-સ્તન કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો
-પ્રત્યેક મહિલાઓએ ૪૦ વર્ષની ઉંમર બાદ દર વર્ષે નિયમિત મેમોગ્રાફી કરાવવી જોઇએ : ડોક્ટર્સ
અમદાવાદ,શનિવાર
ગુજરાત સહિત દેશભરમાં કેન્સરના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. પ્રત્યેક ૨૮ સ્ત્રીમાંથી એક સ્ત્રીને તેના જીવનકાળ દરમિયાન સ્તન કેન્સરનું નિદાન થતું હોવાનું તારણ એક અભ્યાસમાં સામે આવ્યું છે.
અમદાવાદ ખાતે ચોથી ગુજરાત બ્રેસ્ટ મીટ (જીબીએમ) અને પાંચમી મિડ-યર જીઆઇ ઓન્કોલોજી કોન્ફરન્સ યોજાઇ રહી છે. જેમાં ૨૦૦થી વધુ નિષ્ણાંત ડોક્ટર્સ ભાગ લઇ રહ્યા છે. કોન્ફરન્સમાં ભાગ લઇ રહેલા ડોક્ટર્સના મતે સમગ્ર વિશ્વમાં સ્ત્રીઓમાં સ્તન કેન્સર તથા તેમાં જણાતી જીવલેણતાને કારણે મૃત્યુદર ખૂબ જ મોટા પ્રમાણમાં વધ્યું છે. આ ઉપરાંત બદલાતી જતી જીવનશૈલી અને વિટામીનની ઉણપને કારણે આંતરડાને લગતા કેન્સરના પ્રમાણમાં વધારો થયો છે. ભારતમાં પ્રત્યેક પાંચમાંથી એક વ્યક્તિને આંતરડાના કેન્સરનું નિદાન થાય છે.
ભારતમાં સ્તન કેન્સરના કેસમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ચિંતાજનક વધારો થયો છે. આ અંગે ડો. તનય શાહે જણાવ્યું કે, ‘અદ્યતન જીવનશૈલી, વિલંબ બાદ લગ્ન થવા, માતૃત્વ મોટી ઉંમરે ધારણ કરવું સ્તન કેન્સર માટેના કેટલાક કારણો છે. ૪૦ની વય બાદ પ્રત્યેક મહિલાઓએ દર વર્ષે નિયમિત મેમોગ્રામ ટેસ્ટ કરાવવા જોઇએ. કેટલીક ગાંઠ પીડા આપનારી નહીં હોવાથી અનેક લોકો તેને નજરઅંદાજ કરવાની મોટી ભૂલ કરે છે. હકીકતમાં સહેજપણ શંકા જણાય તો તેના માટે તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. ‘