ઍક્સિસ બૅંક, બૅંક ઑફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્ર બૅંક, આરબીએલ સહિતની દેશની કેટલીક બૅંકોમાં આગામી તા. 1લી ઑગસ્ટથી બૅંકના વ્યવહાર અંગેના નિયમો તેમજ તેની ફી, ચાર્જિસ, પેનલ્ટી વગેરેમાં ધરખમ વધારો અમલમાં મૂકવામાં આવશે. આ બૅંકો ટ્રાન્ઝેક્શન અંગેના નિયમોમાં અમુક ફેરફાર કરશે.

આ બૅંકોમાંથી અમુક બૅંકો રૂપિયા જમા કરાવવા તેમ જ કઢાવવા માટે ફી વસૂલ કરશે તો અમુક બૅંકો મીનીમમ બૅલેન્સ વધારવા માટેની તૈયારી કરી રહી છે.
મેટ્રો અને શહેરી વિસ્તારમાં રહેતા બૅંક ઑફ મહારાષ્ટ્રના બચત ખાતું ધરાવતા લોકોએ હવે તેમના ખાતામાં અગાઉની સરખામણીએ વધુ મીનીમમ બૅલેન્સ રાખવું પડશે.
બૅંક ઑફ મહારાષ્ટ્રએ મેટ્રો અને શહેરી વિસ્તારમાં મીનીમમ બૅલેન્સ રૂ. ૨૦૦૦ કર્યું છે. અગાઉ તે રૂ. ૧૫૦૦ હતું.
મેટ્રો અને શહેરી વિસ્તારમાં ખાતામાં મીનીમમ બૅલેન્સ ન રાખનાર ખાતાધારકને રૂ. ૭૫ દંડ લાગશે.
અર્ધશહેરી વિસ્તારમાં દંડની આ રકમ રૂ. ૫૦ તો ગ્રામીણ વિસ્તારમાં આ રકમ રૂ. ૨૦ હશે.
ઍક્સિસ બૅંક હવેથી ગ્રાહકો પાસેથી પ્રત્યેક ઈસીએસ ટ્રાન્ઝેક્શન માટે પચીસ રૂપિયા વસૂલશે. અગાઉ એ ફ્રી હતું.
હવે બૅંકે એક કરતા વધુ લૉકર ધરાવનાર પાસેથી પણ ચાર્જ વસૂલ કરવાની શરૂઆત કરી છે. બૅંક પ્રતિ બંડલ કૅશ હૅન્ડલિંગ ફી પણ વસૂલ કરશે.
કોટક મહિન્દ્રા બૅંકના બચત ખાતા અને કૉર્પોરેટ સેલેરી અકાઉન્ટ હૉલ્ડર્સને દર મહિને પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આવશે, પરંતુ ત્યાર બાદ પ્રત્યેક કૅશ વિડ્રોઅલ માટે ડૅબિટ કાર્ડ-એટીએમ ચાર્જ તરીકે રૂ. ૨૦ વસૂલવામાં આવશે.
એ જ પ્રમાણે પ્રત્યેક નૉન ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ. ૮.૫૦ વસૂલવામાં આવશે.
ખાતામાં મીનીમમ બૅલેન્સ નહીં હોય તો મર્ચન્ટ આઉટલૅટ આ વૅબસાઈટ તેમ જ એટીએમના નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે પચીસ રૂપિયા વસૂલવામાં આવશે.
કોટક મહિન્દ્રા બૅક ખાતામાં મીનીમમ બૅલેન્સ ન રાખનાર ખાતાધારક પાસેથી દંડ વસૂલશે.
આ ખાતાઓનું જુદી જુદી શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવશે તેમ જ તેની સાથે સાથે પ્રત્યેક ચાર ટ્રાન્ઝેક્શન બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. ૧૦૦ વસૂલવામાં આવશે. જો તમે આ બૅંકના ગ્રાહક છો તો બદલાયેલા નિયમોની યાદી મેળવી લેવી તમારા માટે જરૂરી છે.









