CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 8 of 76 - CIA Live

September 19, 2024
navratri.png
1min221

લેબર વર્ક તેમજ રો મટીરીયલ્સના ભાવ આસમાને પહોંચતા ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો મોંઘાદાટ બન્યા

યુવાનોને સૌથી વધુ આકર્ષતા નવલા નવરાત્રિ મહોત્સવને આડે હવે ગણત્રીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરાત્રિ મહોત્સવમાં ખાસ અલાયદા અને સૌ કોઈને ઉડીને આંખે વળગી જાય તેવા મનોહર અલાયદા ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભૂષણોની ખરીદી માટે સુરત શહેર અને જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતભરના વિવિધ બજારોમાં ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. અગાઉના વર્ષોની તુલનામાં નવરાત્રિના ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણોના ભાવમાં દોઢ ગણો વધારો થયો હોવા છતાં પણ તેની લોકપ્રિયતા આજની તારીખે પણ અકબંધ રહેવા પામેલ છે.

નવરાત્રિ મહોત્સવ દરમિયાન દરરોજ અલગ અલગ જાતના અને જોતાવેત જ મન મોહી લે તેવા વસ્ત્રો અને આભૂષણો પહેરીને યુવાનો રાસ ગરબાના ગ્રાઉન્ડમાં સૌથી અલગ અને ચિત્તાકર્ષક દેખાવા માટે એકાદ માસ અગાઉથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. યુવાનો સૌથી પ્રથમ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાના તાલીમ વર્ગ જોઈન કરી દેતા હોય છે બાદ ગૃપવાઈઝ અલગ અલગ એકસરખા પરપ્રાંતીય થીમ અને લૂક ધરાવતા વસ્ત્રોની ખરીદી માટે ૨૫ દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.

નવરાત્રિમાં પાંચ વર્ષથી લઈને મોટેરાઓ સુધી જાત જાતના અને ભાત ભાતના આભૂષણો અને વસ્ત્રોની ખરીદી માટે સુરતના લગભગ દરેક વિસ્તારોમાં શરૂ કરાયેલા નવરાત્રીના સ્ટોલ્સ પરથી સુરતીઓ મોટા પાયે ખરીદી કરી રહ્યા છે.

નવરાત્રિમાં બહેનો માટેના ચણીયાચોળી, સનેડો, ગામઠી, કચ્છી સંસ્કૃતિવાળા ચણીયાચોળી, બ્રોકેડ પટ્ટાવાળા નવરંગી ઓઢણી અને લગડી પટ્ટાવાળા ચણીયાચોળી કેટલાક યંગસ્ટર્સમાં ખાસ ડિમાન્ડ રહી છે. પ્રતિ વર્ષે નવરાત્રિ મહોત્સવના ૨૦ થી ૨૫ દિવસ અગાઉથી જ તેનું વેચાણ શરૂ થઈ જાય છે.

ખાસ કિસ્સામાં શહેરમાં શ્રમિક બહેનો દ્વારા વિવિધ જ્ઞાતિ, સમાજની વાડી, બોર્ડિંગ, હોટલ તેમજ કોમર્શિયલ બિલ્ડિંગોના ખાલી હોલમાં સેલના સ્ટોલ્સ શૂ કર્યા છે. કોલેજીયન ભાઈઓ તથા બહેનો ઉપરાંત નવવિવાહિતોનો સારો એવો ખરીદીનો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ સેલમાં ભાઈઓ માટેના નવરાત્રિના વસ્ત્રમાં બાટીક પ્રિન્ટ, બાંધણીવાળા, બ્લોક પ્રિન્ટવાળા, કેડીયુ, ચોરણી, વર્કવાળા કુર્તા, ઝભ્ભા અને જીન્સનો ક્રેઝ યથાવતપણે જોવા મળી રહ્યો છે.

મહિલાઓ માટેના આભૂષણોમાં દામણી, કલરવાળા બાજુ, બલોયા, બે અને ત્રણ સ્ટેપવાળા ડોકીયા, કંદોરા, વેરાયટીવાળી માળાઓ, ટીકા, બુટ્ટી, ડોળીયા, પોખાની અને ઓકસોડાઈઝના સેટની ખરીદી માટે ખેલૈયાઓનો સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કમ્મરતોડ મોંઘવારીના કારણે કાપડના ભાવ વધ્યા છે એટલુ જ નહિ, વસ્ત્ર ઉપરના વર્ક માટેના લેબરવર્કના ભાવ પણ વધ્યા છે. જયારે આભૂષણો માટેના વિવિધ આવશ્યક રો મટીરીયલ્સના ભાવ પણ વધી રહ્યા હોય વસ્ત્રો અને આભૂષણો માટેના રો મટીરીયલ્સના ભાવ પણ દોઢ ગણા વધી ગયા છે તેમ છતાં પણ તેની ડિમાન્ડ યથાવત જોવા મળી રહેલ છે. આ વર્ષે પણ નવરાત્રિમાં મન મુકીને રમવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો હોય ટ્રેડિશ્નલ ડ્રેસ અને આભૂષણો માટેના સાર્વજનિક અને ઘરઘરાઉ એકઝીબીશન કમ સેલની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે.

જુની સાડી અને સેલામાંથી ડ્રેસ તૈયાર કરાવવાનો ક્રેઝ યથાવત

કાળઝાળ મોંઘવારી સહિતના કારણે યુવાન સંતાનો માટે દર વર્ષે નવી નવી ડિઝાઈનના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને ચણીયાચોળી વગેરેની ખરીદી કરવી મધ્યમવર્ગીય પરિવારોને પોષાય તેમ ન હોય અનેક પરિવારોની ગૃહિણીઓ દ્વારા તેમની જુની સાડી, સેલા તેમજ ડિઝાઈનર ડ્રેસમાંથી પણ તેમના સંતાનો માટે ચણીયાચોળી તૈયાર કરાવતી હોય છે.

September 18, 2024
harsh-sanghvi-with-cm.png
1min235

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના પુત્રની સારવાર માટે રાજા પર વિદેશ જઈ રહ્યા હોવાની વાત બે દિવસથી સોશિયલ સાઇટ પર જંગલની આગની માફક વહેતી થઈ છે. તદ્દન પાયા વિહોણી આ વાતને લઈને સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી લાલઘૂમ થઈ ગયા છે. તેઓએ એક સાર્વજનિક કાર્યક્રમમાં માધ્યમો સાથે વાત કરતાં કહ્યું કે,આવી અફવાઓ કોણ ફેલાવે છે ? મુખ્યમંત્રી ક્યાંય -કશે વિદેશ જવાના નથી, આ હાથ-માથા વગરની કોરી અફવા જ છે’ તેમણે ચેતવણીના સૂર ઉચ્ચારતા કહ્યું કે, અમે આ વાત અંગે તપાસ શરૂ કરી દીધી છે અને નોટિસ પણ ફટકારવામાં આવશે.

અફવાને આંખ કે પાંખ હોય ? જાણો, શી હતી મૂળ વાત ?

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)આગામી દિવસોમાં બીમાર પુત્રની સારવાર માટે અમેરિકા જવાનું આયોજન કરી રહ્યા છે. જેના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમઓ પાસે એક માસની રજા માંગી છે. જો કે આવા સમયે સીએમ અમેરિકાના પ્રવાસે જાય તો તેમનો ચાર્જ કોને સોંપવો તે અંગે મથામણ ચાલી રહી હોવાની માહિતી સાંપડી છે. તેમજ તેમનો આ પ્રવાસનો સમયગાળો ઓછો કરવાની પણ વિચારણા ચાલી રહી છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ મુદ્દે ચર્ચા થઇ શકે છે તેવી પણ સંભાવના છે.

સચિવાલયમાં પણ ચર્ચાઓ

આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જશે તો ઇન્ચાર્જ સીએમ કોણ બનશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અથવા અન્યને કોઇ મંત્રીને આ ચાર્જ સોપવામાં આવી શકે છે. આ અંગે સચિવાલયમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે.

પુત્ર અનુજ પટેલની તબિયત ખરાબ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત ખરાબ છે. અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા મુંબઇમાં સારવાર કરવામાં આવી હતી. જોકે, અનુજ પટેલની સ્થિતિમાં કોઇ સુધારો ના થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જઇને વધુ સારવાર કરાવવા માંગે છે.

September 8, 2024
પરીમલ-નથવાણી.jpeg
1min1477

દેશ નહીં પણ દુનિયાની દિગ્ગજ કંપની રિલાયન્સ લિમિટેડના ડાયરેક્ટર અને રાજ્યસભાના સ્વતંત્ર એમ.પી. પરીમલ નથવાણી આજે સુરતની મુલાકાતે હતા અને સૌના આશ્ચર્ય વચ્ચે તેઓ સુરતના કોટ વિસ્તારમાં આવેલી દાયકાઓ જૂની જોષી જેશંકર ધનજી ભજીયાવાળાની દુકાને પહોંચ્યા હતા. તેમણે સોશ્યલ મિડીયા હેન્ડલ પર લખ્યું કે તેઓ 20 વર્ષ પછી આ જગ્યાએ ફરી આવ્યા છે અને તેમણે સુરતની આ ફેમસ અને અસ્સલ સુરતી ફરસાણ માટે જાણિતી દુકાનમાં જઇને ગરમાગરમ રતાળુપૂરી, પૂરી ભાજી અને મિક્સ ભજીયા આરોગ્યા હતા.

તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે ચૌટાબજારમાં સ્થિતિ સામાન્ય હતી. અનેક રાહદારીઓ અને વાહનચાલકોને ખબર સુધ્ધા ન હતી કે દેશના હાઇપ્રોફાઇલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પૈકીના એક અને રિલાયન્સ જેવી દિગ્ગજ કંપનીના ડિરેક્ટર અને રાજ્યસભાના મેમ્બર ચૌટાબજારની દુકાન આગળ ઉભા રહીને નાસ્તો કરી રહ્યા છે.

તેમણે જ્યારે ફેસબુક અને ટ્વીટર જેવા પોતાના સોશ્યલ મિડીયા હેન્ડલ પર આ માહિતી શેર કરી ત્યારે અનેક સુરતીઓ આશ્ચર્ય પામ્યા હતા.

ચૌટાબજારની સુવિખ્યાત જોષી જેશંકર ધનજી ભજીયાવાળાની પેઢી સુરત ભાજપના પૂર્વ પ્રમુખ અને અસ્સલ સુરતી નીતિનભાઇ ભજીયાવાળાના પરીવારની છે. નીતિન ભજીયાવાળાએ પણ રિલાયન્સના ડિરેક્ટર પરીમલ નથવાણીની મુલાકાત બાદ તેમનો સોશ્યલ મિડીયા પર આભાર વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી હતી.

September 2, 2024
gujarat_rain_map.jpg
1min235

રાજ્યમાં વહેલી સવારથી દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતનના વિસ્તારોમાં સારો એવો વરસાદી વરસી રહ્યો છે, ત્યારે સુરતથી લઈને અમદાવાદ સુધીમાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં મેઘરાજાએ ગુજરાતનાં 111 તાલુકા તરબોળ કરી દીધા છે. જ્યારે તાપીના સોનગઢ-વ્યારામાં આઠ ઈંચ, ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ

દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, ડાંગ સહિતના વિસ્તારોમાં આજે (2 સપ્ટેમ્બર) ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં તાપીના સોનગઢ-વ્યારામાં સૌથી વધુ આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ડાંગના વઘઈમાં પોણા આઠ ઈંચ, તાપીના ઉચ્છલ અને ડોલવણમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, 35થી વધુ તાલુકામાં બે ઈંચ અને 58 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ધોધમાર વરસાદને પગલે ચંદવાસા ગામમાં વરસાદી પાણી ફરી વળતા ગ્રામલોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદને કારણે નદીનું ગામ અને રસ્તાઓ પર પાણી ભરાયા છે.

સુરતમાં ભારે વરસાદી માહોલ વચ્ચે પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન નદીનું પાણી મિયાપુર ગામ પાસેના સ્ટેટ હાઈવેમાં પાણી ફરી વળતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે પરિવહન કરતાં વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

રાજ્યમાં અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગાંધીનગરમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ નરોડામાં અઢી ઇંચ અને ઓઢવમાં બે ઇંચ, વિરાટ નગર અને મણીનગરમાં દોઢ ઇંચ, વટવામાં સવા ઇંચ, નિકોલમાં એક ઇંચ, મેમ્કોમાં એક ઇંચ અને ચકુડીયામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે.

August 17, 2024
ramesh-sanghvi.png
1min490
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન, ઘણા સમયથી હતા બીમાર 1 - image

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી અને સુરત મજૂરાના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્રનું નિધન થયું છે. માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી તેમની તબીયત નાદુરસ્ત હતી. ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન આજે બપોરે રમેશચંદ્ર સંધવીનું નિધન થયું હતુ.

રમેશચંદ્રની તબીયત છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ રહેતી હતી. તેમજ કોરોનાકાળ બાદ સારવાર માટે તેમને હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. પિતાની તબીયત ખરાબ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. હાલમાં યુનિક હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી હતી.

હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રમેશચંદ્ર સંઘવી આ સાથે બીજી અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે પણ સક્રિય હતા. આ સાથે જૈન સમાજમાં સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખ બનાવી હતી. આજે સાંજે 5 વાગ્યે ઉમરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સદગતનું બેસણું તા.18 ઓગસ્ટને રવિવારે બપોરે 3થી 5 દરમિયાન ઇન્ડોર સ્ટેડીયમ, ઘોડદોડ રોડ, સુરત ખાતે યોજવામાં આવ્યું છે.

August 17, 2024
bad_weather.jpg
1min217

રાજ્યમાં આગામી છ દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં 21-22 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાંથી ચોમાસાએ હજુ વિદાય લીધી નથી. આગામી ત્રણ દિવસ પછી રાજ્યમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. તેવામાં બે બે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે અરબ સાગરમાં 20 ઑગસ્ટે સિસ્ટમ સક્રિય થતાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા કર્ણાટક સુધી વરસાદ લાવી શકે છે. બીજી તરફ, બંગાળના ઉપસાગરમાં 25થી 30 ઑગસ્ટ સુધીમાં સિસ્ટમ સક્રિય થવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળશે.’

આ વિસ્તારમાં ખાબકી શકે છે ભારે વરસાદ

રાજ્યમાં બે બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, ત્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, સિસ્ટમ સક્રિય થવાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળતા ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે ગાંધીનગર અને અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં સપ્ટેમ્બરની શરુઆતથી સારો એવો વરસાદ ખાબકી શકે છે.

18 ઑગસ્ટની આગાહી

18 ઑગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

August 15, 2024
double-decker-train.jpg
1min208
Six coaches of Ahmedabad-Mumbai double-decker train derailed near Surat, leaving passengers stranded

દેશમાં એક પછી એક ટ્રેન અકસ્માતની ઘટનાઓ બની રહી છે. આજે આવી જ એક ઘટનામાં ગુજરાતમાં સુરત નજીક અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી ડબલ ડેકર ટ્રેનમાં છ ડબ્બા છુટી પડી જતાં મુસાફરો અટવાયા હતા. અમદાવાદ ડબલ ડેકર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી તે દરમિયાન આ ઘટના બની હતી, ઘટનાની જાણ થતા રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથધરી હતી. ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા.

ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરી

અમદાવાદથી ટ્રેન મુંબઇ તરફ જતી હતી ત્યારે ગોઠણ અને કુદસદ વચ્ચે ડબ્બા છૂટા પડયા છે. ડબલ ડેકર ટ્રેન સુરત પહોંચી તે વખતે અચાનક ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી, જોકે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ નથી, સાથે સાથે રેલવેની ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી, ટ્રેનના ડબ્બા કઈ રીતે છૂટા પડયા તે મામલે ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ છે.

રેલ વ્યવહારને અસર પડી

ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા રેલ વ્યવહારને અસર પડી રહી છે, અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે, ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવશે તેવુ રેલવે વિભાગ તરફથી માહિતી આપવામાં આવી રહી છે. ટ્રેન વ્યવહારને અસર થતા ટ્રેનો તેના સમય પ્રમાણે પહોંચી રહી નથી, જેને લીધે મુસાફરોએ હાલાકી ભોગવવી પડી છે.

August 1, 2024
WhatsApp-Image-2024-08-01-at-09.24.22-1280x960.jpeg
1min238

ઉપપ્રમુખ તરીકે ભીખુભાઈ ડી. નાકરાણી ખજાનચી તરીકે વસંતકુમાર એલ. લાખાણી


તા.1લી ઓગસ્ટે મળેલી સચીન ઇન્ડસ્ટીયલ કો.ઓ.સોસાયટી લી.ની કારોબારી સમિતિની બેઠકમાં સોસાયટીનાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ચર્ચા વિચારણા બાદ સચિન ઇન્ડ. સોસાયટીના 2024-2025 વર્ષ માટેના નવા પ્રમુખ તરીકે નિલેશભાઈ એમ. ગામી, ઉપપ્રમુખ તરીકે ભીખુભાઈ ડી. નાકરાણી, સેક્રેટરી તરીકે મયુર જયવદન ગોળવાલા તથા ખજાનચી તરીકે વસંતકુમાર એલ. લાખાણીની બિનહરીફ વરણી કરવામાં આવી છે. મયુર જે. ગોળવાલા બીજી ટર્મ માટે સંસ્થાનાં સેક્રેટરી તરીકે ચુંટાઈ આવ્યા હતા.

સોસાયટીના કારોબારી સમિતિનાં ૧૭ સભ્યોની પાંચ વર્ષની મુદત માટેની ચૂંટણી ગત વર્ષે તા. ૨૨/૦૭/૨૩ નાં રોજ થયેલ હતી. જેમાં પરીવર્તન પેનલનાં ૧૬ સભ્યો જંગી બહુમતિથી ચુંટાઈ આવ્યા હતા. ચુંટણી દરમ્યાન ઉદ્યોગકારો વચ્ચે થયેલ ઘોષણા મુજબ ચુંટણીમાં વિજેતા થયેલ કારોબારી સમિતિનાં સભ્યોની પાંચ વર્ષની મુદત દરમ્યાન દર વર્ષે નવા હોદ્દેદારોની વરણી કરવાનું નકકી થયેલ. વળી જેના થકી દરેક સભ્યોને હોદ્દો મળ્યેથી પોતાનો અનુભવ અને વિચારો રજુ કરી કૂનેહપૂર્વક એસ્ટેટનાં વિકાસનાં કામ કરવાની આગવી તક તેઓને મળી રહે તે હકીકતે સોસાયટીનાં ઉપર જણાવેલ નવા હોદ્દેદારોની આજ રોજ બીન હરીફ વરણી કરવામાં આવેલ છે.

July 19, 2024
01-3.jpg
2min281

વિવર્સને ટેક્ષ્ટાઇલ મશીનરીના દેશ – વિદેશમાં યોજાતા એકઝીબીશનોની મુલાકાત લેવા અને મોડર્ન ટેકનોલોજી અપનાવવા અનુરોધ કરાયો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી દ્વારા ગુરૂવાર, તા. ૧૮ જુલાઇ ર૦ર૪ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, SIECC, સરસાણા, સુરત ખાતે ‘વિવિંગ ટેકનોલોજીમાં તાજેતરના ડેવલપમેન્ટ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોગવાના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. આ સેમિનારમાં નિષ્ણાત વકતા તરીકે ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી અને પીકવેલ ટેક્ષ્ટાઇલ મશીનરીના ડિરેકટર શ્રી પરેશ ગોંડલીયાએ વિવિંગ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટમાં યાર્ન અને મશીનરીની ભૂમિકા વિશે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું.

SGCCIના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ સેમિનારમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ચાઇનામાં ૮ લાખ મોડર્ન લુમ છે, જ્યારે ભારતમાં દોઢ લાખ જ છે. દોઢ લાખમાંથી અડધા મોડર્ન લુમ તો સુરતમાં છે. વણાટ ઉદ્યોગમાં મોડર્ન લુમને કારણે પ્રોડકશન કવોલિટી ખૂબ જ સારી આવે છે અને પ્રોડકશનમાં પણ વધારો થાય છે, આથી વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાત્મક બનવા માટે ઉદ્યોગકારોએ મોડર્ન લુમમાં જવું જ પડશે.

ફોગવાના પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કાપડના ઉત્પાદકો અત્યાર સુધી ડોમેસ્ટીક માર્કેટ પૂરતું જ કામ કરી રહયા છે પરંતુ હવે ગ્લોબલી માર્કેટમાં ઝંપલાવવાની જરૂર છે. એના માટે કાપડમાં રિસર્ચ કરવાની જરૂર છે. દેશ – વિદેશમાં યોજાતા વિવિધ એકઝીબીશનમાં ભાગ લેવાની જરૂર છે. પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવા માટે તેમાં નવું કરવાની જરૂર છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ The way forward in Textile sector of World વિશે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સુરતમાં મેન મેઇડ ફેબ્રિકની આખી વેલ્યુ ચેઇન ઉપલબ્ધ છે. રો મટિરિયલ પણ સરળતાથી મળી જાય છે. ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેકનોલોજી, સ્કીલ્ડ લેબર અને ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરીંગ માટે સુરતનું વાતાવરણ યોગ્ય છે. તેમણે ટેકનિકલ ટેક્ષ્ટાઇલમાં એગ્રીટેક, મેડીટેક, મોબીટેક, પેકટેક, સ્પોર્ટટેક, બિલ્ડટેક, કલોથટેક, હોમટેક, પ્રોટેક, જીઓટેક, ઇકોટેક અને ઇન્ડુટેક વિશે માહિતી આપી હતી.

શ્રી પરેશ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં રેપિયર, વોટરજેટ અને એરજેટમાં હાઇસ્પીડ મશીનરી આવી છે. વર્ષ ર૦૧૦થી સુરતમાં વોટરજેટ આવ્યા છે. આ મશીનરી ઉપર કોઇપણ ફેબ્રિક સરળતાથી ચલાવી શકાય છે. એરજેટમાં વિવર્સ ભાઇઓ ડાયવર્ટ થઇ રહયા છે ત્યારે આગામી એક વર્ષમાં ફેબ્રિકની માંગ ખૂબ જ વધી જશે. સોલાર એનર્જીને કારણે પાવરની લિમિટેશન નીકળી જશે. સીમલેસ નીટીંગ દેખાશે અને નીટીંગને લગતા કપડા યુરોપમાં એક્ષ્પોર્ટ કરી શકાશે. યુરોપમાં કાપડનું મેન્યુફેકચરીંગ થતું નથી, આથી વૈશ્વિક માર્કેટમાં એક્ષ્પોર્ટ માટે ટેક્ષ્ટાઇલમાં અપડેટ થવું પડશે. તેમણે ટેક્ષ્ટાઇલ મશીનરીના દેશ – વિદેશમાં યોજાતા એકઝીબીશનોની મુલાકાત લેવા અને મોડર્ન ટેકનોલોજી અપનાવવા અનુરોધ કર્યો હતો.

જીએફઆરઆરસીના ચેરમેન શ્રી ગિરધરગોપાલ મુંદડાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. શ્રી અમરિષ ભટ્ટે સેમિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, પૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્ર કાજીવાલા, શ્રી રશ્મી રંજન બિસ્વાલ, શ્રી મનિષ મુલે અને વિવર્સ ભાઇઓ સેમિનારમાં ઉપસ્થિત રહયા હતા. શ્રી ભગીરથ કળથિયાએ સેમિનારમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.

July 18, 2024
jatin-naik-spb.jpeg
1min388

ધી સૂરત પીપલ્સ કો ઓપ બેન્ક ના એમ. ડી. / સી. ઈ. ઓ. ડો. જતીન નાયક ની નિમણુંક દિલ્હી સ્થિત નેશનલ કાઉન્સિલ ઓફ કો ઓપરેટીવ ટ્રેનિંગ દ્વારા ચાલતા અભ્યાસક્રમ નક્કી કરવા માટેની કમિટીમાં કરવામાં આવી છે.

નેશનલ કાઉન્સિલ ફોર કોઓપરેટીવ ટ્રેનિંગના મુખ્ય સચિવ મોહનકુમાર મિશ્રાએ નિમણુંક અંગેનો પત્ર ડો. જતીન નાયકને પાઠવ્યો છે અને પહેલી મિટીંગ માટે નવી દિલ્હી તેડાવ્યા છે. ઊચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા સુરતની પીપલ્સ કો.ઓ. બેંકના એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ ડો. જતીન નાયક હાલમાં ત્રણ યુનિવર્સીટીઓના બોર્ડ ઓફ સ્ટડીસના પણ મેમ્બર છે. સુરત પીપલ્સ બેન્કના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને કર્મચારીઓએ એમની આ સિધ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. અને આવી દિર્ઘર્દષ્ટી તેમજ કર્તવ્યનિષ્ઠ વ્યકિત મેળવવા બદલ સંસ્થા ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે.