CIA ALERT

Blog - Page 34 of 694 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
September 5, 2025
image-11.png
1min150

નેપાળ સરકારે નેપાળ ટેલિકોમ ઓથોરિટીને 26 સોશિયલ મીડિયા વેબસાઇટ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે (ફાઇલ ફોટો)

નેપાળ સરકારે નેપાળ ટેલિકોમ ઓથોરિટીને 26 સોશિયલ મીડિયા વેબસાઇટ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. આ વેબસાઇટ્સમાં મેટા અને એક્સનો પણ સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી એપી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર નેપાળના કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન મિનિસ્ટર પૃથ્વી સુબ્બા ગુરુંડે કહ્યું કે નેપાળમાં હાજર લગભગ બે ડઝન સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મને દેશમાં પોતાની કંપની રજિસ્ટર કરવા માટે ઘણી વખત નોટિસ મોકલવામાં આવી છે.

નેપાળના કમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન મિનિસ્ટર મંત્રાલયના પ્રવક્તા ગજેન્દ્ર ઠાકુરે કહ્યું કે મંત્રાલયે તમામ સોશિયલ મીડિયાને નેપાળમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે અંતિમ ચેતવણી આપી હતી. ગજેન્દ્ર ઠાકુરે કહ્યું કે ગુરુવારે બપોરે યોજાયેલી બેઠકમાં નેપાળ ટેલિકોમ ઓથોરિટીને આજથી 26 સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Tiktok ને બ્લોક કરવામાં આવશે નહીં

એપીના રિપોર્ટ પ્રમાણે ટિકટોક, વાઇબર અને અન્ય ત્રણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નેપાળમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે કારણ કે તેઓએ સરકાર સાથે નોંધણી કરાવી છે. નેપાળ સરકાર કંપનીઓને દેશમાં એક લાઇઝન ઓફિસ કે પોઇન્ટ નિમણૂક કરવા માટે કહી રહી છે.

નેપાળ સરકારે સંસદમાં એક બિલ રજૂ કર્યું છે. તેનો હેતુ એ છે કે સામાજિક પ્લેટફોર્મ્સ યોગ્ય રીતે સંચાલિત થાય અને તેઓ જવાબદાર અને જવાબદેહી હોય. નેપાળી સંસદમાં આ બિલ પર હજુ સુધી સંપૂર્ણ ચર્ચા થઈ નથી. સેન્સરશિપના સાધન અને ઓનલાઇન વિરોધ કરનારા સરકાર વિરોધી વિરોધીઓને સજા કરવાના એક માર્ગ તરીકે તેની ટીકા થઈ રહી છે.

અધિકાર જૂથોએ તેને સરકાર દ્વારા અભિવ્યક્તિની સ્વતંત્રતાને મર્યાદિત કરવા અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે કાયદો લાવવો જરૂરી છે જેથી યુઝર્સ અને ઓપરેટરો બંને આ માટે જવાબદાર અને જવાબદેહ હોય કે આ પ્લેટફોર્મ પર શું પ્રકાશિત કરવામાં આવે.

September 5, 2025
image-10.png
1min143

GST કાઉન્સિસની બેઠકમાં લક્ઝરી વસ્તુ પર 40 ટકાના નવા સ્લેબની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બે ટેક્સ સ્લેબ 12 ટકા અને 28 ટકા સ્લેબ રિમુવ કરવામાં આવ્યા છે. એટલે કે સામાન્ય માણસની ખિસ્સા પરથી ભાર ઓછો કરવામાં આવ્યો છે. જેમાં નાની કાર અને દ્વિચક્રી વાહનો પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, જ્યારે મધ્યમ અને મોટી કાર પર 40 ટકાનો નવો ટેક્સ સ્લેબ લાગુ થશે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર સમાચારો વહેતા થયા છે કે, લક્ઝરી કારનો 40 ટકાના સ્લેબમાં ઉમેરો કર્યા છતા સસ્તી થઈ છે. તો આપણે ઉદારહરણ સાથે જાણીએ કે કેવી રીતે આ કારની GST વધ્યા છતા કિંમતો ઘટી છે.

નવો ટેક્સ સ્લેબ

GST કાઉન્સિલે નક્કી કર્યું છે કે નાની કાર અને દ્વિચક્રી વાહનો પર ટેક્સ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવે, જેનાથી આ વાહનોની કિંમતો નોંધપાત્ર રીતે ઘટશે. બીજી તરફ, મધ્યમ અને મોટી કાર, જેમાં 1200 સીસીથી વધુ પેટ્રોલ એન્જિન, 1500 સીસીથી વધુ ડીઝલ એન્જિન અથવા 4 મીટરથી લાંબી કારનો સમાવેશ થાય છે, તેના પર 40 ટકા GST લાગશે. આ નવા નિયમો 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ થશે.

અગાઉ, 1200 સીસીથી વધુ પેટ્રોલ અથવા 1500 સીસીથી વધુ ડીઝલ એન્જિન અને 4 મીટરથી લાંબી કાર પર 28 ટકા GST ઉપરાંત 17-22 ટકા કમ્પેન્સેશન સેસ લાગતો હતો, જેનાથી કુલ ટેક્સ 45-50 ટકા સુધી પહોંચતો હતો. નવા નિયમો આવ્યા બાદ તેને સંપૂર્ણપણે હટાવી દેવાયો છે, અને હવે માત્ર 40 ટકા ફ્લેટ GST લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેનાથી મોટી કાર, જેમ કે મર્સિડીઝ-બેન્ઝ, ઓડી, અને BMW જેવી લક્ઝરી કારની કિંમતો ઘટશે, જે ગ્રાહકો માટે લાભદાયી છે.

ઉદાહરણથી સમજો ભાવ ઘટાડો

જો કોઈ 15 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)ની મોટી પેટ્રોલ કે ડીઝલ કાર ખરીદે છે, તો નવા ટેક્સ નિયમોની અસર આ પ્રમાણે થશે:

જૂનો ટેક્સ પ્લસ સેસ 45 ટકા હોય તો: બેઝ પ્રાઇસ = 15,00,000 ÷ 1.45 = ₹10,34,483.
નવો 40 ટકા ટેક્સ = 10,34,483 × 1.40 = ₹14,48,276.
બંને કિમતોની સરખામણી કરીએ તો લગભગ ₹51,724ની બચત થાય છે.

જૂનો ટેક્સ 50 ટકા હોય તો: બેઝ પ્રાઇસ = 15,00,000 ÷ 1.50 = ₹10,00,000.
નવો 40 ટકા ટેક્સ = 10,00,000 × 1.40 = ₹14,00,000.
એટલે લગભગ ₹1,00,000ની બચત થશે.

આ રીતે, નવા નિયમો હેઠળ મોટી કારની કિંમતો ₹50,000થી ₹1 લાખ સુધી ઘટી શકે છે.

આ નવો ટેક્સ સ્લેબ ઓટોમોબાઇલ ઉદ્યોગ અને ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે. નાની કાર અને બાઇકની કિંમતો ઘટવાથી મધ્યમ વર્ગના લોકોને રાહત મળશે, જ્યારે મોટી અને લક્ઝરી કારની કિંમતોમાં ઘટાડો ઉચ્ચ વર્ગના ખરીદનારાઓને આકર્ષશે. સેસ હટાવવાથી ઓટોમોબાઇલ ક્ષેત્રમાં વેચાણ વધવાની આશા છે, જે આર્થિક વૃદ્ધિને વેગ આપશે. સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમને દૂર કરીને, આ નિર્ણયથી તમામ પ્રકારની ગાડીઓના ખરીદનારાઓને લાભ થશે.

September 5, 2025
image-9.png
2min188

  • કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ઉચ્ચ શિક્ષણની ટોચની સંસ્થાઓના રેન્કિંગસ જાહેર કર્યા
  • ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ બેંગ્લુરુ બેસ્ટ યુનિવર્સિટી અને બેસ્ટ રિસર્ચ સંસ્થા
  • 10મા એનઆઇઆરએફ રેન્કિંગ્સ જાહેર, નવ શ્રેણી અને પાંચ પેરામીટર્સને આધારે પસંદગી

આઇઆઇએમ અમદાવાદ સળંગ છઠ્ઠા વર્ષે ટોચનું મેનેજમેન્ટ ઇન્સ્ટિયુશન બન્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા નેશનલ ઇન્સ્ટિટયુટશનલ રેન્કિંગ ફેમવર્ક (એનઆઇઆરએફ) ૨૦૨૫મા મેનેજમેન્ટ કેટેકટરીમાં આઇઆઇએમએ પ્રથમ આઇઆઇએમ- બેંગ્લોર બીજા અને આઇઆઇએમ- કોઝિકોડેએ ત્રીજુ સ્થાન મેળવ્યું છે. એનઆઇઆરએફ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓનો ૧૭ કેટેગરીમાં રેન્કિંગ જાહેર થયું છે.

સતત સાતમા વર્ષે ઓવરઓલ કેટેગરીમાં આઇઆઇટી, મદ્રાસે પ્રથમ સ્થાન મેળવ્યું છે. સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ (આઇઆઇએસસી), બેંગ્લુરુ ને સતત દસમા વર્ષે પસંદ કરાયું છે.

ઓવરઓલ શ્રેણીમાં આઇઆઇટી, મદ્રાસ પછી આઇઆઇએસસી, બેંગ્લુરુને બીજો અને આઇઆઇટી બોમ્બેને ત્રીજો અને આઇઆઇટી દિલ્હીને ચોથો ક્રમ મળ્યો છે.

સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે આઇઆઇએસસી, બેંગ્લુરુ પછી બીજા ક્રમે જેએનયુ, દિલ્હી, અને ત્રીજા ક્રમે મનિપાલ અકાડેમી ઓફ હાયર એજ્યુકેશનને ત્રીજુ સ્થાન મળ્યું છે. કર્ણાટકની આ યુનિવર્સિટી ટોપ થ્રી રેન્કિંગમાં પસંદ કરાયેલી પ્રથમ પ્રાઇવેટ યુનિવર્સિટી છે.

બેસ્ટ કોલેજ શ્રેણીમાં દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજને પ્રથમ અને મિરાન્ડા હાઉસને બીજો ક્રમ મળ્યો છે. ટોચની એન્જિનિયરિંગ કોલેજોની યાદીમાં નવ આઇઆઇટીને સ્થાન મળ્યું છે. જ્યારે તિરુચિરા પલ્લીની એનઆઇટી (નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી)ને નવમુ સ્થાન મળ્યું છે.

શ્રેષ્ઠ ફાર્મસી કોલેજોમાં નવી દિલ્હીની જામિયા હમદર્દને પ્રથમ પિલાનીના બિરલા ઇન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ (બીઆઇટીએસને બીજુ અને ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીને ત્રીજું સ્થાન મળ્યું છે.

શ્રેષ્ઠ લો કોલેજોમાં બેંગ્લુરુની નેશનલ લો સ્કૂલને પ્રથમ, દિલ્હીની નેશનલ લો યુનિવર્સિટીને બીજુ અને હૈદ્રાબાદની નેશનલ અકાડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્જ રિસર્ચ (એનએએલએસએઆર)ને ત્રીજુ સ્થાન મળ્યું છે.

મેડિકલ કોલેજોમાં એઆઇઆઇએમએસ (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સિસ), નવી દિલ્હીને પ્રથમ, પીજીઆઇએમઇઆર ચંડીગઢને બીજુ અને સીએમસી વેલ્લોરને ત્રીજુ સ્થાન મળ્યું છે. ડેન્ટલ કોલોજેમાં એઇમ્સ દિલ્હી (એઆઇઆઇએમએસ)ને પ્રથમ, ચેન્નઇની સવિતા ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ એન્ડ ટેક્નિકલ સાયન્સિસને બીજુ સ્થાન મળ્યું છે.

રિસર્ચ ક્ષેત્રે આઇઆઇએસસી, બેંગ્લુરુને પ્રથમ અને આઇઆઇટી મદ્રાસને બીજો ક્રમ મળ્યો છે. ઓપન યુનિવર્સિટીઓની શ્રેણીમાં ઇંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (આઇજીએમઓયુ)ને ટોચનું સ્થાન મળ્યું છે. જ્યારે કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી, મૈસૂરુને બીજુ સ્થાન મળ્યું છે.

સ્ટેટ પબ્લિક યુનિવર્સિટીઓની (સરકારી યુનિવર્સિટી) શ્રેણીમાં પ. બંગાળની જાદવપુર યુનિવર્સિટીને પ્રથમ અને ચેન્નઇની અન્ના યુનિવર્સિટીને બીજુ અને પંજાબ યુનિવર્સિટીને ત્રીજુ સ્થાન મળ્યું છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાએને ઓવર ઓલ, યુનિવર્સિટીઓ, કોલેજો, રિસર્ચ સંસ્થાઓ, ઇનોવેશન, ઓપન યુનિવર્સિટી, સરકારી યુનિવર્સિટી, સ્કીલ યુનિવર્સિટી, અને સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ ગોલ્સ (એસડીજી) એમ નવ વહેંચીને પસંદ કરાયા છે.

વિષયને ધ્યાનમાં રાખીને રેન્કિંગસ એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, લો, મેડિકલ, આર્કિટેક્ચર, પ્લાનિંગ, ડેન્ટલ, એગ્રીકલ્ચર એમ આઠ શ્રેણીમાં ગણાયું હતું.

ટીચીંગ લનિંગ એન્ડ રિસોર્સિસ (ટીએસઆર), રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસ (આરપી), ગ્રેજ્યુએશન આઉટકમ (જીઓ), આઉટરીચ એન્ડ ઇન્ક્લુસિવિટી (ઓઆઇ) અને પર્સેપ્શન (પીઆર) એમ કુલ પાંચ પેરામીટર્સ (પરિણામો ધ્યાનમાં લેવાયા હતા અને તે પ્રમાણે મળેલા કુલ સ્કોટરના આધારે રેન્કિંગસ અપાયા હતા.

September 5, 2025
image-8.png
1min188

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા(NPCI)એ UPI દ્વારા અમુક ખાસ પ્રકારના વ્યવહારો માટેની ટ્રાન્ઝેક્શન મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. 15 સપ્ટેમ્બર-2025થી અમલમાં આવનારા નવા ફેરફાર મુજબ હવે ટેક્સ ભરવા, વીમા પ્રીમિયમ ચૂકવવા, લોનની EMI ભરવા અને શેરબજારમાં રોકાણ જેવા મોટા વ્યવહારો માટે દૈનિક 10 લાખ રૂપિયા સુધીની ચૂકવણી માત્ર 24 કલાકમાં કરી શકાશે.

અગાઉ એક લાખ સુધીની લિમિટ હતી

અગાઉ આવા ટ્રાન્ઝેક્શનો પર એક લાખ રૂપિયાની લિમિટ હતી, એટલે કે જો એક લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન હોય તો તે થઈ શકતું ન હતું, જોકે હવે નવા નિયમ મુજબ તેમાં વધારો કરાયો છે. હવે યુપીઆઇ દ્વારા ટેક્સ સંબંધિત ટ્રાન્ઝેક્શન કરવા માટેની લિમિટ પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખની લિમિટ કરવામાં આવી છે. આ નિર્ણય 15 સપ્ટેમ્બરની ટેક્સ ભરવાની અંતિમ તારીખને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

નવો નિયમ માત્ર ‘પર્સન ટુ મર્ચન્ટ’ માટે લાગુ

આ ફેરફાર માત્ર વ્યક્તિ દ્વારા વેપારીને કરાતાં ટ્રાન્ઝેક્શન પર જ લાગુ પડશે. એટલે કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પર લાગુ નહીં પડે. વ્યક્તિ માત્ર સીધું જ વેરિફાઇડ બિઝનેસ એકાઉન્ટમાં જ ટ્રાન્ઝેક્શન કરી શકશે, જેમાં વીમા કંપનીઓ, બ્રોકરેજ ફર્મ, ટેક્સ પોર્ટલ અને બૅંકો જેવી સંસ્થાઓ સામેલ છે. યુપીઆઇ દ્વારા વ્યક્તિથી વ્યક્તિને કરાતી ટ્રાન્ઝેક્શન લિમિટ યથાવત્ એટલે કે એક લાખ રૂપિયા જ રહેશે.

નવા નિયમોની વધુ વિગતો

ટેક્સ ચૂકવણી, લોન ઈએમઆઇ અને બિઝનેસ ટુ બિઝનેસ કલેક્શન : હવે યુપીઆઇથી એક વખતમાં પાંચ લાખ રૂપિયાનું અને 24 કલાકની અંદર 10 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાશે.

વીમા અને કેપિટલ માર્કેટ : અગાઉ બે લાખ રૂપિયાની લિમિટ હતી, જે વધારીને એક વખતના ટ્રાન્ઝેક્શનમાં પાંચ લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખ રૂપિયા લિમિટ કરવામાં આવી છે.

ક્રેડિટ કાર્ડ બિલ : અગાઉ યુપીઆઇ દ્વારા બે લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકાતું હતું, જોકે હવે તેમાં વધારો કરીને પ્રતિ ટ્રાન્ઝેક્શન પાંચ લાખ રૂપિયા અને 24 કલાકમાં 10 લાખ રૂપિયાની લિમિટ કરવામાં આવી છે.

વિદેશી મુદ્રા અને FD : હવે ફોરેક્સ ખરીદી-વેચાણ અને ડિજિટલ એકાઉન્ટ ખોલવા અને FD બનાવવા માટે પાંચ લાખ રૂપિયાની સુધીના ટ્રાન્ઝેક્શનની છૂટ મળશે.

15 સપ્ટેમ્બરથી લાગુ થશે નિયમ

NPCI એ તમામ બૅંકો, એપ્સ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને આ નવા નિયમો લાગુ કરવા નિર્દેશ આપ્યા છે. જોકે, બૅંકોને તેમની પોલિસી મુજબ અમુક લિમિટ નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે. તેથી એવી સંભાવના છે કે, કેટલાક કિસ્સાઓમાં આ નિયમો તાત્કાલિક લાગુ ન થાય, પરંતુ મોટાભાગની બૅંકો 15 સપ્ટેમ્બરથી આ ફેરફારને અમલમાં મૂકશે.

September 5, 2025
image-7.png
2min198
પક્ષગંભીર ગુનાવાળા મંત્રીઓ
ભાજપ૮૮
કોંગ્રેસ૧૮
ડીએમકે૧૪
ટીએમસી૦૮
તેલુગુદેશમ૧૩
આમ આદમી૦૫
  • કેન્દ્રના 72માંથી 29 અને રાજ્ય સરકારોના 273 પ્રધાનો ‘ક્રિમિનલ’ : એડીઆર
  • કુલ 302 પ્રધાનોમાંથી 174 મંત્રી સામે ગંભીર ફોજદારી ગુનો ભાજપના 336માંથી 40 ટકા એટલે કે 136 મંત્રી ક્રિમિનલ
  • આંધ્રની તેલુગુદેશમના પાર્ટીના 96 ટકા મંત્રીઓ એટલે કે 23માંથી 22ની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે

દેશના રાજકારણને અપરાધમુક્ત કરવાની વાતો ફક્ત વાતો જ લાગે છે, દેશનું રાજકારણ ગુનાખોરીથી મુક્ત થવાની સંભાવના સ્વપ્નવત લાગે તેવી વાત એડીઆર રિપોર્ટમાં આવી છે. એડીઆર રિપોર્ટ મુજબ દેશના કુલ ૪૭ ટકા પ્રધાનો એટલે કે લગભગ અડધો અડધ પ્રધાન સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે. આ સંજોગોમાં રાજકારણ ગુનામુક્ત તો ન થાય, પણ ગુનાયુક્ત થયું હોવાની જરૂર કહી શકાય.

એડીઆર (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) પણ ત્યારે આવ્યો છે જ્યારે સંસદમાં ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા છે જેમા વડાપ્રધાન, મુખ્યપ્રધાનો અને પ્રધાનોની ધરપકડ થાય કે પાંચ વર્ષ કે તેનાથી વધારે સમયની સજા માટેના ગંભીર ફોજદારી ગુના માટે સળંગ ૩૦ દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવે તો તેમણે હોદ્દા પરથી રાજીનામુ આપવું પડશે. એડીઆરે આ માટે દેશની કુલ ૨૭ વિધાનસભા, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય કેબિનેટ પ્રધાનોના કુલ ૬૪૩ સોગંદનામાની ચકાસણી કરી હતી, તેમા તેણે જોયું કે કુલ ૩૦૨ પ્રધાનો એટલે કે અડધોઅડધ કહેવાય તેટલા પ્રધાનોની સામે ફોજદારી કેસો હોવાનું જણાઈ આવ્યું હતું. આ ૩૦૨ પ્રધાનોમાં ૬૦ ટકાથી પણ વધારે એટલે કે ૧૭૪ પ્રધાનોની સામે તો ગંભીર ફોજદારી કેસ છે, એમ રિપોર્ટે જણાવ્યું હતું.

એડીઆર વિશ્લેષણ મુજબ ભાજપના કુલ ૩૩૬ પ્રધાનમાં ૪૦ ટકા એટલે કે ૧૩૬ પ્રધાનાએ તો પોતે જ તેમની સામે ફોજદારી કેસ હોવાનું જાહેર કર્યુ છે. તેમા ૨૬ ટકા એટલે કે ૮૮ પ્રધાનોની સામે ગંભીર ગુના છે.

કોંગ્રેસ ચાર રાજ્યોમાં સત્તામાં છે. તેના ૭૪ ટકા એટલે કે ૪૫ પ્રધાનોની સામે ફોજદારી કેસ છે. તેમા ૩૦ ટકા એટલે કે ૧૮ની સામે ગંભીર ગુના નોંધાયેલા છે.

આ ઉપરાંત ડીએમકેના કુલ ૩૧ પ્રધાનોમાંથી ૨૭ એટલે કે ૮૭ ટકા સામે ફોજદારી કેસ છે. જ્યારે ૪૫ ટકા એટલે કે ૧૪ની સામે ગંભીર ફોજદારી ગુના નોંધાયેલા છે. તૃણમૂલ કોંગ્રેસના ૩૩ ટકા એટલે કે ૪૦માંથી ૧૩ની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમા ૨૦ ટકા એટલે કે ૮ની સામે ગંભીર ગુના છે.

તેલુગુદેશમ પાર્ટીમાં ગુનેગાર પ્રધાનોનું સૌથી ઊંચું પ્રમાણ છે. તેમા કુલ ૨૩ પ્રધાનોમાંથી ૨૨ પ્રધાનો સામે એટલે કે ૯૬ ટકા પ્રધાનો સામે ગુના નોંધાયેલા છે. તેમાથી ૫૭ ટકા એટલે કે ૧૩ પ્રધાનની સામે ગંભીર ગુના નોંધાયેલા છે. આમ આદમી પાર્ટી (આપ)ના પ્રધાનોમાં જોઈએ તો ૧૬માંથી ૧૧ એટલે કે ૬૯ ટકા પ્રધાનો સામે ફોજદારી કેસો છે. તેમાથી પાંચ એટલે કે ૩૧ ટકા સામે ગંભીર કેસો છે. હવે રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ૭૨ કેન્દ્રીય પ્રધાનોમાંથી ૪૦ ટકા એટલે કે ૨૯ પ્રધાનોએ તેમની સામે ફોજદારી કેસ હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.

રાજ્યોમાં જોઈએ તો કુલ ૧૧ વિધાનસભામાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગણા, હિમાચલ પ્રદેશ અને પુડુચેરીના ૬૦ ટકાથી વધારે પ્રધાનોની સામે ફોજદારી કેસ છે. તેનાથી વિપરીત હરિયાણા, જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડના પ્રધાનોની સામે કોઈ ફોજદારી કેસ જ નોંધાયા નથી.

પ્રધાનો- ક્રિમિનલ કેસ

દેશના કુલ પ્રધાન ૬૪૩

ફોજદારી કેસ ૩૦૨

ભાજપના પ્રધાન ૧૩૬

કોંગ્રેસના પ્રધાન ૦૪૫

ડીએમકેના પ્રધાન ૦૩૧

ટીએમસીના મંત્રી ૦૧૩

તેલુગુદેશમ મંત્રી ૦૨૨

આપના પ્રધાન ૦૧૧

કેન્દ્રીય પ્રધાન ૦૨૯

September 4, 2025
kya-sasta-1.png
1min405

જીએસટી સેન્ટ્રલ કાઉન્સિલની તા.3 અને 4 સપ્ટેમ્બરના રોજ યોજાઇ રહેલી 56મી મિટીંગમાં જીએસટી સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. સૌથી મોટા ફેરફારો એ છે કે 12 ટકા અને 28 ટકાના સ્લેબને નાબૂદ કરીને 40 ટકાનો નવો સ્લેબ ઉમેરવામાં આવ્યો છે.

અહીં સીઆઇએ લાઇવ ન્યુઝ વેબ તરફથી અમારા વાચકો માટે ચીજવસ્તુઓ અનુસાર કેટલો જીએસટી હતો અને હવે કેટલો જીએસટી લાગૂ થશે તેની વિગતો આપવામાં આવી છે. જેના પર જીએસટી ઘટ્યો છે તે ચીજવસ્તુઓ ઉત્પાદકો અને વિક્રેતાઓ સસ્તી કરશે કે કેમ એ સવાલ છે.

આખું લિસ્ટ પીડીએફ ફોર્મેટમાં તમે ડાઉનલોડ પણ કરી શકો છો

September 4, 2025
image-6.png
1min197

બાંધકામમાં વપરાતી અનેક સામગ્રીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડો કરવામાં આવ્યો છે, જેનાથી રિયલ એસ્ટેટ અને હાઉસિંગ સેક્ટરમાં ખુશીનો માહોલ ફેલાયો છે. આ નિર્ણયથી બાંધકામના ખર્ચમાં ઘટાડો થશે, જેનો ફાયદો ઘર ખરીદનારાઓને પણ મળશે.

3/9/25 GST કાઉન્સીલની બેઠકમાં સિમેન્ટ, માર્બલ, ગ્રેનાઈટ, લાકડું જેવી બાંધકામની મુખ્ય સામગ્રીઓ પર GST દરમાં કાપ મૂકવામાં આવ્યો છે. આ પગલાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટશે, જેના કારણે નવા મકાનો, ફ્લેટ્સ અને વ્યાપારી ઈમારતોના નિર્માણ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ નિર્ણયને ઉદ્યોગકારો અને બિલ્ડરો દ્વારા સકારાત્મક પગલુ ગણાવવામાં આવી રહ્યું છે, કારણ કે આનાથી બાંધકામ ઉદ્યોગને નવી ગતિ મળશે.

આ GST ઘટાડાથી હાઉસિંગ સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા છે. બાંધકામના ખર્ચમાં ઘટાડો થતા ઘરોની કિંમતો પણ નીચે આવી શકે છે, જેનાથી સામાન્ય લોકો માટે ઘર ખરીદવું વધુ સરળ બનશે. ખાસ કરીને, મધ્યમ વર્ગના લોકો અને પ્રથમ વખત ઘર ખરીદનારાઓને આનો સીધો લાભ મળશે. આ ઉપરાંત, આ પગલુ રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં રોકાણને પણ પ્રોત્સાહન આપશે.

બાંધકામ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. GST ઘટાડાથી બાંધકામ સામગ્રીના ભાવ ઘટવાથી નવા પ્રોજેક્ટ્સની શરૂઆત અને ચાલી રહેલા પ્રોજેક્ટ્સનું કામ ઝડપથી આગળ વધશે. જેનાથી રોજગારની તકોમાં પણ વધારો થશે, કારણ કે બાંધકામ ઉદ્યોગ અનેક અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણયથી આર્થિક ગતિવિધિઓને વેગ મળશે અને બજારમાં સકારાત્મક માહોલ ઊભો થશે.

રિયલ એસ્ટેટ અને બાંધકામ ઉદ્યોગના નિષ્ણાતોએ સરકારના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમનું માનવું છે કે આ પગલુ બાંધકામ ઉદ્યોગ માટે માત્ર રાહત જ નહીં, પરંતુ લાંબા ગાળે આર્થિક વિકાસ માટે પણ મહત્વનું સાબિત થશે. સરકારના આ નિર્ણયથી નવા પ્રોજેક્ટ્સને ઝડપ મળશે અને ગ્રાહકોને પોસાય તેવા ભાવે ઘરો ઉપલબ્ધ થશે, જે દેશના હાઉસિંગ સેક્ટરને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

September 4, 2025
image-5.png
2min201

જીએસટી કાઉન્સિલે આજે (3 સપ્ટેમ્બર) યોજાયેલી બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. કાઉન્સિલે જીએસટી માટે બે સ્લેબ 5 ટકા અને 18 ટકા મંજૂર કર્યું છે. આ સાથે વર્તમાન 12 ટકા અને 28 ટકાના ટેક્સ સ્લેબ રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલી લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર હાઈ રેટ લગાવાયા છે. બેઠકમાં હાજર તમામ સભ્યો તમાકૂ ઉત્પાદનો પર 40 ટકા ટેક્સ લાદવા માટે સંમત થયા છે. તો જાણીએ કયા કયા ઉત્પાદનો પર 40 ટકા લાદવામાં આવ્યો.

આ પણ વાંચો : 5% અને 18%… હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય

આ ચીજવસ્તુઓ પર 40 ટકા GST

સુપર લક્ઝરી ચીજવસ્તુઓ
પાન મસાલા
સિગારેટ ગુટખા
ચાવવાની તમાકુ
જરદા
એડેડ શુગર, કાર્બોનેટેડ ડ્રિંક્સ
વ્યક્તિગત ઉપયોગ માટે એરક્રાફ્ટ
લક્ઝરી કાર
ફાસ્ટ ફૂડ

આ ચીજવસ્તુઓ પર 40 ટકા ટેક્સ લાદવા ઉપરાંત અલગથી સેસ પણ લાગી શકે છે.

જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી

હેયર ઓઇલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, સાબુ, ટૂથબ્રશ, શેવિંગ ક્રીમ 18% થી 5%
માખણ, ઘી, ચીઝ અને અન્ય ડેરી ઉત્પાદનો 12% થી 5%
પ્રી-પેકેજ્ડ નમકીન અને ચવાણું 12% થી 5%
વાસણો 12% થી 5%
ફીડિંગ બોટલ, બાળકોના નેપકિન્સ અને ડાયપર 12% થી 5%
સીવણ મશીન અને તેના ભાગો 12% થી 5%
આરોગ્ય ક્ષેત્રે રાહત

હેલ્થ અને લાઇફ ઇન્સ્યોરન્સ 18% થી શૂન્ય
થર્મોમીટર 18% થી 5%
મેડિકલ ગ્રેડ ઓક્સિજન 12% થી 5%
ગ્લુકોમીટર અને ટેસ્ટ સ્ટ્રીપ્સ 12% થી 5%
ચશ્મા 12% થી 5%
સ્ટેશનરી વસ્તુઓ ટેક્સ ફ્રી

નકશા, ચાર્ટ અને ગ્લોબ્સ 12% થી શૂન્ય
પેન્સિલ, શાર્પનર્સ, ક્રેયોન્સ-પેસ્ટલ્સ કલર્સ 12% થી શૂન્ય
પાઠ્ય પુસ્તકો અને નોટબુક્સ 12% થી શૂન્ય
ઇરેઝર 5% થી શૂન્ય

ખેડૂતોને રાહત

ટ્રેક્ટર 12% થી 5%
ટ્રેક્ટર ટાયર અને ભાગો 18% થી 5%
જંતુનાશકો અને સૂક્ષ્મ પોષકતત્ત્વો 12% થી 5%
જમીન ખેડવા, લણણી અને થ્રેશિંગ માટેના મશીનો 12% થી 5%
વાહનો થશે સસ્તા

પેટ્રોલ, LPG અને CNG કાર (1200 CC અને 4000 MM સુધીના) 28% થી 18%
ડીઝલ કાર (1500 CC અને 4000 MM સુધીના) 28% થી 18%
થ્રી-વ્હીલર વાહનો 28% થી 18%
350 CC સુધીના બાઇક 28% થી 18%
માલ પરિવહન માટેના વાહનો 28% થી 18%
ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર ટેક્સ ઘટાડો

એર કંડિશનર 28% થી 18%
32 ઇંચથી મોટા ટીવી 28% થી 18%
મોનિટર અને પ્રોજેક્ટર 28% થી 18%
ડીશ વોશિંગ મશીન 28% થી 18%

September 2, 2025
image-4.png
1min372

સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતાં સોમવારે (પહેલી સપ્ટેમ્બર) નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આદેશ આપ્યો કે, જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પાસ કરવી ફરજીયાત છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે.

કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, નવા શિક્ષકો માટે TET પાસ કરવી ફરજિયાત છે, આ ઉપરાંત પહેલાથી નોકરી કરી રહેલા શિક્ષકો જો બઢતી મેળવવા ઈચ્છે તો તેમના માટે પણ TET પાસ કરવી ફરજિયાત રહેશે. કોર્ટે કહ્યું કે, જો કોઈ શિક્ષક નવી નોકરી અથવા બઢતી મેળવવા ઈચ્છે તો TET પાસ કર્યા વગર તેમનો કોઈપણ દાવો માન્ય ગણાશે નહીં. જોકે, બેન્ચે પાંચ વર્ષથી ઓછો સમય બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે. આવા શિક્ષકોને TET પાસ કરવાની જરૂરિયાત રહેશે નહીં અને તેઓ તેમની નિવૃત્તિ સુધી નોકરી પર રહી શકશે. પરંતુ જો આવા શિક્ષકો બઢતી મેળવવા ઈચ્છે તો તેમને TET પાસ કરવી ફરજિયાત રહેશે.

કોર્ટે એમ પણ કહ્યું છે કે, જે શિક્ષકો શિક્ષણનો અધિકાર કાયદો (RTE-2009) લાગુ થતાં પહેલાં નિમણૂક થયા છે અને જેમની પાંચ વર્ષથી વધુ સેવા બાકી છે, તેમણે બે વર્ષની અંદર TET પાસ કરવી જ પડશે. જો તેઓ આ ગાળામાં TET પાસ ન કરે તો તેમને નોકરી ગુમાવવી પડશે અને તેમને માત્ર ટર્મિનલ બેનિફિટ્સ જ મળશે.

સુપ્રીમ કોર્ટે લઘુમતી દરજ્જો ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓને હાલ પૂરતી રાહત આપી છે. કોર્ટે કહ્યું છે કે, આ આદેશ હમણાં તે સંસ્થાઓ પર લાગુ પડશે નહીં. RTE કાયદો આ શાળાઓને લાગુ થાય છે કે નહીં, તે કાયદાકીય સવાલ હાલ સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ સમક્ષ પેન્ડિંગ છે. જ્યાં સુધી આ અંગે અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી લઘુમતી સંસ્થાઓના શિક્ષકો માટે TET પાસ કરવી ફરયિજાત નહીં રહે.

ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) એક રાષ્ટ્રીય સ્તરની પાત્રતા પરીક્ષા છે, જેમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગો ધોરણ-1થી ધોરણ-8માં શિક્ષક બનવા માંગનાર ઉમેદવારની યોગ્યતા નક્કી થાય છે. આ પરીક્ષા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) દ્વારા 2010માં ફરજિયાત કરાઈ હતી. NCTEએ શિક્ષકોને TET પાસ કરવા માટે પાંચ વર્ષનો સમય આપ્યો હતો, જેને પાછળથી ચાર વર્ષ સુધી લંબાવાયો હતો. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં TET ફરજિયાત પાસ કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી હાથ ધર્યા બાદ આ નિર્ણય લીધો છે, હવે દેશભરના શિક્ષકો પર અસર કરી છે.

September 2, 2025
image-3.png
1min197

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે મંગળવારે (બીજી સપ્ટેમ્બર) આ માહિતી આપી હતી. ઓસ્ટ્રેલિયા ક્રિકેટે સત્તાવાર રીતે તેમની નિવૃત્તિની પુષ્ટિ કરી છે. મિચેલ સ્ટાર્કે કહ્યું કે ‘મારી માટે ટેસ્ટ ક્રિકેટની પ્રાથમિકતા સૌથી વધુ રહી છે. ટી20ની મેચોની મજા માણી, ખાસ કરીને 2021 ટી20 વર્લ્ડકપમાં ખૂબ શાનદાર અનુભવ રહ્યો. હવે ભારત સામે ટેસ્ટ સીરિઝ, એશેઝ અને 2027 વનડે વર્લ્ડકપને જોતાં મને લાગે છે કે આ જ યોગ્ય સમય છે. નવા બોલર્સને મોકો મળશે.’

અહેવાલો અનુસાર, મિચેલ સ્ટાર્કે T20 વર્લ્ડ કપ 2026ના થોડા મહિના પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે છેલ્લે ગયા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. ટેસ્ટ અને ODI ક્રિકેટ ઉપરાંત, મિચેલ સ્ટાર્ક હવે સ્થાનિક T20 લીગમાં રમતા જોવા મળશે. આમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLનો સમાવેશ થાય છે. મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે આ ફોર્મેટમાં 79 વિકેટ લીધી હતી. તેમનાથી આગળ એડમ ઝામ્પા છે, જેમણે 130 વિકેટ લીધી છે.

35 વર્ષીય મિચેલ સ્ટાર્કે વર્ષ 2012માં પાકિસ્તાન સામેની મેચમાં ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ગયા વર્ષે ભારત વિરુદ્ધ ગ્રોસ આઈલેટમાં તે છેલ્લી ટી20 મેચ રમ્યો. તેણે 65 મેચોમાં કુલ 79 વિકેટ ખેરવી. તે ઑસ્ટ્રેલિયા માટે ટી20માં બીજો સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. પહેલા ક્રમાંકે એડમ ઝામ્પા છે જેણે 103 મેચોમાં 103 વિકેટો ખેરવી છે.

ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધા પછી, મિચેલ સ્ટાર્ક આઈપીએલમાં રમતા જોવા મળશે. સ્ટાર્કે છેલ્લી 2 આઈપીએલ સીઝનથી ઘણી કમાણી કરી છે. સ્ટાર્ક આઈપીએલ 2024માં સૌથી મોંઘો ખેલાડી બન્યો, જ્યારે કોલકાતા નાઈટ રાઇડર્સે આ ખેલાડીને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જો કે, આ સીઝન તેના માટે ખાસ નહોતી અને કેકેઆરએ તેને આઈપીએલ 2025 પહેલા રિલીઝ કરી દીધો. ત્યારબાદ સ્ટાર્ક આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો.

મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે 65 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં સ્ટાર્કે બોલિંગ કરતી વખતે 79 વિકેટ લીધી હતી. આ ઉપરાંત જો આપણે સ્ટાર્કના IPL કારકિર્દીની વાત કરીએ, તો તેણે અત્યાર સુધી IPLમાં ફક્ત 51 મેચ રમી છે, જે દરમિયાન સ્ટાર્કે બોલિંગ કરતી વખતે 65 વિકેટ લીધી હતી.