કઠુઆ : ત્રણ 3 ને જનમટીપ, ત્રણ ને પાંચ-પાંચ વર્ષની જેલની સજા
જાન્યુઆરી, 2018માં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં હાહાકાર મચાવનાર આઠ વર્ષીય છોકરીના બળાત્કાર અને હત્યાના બનાવ સાથે સંકળાયેલા સાતમાંથી છ આરોપીઓને સોમવારે અહીંની એક સ્થાનિક અદાલતે ગુનેગાર ઠરાવ્યા હતા અને ત્યાર બાદ સજા જાહેર કરવામાં આવી હતી. મુખ્ય ત્રણ આરોપીઓને જનમટીપની સજા ફરમાવવામાં આવી હતી તેમ જ એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તેમને આ સજા છોકરીની હત્યા બદલ કરવામાં આવી છે, જ્યારે હત્યા પહેલાં કરાયેલા
બળાત્કાર બદલ ત્રણેય માટે પચીસ-પચીસ વર્ષની સજા પણ જાહેર કરવામાં આવી હતી, એમ ધારાશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.
અદાલતે જે મુખ્ય ત્રણ ગુનેગારોને આજીવન કારાવાસની સજા કરી છે એમાં મંદિરના કર્તાહર્તા સાંઝી રામ, સ્પેશિયલ પોલીસ ઑફિસર દીપક ખજુરિયા તથા પરવેશ કુમાર નામના સામાન્ય નાગરિકનો સમાવેશ છે.
આ વકીલોએ મુખ્ય ત્રણેય આરોપીઓને મૃત્યુદંડની સજા કરવાની માગણી કરી હતી.
આ હિચકારો બનાવ જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં બન્યો હતો. અદાલતે સાતમો આરોપી વિશાલ કે જે મુખ્ય આરોપી સાંઝી રામનો પુત્ર છે તેને ‘બેનિફિટ ઑફ ડાઉટ’ને આધારે નિર્દોષ જાહેર કર્યો હતો. મૃત કિશોરીના પરિવાર વતી અદાલતમાં કેસ લડનાર વકીલ ફારુકી ખાને આ જાણકારી આપી હતી.
ઘણા મહિનાઓથી આ ચુકાદાની રાહ જોવાઈ રહી હતી અને સોમવારે ન્યાયમૂર્તિએ એની જાહેરાત કરી ત્યારે અદાલતની બહાર અસંખ્ય મીડિયામેન રાહ જોતા ઊભા રહ્યા હતા અને ફેંસલાની વિગતો આવતાં જ તેમણે એને વાયુવેગે પ્રસરાવી દીધી હતી.
કઠુઆના એક મંદિર ખાતે આ ગુનો આચરવામાં આવ્યો હતો. અદાલતે જાહેર કરેલા ગુનેગાર જાહેર થયેલી પાંચમી, છઠ્ઠી તથા સાતમી વ્યક્તિઓમાં સબ ઇન્સ્પેક્ટર આનંદ દત્તા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને સ્પેશિયલ પોલીસ ઑફિસર સુરેન્દ્ર વર્માનો સમાવેશ છે. પોલીસ તંત્રના આ ત્રણ જણે પુરાવાનો નાશ કર્યો એ બદલ તેમને ગુનેગાર ઠરાવવામાં આવ્યા છે. તેમને પાંચ-પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી છે.
બળાત્કાર અને હત્યાનો ભોગ બનેલી કિશોરીના પરિવાર વતી કેસ લડનાર વકીલોની ટીમમાં જે. કે. ચોપડા, એસ. એસ. બસરા, હરમિન્દર સિંહ અને ભુપિન્દર સિંહનો સમાવેશ છે. તેમણે કહ્યું હતું કે તેઓ અદાલતના ફેંસલાનો અભ્યાસ કર્યા બાદ નિર્દોષ ગણાવીને છોડી દેવામાં આવેલા સાતમા આરોપી વિરુદ્ધ કદાચ અદાલતમાં અપીલ નોંધાવશે.
જમ્મુ અને કાશ્મીર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક કિશોર સહિત કુલ આઠ જણ વિરુદ્ધ આરોપનામું નોંધાવ્યું હતું. આરોપો રણબીર પીનલ કોડ (આરપીસી) હેઠળ ઘડવામાં આવ્યા હતા.
ગયા વર્ષના એપ્રિલમાં નોંધાવાયેલા આરોપનામા મુજબ ગયા વર્ષની 10મી જાન્યુઆરીએ કઠુઆમાં આ છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સાંઝી રામ દ્વારા સંચાલિત મંદિરમાં તેને ચાર દિવસ સુધી બંધ રાખવામાં આવ્યા બાદ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને પછીથી તેના પર દંડૂકાના વાર કરીને મારી નાખવામાં આવી હતી.
ગયા વર્ષે 7મી મેએ સુપ્રીમ કોર્ટે આ ઘટનાના કેસને જમ્મુ અને કાશ્મીર રાજ્યની બહાર લઈ જવાનો આદેશ બહાર પાડ્યો ત્યાર બાદ જૂનના પહેલા અઠવાડિયામાં કઠુઆથી 30 કિલોમીટર અને જમ્મુથી 100 કિલોમીટર દૂર પંજાબના પઠાણકોટ શહેરની ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટે રોજબરોજની સુનાવણી શરૂ કરી હતી.
કઠુઆમાંના ધારાશાસ્ત્રીઓએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને આ સનસનાટી ભરેલા બનાવમાં આરોપનામું ઘડવા સામે રોક્યા એને પગલે સર્વોચ્ચ અદાલતે કેસને પઠાણકોટની અદાલતમાં લઈ જવાનો આદેશ બહાર પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચે સાંઝી રામની તેમ જ તેના કિશોર વયના ભત્રીજા તથા પુત્ર વિશાલની ધરપકડ કરી હતી. બે સ્પેશિયલ પોલીસ ઑફિસરો ખજુરિયા તથા વર્માને પણ પકડવામાં આવ્યા હતા. રાજ અને દત્તા જેમણે કથિતપણે સાંઝી રામ પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હતા અને પુરાવાનો નાશ કર્યો હતો, તેમની પણ ધરપકડ કરાઈ હતી.
ફેબ્રુઆરી, 2018માં હિન્દુ એક્તા મંચે એક આરોપીના ટેકામાં જમ્મુમાં દેખાવો કર્યા હતા. જમ્મુ અને કાશ્મીર રાજ્યની યુતિ સરકારમાંના ભાજપના બે પ્રધાનોએ મંદિરના કર્તાહર્તા સાંઝી રામના કિશોર વયના ભત્રીજાની ધરપકડ કરાઈ એના વિરોધમાં આ મંચની રૅલીમાં હાજરી આપી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now