Surat Peoples co op bank Archives - CIA Live

July 31, 2025
Cia_business_news-1280x936.jpg
1min96

સુરત સમેત ગુજરાત અને દેશભરની સહકારી બેંકોમાં ડિરેક્ટર પદે 10 વર્ષ પૂરા કરનારા ડિરેક્ટરોને હાલમાં રાજીનામા આપી દેવાની ફરજ પડાતી હતી. એ દરમિયાન આજે કેન્દ્ર સરકારે સહકારી બેંકીંગ એક્ટમાં કેટલાક મોટા સુધારા કરીને સહકારી બેંકોના ડિરેક્ટરોની આગલી, પાછલી તમામ અસરો દૂર કરીને હવે પછી સહકારી બેંકોના ડિરેક્ટરોની 10 વર્ષની મુદતની ગણતરી તા.1 ઓગસ્ટ 2025થી કરવાની રહેશે તે સંદર્ભેનું નોટિફિકેશન ઘોષિત કરવામાં આવતા સહકારી બેંકોના ડિરેક્ટરોમાં રાહતની લાગણી ફરી વળી છે. વળી જે ડિરેક્ટરોએ તાજેતરમાં જ 10 વર્ષની અવધિ પૂર્ણ થઇ ગઇ હોય રાજીનામું આપી દીધું છે તેમને મોટો ફટકો પડ્યો હોવાની પણ લાગણી પ્રવર્તી ઉઠી છે.

કેન્દ્ર સરકારે કો-ઓપરેટીવ બેંકીંગ ક્ષેત્રમાં નીતિ નિયમોમાં 12થી વધુ સુધારાઓ કરીને વહીવટી શૂન્યાવકાશ તરફ આગળ વધી રહેલી સહકારી બેંકોને ઓક્સીજન પૂરો પાડવાનું કાર્ય કર્યું હોવાની લાગણી કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશનના કારણે છવાય જવા પામી છે. કેન્દ્ર સરકારે એવું જાહેરનામુ બહાર પાડ્યું છે કે જેને કારણે સહકારી બેંકો કે જેમાં ડિરેક્ટર પદે 10 વર્ષ પૂર્ણ કરનાર વ્યક્તિએ ફરજિયાત રાજીનામુ આપી દેવું પડે છે અને એ પછી ડિરેક્ટર પદે ચૂંટાનાર વ્યક્તિ નવો નિશાળીયો હોઇ, બેંકીંગ સિસ્ટમને ઘેરી અસર થાય તેવી શક્યતા હતી.

સુરતની જ અનેક બેંકોમાં વર્ષો જૂના અને બેંકીંગ કામકાજના અનુભવી ડિરેક્ટરોએ આ જ કારણોસર રાજીનામા ધરી દેવા પડ્યા હતા.અને હજુ આ સિલસિલો પણ ચાલુ જ રહ્યો હતો. તાજેતરમાં જ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઇએ સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના ડિરેક્ટર પદે 10 વર્ષના આ નિયમને કારણે જ રાજીનામુ ધરી દેવું પડ્યું હતું.

સહકારી બેંકોના ડિરેક્ટર પદે 10 વર્ષ પૂર્ણ કરી દેનાર વ્યક્તિને ફરીથી બેંકમાં ડિરેક્ટર પદે નહીં આરુઢ થવા દેવાના નિયમને કારણે સમગ્ર સહકારી બેંકના સ્ટ્રક્ચર અને બેંકીંગને ઘેરી અસર પહોંચી રહી છે અને સહકારી બેંકોમાં વહીવટી શૂન્યાવકાશ સર્જાય તેવી સ્થિતિ છે એવી રજૂઆતો કેન્દ્ર સરકારને કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લઇને સહકારી બેંકોના ડિરેક્ટર પદે 10 વર્ષની ગણતરી માટે એક તારીખ મુકરર કરીને તમામ વાદવિવાદો અને ભૂતકાળમાં સર્જાયેલા કાનૂની પ્રકરણો પર પડદો પાડી દેવાનો પ્રયાસ કર્યો છે.

કેન્દ્ર સરકારના નવા નોટિફિકેશન અનુસાર આગામી તા.1 ઓગસ્ટ 2025થી સહકારી બેંકોમાં ડિરેક્ટર પદ માટેની 10 વર્ષની મુદતની ગણતરી કરવામાં આવશે. સુરત મર્કન્ટાઇલ કો.ઓ. બેંકના ચેરમેન મયુર ચૌહાણે જણાવ્યું કે નવા નોટિફિકેશનથી વર્તમાન ડિરેક્ટરોની ભૂતકાળની મુદત કે વર્ષને ગણતરીમાં લેવાના નથી. તા.1 ઓગસ્ટ 2025થી જ દરેક સહકારી બેંકોમાં ડિરેક્ટરની 10 વર્ષની મુદતની ગણતરી કરવાની રહેશે.

મર્કન્ટાઇલ કો.ઓ. બેંકના ચેરમેન મયુર ચૌહાણે જણાવ્યું કે આ પગલાંને કારણે સહકારી બેંકોમાં જે શૂન્યવકાશની સ્થિતિ સર્જાય તેવી ભીંતી હતી એ દૂર થઇ છે. હવે જૂના ડિરેક્ટરો નવી પેઢી, નવી કેડરને તૈયાર કરી શકશે અને આગામી દસ વર્ષ બાદ નવી પેઢીના અનુભવી ડિરેક્ટરો સહકારી બેંકોમાં અસરકારક વહીવટ કરી શકશે.

એક મોટા સુધારાના પગલામાં, કેન્દ્ર સરકારે બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 ની મુખ્ય જોગવાઈઓના અમલીકરણને સૂચિત કર્યું છે, જે સહકારી બેંકોમાં ડિરેક્ટર કાર્યકાળના લાંબા સમયથી ચર્ચાસ્પદ મુદ્દા પર સ્પષ્ટતા લાવે છે.

1 ઓગસ્ટ 2025 થી આ જોગવાઈઓ લાગુ કરવાના સરકારના નિર્ણયથી દસ વર્ષનો વધારાનો કાર્યકાળ પૂર્વવર્તી રીતે લાગુ થશે કે સંભવિત રીતે તે અંગેની મૂંઝવણનો પણ ઉકેલ આવે છે. સૂચનામાં ભવિષ્યની તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કાનૂની નિષ્ણાતો અને હિસ્સેદારો સંમત થાય છે કે આ જોગવાઈ સંભવિત રહેશે, એટલે કે તે શરૂઆતની તારીખ પછી ચૂંટાયેલા અથવા ફરીથી ચૂંટાયેલા ડિરેક્ટરોને લાગુ પડશે.

કાનૂની નિષ્ણાતોના મતે, 1 ઓગસ્ટ 2025 પહેલાં પદ પર દસ વર્ષ પૂર્ણ કરનાર કોઈપણ ડિરેક્ટર નવી જોગવાઈથી પ્રભાવિત થશે નહીં અને ફરીથી ચૂંટણી માટે પાત્ર રહી શકે છે. જો કે, 1 ઓગસ્ટ 2025 ના રોજ અથવા તે પછી ચૂંટાયેલા અથવા ફરીથી ચૂંટાયેલા ડિરેક્ટરો નવી નિર્ધારિત 10-વર્ષની મર્યાદાને આધીન રહેશે.

આ સ્પષ્ટતાથી દેશભરની સહકારી બેંકોને ફાયદો થવાની અપેક્ષા છે, જેમાંથી ઘણી ડિરેક્ટર લાયકાત અને મુદત મર્યાદા અંગે વિવાદોમાં ફસાયેલી હતી. આ ફેરફાર કાનૂની અનિશ્ચિતતાઓને ટાળવામાં, સરળ સંક્રમણોને સક્ષમ બનાવવામાં અને સહકારી બેંકિંગ ક્ષેત્રમાં શાસન ધોરણોમાં એકરૂપતા લાવવામાં મદદ કરશે.

બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 ની કલમ 1 ની પેટા-કલમ (2) હેઠળ જારી કરાયેલ સત્તાવાર ગેઝેટ સૂચના અનુસાર, કલમ 3, 4, 5, 15, 16, 17, 18, 19 અને 20 ની જોગવાઈઓ 1 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે.

ખાસ કરીને કલમ 4 અને કલમ 5 મહત્વપૂર્ણ છે, જે બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 માં સુધારો કરે છે, અને સહકારી બેંકોના શાસન માળખાને સીધી અસર કરે છે. આ જોગવાઈઓ ડિરેક્ટરોના મહત્તમ કાર્યકાળ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) સ્તરે પ્રતિનિધિત્વ માટે તેમની પાત્રતા સાથે સંબંધિત છે.

સુધારા અધિનિયમની કલમ 4 બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 ની કલમ 10A માં ફેરફાર કરે છે. તે સહકારી બેંકમાં ડિરેક્ટરના કાર્યકાળની હાલની મર્યાદા આઠ વર્ષથી વધારીને દસ વર્ષ કરે છે. આ સુધારામાં ખાસ કરીને “અને સહકારી બેંકના કિસ્સામાં દસ વર્ષ” વાક્યનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સ્પષ્ટ કરે છે કે સહકારી બેંકના ડિરેક્ટરો હવે દસ વર્ષ સુધી કાર્ય કરી શકે છે.

બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 ની કલમ 5, બેંકિંગ નિયમન અધિનિયમ, 1949 ની કલમ 16 માં સુધારો કરે છે. તે કેન્દ્રીય સહકારી બેંકના ડિરેક્ટરને, જો રાજ્ય સહકારી બેંકના બોર્ડમાં ચૂંટાય છે, તો બંને સંસ્થાઓમાં પદ સંભાળવાની મંજૂરી આપે છે.

આ સુધારામાં શબ્દો દાખલ કરવામાં આવ્યા છે: “અથવા રાજ્ય સહકારી બેંકના બોર્ડમાં ચૂંટાયેલા કેન્દ્રીય સહકારી બેંકના ડિરેક્ટર જેમાં તે સભ્ય છે”, જેનાથી બે બેંકોમાં પદ રાખવા પરના પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલા ડિરેક્ટરોની શ્રેણીનો વિસ્તાર કરવામાં આવ્યો છે.

અગાઉ, આ મુક્તિ ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિયુક્ત ડિરેક્ટરો સુધી મર્યાદિત હતી. આ ફેરફાર સાથે, તે હવે ચોક્કસ ચૂંટાયેલા ડિરેક્ટરો સુધી પણ વિસ્તરે છે, જે RBI સમક્ષ સહકારી બેંકોનું વધુ સારું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે અને લાંબા સમયથી ક્ષેત્રમાં કાર્યકારી પડકારો પેદા કરતા શાસન અંતરને દૂર કરે છે.

August 10, 2023
spb-sahkar-panel.jpeg
4min341

અમિત ગજ્જરની આગેવાની હેઠળની સહકાર પેનલે કર્યો ઋણ સ્વીકાર

રિપોર્ટેડ ઓન 7 ઓગસ્ટ 2023

પીપલ્સ બેંકની ચૂંટણીમાં મુકેશ દલાલની વિકાસ પેનલનો સફાયો, સહકાર પેનલના દરેક ઉમેદવારો મોટા માર્જિનથી જીત્યા

રિપોર્ટેડ ઓન 7 ઓગસ્ટ 2023

11 હજાર કરોડનો વહીવટ ધરાવતી 102 વર્ષ જૂની સુરત પીપલ્સ મલ્ટીસ્ટેટ કો ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ગતરોજ રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે સોમવારે યોજાયેલી મતગણતરીની પ્રક્રિયાને અંતે સત્તાધારી વિકાસ પેનલ કે જેમાં સુરત શહેર ભાજપાના મહામંત્રી મુકેશ દલાલની આગેવાની હેઠળ અનેક ભાજપી નેતાઓ ચૂંટણી લડી રહ્યા હતા, એ વિકાસ પેનલના દરેકે દરેક ઉમેદવારની કારમી હાર થઇ હતી. પીપલ્સ બેંકની ચૂંટણી લડી રહેલા સત્તાધારીઓની વિકાસ પેનલને ભાજપાએ સત્તાવાર રીતે કોઇ મેન્ડેટ આપ્યો ન હતો છતાં ભાજપાના નામે વિરોધી સહકારી પેનલનું કામ કરતા અનેક લોકોને દમ મારનાર સુરત શહેર ભાજપાના મહામંત્રી મુકેશ દલાલ, બે કોર્પોરેટરો ધર્મેશ વાણિયાવાલા, કેયુર ચપટવાલા, શહેર ભાજપાના ખજાનચી શૈલેષ જરીવાલા, શહેર ભાજપના પૂર્વ કોર્પોરેટર દિપક આફ્રિકાવાલા સહિત આખી પેનલની હાર એટલી ખરાબ રીતે થઇ હતી કે આ પેનલનો એકેય ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી શકે તેટલા મત પણ મેળવી શક્યા નથી.ગતરોજ રવિવારે યોજાયેલા મતદાનને અંતે કુલ 15180 સભાસદોએ મતદાન કર્યું હતું. આ મતોની ગણતરી આજે સવારે 10 કલાકે દયાળજી આશ્રમ, મજૂરાગેટ ખાતે શરૂ કરવામાં આવી હતી. પહેલા રાઉન્ડની પ્રક્રિયાથી જ સત્તાધારી વિકાસ પેનલના ઉમેદવારો પછડાય રહ્યા હતા. એક પછી એક પેનલ ટુ પેનલ બેલેટ નીકળી રહ્યા હતા અને પહેલા 5000 મતોની ગણતરીમાં જ 3500 જેટલા મતો પૂર્વ ડિરેક્ટરોની બનેલી સહકાર પેનલના ઉમેદવારોને મળ્યા હતા. જોતજોતામાં બીજા રાઉન્ડની ગણતરી પણ હાથ ધરાઇ હતી અને તેમાં સહકાર પેનલના ઉમેદવારોની લીડ એટલી મજબૂત બની ગઇ હતી કે સત્તાધારી વિકાસ પેનલના ઉમેદવારો હાર પામી ગયા હતા અને એક પછી એક મતગણતરીના સ્થળ છોડી ગયા હતા.

રિપોર્ટેડ ઓન 6 ઓગસ્ટ 2023

પીપલ્સ બેંકની ચૂંટણીમાં 17 ટકા મતદાન, સહકાર પેનલને જોરદાર રિસ્પોન્સ

પાવર પોલિટીક્સને કારણે અનેક વિવાદોને જન્મ આપનાર સુરતની સૌથી મોટી સહકારી બેંક, સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં આજે યોજાયેલી ચૂંટણીમાં ક્રોસ પેનલ વોટીંગની ભરમાર વચ્ચે ગઇ ચૂંટણી કરતા 5 ગણું મતદાન નોંધાયું છે. છેલ્લી ચૂંટણીમાં 80 હજાર શેરહોલ્ડર મતદારો પૈકી માંડ 3 હજારે મતદાન કર્યું હતું. જ્યારે આ વખતે 87237 રજિસ્ટર્ડ શેરહોલ્ડર મતદારો પૈકી 15500 શેરહોલ્ડર મતદારોએ આજે મતદાન કર્યું હતું. આવતીકાલે સવારે 10 કલાકથી મતગણતરીની પ્રક્રિયા દયાળજી આશ્રમ, મજૂરાગેટ ખાતે શરૂ થશે.

સહકાર પેનલને જોરદાર રિસ્પોન્સ મળ્યાના સંકેતો
સુરત પીપલ્સ કો.ઓ. બેંકની આજે યોજાયેલી ચૂંટણીમાં મતદાનની પેટર્ન તેમજ એક ચોક્કસ સમાજના મતદારોએ અપનાવેલા ક્રોસ પેનલ વોટીંગના રૂખને જોતા એવું જણાય આવે છે કે સહકાર પેનલ કે જે બેંકના પૂર્વ ડિરેક્ટરોએ બનાવેલી પેનલ છે તેના બહુમતિ સભ્યોની તરફેણમાં જબરદસ્ત વોટીંગ થયાનું જણાય રહ્યું છે. કુલ 13 ડિરેક્ટરોની બેઠક માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં 10 સીટ સામાન્ય વર્ગના ઉમેદવારો, 2 મહિલા કેન્ડીડેટ અને 1 એસસીએસટી વર્ગ પૈકી 10 સામાન્ય વર્ગ માટેની બેઠક પર એક ચોક્કસ સમાજના મતદારોએ પોતાના સમાજના બન્ને પેનલના મતદારોને મત આપ્યો હોવાનું મતદાન કરીને બહાર આવેલા અનેક મતદારોએ એક્ઝિટ પોલમાં જણાવ્યું હતું. સહકાર પેનલને એટલે પણ સમર્થન મળી રહ્યું છે કેમકે વિકાસ પેનલના કેપ્ટન ખુદ મુકેશ દલાલ કે જેઓ બેંકના હાલના ચેરમેન પણ છે, તેમણે તેમની પેનલમાં કેટલાક રાજકારણીઓને સમાવતા બેંકમાં રાજકારણ નહીં ચલાવવા સંદર્ભે સહકાર પેનલે મતદારોમાં ભારે પ્રચાર પણ કર્યો હતો. આમ, આવતીકાલના પરીણામોમાં વિકાસ પેનલને એન્ટીઇન્કમબંસી ફેક્ટર અને રાજકારણમાં જોડાણ નડી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

આજે સવારે 9 કલાકથી શહેરના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ સંકુલ ખાતે મતદાન શરૂ થયું હતું. પહેલા જ કલાકમાં 1500થી વધુ શેરહોલ્ડરો મતદાન માટે ઉમટી પડ્યા હતા. મતદાન મથકે મતદારોને રિઝવવા માટે ઉમેદવારોએ પોતાને જે ચૂંટણી ચિન્હો મળ્યા હતા એ પશુ પક્ષીઓના વસ્ત્ર પરિધાન કરેલા કેન્વાસરોને રોકીને છેલ્લી ઘડી સુધી મતદારો તેમનું નામ કે તેના ચિન્હને ન ભૂલે એ રીતે પ્રચાર કર્યો હતો.વનિતા વિશ્રામ સંકુલ ખાતે સવારે 9 કલાકથી શરૂ થયેલું મતદાન સાંજે 6 કલાકે પૂર્ણ થયું ત્યાં સુધી ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. મતદારોને તેમના ઘરેથી મતદાન મથક સુધી લાવવા તેમજ લઇ જવા માટે ટુ વ્હીલ, ફોરવ્હીલ, રીક્ષા સહિતના વાહનોની વ્યવસ્થા જે તે ઉમેદવારોએ સ્વખર્ચે કરી હતી અને એ મુજબ જ ઉમેદવારોના સમર્થકો શેરહોલ્ડરોને પોતાના ઘરેથી મતદાન મથક સુધી દોરી લાવતા જોવાયા હતા.આજે મતદાન દરમિયાન નોંધપાત્ર ઘટના એ પણ બની હતી કે ક્રોસ પેનલ વોટીંગ કરીને આવેલા મતદાર શેરહોલ્ડરોએ પોતાના માનિતા ઉમેદવારોને કોને મત આપ્યા તેના મોબાઇલ ફોન પર લીધેલા ફોટોગ્રાફ્સ પણ દેખાડતા નજરે પડ્યા હતા. મળતી માહિતી મુજબ ચોક્કસ સમાજના મતદારોએ બન્ને પેનલમાં રહેલા પોતાના સમાજના ઉમેદવારોને જ મત આપ્યા અને તે અંગેના ફોટોગ્રાફ પણ મોબાઇલમાં લીધા હતા એ સૂચવે છે કે પીપલ્સ કો.ઓ. બેંકની ચૂંટણીમાં ભારે ક્રોસ પેનલ વોટીંગ થયું હતું.સમગ્ર વોટીંગ સમયગાળા દરમિયાન વનિતા વિશ્રામ પર ઉમેદવારો અને તેમના ટેકેદારોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરમાં આજે પીપલ્સ બેંકની ચૂંટણીને સમાંતર લિંબાયત વિધાનસભામાં આવતા વોર્ડ નં.21ની પેટા ચૂંટણી પણ યોજાઇ રહી હતી, એ ચૂંટણીમાં સાવ નિરસ માહોલ જોવા મળતો હતો જ્યારે વનિતા વિશ્રામ સંકુલમાં પીપલ્સ બેંકની ચૂંટણીને કારણે ભારે ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા.

જુદી જુદી સહકારી બેંકોએ સહકાર પેનલને સપોર્ટ જાહેર કર્યો

પીપલ્સ બેંકના શેરહોલ્ડરોને સહકાર પેનલની અપીલ

પીપલ્સ બેંકની ચૂંટણીમાં સહકાર પેનલ સામે વિકાસ પેનલનો સાવ ફિક્કો પ્રચાર

રિપોર્ટેડ ઓન 4 ઓગસ્ટ 2023

સુરત પીપલ્સ કો.ઓ. બેંકની આગામી તા.6 ઓગસ્ટે યોજાઇ રહેલી ચૂંટણીમાં સહકાર પેનલના જોરદાર પ્રચાર સામે ભાજપના મહામંત્રી મુકેશ દલાલની વિકાસ પેનલનો પ્રચાર સાવ ફિક્કો જણાય રહ્યો છે. મળતી માહિતી મુજબ શેરહોલ્ડરોનો રૂખ સહકાર પેનલ તરફ વોટિંગનો જણાય રહ્યો હોઇ, વિકાસ પેનલના ઉમેદવારો મોટા ભાગનો સમય પોતાના પ્રચાર કાર્યાલયમાં જ વિતાવી રહ્યા છે જ્યારે સહકાર પેનલનું કેમ્પેન દ્વીસ્તરીય રીતે ચાલી રહ્યું છે. સહકાર પેનલના ઉમેદવારો ડોર ટુ ડોર જઇને શેર હોલ્ડરોના ઘરે જઇને પોતાની આખી પેનલ માટે વોટ માગી રહ્યા છે જ્યારે બીજી તરફ બેક ઓફિસની ટીમ સોશ્યલ મિડીયા થકી અંદાજે 45 હજાર જેટલા મતદારો સુધી પહોંચી ચૂક્યા હોવાની માહિતી મળી છે.

ગુજરાત હાઇકોર્ટના રૂલિંગ પછી પીપલ્સ બેંકની ચૂંટણીમાં પેનલના સમીકરણો બદલાયા

ગુજરાત હાઇકોર્ટે સુરત જિલ્લા રજિસ્ટ્રાર અને સુરત પીપલ્સ કો.ઓ.બેંકના ચૂંટણી અધિકારી ધ્રુવિન પટેલની ઉમેદવારીપત્રો રદ કરવાની કાર્યવાહી સ્થગિત કરી દીધા પછી પીપલ્સ બેંકના પૂર્વ ડિરેક્ટરો ચૂંટણી લડી શકે તેમ હોઇ, હવે નીચે મુજબના ઉમેદવારો જુદી જુદી પેનલમાંથી ચૂંટણી લડશે.

  • અમિત ગજ્જર સહકાર પેનલ
  • મુકેશ દલાલ વિકાસ પેનલ

સુરત પીપલ્સ બેંકમાં રજિસ્ટ્રારે સત્તા બહાર ઉમેદવારીપત્રો રદ કર્યા

રિપોર્ટેડ ઓન 2 ઓગસ્ટ 2023 

સુરત પીપલ્સ બેંકની આગામી  રવિવારે યોજાનારી ચૂંટણીમાં આજે ગુજરાત હાઇકોર્ટની સૂચનાને પગલે જબરદસ્ત વળાંક આવ્યો છે. સુરત પીપલ્સ કો.ઓ. બેંકની ચૂંટણીના અધિકારી તરીકે સુરત જિલ્લા સહકારી રજિસ્ટ્રારે પોતાની સત્તા બહાર જઇને 5 સિનિયર ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો રદ કર્યા હોવાનું નોંધીને ગુજરાત હાઇકોર્ટે પાંચેય ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો ગ્રાહ્ય રાખીને તેમને ચૂંટણી લડતા રોકવા નહીં તેવી સ્પષ્ટ સૂચના વચગાળાના આદેશમાં આપી હોવાનું જાણવા મળ્યું છે.સુરત પીપલ્સ કો.ઓ. બેંકની ચૂંટણી કરાવવા માટે બેંક બોર્ડે સુરત જિલ્લા સહકારી રજિસ્ટ્રારની નિમણૂંક કરી હતી. હાલમાં સુરત જિલ્લા સહકારી રજિસ્ટ્રાર તરીકે ધ્રુવિન પટેલ નામના અધિકારી ફરજ બજાવી રહ્યા છે. પીપલ્સ બેંકની ચૂંટણીમાં ચેરમેન મુકેશ દલાલ, મુકેશ ગજ્જર, અમિત ગજ્જર, સંજીવ તમાકુવાલા અને સુનિલ મોદી એમ પાંચ ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી ધ્રુવિન પટેલે રદ કર્યા હતા. ઉમેદવારી પત્રો રદ કરવા પાછળ એવું કારણ આપવામાં આવ્યું હતું કે રિઝર્વ બેંકના કાયદા અનુસાર કોઇપણ વ્યક્તિ બેંકના ડિરેક્ટર તરીકે 8 વર્ષથી વધુ સમય સુધી રહી શકે નહીં. ઉપરોક્ત પાંચેય સિનિયર ડિરેક્ટરો આઠથી વધુ વર્ષોથી ડિરેક્ટર પદે રહ્યા હોઇ, જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવિન પટેલે પાંચેયના ઉમેદવારીપત્રો રદ કરી દીધા હતા.આ મુદ્દાને બેંકના ડિરેક્ટરોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેના અનુસંધાને આજે યોજાયેલા હિયરિંગ દરમિયાન ગુજરાત હાઇકોર્ટે એવી સ્પષ્ટ સૂચના આપી હતી કે જિલ્લા રજિસ્ટ્રારે પોતાની સત્તા બહાર જઇને આ ઉમેદવારીપત્રો રદ કર્યા છે. બેંકીંગ રેગ્યુલેશન્સમાં તેમણે ડખલગીરી કરવી જોઇએ નહીં એ સંદર્ભની ટીપ્પણી સાથે ગુજરાત હાઇકોર્ટે આ ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો માન્ય રાખીને તેમને ચૂંટણી લડવા દેવા સંદર્ભની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું હતું.ગુજરાત હાઇકોર્ટના આ સંદર્ભની સૂચનાઓ બાદ આજે સાંજે 5 કલાકે તાબડતોડ તમામ ઉમેદવારોની મિટીંગ રજિસ્ટ્રાર કમ ચૂંટણી અધિકારી ધ્રુવિન પટેલે યોજી હતી. ઉમેદવારોની આ મિટીંગમાં જેમના ફોર્મ રદ કરાયા હતા એ તમામ ઉમેદવારોને પણ હાજર રખાયા હતા.

SPB Elections: સહકાર પેનલનો સોશ્યલ મિડીયા અને ડોર ટુ ડોર જોરદાર પ્રચાર શરૂ

રિપોર્ટેડ ઓન 27 જુલાઇ 2023

સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં ચૂંટણી નિશ્ચિત બની છે. બેંકના ચેરમેન અને સુરત ભાજપના મહામંત્રી મુકેશ દલાલ પ્રેરિત વિકાસ પેનલની સામે સહકાર પેનલે જોરદાર પ્રચાર શરી દીધો છે. મળતી માહિતી મુજબ સહકાર પેનલના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કરીને શેર હોલ્ડરોના પોકેટમાં વ્યક્તિગત પ્રચાર શરુ કર્યો છે જ્યારે તેમની બેક ઓફિસ દ્વારા સોશ્યલ મિડીયના માધ્યમથી ખાસ કરીને વ્હોટ્સએપ પર સહકાર પેનલને મતદાન કરવા માટે જબરદસ્ત કેમ્પેન શરૂ કર્યું છે.

SPB Elections: બેંકના ચેરમેને મુકેશ દલાલની પેનલને જોરદાર ટક્કર આપવા સહકાર પેનલનું નિર્માણ

સુરત પીપલ્સ કો.ઓ. બેંક લિ.ની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક પરત ખેંચવાની અંતિમ મુદત સુધીમાં થયેલી સમાધાન માટેની દરેક મિટીંગો વિફળ રહ્યા બાદ હવે મુકેશ દલાલની પેનલને ટક્કર આપવા માટે બેંકના પૂર્વ ડિરેક્ટરોની સહકાર પેનલનું નિર્માણ થયું છે. ઉમેદવારીપત્રક પરત ખેંચાવાની મુદત બાદ હવે ઇલેક્શન નિશ્ચિત બન્યું છે. મુકેશ દલાલે પોતાની સત્તાધારી પેનલને વિકાસ પેનલનું નામ આપ્યું છે જ્યારે તેમની સામે બેંકના પૂર્વ ડિરેક્ટરો મુકેશ ગજ્જર, અમિત ગજ્જર, સંજીવ તમાકુવાલા, સુનિલ મોદીએ પોતાની પેનલનું નામ સહકાર પેનલ રાખ્યું છે. સહકાર પેનલ પીપલ્સ બેંકની ચૂંટણીમાં સત્તાધારી પેનલને જોરદાર ટક્કર આપશે એ વાત નિશ્ચિત મનાય રહી છે.

  • સહકાર પેનલના ઉમેદવારો
  • આયુષિ અમિત ગજ્જર
  • આશિષ નટવરલાલ તમાકુવાલા
  • બિપિન મનસુખલાલ સાવલિયા
  • કેતન પ્રવિણચંદ્ર મોદી
  • મહેક નરેન્દ્ર ગાંધી
  • નિમિષ મુકેશચંદ્ર ગજ્જર
  • રાજેન્દ્ર પૂનમચંદ લાલવાલા
  • રોહિત શશિકાંત મહેતા
  • સમિર કાંતિલાલ બોડાવાલા
  • યતિશ ચંદ્રકાંત પારેખ
  • અન્યુતા ગોવિંદ મોદી
  • જસ્મિન જગદીશચંદ્ર મહેતા
  • કૈલાશ મગનલાલ રાંદેરીયા

આ ડિરેક્ટરો સહકાર પેનલને ખુલ્લું સમર્થન કરી રહ્યા છે

  • મુકેશ નાનાલાલ ગજ્જર
  • સુનિલ કનૈયાલાલ મોદી
  • સંજીવ નટવરલાલ તમાકુવાલા
  • અમિત દિલિપભાઇ ગજ્જર

ભાજપના મહામંત્રી મુકેશ દલાલની વિકાસ પેનલના ઉમેદવારો

  • અનિલ દલાલ
  • ક્રિનલ જરીવાલા
  • દિવ્યા બોડાવાલા
  • રાજેશ દૂધવાલા
  • અશોક સોપારીવાલા
  • દિપક આફ્રિકાવાલા
  • ધર્મેશ વાણિયાવાલા
  • કેયુર ચપટવાલા
  • જયેશ દલાલ
  • શૈલેષ જરીવાલા
  • જે.સી. જરીવાલા
  • રાહુલ મારુ
  • મુકેશ દેસાઇ

પરાજયની બીકે પીપલ્સ બેંકની ચૂંટણીમાંથી પરેશ પટેલની પીછેહઠ

સુરતમાં હેડક્વાર્ટર ધરાવતી ગુજરાતની મોટામાં મોટી મલ્ટી સ્ટેટ કો.ઓ. બેંક, સુરત પીપલ્સ બેંકની ચૂંટણીમાં રાજકારણીઓની ઘૂસણખોરી પર બ્રેક લાગી ગઇ છે. સી.આર. પાટીલના ખાસમખાસ ગણાતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશ પટેલે આજે પીપલ્સ બેંકની ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. પરેશ પટેલ સાથે સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ પંકજ દેસાઇએ પણ ઉમેદવારી પરત ખેંચી લેતા ચૂંટણી પહેલા જ ભાજપની પેનલ વેરવિખેર થઇ ગઇ છે. હવે પીપલ્સ બેંકની ચૂંટણીમાં મોઢ વણિક સમાજ કે ખત્રી સમાજ સાથે સંકળાયેલા રાજકારણીઓ જ મેદાનમાં રહ્યા છે.11 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી સુરતની મોટામાં મોટી સહકારી ક્ષેત્રની બેંક સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં આગામી તા.6 ઓગસ્ટે યોજાનારી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં ઉમેવદવારી પરત ખેંચવાની આજે અંતિમ મુદત પહેલા 38માંથી 9 ઉમેદવારોએ ઉમેદવારીપત્રક પરત ખેંચી લીધા હતા. પીપલ્સ બેંકની ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચનારામાં સૌથી વધુ ચર્ચાસ્પદ સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ રહ્યા છે. પરેશ પટેલે આજે બપોરે બેંકમાં આવીને પોતાનું વિડ્રોલ ફોર્મ આપી નીકળી ગયા હતા. એ પછી તેમનો સંપર્ક કરી શકાયો ન હતો.

બેંક વર્તુળમાંથી મળતી માહિતી મુજબ પરેશ પટેલ સહિત ભાજપી ઉમેદવારો માટે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જો તેઓ ચૂંટણી લડ્યા હોત તો તેમનો પરાજય નિશ્ચિત હતો અને તેમનો પરાજય એટલે ભાજપાનો પરાજય થાય. આવી સ્થિતિમાં પરાજયની બીકે તેમણે ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું હોવાનું મનાય રહ્યું છે. જોકે તેમણે ઉમેદવારી કરી શું કામ અને કરી તો પરત કેમ ખેંચી એ અંગે ખુદ ભાજપી કાર્યકર્તાઓમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. કેમકે જો ચૂંટણી લડવાની હિંમત જ ના હોય તો પછી ઉમેદવારી કરવાનું નાટક શું કામ કર્યું, ઉમેદવારી પરત ખેંચી લેવાના કારણે પણ પીપલ્સ બેંકની ચૂંટણીમાં ભાજપ માટે નીચાજોણું થવા પામ્યું હોવાની લાગણી કાર્યકર્તાઓમાં ફરી વળી છે.પરેશ પટેલ ઉપરાંત સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ પંકજ દેસાઇ, વર્તમાન ચેરમેન મુકેશ દલાલના પત્ની નીલાબેન મુકેશ દલાલ, જાણિતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતીશ મોદીના પત્ની દક્ષાબેન અને અરુણાબેન સોપારીવાલા એમ પાંચ એવા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે જે વર્તમાન ચેરમેન મુકેશ દલાલની પેનલના મનાય છે.આ ઉપરાંત પૂર્વ ડિરેક્ટરોની પેનલના રાહુલ ગજ્જર, રાધિકા જગદીશ મહેતા, હેમાંગીની તમાકુવાલા અને આનંદ ગાંધીએ પણ ઉમેદવારી પરત ખેંચી છે. સુરત પીપલ્સ બેંકની ચૂંટણીમાં હવે 13 બેઠક માટે 29 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

April 2, 2022
Cia_business_news-1280x936.jpg
1min937

લોકો પોતાની મહામૂલી બચત રૂપી થાપણો જ્યાં ફિક્સ ડિપોઝીટ સ્વરૂપે મૂકતા હોય એ સૌથી વિશ્વસનીય બેંક ગણાતી હોય છે, વરાછા બેંકે ફિક્સ ડિપોઝીટ મેળવવામાં આખા રાજ્યમાં સૌથી વધુ ગ્રોથ હાંસલ કર્યો

હિસાબી વર્ષ 2021-22 પૂરું થતાંની સાથે જ બેંકો અને ફાઇનાન્સીયલ સંસ્થાઓએ પોતપોતાના વાર્ષિક સરવૈયા રજૂ કરવા માંડ્યા છે. પરંતુ, આજે બહાર આવેલી ગુજરાત રાજ્યની સહકારી બેંકોની વાર્ષિક સ્થિતિનો અભ્યાસ કરતા એ વિગત પણ બહાર આવી કે ગત હિસાબી વર્ષમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરની અસર વર્તાઇ હોવા છતાં સુરતની સહકારી બેંકોએ જબરદસ્ત ગ્રોથ સાથે વિકાસ સાધ્યો છે. સુરતની વરાછા કો.ઓ. બેંક ફિક્સ ડિપોઝિટ મેળવવામાં 16.87 ટકા ગ્રોથ સાથે સમગ્ર ગુજરાતની બેકોમાં થાપણ મેળવવામાં નંબર વન બની છે. એવી જ રીતે સુરતની જ પ્રાઇમ કો.ઓ. બેંકે સૌથી વધુ એડવાન્સીઝ એટલે કે ધિરાણ આપવામાં વિક્રમ કર્યો છે.

સુરત અને ગુજરાતની બેંકોએ ગત હિસાબી વર્ષમાં સાધેલી પ્રગતિ અંગે મળતી માહિતી મુજબ 31મી માર્ચ 2021ના રોજ પૂરા થયેલા હિસાબી વર્ષમાં સુરતની વરાછા બેંકે કુલ 2200.47 કરોડની થાપણો (ફિક્સ ડિપોઝીટ્સ) મેળવી હતી. તા.31મી માર્ચ 2022ના રોજ પૂરા થયેલા વર્ષ દરમિયાન આ બેંકે થોપણો મેળવવામાં 16.87 ટકાના ગ્રોથ સાથે કુલ 2571.76 કરોડની થાપણો મેળવીને લોકોનો વિશ્વાસ કેળવ્યો છે. થાપણો મેળવવામાં 16.87 ટકા ગ્રોથ આખા રાજ્યની તમામ સહકારી બેંકો પૈકી કોઇ બેંક હાંસલ કરી શકી નથી.

વરાછા બેંકે થાપણો મેળવવામાં ગ્રોથરેટ તો હાંસલ કર્યો છે પરંતુ, રૂપિયાની દ્રષ્ટીએ પણ સૌથી વધુ રૂ.371.29 કરોડની થાપણો મેળવીને સમગ્ર સુરતમાં પહેલો ક્રમ હાંસલ કર્યો છે.

એવી જ રીતે એડવાન્સીઝ, ધિરાણ (લોન-ફાઇનાન્સ)ની વાત કરીએ તો પ્રાઇમ કો.ઓ.બેંકે મેદાન માર્યું છે. મળતી માહિતી મુજબ પ્રાઇમ બેંક ધિરાણ આપવામાં અગાઉના વર્ષની તુલનાએ તાજેતરમાં પૂર્ણ થયેલા હિસાબી વર્ષ દરમિયાન 32.52 ટકાનો ગ્રોથ હાંસલ કર્યો છે. પ્રાઇમ બેંકે 2020-21માં કુલ 840.75 કરોડનું ધિરાણ કર્યું હતું જ્યારે 2021-22માં 1162.93 કરોડનું ધિરાણ કર્યું છે. પ્રાઇમ બેંક ન સિર્ફ સુરતમાં બલ્કે સમગ્ર રાજ્યમાં ધિરાણ આપવામાં સૌથી વધુ ગ્રોથ રેટ હાંસલ કરનારી બેંક બની છે.

ગુજરાતની સહકારી બેંકોનું 2021-22 હિસાબી વર્ષનું સરવૈયુ

થાપણો અને ધિરાણ બન્નેમાં પીપલ્સ બેંક ત્રીજા ક્રમે

સુરત સૌથી જૂની અને મોટી જ બેંક નહીં બલ્કે ગુજરાત અને હવે તો મલ્ટી સ્ટેટ શિડ્યુલ્ડ બેંક બની ચૂકેલી સુરત પીપલ્સ કો.ઓ. બેંક તાજેતરમાં પૂર્ણ થયેલા 2021-22ના હિસાબી વર્ષમાં થાપણો મેળવવામાં અને ધિરાણ આપવામાં વરાછા બેંક, પ્રાઇમ બેંક પછી ત્રીજા ક્રમે ઉતરી ગઇ છે. 2020-21ની તુલનામાં 2021-22માં પીપલ્સ બેંકની થાપણો (ફિક્સ્ડ ડિપોઝીટ)માં ફક્ત 1.43 ટકાનો ગ્રોથ એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન પીપલ્સ બેંક અગાઉના વર્ષ કરતા ફક્ત રૂ.75.43 કરોડની જ થાપણો મેળવી શકી છે. તેની સરખામણીએ વરાછા બેંકને 371.29 કરોડની વધુ થાપણો અને પ્રાઇમ કો.ઓ. બેંકને 156.98 કરોડની વધુ થાપણો તેમના આગલા વર્ષના પરફોર્મન્સની સરખામણીએ મળી છે. એવી જ રીતે પીપલ્સ બેંક ધિરાણ આપવામાં પણ પછડાઇને ત્રીજા ક્રમે સરકી ગઇ છે. પીપલ્સ બેંકે ધિરાણ આપવામાં 12.33 ટકા ગ્રોથ કર્યો છે. જ્યારે પ્રાઇમ કો.ઓ. બેંકે 32.52 ટકા અને વરાછા બેંકે 18.04 ટકા ગ્રોથ અગાઉના વર્ષના ધિરાણમાં મેળવ્યો છે.

આખા ગુજરાતની સહકારી બેંકોનું 2021-22ના હિસાબી વર્ષનો તુલનાત્મક અભ્યાસ