CIA ALERT

Blog - Page 168 of 696 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
November 16, 2021
indiavsnz.jpg
1min452

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જયપુરમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતનો પાંચ વિકેટે રોમાંચક વિજય થયો છે. રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. રોહિત શર્માએ 48 રન તેમજ સૂર્યકુમાર યાદવે 62 રનની તાબડતોડ ઈનિંગ રમતા ભારતે બે બોલ બાકી હતા ત્યારે જ ન્યૂઝીલેન્ડનો 165 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ક્રિકેટની તમામ ફોરમેટમાં ન્યૂઝીલેન્ડ સામે સતત સાત મેચ હારવાના સીલસીલા પર ભારતે બ્રેક મારી દીધી હતી. ત્રણ ટી20 મેચની સીરિઝમાં ભારત કિવિઝ સામે 1-0થી આગળ રહ્યું છે. 

ભારત માટે આ ટી20 અનેક રીતે મહત્વની હતી. સૌપ્રથમ વખત ટી20 ઈન્ટરનેશલ મેચમાં ભારતીય ટીમ તેના નવા કોચ રાહુલ દ્રવિડ અને નવા કાયમી કેપ્ટન રોહિત શર્મા સાથે ઉતરી હતી. આ મેચમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો અને વેંક્ટેશ ઐય્યરે ડેબ્યૂ કર્યું હતું. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. ગ્રીન ટોપ પીચ પર ચેઝ કરવું સરળ રહેવાનો રોહિત શર્માનો દાવ કેટલાક અંશે સફળ રહ્યો હતો.

ન્યૂઝીલેન્ડને પ્રથમ ઓવરમાં જ ભૂવનેશ્વર કુમારે ઝાટકો આપ્યો હતો અને ત્રીજા બોલ પર ડેરિલ મીચેલ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો. અન્ય ઓપનર માર્ટિન ગુપ્ટિલે 70 રન અને માર્ક ચેપમેને 63 રનની ઈનિંગ રમી હતી અને બન્ને વચ્ચે બીજી વિકેટની 110 રનની ભાગીદારી થઈ હતી. રવિચંદ્રન અશ્વિને મેચની 14મી ઓવરમાં ચેપમેનને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ત્યારબાદ તે જ ઓવરના પાંચમા બોલ પર ગ્લેન ફિલિપ્સને શૂન્ય રને એલબીડબલ્યુ આઉટ કરી અશ્વિને કિવિઝને ત્રીજો આંચકો આપ્યો હતો. અશ્વિન ઉપરાંત ભૂવનેશ્વર કુમારે પણ બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સીરાજ અને રાહુલ ચહરે એક-એક વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા. 

ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત મક્કમ રહી હતી. પ્રથમ વિકેટ માટે કે એલ રાહલુ (15) અને રોહિત શર્મા (48) વચ્ચે 50 રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્યારબાદ કે એલ રાહુલ મીચેલ સેન્ટરના બોલ પર ચેપમેનના હાથે કેચ આઉટ થયો હતો. ત્રીજા ક્રમે બેટિંગમાં ઉતરેલા સૂર્યકુમાર યાદવે 40 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 62 રન ફટકાર્યા હતા અને ભારત માટે જીતનો પાયો નાંખ્યો હતો. રિષભ પંચ 17 રને અણનમ રહ્યો હતો. કિવિઝ તરફથી ટ્રેન્ટ બોલ્ટે બે વિકેટ ઝડપી હતી. કેપ્ટન ટીમ સાઉથી, મિચેલ સેન્ટનર અને ડેરિલ મિચેલે એક-એક વિકેટ લીધી હતી. ભારતે અંતિમ છ ઓવરમાં 51 રન કર્યા હતા અને ત્રણ વિકેટ ગુમાવી હતી જેમાં રોહિત શર્મા, શ્રેયસ ઐય્યર (5) અને વેંક્ટેશ ઐય્યર (4)નો સમાવેશ થયો હતો. કિવિ ટીમે 14 રન એક્સ્ટ્રા આપ્યા હતા જે તેમને ભારે પડ્યા હતા. ભારતીય ટીમે 19.4 ઓવરમાં 166 રન કરી મેચમાં વિજય મેળવ્યો હતો. હવે 19મી નવેમ્બરે બન્ને ટીમો વચ્ચે રાંચીમાં બીજી ટી20 મેચ રમાશે.     

17/11/21 બુધવારે : India Vs Newzealand પ્રથમ ટી-૨૦ મૅચ

ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે બુધવારે પ્રથમ ટી-૨૦ મૅચ રમાશે. જોકે, ભારે ઝાકળને કારણે ટૉસ જિતનાર ટીમને વધુ લાભ મળવાની શક્યતા નહિવત છે. 

આઠ વર્ષ બાદ જયપુર બુધવારે પ્રથમ આંતરરાષ્ટ્રીય મૅચનું યજમાનપદ સંભાળશે. 
‘પીન્ક સિટી’ તરીકે જયપુર આવનારાઓને ઠંડીના ચમકારાનો અનુભવ થશે. ટૉસ જિતનાર ટીમને પ્રથમ ઈનિંગમાં લાભ મળવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ટી-૨૦ મૅચ હોવાને કારણે આ પીચ પર મોટો સ્કૉર નોંધાય તેવી શક્યતા છે. 

મૅચના દિવસે અમે ઝાકશવિરોધી સ્પ્રેનો ઉપયોગ કરીશું એમ અધિકારીઓએ કહ્યું હતું. જોકે, ઝાકળની અસર ખૂબ જ મર્યાદિત હશે, એમ તેમણે કહ્યું હતું. 

દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળતાં મે મહિનામાં આઈપીએલ રદ કરવામાં આવ્યા બાદ ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પુનરાગમન થશે. સ્ટેડિયમમાં પ્રવેશવા વ્યક્તિ ઓછામાં ઓછું આંશિક વૅક્સિનેશન કરાવેલું હોવું જોઈએ. વૅક્સિનેશન ન કરાવનાર વ્યક્તિ આરટી-પીસીઆરનો નૅગેટિવ રિપોર્ટ દેખાડી સ્ટેડિયમમાં પ્રવેશી શકશે.

November 15, 2021
sigachi.png
1min695

સિગાચી ઈન્ડસ્ટ્રીઝના શેર્સનું આજે સ્ટેક એક્સચેન્જમાં લિસ્ટિંગ થયું છે અને તેણે તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે. સિગાચી ઈન્ડસ્ટ્રીઝના શેર્સ બીએસઈ ખાતે 252.76 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયા છે. તેની ઈસ્યુ પ્રાઈઝ 163 રૂપિયા હતી અને બીએસઈ ખાતે તે 570 રૂપિયા સાથે લિસ્ટિંગ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર તે 570 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટિંગ થયો છે.

સિગાચીનો ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1થી 3 નવેમ્બર દરમિયાન સબસ્ક્રાઈબ માટે ઓપન થયો હતો. કંપનીએ આ આઈપીઓ દ્વારા 125.43 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. તેની ઈસ્યુ પ્રાઈઝ 161-163 રૂપિયા પ્રતિ શેર હતી.

લિસ્ટિંગના 24 કલાક અગાઉ ગ્રે માર્કેટમાં તેનું તડગું પ્રીમિયમ બોલાઈ રહ્યું હતું. ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ 220-230 રૂપિયા બોલાઈ રહ્યું હતું. રોકાણકારો તરફથી પણ આ ઈસ્યુને અદ્દભુત પ્રતિસાત મળ્યો હતો અને તે 120 ગણો ભરાઈ ગયો હતો.

સિગાચી ઈન્ડસ્ટ્રીઝના લિસ્ટિંગને લઈને રોકાણકારો ઉપરાંત નિષ્ણાતો પણ આતુર હતા. એનાલિસ્ટોએ અપેક્ષા રાખી હતી કે હૈદરબાદાની માઈક્રોક્રિસ્ટલલાઈન સેલ્યુલોસ (એમસીસી) બનાવતી કંપની બીજી પારસ ડિફેન્સ ટેક્નોલોજીસ સાબિત થઈ શકે છે. જોકે, આ કંપનીએ તો પારસ ડિફેન્સનો પણ રેકોર્ડ તોડી દીધો છે જેનું લિસ્ટિંગ 175 ટકાના પ્રીમિયમે થયું હતું.

એમસીસી ફાર્માસ્યુટિકલ, ફૂડ, ન્યુટ્રાસ્યુટિકલ્સ અને કોમ્સેટિક્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સિગાચીના ત્રણ પ્લાન્ટ છે જેમાંથી એક હૈદરાબાદમાં અને બાકીના બે ગુજરાતમાં છે. સિગાચીના શેર્સનું 220 રૂપિયા પ્રતિ શેરના પ્રીમિયમે લિસ્ટિંગ થશે તેવું ગ્રે માર્કેટમાં બોલાઈ રહ્યું છે જે તેના ઈસ્યુ પ્રાઈઝ 163 રૂપિયાથી 135 ટકા વધારે છે.

ગ્રે માર્કેટને ટ્રેક કરી રહેલા ડીલર્સે જણાવ્યું હતું કે, કંપનીના ફન્ડામેન્ટલ્સ ઘણા જ મજબૂત છે તથા ગ્રોથ પણ ઘણો જ મજબૂત છે. આ ઉપરાંત તેનું વેલ્યુએશન પણ યોગ્ય છે. અનલિસ્ટેડઅરેનાના કો-ફાઉન્ડર અભય દોષીએ જણાવ્યું હતું કે, ઈસ્યુ થોડો નાનો છે અને તેને જોરદાર સબસ્ક્રિપ્શન મળ્યું છે. કંપની પાસે રોકાણકારોને આપવા માટે ઘણું છે. કંપનીનો ગ્રોથ સાતત્યપૂર્ણ રહ્યો છે. શરૂઆતના થોડા દિવસોમાં આ સ્ટોક સર્કિટથી સર્કિટ મૂવ કરશે.

November 15, 2021
drugs.jpg
1min411

ગુજરાત રાજ્ય પણ ધીમે ધીમે ડ્રગ્સનું હબ બની રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં ફરી એક વાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATSએ મોરબી જિલ્લાના માળિયા-મિયાણામાંથી 120 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ અંગે હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જાણકારી આપી છે. 

દ્વારકામાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ એનસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ દરમિયાન ગુજરાત ATSએ મોરબી જિલ્લાના માળિયા-મિયાણામાંથી 120 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો સપ્લાય થતો હોવાના ઘટસ્ફોટ બાદ હવે પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે. 

આ પહેલાં 21 હજાર કરોડનું ડ્રગ્સ કચ્છના મુંદ્રા બંદરે ઝડપાયું હતું. ત્યાર બાદ દ્વારકામાં 17 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. દ્વારકામાં  35દ કરડોનું ડ્રગ્સ ઝડપાયું હતું. અને હવે મોરબીમાં 120 કિલો ડ્રગ્સ મળી આવતાં ચકચાર મચી છે. આ મામલે વધુ તપાસ થઈ રહી છે.   

November 15, 2021
priyanka-1.jpg
1min413

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મહત્ત્વનું એલાન કર્યું છે. બુલંદશહેરમાં જનસભાને સંબોધન કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, યુપી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ એકલા પોતાના દમ ઉપર લડશે. પક્ષના કાર્યકર્તાઓએ આગામી વિધાનસભા ચૂંટણી માટે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન ન કરવા માટે અપીલ કરી છે. જેને લઈને તમામ કાર્યકરોને આશ્વાસન આપે છે કે યુપીમાં કોંગ્રેસ પોતાના દમ ઉપર ચૂંટણી લડશે.

યુપીનાં રાજકારણમાં છેલ્લા ઘણા દિવસથી ચર્ચા હતી કે આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસને એક ગઠબંધનની દરકાર છે. પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીની પહેલાં પ્લેનમાં અખિલેશ સાથે મુલાકાત અને બાદમાં એરપોર્ટના વીઆઇપી લોજમાં આરએલડી ચીફ જયંત ચૌધરી સાથે મુલાકાતની તસવીરો ગઠબંધન તરફ ઈશારો કરી રહી હતી. જો કે બુલંદશહેરમાં રવિવારે એક કાર્યક્રમ દરમિયાન પ્રિયંકાએ સ્પષ્ટ કર્યું છે કે, કોંગ્રેસ પોતાના દમ ઉપર ચૂંટણી લડશે. પ્રિયંકાએ કહ્યું હતું કે ઘણા લોકોએ ગઠબંધન ન કરવાની અપીલ કરી છે.’

November 15, 2021
income-tax-filing.jpg
1min458

આવકવેરા વિભાગે રવિવારે Dt.14/11/21 જણાવ્યું હતું કે કરદાતાઓ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર હવે પોતાનું નવું ઍન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (એઆઇએસ) જોઇ શકશે, જેમાં વ્યાજ, ડિવિડન્ડ, શૅર અને મ્યુચ્યુઅલ ફંડની લેવેચ અને વિદેશથી રેમિટન્સ જેવી વધારાની બાબતો પણ ઉમેરવામાં આવી છે. 

આવકવેરા વિભાગે ગયા મહિને કરદાતાના ફોર્મ 26ASમાં ઉપર જણાવ્યા 
અનુસારની વધારાની મોટી રકમની નાણાકીય લેવડદેવડની વિગતોનો ઉમેરો કર્યો હતો. 
ફોર્મ ૨૬એએસ એ વાર્ષિક સંયુક્ત ટૅક્સ સ્ટેટમેન્ટ છે અને આવકવેરાની વૅબસાઇટ પરથી કરદાતા પોતાના પૅન નંબરના આધારે એ જોઇ શકે છે. 

આઇટી વિભાગે ટ્વિટર પર જણાવ્યું હતું કે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર હવે સરળતાથી એઆઇએસને જોઇ અને પીડીએફ, સીએસવી તથા યુસોન (મશીન વાંચી શકે એવી ફોર્મેટ)માં ડાઉનલોડ કરી શકાશે. એ માટે ઇન્કમટેક્સ ડોટ ગોવ ડોટ ઇન સાઇટ પર જઇને સર્વિસીઝ ટૅબ નીચેની એઆઇએસ લિંક પર ક્લિક કરવાની રહેશે.

November 15, 2021
t20_world.jpg
1min431

ન્યૂ ઝીલેન્ડે રવિવારે ફાઇનલમાં પ્રથમ બૅટિંગ કરતા ૨૦ ઑવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૭૨ રન કર્યા હતા અને તેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ ૧૮.૫ ઑવરમાં  બે વિકેટ ગુમાવીને ૧૭૩ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાનો આઠ વિકેટે વિજય થયો હતો. ડેવિડ વોર્નરે ૫૩, મિશેલ માર્શે ૭૭ અને ગ્લેન મેક્સવેલે ૨૮ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડની બૅટિંગમાં કેન વિલિયમ્સને ૪૮ બૉલમાં ૮૫ રન કર્યા હતા. હેઝલવૂડ ઑસ્ટ્રેલિયાનો સૌથી વધુ સફળ બૉલર રહ્યો હતો. તેણે ચાર ઑવરમાં માત્ર ૧૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

એડમ ઝમ્પાએ ચાર ઑવરમાં ૨૬ રન આપીને એક વિકેટ લીધી હતી. માર્ટિન ગપ્ટિલે ૩૫ બૉલમાં ૨૮ રન કર્યા હતા. ઝમ્પાની બૉલિંગમાં સ્ટોઇન્સે તેનો કૅચ પકડ્યો હતો. ડેરીલ મિશેલ આઠ બૉલમાં ૧૧ રન કરીને આઉટ થયો હતો. હેઝલવૂડની બૉલિંગમાં વેડે તેનો કૅચ પકડ્યો હતો. કેન વિલિયમ્સનની વિકેટ પણ હેઝલવૂડે લીધી હતી. સ્મિથે તેનો કૅચ પકડ્યો હતો.

ગ્લેન ફિલિપ્સે ૧૭ બૉલમાં ૧૮ રન કર્યા હતા. હેઝલવૂડની બૉલિંગમાં મેક્સવેલે તેનો કૅચ પકડ્યો હતો. જેમ્સ નીશેમે સાત બૉલમાં ૧૩ રન અને ટિમ સેફર્ટે છ બૉલમાં આઠ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડની પહેલી વિકેટ ૨૮ રને, બીજી વિકેટ ૭૬ રને, ત્રીજી વિકેટ ૧૪૪ રને અને ચોથી વિકેટ ૧૪૮ રને પડી હતી. ઑસ્ટ્રેલિયાના બૉલર્સમાં સૌથી વધુ ખર્ચાળ મિશેલ સ્ટાર્ક રહ્યો હતો. તેણે ચાર ઑવરમાં ૬૦ રન આપ્યા હતા.   

November 14, 2021
Kangana_Ranaut_PTI.jpg
1min496

બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે તાજેતરમાં જાહેર મંચ પર આઝાદી અંગે કરેલા વાંધાજનક નિવેદનથી વિવાદનો વંટોળ ઉઠ્યો છે. શિવસેનાએ એક્ટ્રેસને આડેહાથ લીધી હતી અને તેના તમામ રાષ્ટ્રીય એવોર્ડ પરત લઈ લેવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે કંગના રનૌતે 1947માં મળેલી આઝાદીને ભીખ ગણાવી હતી અને ભારતને અસલી આઝાદી 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે મળી તેવું નિવેદન કર્યું હતું. તેના આ નિવેદનને ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પણ વખોડ્યું હતું અને કંગનાના આ નિવેદનને ગાંડપણ ગણવું કે દેશદ્રોહ તેવો સવાલ કર્યો હતો.

ગઈકાલે એનસીપી નેતા નવાબ મલિકે કંગનાના નિવેદન અંગે જણાવ્યું કે, જ્યારે કંગના રનૌતે આ નિવેદન કર્યું ત્યારે તેણે હશીશ (ડ્રગ્સ)નો હેવી ડોઝી લીધો હશે. હવે શિવસેનાએ આજે તેના મુખપત્ર સામાનામાં કંગનાના નિવેદની આકરી ટિકા કરી છે.
 
શિવસેનાએ જણાવ્યું કે, દેશના ક્રાંતિકારીઓએ આપેલા બલિદાનના આવા અપમાનને દેશના લોકો ક્યારેત સાખી નહીં લે. દેશના લાખો લોકોએ આઝાદી માટે પ્રાણની આહૂતિ આપી હતી. મોદી સરકારે કંગનાના તમામ રાષ્ટ્રીય એવોર્ડ્સ પરત લઈ લેવા જોઈએ તેમ સેનાએ વધુમાં જણાવ્યું હતું. 

કંગનાના નિવેદનના લઈને શિવસેનાએ અગાઉના સાથી ભાજપ ઉપર પણ નિશાન તાક્યું હતું. શિવસેનાએ જણાવ્યું કે, હવે કંગનાના આવા નિવેદનથી ભાજપની ખોટી રાષ્ટ્રભક્તિનો પર્દાફાશ થયો છે. આ રીતે ક્યારેય કોઈએ દેશના ક્રાંતિકારીઓનું અપમાન નથી કર્યું. એક સમયે ક્રાંતિકારીઓને પદ્મ એવોર્ડ આપવામાં આવતા હતા જ્યારે હવે સરકારે કંગનાને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે.

શિવસેનાએ મુખપત્રમાં વધુમાં જણાવ્યું કે, કંગનાના વડવાઓ દેશની આઝાદીની પ્રક્રિયામાં ક્યાંય હાજર નહતા. આપણા દેશે લાખો ક્રાંતિકારીઓના લોહી, પરસેવા અને આંસુથી આઝાદી મેળવી છે. આ આઝાદીને ભીખ ગણવી દેશદ્રોહ ગણી શકાય. કંગનાની આવી વાત સાંભળીને સરદાર સાહેબની વિશાળ પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) પણ રડી રહી હશે.

November 14, 2021
khel_puraskar.jpeg
1min376

રમતગમતમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ખેલાડીઓ, કોચને આજે રમત ગમત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં રમત પુરસ્કારોનું વિતરણ કર્યું. દર વર્ષે રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપનારને વિવિધ કેટેગરીમાં પુરસ્કારો આપવામાં આવે છે. જેમાં ખેલ, રત્ન, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહક એવોર્ડ, મૌલાના અબુલ કલામ આઝાદ એવોર્ડનો સમાવેશ થાય છે.

રમતગમતની દુનિયામાં સર્વોચ્ચ સન્માન ખેલ રત્ન એવોર્ડ આ વર્ષે 12 ખેલાડીઓને આપવામાં આવ્યો. આ પહેલીવાર છે જ્યારે એક સાથે આટલા બધા ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હોય. પહેલા 11 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહનું નામ પણ તેમાં જોડાયું હતું.

ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ જીતનાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા (Neeraj Chopra)ને આ એવોર્ડ આપવામાં આવ્યો. આ સિવાય પુરુષ કુસ્તીબાજ રવિ દહિયા, મહિલા બોક્સર લવલિના બોર્ગોહેન, હોકી ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશ, પેરાલિમ્પિક મેડલિસ્ટ શૂટર અવની લેખરા, પેરાથ્લેટ સુમિત એન્ટિલ, પેરા બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગત, કૃષ્ણ નાગર, પેરા શૂટર મનીષ નરવાલે પણ અવોર્ડથી સન્માનિત કરાવમાં આવ્યાં છે.  ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ, હોકી ટીમના કેપ્ટન સુનીલ છેત્રીને પણ ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા.

35 લોકોને અર્જુન એવોર્ડ
આ સાથે જ કુલ 35 લોકોને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટાભાગના ખેલાડીઓ હોકી સાથે સંકળાયેલા હતા. જેમાં પુરૂષ અને મહિલા બંને ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતીય પુરુષ હોકી ટીમે ચાર દાયકા બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. આ વખતે ટીમ બ્રોન્ઝ મેડલ સાથે વાપસી કરી હતી.

પુરુષ ટીમમાંથી દિલપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ, રુપિન્દર પાલ સિંહ, સુરેન્દ્ર કુમાર, અમિત રોહિદાસ, બિરેન્દર લાકરા, સુમિત, નીલકાંત શર્મા, હાર્દિક સિંહ, વિવેક સાગર સિંહ, ગુરજંત સિંહ, મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, વરુણ કુમાર છે. આ સાથે જ આમાં ક્રિકેટર શિખર ધવનનું નામ પણ સામેલ છે. આ યાદીમાં તલવારબાજ ભવાની દેવીની સાથે ઘણા પેરા એથ્લેટ્સનો પણ સમાવેશ થાય છે.

આ કોચને દ્રોણાચાર્ય એવોર્ડ મળ્યો 

એથ્લેટિક્સ કોચ ટીપી ઓસેફ, ક્રિકેટ કોચ સરકાર તલવાર એવા કોચમાં સામેલ છે જેમને લાઈફ ટાઈમ કેટેગરીમાં દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આમાં હોકી કોચ સરપાલ સિંહ, કબડ્ડી કોચ આશાન કુમાર અને સ્વિમિંગ કોચ તપન કુમાર પાણિગ્રહીનું નામ પણ સામેલ છે. બીજી તરફ એથ્લેટિક્સ કોચ રાધાકૃષ્ણન નાયર, બોક્સિંગ કોચ સંધ્યા ગુરુંગ, હોકી કોચ પ્રિતમ સિવાચ, પેરા શૂટિંગ કોચ જય પ્રકાશ નૌટિયાલ, ટેબલ ટેનિસ કોચ સુબ્રમણ્યમ રમણને દ્રોણાચાર્ય એવોર્ડની નિયમિત શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે.

લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડની યાદીમાં કોચ લેખ કેસી, ચેસ કોચ અભિજિત કુંટે, હોકી કોચ દવિંદર સિંહ ગરચા, કબડ્ડી કોચ વિકાસ કુમાર, કુસ્તી સજ્જન સિંહના નામ સામેલ છે.ખેલ રત્ન એવોર્ડમાં 25 લાખ રૂપિયાનું રોકડ ઈનામ, મેડલ અને સન્માન પત્ર આપવામાં આવે છે. અર્જુન પુરસ્કારમાં 15 લાખ રૂપિયાની ઈનામી રકમ, એક કાંસ્ય પ્રતિમા અને સન્માનનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રસંગે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, તેમના પુરોગામી કેરેન રિજિજુ અને અન્ય મહાનુભાવો પણ હાજર હતા.

November 14, 2021
nirbhayasuprem.png
1min391

સુરત અને ફરીદાબાદમાં રેલવેની જમીન પર દબાણ મામલે સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રેલવેની જમીન પર જો સ્થાનિક મ્યુનિસિપલ અધિકારીઓએ દબાણની અનુમતિ આપી હોય તો પુનર્વાસની જવાબદારી પણ તેણે જ ઉઠાવવી પડશે. સુરત અને ફરીદાબાદમાં રેલવેની જમીન પર દબાણના મામલે પુનર્વાસની જવાબદારી કોની થાય તે મામલાની સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી કરી હતી. આ મામલાની વધુ સુનાવણી 15 નવેમ્બરે કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાની ધરાવતી બેન્ચે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલને જણાવ્યું હતું કે, પહેલાં તો તમે દબાણ થવા દો છો અને પછી કહો છો કે આ માટે રાજ્ય જવાબદાર છે.

કોર્ટે કહ્યું હતું કે, રેલવેની જમીન જરૂર છે પરંતુ વહીવટ તમારા હાથમાં છે અને તમારે એ સુનિશ્ચિત કરવાનું રહે કે કોઈ ગેરકાયદે કબ્જો અથવા દબાણ થાય નહીં.

અદાલતે મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, સ્થાનિક વહીવટી તંત્રે જો દબાણની મંજૂરી આપી છે તો પુનર્વાસની જવાબદારી રાજ્યની કઈ રીતે થાય. આ જવાબદારી પણ મ્યુનિસિપલ કોર્પોરેશને લેવી પડશે.

November 14, 2021
girnar-arohan.jpg
1min534
ફાઇલ ફોટો. આ વખતે સતત બીજા દિવસે સામાન્ય જનતા માટે લીલીની પરિક્રમા બંધ રાખવામાં આવી છે. તા.14મી નવેમ્બરે મધરાતે ફક્ત 400 સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા શરૂ કરવામાં આવશે.

ગિરિવર ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલ તા.14/11/21ના મધરાતથી વિધિવત્ પ્રારંભ થશે પરંતુ આ વર્ષે કોરોના ગાઇડલાઇનને કારણે માત્ર 400 સાધુ-સંત દ્વારા જ પ્રતિકાત્મક પરિક્રમા હોવાથી તળેટી અને ગિરનારની ગોદ ખાલીખમ રહેશે.

આદિકાળથી યોજાતી લીલી પરિક્રમા કોરોના મહામારીને કારણે સતત બીજા વર્ષે ભાવિકો માટે બંધ રખાય છે. તેથી ભાવિકોમાં કચવાટ પ્રસર્યો છે પરંતુ માત્ર લોકોની સુખાકારી માટે સરકારે નિર્ણય કર્યો છે તેથી ભાવિકોએ પણ મનોમન પરિક્રમાંથી સંતોષ માન્યો છે.

14/11/21 મધરાતથી યોજાનાર પ્રતિકાત્મક પરિક્રમામાં માત્ર 400 સાધુ સંતો જ જોડાઈ શકશે. તેની વિગતો સાધુ સમાજ દ્વારા હજુ જાહેર કરાઈ નથી. દર વર્ષની માફક દેશના વિવિધ ભાગોમાંથી સાધુ સંતો તળેટીમાં’ પહોંચ્યા છે. સાધુ સંતોની સંખ્યા 400 સરકારે નિર્ધારિત કરી છે પણ આ સંખ્યા પૂર્ણ થાય તેવી સંભાવના ઓછી છે. સાધુ સંતો જ પરિક્રમા કરનાર હોવાથી તેઓની વહારે અન્નક્ષેત્ર પણ આવી શકે તેમ નથી. તેથી તેઓએ સીધો-સામાન સાથે લઈ જવો પડશે.

પરિક્રમામાં સાધુ સંતો સિવાય કોઈ ઘૂસે નહીં તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉપરાંત પરિકમા માર્ગ ઉપર પણ વનતંત્ર દેખરેખ રાખશે અને ગેરકાયદે પ્રવેશનારાઓ સામે વન વિભાગ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હોવાથી જંગલમાં કોઈ ચોરીછૂપીથી પ્રવેશશે તો તેઓને કાયદાકીય સજા સહન કરવી પડશે.