કુંભમેળામાં હજારો સાધુઓનું સોમવતી અમાસે શાહીસ્નાન

કુંભમેળામાં હજારો ભગવાધારી સાધુ-સંતોએ સોમવારે હર-કી-પૌડી ખાતે બીજા શાહીસ્નાનનો લાભ લીધો હતો.
સોમવતી અમાસના અવસરે બીજા શાહીસ્નાન માટે પોતપોતાના મહામંડલેશ્ર્વરની આગેવાની હેઠળ વિવિધ અખાડાઓના સાધુ-સંતો દ્વારા શહેરના રસ્તાઓ પર વારાફરતી શોભા યાત્રા કાઢયા બાદ હર-કી-પૌડી ખાતે આવેલા બ્રહ્મ કુંડ પાસે ભેગાં થયાં હતાં. ઉઘાડા પગે ગંગા તરફ પ્રયાણ કરી રહેલા અનેક સાધુ-સંતોએ માસ્ક નહોતા પહેર્યા અથવા તો સામાજિક અંતર રાખવાની ચિંતા કર્યા વગર આગળ વધીને ગંગામાં ડૂબકી લગાવી હતી. આ વખતે ઉત્તરાખંડની સરકાર તરફથી હૅલિકૉપ્ટરમાંથી એમનાં પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. હર-કી-પૌડીને સૌથી પવિત્ર ઘાટ માનવામાં આવે છે અને માટે સાધુઓ માટે આ ઘાટ સવારે સાત વાગ્યાથી આરક્ષિત કરાયો હતો. અન્ય ઘાટો પર પણ લાખો શ્રદ્ધાળુએ પવિત્ર ગંગા નદીમાં ડૂબકી લગાવીને પવિત્રસ્નાનનો આનંદ મેળવ્યો હતો.
મેળાના પ્રશાસને એવો દાવો કર્યો હતો કે સવારે દસ વાગ્યા સુધીમાં અંદાજે ૧૭.૩૧ લાખ યાત્રાળુએ ગંગામાં ડૂબકી લગાવી સ્નાન કર્યું હતું.
ઉત્તરાખંડના ડીજીપી અશોકકુમારે જણાવ્યું હતું કે હરિદ્વારથી દેવપ્રયાગ સુધીના મેળા ક્ષેત્રમાં શાહીસ્નાન શાંતિપૂર્ણ રીતે કરાયું હતું.
મહામંડલેશ્ર્વર આચાર્ય કૈલાશાનંદ ગીરીની આગેવાનીમાં નિરંજની અખાડાના સાધુઓ દ્વારા સૌ પ્રથમ ગંગાસ્નાન કરવામાં આવ્યું હતું અને એમની સાથે આનંદ અખાડાના સાધુઓ દ્વારા પણ સ્નાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર બીર બિક્રમ શાહે પણ પહેલી વખત હરિદ્વાર આવીને ગંગાસ્નાનનો લાભ મેળવ્યો હતો.
હાલ ચાલી રહેલા કુંભ મેળાનું આ બીજું શાહીસ્નાન હતું. આ અગાઉ પહેલું શાહીસ્નાન મહાશિવરાત્રીના દિવસે ૧૧મી માર્ચે યોજાયું હતું. કોરોનાના વધી રહેલા કેસને કારણે આ વખતે કુંભ મેળો ફક્ત એક મહિના સુધી સિમિત રખાયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
