CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 17 of 41 - CIA Live

January 8, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7970

રીલાયન્સના Jio થી ભરાઇ ગયા લોકોના મન, Jioથી સસ્તા નેટ અને ટીવી પેક તરફ લોકો વળ્યા

રીલાયન્સ જીઓ Jio જ્યારે લોંચ કરવામાં આવ્યું ત્યારે એવું કહેવાયું હતું કે તેનાથી સસ્તું નેટ આખી દુનિયામાં કોઇ આપી શકશે નહીં. પરંતુ, હવે જ્યારે રીલાયન્સ જીઓ Jio ફાઇબરની મફત સ્કીમ પૂરી થઇ ગયા પછી વપરાશકારોને ખબર પડવા માંડી કે રીલાયન્સ જીઓ Jio ના ડેટા પેકમાં કંઇક લોચો છે. કેમકે રીલાયન્સ જીઓ Jio ફાઇબરનો પહેલા છ મહિના ફ્રી વપરાશ કરનારાઓએ અનુભવ્યું કે 100 જીબી જેટલું નેટ તો એક મહિનો શું એક અઠવાડીયામાં ખલાસ થઇ જાય છે. હવે જયારે રીલાયન્સ જીઓ Jio ફાઇબર મફતની જગ્યાએ સ્કીમ લોંચ કરવા માંડી એટલે વપરાશકારો ગણતરી કરવા માંડ્યા છે કે મહિને 500 જીબીનો પ્લાન લેવામાં આવે તો જ પારીવારીક જરૂરીયાત પૂરી થઇ શકે અને મહિને 500 જીબી ડેટાની રીલાયન્સ જીઓ Jio ફાઇબરની સ્કીમ માટે વર્ષે રૂ.13000 જેટલો ખર્ચ કરવો પડે તેમ છે.

લોકોનો ડેટા વપરાશ વધ્યો એ વાત માની શકાય પરંતુ, 100 ગણો વપરાશ વધે એ વાત ગળે ઉતરે એવી નથી

રીલાયન્સ જીઓ Jio ફાઇબરના વપરાશકારો એવું કહી રહ્યા છે કે એના કરતા તો કેબલ ટીવીના મહિને રૂ.350 આપેલા સારા. સૂરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને જીઓ ફાઇબર નેટ યુઝ કરનાર ગોપાલભાઇ પટેલે કહ્યું કે અમે જ્યારે રીલાયન્સ જીઓ Jio ફાઇબર કનેકશન લીધું ત્યારે કહેવાયું હતું કે 100 જીબી ડેટા એક મહિનાની વેલિડીટી રૂપે મળશે. પરંતુ, પરીવારમાં 4 મોબાઇલ અને એ પણ ઘરે હોઇએ ત્યારે જ યુઝ કરતા હતા તો પણ 100 જીબી ડેટા 4-5 દિવસમાં પૂરો થઇ જતો હતો. એ સમયે તો ટીવી ચેનલ્સ પણ લોંચ થઇ ન હતી. હવે જ્યારે રિલાયન્સ જીઓ ટીવી ચેનલ સેટઅપ બોક્સ આપી રહ્યા છે ત્યારે ગણતરી માંડીએ તો મહિને રૂ.1100 જેટલો ખર્ચ ઇન્ટરનેટ અને ટીવી બન્ને માટે થાય છે. એના કરતા તો પહેલા ચાલતું હતું એ કેલબ ટીવી અને ચારેય મોબાઇલમાં અલગ અલગ નેટ લઇએ તે સ્કીમ સસ્તી અને પોષણક્ષમ છે.

એવી જ રીતે ઘોડદોડ રોડ પર રહેતા અલ્કેશભાઇ કહે છે કે પહેલા જ્યારે રીલાયન્સ જીઓ Jio લોંચ નહતું થયું ત્યારે એક જીબી ડેટા મહિને વાપરવા મળતો હતો અને તેમાંથી પણ 200-300 એમ.બી. ડેટા વધતો હતો. પરંતુ, હવે જીઓ આવ્યા પછી તો એવું લાગે છે કે ડેટામાં જ કંઇક પ્રોબ્લેમ છે. રીલાયન્સ જીઓ Jio મોબાઇલમાં હોય કો ફાઇબરમાં નિર્ધારિત ડેટા ક્યારે પૂરો થઇ જાય છે અને રોજ સવારે મોબાઇલ શરૂ થાય અને અડધો કલાકમાં તો મેસેજ આવી જાય કે ડેટા વપરાશ 50 ટકા થઇ ચૂક્યો છે. બપોર સુધીમાં તો મોબાઇલ પર જીઓનું ડેટા પેક પૂરુ થઇ જાય.

ગોપાલભાઇ કહે છે કે એવું જ જીઓ ફાઇબરમાં છે. 100 જીબી ડેટા એટલો મોટો જથ્થો કહેવાય કે મહિનો આરામથી ચાલવો જોઇએ તેની જગ્યાએ એક સામાન્ય ફેમિલી કે જેમનો પહેલા જેટલો જ વપરાશ હતો તેનાથી 25 ટકા વધ્યો એવું માની લઇએ તો પણ 100 જીબી ડેટા ખલાસ થઇ જાય એ વાત માનવામાં આવે એવી નથી.

રીલાયન્સ જીઓ Jio કસ્ટમર કેરમાં કોઇ સાંભળતું નથી

ધડાધડ ખલાસ થઇ રહેલા રીલાયન્સ જીઓ Jioના નેટ પેક અંગે સૂરતમાંથી અનેક લોકો કસ્ટમર કેર પર કોલ કરે છે પરંતુ, કસ્ટમર કેરમાંથી સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. આ અંગે રીંગરોડ પર મોબાઇલ શોપ ધરાવતા શૈલેષ શાહ કહે છે કે કસ્ટમર કેરમાંથી અષ્ટમ પષ્ટમ સમજાવવામાં આવે છે કે તમારો વપરાશ, એપ્લીકેશન વગેરેમાં ડેટા યુઝ થાય છે. કસ્ટમર પહેલા જે એપ્લિકેશન યુઝ કરતા હતા એ જ કરતા હોય પહેલા કરતા વપરાશ વધ્યો એમ માની શકાય પરંતુ, સીધો 100 ગણો વપરાશ વધે તે કેવી રીતે માની શકાય

રીલાયન્સ જીઓ Jio ફાઇબર દ્વારા ફ્રી સ્કીમ બંધ કરવામાં આવતા જ હવે લોકો ફરીથી મોબાઇલ નેટ તેમજ ટીવી ચેનલ્સ માટે લોકલ કેબલ ઓપરેટર તરફ વળ્યા છે.

CIA Live દ્વારા રીલાયન્સ જીઓ Jioના અધિકૃત અધિકારી સાથે વાતચીત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ, કોઇ જવાબ આપવા માટે આગળ આવ્યા ન હતા. રીલાયન્સ જીઓ Jio તેમના ખુલાસા માટે અમારો સંપર્ક કરી શકે છે.

January 8, 2020
startup.jpg
1min4830

વિશ્ર્વમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ્સની સંખ્યા ધરાવવાના સંદર્ભે ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું છે અને ખાસ કરીને ડિસરપ્શન ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. રિટેલ, ફૂડ, લોજિસ્ટિક, હોસ્પિટાલિટી, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ જેવા ઉદ્યોગમાં તો સ્ટાર્ટઅપ્સ છવાઇ જ ગયા છે, પરંતુ હવે વિશ્ર્વની ટોચની કંપનીઓ પણ તેમને આવકારી રહી છે. ભારતમાં અંદાજે ૫૦,૦૦૦ સ્ટાર્ટઅપ્સ છે અને દતેમનો વાર્ષિક વિકાસ દર ૧૨થી ૧૫ ટકા જેવો છે. એ જ સાથે ૩૧ યુનિકોર્ન છે જેનું વેલ્યુએશન એક અબજ ડોલર કરતા વધુ છે.

વૈશ્ર્વિક સંસ્થાકીય રોકાણકારો પાસેથી તેમને ફંડીંગ તો મળી રહ્યું છે પરંતુ જો યોગ્ય પ્રવેશ મળે તો ભારતીય સ્ટાર્ટઅપ્સને તેમના ઇનોવેશન થકી વિશ્ર્વબજારનો મોટો હિસ્સો હસ્તગત કરી શકે છે, એમ ટોરંટો બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર (ટીબીડીસી) અને કોર્પજીની વચ્ચે સંયુક્ત સાહસ સાધવા સંદર્ભે ભારત આવેલા કેનેડાના બ્રેમ્પ્ટન સિટીના મેયર પેટ્રીક બ્રાઉને કહ્યું હતું કે કેનેડામાં ઇનોવેશન અને ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ માટે પુષ્કળ અવકાશ છે.

કેનેડાની ટીબીડીસી, સિટી ઓફ બ્રેમ્પ્ટન અને કોર્પજીની વચ્ચેના આ મેમોરન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગને પગલે વિદેશમાં વિસ્તરણ કરવા ઇચ્છનારા સ્ટાર્ટઅપ્સને માર્ગ મળશે અને કેનેડાના કોર્પોરેટ જગત સાથે સંપર્કિત થવાની તક મળશે. આ સંદર્ભે જ તેઓ મુંબઇ, બેંગ્લોર અને દિલ્હી જેવા સ્ટાર્ટઅપ્સ હબની મુલાકાતે આવ્યાં છે. કેનેડા સરકાર ભારતીય સ્ટાર્ટઅપ્સ સાથે ઇનેોવેશન એક્સચેન્જ ઇચ્છે છે.

January 5, 2020
patdi.jpg
1min4470

દર વર્ષે હજારો કિ.મી. દૂરથી વિદેશી નયનરમ્ય પક્ષીઓ ગુજરાતમાં શિયાળો ગાળવા ચાર મહિના રણમાં પડાવ નાખે છે. પાટડીના રણવિસ્તારમાં એક લાખથી વધુ પક્ષીઓનો અનોખો જમાવડો જામ્યો છે. વેરાન રણમાં દર વર્ષે સાઇબિરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.

આ સિવાય પેંગ્વિન, ફ્લેમિંગો અને પેન્ટાસ્ટોક સહિતના વિદેશી પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે. ગઇ વખતની પક્ષી ગણતરી અનુસાર રણકાંઠામાં ૧૦૦થી વધારે જાતિના ૯૯,૭૪૦ પક્ષીઓ આવેલા નોંધાયા હતા.

ચાલું વર્ષે વેરાન રણના વિવિધ વેટલાઇન વિસ્તારમાં લાખો વિદેશી પક્ષીઓએ ધામાં નાખ્યા છે. રણકાંઠા વિસ્તારમાં પક્ષીઓની સંખ્યા પાંચ આંકડા પાર કરી એક લાખને પણ આંબી જવા પામી છે.

નામશેષ થવાના આરે પહોંચેલા અને કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતા ગીધની સંખ્યા ગુજરાતમાં નોંધપાત્ર રીતે ઘટી છે, જ્યારે રણકાંઠામાં ગીધની સખ્યાં ૪થી વધીને ૮૮એ પહોંચ્યાં બાદ હાલમાં ૪૮એ પહોંચી છે. રણમાં દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શીયાળો ગાળવા આવે છે. ગત વર્ષે છેક લદ્દાખથી આવેલા ૫૦૦થી વધુ બાજપક્ષીઓએ રણમાં ધામાં નાખતા પક્ષીપ્રેમીઓ ઝૂમી ઊઠ્યા હતા.

January 2, 2020
patidar.jpg
2min9790

‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2020’ 3 જાન્યુઆરીથી અમદાવાદમાં

ગુજરાતમાં પાટીદારો પ્રભાવશાળી રહ્યા છે અને રહેશે. ગુજરાતમાં સામાજિક, રાજકીય દ્રષ્ટીએ પાટીદાર પાવર જબરદસ્ત રીતે કાર્ય કરે છે. પણ જો પાટીદારોને બિઝનેસ પાવર કેટલો, એ બાબતની અનૂભુતિ કરવી હોય તો તા.3થી 5 જાન્યુઆરી 2020ના રોજ અમદાવાદ ખાતે યોજાઇ રહેલા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2020ની મુલાકાત લેવી પડે. અહીં અનેક જાણ્યા અજાણ્યા પાટીદાર બિઝનેસ મેન, ધંધા રોજગાર્થીઓનો મેળાવડો જામશે.

સમસ્ત પાટીદારની એકતાના ધામ એવા ‘સરદાર ધામ’ના ઉપક્રમે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’ (GPBS-2020) તા.૩થી ૫ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ હેલિપેડ પ્રદર્શન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાશે.

પાટીદારોની મેગા બિઝનસ ઇવેન્ટ : 10,000થી વધુ પાટીદાર ઉદ્યોગપતિ : 1000થી વધુ સ્ટોલ્સ

સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું કે ‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’(GPBS-2020)માં દેશ-દુનિયાના પ્રથમ હરોળના ૧૦,૦૦૦થી વધુ પાટીદાર ઉદ્યોગપતિઓ, ૧,૦૦૦થી વધુ સ્ટોલ્સ, સર્વ સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર સમિટ દરમિયાન સાત લાખથી વધુ વિકાસપ્રેમ, રાષ્ટ્રવાદી ભાઈ-બહેનો મુલાકાત લેશે. આ સમિટનો હેતુ સમાજનાં નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે. સમાજમાં નવા ઉદ્યોગપતિ તૈયાર કરવા અને તેમને ઉપયોગી થવું તથા સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી અપાવવાનો છે. 

સૂરતથી હજારો પાટીદારો જોડાશે

અમદાવાદ ખાતે યોજાઇ રહેલી પાટીદારોની સૌથી મોટી બિઝનેસ મીટમાં સૂરતથી ખાસ કરીને સૂરતના સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવકો આ સમીટમાં જોડાઇ રહ્યા છે. અનેક ઉદ્યોગપતિઓ, રોજગારોના સ્ટોલ્સ પણ અહીં જોવા મળશે. સૂરતના અનેક ઉદ્યોગપતિઓ આ સેશનમાં પોતાનું વક્તવ્ય પણ આપવાના છે.

ઉદ્ઘાટન મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે

‘ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ’ (GPBS-2020) ઉદ્‌ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે સવારે ૧૦ વાગ્યે કન્વેન્શન હોલ નં.૫ ખાતે થશે. સાથે જ દીકરી સ્વાવલંબન યોજનાનો શુભારંભ થશે. ઉદ્‌ઘાટનના સમારોહમાં અંદાજે ૧૦,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહેશે.

સેશન વાઇઝ

ઉદઘાટનના સાથે જ કન્વેન્શન હોલ નં.૫ ખાતે સેશન-૧માં ઉદ્‌ઘાટન સમારોહ અને દીકરી સ્વાવલંબન યોજનાનો પ્રારંભ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સરદારધામના તમામ ટ્રસ્ટીગણ, સ્પોન્સર્સ તથા દેશ-વિદેશના બિઝનેસમેન ઉપસ્થિત રહેશે.

સેશન-૨માં વિવેક બિન્દ્રા (બિઝનેસ કોસચ)નું વ્યાખ્યાન બપોરે ૧.૩૦થી ૨.૩૦ દરમિયાન થશે. ત્યારબાદ સફળતાના સૂત્રો જયંતીભાઈ પટેલ(મેઘમણી ગ્રૂપ) અને ગોવિંદભાઈ ધોળકિયા(રામકૃષ્ણ એક્સપોર્ટ) દ્વારા રજૂ થશે.

સેશન-૪માં પ્રખર વક્તા કુમાર વિશ્વાસ પોતાના વિચારો રજૂ કરશે. સેશન-૫માં સાંજે ૪.૩૦ વાગ્યાથી ‘પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ’ અપાશે. સવજીભાઈ ધોળકિયા, પ્રખર વક્તા જય વસાવડા ઉપસ્થિત રહેશે.

જ્યારે સેશન-૬માં સ્ત્રી-સશક્તિકરણ અંગે કાઝલ ઓઝા-વૈદ્ય પોતાના વિચારો  રજૂ કરશે.

બીજા દિવસની ઇવેન્ટ્સ

સમિટના બીજા દિવસે તા.૪ જાન્યુઆરીના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે સેશન-૭ બિઝનેસમાં ચેતન ભગત પોતાના વિચારો રજૂ કરશે.

સેશન-૮માં ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અંગે જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ મુકેશભાઈ પટેલ પોતાના વિચારો રજૂ કરશે. સેશન-૯ બિઝનેસમાં ડિસિપ્લિન અંગે પેનલ ડિસ્ક્શન થશે.

સેશન-૧૦માં અસરકારક બ્રાન્ડ બિલ્ડિંગ અંગે ડિસ્કશન થશે. જ્યારે સેશન-૧૧માં એગ્રિકલ્ચરમાં ઇનોવેશન અંગે તજજ્ઞો ગોપાલ સુતરિયા અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી પોતાના વિચારો રજૂ કરશે.

સેશન-૧૨ અંતર્ગત સાંજે ૫.૩૦ વાગ્યાથી સમાપન સમારોહ યોજાશે.જ્યારે એક્ઝિબિશન તા.૫મી જાન્યુઆરીના રોજ ખુલ્લું રહેશે. 

400 કરોડ ફંડ એકઠું કરવાનું ધ્યેય

GPBS 2020 અંતર્ગત પ્રથમ દિવસે, તા.૩ જાન્યુઆરીએ એક વિશેષ રિબિન-કટિંગ સમારોહનું આયોજન થશે. જેનો હેતુ “એકતાથી સમૃદ્ધિ તરફ”ના અનુસંધાનમાં રહેશે. જે અંતર્ગત 1000 પ્રદર્શકો એક સાથે 1000 ફૂટ લાંબી રિબિન કાપીને સમિટની શરૂઆત કરશે. આ સમિટની અન્ય વિશેષતા ‘સ્ટાર્ટ-અપ પેવેલિયન’ હશે.  જે યુવા ઉદ્યોગસાહસિકોને રોકાણકારો સાથે જોડાવા એક અદ્વિતીય તક પુરી પાડશે. ‘સ્ટાર્ટ-અપ પેવેલિયન’ દ્વારા પસંદ પામેલ 50 બિઝનેસ મોડેલ્સનું ~ 400 કરોડ ફંડ એકઠું કરવાના ધ્યેય સાથે પ્રદર્શન કરાશે. 


સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું કે નવનિર્મિત સરદારધામ, વૈષ્ણોદેવી સર્કલ, એસ.જી.હાઈવે ખાતે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ૫૦ ફૂટની ૧૭,૦૦૦ કિલોગ્રામ વજન ધરાવતી કાંસ્ય પ્રતિમાનું અનાવરણવિધિ 
તા.૩ જાન્યુઆરીના રોજ સવારે ૮.૩૦ વાગ્યે થશે. અનાવરણ વિધિ પ્રતિમાના દાતા રણછોડભાઈ જોઇતારામ પટેલ પરિવાર(રણજિત બિલ્ડકોન) તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા સરદારધામના તમામ ટ્રસ્ટીગણ, સ્પોન્સરર્સની ઉપસ્થિતિમાં યોજાશે.  

January 2, 2020
lpg_cylinder.jpg
1min4150

આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવવધારો થવાને પગલે સબ્સિડી વગરના કુકિંગ ગૅસ એલપીજીમાં પ્રતિ સિલિન્ડર ૧૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને વિમાનનું બળતણ એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)માં ૨.૬ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

એટીએફનો ભાવ પ્રતિ કિલો લિટર ૧૬૩૭.૨૫ રૂપિયા વધારી ૬૪,૩૨૩.૭૬ રૂપિયા થયો છે. આ અગાઉ પહેલી ડિસેમ્બરે તેમાં ૧૩.૮૮ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જૂન ૨૦૧૯ પછી એટીએફની આ સૌથી વધુ કિંમત છે. ઍરલાઇન્સ કંપનીઓ જે તીવ્ર સ્પર્ધાના દબાણમાં છે તેમને એટીએફની કિંમત વધવાથી ફટકો પડશે.

જોકે, દિલ્હીમાં એટીએફની પ્રતિ લિટર કિંમત ૬૪.૩૨ રૂપિયા છે, જ્યારે પેટ્રોલની કિંમત ૭૫.૧૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૬૭.૯૬ રૂપિયા પ્રતિ લિટર છે. સબ્સિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત અગાઉ ૬૯૫ રૂપિયા હતી તે વધારીને ૭૧૪ રૂપિયા કરવામાં આવી છે.

સપ્ટેમ્બર, ૨૦૧૯ પછી એલપીજી સિલિન્ડરની કિંમત પાંચ મહિનાથી સતત વધી રહી છે અને કુલ ૧૩૯.૫૦ રૂપિયા વધ્યા છે. સબ્સિડી ધરાવતું સિલિન્ડર ૪૯૫.૮૬ રૂપિયાની કિંમત છે, પણ ૧૨ સિલિન્ડરનો ક્વૉટા પૂરો થયા બાદ સબ્સિડી વગરના સિલિન્ડર લેવા પડે છે. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દ્વારા વેચવામાં આવતા કેરોસીનની કિંમત મુંબઇમાં ૩૫.૫૮ રૂપિયા છે. દિલ્હીને કેરોસીનમુક્ત જાહેર કરવામાં આવ્યું છે અને ત્યાં પીડીએસ કેરોસીનનું વેચાણ થતું નથી.

January 1, 2020
arundhati.jpg
1min5420

ભારતની મહિલાઓમાં ભારે ચર્ચાસ્પદ બની છે આસામ સરકારની અરુંધતી સુવર્ણ યોજના

ભારતના પૂર્વી રાજ્ય આસામમાં તા.1લી જાન્યુઆરી 2020થી લગ્ન કરનાર દરેક દુલ્હનને રાજ્યની ભાજપા સરકાર તરફથી ૧૦ ગ્રામ સોનું ભેટમાં આપવાની યોજના લાગુ થઇ છે. જોકે 10 ગ્રામ સોનુ મફતમાં જોઇતું હોય તો દુલ્હને કેટલીક શરતોનું પાલન કરવું પડશે. જેમાં ધો.10 સુધીનો અભ્યાસ કર્યો હોવાની એક શરતનો પણ સામેલ થાય છે. સમગ્ર દેશમાં આસામની દુલ્હનને 10 ગ્રામ સોનું આપવાની યોજના ભારે ચર્ચાસ્પદ બની છે. ખાસ કરીને મહિલાઓમાં આ યોજના અંગે ભારે ચર્ચા જોવા મળી રહી છે.

યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના

આસામની બીજેપી સરકારે આ યોજનાની જાહેરાત થોડા મહિના પહેલાં જ કરી હતી. આસામના મુખ્ય પ્રધાન સબાર્નંદ સોનોવાલે આ યોજનાનું નામ અરુંધતિ સ્વર્ણ યોજના આપ્યું છે.

દુલ્હને 10 ગ્રામ સોનુ મેળવવા આટલું કરવું પડશે

  • દુલ્હનના પરિવારજનોએ લગ્નનું સ્પેશ્યલ મેરેજ એક્ટ ૧૯૫૪ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • દુલ્હને કમ સે કમ ૧૦મા સુધીનો અભ્યાસ કર્યો હોય.
  • લગ્ન કરી રહેલી કન્યાની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને છોકરાની ૨૧ વર્ષની ઉંમર હોવી જોઈએ.
  • દુલ્હનના પરિવારની વાર્ષિક આવક ૫ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
  • અરુંધતિ સ્વર્ણ યોજનાનો લાભ છોકરીના પહેલા લગ્ન પર જ મળશે એટલે કે બીજા લગ્ન કરવા પર આ યોજનાનો લાભ મળશે નહીં.

દુલ્હનને ૧૦ ગ્રામના ઝવેરાત મળશે નહીં, એટલે કે ગિફ્ટમાં સોનું ફિઝિકલ ફોર્મમાં અપાશે નહીં. લગ્નનું રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન બાદ ૩૦,૦૦૦ રૂપિયા દુલ્હનના બૅન્ક અકાઉન્ટમાં જમા કરાશે. ત્યારબાદ દુલ્હનના પરિવારજનો દ્વારા ખરીદવામાં આવેલા ૩૦,૦૦૦ રૂપિયાના ઝવેરાતનું બિલ સબમિટ કરાવવું પડશે. જોકે સરકારનો ઉદ્દેશ છે કે પૈસાનો ઉપયોગ કોઈ બીજા કામમાં કરાશે નહીં.

January 1, 2020
5g.jpg
1min4860

સરકારે ફાઇવ-જીની આગામી ટ્રાયલ્સ (પરીક્ષણ)માં દૂરસંચાર ક્ષેત્રના બધા ઑપરેટરને ભાગ લેવાની પરવાનગી આપવાની જાહેરાત કરી તેના પછીના દિવસે દૂરસંચાર વિભાગે વિવિધ સર્વિસ પ્રૉવાઇડર અને હુઆવેઇ સહિતના ઇક્વિપમૅન્ટ વૅન્ડર્સની સાથે ચર્ચાવિચારણા કરી હતી.

દૂરસંચાર વિભાગના સચિવ અંશુ પ્રકાશની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી આ બેઠક એક કલાક ચાલી હતી.

દૂરસંચાર ક્ષેત્રની એક કંપનીના ઉચ્ચ અધિકારીએ આ બેઠકમાં બધા ઑપરેટરે ભાગ લીધો હોવાનો દાવો કર્યો હતો. દૂરસંચાર મંત્રાલયના પ્રધાન રવિશંકર પ્રસાદે સોમવારે જણાવ્યું હતું કે સરકાર બહુ જ ઝડપી ફાઇવ-જી નૅટવર્ક્સની ટ્રાયલ્સ માટે બધા ટૅલિકૉમ સર્વિસ પ્રૉવાઇડરને ઍરવૅવ્સ ફાળવશે.

ભારતે ફાઇવ-જીના આગામી પરીક્ષણ માટે કોઇ ઇક્વિપમૅન્ટ પ્રૉવાઇડરને બાકાત નહિ રાખવાનો પણ નિર્ણય લીધો છે.

અમેરિકામાં પ્રતિબંધિત હુઆવેઇ અંગે પુછાયેલા સવાલના જવાબમાં રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ફાઇવ-જીના પરીક્ષણમાં કોઇને બાકાત નહિ રખાય.

અમેરિકાના પ્રતિબંધ છતાં અનેક દેશે પોતાને ત્યાંની દૂરસંચાર સેવામાં ચીનની બનાવટના ગિયર્સ વાપરવાની પરવાનગી આપી છે.

દરમિયાન, હુઆવેઇ ઇન્ડિયાના સીઇઓ જય ચેને પોતાની કંપનીમાં વિશ્ર્વાસ દાખવવા બદલ ભારત સરકારનો આભાર માન્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે અમને વિશ્ર્વાસ છે કે મોદી સરકાર ભારતમાં ઝડપથી ફાઇવ-જીનો અમલ કરાવી શકશે અને અમે ભારતને વિશ્ર્વની સર્વશ્રેષ્ઠ ટેક્નૉલૉજી પૂરી પાડીશું.

December 31, 2019
cold.jpg
1min4590

ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનોની દિશા ગુજરાત તરફની હોવાથી રાજ્યમાં ઠંડીનુ જોર યથાવત જોવા મળી રહ્યું છે. આજે ગુજરાતના 6 શહેરોનું હાજા ગગડાવતું 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે.

નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર સ્થળ બન્યું, તો ભુજમાં 7.2 ડિગ્રી, કંડલામાં 9 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી અને ડીસામાં 8.7 ડિગ્રી ઠંડી નોંધાઇ છે.

રાજ્યમાં પાટનગર ગાંધીનગરમાં 10.8 ડિગ્રી અને અમદાવાદમાં 12.5 ડિગ્રી ઠંડીનો અનુભવ થયો છે. સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીના સકંજામાં આવી જતા ટ્રેન અને વિમાની સેવા ઓરવાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે.

કાતિલ ઠંડી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. માવઠાની આશંકાને લઇ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. જીરૂ, વરિયાળી, ઘઉં, એરંડા સહિતના પાકને નુકશાન થવાની ભીતિ છે.

ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો છોડવાનું નામ નથી લેતો. એક તરફ હાલ રાજ્યભરમાં કાતિલ ઠંડી છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે અતિ સામાન્ય છુટોછવાયો વરસાદ વરસી શકે તેવું વાતાવરણ હાલ પેદા થયું છે. દરમિયાન આજે રાજકોટમાં 8.3 ડિગ્રી તાપમાનની જનજીવન પર ભારે અસર જોવા મળી છે.

રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના જામનગરમાં ચોવિસ કલાકમાં પારો ચાર ડિગ્રી નીચે ઉતરી ગયો છે અને આજે 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. ઝાલાવાડ પંથકમાં સતત ત્રીજા દિવસે તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ભાવનગરમાં આજે 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. સોરઠનું મિનિમમ તાપમાન 104 અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતુ.

December 29, 2019
ganja.jpg
1min22120

કેફી દ્રવ્યોના વ્યવસના કારણે પંજાબ ઉડતા પંજાબ તરીકે બદનામ થયું હવે સૌરાષ્ટ્ર થઇ રહ્યું છે. ગાંજાના વધતા વાવેતરના કારણે સૌરાષ્ટ્રને ઉડતા સૌરાષ્ટ્ર જેવી ટીકા થવા લાગી છે. સૌરાષ્ટ્ર ગાંજાના ઉત્પાદનનું હબ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અવારનવાર સૌરાષ્ટ્રમાંથી ગાંજાનું વાવેતર પકડાતું રહે છે.

માદક પદાર્થના વાવતેર અને વ્યસનના કારણે પંજાબનું યુવાધન બરબાદીની ગર્તામાં ધકેલાઇ ગયું હોય તેના પરથી ઉડતા પંજાબ નામની ફિલ્મ બની હતી. પંજાબની અસર ગુજરાતને પણ થઇ હોય તેવી હાલત છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લગભગ દરરોજ મોટી માત્રામાં દારૂનો જથ્થો’ પકડાતો રહે છે. નશો કરવા માટે દારૂ ઉપરાંત ગાંજો, ચરસ, હેરોઇન, બ્રાઉન સ્યુગર, એમ.ડી.મ્યાઉં જેવા માદક પદાર્થનો ઉપયોગ થતો રહે છે.’ કોલેજિયન અને યુવાધનમાં એમ.ડી અને મ્યાઉં નામનો માદક પદાર્થ બહુ પ્રખ્યાત છે. ગાંજો, ચરસ, બ્રાઉન સ્યુગર અને અફીણ જેવા માદક પદાર્થ પણ કુખ્યાત છે. ગાંજો પીનારને ગંજેરી, ચરસ પીનારને ચરસી, બ્રાઉન સ્યુગર પીનારને પાવડરિયો જેવા નામને ઓળખાય છે.

મોજશોખ અને સંગદોષના કારણે યુવાનો સહિતના લોકો વ્યસની બની જાય છે. વ્યસનીઓના કારણે લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુના પણ બનતા રહે છે.

સૌરાષ્ટ્રમાં હાલમાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર ચર્ચામાં છે. છેલ્લા એક વર્ષના ગાળામાં અમરેલી જિલ્લામાંથી જ ત્રણ હજાર કિલો જેટલું ગાંજાનું વાવેતર પકડાયું છે. ત્રણ દિવસ પહેલા અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના’ નીલવડા ગામેથી ગાંજાનું વાવેતર પકડાયું હતું. ગાંજાના 246 કિલો જેટલા છોડ કબજે’ થયાં હતાં. નવેમ્બર મહિનામાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાંથી બે હજાર કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. રાજકોટ શહેર અને જિલ્લામાં કુવાડવા પંથકમાંથી 700 કિલો જેટલું ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. તાજેતરમાં ચાર દિવસ પહેલા’ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટીચણોલ ગામેથી ગાંજાનું વાવેતર પકડાયું હતું. અંદાજે” રૂ. બે લાખની કિંમતના 40 કિલો જેટલા ગાંજાના છોડ કબજે કરાયા હતાં. સુરેન્દ્રનગરના મુળી તાલુકામાંથી ગાંજાનું વાવેતર ઝડપી લેવાયું હતું. અંદાજે રૂ. પાંચ લાખની કિંમતના એકસો કિલો જેટલા ગાંજાના છોડ કબજે થયા હતાં. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રામપર ગામેથી’ ગાંજાનું વાવેરત પકડીને 72 કિલો જેટલો ગાંજો કબજે કરાયો હતો.’ બે દિવસ પહેલા બોટાદ જિલ્લાના મોટીકુંડલ ગામેથી ગાંજો પકડાયો હતો. આ રીતે સૌરાષ્ટ્ર ગાંજાના ઉત્પાદનનું હબ બની ગયું છે. ગાંજાનું વાવેતર મોટા ભાગે ખેતર, વાડીના શેઢા પર કરવામાં આવે છે. વાવેતર કરનાર મોટાભાગના શખસો બંઘાણી હોય છે કે કોઇના કહેવાથી છાનાખૂણે ગાંજાનું વાવેતર કરીને કમાઇ લેવા માટે કરે છે. ગાંજાના વાવેતર માટે ગુજરાતનું હવામાન માફક નથી આમ છતાં બિહાર, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશની જેમ હવે ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 350 કિલો જેટલો ગાંજાનો જથ્થો પકડાયો હતો. આ ગાંજાનું પગેરૂ આંધ્રપ્રદેશ વાયા સુરત નિકળ્યું હતું.

અમદાવાદ અને સુરતમાં આંધ્રપ્રદેશ સહિતના’ રાજ્યોમાંથી આવતી ટ્રેનમાં ગાંજા સહિતના માદક પદાર્થની હેરાફેરી થાય છે. ટ્રેનના જનરલ ડબ્બામાં મુસાફરના સ્વાંગમાં માદક પદાર્થની હેરાફેરી થતી રહે છે. પરપ્રાંતમાંથી આવતા માદક પદાર્થનું ગુજરાતમાં વેચાણ થાય છે. કચ્છ અને ખંભાળિયા પાસેના સલાયામાંથી પકડાયેલ બ્રાઉન સ્યુગર અને હેરોઇનનું પગેરૂ વાયા ઉંઝા થઇને પંજાબ અને કાશ્મીર સુધી પહોંચ્યું હતું.

પંજાબની જેમ ગુજરાતને `ઉડતા ગુજરાત’ બનતું અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આમ છતાં દારૂ સહિતના માદક પદાર્થનું વેચાણ થતું રહે છે.

December 27, 2019
mig27.jpg
1min4460

ભારતીય વાયુ દળની શાન ગણાતા મિગ-27 વિમાનો આજરોજ તા.27મી ડિસેમ્બર 2019થી સેવા નિવૃત થઇ રહ્યા છે. મિગ-27 બનાવટના 7 વિમાનો આજે જયપુર ખાતે પોતાની છેલ્લી ઉડાન ભરશે. અધિકારીઓના જણાવ્યા મુજબ ભારતીય વાયુસેના સાત વિમાનના પોતાના સ્કવોડ્રનને જોધપુર એરબેઝથી વિદાય આપશે. સ્કવોડ્રનની સ્થાપના 10 માર્ચ 1958નાં રોજ વાયુસેના સ્ટેશન હલવારામાં ઓરાગન વિમાનથી કરવામાં આવી હતી.

પાકિસ્તાન સામેના વર્ષ 1999ના  કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર તેમજ ભારતીય વાયુસેનામાં ત્રણ દશકાથી વધુ સમય સુધી સેવા આપનાર ફાઈટર પ્લેન મિગ-27 આજે છેલ્લી વખત ઉડાન ભરશે.

વર્ષો સુધી સ્કવોડ્રનમાં અનેક વિમાનો ઉમેરાયા જેમાં મિગ 21 ટાઈપ 77, મિગ 21 ટાઈપ 96, મિગ 27 એમએલ અને મિગ 27 અપગ્રેડ સામેલ છે.  મિગ 27 ફાઈટર પ્લેનને રિટાયર્ડ કરવા માટે જોધપુર એરબેઝ પર એક કાર્યક્રમનું આયોજન કરાશે.આ સમારંભની અધ્યક્ષતા દક્ષિણ પશ્ચિમ એરકમાન્ડનાં એર ઓફીસર કમાન્ડિંગ ઇન  ચીફ એર માર્શલ એસકે ઘોટિયા કરશે. ત્રણ દશકા સુધી દુશ્મનોના દાંત ખાટા કરનાર મિગ 27ની વિદાયને લઈને વાયુસેનાએ એક ટ્વીટ પણ કર્યુ હતું જેમાં તેઓ લખ્યું કે ભારતીય વાયુસેના મિગ 27ને વિદાય આપશે. આ ઉપરાંત સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિમાનોએ શાંતિકાળ અને યુદ્ધ સમયે રાષ્ટ્ર માટે મહત્વનું યોગદાન આપ્યું છે.