સોનિયા ગાંધી કૉંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ
સોનિયા ગાંધીને શનિવારે રાત્રે કૉંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતાં. તેઓ લગભગ ૨૦ મહિના બાદ ફરી આ ગાદી પર બિરાજમાન થઈ રહ્યાં છે.
અગાઉ, રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ખરાબ દેખાવ બદલ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના દ્વારા પચીસમી મેએ પ્રમુખપદેથી અપાયેલા રાજીનામા અંગે ફેરવિચારણા કરવાની વિનંતિને નકારી કાઢી હતી. પક્ષના અનેક નેતાઓ તથા સાંસદોએ રાહુલ ગાંધી જ પ્રમુખપદે ચાલુ રહે એવો આગ્રહ રાખ્યો હતો, પરંતુ રાહુલ રાજીનામું આપવા મક્કમ જ હોવાથી કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ શનિવારની બીજી બેઠકમાં રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકારી લીધું હતું અને ત્યાર બાદ સોનિયા ગાંધીના નામની જાહેરાત કરી હતી. એઆઇસીસી નવા પ્રમુખ ચૂંટશે ત્યાં સુધી સોનિયા ગાંધી વચગાળાના પ્રમુખ તરીકે રહેશે, એમ પક્ષના પ્રવક્તા સુરજેવાલાએ જણાવ્યું હતું.
રાહુલના અનુગામી તરીકે પાંચ જૂથે સૂચવેલા નામો અંગે ચર્ચાવિચારણા કરવા સમિતિની બેઠક રાતે ૮ વાગ્યે ફરીથી બોલાવાઇ હતી. સોનિયા ગાંધીની નિયુક્તિની થોડી મિનિટો અગાઉ એક અહેવાલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે કાશ્મીરમાં પરિસ્થિતિએ ખરાબ વળાંક લીધો હોવાથી કૉંગ્રેસના નવા પ્રમુખ ચૂંટવાના મુદ્દે થોડા સમય માટે ચર્ચા મુલતવી રાખવામાં આવી હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ અને રાહુલ ગાંધીએ પક્ષના નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયાથી પોતાને દૂર રાખ્યા હતા અને જણાવ્યું હતું કે અમે અગાઉ પક્ષના પ્રમુખપદે રહી ચૂક્યા હોવાથી અનુગામીની પસંદગીની પ્રક્રિયામાં ભાગ લઇને અમારી વગ વાપરવા નથી માગતા.
અહીં કૉંગ્રેસ મહાસભાના વડા મથક ખાતે શનિવારે સવારે ૧૧ વાગ્યે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, પક્ષનાં મહામંત્રીઓ પ્રિયંકા ગાંધી વાડ્રા, અહેમદ પટેલ, એ. કે. એન્ટની, ગુલામ નબી આઝાદ અને પી. ચિદમ્બરમ સહિતના અગ્રણી નેતા મળ્યા હતા.
કૉંગ્રેસ કારોબારી સમિતિએ પક્ષના દેશભરના નેતાઓની સાથે ચર્ચાવિચારણા કરવા માટે પાંચ ક્ષેત્ર – ઇશાન, પૂર્વ, ઉત્તર, પશ્ર્ચિમ અને દક્ષિણના જૂથ રચ્યા હતા.
ઇશાન ભારતના જૂથમાં અહેમદ પટેલ, અંબિકા સોની, ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવતનો સમાવેશ થતો હતો. પૂર્વના જૂથમાં કે. સી. વેણુગોપાલ, તરુણ ગોગોઇ અને કુમારી શૈલજાનો, ઉત્તરના જૂથમાં પ્રિયંકા ગાંધી વાડ્રા, જ્યોતિરાદિત્ય સિંધિયા, પી. ચિદમ્બરમનો અને પશ્ર્ચિમના જૂથમાં ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખર્ગે, એ. કે. એન્ટની અને મોતીલાલ વોરાનો સમાવેશ કરાયો હતો.
દક્ષિણના જૂથમાં મનમોહન સિંહ, આનંદ શર્મા અને મુકુલ વાસનિકનો સમાવેશ થતો હતો.
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટ, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ, પુડુચેરીના મુખ્ય પ્રધાન વી. નારાયણસ્વામીએ પણ નવા પ્રમુખની પસંદગી માટેની ચર્ચાવિચારણામાં ભાગ લીધો હતો.
કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે અનેક નેતાની સાથે ફૉન પર વાત કરાઇ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now