CIA ALERT

Chola Dynasty Copper Plates Netherlands: Archives - CIA Live

May 17, 2026
image-9.png
1min74

ભારત અને નેધરલેન્ડ વચ્ચે પ્રગાઢ થઈ રહેલા સંબંધોના પ્રતીક સમાન એક ઐતિહાસિક ઘટના તેમની મુલાકાત સમયે ઘટી છે. નેધરલેન્ડે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 11મી સદીના ચોલ રાજવંશ સાથે જોડાયેલા અત્યંત દુર્લભ તામ્રપત્રો ભારતને સોંપી દીધા છે. આ ખાસ પ્રસંગે ડચ વડાપ્રધાન માર્ક રૂટે પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારત આ તામ્રપત્રોને, જેને નેધરલેન્ડમાં લીડેન પ્લેટ્સ (Leiden Plates) તરીકે ઓળખવામાં આવે છે, તેને પરત લાવવા માટે વર્ષ 2012 થી પ્રયાસો કરી રહ્યું હતું, જે આખરે સફળ થયા છે.

19 મી સદીથી નેધરલેન્ડમાં સચવાયેલા હતા આ તામ્રપત્ર

વડાપ્રધાન મોદીએ આ ક્ષણને દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ તામ્રપત્રો તમિલનાડુના નાગપટ્ટિનમ સ્થિત ‘ચૂલામણિવર્મ -વિહાર’ને આપવામાં આવેલા દાનના ઐતિહાસિક દસ્તાવેજો છે. આમાં 21 મોટા અને 3 નાના તામ્રપત્રો સામેલ છે. આ તામ્રપત્રો આશરે 30 કિલો વજન ધરાવે છે અને તેના પર તમિલ તથા સંસ્કૃત ભાષામાં શિલાલેખ અંકિત છે.

આ દસ્તાવેજો ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમ સાથે સંબંધિત છે, જે તેમના પિતા રાજારાજા ચોલ પ્રથમ દ્વારા અપાયેલા મૌખિક વચનને ઔપચારિક સ્વરૂપ આપે છે. તે 19 મી સદીથી નેધરલેન્ડની લીડેન યુનિવર્સિટીમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.

તામ્રપત્રોની વાપસી સિવાય વડાપ્રધાન મોદીએ નેધરલેન્ડની રાજધાની હેગ (The Hague) ખાતે યોજાયેલી ભારત-નેધરલેન્ડ સીઈઓ રાઉન્ડટેબલ બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ હાઈ-લેવલ મીટિંગમાં બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી અને રોકાણ વધારવા પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.

સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી અને હાઇ-એન્ડ મેન્યુફેક્ચરિંગ, શિપિંગ, લોજિસ્ટિક્સ અને ગ્રીન એનર્જી, એગ્રીટેક (કૃષિ ટેકનોલોજી) અને વોટર મેનેજમેન્ટ, ભારત-યુરોપિયન યુનિયન (EU) ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA),

બેઠકમાં નેધરલેન્ડની અગ્રણી કંપનીઓના વડાઓએ ભારતમાં છેલ્લા 10-12 વર્ષમાં આવેલા આર્થિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બદલાવોની પ્રશંસા કરી હતી. રોટરડમ પોર્ટ અને એપીએમ ટર્મિનલ્સના CEOએ જણાવ્યું કે, “ભારતમાં નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલું રોકાણ અદ્ભુત છે. જહાજો બંદરો પર આરામ કરવા માટે નહીં પણ વ્યાપાર માટે બને છે. ભારતની આર્થિક પ્રગતિ જોઈને ભવિષ્યમાં રોકાણની મોટી તકો દેખાઈ રહી છે.” ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે પાર્ટનરશિપ: સેમિકન્ડક્ટર ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓએ જણાવ્યું કે પીએમ મોદીની સેમિકન્ડક્ટર ઉદ્યોગ સ્થાપવાની મહત્વાકાંક્ષાના કારણે ભારત ટૂંક સમયમાં આ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે. વડાપ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત-EU વ્યાપાર કરાર આગામી સમયમાં ટેકનોલોજી અને વેપારના ક્ષેત્રે બંને દેશોના સંબંધોને એક નવી ઊંચાઈ પર લઈ જશે.