
ગુજરાતના રાજકારણની પારાશીશી કહેવાતા ઉત્તર ગુજરાતની ચારે બેઠકો પર ૧૭મી લોકસભા માટે થયેલા મતદાનમાં ભરેલા નારિયેળ જેવી સ્થિતિ છે. આ વખતે ગત ચૂંટણી કરતાં થયેલા વધુ મતદાનથી ખુદ રાજકીય પક્ષો ગણતરીને લઇ અવઢવમાં મુકાયા છે. ગઇ વખતે નરેન્દ્ર મોદી વડા પ્રધાન પદના ઉમેદવાર હતા એટલે ઉત્તર ગુજરાતમાં મોદીલહેર જોવા મળી હતી, પરંતુ આ વખતે ન તો કોઈ લહેર છે કે ન તો કોઇ આંદોલનની અસર. એટલે જ રાજકીય પંડિતો પણ કોને ફાયદો અને કોને નુકસાન થશે તે ખોંખારીને કહી શકતા નથી પણ હાલમાં રાજકીય આલમમાં પાટણને બાદ કરતાં બાકીની ત્રણ બેઠકો ભાજપ પાસે અકબંધ રહેશે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના રાજકારણમાં પહેલા ઉત્તર ગુજરાતનો મહેસાણા જિલ્લો દેશના વડા પ્રધાનની જન્મ ભૂમિને લઈ અને ત્યાર બાદ હાર્દિક પટેલના અનામત આંદોલનને લઈને દેશભરમાં તેના પડઘા પડ્યા હતા. અહીં ઉત્તર ગુજરાતની ચાર બેઠકોમાં સાબરકાઠાં, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.
ગરમી કે અન્ય કારણોસર આ ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની ૩૩,૪૪,૮૮૦ લાખ મહિલા મતદારો પૈકી ૨૦૪૭૪૧૨ લાખ મહિલાઓ મતદાન માટે ઘરની બહાર જ નીકળી નથી એટલે કે ૬૧.૨૧ ટકા મહિલા મતદાન નોંધાયું હતું. સૌથી ઓછું મહિલા મતદાન પાટણ બેઠક પર ૫૮.૬૭ ટકા, એટલે કે, કુલ. ૮૬૮૩૮૪ લાખ મહિલા મતદારોમાંથી ૩૫૮૮૩૫ લાખ મહિલાઓએ મતદાન કર્યુ હતું. તે પછી બનાસકાંઠામાં ૫૯.૮૩ ટકા નોંધાયું હતું એટલે કે કુલ ૮૦૬૫૪૮ લાખ મહિલા મતદારોમાંથી ૩૨૩૯૨૦ લાખ મહિલા મતદારોએ મતદાન કર્યુ હતું.
જ્યારે સાબરકાંઠામાં કુલ ૮૭૫૭૧૩ લાખ મહિલા મતદારોમાંથી કુલ ૩૧૨૮૯૪ લાખ મહિલા મતદારોએ અને મહેસાણામાં કુલ. ૭૯૪૨૩૪ લાખ મહિલા મતદારોમાંથી કુલ, ૩૦૨૦૧૮ લાખ મહિલા મતદારોએ મતદાન કર્યુ હતું એટલે કે, સૌથી વધુ મહિલા મતદાન ૬૪.૨૯ ટકા સાબરકાંઠા અને ૬૧.૯૭ ટકા મહેસાણા બેઠક પર થયું હતું. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં ૩૬.૦૧ લાખ પૈકી ૨૪.૫૩ લાખ પુરુષોએ મતદાન કર્યું હતું, જેની ટકાવારી ૬૮.૧૪ ટકા થાય છે. આમ ઉત્તર ગુજરાતની કુલ ૩૩૪૪૮૮૦ મહિલા મતદારોમાંથી માત્ર ૧૨૯૭૪૬૮ લાખ મહિલા મતદારોએ મતદાન કર્યુ હતું. જે પુરુષોની સરખામણીએ મહિલા મતદાન સાત ટકા જેટલું ઓછું થયું હતું.
લોકશાહીને મજબૂત રાખવા માટે એક-એક મત કીમતી ગણાતો હોય છે, ત્યારે એવા પણ મતદાતાઓ છે જે કામધંધાને લઈને અન્ય સ્થળે સ્થાળાંતર કરી ગયા હોય છે છતાં પોતાની ફરજ સમજીને ખાસ મત આપવા માટે આવતા હોય છે. આજે મુંબઈમાં લોકસભાની છ બેઠક માટે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે બોરીવલીથી સુરત સ્થાયી થઈ ગયેલો દેસાઈ પરિવાર ખાસ વોટ આપવા માટે મુંબઈ આવ્યો છે. બોરીવલીમાં શિંપોલી રહેતા જગદીશભાઈ દેસાઈનો પરિવાર ત્રણ વર્ષ અગાઉ સુરત સ્થાયી ગઈ ગયો છે. પરિવારના મોભી એવા જગદીશભાઈના કહેવા મુજબ તેમનો દીકરો નીરવ ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તો તેની પત્ની દીપલ સ્કૂલમાં શિક્ષિકા છે. ચૂંટણીમાં એક-એક મત કીમતી ગણાતો હોય છે અને મતદાન કરવું આપણી પવિત્ર ફરજ છે તેથી અમે ખાસ મત આપવા માટે સુરતથી મુંબઈ આવ્યા છીએ. અમારા પરિવારના સભ્ય બોરીવલીમાં રહે છે તેથી અમે બે દિવસ પહેલા જ બોરીવલી આવી ગયા હતા.
કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે છેલ્લાં 70 વર્ષ (કૉંગ્રેસના શાસનકાળના) દરમિયાન કોઇએ નૉટબંધી અને ‘ગબ્બર સિંહ ટૅક્સ’ (વસ્તુ અને સેવા કર – જીએસટી) જેવી મૂર્ખામી કોઇએ નહોતી કરી. તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારી નોકરીમાં ખાલી પડેલી 22 લાખ જગ્યા ભરવા નથી માગતા, પરંતુ જો અમારો પક્ષ કેન્દ્રમાં સત્તા પર આવશે તો અમે એક જ વર્ષમાં આ 22 લાખ સરકારી નોકરી આપીશું અને પંચાયતોમાં 10 લાખ નોકરી આપીશું.
કૉંગ્રેસના પ્રમુખે જાહેરસભાને સંબોધતા સવાલ કર્યો હતો કે અનિલ અંબાણી, નીરવ મોદી, વિજય માલ્યા, લલિત મોદી જેલમાં છે કે જેલની બહાર? તેમણે જણાવ્યું હતું કે ચોકીદાર (નરેન્દ્ર મોદી)એ રાયબરેલી અને અમેઠીમાં કારખાના અને રોજગારીની ‘ચોરી’ કરી છે (એટલે કે છીનવી લીધા છે). રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જો રાયબરેલીનો ખેડૂત રૂપિયા 20,000નું કરજ પાછું ચૂકવી ન શકે તો તેણે જેલમાં જવું પડે છે. જો અમારી સરકાર સત્તા પર આવશે તો આવું થવા નહિ દે. તેમણે જણાવ્યું હતું કે મોદીએ ભ્રષ્ટાચાર અને કાળાં નાણાં નાબૂદ કરવાના બહાના હેઠળ લોકોને મૂર્ખ બનાવ્યા હતા અને નૉટબંધી કરીને સામાન્ય જનતાને લાંબી કતારમાં ઊભી રહેવાની ફરજ પાડી હતી.
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન 29મી એપ્રિલના રોજ છે, જેમાં મુંબઈની છ સહિત મહારાષ્ટ્રની 17 બેઠકનો સમાવેશ થાય છે. મતદાનના બે દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મિડલ ક્લાસને નમન કરી ખાસ કરીને મુંબઈના સૌથી મોટા મતદાર વર્ગને સંબોધિત કર્યો હતો. મુંબઈના મતદારોમાં સૌથી મોટી સંખ્યા મિડલ ક્લાસની છે ત્યારે નરેન્દ્ર મોદીએ તેમને રિઝવવાની પૂરી કોશિશ કરી હતી.
મુંબઈગરાઓના વખાણ કરતા તેમણે જણાવ્યું હતું કે અહીંના લોકો દેશની હવા કઈ તરફ ચાલી રહે છે તે કળી જાય છે અને તેથી તેમણે કોને દેશ સોંપવો તે સારી રીતે ખબર છે. દેશની તમામ આર્થિક યોજનાઓની સફળતા માટે ટેક્સ આપનારા તમામ લોકોનો આભાર માની મોદીએ કરદાતાઓની નોંધ લીધી હતી. પોતાની લાક્ષણિક છટામાં ‘કસ કાય મુંબઈ’ થી શરૂઆત કરી હતી અને શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો વારાણસી આવવા માટે આભાર પણ માન્યો હતો.
સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરતાં કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘મી શિવરાયાંચા માવળા આહે’. જે ભારત પર આંખ ઉઠાવશે તેને ઘરમાં જઈને મારશું. એક સમયે ચૂંટણી સમયે કૉ્ંરગ્રેસે આઈપીએલ મેચ સુરક્ષાના કારણોસર બંધ કરવા જણાવાયું હતું ત્યારે હાલમાં દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, વિવિધ તહેવારો મનાવાઈ રહ્યા છે અને આઈપીએલની મેચ પણ ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે જેટલા લોકો વડા પ્રધાનની રેસમાં ઊભા છે, તેમાં આતંકવાદને ખતમ કરવાની હિંમત નથી.
તેમણે મુંબઈમાં ચાલી રહેલી તમામ માળખાની યોજનાઓ વિશે વાત કરી હતી અને મુંબઈના લોકોની સુવિધાઓને કેન્દ્ર તેમ જ રાજ્ય સરકાર પ્રાધાન્ય આપી રહી છે. તેમણે માછીમાર, ડબ્બાવાલા, ટેક્સીવાળા, પોલીસકર્મી, સફાઈકર્મી વગેરેનો આભાર માન્યો હતો કે તેમણે આ શહેરને ક્યારેય ધીમું પડવા દીધું નથી. સાધ્વી પ્રજ્ઞાએ નવેમ્બર 2008 હુમલાના શહીદ હેમંત કરકરે વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું ત્યારે મોદીએ મુંબઈ પોલીસ અને સુરક્ષાકર્મીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે જો પોલીસ આટલી સતર્ક ન હોત તો શહેરે આના કરતા પણ વધારે ખુવારી સહન કરવી પડી હોત.
કૉંગ્રેસને આડે હાથ લેતા તેમણે જમાવ્યું હતું કે આતંકવાદી હુમલો થાય ત્યારે માત્ર મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન બદલવાની સંસ્કૃતિ અમે બદલી છે અને ત્રાસવાદનો ખાતમો બોલાવી રહ્યા છીએ.
કૉંગ્રેસને ઝાટકતા તેમણે જણાવ્યું હતું કે 2014માં તેઓ સૌથી ઓછી 44 બેઠક જીત્યા હતા, 2019માં તેઓ સૌથી ઓછી બેઠક પર લડી રહ્યા છે. કૉંગ્રેસ 44માંથી 40 પર પહોંચશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. આ સાથે ભારત માટે આવનારા પાંચ વર્ષ એક અવસર સમાન છે અને સમગ્ર વિશ્ર્વ ભારત તરફ જોઈ રહ્યું છે ત્યારે દેશને એક મજબૂત અને સ્થિર સરકારની જરૂર છે અને તે એનડીએ જ આપી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે ર્કૉંગ્રેસ 21મી સદીના મતદાર અને તેની અપેક્ષાને સમજવામાં નિષ્ફળ રહી છે અને માત્ર એક પરિવારની રાજકીય કારકિર્દી સંભાળવામાં આવી રહી છે. 2014માં મોંઘવારી ચૂંટણીનો મુદ્દો હતો, ત્યારે આજે વિપક્ષ પણ મોંઘવારીની વાત કરતો નથી કારણ કે દેશમાં પહેલીવાર મોંઘવારી સૌથી ઓછી છે અને વિકાસદર સૌથી વધારે છે. કૉંગ્રેસના મેનિફેસ્ટોમાં મિડલ ક્લાસ ક્યાંય નથી, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મુંબઈમાં મોદી અને ઠાકરે એક સાથે ઘણાં લાંબા સમય બાદ દેખાયા હતા. બીકેસી ખાતેનું મેદાન ખીચોખીચ ભરેલું હતું અને મોદીએ વિગતવાર ભાષણ આપી મુંબઈના યુતિના છ ઉમેદવારોને ચૂંટવાની અપીલ કરી હતી.
મહારાષ્ટ્રમાં 29મી તારીખે ચોથા અને છેલ્લા તબક્કાની ચૂંટણી છે ત્યારે તે પહેલા ભાજપ અને કૉંગ્રેસ પક્ષના નેતાઓ મતદારોને મનાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. આજે મુંબઈમાં બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રેલીને સંબોધશે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અહેમદનગરમાં સંગમનેર ખાતે સભાને સંબોધશે. ચોથા તબક્કામાં મુંબઈની છ બેઠક માટે પણ મતદાન થવાનું છે. ભાજપે શિવસેના સાથે જોડાણ કર્યું હોવાથી ત્રણ બેઠક પર ભાજપ અને ત્રણ બેઠક પર શિવસેના લડી રહી છે. 2014માં મુંબઈની તમામ બેઠક પર યુતિના ઉમેદવારો જીતીને આવ્યા હતા. આ વખતે પણ ઈશાન મુંબઈને બાદ કરતા તમામ વર્તમાન સાંસદોને ટિકિટ આપવામાં આવી છે. મુંબઈ માત્ર આર્થિક રાજધાની જ નહીં, એક આંતરરાષ્ટ્રીય શહેર તરીકે પ્રસ્થાપિત છે તેથી અહીંની બેઠકો જીતવી તમામ પક્ષ માટે મહત્ત્વની છે.
બીજી બાજુ રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી મુંબઈમાં રેલી યોજશે તેમ માનવામાં આવતું હતું, પરંતુ એમ બન્યું નથી. ગાંધી મહારાષ્ટ્રને ઓછું મહત્ત્વ આપી રહ્યા હોવાનું પણ માનવામાં આવે છે, પરંતુ કૉંગ્રેસના નેતાઓએ આ વાતનો ઈનકાર કરતા જણાવ્યું હતું કે તેમણે અને કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સભાઓ ગજવી છે. આ સાથે એનસીપી ચીફ શરદ પવાર મુંબઈમાં પણ સભાઓ લઈ રહ્યા છે. ગાંધીએ ચૂંટણીની તારીખ પહેલા મુંબઈમાં સભા સંબોધી હતી. મુંબઈમાં ગુજરાતી મતદારો પણ મોટા પ્રમાણમાં છે ત્યારે મોદીના ભાષણની અસર તેમના પર વધારે પડશે, તેમ માનવામાં આવે છે. 17 બેઠક માટે લગભગ 3.11 કરોડ મતદાર પોતાની ફરજ નિભાવશે. મુંબઈ, થાણે, પાલઘર, ભિવંડી અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ચૂંટણી યોજાશે.
આજે બીકેસી ખાતે જનમેદની એકઠી કરવાની જવાબદારી મુંબઈના ભાજપ-શિવસેનાના નેતાઓ-પદાધિકારીઓ તેમ જ છ લોકસભા બેઠક પર ઊભેલા ઉમેદવારોને સોંપવામાં આવી છે. પક્ષના સૂત્રોનું માનીએ તો તમામ મતવિસ્તારોમાંથી 150 બસ મેદાન સુધી પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી છે. 1000 જેટલી બસમાં માણસો મેદાન સુધી લઈ જવામાં આવે તેમ માનવામાં આવે છે .જોકે એક પદાધિકારીનું કહેવાનું હતું કે પક્ષ તરફથી આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. આ રેલીમાં શિવસેના અને આરપીઆઈ પણ જોડાયા હોવાથી આપોઆપ જંગી રેલી સાબિત થશે. લોકોને વડા પ્રધાનને પ્રત્યક્ષ સાંભળવાની પણ ઈચ્છા હોય છે, આથી આમ જનતા પણ મોટી સંખ્યામાં ભાગ લેશે અને આ રેલી ખૂબ જ સફળ સાબિત થશે.
ભરૂચના વાગરા તાલુકાના ઓચ્છાણ ગામના છીતુ વસાવા નામના એક વ્યક્તિનું મતદાન કર્યા બાદ મતદાન કેન્દ્રની બહાર નીકળતા આકસ્મિત કારણોસર રસ્તામાં ઢળી પડતાં મોત નીપજ્યું હતુું બચુ ભૂરિયા નામનો યુવાન મતદાન કરવા માટે લાઇનમાં ઊભો ત્યારે અચાનક ચક્કર આવતા પડી જતા બૂથ પરના પીસાઈડીગ ઑફિસરે તાત્કાલિક 108 બોલાવી સારવાર અર્થે સરકારી આરોગ્ય કેન્દ્રમાં લઈ જતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
ગુજરાતમાં મંગળવારે લોકસભાની ચૂંટણીનું મતદાન હોઈ લોકોએ મતદાન પર્વમાં ઉત્સુકતાથી મતદાન કરવા સવારથી જ શહેર, જિલ્લા અને ગામડાઓમાં મતદાન કેન્દ્રોમાં લાંબી લાઇનો લગાવી દીધી હતી. રાજ્યમાં હવામાન ખાતાએ તા.25મી એપ્રિલ સુધીમાં હિટવેવની આગાહી કરી હોઈ લોકો અગમચેતીના ભાગરૂપે સવારથી મતદાન કેન્દ્રો પર ધસારો વધી ગયો હતો. રાજકીય પક્ષો દ્વારા મતદારો માટે ઠંડક મેળવવા છાશ વિતરણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે અનેક જિલ્લામાં લોકોને ગરમીના કારણે લાઇનોમાં ચક્કરના બનાવો બન્યા હતા. જ્યારે છીતુ ભાઇલાલ વસાવા આજે સવારે 11 વાગ્યે ગામમાં જ આવેલા મતદાન મથકમાં મતદાન કરવા માટે ગયા હતા.
મતદાન કર્યાં બાદ તેઓ બહાર નીકળતી વખતે અચાનક જ તેઓ રસ્તામાં ઢળી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ આવતા જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. બીજા એક બનાવમાં દાહોદ નજીકના મુવાલિયા ગામે તળાવ ફળિયામાં રહેતા બચુ ટીટા ભૂરિયા નામે યુવાનનું મતદાન કરવા માટે લાઇનમાં ઊભા હતા. તે સમયે ચક્કર આવતા તેઓ પડી ગયા હતા. જેથી 108 બોલાવી સરકારી આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા.
ગુજરાતમાં દર વર્ષે ચૂંટણીની પૂરી તૈયારીઓ અને સબ સલામતની તંત્રની વાતો વચ્ચે હજુ પણ ઇવીએમ ખોટકાયાં સમસ્યા યથાવત્ રહી છે. લોકસભાની ચૂંટણીમાં વહેલી સવારથી ભારે મતદારમાં ગરમીની હિટવેવની આગાહીને લઈને લોકોએ વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર લાઈનો લાવી હતી. ત્યારે રાજ્યના અનેક મતદાન કેન્દ્રો પર લોકોને નાની-મોટી મુશ્કેલીઓનો સામનો કરવા પડ્યો હતો.
રાજ્યમાં અનેક જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતની ચાર બેઠકો એવી અમદાવાદ, સુરત, વલસાડ, નવસારી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ અને બારડોલીમાં મતદાન બૂથ પર ઈવીએમ ખરાબ થવાની ઘટનાઓ પણ સામે આવી રહી હતી. જેના કારણે લોકોને લાંબી લાઇનોમાં કલાકો સુધી ઊભા રહેવાનો વારો આવતા ભારે દેકારો થતા બૂથ ચૂંટણી ઈનચાર્જે તાકિદે ઈવીએમ ટેક્નિકલ સ્ટાફને જાણ કરી સ્થળ પર બોલાવી ખામીઓને તાકિદે દૂર કરીને અટકી ગયેલા મતદાન કેન્દ્રો પર ફરી મતદાન શરૂ કરાવ્યું હતું. જેના કારણે લોકોને લાંબો સમય લાઇનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો.
ગુજરાતમાં વહેલી સવારથી લોકોએ ઉત્સુકતાપૂર્વક મતદાન કરવા મતદાન કેન્દ્રો પર લાઇને ગલાવી દીધી હતી ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ટેક્નિકલ ખામીને લઈને ઈવીએમ મશીનો બંધ થઈ જતાં મહિલો, વૃદ્ધો, દિવ્યાગોને લાંબી લાઇનોમાં મોડા સુધી ઊભા રહેવું પડ્યું હતું. જેમાં સુરતના નવીવ ઘેલા સ્કૂલ ખાતે એક ઈવીએમ ખરાબ થઈ ગયું હતું. જોકે, તાત્કાલિક રિપેર કરી દેવામાં આવ્યું હતું. જ્યારે વલસાડમાં ડીએમડીજી સ્કૂલના 135 નંબરના બૂથ ઉપર ઈવીએમ બગડ્યું હતું.
ચૂંટણીના સ્ટાફે તાત્કાલિક ઝોનલ અધિકારીને જાણ કરતા તાત્કાલિક નવું યુનિટ નાખવામાં આવ્યું હતું. બગડેલા યુનિટના ક્ધટ્રોલ યુનિટના વાયરમાં ખામી આવી હતી. નવસારીમાં ચોર્યાસી વિધાનસભામાં આવેલા મોરા-2ના બૂથ નંબર 28માં ઇવીએમમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેથી 15 મિનિટ જેટલો ટાઇમ મતદાનની પ્રક્રિયા થંભી ગઈ હતી. જેમાં ધારાસભ્ય જંખના પટેલે પણ 15 મિનિટ સુધી ઊભા રહેવું પડ્યું હતું. જ્યારે બારડોલી તાલુકાના માણેકપોર ગામે બુથ નંબર 1માં ઈવીએમ ખરાબ થયું હતું.
જોકે, સ્ટેન્ડબાય રાખેલ ઈવીએમ પણ બંધ નીકળતા મતદાન અટક્યું હતું. તાપી જિલ્લામાં વ્યારામાં ચાર અને ડોલવણમાં એક ઈવીએમ ખરાબ થયું હતું. હાજર ચૂંટણી અધિકારીએ તાકિદે ઈવીએમ ટેક્નિશ્યને સ્થળ પર બોલાવી ઈવીએમમાં થયેલી ખામીઓ દૂર કરવી દેતા મતદાન કેન્દ્રો ફરી ચાલુ થઈ ગયા હતા. રાજ્યમાં સાબરકાઠા, જામનગર, ભાવનગર, કચ્છ જિલ્લા સહિત અનેક જગ્યાએ ઈવીએમ ખોટવાયા હોવાની ફરિયાદો મળી રહી હતી. ચૂંટણી અધિકારીઓ તરફથી ખોટવાયેલા ઈવીએમને તાત્કાલિક બદલી દેવાની કામગીરી કરવામાં આવી રહી હતી.
ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામ બાદ મોટા ફેરફાર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પક્ષમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે કેન્દ્રમાં ફરી સરકાર માટે એકેએક સીટ જીતવી મહત્ત્વની હોઈ ગુજરાતમાં પાર્ટીની ગણતરી ઊંધી પડી તો મોવડીઓનો ગુસ્સો પ્રદેશના નેતાઓ ઉપર ઊતરશે તે પાક્કું છે.
ભાજપના સૂત્રો કહે છે કે, રાજ્યમાં ૨૪થી એક પણ બેઠક ઓછી આવશે તો પાર્ટીમાં કકળાટ શરૂ થઈ જશે, કેમ કે પ્રદેશ પ્રમુખ જાહેરમાં ભલે છવ્વીસે છવ્વીસનું રટણ કર્યે રાખતા હોય પણ પાર્ટીની આંતરિક ગણતરી બે સીટ ઓછી થઈ રહી હોવાની છે.
રાજ્ય ભાજપમાં મોટા ભાગે ૨૦૧૧ની બોડી કાર્યરત છે. રણછોડ ફળદુ ગયા પછી મહામંત્રી, મંત્રી, પ્રવક્તા કે અન્ય સ્તરે ખાસ કોઈ ફેરફાર થયો નથી, એટલે આઠ વર્ષમાં એકની એક જગ્યાએ ગ્રોથ વગર કામ કરતાં બધાં કંટાળ્યા છે. દા.ત. ભરતસિંહ પરમાર ૨૦૦૬થી પ્રદેશ મહામંત્રી છે. જિલ્લા સ્તરે પણ પાર્ટીમાં ખાસ બદલાવ થયો નથી. પરિણામે બેથી વધુ સીટના ઘટાડાના પગલે કમ સે કમ સંગઠન સ્તરે તો મોટા ફેરફાર થવાનું નિશ્ર્ચિત લાગે છે, કેમ કે ૨૦૧૯ની આ ચૂંટણીમાં ૨૦૧૪ જેવી સ્થિતિ નથી તેવો સર્વ સામાન્ય મત છે. ભાજપના સૂત્રો એવું પણ કહે છે કે, આમ તો ૨૦૧૭માં પાર્ટીના ખરાબ પર્ફોમન્સના કારણે સંગઠકીય ફેરફારો થવાના હતાં, પરંતુ એક યા બીજા કારણસર નેતાઓને જીવતદાન મળ્યું હતું, એટલે ફરી વાર પ્રદેશના નેતાઓને આવો મોકો નહિ અપાય તે બાબતે બધા એકમત છે.
મેં નક્કી કરી લીધું છે, મને સત્તાની પરવા નથી કા તો આતંકવાદ રહેશે કા તો હું રહીશ પરંતુ દેશની સુરક્ષા સાથે, દેશના સાર્વભૌમત્વ સાથે કોઈ બાંધછોડ નહીં થાય. આજે મંદિરોમાં જઈએ તો મેટલ ડિટેક્ટરોમાંથી પસાર થવું પડે છે. ૪૦ વર્ષમાં આતંકનો છાયો એવો પડ્યો કે આપણે અસુરક્ષિત અનુભવ કરતા થઈ ગયા હતા. આ કોંગ્રેસના શાસનમાં દેશની દુર્દશા થઈ હતી એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણમાં જાહેરસભાને સોબંધતા જણાવ્યું હતું.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે પાટણમાં પાટણ- બનાસકાંઠા અને મહેસાણા એમ ત્રણ લોકસભા બેઠકોને આવરી લેતી ચૂંટણી સભાને સોબંધતા વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, હું જ્યારે વડા પ્રધાન બન્યો ત્યારે દેશ આર્થિક મોરચે વિશ્ર્વમાં ૧૧માં નંબરે હતો, ન તો હું વિદ્વાન હતો કે ન તો અર્થશાસ્ત્રી પરંતુ મેં પાંચ વર્ષમાં જ દેશને ૧૧માથી છઠ્ઠા નંબરે લાવીને મૂકી દીધો હતો. આ અમારી સરકારની ઉપલબ્ધી છે. અમે ગરીબો માટે કામ કર્યું છે, અમે શૌચાલયો બનાવ્યા, ગેસના ચુલા આપ્યા, બેંકના ખાતાઓ ખોલ્યા આ બધુ ઉદ્યોગપતિઓ માટે કર્યું નહોતું. આટલા વર્ષોમાં કોંગ્રેસે સેનામાં નવા શસ્ત્રો ઉમેર્યા નહોતો. સેનામાં છેલ્લી નવી તોપ ૧૯૮૫માં આવી હતી ત્યાર બાદ પહેલી વાર મેં નવી તોપોનો ઉમેરો કર્યો હતો. એમાંથી એક તોપ તો મેડ ઇન ગુજરાત છે, જે હઝીરામાં બની છે, આ તોપની ખાસિયત એ છે કે નડા બેટ પર રાખીને ફોડો તો ૪૮ કિલોમીટર દૂર પાકિસ્તાનના ઘરમાં જઈને ફૂટે.
મોદીએ હળવી શૈલીમાં કહ્યું કે, આજે ચૂંટણીની વાત નહીં કરું તો ચાલશે કારણ કે મને ચૂંટણીની પરવા નથી. તમે લોકો જીતાડવાના જ છો પરંતુ ૨૬માંથી એક બેઠક પણ ઓછી થઈ તો લોકોને ટોણો મારવાની તક મળી જશે એટેલે મને કોઈ સંભળાવી જાય એવું કઈ ન થાય તેનું ધ્યાન રાખજો.
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, મનમોહનસિંહે કહ્યું હતું કે આ દેશના આર્થિક સંસાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે, ખરેખર તો આ દેશના સંશાધનો પર પહેલો અધિકાર ગરીબોનો છે. અભિનંદન પકડાયા ત્યારે મેં પાકિસ્તાનને કહી દીધું હતું પાઈલટને કઈ પણ થયું અમે તમને નહીં છોડીએ. જવાનોની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન પોક મૂકીને રડારડ કરી રહ્યું હતું અને અહીં કોંગ્રેસ સેનાના જવાનોના પરાક્રમ પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન મૂકી રહી હતી. એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન સામે જવાબી હુમલામાં એક ભારતીય પાઈલટને પાકિસ્તાને પકડી પાડ્યો હતો ત્યારે કોંગ્રેસને તો બગાસું ખાતા-ખાતા મોઢામાં પતાસું આવી ગયું એમ પ્રશ્ર્ન ઉઠાવવા લાગી કે હવે પાઈલટ નું શું ? ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો ભારતીય પાઇલટને એક ખરોંચ સુધ્ધાં આવી તો પરિણામ ભોગવવા પાકિસ્તાન તૈયાર રહે. અમેરિકાના રાષ્ટ્રપતિએ પણ નિવેદન આપ્યું કે, જો આવું થશે તો ભારત કઇ મોટું કરી બેસશે. અમેરિકાના ઉચ્ચ અધિકારીએ કહ્યું ભારતની સેના એકસાથે બાર મિસાઇલો છોડવાની તૈયારીમાં હતી. ત્યારે આપણા દેશના આ સક્ષમ નેતૃત્વને કારણે પાકિસ્તાનને ઝૂકવું પડ્યું અને ભારતીય પાઈલટને સન્માનભરે સહી સલામત પરત સોંપવો પડ્યો. તાત્પર્ય એ છે કે, દેશને ગમે તેટલો વિકાસ અને પ્રગતિ કરવી હોય પરંતુ દેશમાં આતંકવાદી ઘટનાઓ અને હુલ્લડો થતા હોય તો દેશ આગળ ન વધી શકે. કોઈપણ દેશના વિકાસ માટે દેશની સુરક્ષા અનિવાર્ય પાસું છે.