CIA ALERT

યંગિસ્તાન Archives - Page 11 of 37 - CIA Live

May 13, 2021
CIA_Live_Logo_New2.jpg
1min415

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતમાં હાલ કોરોના મહામારીની વણસી ગયેલી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની રાજ્ય સરકારની ઘોષણા એ શાળા સંચાલકોમાં દ્વીધાભરી સ્થિતિમાં મૂકી દીધા છે. દર વર્ષે 10% ગ્રોથના અંદાજ સાથે ગુજરાતમાં સાડાબારથી તેર લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા માટે નોંધાતા હોય છે જેમાંથી ગયા વર્ષે ધો.10 પરીણામમાં 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. હવે આ વર્ષે 2021માં ધો.10માં માસ પ્રમોશન આપવાને કારણે 12.5 લાખ વિદ્યાર્થીઓની ઉચ્ચતર માધ્યમિક કે અન્ય આગળના અભ્યાસના વિકલ્પોની વ્યવસ્થા કરવી પડે તેમ છે.

પ્રમોટેડ વિદ્યાર્થીઓના પ્રવેશનું મેરીટ કેવી રીતે ગણાશેે? એ ગાઈડલાઇન્સની જોવાતી રાહ

ધોરણ 10માં પ્રમોટેડ થયેલા વિદ્યાર્થીઓને આગળના પ્રવેશ ની વ્યવસ્થા કેવી રીતે કરવી એ અંગેની કોઈપણ પ્રકારની guideline હજુ સુધી જાહેર કરવામાં આવી નથી આથી આ guideline જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી કશું કહી શકાય એમ નથી. ધોરણ 11માં શાળાકીય પ્રવેશ કેવી રીતે આપવો ? સાયન્સ કોમર્સ આર્ટસમાં કયા મેરિટને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવો? ડિપ્લોમા એન્જિનિયરિંગ કે આઇટીઆઇના અભ્યાસક્રમોનો મેરીટ કયા આધારે તૈયાર કરવું ? આ તમામ સવાલોના જવાબો રાજ્ય સરકારની ગાઇડ લાઇન આવ્યા પછી જ મળી શકે એમ છે.

ધો.10 પછી ગુજરાતમાં ઉપલબ્ધ મુખ્ય વિકલ્પો

  • ધો.11 સાયન્સ, કોમર્સ, આર્ટસ
  • ડિપ્લોમા એન્જિનિયરિંગ
  • ઔદ્યોગિક તાલિમ ઇન્સ્ટીટ્યુટસ ITI
  • નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ NIOS

આ બધા વિકલ્પોની અંદાજે બધું મળીને કુલ 9 લાખ સીટો ગણવામાં આવે તો પણ ગુજરાતમાં ધો.10માં માસ પ્રમોટેડ વિદ્યાર્થીઓના અભ્યાસની મોટી સમસ્યા સર્જાય તેમ છે.

અને આ જ કારણ છે કે ગુજરાત બોર્ડ સમેત ગુજરાત સરકાર ધો.10માં લેખિત પરીક્ષાના વિકલ્પ તરીકે અન્ય કઇ મૂલ્યાંકન પદ્ધતિ અપનાવી શકાય તેના પર હાલ વિચારવલોણું કરી રહી છે.

બધા કંઇ ડિપ્લોમા કે ITIમાં ન જાય

એ પણ એક દેખિતી વાત છે કે જો ધો.10માં માસ પ્રમોશન આપવામાં આવે તો પાસ થનારા વિદ્યાર્થીઓનો ઝોક ધો.11 કોમર્સ તરફ જ વધુ જોવા મળશે. ડિપ્લોમા કે ITIમાં જેટલી સીટો છે તેટલી સંખ્યા પણ દર વર્ષે થતી નથી આથી આ વિકલ્પોમાં આ વર્ષે અપવાદ રૂપ ગણીએ તો પણ જેટલી સીટ છે તેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો પણ લાખો વિદ્યાર્થીઓ એવા હશે જેમની પાસે ધો.10 પછી અભ્યાસનો કોઇ વિકલ્પ નહીં બચી શકે.

ખાનગી શાળા સંચાલક મંડળે રજૂઆત કરી

રાજ્યના ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા પ્રતિનિધિઓ સાથે પરીક્ષાને લઈને ચર્ચા કરી હતી. જેમાં ધો-10ની બોર્ડની પરીક્ષા લેવામાં આવવી જોઈએ તેવો સૂર વ્યક્ત થયો હતો. આ માટે ખાનગી શાળા સંચાલક મંડળે વિવિધ કારણો પણ આપ્યા હતા. જેમાં જો ધો-10માં માસ પ્રમોશન આપવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓને ધો-11માં સમાવી શકાય તેટલા વર્ગો નથી. હાલમાં દર વર્ષે પાંચથી સાડા પાંચ લાખ જેટલા ધો-10ના વિદ્યાર્થીઓ પાસ થઈને ધો-11માં જાય છે, પરંતુ જો એક સાથે 13 લાખ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવવાનો થાય તો સ્કૂલોને મુશ્કલી પડી શકે છે.

શાળાઓમાં ધો. 10નાં 5 વર્ગો ધો.11/12માં ઘટીને 2 થઇ જાય છે

માસ પ્રમોશન ને કારણે સમસ્યા એ સર્જાવાની ભીતિ છે કે ધોરણ 11 12 માં વેશ કઈ રીતે આપવું કેમકે કોઈ એક શાળામાં જો ધોરણ 10ના પાંચ વર્ગો હોય તો એ ધોરણ 11 12 એટલે કે ઉચ્ચતર માધ્યમિકમાં ઘટીને બે વર્ગ થઇ જાય છે, આવી સ્થિતિમાં તમામ પ્રમોટેડ વિદ્યાર્થીઓ પોતાની શાળામાં જ પ્રવેશ માટે ઘસારો કરશે, આવા સંજોગમાં શાળાઓ કેવી રીતે બધાને પ્રવેશ આપી શકશે? બીજી તરફ રાજ્યમાં એવી પણ હજારો શાળાઓ છે જ્યાં ફક્ત ધોરણ 10 સુધી જ એટલે કે હાઇસ્કુલ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે આ વિદ્યાર્થીઓ માટે ધોરણ 11 12 શિક્ષણની વ્યવસ્થા કેવી રીતે થશે? આવા અનેક પ્રશ્નો ના જવાબ રાજ્ય સરકારની સ્પષ્ટતા બાદ જ મળી શકે.

May 6, 2021
CIA_Live_Logo_New2.jpg
1min472

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 એસ.એસ.સી.માં ચાલુ વર્ષે કોરોનાની ઉદભવેલી પરિસ્થિતિને જોતા આ ધોરણમાં હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવું જોઇએ, આ માટે ગુજરાત સરકાર તૈયાર ન હોઇ, ઓલ ગુજરાત વાલીમંડળ નામની સંસ્થાએ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની પીટીશન ફાઇલ કરી છે.

ધો.10 અને ધો.12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ અંગે ગુજરાત સરકારે આગામી તા.15મી મેના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુન: સમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.

ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા તા.5મી મે 2021ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) કરવામાં આવી છે. ધો.10માં માસ પ્રમોશન આપવા બાબતે પીઆઈએલ કરાઈ છે.

કોવિડની મહામારીમાં બીજા અનેક રાજ્યોમાં ધો.10 બોર્ડની પરીક્ષા રદ કરી હોવાનો ઉલ્લેખ પીઆઈએલમાં કરાયો છે. ત્યારે ગુજરાત સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવાતા વાલી મંડળે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં બાળકોના માથા પર સંકટ વધુ છે. અનેક બાળકોને કોરોના સંક્રમણ થઈ રહ્યું છે. તેથી ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા ધોરણ 10ને પણ માસ પ્રમોશનની માંગણી કરવામાં આવી છે.

April 24, 2021
CIA_Live_Logo_New2.jpg
1min525

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

તા.૨૩મી એપ્રિલ ૨૦૨૧થી કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ્સ પર એક મહિનાનો બેન (પ્રતિબંધ) લાદી દીધો છે અને આ સમાચાર સાંભળતા જ સુરત સમેત સમગ્ર ભારતના હજારો વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સામે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે. સુરતમાં એવા અનેક વિદ્યાર્થીઓ છે જેમની ટિકીટ બુક હતી, એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ તા.૨૪થી ૩૦ એપ્રિલ વચ્ચે ફ્લાઇટ પકડીને કેનેડા જવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. કેનેડાના ફ્લાઇટ બેનના સમાચાર મળતા જ વિદ્યાર્થીઓ નાસીપાસ થઇ ગયા હતા. હવે તમામ વિદ્યાર્થીઓ રિશિડ્યુલિંગની કંટાળાજનક અનેે નુકસાનકારક પ્રોસેસમાં પડ્યા છે.

વિશ્વમાં હાલ કેનેડા અભ્યાસ કરવું સૌથી સરળ હોઇ, મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ જવાના હતા

સમગ્ર વિશ્વમાં હાલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જઇ રહ્યા છે તેનું કારણ એ છે કે કેનેડાની વીઝા પોલીસી સરળ છે અને પ્રવેશ કાર્યવાહી પણ બિનખર્ચાળ અને ટૂંકા ગાળામાં પૂર્ણ થઇ જાય છે અને એટલે જ સુરત સમેત ગુજરાતમાંથી હજારો વિદ્યાર્થીઓ એપ્રિલ મે જુનમાં કેનેડા જવાનું પ્લાનિંગ ધરાવે છે. અનેક વિદ્યાર્થીઓની ટિકીટ પણ બુક થઇ ચૂકી છે.

૨૭મીએ ફ્લાઇટ હતી, ૨૩મીએ સપનું તૂટી ગયું

સુરતના એક પેરેન્ટ રિતેશ પટેલે કહ્યું કે તેમના દિકરાની તા.૨૭મી એપ્રિલે ફ્લાઇટ હતી. પેકિંગથી લઇને બધી જ તૈયારી પૂર્ણ કરી દેવાઇ હતી. છેલ્લા એક વર્ષથી તો ઓનલાઇન બે સેમેસ્ટરનો અભ્યાસ ચાલી રહ્યો હતો હવે ક્યાં સુધી ઓનલાઇન ભણવું પડશે એ વિચાર જ નાસીપાસ કરી મૂકે છે. કેમકે કેનેડાની યુનિવર્સિટીઓએ ઓનલાઇન અભ્યાસની ફી પણ રેગ્યુલર અભ્યાસની ફી જેટલી રાખી છે. બીજી તરફ વર્ચ્યુઅલ એજ્યુકેશનની ક્રેડિટ ટ્રાન્સફર મળતી નથી. એટલે લાખો રૂપિયાનું નુકસાન અને સમયની બરબાદી થઇ છે.

૮ મહિનાથી તૈયારી કરી, જવાનું કેન્સલ થતાં વિદ્યાર્થિની ડિપ્રેશનમાં

એવી જ રીતે એક વિદ્યાર્થીની કેનેડા અભ્યાસ માટે જઇ રહી છે. તા.૨ મેના રોજ તેની ફ્લાઇટની ટિકીટ બુક છે પણ તમામ ફ્લાઇટ કેન્સલ થતાં એ વિદ્યાર્થીની ઘેરા ડિપ્રેશનનો ભોગ બની છે. છેલ્લા આઠ મહિનાથી તૈયારીઓ કરી રહી હતી, વિદ્યાર્થીના પેરેન્ટ શૈલેષભાઇએ જણાવ્યું કે અમને એકલાને નુકસા નથી પણ જે રીતે ફ્લાઇટ કેન્સલ થઇ છે, સુરતના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મુશ્કેલ સમય આવ્યો છે. હવે ત્યાની યુનિવર્સિટીઓ સાથે વાટાઘાટ કરવી પડશે.

સુરતના હજારો વિદ્યાર્થીઓએ ત્યાં ૧૪ દિવસના ઇન્સ્ટીટ્યુશનલ કોરોન્ટાઇનના રૂપિયા પણ ચૂકવી દીધા છે, હવે ફ્લાઇટ રદ

ગુજરાતભરના અનેક વિદ્યાર્થીઓ કેનેડાની અલગ અલગ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવ્યો છે અને વીઝા મેળવવામાં વિલંબ થવાને કારણે તેમાંથી ઘણાં વિદ્યાર્થીઓ મે મહિનાની શરૂઆતમાં કેનેડા જવાની તૈયારીઓ કરી રહ્યા હતા. સુરતના એવા અનેક વિદ્યાર્થીઓ છે જેઓ ૧થી ૧૦ મે દરમિયાન જુદી જુદી ફ્લાઇટથી કેનેડા જવાના હતા. આ વિદ્યાર્થીઓએ કેનેડામાં કોરોનાને ધ્યાનમાં રાખીને ત્યાની સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા કડક નિયમોના પાલન અંગેની પ્રોસીજર પણ કરી દીધી હતી. હજારો વિદ્યાર્થીઓએ કેનેડા પહોંચીને 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેવાનો તેમજ આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનો નિયમ અનુસાર વધારાનો લાખો રૂપિયા ઓનલાઇન ચૂકવી પણ દીધા છે, કે જેથી કેનેડામાં લેન્ડ થયા પછી તુરત જ ઇન્સ્ટીટ્યુશનલ કોરન્ટાઇનમાં રહી શકાય. હવે આ ખર્ચા પરત મળશે કે કેમ તેનો સવાલ છે.

April 23, 2021
covid-19-vaccine.jpg
1min309

૧૮ વર્ષથી મોટાના રસીકરણ માટે ૨૮મીથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કોવિન પ્લૅટફોર્મ અને આરોગ્યસેતુ ઍપ પર શરૂ કરવામાં આવશે.

સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે રસીકરણની પ્રક્રિયા અને દસ્તાવેજ સંબંધી બાકીની બધી જ પ્રક્રિયા અગાઉ પ્રમાણેની જ રહેશે.

કેન્દ્ર સરકારે ગત સપ્તાહ દરમિયાન રસીકરણના ત્રીજા તબક્કામાં પહેલી મેથી ૧૮ વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે રસીના ડોઝ આપવાની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી.

ખાનગી રસીકરણ કેન્દ્રમાં રૂ. ૨૫૦ આપીને કોવિડ-૧૯ની રસી માટેની રસી લેવાનો નિયમ પહેલી મેથી રદ કરાશે કારણ કે કેન્દ્ર સરકાર તરફથી એમને રસીના ડોઝ નહીં અપાય અને એમણે એ ઉત્પાદકો પાસેથી જાતે જ ખરીદવાના રહેશે.

અત્યારે ખાનગી રસીકરણ કેન્દ્રોને સરકાર તરફથી રસીના ડોઝ આપવામાં આવે છે અને એ માટે તેઓ લોકો પાસેથી રૂ. ૨૫૦નો ચાર્જ લે છે, પણ પહેલી મેથી તેઓ રસીના ડોઝ સીધા ઉત્પાદકો પાસેથી ખરીદશે.

કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે સરકારે રસીકરણની પ્રક્રિયામાં વધુ ઉદારતા લાવીને હવે બધાં જ રાજ્યો, ખાનગી હૉસ્પિટલો અને ઔદ્યોગિક એકમોને ઉત્પાદકો પાસેથી જાતે જ રસીના ડોઝ મેળવવા માટે મંજૂરી આપી છે.

આ નિતિ પહેલી મેથી અમલમાં આવશે અને સમયાંતરે એની સમીક્ષા કરવામાં આવશે.

ભારત સરકારના રસીકરણ કેન્દ્રોમાં અગાઉની જેમ જ સ્વાસ્થ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને ૪૫ વર્ષથી વધુ વયની બધી જ વ્યક્તિ માટે નિશુલ્ક રસીકરણ ચાલુ રાખવામાં આવશે. આ જૂથની બધી વ્યક્તિ માટે રસીનો બીજો ડોઝ લેવા માટે ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે. આ માટે સંબંધિતોને ખાસ પ્રકારના અને ચોક્કસ આયોજન માટે જણાવવામાં આવશે.

પહેલી મેથી શરૂ થતા રસીકરણના ત્રીજા તબક્કા માટે રસીના ઉત્પાદકો પોતાના માસિક ઉત્પાદનના પચાસ ટકા ડોઝ કેન્દ્ર સરકારને આપશે અને બાકીનો પચાસ ટકા સ્ટૉક રાજ્ય સરકારને તથા બજારમાં વેચી શકશે.

સરકારે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને અન્યોને વેચવાની રસીના ડોઝનો ભાવ ઉત્પાદકોએ ૧ મે ૨૦૨૧ અગાઉ જાહેર કરવો પડશે.

આ ભાવને આધારે રાજ્ય સરકાર, ખાનગી હૉસ્પિટલો અને ઔદ્યોગિક એકમો વગેરે ઉત્પાદકો પાસેથી રસીના ડોઝ મગાવી શકશે.

ખાનગી હૉસ્પિટલોએ કેન્દ્ર સરકારની ચૅનલ મારફત આવતી રસી ઉપરાંતના ડોઝ જાહેર વેચાણ માટેના પચાસ ટકામાંથી ખરીદવાની રહેશે.

ખાનગી ધોરણે રસી આપનારાએ પોતાના રસી આપવાના ભાવ પારદર્શી રીતે જાહેર કરવાના રહેશે.

જોકે, વપરાશ માટે વિદેશથી મગાવવામાં આવેલી તૈયાર રસીના ડોઝનો વપરાશ ભારત સરકાર સિવાયની ચૅનલ માટે વાપરી શકાશે.

સરકારી તેમ જ બિન-સરકારી રસીકરણ કેન્દ્રોમાં કરવામાં આવતા રસીકરણની નોંધ સ્ટૉક અને પ્રતિ ડોઝના ભાવ સહિત કોવિન પ્લૅટફોર્મ પર થશે, ડિજિટલ રસીકરણનું સર્ટિફિકેટ વગેરે અન્ય બધી જ પ્રક્રિયા હાલ પ્રમાણે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ જ રહેશે.

April 22, 2021
CIA_Live_Logo_New2.jpg
1min517

Jayesh Brahmbhatt 98253 44944

આગામી તા.૧લી મે ૨૦૨૧થી ભારતમાં ૧૮ વર્ષથી વધુ વયના કોઇપણ નાગરીક કોરોના વેક્સીન લઇ શકશે. આ ગાઇડલાઇનને ગુુુુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સત્તાધીશોએ ફરજિયાત બનાવી દીધી છે. એક સરક્યુલરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે આ યુનિવર્સિટીના કોઇપણ અભ્યાસક્રમમાં ભણતા અને ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા તમામ વિદ્યાર્થીઓએ કોરોના વેક્સીન લેવી ફરજિયાત છે. નવેમ્બર ૨૦૨૧માં લેવાનારી પરીક્ષા અગાઉ તમામ વિદ્યાર્થીઓએ વેક્સીન ફરજિયાત પણે લઇ લેવી પડશે.

આ સરક્યુલર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ જારી કર્યો છે

April 16, 2021
corona-gujarat.jpg
1min439

ગત વર્ષે ત્રાટકેલા આ વાયરસને કારણે ધો. 10 અને ધો. 12 બોર્ડ સિવાયની પ્રાથમિક, માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને સરકારે માસ પ્રમોશન આપવાની ફરજ પડી હતી. એક વર્ષ પછી ફરીથી આવી જ સ્થિતિ આ મહામારીએ ઉભી કરી છે અને આ વર્ષે પણ ધો. 1થી 9 અને ધો. 11ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. આ સાથે મે મહિનામાં યોજાનારી ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષાઓ હાલની સ્થિતિમાં મોકુફ રાખવામાં આવી છે તેમજ 1પમી મેના રોજ કોરોનાની પરિસ્થિતિ મુજબ પુન: સમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતાં જાહેર કર્યું છે. સમગ્ર રાજ્યમાં ધો. 1 થી 12નાં વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

ઓલ ગુજરાત વાલી મંડળે અગાઉ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે સીબીએસઇ બોર્ડની પરીક્ષા રદ અને મોકૂફ રાખવામાં આવી છે પરંતુ ગુજરાત બોર્ડે પરીક્ષા રદ કરવાની જરૂર નથી. જે પ્રમાણે સીબીએસઇ બોર્ડ માટે નિર્ણય લેવામાં આવ્યો એ પ્રમાણે ગુજરાત બોર્ડ માટે નિર્ણય લેવો, જેમાં 10 અને 12 ધોરણની પરીક્ષા મે ની જગ્યાએ જૂનમાં યોજવી જોઇએ. ધોરણ 1 થી 9માં માસ પ્રમોશન આપવું જોઇએ.

April 6, 2021
pariksha-pe-charcha.jpg
1min624

દેશના વિદ્યાર્થીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વાર્ષિક સંવાદ ‘પરીક્ષા પે ચર્ચા’, આ વખતે નવા વર્ચ્યુઅલ ફોર્મેટમાં સાતમી એપ્રિલે યોજાશે. વડા પ્રધાને આ બાબતની જાહેરાત ટ્વિટર પર કરતા જણાવ્યું હતું કે સાતમી એપ્રિલે સાંજે સાત વાગ્યે આપણા બહાદુર એક્ઝામ વૉરિયર્સ, એમનાં માતાપિતા અને શિક્ષકો સાથે વિવિધ વિષયો પર અનેક રસપ્રદ સવાલો અને યાદગાર ચર્ચા નવા ફોર્મેટમાં યોજાશે.

આ સાથે એમણે એક વીડિયો ટૅગ કર્યો હતો, જેમાં તેઓ એમ કહેતા જણાયા હતા કે આપણે ગત એક વર્ષથી કોરોના વાઇરસના રોગચાળાના ઓછાયા હેઠળ જીવી રહ્યા છીએ અને એ કારણે મારે તમને મળવાનો લહાવો જતો કરવો પડયો છે તથા હું તમારી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ નવી ફોર્મેટમાં વાતચીત કરીશ. એમણે વિદ્યાર્થીઓને પરીક્ષાને તક તરીકે જોવાની અને જીવનના સ્વપ્નના અંત તરીકે ન જોવાની સલાહ આપી હતી. વીડિયોમાં જણાવાયું હતું કે આ વર્ચ્યુઅલ ઇવૅન્ટમાં વડા પ્રધાન વિદ્યાર્થીઓ સાથે મિત્ર તરીકે વાતો કરશે અને એમના માતાપિતા તથા શિક્ષકો સાથે પણ ચર્ચા કરશે. આ કાર્યક્રમનું નામ ભલે ‘પરીક્ષા પે ચર્ચા’ હોય, પણ ચર્ચા ફક્ત પરીક્ષા સુધી જ સીમિત નહીં હોય. ‘પરીક્ષા પે ચર્ચા ૧.૦’નો કાર્યક્રમ ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો અને એ વખતે વડા પ્રધાને વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હતી.

March 18, 2021
Schoolsclosed4.jpg
1min505

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો 10/4/2021 સુધી બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ) 10 એપ્રિલ સુધી તમામ સ્કૂલો 19 માર્ચથી 10 એપ્રિલ સુધી બંધ રહેશે, અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવાશે. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ઓફલાઈન શિક્ષણ આ તમામ આઠ મહાનગરપાલિકાઓમાં બંધ રહેશે. રાજ્યમાં થોડા સમય પહેલા જ તબક્કાવાર સ્કૂલના ધોરણ 6થી 12ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા, અને તે જ રીતે કોલેજો પણ શરુ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહોતી અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શિક્ષણકાર્ય અંગે મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં કોલેજ અને યુનિ.માં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઈન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. રાજ્યની યુનિ.ઓ દ્વારા હવે નવેસરથી ટાઈમટેબલ જાહેર કરાશે. 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય ઓનલાઈન ચાલશે. યુનિ.ની હોસ્ટેલો ચાલુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય તમામ યુનિ.ઓને લાગુ પડશે.

March 13, 2021
NEET-1.png
1min778

Jayesh Brahmbhatt 98253 44944

દેશભરમાં આવેલી મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટે જરૂરી નીટ ૨૦૨૧ પ્રવેશ પરીક્ષા આગામી તા.૧લી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ લેવાની જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે.

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ ઉપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ માટે પણ નીટનો સ્કોર જરૂરી છે.

એમ.બી.બી.એસ. અને ડેન્ટલમાં પ્રવેશ માટે નીટની લઘુત્તમ લાયકાત ૫૦ પર્સન્ટાઇલ છે જ્યારે મેરીટની ગણતરીમાં સંપૂર્ણપણે નીટના માર્કસ (પર્સન્ટાઇલ સ્કોર) ધ્યાનમાં લેવામાં આવે છે.

નીટ પરીક્ષા હિન્દી, અંગ્રેજી સમેત કુલ ૧૧ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવે છે.

નીટ પરીક્ષા ઓફલાઇન, પેન એન્ડ પેપર મોડથી રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવે છે.

March 8, 2021
IPL_2021.jpg
1min381

આઈપીએલ ૨૦૨૧, ૯ એપ્રિલથી ૩૦ મે દરમિયાન રમાશે અને કોઈપણ ટીમને તેના હૉમ ગ્રાઉન્ડ પર રમવા નહિ મળે એવી જાહેરાત આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલે રવિવાર તા.7મી માર્ચ 2021ના રોજ કરી હતી.

મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતા ખાતે મેચો રમાશે

કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં યજમાન શહેરોની યાદીમાં મુંબઈનો સમાવેશ કરવામાં આવ્યો છે અને પ્રારંભિક તબક્કામાં ટુર્નામેન્ટની મૅચ બંધબારણે એટલે કે પ્રેક્ષકો વિના રમાશે.પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવો કે નહીં એ અંગેનો નિર્ણય ટુર્નામેન્ટના પછીના તબક્કામાં લેવામાં આવશે.

આઈપીએલના અન્ય યજમાન શહેરોમાં મુંબઇ, અમદાવાદ, બેંગલૂરુ, ચેન્નઈ, દિલ્હી અને કોલકાતાનો સમાવેશ થાય છે.

૩૦ મેએ અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઈનલ યોજાશે. પ્લૅ ઑફ પણ ન.મો. સ્ટેડિયમ ખાતે જ યોજાશે. રવિવારે બીસીસીઆઈએ ૬, મે સુધીનું ચાર અઠવાડિયાનું સમયપત્રક બહાર પાડ્યું હતું. આ સમયગાળા દરમિયાન આઈપીએલની ૩૩ મૅચ રમાશે. જોકે, આ જ સમયગાળા દરમિયાન બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાવાની હોવાને કારણે કોલકાતાને એકપણ મૅચ ફાળવવામાં નથી આવી.

લીગ તબક્કામાં દરેક ટીમ ચાર સ્થળે રમશે.

૫૬ લીગ મૅચમાંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલૂરુ પ્રત્યેકમાં ૧૦ મૅચ તો દિલ્હી અને અમદાવાદ પ્રત્યેકમાં આઠ મૅચ રમાશે.

આ આઈપીએલની વિશેષ વાત એ છે કે તમામ મૅચ તટસ્થ સ્થળે રમાશે. કોઈપણ ટીમ હૉમ ગ્રાઉન્ડ પર નહિ રમે. લીગ તબક્કામાં તમામ ટીમ છ સ્થળમાંથી ચાર સ્થળે રમશે, એમ આઈપીએલ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આઈપીએલની બપોરની મૅચ ૩:૩૦ વાગે અને સાંજની મૅચ ૭:૩૦ વાગે શરૂ થશે.

કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષની આઈપીએલ યુએઈમાં રમાઈ હતી, પરંતુ ત્યાર બાદ ભારતમાં કોરોનાની સ્થિતિમાં અસાધારણ સુધારો થયેલો જોવા મળ્યો હતો.