આજે ચિત્રા નક્ષત્ર, અંગાકરી ચૌથના દુર્લભ યોગે સુરતના પાલ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરે વિશેષ આરાધના પર્વ
બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ પણ બુદ્ધિના સ્વામી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના આશીર્વાદ લઇ રહ્યા છે

આજરોજ મંગળવાર અને અંગારકી ચોથની તિથિ અને એ પણ ચિત્રા નક્ષત્રમાં છે, ચિત્રા નક્ષત્રના સ્વામી મંગળ છે અને એટલે જ આજના યોગને દુર્લભ માનવામાં આવે છે. આજે ગણપતિ દાદાની પૂજા અર્ચનાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સુરતના પાલ પાટીયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે આજે વહેલી સવારથી સંધ્યા આરતી સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. આજના પર્વને લઇને પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે સવારથી જ દર્શનાર્થીઓની ભારે ધૂમ છે. આજે દિવસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ભાવિક ભક્તો પાલ આર.ટી.ઓ.ની બાજુમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના દર્શનાર્થે આવે તેવું મનાય છે.
આજના પર્વ અંગે વધુ માહિતી આપતા સિદ્ધિ વિનાયક મંદિર સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે ચિત્રા નક્ષત્રમાં અંગારકી ચોથ અને એ પણ મંગળવારે આવી હોય તેવા સંજોગોમાં ભગવાન ગણપતિ દાદાની પૂજા અર્ચનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે, શાસ્ત્રોમાં આ બાબતનો ઉલ્લેખ છે અને એટલે જ પાલ પાટીયા સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરે આજે વહેલી સવારથી સંધ્યા આરતી સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
નીતિનભાઇએ કહ્યું કે આજે સવારે કેસર સ્નાનથી શરૂ કરીને દિવસ દરમિયાન અભિષેકાત્મક અથર્વ શિર્ષના પાઠ આખો દિવસ દરમિયાન વેદ પંડિતો દ્વારા મંદિર સંકુલમાં કરવામાં આવશે. ભગવાન શ્રી સિદ્ધિવિનાયક દાદાની આરાધના માટે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ભાવિકો આવી રહ્યા છે અને આવશે એમ મનાય છે. કોરોનાકાળ બાદ પાલ પાટીયા સ્થિત મંદિરમાં બિરાજમાન સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનો મહિમા વધ્યો છે અને આજે ખાસ યોગે મંદિરમાં આરાધનાસભર કાર્યક્રમોનું આયોજન થયું છે. તેમણે કહ્યું કે આજે સંધ્યા આરતીમાં સુરત મ્યુનિસિપલ વોર્ડ નં.9 અને 10ના નવનિર્વાચિત નગરસેવકો પણ જોડાશે. ચૂંટણી લડ્યા ત્યારે તેઓએ આ સંકલ્પ કર્યો હતો અને સંકલ્પ પૂર્તિના ભાગરૂપે તેઓ આજની આરતીમાં જોડાશે.
બોર્ડના પરીક્ષાર્થીઓ ખાસ આશીર્વાદ માટે મંદિરે આવે છે
પાલ પાટીયા સ્થિત મંદિર સંકુલમાં બિરાજમાન ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે ફેબ્રુઆરીથી એપ્રિલ-મે માસ દરમિયાન ખાસ વિદ્યાર્થીઓ ગણપતિ દાદાના આશીર્વાદ લેવા માટે આવે છે. આમેય ગણપતિ દાદાને બુદ્ધિના સ્વામી ગણાવાયા છે, અહીં જ્યારથી સિદ્ધિ વિનાયક દાદા બિરાજમાન છે ત્યારથી વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્વે તેમના આશીર્વાદ લેવા તેમજ બોલપેન તથા પરીક્ષાની સામગ્રી પણ અભિમંત્રિત કરાવી જાય છે. આ વખતે પણ બોર્ડના વિદ્યાર્થીઓ ખાસ સિદ્ધિ વિનાયક દાદાના આશીર્વાદ લેવા માટે આવવાનું શરૂ થઈ ચૂક્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


