ગુજરાતમાં હવે દૈનિક 1000 પ્લસ નવા કેસો મળી રહ્યા છે
ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાથી સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યા એક હજારથી વધુ જળવાઇ રહી છે. ચોવીસ કલાકમાં વધુ ૧૦૬૮ દર્દીઓ ચેપગ્રસ્ત હોવાનું સરકારે જાહેર કર્યું છે અને સારવાર હેઠળના ૨૮ દર્દીઓના મૃત્યુ થયા છે એમાં સૌથી વધારે ૧૨ સુરત શહેર અને જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે. સુરતમાં સતત વધતાં મૃત્યુ સાથે ફરીથી સંક્રમિત દર્દીઓનો આંક ૩૦૦ને પાર થઇ ૩૦૯ થયો છે એમાં જિલ્લામાંથી વિક્રમી ૯૩ દર્દીઓનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં કુલ ૨૨૭ દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે.
અમદાવાદ મહાનગરમાં નવા ૧૬૧ દર્દીઓનો ઉમેરો થયો છે તો ૩ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે ૧૯૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જિલ્લાના દસક્રોઇ, ધંધૂકા, ધોળકા, બાવળા, વિરમગામ અને સાણંદમાંથી નવા પંદર કેસ મળ્યા છે. જિલ્લાના સારવાર હેઠળના ૧૪ દર્દી ડિસ્ચાર્જ થયા છે.
વડોદરા હવે ધીમે ધીમે દૈનિક એકસો દર્દી તરફ ગતિ કરી રહ્યું હોય તેમ મહાનગરમાંથી વધુ ૭૦ મળી કુલ ૯૨ દર્દીઓ સંક્રમિત થયાનું જાહેર કરાયું છે અલબત્ત, સારવાર હેઠળના મહાનગરના ૩ દર્દીઓના મૃત્યુ પણ સરકારે જાહેર કર્યા છે. આ જ રીતે રાજકોટ મહાનગરમાંથી નવા ૪૬ કેસ નોંધાયા છે અને જિલ્લામાંથી ૧૩ કેસ તેમજ એક દર્દીના મૃત્યુ નોંધાયું છે. ભાવનગર મહાનગરામાંથી ૨૧ મળી કુલ ૩૯ કેસ નોંધાયા છે તો જૂનાગઢમાં મહાનગરમાંથી ૧૭ સાથે કુલ ૨૮ કેસ ઉમેરાયા છે. જામનગરમાં મહાનગરના ૭ મળી કુલ ૧૨ કેસ નોંધાયા છે જ્યારે મહાનગરમાંથી એક દર્દીના મૃત્યુની જાહેરાત કરાઇ છે.
રાજ્યમાં કચ્છમાં ૩, મહેસાણા અને તાપી જિલ્લામાં એક એક દર્દીના મૃત્યુ કોવિડના સંક્રમણથી થયાનું હેલ્થ બુલેટિનમાં જાહેર કરાયું છે.
આ ઉપરાંત ભરૂચ જિલ્લામાંથી નવા ૩૦ દર્દીઓ સંક્રમિત સ્થિતિમાં શોધાયા છે તો અમરેલીમાંથી વધુ ૨૬, સુરેન્દ્રનગરમાં મુળી, ધ્રાંગધ્રા, પાટડી, સાયલા, વઢવાણમાંથી નવા ૨૫ કેસ નોંધાયા છે. સરહદી જિલ્લા કચ્છમાંથી વધુ ૨૨, પાટણ જિલ્લામાંથી ૨૦, ગીર સોમનાથ તથા નવસારીમાંથી ૧૯-૧૯ કેસ, દાહોદ અને વલસાડમાંથી ૧૮-૧૮ કેસ, આણંદ તથા તાપીમાં ૧૦-૧૦, નર્મદા અને સાબરકાંઠામાંથી ૯-૯ કેસ, બોટાદ, ખેડા, પંચમહાલમાંથી ૮-૮ કેસ, અરવલ્લીમાંથી ૭, મોરબીમાંથી ૬, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર તેમજ પોરબંદરમાંથી વધુ ૨-૨ કેસ ઉમેરાયા છે.
આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૩,૬૩૧ કેસ નોંધાયા છે પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૮૭૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ ૩૮૮૩૦ દર્દી રિવકર્ડ થયાં છે આમ, કુલ રિવકરી રેટ ૭૨.૪૦ ટકા સુધી પહોંચ્યો છે. જોકે, રાજ્યમાં ૨૨૮૩ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૨૫૧૮ છે જ્યારે ૮૩ વેન્ટીલેટર ઉપર છે અને એમાંથી ૧૨૪૩૫ સ્ટેબલ છે.
રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંક ઝડપથી વધી રહ્યો છે એની પાછળ રોજેરોજ થતાં ટેસ્ટની સંખ્યા તબક્કાવાર રીતે વધારીને સરેરાશ દૈનિક ૧૪થી ૧૫ હજાર કરવામાં આવી છે. ચોવીસ કલાકમાં ૧૪૫૯૫ ટેસ્ટ કરાયા છે એ સાથે કુલ આંક છ લાખને પાર થઇ ૬,૦૬,૭૧૮ થયો છે. આમ, પ્રતિ મિલિયન ૨૨૪.૫૩ ટેસ્ટ દૈનિક થઇ રહ્યા છે, તેમ દાવો કરાયો છે. સરકારે આજે સૌથી વધારે સંક્રમિત દસ રાજ્યોના એક દિવસમાં નોંધાયેલા નવા કેસ, એક્ટિવ કેસ અને કુલ કેસના આંકડા જાહેર કરી દાવો કર્યો છે કે આ ત્રણેય ફેક્ટરમાં ગુજરાત સૌથી નીચે છે. પ્રથમ ક્રમે મહારાષ્ટ્રમાં શુક્રવારે ૯૮૯૫ કેસ નોંધાયા છે જ્યારે એક્ટિવ કેસ ૧,૪૦,૩૯૫ છે જ્યારે કુલ કેસ ૩,૪૭,૫૦૨ છે. આ પછી આંધ્રપ્રદેશ, તામીલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગણા, ઓરિસ્સા છે. આ ક્રમ એક જ દિવસમાં આવેલા કેસને ધ્યાને લઇ જાહેર કરાયો છે. આ પરિપ્રેક્ષ્યમાં ગુજરાત દસમા ક્રમે રહે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


