16/07/2026: આજે અષાઢી બીજ, જગતના નાથ ભગવાન જગન્નાથજી રથયાત્રાની ધૂમ, અમદાવાદ, સુરતમાં રથયાત્રાઓ

Share On :

જય જગન્નાથ…, 16/07/2026 આજે અષાઢી બીજ છે. સૂર્યોદય થતાની સાથે જ જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળશે અને નગરજનોને અલૌકિક દર્શન આપશે. ત્યારે આ 149મી રથયાત્રાની પળેપળની ખબર ગુજરાત સમાચાર ડિજિટલ તમારા સુધી પહોંચાડી રહ્યું છે. રથયાત્રાના અવસરે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઊઠ્યું છે.

મંદિરની બહાર વહેલી સવારે 3.30 વાગ્યે ભક્તો લાઈનમાં ઊભા રહીને ભગવાનની મંગળા આરતીનો લહાવો લેવા તરસી રહ્યા છે. આ સાથે જ જય રણછોડ માખણ ચોરના જયઘોષ કરી રહ્યા છે. તો મંદિરની અંદર પણ ઢોલ નગારા અને શરણાઇના સૂર ગુંજી રહ્યા છે. એટલું જ નહીં મંદિરની અંદર – બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદના જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વિધિવત પ્રસ્થાન થઈ ચૂક્યું છે. ગજરાજના પ્રસ્થાન બાદ, હવે ધાર્મિક અને સામાજિક સંદેશા આપતા વિવિધ આકર્ષક ટેબ્લોથી સજ્જ ટ્રકો પણ યાત્રાના માર્ગે રવાના થયા છે. ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે આ અદભુત ટેબ્લો નગરચર્યા દરમિયાન સમગ્ર યાત્રા માર્ગ પર આકર્ષણનું કેન્દ્ર બનશે.

સુરતમાં રથયાત્રા બપોર પછી રેલ્વે સ્ટેશનથી શરૂ થશે

જય જગન્નાથના નાદ સાથે આજે સુરતમાં નીકળશે ભવ્ય રથયાત્રા, હજારો ભાવિકો બનશે સાક્ષી

આષાઢ સુદ બીજના પાવન અવસરે આજે સુરત શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા નીકળશે. બપોરે રેલવે સ્ટેશન વિસ્તારથી પ્રસ્થાન કરનારી રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રિંગરોડ, સરદાર બ્રિજ, અડાજણ અને રાંદેર રોડ થઈને ઇસ્કોન મંદિર ખાતે વિરામ પામશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ શહેરવાસીઓ જોડાશે તેવી શક્યતા છે.

રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન માટે સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે તેવી અપેક્ષા છે. અનેક સ્થળોએ ભગવાનનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવશે, જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા, પ્રસાદ, પાણી અને મેડિકલ સેવા સહિતના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો, મહિલાઓ અને બાળકો પણ પરંપરાગત વેશભૂષામાં રથયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર પોલીસ જવાનોની તૈનાતી, ટ્રાફિક ડાયવર્ઝન, સીસીટીવી કેમેરા તેમજ કંટ્રોલ રૂમ મારફતે સતત નજર રાખવામાં આવશે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે જેથી ટ્રાફિક વ્યવસ્થામાં સરળતા રહે.

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તિ, શિસ્ત અને સામાજિક એકતાનું પ્રતિક બની રહી છે. વિવિધ સમાજો અને વેપારી સંગઠનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, જે શહેરની સર્વધર્મ સમભાવ અને સાંસ્કૃતિક એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

ભગવાન જગન્નાથની આ પવિત્ર યાત્રા શહેરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો સંદેશ લઈને નીકળશે તેવી ભાવિકોમાં શ્રદ્ધા જોવા મળી રહી છે. સમગ્ર સુરત આજે “જય જગન્નાથ”ના ગુંજતા જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :