378 દિવસ ચાલેલા ખેડૂત આંદોલનનો આખરે અંત
કૃષિ કાયદાના વિરોધમાં એક વર્ષથી પણ વધુ સમયથી ધરણા પર બેઠેલા ખેડૂતોએ આખરે પોતાના આંદોલનને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે લેખિતમાં ખેડૂતોની તમામ માગણી માની લેતા તેમજ સંસદમાં કાર્યવાહી કરીને કાયદા પણ પરત ખેંચી લેતા આ આંદોલનનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2020માં આ આંદોલનનો પ્રારંભ થયો હતો. બંને પક્ષો વચ્ચે અનેકવાર વાતચીત થઈ હતી, જે નિષ્ફળ રહી હતી. આ આંદોલન 378 દિવસ ચાલ્યા બાદ આજે Dt.9/12/21 પૂરું થયું છે.
દિલ્હીની સરહદો પર ધરણા કરી રહેલા ખેડૂતો 11 ડિસેમ્બરે વિજય યાત્રા કર્યા બાદ પોતાના ઘરે પરત ફરી જશે. આંદોલનકારી ખેડૂતો સુવર્ણમંદિર જશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચાના નેતાઓના જણાવ્યા અનુસાર, આંદોલનની સમાપ્તી બાદ પણ 15 જાન્યુઆરીના રોજ તેઓ એક રિવ્યૂ મિટિંગ કરીને સરકારે આપેલા વાયદા પર કેટલું કામ થયું તેની સમીક્ષા કરશે. આંદોલન ખતમ કરવાનો નિર્ણય આજે મળેલી ખેડૂતોના યુનિયનની એક બેઠકમાં લેવામાં આવ્યો હતો. સરકારે ટેકાના ભાવ અંગે એક સમિતિ બનાવવા તેમજ ખેડૂતો વિરુદ્ધ થયેલા તમામ કેસ તાત્કાલિક પરત ખેંચવાનું આશ્વાસન આપતા આંદોલનની પૂર્ણાહૂતિ જાહેર કરાઈ હતી.
કેન્દ્ર સરકારના કૃષિ સચિવે પોતાના લેટરપેડ પર ખેડૂતોને આ અંગે ખાતરી આપી હતી. આ ઉપરાંત, યુપી અને હરિયાણાની સરકાર આંદોલન દરમિયાન મોતને ભેટેલા ખેડૂતોને વળતર ચૂકવશે તેવી ખાતરી પણ સરકાર દ્વારા અપાઈ છે. ખેડૂત નેતાએ આંદોલનની પૂર્ણાહૂતિની જાહેરાત કરતા તેને કારણે લોકોને પડેલી તકલીફો બદલ ક્ષમા પણ માગી હતી. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સંસદમાં ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા હતા, જેની સામે ખેડૂતોને સખ્ત વાંધો હતો. આ જ મામલે એનડીએના સાથી પક્ષ રહેલા અકાલી દળે સરકાર સાથે છેડો પણ ફાડી નાખ્યો હતો.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
