ગુજરાતમાં 22 જુલાઇના 24 કલાકમાં નવા ૧૦૨૦ કેસ : ૨૮ મોત
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ મહાનગરોની સાથોસાથ હવે ગ્રામ્ય વિસ્તારોમાં અમર્યાદિત રીતે પ્રસરી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૧૦૨૦ નવા પોઝિટિવ કેસ મળ્યા છે જ્યારે સારવાર હેઠળના ૨૮ દર્દીઓના કોવિડ-૧૯ સંક્રમણથી મૃત્યુ થયા હોવાનું સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ કેસોમાં સૌથી વધારે આઠ મહનગરોના ૫૫૦ કેસ અને ૧૭ મૃત્યુ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૪૬૮ કેસ અને ૧૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે.
કોરોનાથી સૌથી વધારે ચેપગ્રસ્ત થયેલા સુરત મહાનગરમાંથી નવા ૨૦૧ દર્દીઓ નોંધાયા છે. જ્યારે જિલ્લાઓના નગરો, ગામોમાંથી નવા ૫૫ દર્દી ઉમેરાયા છે. જોકે, છેલ્લા વીસ દિવસથી ગંભીર સ્થિતિનો સામનો કરતાં સુરત શહેરના જ વધુ ૧૨ દર્દી તેમજ જિલ્લાના ૭ મળી ૧૯ દર્દીઓના સંક્રમણના કારણે મૃત્યુ થયા છે. આ પછી અમદાવાદ મહાનગરમાં નવા ૧૮૧ કેસ મળ્યા છે જ્યારે જિલ્લામાંથી નવા ૧૫ કેસ ઉમેરાયા છે. મહાનગરના વધુ ૩ દર્દીના કોવિડથી મૃત્યુ થયાનું જાહેર કરાયું છે.
અમદાવાદની જેમ હવે વડોદરામાં સૌથી સંક્રમિત નાગરવાડામાંથી નવા કેસ ઉમેરાતા ઘટીને નહીવત થયા છે પરંતુ નવા વિસ્તારોમાંથી રોજેરોજ નવા કેસ મળી રહ્યા છે. મહાનગરમાંથી ૬૨ કેસ મળ્યા છે તો જિલ્લાના ૧૮ કેસ નવા આવ્યા છે. મહાનગરમાં એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયાનું જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના ચાર મહાનગરોમાં જોઇએ તો રાજકોટમાંથી નવા ૪૮ કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાંથી ૧૨ કેસ આવ્યા છે. ભાવનગરમાં ૨૨ મળી કુલ ૩૮ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેરમાંથી ૨૦ નવા કેસ અને જિલ્લામાંથી ૧૦ કેસ નોંધાયા છે. શહેર અને જિલ્લામાં એક એક દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. જામનગર શહેરમાંથી ૧૨ મળી કુલ પંદર કેસ નવા ઉમેરાયા છે.
અમદાવાદમાં કોટ વિસ્તારમાંથી કેસની સંખ્યા નહીવત થઇ ગઇ છે એ જ રીતે પૂર્વમાંથી ધીમે ધીમે કેસ ઘટી રહ્યા છે પરંતુ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં રોજેરોજ કેસની સંખ્યા વધી રહી છે આને કારણે શહેરમાં છેલ્લા દસ દિવસ કરતાં વધુ સમયથી માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયાની સંખ્યા બસ્સોની ઉપર જળવાઇ રહી છે. હવે મહાનગરમાં પોશ ગણાતા બોપલ, ઘુમા, આંબલીનો સમાવેશ થયો હોવાથી એના કેસ ગણાય છે. જ્યારે જિલ્લાના ધોળકા, બાવળા, સાણંદ, દસક્રોઇ, વિરમગામ જેવા તાલુકાના ગામડાઓમાંથી નવા પંદર કેસ ઉમેરાયા છે.
ભરૂચમાં અંકલેશ્વર, વાગરા, જંબુસર સહિતના તાલુકાઓમાંથી રોજેરોજ કેસ આવી રહ્યા છે નવા ૨૭ કેસ ઉમેરાયા છે. તો દાહોદ શહેર અને લીમખેડા સૌથી વધારે સંક્રમિત બન્યા છે. આને લીધે નવા ૨૭ કેસ નોંધાયા છે. મહેસાણામાં વિસનગર, ઊંઝા, બેચરાજી, કડી અને મહેસાણા નગરમાંથી નવા ૨૪ કેસ ઉમેરાયા છે. ગીર સોમનાથ, કચ્છમાંથી ૨૧-૨૧ કેસ નોંધાયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


