Surat: પાંડેસરાની 125થી વધુ મિલોમાં ત્રણ દિવસથી ઉત્પાદન ઠપ્પ

Share On :
  • ભેદવાડ ખાડીના ઓવરફ્લોથી પાંડેસરા જીઆઇડીસીમાં ઉત્પાદન ઠપ
  • 20થી વધુ ડાઇંગ-પ્રિન્ટિંગ મિલોમાં 5થી 7 ફૂટ પાણી ઘૂસ્યાં, સીઇટીપી અને પમ્પિંગ સ્ટેશન બંધ થતાં 125થી વધુ મિલો ત્રણ દિવસથી બંધ

પાંડેસરા જીઆઇડીસીને અડીને આવેલી ભેદવાડ ખાડીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગત 6 જુલાઇથી પાણીનો આવરો શરૂ થયો હતો. જોતજોતામાં છેલ્લા અંદાજે 75 વર્ષમાં ન આવ્યું હોય તેટલું પાણી ખાડીમાં આવતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. ભેદવાડ ખાડીની વહન ક્ષમતા વર્ષોથી ઘટી જવા ઉપરાંત અનેક સ્થળોએ થયેલા દબાણો અને બોટલનેક જેવી સ્થિતિના કારણે પાણીનો નિકાલ ઝડપી થઈ શક્યો નહોતો. પરિણામે ખાડીમાંથી પાણી ઓવરફ્લો થઈ પાંડેસરા જીઆઇડીસીના ઔદ્યોગિક વિસ્તારમાં ફરી વળ્યું હતું.

આ અચાનક આવેલા પૂરના કારણે પાંડેસરા જીઆઇડીસીની 20થી વધુ ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલોમાં પાંચથી સાત ફૂટ સુધી પાણી ઘૂસી જતાં મશીનરી, કાચો માલ, તૈયાર માલ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમને વ્યાપક નુકસાન થયું છે. અનેક મિલોમાં ઉત્પાદન માટે જરૂરી સાધનો પાણીમાં ડૂબી જતાં ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે.

પૂરની સૌથી ગંભીર અસર પાંડેસરા જીઆઇડીસીના પમ્પિંગ સ્ટેશન તથા કોમન એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઇટીપી) પર જોવા મળી છે. પમ્પિંગ સ્ટેશન અને સીઇટીપીમાં ચાર ફૂટથી લઈને છથી સાત ફૂટ સુધી પાણી ભરાઈ જતાં સમગ્ર સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે. પાણી પમ્પિંગ માટે ઉપયોગમાં લેવાતા સબમર્સિબલ પંપ, મોટરો અને અન્ય મહત્વપૂર્ણ મશીનરી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતાં સમગ્ર પમ્પિંગ વ્યવસ્થા બ્રેકડાઉન થઈ ગઈ છે.

સીઇટીપીની ઓફિસોમાં પણ પાણી ઘૂસી જતાં ફર્નિચર, દસ્તાવેજો તથા અન્ય ઓફિસ સાધનોને નુકસાન થયું છે. પ્લાન્ટની મશીનરી ઉપરાંત ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમને પણ પારાવાર નુકસાન પહોંચ્યું હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું. મશીનરીને ફરી કાર્યરત કરવા માટે મોટા પાયે સમારકામ અને ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગની જરૂર પડશે.

સીઇટીપી અને પમ્પિંગ સ્ટેશન છેલ્લા ત્રણ દિવસથી સંપૂર્ણપણે બંધ હોવાથી પાંડેસરા જીઆઇડીસીની 125થી વધુ ડાઇંગ, પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ મિલો પાસે ઉત્પાદન બંધ રાખવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. એફ્લ્યુએન્ટના નિકાલની વ્યવસ્થા બંધ હોવાથી પર્યાવરણના નિયમોનું પાલન કરવા તમામ એકમોએ કામગીરી સ્થગિત કરી છે. ત્રણ દિવસથી ઉત્પાદન ઠપ રહેતાં ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ઉદ્યોગકારોએ ભેદવાડ ખાડીનું ડીપનિંગ, પહોળાઈ વધારવાની કામગીરી અને દબાણો દૂર કરવાની તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમના મતે જો ખાડીની વહન ક્ષમતા સમયસર વધારવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ ભારે વરસાદ દરમિયાન આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે.

સીઇટીપી અને અમૃતવનમાં 60 હજારથી વધુ છોડ-ઝાડ પાણીમાં ગરકાવ

ભારે વરસાદ અને પૂરના પાણીના કારણે પાંડેસરા જીઆઇડીસીના સીઇટીપી કેમ્પસ તેમજ અમૃતવન વિસ્તારમાં મળીને અંદાજે 60 હજારથી વધુ છોડ અને ઝાડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં હરિયાળી પ્રોજેક્ટને પણ ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પાણી ઓસર્યા બાદ છોડને બચાવવા માટે વિશેષ જાળવણી અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવશે.

તમામ મિલોને એક મહિના માટે સીઇટીપીના ઓપરેશન-મેઇન્ટેનન્સ ચાર્જમાં 50 ટકા રાહત

ભારે વરસાદ અને પૂરના કારણે પાંડેસરા જીઆઇડીસીના ઉદ્યોગોને પડેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સીઇટીપી સંચાલન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી તમામ મિલોને એક મહિના માટે સીઇટીપીના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ (ઓ. એન્ડ એમ.) ચાર્જિસમાં 50 ટકા રાહત આપવામાં આવશે. આ રાહત માટે કોઈ મિલને નુકસાન થયું છે કે નહીં તે માપદંડ રાખવામાં આવ્યો નથી. પાણી ભરાવાની સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીઆઇડીસીની તમામ મિલોને સમાન રીતે આ રાહતનો લાભ આપવામાં આવશે. આ નિર્ણયથી પૂરગ્રસ્ત ઉદ્યોગોને આર્થિક રીતે થોડી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :