- ગીરનાર પર્વત ઉપર દુકાનોના છાપરાં, બાંકડા ઉડયા : પાલિતાણામાં દીવાલ પડતાં એક મૃત્યુ
- ઉત્તર ગુજરાતના શણગાલ ગામે 2પ મકાનોના છાપરાં ઉડયા : ચાર પશુના મૃત્યુ
- વેરાવળમાં 14 હોડી ડૂબી, પાંચ ફીશીંગ બોટને નુકસાન : જામનગરમાં 182 વીજ ફીડરને અસર
સૌરાષ્ટ્રના સાગરતટે વિનાશક વાવાઝોડું વાયુ ત્રાટકવાનું હતું પણ સદ્દનસીબે ભયાનક તબાહી ટળી ગઈ છે છતાં ચક્રાવાતની અસરના કારણે અનેક જગ્યાએ, ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે, થાંભલા ઊડયા હતા. દરિયામાં પ્રચંડ મોજાં ઊછળ્યા હતા. કોડીનાર, મૂળ દ્વારકા, માઢ બંદરમાં 30 જેટલા મકાનો ધરાશાયી થયા હતા અને અમુક મકાનોમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. પોરબંદરમાં ભૂતેશ્વર મહાદેવનું મંદિર પડી ગયું હતું તો માધવપુરમાં મોબાઈલનો ટાવર પડી ગયો હતો. વેરાવળમાં 14 જેટલી બોટ ડૂબી ગઈ હતી. વાવાઝોડાંની દિશા બદલાઈ છે પણ ખતરો ટળ્યો નથી, તેવી હવામાન વિભાગની ચેતવણી બાદ સ્થળાંતર કરાયેલા લોકોનો આશરો યથાવત્ રાખવામાં આવ્યો છે અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વાવાઝોડાં અને વરસાદની સ્થિતિ વચ્ચે અનેક જગ્યાએ પ્રસુતાઓને ડિલીવરી કરાવવામાં આવી હતી.
સૌરાષ્ટ્રનો ચિતાર જોઈએ તો, મોરબીના અહેવાલ મુજબ, દરિયા વિસ્તારના 16 ગામોના 8600 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પ1 આશ્રયસ્થાઓ કાર્યરત કરાયા છે અને ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા છે. ભાવનગરના મહુવામાં તંત્ર દ્વારા શાળા નંબર પમાં સ્થળાંતરીત થયેલા નાગરિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ આ સ્થળની મુલાકાત લઈ ઘટતું કરવા સૂચના આપી હતી અને વ્યવસ્થા કરી હતી. પોરબંદરના અહેવાલ મુજબ, અહીં વાવાઝોડાંના પગલે 1પ થી 20 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા હતા. ચોપાટીને કોર્ડન કરી લેવાઈ હતી. પીજીવીસીએલની 93 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. પોલીસે હોટેલ, ગેસ્ટ હાઉસ ખાલી કરાવ્યા હતા. ભારે પવનના કારણે 2પ પીલાણ (નાની હોડી) ગૂમ થઈ ગઈ હતી જ્યારે એક ફીશીંગ બોટ તૂટી ગઈ હતી. પોરબંદરમાં સ્થળાંતર કરાયેલા 40 હજાર લોકોને આરોગ્ય વિષયક સુવિધા આપવામાં આવી રહી છે. માળીયા હાટીનામાં અનેક સ્થળે વૃક્ષ પડયા હતા અને દિવસભર ઝાપટાં વરસ્યા હતા. ભાવનગર નજીક ઘાંઘળી ગામે પાંચ વીજ પોલ ધરાશાયી થતાં અંધારપટ છવાયો હતો. કોડીનારના માઢ ગામે દરિયાના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા તે વાતથી મંત્રી ભૂપેન્દ્રસિંહ જાડેજાને વાકેફ કરવામાં આવ્યા હતા અને તેમણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તળાજામાં મેમણ સમાજના લોકોએ ગરીબ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. દરિયા કિનારે આવેલા દીવમાં વૃક્ષો પડયા હતા અને પોલીસે ગોઠવેલા બેરીકેડ ઉડયા હતા. દીવમાં એનડીઆરએફની પાંચ ટીમ તૈનાત હતી. જેતપુરમાં એસટી બસના તમામ રૂટ બંધ કરી દેવાતાં મુસાફરો રઝળ્યા હતા. ડોળાસા વિસ્તારમાં વાવાઝોડાંની સામાન્ય અસર થઈ હતી અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બોટાદમાં સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. ફાડર મેલડી માતાજીના મંદિર પાસે બે વૃક્ષ પડી ગયા હતા.
વેરાવળથી મળતા અહેવાલ મુજબ, વેરાવળ બંદર પર લાંગરેલી માંગરોળની ત્રણ, વેરાવળની બે ફીશીંગ બોટોના એન્ક તૂટી જઈ મોટા પથ્થર સાથે અથડાતાં પાંચેય બોટને નુકસાન થયું છે. નાની મોટી 3પ હોડીઓ પણ તોફાની દરિયાની ઝપટે ચડી ગઈ હતી. 62 બોટોને રેસ્કયૂ કરીને બચાવી લેવાઈ હતી. બોટ એસોસિએશનના તુલસીભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, બંદરના ઈસ્ટર્ન બેક વોટર વિસ્તારમાં દરિયા કિનારા નજીક 70 જેટલી બોટો લાંગરવામાં આવી હતી. પણ પ્રચંડ પવન અને મોજાંના કારણે બોટને નુકસાન થવાની ભીતિ હોવાથી 62 બોટને બચાવી લેવામાં આવી હતી. 14 બોટ તો સંપૂર્ણ ડૂબી ગઈ છે. આ બોટના કારણે માછીમારોને અંદાજે 1.40 કરોડનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢના અહેવાલ મુજબ, માંગરોળના માળીયામાં 32 હજાર લોકોનું સ્થળાંતર કરાયું હતું જ્યારે 2પ હજાર ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. વાવાઝોડાંની અસર વિસરાવા લાગતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
તાલાલાના અહેવાલ અનુસાર, ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં વૃક્ષો અને થાંભલા ધરાશાયી થઈ ગયા હતા. પ0 વીજકર્મીઓનો સ્ટાફ તૈનાત હતો. આજે તાલાલાના યાર્ડમાં કેસર કેરીની હરાજી બંધ રાખવામાં આવી હતી.
જામનગરથી મળતા અહેવાલ અનુસાર, જામનગર અને દેવભૂમિ દ‰વારકા જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં ગઈકાલે બપોરે ભારે પવન સાથે વરસાદના કારણે બંને જિલ્લાના 182 જેટલાં વીજ ફિડરોને અસર થઈ હતી અને વીજ પૂરવઠો ખોરવાયો હતો.મોડી રાત્રી સુધીમાં મોટાભાગના વીજ ફિડરોને ચાલુ કરી દેવાયાં હતાં. ગઈકાલે બપોરે અડધી કલાક સુધી ચાલુ રહેલા તોફાની વરસાદના કારણે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક નાના-મોટા વૃક્ષો તૂટી પડયાં હોવાના 38 જેટલાં કોલ ફાયર બ્રિગેડ શાખાને મળ્યાં હતાં.36 જેટલાં ફાયરમેનો સાથેની 6 ટૂકડીઓ દ‰વારા મોડી રાત્રે 2-00 વાગા સુધીમાં આ તૂટી પડેલા વૃક્ષોને માર્ગ પરથી ખસેડી લેવાની કાર્યવાહી કરી તમામ 38 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ‰વારા સંભવિત વાવાઝોડાના પગલે એલર્ટ બન્યું છે.કોઈ ખાના ખરાબી અથવા જાનમાલની નુકશાની થાય નહીં તે માટેના તમામ ચાંપતા પગલાં ભરવામાં આવી રહયાં છે.જેના ભાગરૂપે જામનગર’ જિલ્લાના નિચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને’ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગઈકાલ સવારથી જ વહીવટી તંત્રની ટીમ દ‰વારા લોકોનું સ્થળાંતર શરૂ કરી દેવાયું હતું અને આજે વહેલી સવાર સુધીમાં જિલ્લાના કુલ 17907 વ્યકિતનું સ્થળાંતર કરી લેવાયું છે.
ઉત્તર ગુજરાતના પ્રાંતીજમાં વાવાઝોડાં સાથે વરસાદ ત્રાટક્યો હતો. અહીં અમીનપુરા ટેકરા વિસ્તારમાં રહેતા કનુભાઈ રાવજીભાઈ વાઘેલાને ઘરના સમારકામ દરમિયાન પતરું ઊડીને વાગી જતાં તેમનું મૃત્યુ થયું હતું. તાલુકામાં ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. બાયડ તાલુકાના શણગાલ ગામે 2પ થી વધારે મકાનોના છાપરાં ઊડી ગયા હતા. આ બનાવમાં ચાર પશુઓના મૃત્યુ પણ થયા છે. ધોરાજીમાં લશ્કરના પ1 જવાનો બે દિવસથી ખડેપગે છે. ધોરાજી અને કંડોરણા વિસ્તારમાં ઝુંપડાંમા રહેતા લોકોને તાકીદથી ખસેડવામાં આવ્યા હતા અને 3પ00 જેટલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવ્સથા કરવામાં આવી હતી.
વીરપુર (જલારામ)થી મળતા અહેવાલ અનુસાર, 2પ0 જેટલા અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેતપુર તાલુકાના નવ ગામોના 600 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ વીરપુર આવ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. દ્વારકાના અહેવાલ મુજબ, અહીં ઊંચા મોજાં ઊછળ્યા હતા અને વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો.
કેશોદથી મળતા સમાચાર મુજબ, સવારથી પવન સાથે વરસાદ હતો અને ભારે પવનથી વેરાવળ રોડ ઉપર આવેલા દ્વારકાધીશ મારકેટની અગાસીમાં લગાવેલું હોર્ડિંગ કડડભૂસ થતાં લોકોમાં ભય ફેલાયો હતો. આ ઉપરાંત ચારચોક વિસ્તારમાં આવેલી મારકેટમાં બાથરૂમની દિવાલ નીચે પડતાં બાઈકનો ભુક્કો બોલી ગયો હતો. વાંકાનેરના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, તંત્રે વાવાઝોડાં સામે રક્ષણ મેળવવા તૈયારી કરી હતી અને વૃક્ષોની મોટી ડાળીઓ કાપી હતી પણ કાપેલા ઝાડની ડાળીઓ એક છત ઉપર રાખવામાં આવી હતી. જો વાવાઝોડું ફૂંકાત તો છત ઉપર રાખેલી ડાળીઓ ઊડીને અન્યોને ઈજા કરત. ખાંભાના અહેવાલ અનુસાર, ભારે પવન અને વરસાદ વચ્ચે અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા હતા. ખાંભા-ઊના સ્ટેટ હાઈ વછે પર 60 વર્ષ જૂનું પીપરનું વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફીક જામ થયો હતો. અને આખો દિવસ વિજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો.
રાણાવાવમાં ખોજાબેન્કની બાજુમાં આવેલી હઝરત બાબા જાહેરશાપીરની દરગાહમાં વૃક્ષ ધરાશાયી થયું હતું અને વૃક્ષના કારણે દિવાલ પણ પડી હતી. ચોરવાડમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો અને 300નું સ્થળાંતર થયું હતું. જવાહર ચાવડાએ ચારવાડ બંદરની મુલાકાત લીધી હતી.
જૂનાગઢમાં ગીરનાર પર્વત ઉપર આવેલી દુકાનોના છાપરાં ઉડયા હતા અને પ્રવાસીઓને બેસવાના બાંકડા પણ ઉડયા હતા. ટંકારાથી જાણવા મળ્યા મુજબ, અહીં સ્થળાંતરીત કરાયેલા લોકોને કન્યા શાળામાં આશરો અપાયો હતો. ટંકારામાં આર્ય વિદ્યાલય તથા ટંકારાના પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર ત્રિવેદી દ્વારા સ્થળાંતરીત લોકોને રસ-પુરીના જમણ આપવામાં આવ્યા હતા. મીતાણા ગામે વીજ થાંભલા પડયા હતા. સલાયામાં ઝુંપડપટ્ટીના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. 90 જેટલા અગરીયાઓને પણ ખસેડવામાં આવ્યા છે. મોરબીના નવાગામે બે થાંભલા પડી ગયા હતા તો જામકંડોરણામાં 748 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કોડીનાર નજીક 30 મકાનો તો ધરાશાયી થયા હતા પણ મોટલ પીપળો પણ તૂટી પડયો હતો.
પાલિતાણામાં તળેટી રોડ ઉપર ખીમત વિહાર ધર્મશાળામાં ચણતર કામ ચાલુ હતું ત્યારે સાતમા માળેથી દિવાલનો ભાગ બાજુમાં આવેલા મકાન ઉપર પડતાં સુતેલા બે વ્યક્તિ ઉપર પડયો હતો જેમાંથી એકનું મૃત્યુ થયું છે. ભાવનગરમાં ત્રણ સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. ખંભાળીયાના અહેવાલ મુજબ, દ્વારકા જિલ્લાના 194 ગામોમાંથી પપ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દ્વારકામાં 100 વર્ષ જૂનો વડલો ધરાશાયી થયો છે. માંગરોળમાં 100થી 120 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે વરસાદ વરસ્યો હતો અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. દરિયામાં જોરદાર મોજાં ઊછળ્યા હતા. માધવપરુમાં બંધ વાયરલેસ ટાવર ધરાશાયી થયો હતો. ઊનામાં 20 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા હતા. અનેક વૃક્ષો તૂટી પડયા હતા. ભાવનગરના શિપ બ્રકીંગ યાર્ડના ચાર હજાર મજૂરોને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ટ્રનીંગ સેન્ટર કોલોનીમાં આશરો આપવામાં આવ્યો છે.