
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ ભારતે છ રનથી જીતીને પાંચ મેચની સિરીઝ તો 2-2થી ડ્રો કરી છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતની સૌથી ઓછા રનની સરસાઈવાળી ઐતિહાસિક જીત છે.
આ અગાઉ ભારતે 2004માં મુંબઈમાં ઓસ્ટ્રેલિયાને 13 રનથી હરાવ્યું હતું. પાંચમી ટેસ્ટ મેચ જીતવા માટે ભારતીય બેટરની સાથે બોલરમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની જોડીએ નવ વિકેટ ઝડપીને જીત અપાવવામાં મોટું પ્રદાન આપ્યું હતું. આકાશ દીપ સિવાય પ્રસિદ્ધ ક્રિષ્ણાએ ચાર તથા મોહમ્મદ સિરાજે પાંચ વિકેટ ઝડપી હતી.
ભારતે ઓવલ ટેસ્ટમાં છ રનથી જીત મેળવી છે, જેમાં પાંચમા દિવસે યજમાન ટીમ ઈંગ્લેન્ડને ફક્ત 35 રન બનાવવાના હતા, પરંતુ ફક્ત 28 રન બનાવી શક્યું હતું અને છ રનથી મેચ હારી ગયું.
એની સાથે એન્ડરસન તેંડુલકર ટ્રોફી 2-2થી ડ્રોમાં પરિણમી છે. ઓવલ મેદાન પર ભારતની ત્રીજી ટેસ્ટમેચની જીત છે, જ્યારે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછા રનથી જીતેલી ટેસ્ટમેચ છે. અજિત વાડેકર અને વિરાટ કોહલી પછી શુભમન ગિલ ત્રીજા ભારતીય કેપ્ટન બન્યો છે, જેની આગેવાનીમાં ભારતીય ટીમે ઓવલમાં જીત મેળવી છે.
વરસાદથી પ્રભાવિત થયેલી ઓવલ ટેસ્ટમાં પહેલી ઈનિંગમાં ભારતીય ટીમ 224 રને પેવેલિયન ભેગી થઈ હતી, જ્યારે તેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 247 રન બનાવ્યા હતા, જ્યારે પહેલી ઈનિંગની અંગ્રેજોની 23 રનની લીડ હતી.
બીજી ઈનિંગમાં ભારતીય ટીમવતીથી કેએલ રાહુલ અને સાઈ સુદર્શન મોટી ઈનિંગ રમી શક્યા નહોતા, પરંતુ યશસ્વી જયસ્વાલ 118 રનની શાનદાર બેટિંગ કરીને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં નિમિત્ત બન્યો હતો, જેમાં આકાશદીપના 66 રન સાથે ભારતીય ટીમે 396 રન બનાવ્યા હતા, જેથી ઇંગ્લેન્ડને જીત માટે 374 રનનો સ્કોર જીતવા માટે કરવાનો હતો.
પાંચમા દિવસની રમતમાં મોહમ્મદ સિરાજે સૌથી પહેલા જેમી સ્મિથની વિકેટ ઝડપી હતી, ત્યાર પછી જેમી ઓવર્ટનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો. એના પછી પ્રસિદ્ધ ક્રિષ્ણાએ જોશ ટંગને બોલ્ડ કર્યો હતો.
એના પછી જીત માટે ઇંગ્લેન્ડ 17 રન દૂર હતું, ત્યારે ઇજાગ્રસ્ત ક્રિસ વોક્સ બેટિંગ માટે આવ્યો હતો. ગસ એટકિન્સન અને વોક્સની ભાગીદારીમાં બીજા દસ રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડને જીત માટે સાત રન જોઈતા હતા. 86મી ઓવરના પહેલા બોલે સિરાજે એટકિન્સનને આઉટ કરીને ભારતની જીત નક્કી કરી હતી.