વાયરલ Archives - Page 2 of 75 - CIA Live

June 4, 2025
rcb.jpg
3min69

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો છે. RCBની ટીમ ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવી IPL 2025ની ચેમ્પિયન બની ગઇ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને બેટિંગ આપી હતી. મેચમાં RCBએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. આ મેચમાં RCBની શરૂઆત સારી નહોતી. જો કે, જ્યારે પંજાબ 190 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી તો RCBના બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને પંજાબને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 184 રન જ બનાવી શકી હતી. આ શાનદાર જીત સાથે RCB IPLના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બની ગઇ છે.

આઈપીએલની ફાઈનલમાં જીત થતાંની સાથે જ બેંગલુરૂ ટીમનો ખેલાડી વિરાટ કોહલી રડી પડ્યો હતો. આઈપીએલના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બેંગલુરૂ ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીએ જીત બાદ કહ્યું કે, ડિવિલિયર્સને રિટાયર થયાને ભલે ચાર વર્ષ થયા પણ મેં કહ્યું હતું કે, આ ટીમ હજુ પણ તારી એટલી જ છે જેટલી અમારી છે. આજે અમારી સાથે ટ્રોફી ઉંચકવામાં તે પણ પૂરેપૂરો હકદાર છે. મારું દિલ બેંગલુરૂની સાથે છે. મારી આત્મા બેંગલુરૂની સાથે છે અને આ તે ટીમ છે જેના માટે હું પોતાની છેલ્લી આઈપીએલ મેચ સુધી રમીશ. એક ખેલાડી તરીકે તમે મોટી જીતનું સપનું જુઓ છો અને તે સપનું પૂર્ણ ન થઈ શકે. આજે હું એક બાળકની જેમ ઊંઘવા જઈ રહ્યો છું.

કૃણાલ પંડ્યા 2017 અને 2025 એમ બે IPLની ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મેચ અવોર્ડ જીતનારો એકમાત્ર ખેલાડી બન્યો

IPL 2025માં પ્લેયર ઓફ ધ મેચ બનેલા કૃણાલ પંડ્યાએ કહ્યું કે, ‘પરિસ્થિતિ જોઇને શીખવું એ મારી સૌથી મોટી તાકાત એ છે, મેં હંમેશા મારી અંતરાત્મા અને સહજતાને ટેકો આપ્યો છે. જ્યારે હું આરસીબીમાં જોડાયો ત્યારે મેં કહ્યું કે મને ટ્રોફી જીતવાનું ખૂબ ગમે છે. મને ખુશી છે કે મેં જે કહ્યું હતું તે હકીકતમાં કરી શક્યો. ખૂબ સારું રહ્યું – 10 વર્ષ, 4 IPL ટ્રોફી. મેં હાર્દિકને પણ ફોન પર કહ્યું હતું કે, પંડ્યા પરિવારમાં 10 વર્ષમાં 9 IPL ટ્રોફી હશે.’

પ્રિયાંશ આર્યની કમાલ, ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બન્યો

IPL 2025ની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સના બેટર પ્રિયાંશ આર્યએ 19 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ સાથે જ પ્રિયાંશ આર્યએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રિયાંશ આર્ય IPL 2025માં 475 રન બનાવીને ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ દેવદત્ત પડીકલના નામે હતો. પડીકલે IPL 2020માં 473 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

IPLની સિંગલ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બન્યો શ્રેયસ અય્યર

IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જો કે, ફાઇનલમાં ખરાબ પ્રદર્શન કર્યો હોવા છતા આ સિઝનમાં શ્રેયસ અય્યરના નામે એક મોટો રેકોર્ડ સર્જાયો છે. શ્રેયસ અય્યર આઇપીએલના એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બની ગયો છે. શ્રેયસે આઇપીએલ 2025માં કુલ 39 છગ્ગા ફટકાર્યા છે. અગાઉ આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. તેણે વર્ષ 2016માં કેપ્ટન તરીકે એક સીઝનમાં RCB માટે 38 છગ્ગા ફટકાર્યા હતા.

પંજાબ કિંગ્સની ઈનિંગ (184 રન / 7 વિકેટ – 20 ઓવર)

1) પ્રિયાંશ આર્ય (24 રન – 19 બોલ)
2) પ્રભસીમરન સિંહ (26 રન – 22 બોલ)
3) શ્રેયસ અય્યર (1 રન – 2 બોલ)
4) જોશ ઈંગ્લિસ (39 રન – 23 બોલ)
5) નેહલ વઢેરા (15 રન – 18 બોલ)
6) માર્કસ સ્ટોઈનિસ (6 રન – 2 બોલ)
7) અઝમતુલ્લાહ ઓમરઝઈ (1 રન – 2 બોલ)

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ઈનિંગ (190 રન / 9 વિકેટ – 20 ઓવર)

પંજાબના બોલર્સ સામે RCBના બેટર્સ લાચાર નજરે પડ્યા છે. બેંગલુરૂની ટીમે 9 વિકેટ ગુમાવીને પંજાબને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

1) ફિલ સોલ્ટ (16 રન – 9 બોલ)
2) મયંક અગ્રવાલ (24 રન – 18 બોલ)
3) રજત પાટીદાર (26 રન – 16 બોલ)
4) વિરાટ કોહલી (43 રન – 35 બોલ)
5) લિયામ લિવિંગસ્ટન (25 રન – 15 બોલ)
6) જિતેશ શર્મા (24 રન – 10 બોલ)
7) રૂમારિયો શેફર્ડ (17 રન – 8 બોલ)
8) કૃણાલ પંડ્યા (4 રન – 5 બોલ)
9) ભુવનેશ્વર કુમાર (1 રન -2 બોલ)

પંજાબે ટોસ જીતીને બેંગલુરુને આપી હતી બેટિંગ

બેંગલુરૂ વિરૂદ્ધ ફાઈનલમાં પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. બંને ટીમોએ પ્લેઇંગ 11માં કોઈ ફેરફાર કર્યો ન હતો.

બંને ટીમોની પ્લેઇંગ 11

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂઃ ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), રૂમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.

પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લાહ ઓમરઝઈ, કાઈલ જેમિસન, વિજય કુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ક્લોઝિંગ સેરેમનીમાં શંકર મહાદેવન સ્ટેજ પર

IPL 2025ના ક્લોઝિંગ સેરેમનીમાં પ્રખ્યાત ગાયક શંકર મહાદેવને પરફોર્મ કર્યું. શંકર મહાદેવન સાથે તેમના પુત્રો શિવમ અને સિદ્ધાર્થ મહાદેવન પણ હાજર રહ્યા હતા. સ્ટેડિયમ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સ્ટેડિયમમાં ‘જો લક્ષ્ય હૈ તેરા, લક્ષ્ય કો હર હાલ મેં પાના હૈ’, ‘સબસે આગે હોંગે હિન્દુસ્તાની’, ‘વંદે માતરમ્’, ‘કંધો સે મિલતે હે કંધે કદમો સે કદમ મિલતે હે’ જેવા રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈને માહોલ બનાવી દીધો છે. આખું અમદાવાદ સ્ટેડિયમ દેશભક્તિમાં ડૂબેલું લાગે છે. ‘જય હો’ ગીત સાથે ક્રૂએ ભારતીય સેનાને સન્માન આપ્યું.

સુનકે આરસીબી પ્રત્યે દર્શાવ્યો પ્રેમ

સુનકે કહ્યું કે, મારા લગ્ન બેંગલુરૂ પરિવારમાં થયા છે.જેથી આરસીબી મારી ટીમ છે. મેં કન્નડ ભાષામાં મારી પત્ની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મારા સાસુ-સસરાએ મારા લગ્ન બાદ મને આરસીબીની જર્સી ગિફ્ટ કરી હતી.

આઈપીએલમાં બેંગલુરૂ અને પંજાબ વચ્ચે અત્યારસુધી 36 મેચ રમાઈ છે. જેમાં બંને ટીમ 18-18 વખત વિજયી રહી છે. પંજાબ કિંગ્સ સામે આરસીબીનો સર્વોચ્ચ સ્કોર 241 રનનો રહ્યો છે. જે તેણે ગતવર્ષે બનાવ્યો હતો. બીજી બાજુ બેંગલુરૂ સામેની મેચમાં પંજાબ ટીમનો સર્વોચ્ચ સ્કોર 232 રન રહ્યો છે. જે 2011માં બનાવ્યો હતો.

છેલ્લા પાંચ મુકાબલાની વાત કરીએ તો આરસીબી સંપૂર્ણ રીતે પંજાબ કિંગ્સ પર હાવી બની શકે છે. છેલ્લી પાંચ મેચમાંથી ચાર વખત આરસીબી જીતી છે. તેણે ત્રણ મેચમાંથી બે વખત પંજાબને હરાવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર અત્યાર સુધી બેંગલુરૂ અને પંજાબ કિંગ્સ એક વખત જ આમને-સામને આવી છે. 2021માં આ સ્ટેડિયમમાં બંને વચ્ચે રમાયેલી મેચમાં પંજાબ ચાર વિકેટથી વિજયી રહી છે. જો કે, 2025ની આઈપીએલમાં પંજાબની હાર થઈ છે.

June 2, 2025
IPL-25-Final.png
1min85

ક્રિકેટનો મહાકુંભ કહેવાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ અને બેંગલૂરુ વચ્ચે સાંજે 7.30 કલાકથી મુકાબલો શરૂ થશે. આઈપીએલ ફાઈનલમાં પણ વરસાદનું વિધ્ન નડી શકે છે. અમદાવાદમાં રમાયેલી ક્વોલિફાયર-2માં પણ વરસાદ પડ્યો હતો અને મેચ વિલંબથી શરૂ થઈ હતી. આ સ્થિતિમાં જો આઈપીએલ 2025 ફાઈનલમાં વરસાદ પડે કે કોઈ અન્ય કારણોસર મુકાબલો ન રમાય તો ચેમ્પિયનનો નિર્ણય કેવી રીતે થશે તે જાણવું જરૂરી છે.

જો વરસાદ કે અન્ય કારણોસર 3 જૂને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો મેચ રિઝર્વ ડે (4 જૂને) રમાશે. પરિણામ એક જ દિવસે આવે તે માટે બીસીસીઆઈએ વધારાનો 120 મિનિટનો સમય રાખ્યો છે. તેમ છતાં રિઝલ્ટ ન આવે તો મેચ રિઝર્વ ડે પર રમાશે. રિઝર્વ ડે પર મેચ જ્યાં અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. વરસાદ રિઝર્વ ડેના દિવસે પણ આવે અને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો ઈન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવરથી થઈ શકે છે.

જો સુપર ઓવર પણ ન થાય તો પોઈન્ટ ટેબલના આધારે વિજેતાનો નિર્ણય થશે. વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે. જ્યારે આરસીબી બીજા ક્રમે છે. આ સ્થિતિમાં પંજાબ કિંગ્સને વિજેતા જાહેર કરવામાં આવી શકે છે.

રવિવારે (1 જૂન, 2025) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના ક્વોલિફાયર-2 મુકાબલામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી IPL ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે 3 જૂને પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ રમાશે.

રવિવારની મેચમાં પંજાબે ટોસી જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી હતી. જેમાં મુંબઇએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં 204 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. કેપ્ટન શ્રેયસે છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે 41 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.

May 28, 2025
SS_Logo_Red-1280x986.png
1min235

USA President ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહી છે. આ જ ક્રમમાં ટ્રમ્પ સરકારે અમેરિકન વાણિજ્ય દૂતાવાસોને નવો નિર્દેશ જાહેર કર્યો છે. જે હેઠળ તાત્કાલિક અસરથી વિદ્યાર્થી (F), વ્યવસાયિક (M) અને એક્સચેન્જ વિઝિટર (J) કેટેગરીમાં વિઝા ઈન્ટરવ્યૂની નવી અપોઈન્ટમેન્ટ પર રોક લગાવવામાં આવી છે. જેને પરીણામે સુરત સમેત સમગ્ર ગુજરાતમાંથી આગામી સપ્ટેમ્બર 2025 ઇન્ટેકમાં અમેરીકા ભણવા જવા માટેની પૂર્વતૈયારીઓ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને ભારે આઘાત લાગ્યો છે. સમગ્ર વિશ્વમાં આ સમાચાર દાવાનળની જેમ વાઇરલ થયા છે. આ વીઝા કેટેગરીને અનિશ્ચિત મુદત માટે હોલ્ટ પર મૂકી દેવામાં આવી છે. હવે ફોરેન સ્ટડીનું આયોજન ધરાવતા વિદ્યાર્થીઓએ અમેરીકાને બદલે કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા કે અન્ય યુરોપિયન દેશો તરફ નજર દોડાવવી પડશે.

આ પગલું વિદેશી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ લાગુ કરવાની વ્યાપાક યોજનાનો હિસ્સો છે. પોલિટિકોના અહેવાલમાં અમેરિકન વિદેશમંત્રી માર્કો રુબિયો દ્વારા સહી કરેલા એક દસ્તાવેજના આધારે આ દાવો કરાયો હતો. એમાં સ્પષ્ટ જણાવાયું છે કે તાત્કાલિક અસરથી જરૂરી સોશિયલ મીડિયા તપાસના વિસ્તરણની તૈયારી હેઠળ કોઈપણ નવા વિદ્યાર્થી એક એક્સચેન્જ વિઝિટર વિઝા ઈન્ટરવ્યૂની અપોઇન્ટમેન્ટ શિડ્યુલ ન કરવામાં આવે. એ પણ ત્યાં સુધી જ્યાં સુધી કોઈ નિર્દેશ ન આપવામાં આવે.

આ આદેશ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકન સરકાર વિદેશી વિદ્યાર્થીઓની ડિજિટલ પ્રવૃત્તિઓની સંપૂર્ણ તપાસ કરવાની તૈયારી કરી રહી છે. જોકે અમેરિકાએ હજુ સુધી જણાવ્યું નથી કે આ નવી તપાસ પ્રક્રિયા કયા ચોક્કસ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અહેવાલમાં જણાવાયું છે કે આ નવી નીતિનો ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી પગલાં અને યહૂદી વિરોધી કાર્યવાહી સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં છુપાયેલો છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણય તાજેતરના મહિનાઓમાં ઇઝરાયલ અને ગાઝા અંગે અમેરિકન કેમ્પસમાં થયેલા વિરોધ પ્રદર્શનોને પગલે લેવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

May 26, 2025
4th-largest-economy.png
1min80

  • નીતિ આયોગના સીઈઓએ આંકડા જાહેર કર્યા
  • પાંચમા ક્રમે પહોંચી ગયેલા જાપાનના ૪.૧૮૬ લાખ કરોડ ડોલરના જીડીપી સામે ભારતનો જીડીપી ૪.૧૮૭ લાખ કરોડ ડોલર
  • અમેરિકા ૩૦.૫૧ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે પ્રથમ ક્રમે, ચીન ૧૯.૨૩ ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે અને જર્મની ૪.૭૪ ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમે

ભારતનો જીડીપી વધીને ૪.૧૮૭ ટ્રિલિયન ડોલર થઇ ગયો છે જે જાપાનના જીડીપી ૪.૧૮૬ ડોલર કરતા વધી જતાં ભારત જાપાનને પાછળ મૂકીને વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે તેમ નીતિ આયોગના સીઇઓ બીવીઆર સુબ્રમણ્યમે એક નિવેદનમાં જણાવ્યું છે. ૩૦.૫૧ ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે અમેરિકા પ્રથમ ક્રમે, ૧૯.૨૩ ટ્રિલિયન ડોલર સાથે ચીન બીજા ક્રમે અને ૪.૭૪ ટ્રિલિયન ડોલર સાથે જર્મની ત્રીજા ક્રમે છે.

‘નીતિ આયોગ’ની ગવર્નિંગ કાઉન્સીલની ૧૦મી બેઠકમાં વિકસિત રાજ્ય, વિકસિત ભારત ૨૦૪૭ નામક પરિસંવાદ પછી પત્રકારોને સંબોધતાં સુબ્રમન્યમે જણાવ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર આઈ.એમ.એફ.ના જણાવ્યા પ્રમાણે ૨૦૨૪ સુધી પાંચમું સૌથી વિશાળ અર્થતંત્ર હતું પરંતુ ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષમાં જ ભારતનું અર્થતંત્ર ૪ ટ્રિલિયન ડોલર્સે પહોંચી ગયું છે. આથી ભારત, યુ.એસ., ચીન અને જર્મનીનાં અર્થતંત્રોથી જ પાછળ રહેશે.

આ સાથે તેઓએ આશા વ્યક્ત કરી હતી કે ૨, ૨.૫, કે મોડામાં મોડાં ૩ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બની રહેશે.

નીતિ આયોગના સીઈઓએ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૬ના નાણાંકીય વર્ષ દરમિયાન જ ભારતનું અર્થતંત્ર ૪,૧૮૭.૦૧૭ અમેરિકી ડોલર્સ પહોંચી જશે. ભારતનું અર્થતંત્ર ૨૦૨૫માં ૬.૨ ટકાના દરે અને ૨૦૨૬માં ૬.૩ ટકાના દરે વિકસશે તેમ પણ આઈ.એમ.એફ.ના વર્લ્ડ ઈકોનોમિક આઉટબુકે જણાવ્યું છે. વધુમાં તેમ પણ કહ્યું છે કે ભારતનું અર્થતંત્ર ૨૦૨૫ અને ૨૬માં સૌથી વધુ ઝડપી અર્થતંત્ર બની રહેશે. આઈએમએફે વૈશ્વિક આર્થિક વિકાસ અંગે ઘેરૂં ચિત્ર આપ્યું છે તે જણાવે છે કે ૨૦૨૫માં વૈશ્વિક આર્થિક વિકાસ દર ૨.૮ ટકા છે, જ્યારે ૨૦૨૬માં તે બહુ બહુ તો વધીને ૩.૦ ટકા થવા સંભવ છે.

ભારતની આર્થિક તાકાત અને જાપાનની આર્થિક તાકાતની તુલના કરતાં કેટલાક નિરીક્ષકો કહે છે કે જાપાનનું અર્થતંત્ર ભલે ૪ ટ્રિલિયન ડોલરથી ઓછું રહ્યું હોય પરંતુ તે આશરે ૧૪ કરોડ લોકોમાં વહેંચાયું છે. જ્યારે ભારતનું ૪ ટ્રિલિયનથી વધુ ડોલર્સનું અર્થતંત્ર હોવા છતાં તે ૧૪૦ કરોડ લોકોમાં વહેંચાયેલું છે તે ભૂલવું ન જોઈએ. ભારતને વસતી વધારો ભારે પડે તેમ છે.

ભારતમાં શુદ્ધ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) પ્રવાહમાં ઘટાડો દેશમાં રોકાણ સંબધિત મોટી અનિશ્ચિતતાઓને દર્શાવે છે અને મોટી સંખ્યામાં કંપનીઓ વિદેશમાં રોકાણ કરવાનું પસંદ કરી રહી છે. એઆઇસીસીના મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના આંકડોઓ પરથી જાણવા મળે છે કે ૨૦૨૪-૨૫માં ભારતનો નેટ એફડીઆઇ પ્રવાહ ૯૬ ટકા ઘટીને માત્ર ૦.૪ અબજ ડોલર રહી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે આ ભારે ઘટાડા અંગે સત્તાવાર રીતે જે કંઇ પણ સ્પષ્ટતા કરવામાં આવી રહી હોય પણ સાચી વાત એ છે કે આ મોટો ઘટાડો ભારતમાં રોકાણ અંગે ભારે અનિશ્ચિતતા દર્શાવે છે જેના કારણે ફક્ત વિદેશી રોકાણકાર જ નહીં પણ ભારતીય કંપનીઓ પણ હતોત્સાહિત થઇ રહી છે અને હવે તે દેશમાં રોકાણ કરવાને બદલે વિદેશમાં રોકાણ કરવાને પ્રાથમિકતા આપી રહી છે.

આઇએમએફના આંકડા દર્શાવી રહ્યાં છે કે ભારત ટૂંક સમયમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે. એપ્રિલમાં છપાયેલ આઇએમએફના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના તાજેતરના રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતનો નોમિનલ જીડીપી લગભગ ૪૧૮૭.૦૧૭ બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાની આશા છે. આ જાપાનના સંભવિત જીડીપીથી થોડું વધારે છે. જેનો અંદાજ ૪૧૮૬.૪૩૧ બિલિયન ડોલર છે. જો કરન્ટ પ્રાઇસ (નોમિનલ) જીડીપીના આધારે આઇએમએફના અત્યારના ચાર્ટને જોઇએ તો સ્પુષ્ટ દેખાય છે કે ભારત ૨ થી ૨.૫ વર્ષમાં જર્મનીને પાછળ છોડી દેશે.

જાન્યુઆરી, ૨૦૨૫માં આઇએમએફએ નાણાકીય વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬ માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૬.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ઘરેલુ ખર્ચમાં થઇ રહેલી વૃદ્ધિને કારણે ભારતીય અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. ૨૦૨૫ની શરૂઆતમાં ભારત વિશ્વના જીડીપી રેન્કિંગમાં પાંચમાં ક્રમે હતું જે હવે ચૌથા ક્રમે આવી ગયું છે. ભારતીય અર્થતંત્ર ઇન્ફરમેશન ટેકનોલોજી, સેવાઓ, કૃષિ અને મેન્યુફેકચરિંગ જેવા પ્રમુખ ક્ષેત્રો દ્વારા સંચાલિત છે. બીજી તરફ જર્મની એક વિકસિત અર્થતંત્ર છે અને ત્યાં જીડીપીમાં ભારત જેવો ગ્રોથ સંભવ નથી.

May 23, 2025
supreme.jpg
1min94
  • ઇડીની કાર્યવાહી અસંગત અને ગેરબંધારણીય: મુખ્ય ન્યાયાધીશ ગવઈ
  • ઇડીએ રાજકીય બદલો લેવા કાર્યવાહી કર્યાનો તમિલનાડુ સરકારનો આરોપ

તમિલનાડુ સરકારની માલિકીની દારૂનું રીટેલ વેચાણ કરતી કંપની તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોઓપરેશનના રૂ. ૧,૦૦૦ કરોડના કથિત દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસ અને દરોડા અસ્થાયી રીતે અટકાવી દેતા સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે કહ્યું કે, ઈડી તમામ હદો પાર કરી રહી છે. તપાસ એજન્સી સંઘીય માળખાનો ભંગ કરી રહી છે. સુપ્રીમે સવાલ કર્યો હતો કે, તપાસ એજન્સી કોર્પોરેશન વિરુદ્ધ ગૂનો નોંધી કેસ કેવી રીતે શકે?

તમિલનાડુની સરકારી દારૂ કંપની તસમાક (તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન) વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની તપાસ અને દરોડા પર સુપ્રીમ કોર્ટે અસ્થાયી રીતે સ્ટે મૂકી દીધો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ કેન્દ્રીય એજન્સીની આકરી ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું કે, ઈડીની કાર્યવાહી અસંગત અને સંભવતઃ ગેરબંધારણીય છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે. સુપ્રીમે એવો પણ સવાલ કર્યો હતો કે, સરકારી એજન્સી રાજ્ય સરકારના એકમ પર દરોડો કેવી રીતે પાડી શકે?

મુખ્ય ન્યાયાધીશ ગવઈએ કહ્યું કે, ઈડીએ રાજ્ય સરકારના નિગમને નિશાન બનાવીને બધી જ હદો પાર કરી દીધી છે અને સંઘીય માળખાનો ભંગ કર્યો છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકાર દ્વારા મંગળવારે મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમમાં કરેલી અરજી પછી આ આદેશ આપ્યો છે.

તમિલનાડુ સરકારની માલિકીની દારૂનું રીટેલ વેચાણ કરતી કંપની તસમાકના કથિત રૂ. ૧,૦૦૦ કરોડના દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ માટે મદ્રાસ હાઈકોર્ટે ઈડીને મંજૂરી આપી હતી. ઈડીએ તમિલનાડુમાં રૂ. ૧,૦૦૦ કરોડના દારૂ કૌભાંડમાં ડિસ્ટિલરીએ દારૂના પૂરવઠાનો ઓર્ડર મેળવવા માટે અસાધારણ રોકડ આપી હોવાનો દાવો કર્યો છે. જોકે, તમિલનાડુ તરફથી કપીલ સિબલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, રાજ્ય સરકાર અને તસમાકે રાજ્યમાં દારૂની દુકાનોને લાઈસન્સ આપવામાં કથિત ગેરરીતિઓ સામે ફોજદારી કાર્યવાહી કરતાં પગલાં લીધા છે. વર્ષ ૨૦૧૪થી દારૂની દુકાનના લાઈસન્સની ફાળવણી સંબંધિત ભ્રષ્ટાચારના કેસોમાં રાજ્ય સરકારે ૪૧ એફઆઈઆર નોંધી છે અને હવે આ કેસમાં ઈડી કૂદી પડી અને તસમાક પર દરોડા પાડયા હતા.

તમિલનાડુ સરકારે તાસમેક પર ઈડીના દરોડા સંબંધે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કહ્યું કે, તે કેન્દ્રીય એજન્સીની શક્તિઓનું અતિક્રમણ અને બંધારણનો ભંગ છે. તમિલનાડુએ ઈડી પર રાજકીય બદલો લેવાનો પણ આરોપ મૂક્યો હતો અને ઈડીના દરોડાને ગેરકાયદે ગણાવ્યા હતા. તમિલનાડુ સરકાર અને તસમાકે દલીલ કરી કે ઈડી તેના અધિકાર ક્ષેત્રની બહાર જઈ રહી છે. મહિલા કર્મચારીઓ સહિત તસમાકના અધિકારીઓ અને કર્મચારીઓએ પજવણીનો સામનો કરવો પડયો. તલાશી સમયે લાંબા સમય સુધી તેમની અટકાયત કરાયેલી હતી. તેમના ફોન અને પર્સનલ ડિવાઈસ જપ્ત કરી લેવાયા હતા.

ઈડી દોષ સાબિત કરી શકતી નથી, આરોપીઓને ક્યાં સુધી જેલમાં ગોંધી રાખી શકાય : સુપ્રીમનો સવાલ

દેશમાં ધારાસભ્યો, સાંસદો અને નેતાઓને દોષિત ઠેરવી સજા કરાવવાની બાબતમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો કન્વિક્શન રેટ એટલે કે આરોપીઓને દોષિત ઠેરવી સજા કરાવવાનો દર માત્ર એક ટકા છે તેમ કેન્દ્ર સરકારે જ સંસદને જણાવ્યું હતું. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે પણ સવાલ કર્યો હતો કે ઈડી આરોપીઓને દોષિત સાબિત કરી શકતી નથી તો તેમને કેટલો લાંબો સમય સુધી જેલમાં ગોંધી રાખી શકાય ?

દેશમાં મની લોન્ડરિંગના કેસોની તપાસ કરતી તપાસ એજન્સી ઈડી સરકારનો રાજકીય હાથો હોવાનો વિપક્ષ વારંવાર આક્ષેપ કરતો હોય છે ત્યારે ભ્રષ્ટાચાર અથવા મની લોન્ડરિંગના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવેલા લોકોને દોષિત ઠેરવવાની સફળતાનો ઈડીનો દર માત્ર એક ટકા છે. વર્ષ ૨૦૧૫થી ૨૦૨૫ વચ્ચેના ૧૦ વર્ષમાં ઈડીએ નેતાઓ, સાંસદો, વિધાનસભ્યો વિરુદ્ધ ૧૯૩ કેસ નોંધ્યા છે, જેમાંથી માત્ર બે કેસમાં ઈડી આરોપીઓને સજા અપાવી શકી છે. આ ૧૯૩ કેસોમાંથી ૭૦ ટકા એટલે કે ૧૩૮ કેસ છેલ્લા પાંચ વર્ષમાં જ નોંધાયા છે. આ માહિતી કેન્દ્ર સરકારે પોતે જ આ વર્ષે માર્ચ મહિનામાં સંસદમાં આપી હતી. ઈડીના અત્યંત ખરાબ કન્વિક્શન રેટ અંગે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમે ઈડીને ગુણવત્તાપૂર્ણ કાર્યવાહીની સલાહ આપી હતી. વધુમાં ઈડી દ્વારા મની લોન્ડરિંગના આરોપો હેઠળ ધરપકડ આવતા આરોપીઓને ટ્રાયલ વિના જ લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવતા હોય છે ત્યારે ગયા વર્ષે નવેમ્બરમાં પશ્ચિમ બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થા ચેટરજીની જામીન અરજીની સુનાવણી સમયે પણ સુપ્રીમ કોર્ટે ઈડીને ખખડાવી હતી. સુપ્રીમે ટ્રાયલ વિના લાંબા સમય સુધી આરોપીઓને જેલમાં રાખવા મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું કે, ઈડી આરોપીઓ સામેના દોષ સાબિત કરી શકતી નથી તો તેમને ટ્રાયલ વિના ક્યાં સુધી જેલમાં ગોંધી રાખી શકાય?

May 22, 2025
lions-1280x853.jpg
1min67

એશિયાટિક સિંહો માટેનું એકમાત્ર નિવાસ સ્થાન છે ગુજરાતનું ગીર. ગીર નેશનલ પાર્ક અને પાનિયા, મિતિયાળા અભયારણ્ય સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈને જંગલ, ખેતર, ગામ, પાધરમાં સાવજો વિહરે છે. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે. તાજેતરમાં જ વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. જેના આંકડા આજે જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સિંહોની સંખ્યા 891 નોંધાઈ છે.

આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે ’16મી સિંહ વસ્તી ગણતરી – 2025’ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર,330 માદા,140 પાઠડા,225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27%ના વધારા સાથે 523 નોંધાઈ હતી.

આ અંગે રેવતુભા રાયજાદાએ મુંબઇ સમાચાર સાથે વાત કરતાં કહ્યું હતું કે, “હું 1990થી આ વસ્તી ગણતરીમાં જોડાઉ છું. વર્ષ 1995 સુધી ભક્ષ્ય આપીને વસ્તી ગણતરી બંધ થઈ અને ત્યારબાદ બીટ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી. બીટ એટલે જંગલનો ચોક્કસ વિસ્તાર. બીટ સેન્સસને શરૂઆતમાં અસફળ ગણવામાં આવતી હતી પરંતુ બાદમાં ટેક્નોલોજીના ઉપયોગથી આ પદ્ધતિ ઘણી સફળ રહી. મોટા ભાગે વાસ્તવિક સંખ્યા જેટલો જ અંદાજ મળી આવી છે.

સિંહની વસ્તી ગણતરી દરમિયાન ગણતરીકારે ઘણા કામ કરવાના રહે છે. તેમને 2-3 જાતના ફોર્મ ભરવાના રહે છે. તે ઉપરાંત સિંહનાં શરીર પર નિશાનને જોવામાં આવે છે. જીપીએસ લોકેશન આપવામાં આવે છે, એક લોકેશન પરથી સિંહની હલન-ચલન ગતિની પણ માહિતી રાખવામાં આવે છે. સિંહની વસ્તીગણતરીમાં ફોટો પાડીને સરળતાથી સિંહની ઓળખ કરવામાં આવે છે. તે ઉપરાંત જંગલના કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી સિંહના સમય, સ્થળ પર ધ્યાન રાખી શકાય છે. આ બધાના ઉપયોગથી સિંહને ડુપ્લિકેટ થતા હોય તો સિસ્ટમમાંથી કાઢી શકાય છે.

સિંહની વસ્તી ગણતરીમાં વન વિભાગના અધિકારી, ગણતરીકારો, સ્વયંમસેવકો હોય છે. આ બધા કાયરતા સ્થાનિક ગાર્ડ, ટ્રેકર વધુ અનુભવી હોય છે. સિંહ ઉદાર પ્રાણી છે અને તેનાથી અંતર રાખવાથી તે કો દિવસ ઇજાઓ પહોંચાડતો નથી. સિંહના વર્તનનો માલધારીઓ અને સ્થાનિક નિવાસીઓનો અભ્યાસ છે. મોટાભાગે સિંહને પજજવવામાં આવે તો જ હેરાન કરે છે.

સિંહની વસ્તીગણતરીમાં આવેલા આંકડાઓ અનુસાર અમેરેલી જિલ્લામાં વધુ સિંહો નોંધાયા છે. તે માટેના અવશ્ય પરિબળોમાં ખુલ્લી જમીન છે. તે ઉપરાંત અહી હરિયાળીને બદલે સૂકી જમીન છે, અહીનું ભૂપૃષ્ઠ સવાના પ્રકારનું છે. સૂકી જમીન અને પાણીના અભાવે અહી મોસમી ખેતી થાય છે. તે ઉપરાંત અહી મોટાભાગે ડુંગરાળ વિસ્તાર, કાંટાળા વન, વીડીઓ વધુ છે, જેને સિંહો પોતાની સલામતી માને છે. શેત્રુંજીની કોતર સિંહો માટે કોરિડોર બની ગયો છે. અહીથી જ સિંહો ભાવનગર સુધી ગયા છે. અમરેલી જિલ્લામાં જંગલ કરતાં રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધુ છે. અહી સિંહો માટે વધુ ખોરાક ઉપલબ્ધ છે.

સિંહની વસ્તી વધવાથી હવે સિંહ બહાર ગયા છે. સિંહોના રક્ષણ માટે સિંહની જમીન પર પેશકદમી ન થવી જોઇએ. ગીર અને તેની આજુબાજીના જમીનોમાં દબાણ કરવામાં આવે છે અને જમીન દબાણ બાદ તેનો હિત ધરાવતા લોકો બચાવ કરે છે. સિંહોના રક્ષણ માટે લોકોની ભાગીદારી ખૂબ જ છે. સિંહોના સંવર્ધન માટે સ્થાનિક લોકોએ ઘણું સહન કર્યું છે અને તેનું લોકોને ગૌરવ પણ છે.

અમરેલી જિલ્લામાં સિંહો વધી રહ્યા છે પરંતુ તેની સાથે સાથે અમરેલી જિલ્લામાં સિંહોના અસ્તિત્વ સામે અનેક સમસ્યાઓ પણ છે. ખાસ કરીને રેલવે ટ્રેકમાં અડફેટે આવવાથી સિંહોના મોત. સત્તાવાર આંકડાઓ અનુસાર 2013-14 અને 2023-24 વચ્ચે ટ્રેનની અડફેટે 21 સિંહ મૃત્યુ પામ્યા છે. આવી ઘટનાઓને રોકવા માટે નવી “સુરક્ષા મિકેનિઝમ્સ” મૂકવામાં આવી છે અને 32 સિંહોને ટ્રેનથી દૂર કરવામાં આવ્યા હતા.

May 17, 2025
bad_weather.jpg
1min113

ગુજરાતમાં એક તરફ અનેક જીલ્લાઓમાં ગરમીનો પારો વધી રહ્યો છે. તો બીજી તરફ અનેક જીલ્લાઓમાં છુટોછવાયો કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

17 મે 2025ના રોજ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી
જયારે 17 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આજે 16 મે 2025ના રોજ રાજકોટ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

18 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં જ્યારે 19 મે 2025ના રોજ અમરેલી, ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત તારીખ 20 અને 21 મે 2025ના રોજ દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટો છવાયો ગાજવીજ સાથે હળવોથી મધ્યમ કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના આંકડા પમુજબ રાજ્યમાં 32.3 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ રાજ્યના સૌથી ગરમ શહેર રહ્યા હતા. જ્યારે દ્વારકામાં 32.3 ડિગ્રી મહત્મ તાપમાન નોંધાયું હતું.

May 17, 2025
image-7.png
1min75

કતરની રાજધાની દોહામાં દોહા ડાયમન્ડ લીગ રમાઈ રહી છે, જેમાં ભારતના સ્ટાર ‘જૈવલિન થ્રોઅર’ નીરજ ચોપરાએ 90 મીટરથી દૂર ભાલો ફેંકી ઈતિહાસ રચ્યો છે. નીરજ આવું કરનાર પ્રથમ ભારતીય જેવલિન થ્રોઅર બની ગયો છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજે આ વર્ષે પોતાની પહેલી સ્પર્ધામાં ભાગ લઈ દોહા ડાયમંડ લીગ મીટમાં 90.23 મીટરના શાનદાર થ્રો કરી આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જોકે લીગમાં જૂલિયન વેબરે 91.09 મીટર દૂર ભાલો ફેંકતા નીરજ ચોપડા બીજા ક્રમે આવી ગયો છે.

નીરજ ચોપડા જેવલિન થ્રોઅરમાં 90 મીટર પાર કરનાર ભારતનો પ્રથમ ખેલાડી, વિશ્વનો 25મો અને એશિયાનો ત્રીજો ખેલાડી બની ગયો છે. પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ (92.97) અને ચાઇનીઝ તાઇપેઈના ચાઓ-સુન ચેંગ (91.36) એ એકમાત્ર અન્ય એથ્લેટ છે, જેમણે 90 મીટરથી વધુ ભાલો ફેંકનાર ખેલાડી બન્યા છે.

જુલિયન વેબરે 91.06 મીટર ભાલા ફેંક્યો છે. તેણે પોતાના અંતિમ થ્રોમાં નીરજ ચોપરાને પાછળ છોડી દીધો છે. જુલિયન વેબર માટે પણ આ કારકિર્દીનું શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન છે.

દોહા ડાયમંડ લીગમાં તમામ 11 ખેલાડીઓના શ્રેષ્ઠ થ્રો

જુલિયન વેબર (જર્મની) – 91.06 મીટર
નીરજ ચોપરા (ભારત) – 90.23 મીટર
એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) – 85.64 મીટર
કેશોર્ન વોલ્કોટ (ત્રિનિદાદ અને ટોબેગો) – 84.65 મીટર
મોહમ્મદ હુસૈન અહેમદ સમેહ (ઇજિપ્ત) – 79.42 મીટર
ઓલિવર હેલૈન્ડર (ફિનલેન્ડ) – 79.61 મીટર
જેકબ વાડલેચ (ચેક રિપબ્લિક) – 79.06 મીટર
કિશોર જેના (ભારત)- 78.60 મીટર
જુલિયસ યેગો (કેન્યા)- 78.52 મીટર
રોડરિક જી. ડીન (જાપાન) – 76.49 મીટર
મેક્સ ડેહનિંગ (જર્મની)- 74.00 મીટર
ચોપરાના ટોચના પાંચ થ્રો

89.94 મીટર સ્ટોકહોમ ડાયમંડ લીગ 2022
89.49 મીટર લૌઝેન ડાયમંડ લીગ 2024
89.45 મીટર પેરિસ 2024 ઓલિમ્પિક્સ – એફ
89.34 મીટર પેરિસ 2024 ઓલિમ્પિક્સ – ક્યૂ
89.30 મીટર પાવો નુરમી ગેમ્સ 2022

May 14, 2025
SS_Logo_Red-1280x986.png
1min194

તા.13મી મે 2025ના રોજ સેન્ટ્રલ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સના પરીણામો ઘોષિત કરવામાં આવ્યા. પરીણામો ઘોષિત કરાયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એ મૂંઝવણ ઉપસ્થિત થઇ છે કે સેન્ટ્રલ બોર્ડે રીઝલ્ટમાં માર્કસ અને પર્સન્ટેજ જાહેર કર્યા છે. જ્યારે ગુજરાતમાં એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ) દ્વારા એન્જિનિયરિંગ, ફાર્મસીનું મેરીટ તૈયાર કરવામાં આવે છે તેમાં પર્સન્ટાઇલ રેન્ક ગણવામાં આવે છે.

તો આવી મૂંઝવણ ફક્ત શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર) દૂર કરી શકે છે. શિક્ષણ સર્વદા જણાવે છે કે દર વર્ષે સેન્ટ્રલ બોર્ડ તેમજ અધર ધેન ગુજરાત બોર્ડના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓના કેટલા માર્કે કેટલા પર્સન્ટાઇલ થાય તેની અધિકૃત માહિતી ધરાવતુ કોષ્ટક સેન્ટ્રલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે છે જેમાં હાઇએસ્ટ માર્કસથી લઇને લોએસ્ટ માર્ક સુધીના માર્ક પર કેટલા પર્સન્ટાઇલ થાય તે દર્શાવવામાં આવે છે.

અહીં અમે 2024માં માર્કસની સામે કેટલા પર્સન્ટાઇલ માર્ક ગણતરીમાં લેવામાં આવ્યા હતા તે ચાર્ટ જાણકારી માટે, વાલીઓ વિદ્યાર્થીઓને એક રેન્ડમ આઇડિયા મળે તે માટે પ્રસ્તુત કરી રહ્યા છે જેના આધારે અંદાજો આવી શકશે કે સેન્ટ્રલ બોર્ડમાં ધો.12 સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ, ત્રણ વિષયોના થિયરીના કુલ માર્કસની સામે કેટલા પર્સન્ટાઇલ મેરીટની ગણતરીમાં ધ્યાનમાં લેવાશે.

ગુજરાતમાં એસીપીસી દ્વારા એન્જિનિયરિંગ એડમિશનમાં પીસીએમના કુલ પર્સન્ટાઇલના 50 ટકા અને ગુજકેટમાં કુલ પર્સન્ટાઇલના 50 ટકાનો સરવાળો કરીને મેરીટ તૈયાર કરવામાં આવે છે. મેરીટના આધારે મેરીટ રેન્ક આપવામાં આવે છે.

ઉપરોક્ત 2024ના ચાર્ટનો આધાર લઇએ તો કોઇ વિદ્યાર્થીના ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષયોમાં થિયરીમાં 190 માર્કસ આવ્યા હોય તો તેના થિયરી પર્સન્ટાઇલ 90.63 થાય છે, એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં મેરીટની ગણતરીમાં 90.63ના 50 ટકા એટલે કે 45.31 પીઆર ગણનામાં લેવાશે. જેમાં ગુજકેટના 50 ટકા ઉમેરીને મેરીટ બનાવવામાં આવે છે.

May 14, 2025
e-passport.png
1min124


કેન્દ્ર સરકારે હાઈટેક પહેલાના ભાગરૂપે દેશભરમાં ચિપ આધારીત ઈ-પાસપોર્ટ સેવા શરૂ કરી દીધી છે. દેશમાં આ નવી સુવિધા શરૂ થવાની સાથે વિદેશ પ્રવાસ કરનારા ભારતીય નાગરિકોને અનેક ફાયદા થશે સાથે જ ઈમિગ્રેશન પ્રક્રિયા, સુરક્ષા અને કૉન્ટેક્ટલેટ થઈ જશે. દેશમાં આ નવી પહેલ શરૂ થતાની સાથે જ ભારત અમેરિકા, યુકે, ફ્રાન્સ, જાપાન અને કેનેડા જેવા 120 દેશોમાં સામેલ થઈ ગયા છે, જેઓ પહેલેથી જ ઈ-પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યા છે.

ઈ-પાસપોર્ટ એક ઈલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ છે. તેની પાછળના ભાગે એક RFID ચિપ અને એન્ટીના હોય છે. આ ચિપમાં પાસપોર્ટ ધારકનું નામ, જન્મતારીખ, પાસપોર્ટ નંબર, ફેસ અને ફિંગરપ્રિન્ટ જેવી બાયોમેટ્રિક અને વ્યક્તિગત માહિતી સુરક્ષીત રહે છે. આ ડેટા આંતરરાષ્ટ્રીય સુરક્ષા નિયમો BAC, PA અને EAC અનુસાર એન્ક્રિપ્ટેડ છે.

ઈ-પાસપોર્ટની સેવાનો પાયલોટ પ્રોજેક્ટ પ્રથમ તબક્કામાં નાગપુર, ભુવનેશ્વર, જમ્મૂ, ગોવા, શિમલા, જયપુર, ચેન્નાઈ, હૈદરાબાદ, ગુજરાતનું સુરત, રાયપુર, અમૃતસર, રાંચી, દિલ્હી જેવા શહેરોમાં લાગુ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે જૂન-2025 સુધીમાં દેશભરમાં લાગુ કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે.

ઈ-પાસપોર્ટના કારણે ઈમિગ્રેશન પ્રક્રિયા વધુ સરલ અને આધુનિક બનશે. પ્રવાસીઓ હવે ઈ-ગેટ્સમાંથી ઓટોમેટેડ તેમજ કોન્ટેક્ટલેસ પ્રોસેરમાંથી પ્રવેશ કરી શકશે. આ નવી સુવિધાના કારણે વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી છૂટકારો મળશે અને મુસાફરો સરળતાથી અને આરામદાયક મુસાફરી કરી શકશે.

ઈ-પાસપોર્ટ મેળવવા ઈચ્છુક નાગરિક પાસપોર્ટ સેવા પોર્ટલ પર અરજી કરી શકે છે. તેઓએ નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ કેન્દ્ર પર જઈને બાયોમેટ્રિકની માહિતી આપવાની રહેશે. આગામી સમયમાં ઈ-પાસપોર્ટમાં ડિજિટલ વિઝા, મોબાઈલ પાસપોર્ટ વૉલેટ, આધાર તેમજ ડિજિલોકર ઈન્ટીગ્રેશન જેવા ફિચર્સ જોડવામાં આવી શકે છે. આ સુવિધાના કારણે પ્રવાસીનો પ્રવાસ સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ થઈ જશે.