CIA ALERT

Blog - Page 23 of 694 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
December 15, 2025
image-9.png
1min98
  • નીતિન નબિન ૧૨મું ભણેલા છે, તેમની સામે પાંચ કેસ છે અને તેમના નામે સંપત્તિ નથી
  • લોકસભામાં કેન્દ્રીય મંત્રી અને સાત વખત સાંસદ બનનારા પંકજ ચૌધરીની ઉત્તર પ્રદેશમાં ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક

ભાજપ સંસદીય બોર્ડે રવિવારે Dt 14/12/2025 બિહાર સરકારમાં કેન્દ્રીય મંત્રી નીતિન નબિનની રવિવારે પક્ષના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે પસંદગી કરીને વધુ એક વખત બધાને ચોંકાવી દીધા છે. નીતિન નબિન જેપી નડ્ડાનું સ્થાન લે તેવી શક્યતા છે. બીજીબાજુ કેન્દ્ર સરકારમાં મંત્રી અને લોકસભા સાંસદ પંકજ ચૌધરીની ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. કુર્મી નેતા પંકજ ચૌધરીની પસંદગી કરીને ભાજપે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં કુર્મી મતબેન્ક પર નજર હોવાના સંકેત આપ્યા છે.

ભાજપમાં લાંબા સમયથી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના સ્થાને સંગઠનમાં નવા પ્રમુખની નિમણૂક વિલંબમાં મુકાતી રહી છે. જોકે, આખરે રવિવારે ભાજપે નવા પક્ષપ્રમુખની નિમણૂકનો માર્ગ મોકળો કરી દીધો છે. ભાજપના સંસદીય બોર્ડે બિહાર કેબિનેટના મંત્રી અને બાંકીપુરથી પાંચ વખત ધારાસભ્ય બનનારા ૪૫ વર્ષના નિતિન નવીનની કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદગી કરી છે, જેઓ આગામી સમયમાં પ્રમુખ જેપી નડ્ડાનું સ્થાન લઈ શકે છે. નીતિન નબિનની નિમણૂક કરીને ભાજપે પક્ષના સંગઠન માળખામાં પેઢીગત પરિવર્તનના સંકેત આપ્યા છે.

નીતિન નબિન ભાજપના દિવંગત નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય નબિન કિશોર પ્રસાદ સિંહાના પુત્ર છે. તેમને અત્યંત ગતિશીલ અને વૈચારિક રીતે સંગઠન પ્રત્યે કટિબદ્ધ માનવામાં આવે છે તેમ પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું. નીતિન નબિનની સંગઠન ક્ષમતા, ચૂંટણી રણનીતિ, વહીવટી અનુભવ અને જમીની સ્તર પર પકડને ધ્યાનમાં રાખતા તેમને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપાઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. પક્ષના સૂત્રો મુજબ આ નિમણૂક માત્ર સંગઠનાત્મક પરિવર્તન નહીં, પરંતુ આગામી સમયમાં રાષ્ટ્રીય રાજકારણની દિશા નિશ્ચિત કરનારું પગલું માનવામાં આવે છે.

બિહારમાં બે વખત મંત્રી તરીકેની સેવા તેમજ છત્તીસગઢમાં પક્ષના ઈન્ચાર્જ તરીકે તેમની ભૂમિકા અસાધારણ રહી છે. તેમણે પક્ષમાં સંગઠનના દરેક સ્તર પર કામ કર્યું છે. યુવા મોરચાથી લઈને રાજ્ય સરકાર અને હવે રાષ્ટ્રીય સંગઠન સુધીમાં તેમનો પ્રવાસ પક્ષની અંદર વિશ્વાસનું પ્રતિક મનાય છે.

દરમિયાન ભાજપે રવિવારે ઉત્તર પ્રદેશમાં પણ પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી અને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી પીયુષ ગોયલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં લખનઉમાં પક્ષની ઓફિસમાં એક કાર્યક્રમાં પંકજ ચૌધરીની ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખ તરીકે ઔપચારિક જાહેરાત કરી હતી. પંકજ ચૌધરીએ નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે પદ ગ્રહણ કરી લીધું છે.

મહારાજગંજથી સાત વખત સાંસદ બનેલા અને કેન્દ્રીય નાણાં વિભાગના રાજ્ય મંત્રી પંકજ ચૌધરી કુર્મી સમાજમાંથી આવે છે. પ્રદેશ અધ્યક્ષપદ પર તેમની નિમણૂકને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ઉત્તર પ્રદેશમાં ઓબીસી મતબેન્કને મજબૂત કરવાની ભાજપની રણનીતિ તરીકે જોવામાં આવે છે. આ પહેલાં શનિવારે પંકજ ચૌધરીએ એકમાત્ર ઉમેદવાર તરીકે પ્રદેશ પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવી હતી

December 15, 2025
image-8.png
1min128


ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે, સોમવારે 15/12/2025, રોકાણકારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે ચલણ બજારમાં રૂપિયાએ અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર નોંધાવ્યું હતું. વિદેશી ભંડોળના સતત વેચાણ અને વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ 280 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 25,950ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

બજારમાં કેમ બોલાયો કડાકો?

બજારની સૌથી મોટી ચિંતા રૂપિયાના ઐતિહાસિક ઘટાડાને લઈને હતી. ભારતીય રૂપિયો આજે અમેરિકન ડોલર સામે વધુ ગગડીને 90.71 ની નવી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આયાતકારો દ્વારા ડોલરની ભારે માંગ અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચવાને કારણે રૂપિયા પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોના મતે, જો આ વલણ ચાલુ રહેશે તો આયાત મોંઘી થઈ શકે છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ અને મોંઘવારી પર પડી શકે છે.

સેન્સેક્સની વાત કરીએ તો શુક્રવારનું સેન્સેક્સનું ક્લૉઝિંગ 85,267.66 પર થયું હતું જે આજે 15/12/25 સોમવારે ખુલતા જ 84,840.32 પર પહોંચી ગયું હતું. જે 427 પોઈન્ટનો કડાકો દર્શાવે છે. જોકે પછીથી તેમાં રિકવરી જોવા મળી હતી. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો શુક્રવારનું ક્લૉઝિંગ 26046.95 પર હતું. જે આજે 15/12/25 સોમવારે ખુલતા જ 25,904.75 પર પહોંચી ગયું હતું. જે 142 પોઈન્ટનો કડાકો દર્શાવે છે. જોકે પછીથી એમાં પણ રિકવરી દેખાઈ હતી.

શેરબજારની વાત કરીએ તો, સવારે બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. દિવસ દરમિયાન બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો. આઈટી અને ફાઇનાન્સિયલ સર્વિસ જેવા ક્ષેત્રોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જોકે, કેટલાક મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી, પરંતુ તે બજારને મોટા ઘટાડાથી બચાવી શકી ન હતી. રોકાણકારો હવે આગામી દિવસોમાં આવનારા ફુગાવાના આંકડા અને વૈશ્વિક બજારના સંકેતો પર નજર રાખી રહ્યા છે, જેના આધારે બજારની આગામી દિશા નક્કી થશે.

December 14, 2025
image-7.png
1min197

હિન્દુ ધર્મમાં લગ્ન અને અન્ય માંગલિક કાર્યો હંમેશા શુભ મૂહુર્તમાં જ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શુભ સમયે કરવામાં આવતા કાર્યો દેવતાઓના આશીર્વાદ અને ગ્રહોના અનુકૂળ પ્રભાવથી સફળ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. પરંતુ ખરમાસ શરૂ થતાંની સાથે જ, લગ્ન, મુંડન જેવા મોટા માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે. આ વર્ષે ખરમાસ 16 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે, તેથી આ સમયગાળા દરમિયાન લગ્ન નહીં થશે.

આ ઉપરાંત ખરમાસ પહેલા જ અન્ય એક કારણસર લગ્ન પર વિરામ લાગી જશે. વાસ્તવમાં 11 ડિસેમ્બર, 2025ના રોજ શુક્ર ગ્રહ અસ્ત થઈ ચૂક્યો છે. શુક્રને પ્રેમ, વૈવાહિક સુખ અને લગ્નનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્રના અસ્ત થવાના કારણે પણ લગ્ન માટે શુભ મૂહુર્ત નથી આવતા. આમ 11 ડિસેમ્બર, 2025થી લગ્ન સમારોહ પર રોક લગી ચૂકી છે. હવે સવાલ એ છે કે આ રોક કેટલો સમય ચાલશે અને ફરીથી લગ્નના શુભ મૂહુર્ત ક્યારથી શરૂ થશે.

ખરમાસ 15 જાન્યુઆરી, 2026ના રોજ સમાપ્ત થઈ જશે, જે પછી સામાન્ય રીતે શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. પરંતુ આ વખતે લગ્ન પ્રસંગ માટે થોડી વધુ રાહ જોવી પડશે. વાસ્તવમાં શુક્ર ગ્રહ 53 દિવસ સુધી અસ્ત રહેશે અને 1 ફેબ્રુઆરી, 2026ના રોજ ફરીથી ઉદય કરશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શુક્ર ઉદય પછી જ લગ્ન અને અન્ય માંગલિક કાર્યો શરૂ કરવામાં આવે છે. તેથી લગ્નની સિઝન ફેબ્રુઆરી 2026થી જ શરૂ થશે.

ફેબ્રુઆરી 2026માં લગ્ન માટે કુલ 12 શુભ મૂહુર્ત છે. જેની તારીખો આ પ્રમાણે છે – 5 ફેબ્રુઆરી, 6 ફેબ્રુઆરી, 8 ફેબ્રુઆરી, 10 ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 21 ફેબ્રુઆરી, 24 ફેબ્રુઆરી, 25 ફેબ્રુઆરી અને 26 ફેબ્રુઆરી.

વસંત પંચમી પર લગ્ન કેમ નહીં થશે

સામાન્ય રીતે વસંત પંચમીને લગ્ન માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે, કારણ કે તે સિદ્ધ અને અબૂઝ મુહૂર્ત હોય છે. પરંતુ 2026માં વસંત પંચમી પર લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં. કારણ કે 23 જાન્યુઆરીએ આવતી વસંત પંચમી શુક્રના અસ્તના સમયગાળા દરમિયાન આવશે અને આ દરમિયાન લગ્ન કરવા અશુભ માનવામાં આવે છે.

December 13, 2025
image-6.png
1min104

સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી કોલકાતા પહોંચ્યો

આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી શનિવારે (13મી ડિસેમ્બર) કોલકાતા પહોંચ્યા હતા અને તેમની બહુપ્રતિક્ષિત ‘GOAT ઈન્ડિયા ટૂર 2025’ની શરૂઆત કરી હતી. 14 વર્ષના લાંબા ગાળા બાદ ભારતમાં લિયોનેલ મેસ્સીના આગમનને લઈને કોલકાતામાં ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો.

લિયોનેલ મેસ્સી મિયામી અને દુબઈ થઈને મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હોવા છતાં, તેમની એક ઝલક મેળવવા માટે હજારો ચાહકો નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર એકઠા થયા હતા.

મેસ્સીના ફેન્સનો ઉત્સાહ એટલો વધારે હતો કે પોલીસે ટર્મિનલની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવી પડી હતી. હજારો ફેન્સ લિયોનેલ મેસ્સીના નામના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને આર્જેન્ટિનાના ધ્વજ લહેરાવી રહ્યા હતા. કેટલાક ફેન્સ તો બેરિકેડ પર પણ ચઢી ગયા હતા.

ટૂરના આયોજક સતાદ્રુ દત્તાએ આ ક્ષણને આનંદની ગણાવતા કહ્યું કે, ’14 વર્ષ પછી મેસ્સીની ભારત મુલાકાત ખૂબ જ આનંદની ક્ષણ છે. ભારતમાં ફૂટબોલનું જોડાણ ફરી વધી રહ્યું છે.ટ

મેસ્સીનો 13/12/25 કાર્યક્રમ

કોલકાતામાં મેસ્સીનો દિવસ યુવા ભારતી સ્ટેડિયમ ખાતેની મુખ્ય ઇવેન્ટ્સ સાથે વ્યસ્ત રહેવાનો છે. શનિવારે સવારે 9:30થી 10:30 વાગ્યા સુધી પસંદગીના મહેમાનો માટે ખાનગી મુલાકાત અને શુભેચ્છા સમારંભ યોજાશે. તે વર્ચ્યુઅલી તેમના નામ પરથી એક પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે, જે કોલકાતા શહેર સાથેના તેમના ખાસ જોડાણને દર્શાવે છે.

દિવસનું મુખ્ય આકર્ષણ યુવા ભારતી સ્ટેડિયમ ખાતેની એક ફ્રેન્ડલી મેચ હશે, જેમાં હજારો દર્શકો હાજર રહેવાની અપેક્ષા છે. મેસ્સીનો પ્રવાસ એ જ સ્ટેડિયમમાં ચાહકો સાથેના વાતચીત કાર્યક્રમ સાથે સમાપ્ત થશે. આ ઇવેન્ટ્સની ટિકિટોની શરૂઆતની કિંમત લગભગ 4,500 રૂપિયા હતી, જે ભારે માંગને કારણે ઝડપથી વેચાઈ ગઈ હતી. કોલકાતા વર્ષોમાં તેની સૌથી મોટી ફૂટબોલ ઇવેન્ટ માટે સજ્જ થઈ રહ્યું છે.

December 8, 2025
image-5.png
1min119

ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટક્લબમાં શનિવારે 6/12/25 મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ચાર પ્રવાસી અને 14 કર્મચારીનો સમાવેશ થાય છે. છ લોકો ઘાયલ થયા છે અને તેમની હાલત સ્થિર છે. પણજીથી 25 કિમી દૂર અરપોરા ખાતે ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઈટક્લબના ગ્રાઉન્ડ ફ્લોર પર ફસાઈ ગયા હોવાથી મોટા ભાગના લોકોના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા હતા.

અગ્નિકાંડ મુદ્દે રાજ્યના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે ક્લબના ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજીવ સિંઘાનિયા અને ગેટ મેનેજર રિયાંશુ ઠાકુરની પોલીસે અટક કરી છે. આ તમામની વિરુદ્ધ બેદરકારી અને નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. ક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરાની સામે એફઆઈઆર નોંધ્યો છે, જ્યારે ક્લબના માલિકની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું. રાજ્યમાં ગેરકાયદે ક્લબ અને કમર્શિયલનું ઓડિટ કરીને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે એસઓપી બનાવવામાં આવશે.

ક્લબને તોડવાની નોટિસ ઉચ્ચ અધિકારી દ્વારા રોકવામાં આવી હતી

બાંધકામ ગેરકાયદે હતું પરંતુ ક્લબને આપવામાં આવેલી તોડી પાડવાની નોટિસ ઉચ્ચ અધિકારી દ્વારા રોકવામાં આવી હતી. મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે સલામતીના ધોરણોનું ઉલ્લંઘન છતાં તેને ચલાવવા દેનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. રાજ્યના મુખ્ય સચિવ ડોક્ટર અને ડીજીપીને દોષી અધિકારીઓની ઓળખ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે.

આ આગની તપાસ માટે રાજ્ય સરકારે એક વિશેષ કમિટી ગઠન કરી છે, જેમાં સાઉથ ગોવાના ક્લેક્ટર, ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસીસના ડેપ્યુટી ડાયરેક્ટર અને ફોરેન્સિક ડાયરેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરમિયાન આ આગની દુર્ઘટના મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અન્ય લોકોએ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

ઝારખંડના ગામના રહેવાસીઓએ મૃતદેહ ઘરે લઈ જવાની કરી માગણી

ગોવામાં નાઇટક્લબમાં લાગેલી ભીષણ આગનો ભોગ બનેલા લોકોના પરિજનો અને પરિચિતો આજે એક સરકારી હોસ્પિટલના શબઘરની બહાર એકઠા થઇને તેમના પ્રિયજનો વિશે માહિતી મેળવવા માટે આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.

ઝારખંડના એક ગામના કેટલાક રહેવાસીઓએ જણાવ્યું કે તેઓ મૃતદેહો સ્વીકારશે નહીં અને નાઇટક્લબના માલિકને મૃતદેહો ઘરે પાછા લઇ જવાની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.

તેમણે વધુમાં કહ્યું કે તેમના પરિવારના ચાર સભ્યો ઉત્તર ગોવાના અરપોરામાં નાઇટક્લબમાં હેલ્પર અને રસોઇયા તરીકે કામ કરતા હતા. જ્યાં શનિવારની મધરાતે લાગેલી ભીષણ આગમાં ૨૫ લોકોના જીવ ગયા હતા. જ્યારે છ લોકો ઘાયલ થયા હતા.

ઝારખંડના મજૂરોનું એક ટોળું સવારથી પણજી પાસે ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ(જીએમસીએચ)ના શબઘરની બહાર તેમના સંબંધીઓ વિશે માહિતી મેળવવા માટે રાહ જોઇને બેઠું હતું. ગોવા પોલીસના કર્મચારીઓ બર્ચ બાય રોમિયો લેન નાઇટક્લબમાં આગ લાગવાની દુઃખદ ઘટના બાદ શબઘરમાં રાખવામાં આવેલા મૃતદેહોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમાંથી કેટલાક મૃતદેહો બળી ગયા હતા.

25 મૃતકમાં 14 સ્ટાફના સભ્યનો સમાવેશ, સાતની ઓળખ બાકી

પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં ૨૫ લોકોનો સમાવેશ થાય છે, જેમાં ચાર પ્રવાસીઓ અને ૧૪ સ્ટાફ સભ્યો સામેલ છે. જ્યારે બાકીના સાત લોકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. અરપોરામાં એક જગ્યાએ સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતાં ઝારખંડના નંદલાલ નાગે જણાવ્યું કે આગમાં મૃત્યુ પામેલા લોકોમાં તેમના ગામના ચાર લોકો હોવાની આશંકા છે.

તેમણે વધુમાં કહ્યું કે ઝારખંડના મારા ગામમાંથી ચાર લોકો(પીડિતો) છે, જેમાંથી એક મારા ભાઇનો દીકરો છે. તે બધા નાઇટક્લબમાં હેલ્પર અને રસોઇયા તરીકે કામ કરતા હતા. નાગે જણાવ્યું કે પીડિતો પાંચ વર્ષ પહેલા ઝારખંડથી ગોવા આવ્યા હતા અને ત્યારથી વિવિધ હોટેલ અને નાઇટ ક્લબમાં કામ કરી રહ્યા હતા.

આગ લાગી ત્યારે ઓછામાં ઓછા 100 લોકો ફ્લોર પર હતા

રાજ્ય પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે આગ સિલિન્ડર બ્લાસ્ટને કારણે લાગી હતી, જ્યારે કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે આગ ક્લબના પહેલા માળે લાગી હતી જ્યાં પ્રવાસીઓ ડાન્સ કરી રહ્યા હતા. હૈદરાબાદના પ્રવાસી ફાતિમા શેખે કે જ્યારે આગ લાગી ત્યારે ઓછામાં ઓછા 100 લોકો ડાન્સ ફ્લોર પર હતા અને બચવાના પ્રયાસમાં તેમાંથી કેટલાક નીચે રસોડામાં દોડી ગયા જ્યાં તેઓ સ્ટાફ સાથે ફસાઈ ગયા હતા. આગ લાગવાથી અચાનક હોબાળો મચી ગયો. અમે ક્લબની બહાર દોડી ગયા અને જોયું કે આખું માળખું આગમાં લપેટાયેલું હતું.” તેણીએ કહ્યું કે સપ્તાહના અંતે નાઈટક્લબ ખીચોખીચ ભરેલું હતું.

નદીના બેકવોટરમાં નાઈટક્લબ આવેલું છે, જેનો રસ્તો સાંકડો

નાઈટક્લબ અરપોરા નદીના બેકવોટરમાં આવેલું છે અને તેમાં પ્રવેશ અને બહાર નીકળવાનો રસ્તો સાંકડો છે. સાંકડી ગલીઓને કારણે ફાયર બ્રિગેડ માટે ક્લબમાં જવાનો કોઈ રસ્તો નહોતો અને તેમના ટેન્કરો સ્થળથી લગભગ 400 મીટર દૂર પાર્ક કરવા પડતા હતા. ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સાંકડી ગલીને કારણે સ્થળ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું, જેના કારણે આગ પર કાબૂ મેળવવો એક પડકારજનક કાર્ય બની ગયું હતું. તેમણે કહ્યું કે મોટા ભાગના મૃત્યુ ગૂંગળામણને કારણે થયા હતા કારણ કે પીડિતો ગ્રાઉન્ડ ફ્લોર પર ફસાયેલા રહ્યા હતા.

ક્લબના માલિકનો ભાગીદાર સાથે વિવાદ થતા ફરિયાદ કરી હતી

અરપોરા-નાગોઆ પંચાયતના સરપંચ રોશન રેડકરે જણાવ્યું હતું કે ક્લબ સૌરવ લુથરા ચલાવી રહ્યો હતો જેનો તેના ભાગીદાર સાથે વિવાદ હતો. તેમની વચ્ચે વિવાદ થયો હતો અને તેમણે એકબીજા વિરુદ્ધ પંચાયતમાં ફરિયાદ નોંધાવી હતી. અમે પરિસરનું નિરીક્ષણ કર્યું હતું અને જાણવા મળ્યું હતું કે તેમની પાસે ક્લબ બનાવવાની પરવાનગી નથી.” રેડકરે જણાવ્યું હતું કે પંચાયતે તોડી પાડવાની નોટિસ જાહેર કરી હતી, જેને પંચાયત નિયામક મંડળના અધિકારીઓએ સ્ટે આપ્યો હતો.

December 5, 2025
cia_multi-1280x1045.jpg
1min131

મહારાષ્ટ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણયઃ ડિજિટલ 7/12ને કાનૂની માન્યતા મળી, જમીન વ્યવહારોનો નિકાલ થશે ઝડપી

મહારાષ્ટ્ર સરકારના મહેસૂલ વિભાગે એક મોટું પગલું ભર્યું છે. સરકારે જમીનના 7/12 અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ડિજિટલ 7/12, 8-A અને ફેરફાર ઉતારાને કાયદેસર માન્યતા આપી છે. હવે લોકોને તલાટી ઓફિસ જવાની જરૂર નથી, ફક્ત ₹ 15માં અધિકૃત કોપી મળશે. સત્તાવાર 7/12 મેળવવા માટે લોકોને નાકે દમ આવે છે. ઘણી જગ્યાએ લાંચ આપ્યા વિના સત્તાવાર સાતબાર મળી શકતી નહતી. ક્યારેક, જો કોઈ વ્યક્તિ લાંચ આપવાનો ઇનકાર કરે છે તો તેને તલાટી ઓફિસનો ભ્રષ્ટ સ્ટાફ એવા ચકડોળે ચઢાવે કે જમીનના કામો ટલ્લે ચઢી જાય. જોકે, હવે સરકારના નવા નિર્ણયને કારણે લોકોને તલાટી કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં.

આ નિર્ણયથી સેંકડો રખડી પડેલા જમીન સંબંધિત વ્યવહારોનો તાત્કાલિક ધોરણે નિકાલ આવશે અને કરોડો લોકોને મોટો ફાયદો થશે. ડિજિટલ 7/12ને હવે કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. આ અંગે એક સરકારી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવાનું મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ માહિતી આપી હતી.

બાવનકુળેએ X પર એક પોસ્ટમાં કહ્યું છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્ર સરકારે ડિજિટલ 7/12, 8-A અને ફેરફાર ઉતારાને કાયદેસર રીતે માન્ય કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

આ નિર્ણયથી રાજ્યના લોકોને ઘણા ફાયદા થશે જેમ કે ડિજિટલ 7/12ને સત્તાવાર માન્યતા, સત્તાવાર કોપી ફક્ત 15 રૂપિયામાં ઉપલબ્ધ થશે, ઉપરાંત, તલાટીની સહી અને સ્ટેમ્પની જરૂર રહેશે નહીં અને ડિજિટલ સહી, QR કોડ અને 16-અંકના ચકાસણી નંબર સાથે 7/12, 8-A અને ફેરફાર ઉતારા સરળતાથી ઉપલબ્ધ થશે.

આ ડિજિટલ પ્રમાણપત્રો તમામ સરકારી, અર્ધ-સરકારી, બેંકિંગ અને ન્યાયિક કાર્યો માટે માન્ય રહેશે. આ નિર્ણય ખેડૂતો, જમીનમાલિકો અને સામાન્ય નાગરિકોને સુવિધા આપશે. અમારી સરકાર પારદર્શિતા અને ઝડપી સેવાનો એક નવો અધ્યાય લખી રહી છે. મને ખાતરી છે કે રાજ્યના લોકો આ નિર્ણયનું સ્વાગત કરશે.

December 5, 2025
image-4.png
1min124

સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ,

Indigo Crisis News : ગુરુવારે સતત ત્રીજા દિવસે વિમાનના પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. દેશના ત્રણ મહત્વના એરપોર્ટ પરથી ઇન્ડિગોએ 550 થી વધુ ફ્લાઇટસ ગુરુવારે રદ કરી હતી. મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નઇ, હૈદ્રાબાદ, અમદાવાદ, કોલકત્તા એમ તમામ એરપોર્ટસ પર પ્રવાસીઓ હેરાન થયા હતા. તેઓ ધારેલા આયોજનોમાં પહોંચી શક્યા ન હતા. જોકે આ તમામ ગરબડ માટે ઈન્ડિગોએ તમામ મુસાફરોની માફી માગી હતી.

સોશિયલ મીડિયા પર મોટાં એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓનાં ટોળાં જામ્યા હોય અને ઈન્ડિગોના સ્ટાફ સાથે બોલાચાલી કરી રહ્યાં હોય તેવાં દ્રશ્યો વાયરલ થયાં હતાં. કેટલાય પ્રવાસીઓએને ફલાઈટ માટે છથી 12 કલાક સુધી રાહ જોવાનો વારો આવતાં તેમનાં બીપી વધી ગયાં હતાં તો કેટલાક પ્રવાસીઓ તેમના મહત્વના આયોજનો ખોરવાઈ જતાં રડી પડયાં હતાં. લોકોએ સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટસ તથા વીડિયો વાયરલ કરી સરકાર પાસે આ પરિસ્થિતિમાંથી ઉગરવા માટે મદદની પોકાર કરી હતી. જોકે, ઈન્ડિગો સત્તાવાળાઓએ હાથ ઊંચા કરી દીધા હતા.

સેંકડો પ્રવાસીઓ નિર્ધારિત ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચી શક્યા ન હોવાથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ પણ ચૂકી ગયા હતા. એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો જવાબ માગ્યો હતો. ફ્લાઇટસ ખોરવાઇ રહી છે તે બાબતમાં પ્લાન લઇને આવવાનું ઇન્ડિગોને કહેવામાં આવ્યું હતું.

દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે 44 ઇનકમિંગ અને ડિપાર્ટિંગ ફ્લાઇટસ રદ કરાઇ હતી. એક પ્રવક્તાએ કહ્યું કે ગઇકાલના ચેકઇન સિસ્ટમ ખોરવાઇ હતી તે પછી એરલાઇને એરપોર્ટને અને ગ્રાહકોને જાણ કરી હતી. બેંગ્લુરુના કેમ્પેગોવડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 70 ફ્લાઇટસ રદ થઇ હતી જેમાં 40 ડિપાર્ટિંગ અને 30 ઇનકમિંગ ફ્લાઇઠસ રદ કરાઇ હતી.

મુંબઇ એરપોર્ટ પર 86 ફ્લાઇટસ રદ કરાઇ હતી જેમાં 45 ડિપાર્ટિંગ અને ૪૧ ઇનકમિંગ ફ્લાઇટસ હતી. ચેન્નઇ એરપોર્ટ પર 13 ડિપાર્ટિંગ અને 13 ઇનકમિંગ ફ્લાઇટસ રદ થઇ હતી.

ચેન્નઇમાં હવામાન પ્રતિકૂળ હતું તે પણ એક કારણ હતુ તેવું એક સ્ત્રોતે કહ્યું હતું. એક એરલાઇનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બુધવારે એરલાઇનનું સર્વર ધીમુ પડી ગયું હતું. બોર્ડિંગ પાસ ઇસ્યુ કરવામાં ઘણો વિલંબ થયો હતો. અને ફ્લાઇટસ પણ મોડી પડી હતી. ઇન્ડિગોમાં કોકપીટ ક્રૂ અને કેબિન ક્રૂ બંનેની શોર્ટેજ ચાલે છે. તાજેતરમાં એક ઇન્ટરનેશનલ એરલાઇને દિલ્હી અને મુંબઇમાં ભરતી ઝુંબેશ હાથ ધરી હતી. તે પણ એક કારણ હોવાનું માનવામાં આવે છે.

ઇન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું હતું કે કામકાજ રાબેતા મુજબ કરવા અને સમયસર ફ્લાઇટસ ઉડાડવાનો અમે નિર્ધાર કર્યો છે. અમારો તાત્કાલિક લક્ષ્ય છે. ગ્રાહકોને સારો અનુભવ આપવાનો વાયદો નિભાવવામાં કંપની નિષ્ફળ છે તેવું સીઇઓએ સ્ટાફને મોકલેલા સંદેશમાં કહ્યું હતું સામાન્ય સ્થિતિ બહાલ કરવી સહેલું નથી તેવું તેમણે સ્વીકાર્યું હતું.

ઈન્ડિગો દ્વારા ઓછી ભરતીના કારણે સંકટ: પાયલોટ સંગઠન

ઇન્ડિગો ઘણા સમયથી ક્રૂની ઓછી ભરતી કરવાનું વલણ અપનાવી રહ્યું છે અને પાયલોટસની ભરતી તો લગભગ બંધ કરી દીધુ તેવું ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટસ (એફઆઇપી)એ ગુરુવારે કહ્યું હતું.

એફઆઇપીએ એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએને પત્ર લખીને જણાવ્યું હતું કે ઇન્ડિગોએ ઇન્ડસ્ટ્રીના વલણથી વિપરીત ઓછા મેનપાવર વ્યૂહરચના અપનાવી છે, પાયલોટસના આરામના કલાકો અને ડયુટી- સમયમાં ફેરફારોના નિયમો અંગે કંપનીને જાણ હતી અને ભરતી કરવા બે વર્ષનો સમય મળ્યો હતો. પણ ખર્ચ ઘટાડવા પાયલોટસની નવી ભરતી બંધ કરી હતી. અન્ય એરલાઇન્સના પાયલોટસને નહીં લેવા અંગેના કરારો કર્યા હ તા પાયલોટસના પગાર વધારો અટકાવ્યો હતો.

નવા ક્રૂ- રોસ્ટિંગ ધારા ધોરણે અમલમાં આવ્યા અને શિયાળો, પ્રતિકૂળ હવામાન, એરપોર્ટસનું કન્જેશન વિગેરે પરિબળોના લીધે બફર કેપેસિટી (વધારાના કર્મચારીઓ)ની જરૂર પડી હતી ત્યારે તકલીફ પડી ગઇ છે. ટુંકા ગાળાના નિર્ણયો અને કાર્યક્ષમ ભરોસાપાત્ર નીવડવાને બદલે એરલાઇને ખર્ચ ઘટાડવા પર ધ્યાન આપ્યું હોવાથી આવી કટોકટીનું નિર્માણ થયું છે.

December 5, 2025
image-3.png
1min109

ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો રશિયન ઈંધણ અમેરિકા ખરીદી શકે, તો ભારત કેમ નહીં? તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ માટે સતત પ્રહાર કરી રહ્યું છે. જેના કારણે ભારત પર ભારે ટેરિફ પણ લગાવવામાં આવ્યો છે.

એક ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં પુતિને કહ્યું કે, ‘અમેરિકા પોતાના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે હંમેશાથી ન્યૂક્લિયર ફ્લૂલ ખરીદવાનું શરૂ રાખે છે. એ પણ તો ઇંધણ જ છે. એનર્જી છે. આ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે યૂરેનિયમ છે, જે અમેરિકામાં કામ કરે છે. જો અમેરિકા પાસે ફ્યુલ ખરીદવાનો અધિકાર છે, તો ભારતને આ અધિકારથી વંચિત કેમ રાખવામાં આવે? આ ખૂબ જ ઝીણવટથી અધ્યયન કરવા જેવો મુદ્દો છે. અમે પ્રમુખ ટ્રમ્પ સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ.’

રશિયાના પ્રમુખે રશિયા પર પશ્ચિમી પ્રતિબંધોને ધ્યાને રાખીને ભારત દ્વારા ક્રૂડ ઓઇલની ખરીદી ઓછી કરવા વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ‘આ વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન કુલ વેપાર ટર્નઓવરમાં થોડો ઘટાડો થયો છે. આ એક નાનો ફેરફાર છે. એકંદરે, અમારું વેપાર ટર્નઓવર લગભગ તેના પાછલા સ્તરે જ જળવાયેલું છે..

પુતિને આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, કેટલીક વૈશ્વિક શક્તિઓ વૈશ્વિક બજારોમાં ભારતની વધતી શક્તિથી ચિંતિત છે. રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા અંગે પશ્ચિમની ચિંતાઓ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણય ભારતના વધતા આર્થિક પ્રભાવ અંગેની ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. બંને દેશો વચ્ચેની ઊર્જા ભાગીદારીનો પાયો લાંબો છે. ભારત સાથેના અમારા ઊર્જા સહયોગ પર વર્તમાન પરિસ્થિતિ, રાજકારણ અથવા યુક્રેનની ઘટનાઓનો કોઈ પ્રભાવ પડ્યો નથી.

અમેરિકાના આક્રમક વલણ વિશેના પ્રશ્નના જવાબમાં, રશિયન પ્રમુખે કહ્યું કે, “કેટલાક બાહ્ય દબાણ છતાં, મેં કે વડાપ્રધાન મોદીએ ક્યારેય અમારી ભાગીદારીનો ઉપયોગ કોઈની વિરુદ્ધ કામ કરવા માટે કર્યો નથી.”

ડોનાલ્ડ ટ્રમ્પ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પોતાનો એજન્ડા છે, પોતાના લક્ષ્ય છે. જોકે, અમારૂ ધ્યાન અમારા પર છે. કોઈની વિરૂદ્ધમાં નહીં. અમારૂ લક્ષ્ય પોતપોતાના હિત, ભારત રશિયાના હિતનું રક્ષણ કરવું છે.’

નોંધનીય છે કે, રશિયાના પ્રમુખ પુતિનની ભારત યાત્રા એવા સમયે થઈ રહી છે. જ્યારે ભારત-અમેરિકાના સંબંધ છેલ્લા બે દાયકામાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને અમેરિકાએ ભારતીય સામાન પર ભારે 50 ટકા ટેરિફ પણ લાદી દીધો છે. જેમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી પર 25 ટકા ટેરિફ પણ સામેલ છે.

December 2, 2025
image-2.png
1min100

કેન્દ્રીય નાણાં મંત્રીએ લોકસભામાં આપેલી માહિતી મુજબ, ભાગેડૂ આર્થિક અપરાધીઓ પાસેથી બાકી વસૂલાતની કુલ રકમમાં ₹ 26,645 કરોડની મુદ્દલ રકમ અને ₹ 31,437 કરોડના વ્યાજનો સમાવેશ થાય છે.

સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બર, 2025થી શરૂ થઈ ગયું છે. સત્રના પહેલા દિવસે સંસદમાં જબરદસ્ત હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન, સરકારના મંત્રીઓએ સાંસદો દ્વારા પૂછવામાં આવેલા ઘણા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. સંસદમાં મોદી સરકારે જણાવ્યું છે કે ‘ભાગેડુ આર્થિક અપરાધી’ જાહેર કરાયેલા 15 લોકો પર ભારતની જાહેર ક્ષેત્રની બેંકોના કુલ ₹ 58,082 કરોડના લેણા બાકી છે. આ માહિતી કેન્દ્રીય નાણાં મંત્રાલયે સોમવારે લોકસભામાં આપી હતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ રકમમાં 31 ઓક્ટોબર 2025 સુધીમાં ₹26,645 કરોડની મુદ્દલ રકમ અને ₹31,437 કરોડના વ્યાજનો સમાવેશ થાય છે.

ભાગેડુ આર્થિક અપરાધીઓની યાદીમાં વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા મોટા નામોનો સમાવેશ થાય છે, જેમને ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, 2018 (FEOA) હેઠળ FEO એટલે ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યા છે. 15 ભાગેડુઓ માંથી 9 જાહેર ક્ષેત્રની બેંકોના નાણાકીય છેતરપિંડી કેસમાં સંકળાયેલા છે. નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં લેખિત જવાબમાં આ સંખ્યા અને બાકી રકમની પુષ્ટિ કરી છે.

અત્યાર સુધીમાં બેંકો આ ભાગેડુ આર્થિક અપરાધીઓ પાસેથી લગભગ 19,187 કરોડ રૂપિયા વસૂલ કરવામાં સક્ષમ છે. આનો અર્થ એ છે કે કુલ 58,082 કરોડ રૂપિયાના દાવામાંથી લગભગ 33% વસૂલ કરવામાં આવ્યા છે. 15 ભાગેડુઓ માંથી બે બેંકો સાથે વન ટાઇમ સેટલમેન્ટની વાટાઘાટો કરી ચૂક્યા છે. સરકાર સંપત્તિ જપ્ત કરવા, પ્રત્યાર્પણ કરવા અથવા બાકીની રકમ વસૂલવા માટે કાનૂની કાર્યવાહી કરવાનું ચાલુ રાખી રહી છે.

આરોપી ભાગેડુઓ દ્વારા કરવામાં આવેલા આ ડિફોલ્ટ જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય પ્રણાલી માટે એક મોટો પડકાર છે. 31 હજાર કરોડ રૂપિયાથી વધુનું મોટું વ્યાજ એ દર્શાવે છે કે જવાબદારીઓ કેટલી ઝડપથી વધી રહી છે. હકીકત એ છે કે અત્યાર સુધીમાં બાકી રકમનો માત્ર એક તૃતીયાંશ ભાગ જ વસૂલવામાં આવ્યો છે. આ આંકડા નાણાકીય ગુનાને કેવી રીતે રોકવા અને તેના પર કાર્યવાહી કરવી તે વિશે પણ ચિંતા કરી રહ્યા છે.

સંસદના શિયાળુ સત્રનો પ્રથમ દિવસ તોફાની હતો. વિપક્ષ એસઆઈઆર અને દિલ્હી બ્લાસ્ટ જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યું છે, જ્યારે કેન્દ્ર સરકાર આ સત્રમાં 10 મહત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સરકાર પણ એક દિવસ માટે વંદે માતરમ પર ચર્ચા કરવા માંગે છે.

December 2, 2025
image-1.png
1min105

સરકારનો મોટો આદેશઃ સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ થશે સરકારી એપ્લિકેશન, ડિલીટ નહીં

ભારત સરકારે દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના જોખમો અને મોબાઇલ ચોરીને રોકવા માટે સૌથી મોટું પગલું ભર્યું છે. સરકારે તમામ મોબાઇલ કંપનીને આદેશ આપ્યો છે કે તેઓ ભારતમાં વેચતા પોતાના નવા ફોનમાં સરકારી સાયબર સુરક્ષા એપ ‘સંચાર સાથી’ને પ્રી-લોડ કરીને વેચે. આ એપ્લિકેશન ચોરાયેલા ફોન શોધવા, બનાવટી IMEI નંબર ઓળખવા અને છેતરપિંડીવાળા કોલ્સની માહિતી મેળવવામાં મદદરૂપ થાય છે. જોકે, આ આદેશથી એપલ જેવી કંપનીઓની ચિંતા વધી છે, જેઓ ફોનમાં પહેલાથી કોઈ એપ ઇન્સ્ટોલ કરીને વેચવાની પોલિસી ધરાવતી નથી.

સરકારે એક આદેશ જારી કર્યો છે કે ભારતમાં બનતા અને વેચાતા તમામ સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી’ એપ પહેલેથી હાજર હોવી જોઈએ અને યુઝર તેને અનઇન્સ્ટોલ પણ નહીં કરી શકે. મીડિયાના અહેવાલ મુજબ આ ફેરફાર લાગુ કરવા માટે કંપનીને 90 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી ગઈ છે અને તેમણે દાવો કર્યો છે કે આ અંગે તેમની સાથે કોઈ સલાહ-મસલત કરવામાં આવી નથી. સરકારનો હેતુ સ્પષ્ટ છે કે મોબાઇલ ચોરી, નકલી IMEI નંબર, છેતરપિંડીવાળા કોલ અને સાયબર ફ્રોડ જેવી સમસ્યાઓ પર નિયંત્રણ મેળવે.

સરકારે દાવો કર્યો છે કે આ એપ રાષ્ટ્રીય સ્તરે મોબાઇલ સુરક્ષાને મજબૂત બનાવે છે અને ગુનેગારો માટે ચોરીના ફોન વેચવાનું મુશ્કેલ બનાવે છે. આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ થયેલી ‘સંચાર સાથી’ એપ અત્યાર સુધીમાં 50 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.

સરકારી આંકડા દર્શાવે છે કે આ એપની મદદથી 3.7 મિલિયનથી વધુ ચોરાયેલા અથવા ખોવાયેલા ફોન બ્લોક કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગયા ઓક્ટોબરમાં આ એપ દ્વારા 50 હજાર સ્માર્ટફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને 30 મિલિયનથી વધુ નકલી મોબાઇલ કનેક્શન પણ બંધ કરવામાં આવ્યા છે.

ભલે આ આદેશથી સ્માર્ટફોન કંપનીઓની ચિંતા વધી હોય, પરંતુ યુઝરના દૃષ્ટિકોણથી આ નિર્ણય ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્માર્ટફોન કંપનીઓ પહેલેથી જ તેમના ફોનમાં અન્ય પ્રી-લોડેડ એપ્સ આપતી હોય છે, તેથી એક વધારાની સુરક્ષા એપ ઉમેરાવાથી યુઝરને ખાસ ફરક નહીં પડે.

ઉલટાનું, આ એપ દ્વારા યુઝર્સને સાયબર જોખમોથી સુરક્ષિત રહેવા, ચોરાયેલા ફોન પાછા મેળવવા અથવા બ્લોક કરાવવા, નકલી નંબર/IMEI નંબરની ફરિયાદ કરવા અને શંકાસ્પદ નંબરોને ચેક કરવા જેવી મહત્વની સુવિધાઓ સરળતાથી મળી રહેશે. તેથી, સરકારનો આ નિર્ણય યુઝર્સની સુરક્ષા માટે એક સકારાત્મક પગલું છે.