દક્ષિણ ગુજરાતની ગ્રાન્ટેડ કોલેજોમાં વહીવટી કર્મચારીઓની ભરતી ક્યારે ?
આશિષ સી. કવીશ્વર
પ્રમુખ, વીર નર્મદ દ.ગુ.યુનિવર્સિટી સલંગ્ન કોલેજોનું વહીવટી કર્મચારી મંડળ
દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આવેલી ગ્રાન્ટ–ઈન-એઈડ કોલેજોનાં કાર્યાલયોમાં ડોકીયું કરીએ તો ખ્યાલ આવશે કે સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવ્યા હોય તેવા કેટલા કર્મચારીઓ કાર્યરત છે કેટલીક કોલેજોમાં તો એક પણ સરકાર નિયુક્ત વહીવટી કર્મચારી જ નથી એડહોક કર્મચારીઓથી આ કોલેજોનું ગાડું ગબડે છે. છેલ્લા ઘણા વર્ષોથી અનુભવી કર્મચારીઓ ક્રમશઃ નિવૃત્ત થઈ રહયા છે સમયસર બઢતી પ્રક્રિયાની મંજુરી ન મળવાને કારણે આજગ્યાઓ ખાલી રહી જાય છે. અરે , છઠ્ઠા પગારપંચને લાગુ પાડતી વખતે કેટલીક કોલેજોમાં હેડકલાર્ક, એકાઉન્ટન્ટ જેવી ચાવીરૂપ જગ્યાઓ નાબુદ કરી દેવામાં આવી. આ જગ્યાઓ હવે કાયમી માટે ખાલી રહેશે. હવે બઢતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો મોટાભાગની કોલેજમાં નીચે બઢતીપાત્ર કર્મચારીઓ જ નથી જે બઢતી મેળવીને ઉપલા સ્થાન પર જઈ શકે.
કોઇપણ સંસ્થાનું કાર્યાલય એ સંસ્થાનું હૃદય હોય છે .જે હમેશા ધબકતું રહે એ જરૂરી છે. નર્જીવા પગારમાં કામ કરતા એડહોક કર્મચારીઓ પોતાના ભવિષ્યની ચિંતા કરશે કે કોલેજનાં કામમાં પોતાનું ૧૦૦ ટકા યોગદાન આપશે ? એની પાસે સમપિર્તતા કે કામની ગુણવતાની અપેક્ષા રાખવી કેટલે અંશે યોગ્ય છે ? ક્યારેક ભરતી પ્રક્રિયા શરૂ થશે તો એમની પસંદગી થશે એ આશાએ કર્મચારીઓ જે તે કોલેજો માં કામ કરી રહયાં છે . હાલમાં દ.ગુ. વિસ્તારની કોલેજોમાં વહીવટી કર્મચારીઓની ખાલી જગ્યાઓ વિશે સર્વ કરવામાં આવ્યો તો ચોકાવનારા પરિણામો સામે આવ્યા. ૩૫ જેટલી કોલેજો પાસે ભેગી કરવામાં આવેલ માહિતી વહીવટી કર્મચારી નીચે પ્રમાણે જગ્યાઓ ખાલી છે.
જગ્યાઓનું નામ | મળવાપાત્ર જગ્યા | ભરાયેલ જગ્યા | ખાલી જગ્યા |
કાર્યલાય અધિક્ષક | ૧૭ | ૩ | ૧૪ |
હેડ ક્લાર્ક | ૨૯ | ૫ | ૨૪ |
એકાઉન્ટ્ન્ટ | ૨૫ | ૫ | ૨૦ |
સિનિ. ક્લાર્ક | ૭૨ | ૩૧ | ૪૧ |
જુનિ. ક્લાર્ક | ૮૮ | ૨૧ | ૬૯ |
લેબ આસી. | ૪૨ | ૧૦ | ૩૨ |
કુલ | ૨૭૩ | ૭૫ | ૧૯૮ |
બાકી રહી ગયેલી કોલેજોમાં આ જ પરિસ્થિતી હશે એવું ન માનવાને કોઈ કારણ નથી.
પટાવાળા, સફાઈ કામદાર વગેરે વર્ગ-૪નાં કર્મચારીઓની ભરતી તો કેટલાક વર્ષોથી બંધ જ કરી દેવામાં આવી છે. આજે કોલેજોમાં સરકાર નિયુક્ત વર્ગ ૪ના કર્મચારીઓ ખુબ જ ઓછી સંખ્યામાં રહી ગયા છે. તેમાના મોટાભાગના હવે નિવૃતિને આરે છે.
વહીવટી કર્મચારીઓને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણનો લાભ પણ સમયસર મળતો નથી. કેટલાક કર્મચારીઓ તો આ લાભ મળવાની રાહ જોતા જોતા નિવૃત્ત થઈ ગયા. એટલો બધો અસહય વિલંબ કરવામાં આવી રહયો છે.
વર્તમાનપત્રોમાં શિક્ષણની ચિંતા કરતા અનેક લેખો પ્રકાશિત થતા રહે છે. જેમાં શિક્ષકો અને અધ્યાપકોની ઘટ વિશે હંમેશા ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. આ ચિંતા સાચી જ છે. એનો વિરોધ કરવાનો પ્રશ્ન જ નથી. પણ વહીવટી કર્મચારીઓ એ પણ કોલેજોનું મહત્વનું પરિબળ છે. એની અવગણના ક્યાં સુધી ? એમના તરફ કેમ કોઈનું ધ્યાન જતું નથી ?
આ બધી બાબતોની ચિંતા ફક્ત વહીવટી કર્મચારી મંડળોએ જ કરવાની સંચાલકો મંડળો, આચાર્ય મંડળો , યુનિવર્સીટીનાં સત્તા મંડળો ,શિક્ષણશાસ્ત્રીઓ, વિદ્યાર્થીમંડળો , વાલીમંડળો કે સમાજ આ બાબતે ક્યારે વિચારશે ? કોલેજોના વહીવટ સુચારુ રૂપે ચાલે તે માટે અનુભવી અને કાયમી વહીવટી કર્મચારીઓ પુરતી સંખ્યામાં હોય તે અત્યંત જરૂરી છે. અનુભવી કર્મચારીઓનો દુષ્કાળ સર્જાય તેવી પરિસ્થિતી આકાર લઇ રહી છે ત્યારે પ્રશ્નોના ઉકેલ માટે આ તમામ સ્તરોએ પ્રયત્નો થવા જોઈએ એવી આશા રાખીએ તો ખોટું નથી. શિક્ષણના સ્તરે ને ઉંચું લાવવાના પ્રયત્નો કરવાં હોય ત્યારે તે તમામ પાસાને અને તેની સાથે સંકળાયેલા પરિબળોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો જ તે યથાયોગ્ય ગણાય.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
