જયેશ બ્રહ્મભટ્ટ
ચંદ્રયાન-૨, ભારતનું ચંદ્રયાન-૧ પછીનું બીજું ચંદ્ર યાન છે. આ યાન ઇસરો દ્વારા નિર્મિત કરાયું છે અને GSLV Mk III રોકેટ વડે પ્રક્ષેપણ કરાશે. તેમાં ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરતા યાન, ચંદ્ર પર ઉતરનાર યાન અને વાહન (રોવર) નો સમાવેશ થાય છે, આ ત્રણેય સંપૂર્ણપણે સ્વદેશી ટેકનિકથી અને ભારતીય વૈજ્ઞાનિકો વડે જ નિર્મિત છે. ભારતના સ્પેશ મિશનનું આ સૌથી મહત્વાકાંક્ષી કદમ માનવામાં આવી રહ્યું છે અને એટલે જ તા.15મીની મધરાત્રે ખુદ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આ વિરલ ઘટનાના સાક્ષી બનવા માટે શ્રીહરીકોટા લોંચ સ્ટેશન ખાતે ખાસ ઉપસ્થિત રહેશે.

આ યાન તા.15મી જુલાઇએ મધરાત્રે લોંચ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જિઓસિંક્રોન સેટેલાઇટ લોંચ વેહિકલ માર્ક III (જીએસએલવી એમકે 3) કે જેને “બાહુબાલી”ના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે કેમકે તે અત્યાર સુધીના ભારતના સ્પેશ મિશનનું સૌથી વજનદાર રોકેટ છે. 640 ટન રોકેટ 15 માળની ઇમારત જેટલું ઊંચું છે અને તે ચંદ્રની મુસાફરી દરમિયાન 3.8 ટન સેટેલાઇટ તેમજ રોવરનું વહન કરીને ત્યાં લઇ જશે.

ચંન્દ્રયાન -2માં પણ સુરતના હિમસન સિરેમિકમાં ઉત્પાદિત થયેલા પાર્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સુરત શહેર માટે ગૌરવવંતી બાબત એટલા માટે છે કેમકે સુરતના હિમસન સિરેમિક કે જેઓ છેલ્લા 25 વર્ષથી ઇસરોને જરૂરી સ્પેરપાર્ટસ સિરેમિકમાંથી ઉત્પાદિત કરી આપીને તેમને સપ્લાય કરે છે.

(Nimeshbhai Bachkaniwala, Director of Himson Ceremic)
સુરત સ્થિત હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ જણાવ્યું હતું કે તેઓ તેમનું સદભાગ્ય માને છે કે આજથી 25 વર્ષ પહેલા પહેલી વખત તેમણે ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને તેના જુદા જુદા સ્પેશ મિશન માટે જરૂરી સિરેમિકના પાર્ટસ બનાવી આપવાનો આરંભ કર્યો હતો. છેલ્લા 25 વર્ષથી ઇસરોના દરેક અવકાશી અભિયાનમાં સુરતમાં બનેલા પાર્ટસનો ઉપયોગ કરાયો છે.
આમ, સુરત માટે પણ આ ગૌરવવંતી બાબત છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સુરતનું પણ ભારતના સ્પેશ મિશનમાં ફુલ નહીં તો ફુલની પાંખડી સમાન યોગદાન રહ્યું છે. છેલ્લા 25 વર્ષથી ઇસરોના અવકાશ મિશન માટે, રોકેટ્સ, સેટેલાઇટ્સ વગેરે માટે સિરેમિક પાર્ટસ બનાવી આપતા સુરતની હિમસન સિરેમિકના ડાયરેક્ટર શ્રી નિમેષભાઇ બચકાણીવાલાએ અંતમાં કહ્યું કે તેઓ ઇસરોના આભારી છે કે છેલ્લા 25 વર્ષથી અવિરત પણે તેમને ભારતના સ્પેશ મિશનમાં યોગદાન આપવા માટે સંસ્થા પર અને અમારા પર વિશ્વાસ જગાડ્યો. તેમણે ઉમેર્યું કે સૌથી મોટી ખુશી એ છે કે ભારતને ગૌરવ અપાવતા સ્પેશ મિશનમાં સુરતના એક અદની સંસ્થાના પ્રતિનિધિ તરીકે યોગદાન કરવાની તક મળી છે એ અમારા માટે પણ ગૌરવવંતી બાબત છે.























