપ્તિ થશે અને તમારો આર્થિક પક્ષ મજબૂત બનશે. તમારી ધર્મ પ્રત્યેનિ રૂચિ વધશે. તમે નવું વાહન કે મકાન ખરીદો તેવી શક્યતા છે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. ખાણી-પીણી પર નિયંત્રણ રાખો. શનિ તમને જમીન સાથે સંકળાયેલો કોઈ ફાયદો અપાવી શકે છે. વ્યાપાર વિસ્તાર માટે આ અનુકૂળ સમય છે. તમારા પરિવારજનો અને મિત્રો સાથે અનાવશ્યક વિવાદથી બચો. 

કુંભ લગ્નઃ

કુંભ લગ્નવાળા જાતકો માટે શનિ લગ્ન અને બારમા ભાવનો સ્વામી છે અને તમારા લગ્નમાં જ ગોચર કરશે. આ તમારા માટે ખૂબ જ નસીબવંતો સમય છે. તમારા લગ્નમાં જ શનિ ‘શશ’ નામના પંચમહાપુરૂષ યોગનું નિર્માણ કરશે. હવે સમય આવી ગયો છે અને શનિ તમારા પર મહેરબાન થશે. તમારા માટેના શાનદાર સમયની શરૂઆત થઈ રહી છે. આ ગોચરથી તમારી નિર્ણય શક્તિમાં સંતુલન અને ઉંડાણ આવશે અને તમને નવી મંજિલ મળશે. આ ગોચર વ્યાપાર માટે નવા અવસરો લાવશે અને આર્થિક સ્થિતિમાં પણ લાભ જળવાઈ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી તમે વિદેશ જવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકશો અને તમારૂં ઘર લેવા માટે વિચારી રહ્યા છો તો એ સપનું પણ અવશ્યપણે પૂર્ણ થશે. જીવનસાથી સાથે અમુક મતભેદો થઈ શકે છે પરંતુ તમે તમારી સમજણ વડે આ મુશ્કેલીમાંથી છૂટકારો મેળવી લેશો.  

મીન લગ્નઃ

મીન લગ્નવાળા જાતકો માટે શનિ એકાદશ અને દ્વાદશ ભાવનો સ્વામી છે અને દ્વાદશ ભાવમાં ગોચર કરશે. તમારા જીવનમાં સંઘર્ષ અને મહેનત વધી જશે અને તમને તમારી જિંદગીની વાસ્તવિકતા ખબર પડશે. આ સમય દરમિયાન તમારા પોતાના લોકો પણ તમારાથી દૂર થઈ જશે અને અમુક એવા સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે જેના વિશે તમે કદી વિચાર્યું પણ નહીં હોય. કોઈ વાતને કારણે જીવનસાથી સાથે અંતર વધી શકે છે. નવું કામ કરતા પહેલા કોઈ સીનિયરની સલાહ અવશ્ય લેવી. વ્યવસાયમાં કોઈ મોટા રોકાણ માટે સમજી વિચારીને જ આગળ વધવું. વિદેશ વ્યાપાર માટે આ સમય અનુકૂળ છે. 

April 27, 2022
nareshPatel-1280x720.jpg
1min571

‘કાગવડ ખોડલધામ ખાતે 27 એપ્રિલ 2022ને બુધવારે ટ્રસ્ટીઓની બેઠક યોજાઇ રહી છે. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે આ મિટીંગને નિર્ણાયક માનવામાં આવે છે. મહાસભા અંગે આ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે જ્યાં ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં’ પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને સર્વેમાં

સર્વે પૂર્ણ થયા બાદ ટ્રસ્ટી મંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે ત્યારે બુધવાર, તા.22મી એપ્રિલે ખોડલધામ મંદિર ખાતે મળનારી ટ્રસ્ટી મંડળની બેઠકમાં નરેશભાઇએ રાજકારણમાં જવું જોઇએ કે નહીં તે અંગે પણ ચર્ચા થઇ શકે છે તેમજ સમાજમાંથી થયેલા સર્વેનો રિપોર્ટ પણ સોપાઇ શકે છે.

લેઉવા પટેલના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરના ચેરમેન નરેશભાઇ પટેલે જ્યારથી રાજકારણમાં જોડાવાની વાત કરી છે ત્યારથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજકારણમાં જોડાવવા અંગે તેમણે સમાજમાંથી હા આવશે તો જોડાઇશ એવી વાત કરી છે અને એના માટે સર્વે કરવામાં આવી રહ્યો છે ત્યારે આ અંગે સોમવારે પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે, સર્વે અનુસાર નરેશ પટેલે રાજકારણમાં ન જોડાવું જોઇએ. જ્યારે આજે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આ વાતનું ખંડન કરતા કહ્યું હતું કે, રમેશ ટીલાળાનું સર્વે અંગેનું નિવેદન વ્યક્તિગત છે. ફાઇનલ રિપોર્ટ હાઇકમાન્ડને સોંપવાનો બાકી છે. ઉલ્લખનીય છે કે સર્વેનો રિપોર્ટ આવે તે પહેલા જ ખોડલધામમાં મતમતાંતર જોવા મળી રહ્યા છે.

નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા અંગે સમાજમાંથી તો વિરોધાભાસી નિવેદન આવી જ રહ્યા છે પરંતુ ખોડલધામના અગ્રણીઓના પણ નિવેદનના કારણે ભારે ચર્ચાઓ શરૂ થઇ છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આજે નિવેદન આપતા જણાવ્યું હતું કે, રમેશભાઇ ટીલાળાએ આપેલ નિવેદને તેમનું અંગત નિવેદન છે. સર્વેનો રિપોર્ટ હજુ આવ્યો નથી રિપોર્ટ હાઇકમાન્ડને આપવામાં આવશે. હજુ સુધી સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી. ખાસ તો યુવાનોનું એવું કહેવું છે કે, નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ.