CIA ALERT

Slider Archives - Page 56 of 475 - CIA Live

November 7, 2022
supreme.jpg
1min508

આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10% અનામતની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાની તરફેણ કરી છે. આ દરમિયાન જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે, આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ નથી. જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ મહેશ્વરીએ EWSને યોગ્ય ગણાવ્યુ છે. આ બંનેએ 2019ના સુધારાની તરફેણ કરી છે. જસ્ટિસ પારડીવાલાએ પણ તેની તરફેણ કરી છે.

EWS ક્વોટાની માન્યતાને પડકારતી 30થી વધુ અરજીઓની સુનાવણી બાદ કોર્ટે 27 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેંચ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જેમાં 3 જજે આ અનામતની તરફેણ કરી છે જ્યારે બે જસ્ટિસ રવીન્દ્ર ભટ અને ચીફ જસ્ટિસ લલિત અનામતના વિરોધમાં ગયા છે. 

જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીએ કહ્યું હતું કે, મારો નિર્ણય જસ્ટિસ મહેશ્વરીના અભિપ્રાય સાથે સહમત છે. તેમણે કહ્યું કે EWS ક્વોટા માન્ય અને બંધારણીય છે. 5 જજોની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ અને જસ્ટિસ યુયુ લલિત આ અનામતની વિરોધમાં ગયા હતા. ચીફ જસ્ટિસ લલીતે આ બાબતને ગેરબંધારણીય ઠેરવી છે.  ભટે કહ્યું કે, આ કાયદો ભેદભાવથી ભરેલો છે અને બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. તમને જણાવી દઈએ કે, બંધારણના 103મા સુધારા દ્વારા, EWS અનામત અંગેનો કાયદો 2019માં સંસદમાંથી પસાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને અનેક અરજીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેના પર લાંબી સુનાવણી બાદ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે.

સર્વોચ્ચ અદાલતે તત્કાલિન એટર્ની જનરલ કેકે વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતા સહિત વરિષ્ઠ વકીલોની દલીલો સાંભળ્યા બાદ 27 સપ્ટેમ્બરે કાયદાકીય પ્રશ્ન પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો કે, શું EWS અનામત બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે છે. શિક્ષણવિદ મોહન ગોપાલે 13 સપ્ટેમ્બરના રોજ બેંચ સમક્ષ આ મામલે દલીલ કરી હતી અને EWS ક્વોટા સુધારાનો વિરોધ કર્યો હતો.

બેંચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જેબી પારડીવાલા પણ સામેલ હતા. તમિલનાડુ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શેખર નાફડેએ EWS ક્વોટાનો વિરોધ કરતા કહ્યું હતું કે, આર્થિક માપદંડ વર્ગીકરણ માટેનો આધાર ન હોઈ શકે અને સર્વોચ્ચ અદાલતે ઈન્દિરા સાહનીના ચુકાદા પર પુનર્વિચાર કરવો પડશે જો તે આ અનામત જાળવી રાખવાનો નિર્ણય કરશે.

November 7, 2022
cia_edu-1280x925.jpg
1min544

ગુજરાતમાં એક તરફ 45 હજાર જેટલા ધો.12 બાયોલોજી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ લઇને તેમાં કારકિર્દી ઘડવાની તીવ્ર ઇચ્છા છે પરંતુ, તેમની પાસે મેરીટ સ્કોર ન હોવાથી કોઇ કાળે પ્રવેશ મળે તેમ નથી, તેની બીજી તરફ આજે એવી વિગતો સપાટી પર આવી કે 1449 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મેરીટના આધારે મેડીકલ, ડેન્ટલમાં કન્ફર્મ એડમિશન મળ્યું હતું પરંતુ, તેમણે નિર્ધારિત સમયમર્યાદામાં પ્રવેશ ફી ભરીને એડમિશન લીધું નહીં અને પ્રવેશ જતો કરતા શિક્ષણશાસ્ત્રીઓ પણ અચંબામાં પડી ગયા છે.ગુજરાતમાં મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં સેન્ટ્રલાઇઝ એડમિશન પ્રક્રિયાનો આજે પહેલો રાઉન્ડ પૂરો થયો હતો.

ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ મેડીકલ અને ડેન્ટલમાં એડમિશન લિસ્ટ ગઇ તા.29મી ઓક્ટોબરે જાહેર કર્યું હતું અને તા.6 નવેમ્બર સુધીમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા છે તેમને જરૂરી ફી ભર્યા બાદ હેલ્પ સેન્ટર પર જઇને ઓરિજિનલ ડોક્યુમેન્ટસ સબમિટ કરાવી લેવા માટે સૂચના આપી હતી. આજે 6 ઓક્ટોબરની અવધિ પૂર્ણ થયા બાદ એડમિશન કમિટીએ ડેટા ચકાસતા જાણવા મળ્યું કે ઓપન કેટેગરી સહિત જુદા જુદા વર્ગ-જ્ઞાતિના મળીને 1449 પ્રવેશાર્થીઓ કે જેમને ક્યાંકને ક્યાં મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેમણે તેમનો પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કન્ફર્મ પ્રવેશ જતો કરતા સ્વાભાવિક છે કે કોઇને પણ આશ્ચર્ય થાય. કેમકે મેડીકલ ડેન્ટલની એક એક સીટ માટે સરેરાશ 8 વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા થાય છે ત્યારે 1449 વિદ્યાર્થીઓએ કન્ફર્મ પ્રવેશ જતો કર્યો હોવાની વાત સાહજિકતાથી ગળે ઉતરે તેવી નથી.જે વિદ્યાર્થીઓએ મેડીકલ ડેન્ટલમાં કન્ફર્મ પ્રવેશ જતો કર્યો છે તેમાં મેનેજમેન્ટ ક્વોટાની પણ અનેક બેઠકોનો સમાવેશ થાય છે. મેનેજમેન્ટ ક્વોટાનું સમગ્ર અભ્યાસક્રમનું પેકેજ સવાથી દોઢ કરોડ જેટલું થાય છે.

November 7, 2022
world-cup-t20.png
1min470
  • પહેલી સેમિફાઈનલ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે
  • બીજી સેમિફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે

સુપર-12 રાઉન્ડ પૂરો થતાની સાથે જ સેમિફાઈનલ માટે ચાર ટીમો નક્કી થઈ ચૂકી છે. ગ્રુપ-1માંથી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ છે, જ્યારે ગ્રુપ-2માંથી ભારત અને પાકિસ્તાને પોતાની દાવેદારી નોંધાવી છે. ત્યારે ચાલો જોઈએ સેમિફાઈનલમાં હવે કઈ ટીમ કોની સામે ટકરાશે.

ભારતની સામે ઈંગ્લેન્ડની ટક્કર
ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારતે ઝિમ્બાબ્વેને પોતાની છેલ્લી લીગ મેચમાં 71 રને હરાવી ગ્રુપમાં પહેલું સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પાંચ મેચોમાંથી ચાર મેચમાં જીત મેળવી 8 પોઈન્ટ સાથે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું. એવામાં ટેબલ ટોપ કરવાના કારણે ભારતીય ટીમનો સેમિફાઈનલમાં ગ્રુપ-1માં બીજા નંબરે રહેનારી ઈંગ્લેન્ડની ટીમ સામે ટક્કર થશે. તો, જો ટીમ ઈન્ડિયા બીજા સ્થાને રહી હોત તો, આ સેમિફાઈનલમાં તે ન્યૂઝીલેન્ડ સામે ટકરાત. સેમિફાઈનલમાં ભારતીય ટીમ હવે 10 નવેમ્બરે એડિલેડના ઓવલ મેદાનમાં ઈંગ્લેન્ડ સામે રમવા ઉતરશે. આ મેચમાં ભારત જીતશે તો ફાઈનલ માટે મેલબોર્ન જશે. ફાઈનલ મેચ 13 નવેમ્બરે રમાશે.

પાકિસ્તાનની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે
ગ્રુપ-2માં ઉલેટફેરના કારણે સેમિફાઈનલમાં પહોંચનારી પાકિસ્તાનની ટીમનો સામનો પહેલી સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે થશે. બંને ટીમોની વચ્ચે આ મેચ 9 નવેમ્બરે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. પાકિસ્તાનની ટીમ પોતાના ગ્રુપમાં 6 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી છે. જોકે, તે નોકઆઉટ સ્ટેજમાંથી લગભગ બહાર થઈ ચૂકી હતી, પરંતુ નેધરલેન્ડની ટીમે છેલ્લી લીગ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવી ઉલટફેર કરી દીધો. એ કારણે સાઉથ આફ્રિકાની ટીમ પાસે 5 પોઈન્ટ જ રહી ગયા, જેના કારણે તે સેમિફાઈનલમાંથી બહાર ફેંકાઈ ગઈ. તો પાકિસ્તાનની ટીમે બાંગ્લાદેશને પોતાની છેલ્લી મેચમાં હરાવી સેમિફાઈનલની ટિકિટ મેળવી. ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડની ટીમ ટેબલ ટોપર છે. એ કારણે સેમિફાઈનલમાં તેનો સામનો પાકિસ્તાન સામે થશે.

November 7, 2022
alia.png
1min474

બોલીવૂડનાં સૌથી ક્યૂટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે મમ્મી પપ્પા બની ગયાં છે. તેમને ત્યાં દીકરીનો જન્મ થતાં કપૂર ખાનદાન સહિત સમગ્ર બોલીવૂડમાં જશ્નનો માહોલ સર્જાયો છે. 

આજે બપોરે બરાબર ૧૨.૦૫ કલાકે એક ખાનગી હોસ્પિટલમાં આલિયાની ડિલિવરી થઈ હતી. સંયોગોવસાત આ એ જ હોસ્પિટલ છે જ્યાં ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાંથી જ કપૂર ખાનદાનમાં નવા પરિવારની પધરામણી થઈ હતી. 

અગાઉ સવારે ૭.૩૦ કલાકના અરસામાં રણબીર કપૂર આલિયાને લઈ હોસ્પિટલ પહોંચ્યો હતો. તે પછી ભટ્ટ અને  કપૂર ખાનદાનના પરિવારના એક પછી એક સભ્યો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

આલિયાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી દ ીકરી જન્મની સત્તાવાર વધામણીમાં કહેવાયું હતું કે, ‘અમારી જિંદગીના સૌથી શ્રેષ્ઠ સમાચાર છે, અમારી બેબી અહીં આવી પહોંચી છે અને તે અદ્ભૂત મેજિકલ ગર્લ છે. અમે હવે ભરપૂર આશીર્વાદ અને પ્રેમથી ઘેરાયેલાં માતાપિતા બન્યાં છીએ.’

રણબીરની બહેન રિદ્ધિમાએ પણ ભત્રીજીનાં જન્મની વધામણી ખાતાં કહ્યું હતું કે સમગ્ર પરિવાર ભારે હર્ષ અને ગૌરવ અનુભવે છે. આ ભત્રીજીને ફઈ પહેલેથી જ બહુ પ્રેમ કરે છે. 

બોલીવૂડના તમામ ટોપના સ્ટાર્સ અને હિરોઈનોએ આલિયા તથા રણબીરને માતા-પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યું હતું. સોનમ કપૂર સહિતની હિરોઈનોએ જણાવ્યું હતું કે તેઓ આલિયાની બેબીને વહેલી તકે રમાડવા માટે ઉત્સુક છે. 

ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરે ગયાં એપ્રિલ માસમાં લગ્ન કર્યાં હતાં. તેના ચાર મહિના પછી તેમણે આલિયા માતા બની રહી હોવાનું જાહેર કર્યું હતું. 

આલિયા બેબીનું નામ અલમા રાખશે કે નહીં 

એક ટીવી રિયાલિટી શોમાં આલિયાએ કહ્યું હતું કે તેને અલમા નામ પસંદ છે. પોતાને દીકરી જન્મશે તો તેનું નામ અલમા રાખશે. હવે આલિયા ટીવી શોમાં જાહેર કરેલી આ વાત નિભાવે છે કે કેમ તે જાણવા તેના ચાહકો આતુર છે. 

ભાવિ સુપરસ્ટારનો જન્મ 

આલિયા અને રણબીરની બેબીનાં ભવિષ્ય વિશે જાતભાતની અટકળો પણ શરુ થઈ ગઈ છે. બોલીવૂડના એક ન્યૂમરોલોજિસ્ટે કહ્યું હતું આ બેબી બુધ અને શુક્રનો શુભ યોગ લઈને આવી છે. તેનો ભાગ્યાંક ૫ છે. આલિયા માટે ૩૦મું વર્ષ શુકનવંતું છે અને તેમાં આ બેબી જન્મી છે. આ તારીખ પર શુક્રનો પ્રભાવ છે એટલે માની લો કે  ભવિષ્યના સુપરસ્ટારનો જન્મ થઈ ગયો છે.  જન્મકુંડળીમાં સૂર્યનાં સ્થાન પ્રમાણે તેની રાશિ વૃશ્ચિક આવી છે. તેની માસી શાહીન ભટ્ટની સૂર્યરશિ પણ વૃશ્ચિક છે. બોલીવૂડમાં ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાન બંનેની સૂર્યરાશિ વૃશ્ચિક છે. 

November 5, 2022
Elon-Musk-Twitter.jpg
1min527

એલોન મસ્કે ટ્વીટરની કમાન સંભાળી ત્યારથી કંપનીમાં ઉથલપાથલ ચાલી રહી છે. ભારતમાં એલોન મસ્કે કંપનીના સમગ્ર સ્ટાફને હટાવી દીધો છે. લગભગ 250 લોકોને નોકરીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં હવે એલોન મસ્કે આખી કંપનીના 50% લોકોને કાઢી નાખ્યા છે. જેના કારણે 7,500 લોકોએ નોકરી ગુમાવી છે. એલોન મસ્કે ટ્વિટર પર કબજો કર્યાના એક અઠવાડિયાની અંદર ઘણી મોટી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 50% કર્મચારીઓની તાત્કાલિક અસરથી છટણી કરવામાં આવી છે. તેઓનો ઈમેલ અને કંપનીના કોમ્પ્યુટરનો એક્સેસ છીનવી લેવામાં આવ્યો છે.

વિશ્વની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ટ્વિટર તરફથી આવી તાબડતોડ છટણીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા પણ છટણીની પુષ્ટિ કરવામાં આવી છે. યુ.એસ. અને કેનેડામાં ટ્વિટરના પબ્લિક પોલિસી ડાયરેક્ટર મિશેલ ઓસ્ટિનએ ટ્વિટ કર્યું કે, આજનો દિવસ એ સમાચાર સાથે શરૂ થાય છે કે ટ્વિટરમાં મારી સફર પૂરી થઈ ગઈ છે. મારૂ દિલ તુટી ગયું. હું તેને સ્વીકાર નથી કરી શકતો. એલોન મસ્કે છટણી અંગે ટ્વીટ કર્યું કે, ટ્વિટરમાં છટણી વિશે ઘણી વાતો થઈ રહી છે. દુર્ભાગ્યની વાત એ છે કે, આ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે કંપનીને દરરોજ 4 મિલિયન ડોલરનું નુકશાન થઈ રહ્યું છે તેથી બીજો કોઈ વિકલ્પ નહોતો.

આ મોટી છટણી પહેલા ટ્વીટરે કર્મચારીઓને ઓફિસ આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેઓને તેમના ભવિષ્યની રાહ જોવા અને જે નિર્ણય લેવામાં આવશે તેના આધારે કાર્ય કરવાનું કહેવામાં આવ્યું હતું. સોમવાર સુધી કર્મચારીઓને ઓફિસ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, સોમવાર પહેલા જ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બરતરફ કરાયેલા ટ્વિટરના ભૂતપૂર્વ કર્મચારીએ કહ્યું કે, ‘લોકોની સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે અત્યંત અમાનવીય છે.’ તે કોઈ પણ કિંમતે પૈસા બચાવવા માંગે છે. એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે અને એવું માનવામાં આવે છે કે, તે બચતના માર્ગ પર છે અને નાણાંની ચૂકવણી કરવા માટે મોટા પાયે છટણી કરી રહ્યા છે.

November 4, 2022
morbi.png
1min666

મોરબીની ઘટનામાં આખરે નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવાનો શહેરી વિકાસ વિભાગે આદેશ કર્યો છે. દુર્ઘટના બની ત્યારે સંદીપસિંહે ઓરેવાએ નગરપાલિકાની પરવાનગી વિના જ બ્રિજ ખુલ્લો મુકી દીધો હોવાનું જણાવી હાથ અદ્ધર કરી દીધા હતા. જોકે, ત્યારથી જ એવા સવાલ થઈ રહ્યા હતા કે બ્રિજ પાંચ દિવસ સુધી ખુલ્લો રહ્યો, તેના પર હજારો લોકોની રોજ અવરજવર હતી ત્યાં સુધી નગરપાલિકા શું ઊંઘી રહી હતી? પોલીસે પણ તાજેતરમાં જ સંદીપસિંહ ઝાલાની ચાર કલાક સુધી પુછપરછ કરી હતી.

પૂછપરછ દરમિયાન સંદીપસિંહ ઝાલાએ બ્રિજને ફરી ખુલ્લો મુકવામાં રહેલા જોખમની નગરપાલિકાને જાણ હોવાનું પોલીસને જણાવ્યું હોવાની ચર્ચા છે. પોલીસ સમક્ષ સંદીપસિંહે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ઓરેવાએ બ્રિજ ખુલ્લો મુકવા પરવાનગી નથી લીધી તેની પણ તેમને જાણ હતી. બ્રિજ પડ્યો ત્યારે ઝાલાએ દોષનો ટોપલો ઓરેવાના માથે ઢોળી દીધો હતો, અને નગરપાલિકાનો તેમાં કોઈ દોષ ના હોવાનો દાવો કર્યો હતો. જોકે, પોલીસે કરેલી પૂછપરછમાં તેમણે વટાણા વેરી દીધા હતા, અને સ્વીકાર્યું હતું કે નગરપાલિકાને જાણ હતી કે જો બ્રિજ ખુલ્લો મુકાય અને મોટી સંખ્યામાં લોકો તેના પર ભેગા થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે.

મોરબી નગરપાલિકા બ્રિજ ખુલ્લો મુકવો જોખમી સાબિત થઈ શકે છે તેટલું જ નહીં, પરંતુ તેનું રિનોવેશન યોગ્ય રીતે ના થયું હોવાનું પણ જાણતી હતી. રિનોવેશન બરાબર ના થયું હોવાથી બ્રિજનો ઉપયોગ ભયાનક હોનારત સર્જી શકે છે તે વાત પણ નગરપાલિકાના અધિકારીઓથી છૂપી નહોતી. પોલીસે સંદીપસિંહને પોતે કરેલા દાવાના દસ્તાવેજ સોંપવા જણાવ્યું હતું તેમજ બ્રિજના રિપેરિંગ અને રિઓપનિંગમાં તેમની શું ભૂમિકા હતી તે અંગે પણ સવાલ કર્યા હતા.

આ ઘટનામાં મોરબી પોલીસે નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ઓરેવાના બે મેનેજર ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ અને ટિકિટબારીના ક્લાર્કનો સમાવેશ થાય છે. જોકે, ઓરેવાનો માલિક જયસુખ પટેલ હજુય ફરાર છે. પોલીસ તેને શોધવા માટે તેની અમદાવાદ તેમજ મોરબી સ્થિત ઓફિસ પર અનેકવાર ચક્કર લગાવી ચુકી છે, પરંતુ જયસુખ પટેલ હજુય હાથ નથી લાગ્યો. જયસુખ પટેલ રાજ્ય બહાર હોવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે પોલીસે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ઓરેવાના કર્મચારીઓની કોલ ડિટેઈલ્સ ચકાસવાનું પણ શરુ કર્યું છે.

November 3, 2022
world-cup-t20.png
1min409

ટી-20 વિશ્વ કપનો સુપર-12 રાઉન્ડનો ગ્રુપ-બેનો 3/11/22 ગુરુવારે પાકિસ્તાન અને દ. આફ્રિકા વચ્ચેનો એક નિર્ણાયક મેચ રમાશે. આ મેચ પાકિસ્તાન માટે કરો યા મરો સમાન છે. આફ્રિકા સામેની હારથી તે વિશ્વ કપની બહાર થઇ જશે જ્યારે જીત મળવાથી તેની થોડીઘણી આશા જીવંત રહેશે.

હાલ ગ્રુપ બેમાં ભારતીય ટીમ 6 પોઇન્ટ સાથે ટોચ પર છે. તેના પછી દ. આફ્રિકા બીજા સ્થાને પ પોઇન્ટ સાથે છે જ્યારે બાંગલાદેશના ખાતામાં 4, ઝિમ્બાબ્વેના ખાતામાં 3 અને પાકિસ્તાનના ખાતામાં માત્ર બે અંક છે. આથી તેની આમ તો સેમિ ફાઇનલની રાહ લગભગ અશક્ય સમાન બની ચૂકી છે. આફ્રિકા પછી પાકિસ્તાનને એક મેચ બાંગલાદેશ સામે રમવાનો રહે છે.

જો બન્ને મેચમાં તેને જીત મળે તો 6 પોઇન્ટ સુધી પહોંચી શકે છે. આ સામે આફ્રિકાને નેધરલેન્ડ સામે મેચ રમવાના છે. જેમાં તેની નિશ્ચિત જીત ગણી શકાય. આથી પાક. સામેની હાર છતાં તે અંતમાં 7 અંકે પહોંચી જશે. બીજી તરફ હાલ 6 પોઇન્ટ ધરાવતી ભારતીય ટીમ રવિવારે ઝિમ્બાબ્વે સામે રમશે. જે વર્લ્ડ કપનો સુપર-12 રાઉન્ડનો આખરી મેચ હશે. આ મેચના વિજયથી ભારતના ખાતામાં 8 પોઇન્ટ હશે. ભારતની રન રેટ ઘણી સારી છે. આથી પાક. માટે સેમિના દ્વાર લગભગ બંધ સમાન છે. આમ છતાં આફ્રિકા સામેનો તેનો મેચ ડૂ ઓર ડાઇ જેવો કહી શકાય.

November 2, 2022
world-cup-t20-1.png
1min477

ટીમ ઇન્ડિયા Dt.2/11/22 બુધવારે અહીં રમાનાર ગ્રુપ-બેના તેના લીગ મેચમાં બાંગલાદેશ વિરૂધ્ધ વિજય મેળવીને સેમિ ફાઇનલ ભણી આગેકૂચ કરવાના લક્ષ્ય સાથે મેદાને પડશે. ભારતીય ટીમના હાલ 3 મેચમાં 2 જીત અને 1 હારથી કુલ 4 પોઇન્ટ છે અને દ. આફ્રિકા પછી પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. બાંગલાદેશની ટીમની પણ ભારત સમાન જ સ્થિતિ છે, પણ તે નેટ રન રેટમાં પાછળ છે. આથી તે ત્રીજા સ્થાને છે. ભારતનો રન રેટ 0.844 અને શ્રીલંકાનો માઇનસ 1.પ33 છે. બાંગલાદેશની ટીમ ઉલટફેર કરવામાં માહિર છે, પણ આ મેચમાં ટીમ ઇન્ડિયા જીતની પ્રબળ દાવેદાર છે.

બંગલાદેશ સામેના મેચમાં ભારતીય ટીમ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ કેએલ રાહુલને ફરી ઓપનિંગમાં ઉતરાવનું પસંદ કરશે. જ્યારે અનફિટ દિનેશ કાર્તિકના સ્થાને ઋષભ પંતને તક મળી શકે છે અને તે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરશે તેવું માનવામાં આવે છે. કેએલ રાહુલ ટી-20 વિશ્વ કપમાં હજુ સુધી 3 મેચમાં 22 રન જ કરી શકયો છે. જો કે કોચ દ્રવિડ અને કપ્તાન શર્મા તેના પર પૂરો ભરોસો રાખે છે. બાંગલાદેશનું બોલિંગ આક્રમણ પ્રમાણમાં નબળુ છે આથી રાહુલ પાસે ફોર્મમાં વાપસી કરવાનો મોકો બની રહેશે.

બંગાલદેશના બોલિંગ આક્રમણમાં મુસ્તાફિઝૂર, તસકીન, મહેંદી હસન, હસન મહમૂદ અને કપ્તાન શકિબ છે, પણ નિશ્ચિત રીતે આ આક્રમણ વિશ્વસ્તરીય નથી. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી વિશ્વ કપમાં શાનદાર ઇનિંગો રમી ચૂકયા છે. આથી તેની સામે બાંગલાદેશની બોલિંગની કસોટી થશે. ભારતીય ટીમને કપ્તાન રોહિત શર્મા પાસેથી મોટી અને વિસ્ફોટક ઇનિંગની આશા રહેશે. પાછલા મેચમાં વિકેટકીપર કાર્તિક ઇજાગ્રસ્ત થયો હતો. આથી તેના સ્થાને પંતને મોકો મળી શકે છે. ભારતીય ટીમમાં દીપક હુડ્ડાના સ્થાને અક્ષર પટેલની વાપસી થઇ શકે છે. કારણ કે બાંગલાદેશની ટીમમાં 4 ડાબોડી બેટધર છે. આ મેચમાં પણ ભારત ઝડપી બોલર ત્રિપુટી ભુવનેશ્વર, અર્શદિપ અને શમી સાથે ઉતરવાનું પસંદ કરશે.
ટોસ જીતનાર ટીમ એડિલેડમાં પહેલા બેટિંગ પસંદ કરી શકે છે. કારણ કે એડિલેડમાં સંધ્યા ટાણે બોલ વધુ સ્વિંગ થાય છે. જેનો ફાયદો મળી શકે છે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 1-30થી શરૂ થશે.

October 31, 2022
modi-in-gujarat.jpeg
1min531

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે આજે તેનના પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની ભવ્ય પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જળ અર્પણ કરીને તેમને નમન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ વડાપ્રધાને કેવડિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ રાજ્યોના પોલીસ દળના જવાનોએ પરેડ કાઢી હતી જેનું પીએમ મોદીએ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ‘આરંભ 2022’માં તાલીમાર્થી પોલીસ અધિકારીઓને સંબોધિત કર્યા હતા.

આ ‘આરંભ’ કાર્યક્રમની ચોથું સંસ્કરણ હતું અને આ વર્ષની થીમ હતી- ‘અમૃત કાલમાં સુશાસનઃ ડિજિટલ ટેક્નોલોજી, ફાઉન્ડેશન ટુ ફ્રન્ટિયર્સ’. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પીએમ મોદીની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે 5 રાજ્યોના BSF અને પોલીસ દળોએ પરેડમાં ભાગ લીધો હતો. અંબાજીનું આદિવાસી બાળકોનું સંગીત બેન્ડ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ હતું. એક સમયે આ બેન્ડના સભ્યો અંબાજી મંદિરમાં ભીખ માગતા હતા. આ સિવાય પીએમ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 પ્રવાસન સ્થળો- મેઝ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.

2018માં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થયું ત્યારથી પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા કાર્યક્રમોની બરાબરી પર લાવ્યા છે. રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે ‘રન ફોર યુનિટી’નું આયોજન પણ કરવામાં આવે છે. 

October 31, 2022
morbi.png
1min1199

મોરબી ખાતે રવિવાર, Dated 30/10/22, સાંજે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 141 પર પહોંચી ગયો છે. મોરબીની ઘટનામાં જવાબદાર લોકો સામે સદોષ માણવવધની ફરિયાદ દાખલ થશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવું રાજ્ય સરકારે જણાવ્યું હતું.

આ દુર્ઘટનામાં કલમ 304, 308, 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાનું એક ટ્વીટ કરી જાહેર કર્યું હતું પણ આ ઘટનામાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો.

મોરબીની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે જેમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા.