
દેશ નહીં પણ દુનિયાની દિગ્ગજ કંપની રિલાયન્સ લિમિટેડના ડાયરેક્ટર અને રાજ્યસભાના સ્વતંત્ર એમ.પી. પરીમલ નથવાણી આજે સુરતની મુલાકાતે હતા અને સૌના આશ્ચર્ય વચ્ચે તેઓ સુરતના કોટ વિસ્તારમાં આવેલી દાયકાઓ જૂની જોષી જેશંકર ધનજી ભજીયાવાળાની દુકાને પહોંચ્યા હતા. તેમણે સોશ્યલ મિડીયા હેન્ડલ પર લખ્યું કે તેઓ 20 વર્ષ પછી આ જગ્યાએ ફરી આવ્યા છે અને તેમણે સુરતની આ ફેમસ અને અસ્સલ સુરતી ફરસાણ માટે જાણિતી દુકાનમાં જઇને ગરમાગરમ રતાળુપૂરી, પૂરી ભાજી અને મિક્સ ભજીયા આરોગ્યા હતા.
તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે ચૌટાબજારમાં સ્થિતિ સામાન્ય હતી. અનેક રાહદારીઓ અને વાહનચાલકોને ખબર સુધ્ધા ન હતી કે દેશના હાઇપ્રોફાઇલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પૈકીના એક અને રિલાયન્સ જેવી દિગ્ગજ કંપનીના ડિરેક્ટર અને રાજ્યસભાના મેમ્બર ચૌટાબજારની દુકાન આગળ ઉભા રહીને નાસ્તો કરી રહ્યા છે.

તેમણે જ્યારે ફેસબુક અને ટ્વીટર જેવા પોતાના સોશ્યલ મિડીયા હેન્ડલ પર આ માહિતી શેર કરી ત્યારે અનેક સુરતીઓ આશ્ચર્ય પામ્યા હતા.
ચૌટાબજારની સુવિખ્યાત જોષી જેશંકર ધનજી ભજીયાવાળાની પેઢી સુરત ભાજપના પૂર્વ પ્રમુખ અને અસ્સલ સુરતી નીતિનભાઇ ભજીયાવાળાના પરીવારની છે. નીતિન ભજીયાવાળાએ પણ રિલાયન્સના ડિરેક્ટર પરીમલ નથવાણીની મુલાકાત બાદ તેમનો સોશ્યલ મિડીયા પર આભાર વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી હતી.


















