સમાવેશ: 11મીએ સજાનું એલાન : નવ વર્ષે આવ્યો ચુકાદો: સજાના એલાન પૂર્વે ગિરસોમનાથ જિલ્લામાં ગોઠવાયો બંદોબસ્ત
વર્ષ 2010માં અમદાવાદમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસમાં સીબીઆઇ કોર્ટે ચુકાદો આપતા ભાજપના પૂર્વ સાસંદ દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. જેમાં દીનુ બોઘા સોલંકી ઉપરાંત શૈલેષ પંડયા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ,દીનુ બોઘાના ભત્રીજા શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણને દોષિત જાહેર કર્યા છે.
આરોપીઓને 11મી જુલાઇએ સજા સંભળાવવામાં આવશે.
દીનુ બોઘા દોષિત જાહેર થતાં ગિરસોમનાથ જિલ્લાના કોડીનાર, સૂત્રાપાડા, ઉના સહિતના વિસ્તારમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
અમિત જેઠવા હત્યા કેસની સુનાવણીમાં પહેલા 155 અને બીજી વખત 27 સાક્ષી ફરી ગયા હતા. સીબીઆઇએ કેસની તપાસ હાથ ધરી પૂર્વ સાસંદ દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપી સામે ચાર્જશીટ કરી હતી.
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ ઘણી આરટીઆઇ કરી હતી. તેમણે જૂનાગઢ અને ગિરની આસપાસ ગેરકાયદે ઉત્ખનન મામલે પીઆઇએલ પણ કરી હતી.’ આ મામલે 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે પોઇન્ટ બ્લેક રેન્જથી ગોળી મારી હત્યા કરાઇ હતી. આ હત્યા પાછળ પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિત જેઠવાના પિતા ભીખાભાઇએ કર્યો હતો.
હત્યા બાદ ગુજરાત પોલીસે તપાસમાં કહ્યું હતું કે, દીનુ સોલંકીની હત્યામાં કોઇ ભૂમિકા નથી. પરંતુ આઇટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાના પિતાની પિટિશન પર હાઇકોર્ટે આ કેસ સીબીઆઇને તપાસ માટે આપ્યો હતો. આ સિવાય સોલંકીના જામીન પર પણ અમિત જેઠવાના પરિવારજનોએ પિટિશન દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2014માં સોલંકીને જામીન આપી દીધા હતા.
આ મામલામાં સીબીઆઇએ તપાસ હાથ ધરીને 6 સપ્ટેમ્બર, 2010ના રોજ હત્યા માટે સોપારી આપવા બદલ શિવા સોલંકીની ધરપકડ કરી હતી.
ભાજપના પૂર્વ સાસંદ દીનુ બોઘા સોલંકીની નવેમ્બર 2013માં ધરપકડ થઇ હતી. આમ દીનુ સોલંકી સહિત સાત આરોપીઓની આ હત્યા કેસમાં ધરપકડ થઇ છે.
સીબીઆઇના વકીલે કોર્ટમાં આરોપીઓને આજીવન કેદ અને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી હતી જ્યારે બચાવ પક્ષના વકીલે પૂર્વ સાસંદ દીનુ બોઘાની વધુ ઉંમર થઇ ગઇ હોવાથી ઓછી સજા કરવાની માંગ કરી હતી. ત્યારબાદ સીબીઆઇ કોર્ટના જજ કે.એમ.દવેએ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. જેમની સજાની જાહેરાત 11મી જુલાઇના રોજ થશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944