CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 21 of 41 - CIA Live

September 24, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9920

આજની બે ઇવેન્ટ સુરતના વિકાસમાં નિર્ણાયક બનશે, વિશ્વની નજર સુરત પર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કહેવાય છે કે શ્રાધ્ધ પક્ષમાં શુકનવંતી શરૂઆત શક્ય નથી પરંતુ, મનમોજીલા સુરતીઓના શહેરમાં શરૂઆત કરવા માટે કોઇ મૂહૂર્ત કે ઘડીની રાહ જોવાતી નથી. તક મળે એટલે સુરત વિકાસનું ડગલું ભરી લે છે પછી ભલે એ અમાસ હોય કે શ્રાદ્ધ. આજે શ્રાદ્ધ પક્ષના દિવસે જ સુરતમાં બે મોટી ઇવેન્ટ થવા જઇ રહી છે, ભૂતકાળમાં ક્યારેય નહીં યોજાયેલી બન્ને ઇવેન્ટસ પર ભારત જ નહીં દુનિયાની નજર ઠરી છે અને આ બન્ને ઇવેન્ટસ સુરતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એમાં બે મત નથી.

આજે સુરતમાં 24,300 કેરેટ રફ ડાયમંડની હરાજી પૂર્વે વ્યૂઇંગ શરૂ થશે, ગુજરાતભરમાંથી હીરા ઉદ્યોગપતિઓ આવી પહોંચ્યા

આજે દિવસ દરમિયાન સુરતમાં પહેલી વખત 24300 રફ ડાયમંડ (કાચા હીરા)ની જાહેર હરાજી માટે ડાયમંડ વ્યુઇંગ શરૂ થશે. સુરત તેમજ ગુજરાતભરના ડાયમંડ વેપારીઓ આજે સુરત આવશે. સુરત નજીક ઇચ્છાપોર ખાતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના નેજા હેઠળ સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે 24,300 રફ ડાયમંડ કે જે મધ્યપ્રદેશ સ્થિત પન્ના માઇન્સ ખાતેથી મેળવાયા છે. આ હીરા કેવા છે એ વેપારીઓ ત્રણ દિવસ સુધી જોઇ શકશે અને ચોથા દિવસથી તેની ઓનલાઇન હરાજી થવાની છે.

અબજો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતા સુરતના હીરા ઉદ્યોગમાં અગાઉ ક્યારેય આ પ્રકારે કાચા હીરાની જાહેર હરાજી થઇ નથી. કાચા હીરા મેળવવા માટે સુરત સમેત ગુજરાતના હીરા કારખાનેદારો, ઉધોગપતિઓએ મુંબઇ કે વિદેશમાં જવું પડતું હતું. આજે પહેલી વખત યોજાઇ રહેલી 24,300 રફ ડાયમંડની હરાજી એ બાબતને નિયત કરશે કે ભવિષ્યમાં સુરતમાં ઇન્ટરનેશનલ લેવલની ડાયમંડ હરાજીઓ આકાર પામશે.

સુરત સ્થિત જીજેઇપીસીની રિજિયોનલ ઓફિસના ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અને તેમની ટીમના પ્રયાસો આજે સફળ નિવડશે. તેમણે નાંખેલો પાયો આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ લેવલ પર સુરતને લઇ જશે એમાં હવે કોઇ અવરોધ રહ્યો નથી.

આજે લાલભાઇ સ્ટેડીયમ ખાતે સુરતને મળેલી સૌપ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચના મંડાણ, ઇન્ડિયા વિ. સાઉથ આફ્રિકાની પ્રથમ ટીટ્વેન્ટી મેચ

60 લાખની વસતિ ધરાવતા સુરત શહેરમાં એવી કોઇ સુવિધા ભાગ્યેજ નહીં હોય જે અન્ય શહેરોમાં હશે, આમ છતાં સુરત શહેરને જે સુવિધા, ટ્રીટમેન્ટ, વ્યવહાર મળવો જોઇએ એ મળવામાં વિલંબ થતો આવ્યો છે. પછી ભલે એ ફ્લાઇટ્સ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલેટીઝ હોય કે પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ હોય. વડોદરા જેવા નાના શહેરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમાઇ ચૂકી છે, રાજકોટમાં રમાય છે પણ સુરતમાં હજુ સુધી એકેય મેચ રમાઇ નથી. આજે સાંજે 6 વાગ્યાથી સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે શરૂ થનારી ભારત વિરુદ્ધ આફ્રિકાની મહિલા ક્રિકેટ ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટી મેચ સાથે સુરત નવી શરૂઆત કરશે. સુરતની નવી ઇનિંગમાં આઇ.પી.એલ. કે ઇન્ટરનેશનલ મેઇન ટીમની મેચ મળવાની શક્યતાઓ પણ વધી જવા પામી છે.

ક્રિકેટર્સ, કોચ, રાહુલ દ્રવિડ જેવા શક્તિશાળી પ્રતિભા સુરતના સ્ટેડીયમ અને અન્ય ફેસેલિટીઝના વખાણ કરી ચૂક્યા છે. પરીણામે આજની વુમન્સ ઇન્ટરનેશનલ ટીટ્વેન્ટી મેચ સુરતના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે એમાં બે મત નથી.

September 20, 2019
onion.jpg
1min15180

સુરતમાં કાંદાનો હોલસેલ ભાવ કીલોના રૂ.50ને આંબી ગયો, રીટેલમાં રૂ.65 સુધી વસૂલાયા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ટૂંક સમયમાં ખાણીપીણીની લારીઓ પરથી ખાસ કરીને પાઉભાજી, ઇંડા, નોનવેજ વગેરેની લારીઓ પર સલાડ કે કચુંબરમાં ટામેટા અને કોબીજ મળશે, ડુંગળી (કાંદા) અદ્રશ્ય થઇ જાય તેવા એંધાણ મળી રહ્યા છે. સુરતમાં આજે કાંદાના પ્રતિ કિલોના ભાવ રૂ.65 જેટલા આંબી ગયા છે. સૌથી મોંઘા કાંદા સિટીલાઇટ, ડુમસ રોડ પર રિટેઇલ શાકભાજીવાળાઓએ વસૂલ્યા હતા.

એ સિવાય અડાજણ, રાંદેર, વરાછા વિસ્તારમાં કાંદાનો ભાવ પ્રતિ કિલોએ રૂ.55થી રૂ.60 જેટલા થઇ જતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાય જવા પામ્યું છે. કાંદાના ભાવ એવું નથી કે રાતોરાત ઉંચકાયા છે. છેલ્લા 10-12 દિવસમાં નિયમિત રીતે બે-ત્રણ રૂપિયા વધ્યા છે અને એવું કહેવાય છે કે સુરતમાં કાંદાના ભાવ રૂ.80 પ્રતિ કિલો સુધી પહોંચી જાય તો નવાઇ નહીં.

કાંદાનો શોર્ટ સપ્લાય, સુરતમાં કાંદાની 30થી 35 ટ્રક ઠલવાતી હતી એ હવે 15-20 થઇ ગઇ

સુરતમાં સામાન્ય દિવસોમાં કાંદાની 25થી 30 ટ્રકો ઠલવાતી હતી, રજા કે તહેવારોના આગલા દિવસે 35 ટ્રકો સુધી કાંદો સુરતમાં ઠલવાતો હતો પરંતુ, હાલમાં કાંદાનો શોર્ટ સપ્લાય છે અને એ.પી.એમ.સી.માં 15-20 ટ્રક કાંદા જ હાલ દૈનિક ધોરણે ઠલવાય રહ્યાનું એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું.

સી.આઇ.એ. લાઇવની ટીમે કાંદાના ભાવ અંગે થોડી જાંચ-પડતાલ કરી તો જાણવા મળ્યું કે સુરતમાં મોટા ભાગે મહારાષ્ટ્રના નાસિક મંડીમાંથી કાંદો ઠલવાય છે અને ત્યાં કાંદાની શોર્ટેજ છે અને એના કારણે સમગ્ર ગુજરાતના બજારોમાં કાંદાના ભાવ ઉંચકાવા પામ્યા છે. જે વિસ્તારોમાં કાંદાની મબલખ પાક પાકતો હતો ત્યાં જ વરસાદી પાણીનો ભરાવો થયો છે અને તેના કારણે મોટી મુશ્કેલી પડી રહી છે.

એક એવું પણ કારણ જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રથી આવતા નવા કાંદાની ફસલ નવરાત્રીથી શરૂ થતી હોય છે અને એ ખેતરમાંથી સુરત કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પહોંચતા વધુ 15 દિવસ જેટલો સમય માગી લે છે.

મહારાષ્ટ્રના લાસલગાંવ એપીએમસી દેશનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે. આ માર્કેટમાં ગુરુવાર તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ એક ક્વિન્ટલ ડુંગળીના ભાવ 1,000 રૂપિયાને આંબી ગયા હતા. તા.19મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રમાં બોલાયેલો ડુંગળીનો ભાવ 4 વર્ષની સર્વોચ્ચ સપાટીએ નોંધાયો હતો.તા.19મી સપ્ટેમ્બરે સ્થાનિક બજાર બંધ રહ્યા ત્યારે કાંદાની હરાજીની સરેરાશ કિંમત પ્રતિ ક્વિન્ટલ 4,500 રૂપિયાને આંબી ગઇ હતી.

2015માં 16 સપ્ટેમ્બરે જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ સરેરાશ 4,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પહોંચ્યા હતા. 22 ઓગસ્ટ 2015ના રોજ પ્રતિ ક્વિન્ટલ ડુંગળીની કિંમત 5,700 રૂપિયા હતી, જેને ઓલ-ટાઈમ હાઈ કિંમત કહી શકાય.

બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં ડુંગળીની અછત જોવા મળી રહી છે જેના કારણે દક્ષિણી રાજ્યોમાં ડુંગણીનો સપ્લાય અને માગ બન્ને વધ્યા છે.

September 19, 2019
tejaswani_bus.jpg
1min601

મહારાષ્ટ્રના થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (ટીએમટી) દ્વારા તા.18મી સપ્ટેમ્બર 2019ના રોજથી મહિલાઓ યાત્રીઓ માટે ખાસ બસ ટ્રીપ શરૂ કરી છે.

મહિલાઓને ડેડીકેટેડ 50 બસ અલગથી ફાળવવામાં આવી છે. આ બસ પર મોટા અક્ષરોમાં ‘તેજસ્વિની’ નામ આકલન કરવામાં આવ્યું છે.

માત્ર મહિલા મુસાફરો માટેની તેજસ્વીની નામની ૫૦ બસમાં પૅનિક અલાર્મથી માંડીને સીસીટીવી કૅમેરા અને જીપીએસ ટ્રેકર સહિતની મહિલાઓ માટે આવશ્યક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તા.18મી સપ્ટેમ્બર 2019ના રોજ એક ટોકન બસ શરૂ કરવામાં આવી છે અને હવે તબક્કાવાર 50 બસને મહિલા મુસાફરોને સમર્પિત કરવામાં આવશે.

સુરત શહેરમાં પણ મહિલાઓ માટે આ પ્રકારની બસ સર્વિસ શરૂ કરવાની તાતી જરૂરીયાત છે. હાલમાં બસ સર્વિસમાં મહિલાઓની બેઠકો પર પુરુષો બેસી રહે છે, કન્ડકટરો પણ તેમને ઉઠાડતા નથી. ભીડભાડવાળી બસો હોય છે આથી મહિલા મુસાફરો પ્રવાસ કરવાનું ટાળે છે. મહિલાઓ માટેની ડેડીકેટેડ બસ હશે તો મહિલાઓ સામે ચાલીને બસમાં મુસાફરી કરવાનું પસંદ કરશે.

September 18, 2019
crowd.jpg
2min19370

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મંદીના માહોલની વાત આવે છે ને લોકોમાં એટલી એટલી તો હકારાત્મકતા જોવા મળે છે કે દિવાલી આવતાં જ બધું સમૂસુતરૂં પાર ઉતરી જશે. પણ ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ કંઇક અલગ જ કહે છે. ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટમાં એવું સમજાવાયું છે કે કેમ આ વખતની દિવાળી છેલ્લા 10 વર્ષમાં સૌથી ખરાબ, ખરાબ એટલે નાણાભીડના સેન્સમાં. આ વખતે મંદીના માહોલમાં સામાન્ય વર્ગથી મિડલ ક્લાસ આડેધડ મની સ્પેન્ડિંગ કે શોપિંગ નહીં કરે અને કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા માટે જેન્યુઇન સેલ ઓફર્સ આપવી પડશે.

2008-09માં દિવાળીના સમયગાળા દરમિયાન જે માર્કેટ પેરામીટર્સ નોંધાયા હતા એ જ પ્રકારના માર્કેટ પેરામિટર્સ છેલ્લા બે ક્વાર્ટરથી ભારતીય બજારોમાં જોવા મળી રહ્યા છે. ઓછી ઘરાકી, લોકોની ખરીદશક્તિમાં તીવ્ર ઘટાડો વગેરેને કારણે રિટેઇલ માર્કેટ, એફ.એમ.સી.જી., ઓટો સેક્ટર, હોમ એપ્લાયન્સીઝ, રિયલ એસ્ટેટ, જ્વેલરી માર્કેટ, સોના ચાંદીના ભાવ વગેરેમાં પ્રવર્તમાન મંદીના પેરામીટર્સ 2008 સાથે સરખાવીએ તો લગભગ સમાંતર જોવા મળી રહ્યા છે.

એક્સપર્ટસ તો ત્યાં સુધી કહે છે કે જે રીતે ગુજરાત, ભારતમાં શ્રાવણ માસ, ચોમાસામાં ઓફ સિઝન સેલની પેટર્ન છે અને દિવાળીમાં ફ્રેશ માલ વેચાય છે, પણ આ વખતે દિવાળીમાં ફ્રેશ માલ પર પણ કંપનીઓ ગ્રાહકોને સેલ ઓફર આપશે. હોમ એપ્લાયન્સીસથી લઇને ઓટો સેક્ટરમાં વેચાણ માટે ગ્રાહકોને ઇઝી અવેલેબલ અને ઓછા ઇએમઆઇવાળી યોજનાઓની ભરમાર મળશે. ટૂંકમાં દિવાળીનું માર્કેટ સર કરવા માટે કંપનીઓએ મોટી મસક્કત કરવી પડશે.

નીચેની લિંક પર ક્લીક કરો અને વાંચો ઇકોનોમિક ટાઇમ્સનો રિપોર્ટ

https://economictimes.indiatimes.com/news/et-explains/why-this-diwali-is-the-most-crucial-in-10-years/articleshow/71159766.cms?from=mdr

ઇકોનોમિક ટાઇમ્સે રિપોર્ટના અંતમાં જણાવ્યું છે કે દિવાળીના તહેવારોમાં વેચાણ વધારવા માટે ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ અનેક ઓફરો આપશે અને પછી પણ જો માર્કેટ નહીં સુધરે તો એ પછીના ત્રણ-ચાર ક્વાર્ટરમાં મંદીનો માહોલ વધુ વિકટ બનશે.

દિવાળીના તહેવારમાં સૌથી વધુ જરૂરીયાત પરિવારોને રૂપિયાની હોય છે. ઘરની ખરીદીથી લઇને વસ્ત્રો, વાહનો, સોનું ચાંદી, હોમ એપ્લાયન્સીઝ, મોજશોખની ચીજવસ્તુઓ અને હરવા-ફરવા આ બધા માટે રૂપિયાની જરૂરીયાત દિવાળીમાં સામાન્ય દિવસો કરતા ચાર ગણી વધી જાય છે. પરતું આ વખતે દિવાળીમાં ભારે નાણાભીડ રહેશે અને નોકરીયાત વર્ગ કે જે હાલમાં સૌથી સલામત, ફિક્સ આવક ધરાવતો વર્ગ છે એ પણ સાચવીને રૂપિયા વાપરશે.

લોકોની ઘટેલી ખરીદ શક્તિ દિવાળી પર મોટી ભૂમિકા ભજવશે

ઇલેક્ટ્રોનિકથી લઇને હોમ એપ્લાયન્સીઝ, ગારમેન્ટથી લઇને ફૂટવેર સુધીના બજારોમાં છેલ્લા બે વર્ષમાં સેલ્સ ઘટીને 10 વર્ષના તળીયે આવી ગયા છે. લોકોની આવક સ્થિર થઇ છે તેની સામે મોંઘવારી ત્રણ ઘણી વધી જવા પામી છે. આવા અનેક ફેક્ટર દિવાળી સેલિબ્રેશનને નડશે.

સુરતની વાત કરીએ તો સુરતના બે મુખ્ય ઉદ્યોગ કે જેના પર લાખો પરિવારો નિર્ભર રહે છે. હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ બન્ને ઉદ્યોગો હાલ જબરદસ્ત મંદીમાંથી પસાર થઇ રહ્યા છે. બાકી રહે છે રિયલ એસ્ટેટ સેક્ટર. રિયલ એસ્ટેટ સેક્ટરની હાલત તો ટેક્સટાઇલ અને ડાયમંડ કરતા પણ ખરાબ થવા પામી છે. આવી સ્થિતિમાં સુરતમાં કામ કરતા લોકોને બોનસ કે દિવાળી ફેસ્ટીવલ એલાઉન્સ તો દૂર પણ ટાઇમે પગાર મળે કે કેમ તેની અનિશ્ચિતતાઓ જોવાય રહી છે.

સોના-ચાંદી અને શેરબજારની આવકવાળાની હાલત સૌથી કફોડી

ભડકે બળી રહેલા સોનાના ભાવોને કારણે લોકો પોતાના ઘરમાં પડેલું સોનું વેચી રહ્યા છે પરંતુ, નવી ખરીદી સાવ બંધ થઇ જવા પામી છે. દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે મધ્યમર્ગીયથી ધનિક પરિવારો ધનતેરશ, ગુરુપુષ્ય નક્ષત્ર વગેરેમાં ટોકન સોનું ચાંદી કે લગ્નપ્રસંગ માટેની ખરીદી કરતા હોય છે, પરંતુ આ વખતે એક તોલાના રૂ.40 હજારને આંબી ગયેલા ભાવોને પગલે દિવાળીમાં આ માર્કેટમાં તેજીની જગ્યાએ મંદી જોવા મળશે એવું માર્કેટ એક્સપર્ટસ માની રહ્યા છે. બીજી તરફ, શેરબજાર છેલ્લા બે મહિનાથી નીલ રિટર્નની વાત તો દૂર પરંતુ, મૂડીધોવાણ કરે એ રીતે વર્તી રહ્યા છે. સુરતમાં શેરબજારની આવક પર નભતા કે શેરબજારને વધારાના આવકના સ્ત્રોત તરીકે અપનાવનારા પરિવારોની સંખ્યા મોટી છે. અહીંની મંદી દિવાળીને પૂરેપૂરી રીતે અસર કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવાળીને અસરકર્તા આ સેક્ટરમાં ભારે મંદી

  • એફ.એમ.સી.જી. (રિટેઇલ માર્કેટના વેચાણ, ટર્નઓવર ઘટ્યા)
  • કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ વેચાણ, ટર્નઓવરમાં જંગી ઘટાડો
  • હોમ એપ્લાયન્સીઝમાં પણ ભારે ધોવાણ
  • મોબાઇલ ફોન, સ્માર્ટ ફોન્સ, ફીચર ફોન્સના વેચાણ 50 ટકા નીચે ઉતરી ગયા
  • ઓટો સેક્ટરમાં વૈશ્વિક મંદીનો માહોલ

સરકારના પેકેજથી સામાન્ય લોકોને ફાયદો મળતા દિવસો નીકળી જાય છે અને ફાયદો ઘટીને આંશિક બની જાય છે

એમાં કોઇ શંકાને સ્થાન નથી કે ભારતીય બજારોમાં હાલ મંદીના માહોલને કેન્દ્ર સરકાર ગંભીરતાથી લઇ રહી છે અને અનેક પેકેજીસ જાહેર કરવામાં આવી રહ્યા છે પરંતુ, દિવાળીને લાગે વળગે છે ત્યાં સુધી ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને આનાથી સીધો કોઇ ફાયદો નથી. ફાયદો મળતા મહિના અને વર્ષો નીકળી જાય છે અને સામાન્ય માણસને સરકારી પેકેજનો ફાયદો પહોંચે ત્યાં સુધી આંશિક બની જાય છે.

September 17, 2019
kalash.jpeg
1min6990

જયેશ બ્રહ્મભટ્ટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ગીફ્ટમાં મળેલી ભેંટ સોગાદોની ચાલી રહેલી ઇલેક્ટ્રોનિક ઓનલાઇન હરાજીમાં આજે તેમને ભેંટમાં મળેલો ચાંદીનો કળશ અને તેના પર નાળીયેર, આ આખા સેટના એક વ્યક્તિએ કુલ રૂ.1 કરોડ ચૂકવ્યા છે. હરાજી કરનારાઓએ ચાંદીના આ કળશ અને નાળિયેરના સેટની બેઝ પ્રાઇઝ રૂ.18,000 રાખી હતી. જેના બદલામાં કલ્પના બહાર રૂ.1 કરોડની બોલી લાગી છે.

વડાપ્રધાનને મળેલી ગીફ્ટની હરાજી: 500નું ફોટો સ્ટેન્ડ 1 કરોડમાં વેચાયું

પ્રસ્તુત તસ્વીરમાં જમણી બાજુએ દ્રશ્યમાન ચાંદીનો કળશ અને તેના પર નાળીયેરનો સેટ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની અગાઉની મુલાકાત દરમિયાન ગીફ્ટ કર્યો હતો. આ કળશની જાહેર હરાજીમાં બેઝ પ્રાઇઝ રૂ.18 હજાર નક્કી કરવામાં આવી હતી. જેના પ્રતિસાદમાં એક ખરીદનારે આ કળશ માટે રૂ.1 કરોડની બોલી લગાવી છે.

વડાપ્રધાન શ્રી મોદી પહેલેથી જ ઘોષણા કરી ચૂક્યા છે કે તેમને મળેલી ભેંટ સોગાદોની હરાજીમાંથી ઉપજનારી તમામ રકમ, પાઇએ પાઇ નમામી ગંગે પ્રોજેક્ટમાં વાપરવામાં આવશે.

જે ચાંદીના કળશના રૂ.1 કરોડ ઉપજ્યા છે એ કળશ વડાપ્રધાન શ્રી મોદીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ગીફ્ટ કર્યો હતો.

500 રૂ.ના ફોટો સ્ટેન્ડના 1 કરોડ ઉપજ્યા

છેલ્લા છ મહિના દરમિયાન વડાપ્રધાન શ્રી મોદીને ગીફ્ટ મળેલી ચીજવસ્તુઓની હરાજીમાં જંગી રકમ એક ફોટો સ્ટેન્ડને પણ મળી છે. રૂ.500ની બેઝ પ્રાઇઝ ધરાવતા ગુજરાતી ભાષામાં વડાપ્રધાન શ્રી મોદીના એક સંદેશો લખાયેલા ફોટો સ્ટેન્ડના એક કદરદાને રૂ.1 કરોડ ચૂકવ્યા હોવાનું જાણવા મળે છે.

September 17, 2019
crud.jpg
1min4900

સાઉદી અરેબિયામાં ઓઈલ પ્લાન્ટ ઉપર ડ્રોન હુમલા બાદ ખોરવાયેલ ઉત્પાદન અને અમેરિકા-ઈરાન વચ્ચે ભડકેલી તંગદિલી વચ્ચે આજે ક્રૂડ ઓઈલનાં ભાવમાં 1991નાં ખાડી યુદ્ધ પછી પહેલીવાર સૌથી મોટો આંતરદિવસીય ઉછાળો નોંધાયો હતો. એશિયામાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 19.પ ટકા ઉછળીને 71.9પ ડોલર પ્રતિબેરલ સુધી પહોંચી ગયો હતો. જો કે આગળ જતાં ભાવ 10 જેટલો વધુ 66.28 ડોલર આસપાસ સ્થિર થયો હતો.

સાઉદીમાં થયેલા હુમલાને પગલે દુનિયાનાં ક્રૂડ ઓઈલનાં કુલ ઉત્પાદનનું પાંચ ટકા જેટલું ઉત્પાદન ખોરવાઈ ગયું છે અને તેને પગલે ભાવમાં ભડકો થઈ ગયો છે. જે ભારતમાં ક્રૂડનો કાચામાલ તરીકે ઉપયોગ કરતાં ઉડ્ડયનથી માંડીને કલર, ટાયર અને ઓઈલ-ગેસ સહિતનાં ઉદ્યોગો માટે માઠા સમાચાર છે.

આગામી માસ માટેનાં સોદા 6.06 ડોલર પ્રતિબેરલ ઊંચા એટલે કે 66.28 ડોલરનાં ભાવે થયા હતાં. અમેરિકાનાં વાયદાનાં સોદા પણ 1પ.પ ટકા ઊંચા 63.34 ડોલર પ્રતિબેરલનાં ભાવે પડયા હતાં.

સાઉદી અરેબિયા વિશ્વનો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે અને તેની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકો ઉપર હુમલા બાદ ઉત્પાદનમાં પ.7 મિલિયન બેરલ પ્રતિબેરલ ઘટાડો થઈ ગયો છે. કંપની દ્વારા હજી સુધી પૂર્ણક્ષમતાએ ઓઈલ ઉત્પાદન ક્યારે શરૂ થઈ શકશે તેની કોઈ સમયમર્યાદા પણ આપી નથી. આમાં હજી થોડા સપ્તાહનો સમય લાગે તેવી સંભાવના છે. આ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચેનો તનાવ કેવો વળાંક લેશે તેનાં ઉપર પણ દુનિયાની નજર રહેશે. આની પણ સીધી અસર ઓઈલનાં ભાવ ઉપર પડવાની છે.

September 10, 2019
rainingujarat.jpg
2min7870

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જૂન મહિનો અડધો વીતી ગયો હતો ત્યારે રાજ્યભરમાંથી એવી બૂમો ઉઠી હતી કે આ વખતે દુકાળજનક સ્થિતિ સર્જાશે અને બે જ મહિનાના સમયગાળામાં વરસાદે એવો દેકારો મચાવ્યો કે અગાઉના વર્ષોના વરસાદના તમામ આંકડાઓ ધોઇ નાંખ્યા. રાજ્યના 22 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ સરેરાશ વરસાદ પડી ચૂક્યો છે. હજુ કહેવાય છે કે નવરાત્રી સુધી વરસાદ ઝીકાવાનો છે. વિચારી રાખજો શું પરિસ્થિતિ થશે. અહીં ગુજરાતના તાલુકવાર કુલ વરસાદના આંકડા પ્રસ્તુત છે, આ પણ આપને માટે જાણવું જરૂરી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં –

Gujarat : ૨૨ જિલ્લાઓમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ

  • ભરૂચમાં ૧૪૬.૧૯ ટકા,
  • છોટા ઉદેપુરમાં ૧૪૨.૭૨ ટકા,
  • કચ્છમાં ૧૪૦.૯૯ ટકા,
  • જામનગરમાં ૧૩૭.૪૭ ટકા,
  • બોટાદમાં ૧૩૫.૩૩ ટકા,
  • મોરબીમાં ૧૩૨.૧૫ ટકા,
  • નર્મદામાં ૧૨૪.૫૭ ટકા,
  • વલસાડમાં ૧૨૦.૨૦ ટકા,
  • સુરતમાં ૧૧૯.૯૨ ટકા,
  • સુરેન્દ્રનગરમાં ૧૧૭.૮૨ ટકા,
  • પંચમહાલમાં ૧૧૫.૭૮ ટકા,
  • રાજકોટમાં ૧૧૦.૨૩ ટકા,
  • નવસારીમાં ૧૧૦.૧૮ ટકા,
  • ભાવનગરમાં ૧૦૭.૬૧ ટકા,
  • જૂનાગઢમાં ૧૦૬.૭૯ ટકા,
  • આણંદમાં ૧૦૬.૪૯ ટકા,
  • તાપીમાં ૧૦૬.૪૫ ટકા,
  • વડોદરામાં ૧૦૩.૩૪ ટકા,
  • દેવભૂમિદ્વારકામાં ૧૦૨.૧૭ ટકા અને
  • ખેડામાં ૧૦૧.૩૫ ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યના ૨૧ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના ૧૫૬ તાલુકાઓમાં બે ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં જણાવ્યું છે.

જળાશયોનું લેટેસ્ટ વોટર લેવલ

રાજ્યના ૨૦૪ જળાશયોમાં પાણીનો સંગ્રહ ૮૧.૫૪ ટકા થયો છે. રાજ્યના ૭૨ જળાશયો છલકાયા છે. ૬૨ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨૩ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા છે. સરદાર સરોવરમાં પાણીનો સંગ્રહ ૩૦૪૮૮૮.૫૨ એમ.સી.એફ.ટી. છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૧.૨૬ ટકા છે. રાજ્યના ૮ જળાશયોમાં ૧૦,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીની આવક થઇ રહી છે.

  • સરદાર સરોવરમાં ૩,૮૮,૫૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૩,૨૮,૭૩૧ કયુસેક જાવક છે.
  • ઉકાઇમાં ૫૫,૭૨૬ ક્યુસેક આવક છે, જેની સામે ૫૪,૫૨૬ કયુસેક જાવક છે.
  • વણાકબોરીમાં ૪૮,૪૩૮ ક્યુસેક આવક છે, જેની સામે ૪૬,૫૩૮ કયુસેક જાવક છે.
  • કડાણામાં ૪૭,૭૧૨ ક્યુસેક આવક છે, જેની સામે ૫૭,૫૮૬ કયુસેક જાવક છે.
  • દમણગંગામાં ૨૦,૨૩૫ ક્યુસેક આવક છે, જેની સામે ૯,૧૦૭ કયુસેક જાવક છે.
  • આજી-૪માં ૧૧,૧૯૨ ક્યુસેક આવક છે, જેની સામે ૧૧,૧૯૨ કયુસેક જાવક છે.
  • હીરણ-રમાં ૧૦,૩૫૧ ક્યુસેક આવક છે જેની સામે ૧૦,૩૫૧.૪ કયુસેક જાવક છે. જ્યારે
  • ઉંડ-૧માં ૧૦,૨૬૮ ક્યુસેક આવક છે, જેની સામે ૧૦,૨૬૮ કયુસેક જાવક છે.

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૮.૬૬ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૫.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૭.૧૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૩૭ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૭૫ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલ છે, તેમ જળસંપત્તિ વિભાગની યાદીમાં જણાવ્યું છે.

September 4, 2019
laddu-1280x960.jpg
1min14340

લાડુ આરોગવાની સ્પર્ધા ગુજરાતી સંસ્કૃતિ અને ઇતિહાસમાં અભિન્ન અંગ ગણાય. લુપ્ત થતી જતી આ પરંપરાને જીવંત રાખવા માટે જામનગર સ્થિત સંસ્કૃત પાઠશાળાએ લાડુ આરોગવાની સ્પર્ધા યોજી હતી. જેમાં 58 વર્ષના એક બ્રાહ્મણએ 100 ગ્રામના એક એવા 13 લાડુ (1 કિલો 300 ગ્રામ) અને સાથે બીજા એટલા જ વજનની દાળ પી ને સ્પર્ધા જીતી લીધી હતી.

નવીનભાઇ દવે નામના એક બ્રાહ્મણે સ્પર્ધા જીતવા માટે 3250 કેલેરી લાડુમાંથી અને 750 કેલેરી દાળમાંથી મળીને કુલ 4000 કેલેરી એક જ ઝાટકે પેટમાં ઉતારી દીધી હતી. આટલી કેલેરીની વાત સાંભળીને ડાયેટીંગ કરતા લોકો કે ડાયેટીશ્યન્સ પણ અચંબામાં પડી જાય. 100 ગ્રામના એક લાડુમાં 250 કૈલેરી અને દાળની એક વાટકીમાં 100 કૈલેરી મળીને કુલ 4000 કૈલેરી ધરાવતો ખોરાક જામનગરના નવીન દવે એક ઝાટકે આરોગી ગયા અને તેમને હજમ પણ થઇ ગયો હતો.

જામનગર સંસ્કૃત પાઠશાળાએ ગણેશ ચતુર્થીના ઉપલક્ષમાં યોજેલી લાડુ આરોગવાની સ્પર્ધામાં 100 ગ્રામના વજનનો એક લાડુ અને સાથે દાળ પીરસવામાં આવી હતી.

જામનગર શહેરમાં ગણેશચોથના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા સંસ્કૃત પાઠશાળામાં યોજવામાં આવી હતી.

ત્રણ વિભાગમાં વહેંચાયેલી લાડુ ખાઉ સ્પર્ધામાં ચુરમાના લાડુ સાથે દાળ પીરસવામાં આવી હતી.

લાડુ ખાઉ સ્પર્ધામાં જામનગર, મોરબી, ખંભાળિયા, જામજોધપુર, જામકંડોરણા, ધ્રોલ, નડીયાદ, પાટણ શહેરોમાંથી સ્પર્ધકો આવ્યાં હતાં.

કુલ ૧૯ ભાઇઓ, ૫ બહેનો તથા ૫ બાળકો મળીને કુલ ૩૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સ્પર્ધામાં ભાઇઓના વિભાગમાં ૫૮ વર્ષના જામકંડોરણાના નવીન દવેએ ૧૦૦ ગ્રામનો એક એવા ૧૩ લાડુ આરોગી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

૧૨ લાડુ આરોગી નાનજી મકવાણા દ્વિતીય સ્થાને રહ્યા હતા.

બહેનોના વિભાગમાં મિતલ રૂપાપરા ૬ લાડુ આરોગી પ્રથમ, ક્રિષ્ના ચોક્સી ૫ લાડવા સાથે દ્વિતીય સ્થાને રહ્યા હતાં.

બાળકોમાં કેવીન વાઢેર ૫ લાડવા સાથે પ્રથમ, આદિત્ય આણદાની ૪ લાડવા સાથે દ્વિતીય રહ્યા હતા. વિજેતાઓને સંસ્થા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતાં.

August 24, 2019
gst.jpg
1min4730

જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાનો સમય પૂરો થવા આડે ફક્ત આઠ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હજુ 72.5 ટકા ટેક્સપેયરોએ રિટર્ન ફાઇલ કર્યા નથી ! ગુજરાતમાં 7.7 લાખ ટેક્સપેયર છે, એમાંથી 2.11 લાખ ટેક્સપેયરોએ જીએસટીઆર 9 અને જીએસટીઆર 9સી ભર્યા છે તેમ રાજ્યના વાણિજ્ય કર વિભાગે કહ્યું છે.

ટેક્સ પ્રેક્ટિશનરોનું કહેવું છેકે, વાર્ષિક રિટર્નમાં કેટલીક વિગતો એવી ભરવાની છે કે જેના અંગે ટેક્સપેયરો મુંઝવણમાં મૂકાયેલા છે. એ કારણે રિટર્ન ઓછાં ભરાયા છે. વાર્ષિક ફોર્મને સરળ બનાવવાની અત્યંત જરુર છે. અત્યારના ફોર્મનું ફોર્મેટ જોતાસરકારે વધુ ત્રણ મહિનાનું એક્સટેન્સન આપવું જોઇએ.

ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના કહેવા પ્રમાણે એપ્લીકેબલ ટેક્સની વિગતો ભરવા અંગે મુંઝવણ છે. જીએસટીઆર 1માં સપ્લાયમાં કરેલા સુધારા દર્શાવવાના હોય છે. ખરેખર ટેક્સ ભર્યો હોય તે જીએસટીઆર 3(બી)માં દર્શાવવો પડે છે. એ કારણે સુધારો જીએસટીઆર 9માં કેવી રીતે દર્શાવવો તે સ્પષ્ટ થતું નથી. કેન્દ્ર સરકારે 20 ડિસેમ્બર 2018ની ડેડલાઇન 30 જૂન 2019 સુધી લંબાવ્યા પછી 31 ઓગસ્ટ સુધી ફરીથી લંબાવી આવી છે. છતાં હજુ પણ 30 નવેમ્બર સુધીનો સમય આપવા માટે સ માગણી કરી રહ્યા છે.

દેશભરમાં 21.72 ટકા જ સરેરાશ રિટર્ન ભરાયા છે. એમાંથી 27.4 ટકા રિટર્ન ગુજરાતમાં ભરાયા છે. રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા પણ ખૂબ જ ધીમી છે. છતાં ગુજરાતની સ્થિતિ અન્ય રાજ્યોની તુલનાએ સારી છે. ઉત્તરપ્રદેશ, તામિલનાડું તથા મહારાષ્ટ્રમાં રિટર્ન ઘણા જ ઓછાં ભરાયા છે.

જીએસટી રિફંડ માટે વિભાગને મળી 28,741 અરજીઓ ગુજરાત વાણિજ્ય કર વિભાગને રિફંડ માટે અત્યાર સુધીમાં 28,741 અરજીઓ પ્રાપ્ત થઇ છે. એમાં વાણિજ્ય કર વિભાગને રિફંડ માટે અત્યાર સુધીમાં 28,741 અરજીઓ પ્રાપ્ત થઇ છે. એમાંથી 27,526 અરજીઓ રિફંડ માટે મંજૂર થઇ ચૂકી છે. કુલ રૂ. 5,387 કરોડના રિફંડ વિવિધ વેપારીઓએ માંગ્યા છે. એમાંથી રૂ. 4,772 કરોડ ચૂકવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

August 15, 2019
independence-day-dp.jpg
1min16150

જમ્મુ-કાશ્મીરમાંથી 370 અને 35-એ નાબૂદ કર્યા બાદ આજરોજ ગુરુવાર 15 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતવર્ષમાં સ્વાતંત્રપર્વની’ પ્રથમ ઉજવણી હર્ષોલ્લાસભેર અને રંગેચંગે થઇ રહી છે. સ્વતંત્રતા પર્વની સાથે ભાઇ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી પણ થઇ રહી છે. એકલા ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ખૂણેખૂણે વસતા ભારતીયો બન્ને પર્વોને ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે.

એ પૂર્વે આતંકવાદી હુમલાની દહેશતના પગલે સુરત, અમદાવાદ સહિત દેશભરમાં હાઇએલર્ટ જાહેર કરાયું હતું. દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે’ જ્યારે નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામો તેમજ અમદાવાદના આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગુજરાતમાં તમામ મોટા શહેરોના પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.બીજી તરફ કચ્છ સરહદ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોસ્ટગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપીને દરિયાઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.