PF ખાતેદારોને 8.65 % વ્યાજ મળશે
મોંઘવારી અને આર્થિક મોરચે સતત નિરાશાજનક ઘટનાક્રમ વચ્ચે કર્મચારીઓ માટે આર્થિક ખુશખબર આવ્યા છે. કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઈપીએફઓ)ના છ કરોડથી વધુ સભ્ય માટે નાણાકીય વર્ષ 2018-19 માટે પીએફ પર 8.65 ટકા વ્યાજદર મળશે. સરકારે’ તહેવારો અગાઉ જ પીએફ પર વ્યાજદર વૃદ્ધિને મંજૂરી આપી હતી. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે આજે આ બાબતની જાહેરાત કરી હતી.
ઈપીએફઓ માટે નિર્ણય લેનારી ટોચની શાખા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે ગત નાણાકીય વર્ષ માટે આ વર્ષે ફેબ્રુઆરીમાં 8.65 ટકા વ્યાજદરને મંજૂરી આપી હતી. આ પછી આ પ્રસ્તાવને મંજૂરી માટે નાણા મંત્રાલય પાસે મૂકવામાં આવ્યો હતો.
સંતોષ ગંગવારે અહીં એક કાર્યક્રમ બાદ મીડિયાને જણાવ્યું હતું કે તહેવારો પહેલાં ઈપીએફઓના 6 કરોડથી વધુ સદસ્યોને 2018-19 માટે જમા રકમ પર 8.65 ટકા વ્યાજ પ્રાપ્ત થશે. વર્તમાનમાં ઈપીએફઓ ખાતામાં દાવાઓનો ઉકેલ 8.55 ટકાના વ્યાજદર પર કરવામાં આવી રહ્યો છે. આ જ દર 2017-18 દરમ્યાન પણ લાગુ હતા.
ઈપીએફ વ્યાજદરોની જાહેરાતમાં વિલંબ અંગે મંત્રીએ જણાવ્યું કે નાણા મંત્રી (નિર્મલા સીતારામન) હાલના દિવસોમાં વ્યસ્ત હતા. તેમની પાસે ફાઈલ (ઈપીએફ વ્યાજદરના પ્રસ્તાવ) પડી હતી. તેઓ આની સાથે અસંમત ન હતા. અમારા દ્વારા મંજૂર થયેલો 8.65 ટકાનો વ્યાજદર ઈપીએફ ખાતાધારકોને 2018-19 માટે ચૂકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 2017-18માં આપવામાં આવેલું વ્યાજ એ પાંચ વર્ષમાં સૌથી ઓછું હતું. 2016-17માં વ્યાજદર 8.65 ટકા, 2015-16માં 8.8 ટકા હતા. 2013-14 અને 2014-15માં કર્મચારીઓને 8.75 ટકા વ્યાજ મળ્યું હતું. 2012-13માં 8.5 ટકા વ્યાજ આપવામાં આવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now