CIA ALERT

Slider Archives - Page 477 of 488 - CIA Live

July 14, 2018
aurvedic.jpg
1min24820

ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે ભારતનું અગ્રણી રાજ્ય ગુજરાત હવે આયુર્વેદિક દવાઓના ઉત્પાદનમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિના વધતા વ્યાપ અને નિકાસની વિપુલ સંભાવનાઓના પગલે ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં નવા 164 યુનિટે લાઇસન્સ મેળવ્યાં છે અને રાજ્યમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતા 798 યુનિટ ધમધમે છે. ઉદ્યોગના મતે, બે વર્ષમાં આયુર્વેદિક દવાઓના ઉત્પાદન પ્લાન્ટ્સ માટે જ ₹800 કરોડથી વધારે રોકાણ થયું છે.

ગુજરાત રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)ના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજ્યમાં નવા તમામ ઉત્પાદન લાઇસન્સ માટે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (જીએમપી) સ્ટાન્ડર્ડ ફરજિયાત છે. છેલ્લાં બે વર્ષમાં જ રાજ્યમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતા 164 યુનિટોને લાઇસન્સ આપવામાં આવ્યા છે, જેમાંથી 78 યુનિટો પોતે ઉત્પાદન કરીને પ્રો઼ક્ટ્સ બજારમાં મૂકે છે જ્યારે 86 લોન લાઇસન્સ યુનિટો છે એટલે કે તેઓ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે.

આયુર્વેદિક દવાઓ માટે શિડ્યુલ-ટી ફરજિયાત છે અને દરેક યુનિટમાં લઘુત્તમ 1,100 વારનું બાંધકામ જરૂરી છે. રાજ્યની મોટી ફાર્મા કંપનીઓ પણ આયુર્વેદિક ડિવિઝન ઊભા કરી રહી છે અને બજારમાં પ્રોડક્ટ્સ મૂકી રહી છે. આયુર્વેદિક દવાઓના ઉત્પાદન માટે લાઇસન્સ આવશ્યક છે પરંતુ વેચાણ માટે લાઇસન્સની આવશ્યકતા નથી અને ગુજરાતમાં બનેલી પ્રોડક્ટ્સ કોઇપણ સ્થળે વેચી શકાય છે.
ગુજરાતમાં આયુર્વેદ માટેની જાગૃતિ વધી છે અને કેન્દ્ર સરકાર તરફથી સહકાર છે તેના કારણે રાજ્યમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્ર સરકારના આયુષ વિભાગ દ્વારા ઉત્પાદકોને વિવિધ પ્રકારની સબસિડી પણ આપવામાં આવે છે. સંશોધન, મશીનરી, ટેસ્ટિંગ લેબોરેટરી માટે પણ સબસિડી આપવામાં આવે છે. ઉપરાંત વિદેશમાં અને ભારતમાં આયુર્વેદના પ્રમોશનના એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે પણ સબસિડી મળે છે.”

આયુર્વેદમાં નિકાસની ઘણી સારી તક છે અને કોસ્મેટિક પ્રોડક્ટ્સની માંગ ભારતમાં તથા વિદેશમાં બહુ ઝડપથી વધી રહી છે તેથી સતત નવી કંપનીઓ આવી રહી છે. શિડ્યુલ-ટી જીએમપી ફરજિયાત હોવાથી એક યુનિટ સ્થાપવામાં સરેરાશ ₹5 કરોડનું રોકાણ થાય છે. રાજ્યમાં અમદાવાદ તથા આસપાસમાં ચાંગોદર અને સાંતેજ તથા પાલનપુર અને ઊંઝા ઉપરાંત અન્ય શહેરોમાં સતત નવા યુનિટ ચાલુ થઇ રહ્યા છે.

July 14, 2018
1min15860

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાએ અષાઢી બીજના સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. બાયડના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહે રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને ગુડબાય કરી દીધું છે. મહેન્દ્ર સિંહ વાઘેલાને ભાજપમાંથી લોકસભા ટિકિટ મળે તે નિશ્ચિત જણાઈ રહ્યું છે.

 

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે મહેન્દ્ર સિંહના ભાજપમાં જોડાવા માટેની ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. કમલમ ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે તેમને ભાજપને કેસરિયો ખેંસ પહેરાવી તેમને ભાજપમાં આવકાર્યા હતા.

મહેન્દ્રસિંહ અગાઉ બાયડ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા પણ રાજ્યસભાની ચૂંટણી વખતે તેમણે રાજીમાનું આપ્યું હતું. કોંગ્રેસના અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યોએ બળવો કર્યો તેમાં મહેન્દ્રસિંહ પણ સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથે ટિકિટના મામલે સમાધાન નહીં થતા મહેન્દ્રસિંહ ભાજપમાં નહોતા જોડાયા. હવે ભાજપે લોકસભા ચૂંટણીમાં વાઘેલાને ટિકિટ આપવાનું નક્કી કરતાં તે ભાજપમાં જોડાયા છે.

July 14, 2018
Atul_Abhyankar-R_.jpg
1min10020
સુરતના હૃદય રોગ નિષ્ણાંત ડૉ. અતુલ અભ્યંકરના સુરતના દર્દીઓના અભ્યાસ આધારિત લેખ ‘ઇન્ડિયન હાર્ટ જર્નલ’માં પ્રસ્તુત થયો છે. તેઓ સુરતના જ નહીં બલ્કે ભારતના ખ્યાતના હાર્ટ સ્પેશિયાલિસ્ટમાં સ્થાન પામે છે. ઇન્ડિયન હાર્ટ જર્નલમાં આર્ટિકલ પ્રકાશિત થવો એ ગૌરવવંતી બાબત છે અને સુરત માટે એટલા માટે વધુ ગૌરવ છે કેમકે તેમણે સુરતને કર્મભૂમિ બનાવી છે.

ઇન્ડિયન હાર્ટ જર્નલમાં સુરતના હૃદયરોગ નિષ્ણાંતનું સંશોધન પ્રકાશિત થયું

 

હૃદય રોગમાં આશીર્વાદ રૂપ નીવડતી પદ્ધતિ જેમકે ‘એન્જીઓપ્લાસ્ટી’ અને ‘સ્ટેન્ટ પ્રત્યારોપણનો સફળતા આંક માપવા માટે જે-તે દર્દીઓને લાંબા સમય સુધી ફોલો-અપ કરવા જરૂરી બને છે. તાજેતરમાં એક પ્રતિષ્ટિત નેશનલ જર્નલ ‘ઇન્ડિયન હાર્ટ જર્નલ’માં સુરતના અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ડૉ. અતુલ અભ્યંકરનું સંશોધન પ્રકાશિત થયું છે. જે મુજબ હૃદય રોગના દર્દીઓ પર થયેલી અન્જીઓપ્લાસ્ટી અને સ્ટેન્ટ વિષયક ઓપરેશનનો ડેટા ભેગો કરીને સંશોધન કરવામાં આવ્યું હતું. તેનું તારણ એવું આવ્યું કે ૮૭.૫ ટકા દર્દીઓને પહેલું સ્ટેન્ટ મૂક્યાના સાત વર્ષ પછી પણ હૃદયરોગનો હુમલો થયો નથી. તેમને ફરી એન્જિયોપ્લાસ્ટી કે સ્ટેન્ટ રોપણની જરૂર પણ પડી નથી.

ડોક્ટર અભ્યંકરે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય જર્નલોમાં પ્રકાશિત થયેલી વિગતોની સરખામણીએ આપણો ડેટા હાલ સૌથી સારો ગણી શકાય તેવો છે.

સૂરત માટે ગૌરવની વાત એ છે કે એ તમામ શસ્ત્રક્રિયાઓ સૂરતમાં જ, પ્રતિષ્ટિત હોસ્પિટલમાં, સુરતના જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડોક્ટર અતુલ અભ્યંકર દ્વારા સૂરતમાં જ નિર્માણ પામેલા સ્ટેન્ટ દ્વારા કરવામાં આવી હતી. ‘મેક ઇન ઇન્ડિયા’ની મુહિમ અંતર્ગત સૂરતમાં જ નિર્મિત ખાસ પ્રકારના ‘બાયોડીગ્રેડેબલ પોલિમર’ સ્ટેન્ટની સફળતાએ સુરતને હૃદયરોગની સારવાર ક્ષેત્રે અગ્રિમ હરોળમાં મૂકી દીધું છે.

July 14, 2018
hima4.jpg
1min7490

આસામ રાજ્યના ધીન્ગ નામના નાનકડા ગામના ડાંગરના ખેડૂત રણજિત દાસની પુત્રી 18 વર્ષની હિમા દાસે ગુરુવારે ફિનલૅન્ડમાં આઇએએએફ (ઇન્ટરનેશનલ ઍમેટર ઍથ્લેટિક્સ ફેડરેશન)ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મહિલાઓની અન્ડર-20ની 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે નવા ઇતિહાસનું સર્જન કર્યું હતું. તે વિશ્ર્વસ્તરની રનિંગની ટોચની હરીફાઈમાં સુવર્ણચંદ્રક જીતનારી ભારતની પ્રથમ મહિલા ઍથ્લેટ છે.

હિમા દાસે 400 મીટરનું અંતર 51.46 સેક્ધડમાં પૂરું કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે ફિનિશિંગ લાઇનથી થોડે દૂર હતી ત્યારે ચોથા નંબર પર હતી, પરંતુ 50 મીટર જેટલા છેલ્લા તબક્કામાં તે અત્યંત ઝડપથી દોડીને મોખરે થઈ ગઈ હતી અને પછી ગોલ્ડ મેડલ જીતી ગઈ હતી. રોમાનિયાની ઍન્ડ્રિયા મિકલોસ 52.07 સેક્ધડના ટાઇમિંગ સાથે સિલ્વર મેડલ અને અમેરિકાની ટેલર મૅન્સન 52.28ના ટાઇમિંગ સાથે બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

હિમા દાસે રેસ જીતી લીધા પછી તરત જ સામે ઊભેલા કોચ તથા ભારતીય પ્રેક્ષકો પાસે સેલિબ્રેશન માટે તિરંગો મગાવ્યો હતો. બીજી હરીફોની સરખામણીમાં હિમા ઓછી થાકેલી લાગતી હતી.

“ભારત એથ્લેટ હિમા દાસથી ખુશ અને ગર્વ કરે છે અને તેને અભિનંદન. તેની આ સિદ્ધિ રાષ્ટ્રના બીજા યુવા એથ્લેટોને આગામી વર્ષોમાં પ્રેરિત કરશે, એમ વડા પ્રધાને ટ્વિટર પર કહ્યું હતું.

રાષ્ટ્રપતિ કોવિંદે પણ હિમાની અજોડ સિદ્ધિની પ્રશંસા કરી હતી.

“વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતનો આ પ્રથમ ટ્રેક ગોલ્ડ મૅડલ છે અને તે આસામ તથા ભારત માટે ઘણી ગર્વભરી વાત છે, એમ તેમણે ટ્વિટર પર લખતા ઉમેયુર્ં હતું કે ઑલિમ્પિકનો મંચ હવે તેની રાહ જોઈ રહ્યો છે.

હિમા દાસ પર બૉલીવૂડ પણ ઓવારી ગયું છે. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન તેમ જ અક્ષયકુમારે તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલા વિરાટ કોહલીએ અને તેની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કાએ પણ હિમાને અભિનંદન પાઠવ્યા હતા.

July 14, 2018
rajkot1.jpg
1min8820

દક્ષિણ ગુજરાતમાં નદી-નાળા છલકાવ્યા બાદ મેઘરાજાએ શુક્રવારે પણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ તથા અમરેલી સહિત જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસાવતા જૂનાગઢના વિલિંગ્ડન સહિતના મોટા ભાગના ડેમ છલકાયા હતા. તેમ જ અમરેલીનો ધારવાડી ડેમ પણ છલકાયો હતો. બીજી બાજુ રાજકોટમાં આજી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાના ૧૫૭ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ ડાંગના વઘઇમાં ૮ ઇંચ વરસાદ પડ્યો હતો. ૨૯ તાલુકામાં ૪થી ૮ ઇંચ સુધીનો વરસાદ તેમ જ ૩૩ તાલુકામાં ૨થી ૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ૯૫ તાલુકામાં ૧થી ૨ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ ૨૬.૭૦ ટકા વરસાદ વરસ્યો છે. જોકે હજુ પણ રાજ્યના ૫ાંચ તાલુકા વરસાદવિહોણાં રહ્યા હતા.

ગુરુવાર બાદ શુક્રવારે સવારથી જ સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું હતું. વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢમાં ફરી વધુ ૩ ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. તેમ જ વિલિંગ્ડન ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જૂનાગઢમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત્ રહી છે. જૂનાગઢમાં રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં બીજા દિવસે ૩ ઇંચ વરસાદ પડી ગયો હતો. ગિરનાર જંગલમાં વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતા વિલિંગ્ડન ડેમમાં ૪ ફૂટ પાણી આવ્યું હતું, પરંતુ રાતે પડેલા ભારે વરસાદના કારણે સવાર સુધીમાં વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો. આ ઉપરાંત માળિયામાં સવારે ૨ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડી ગયો હતો. વિસાવદર, ભેંસાણમાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમ જ કોડીનાર ૮ ઇંચ, ગણદેવી ૭.૧૩ ઇંચ, ચિખલી ૭.૮ ઇંચ, વડિયા ૭.૪ ઇંચ, વાંસદા ૬.૧૪ ઇંચ, બગસરા ૬.૯ ઇંચ, જલાલપોર અને ખેરગામ ૬.૯ ઇંચ ખાબક્યો છે.

ગુરુવારે મોડી રાત્રે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્તા રાજકોટમાં આવેલી આજી નદીમાં પૂર આવ્યું હતું. જ્યારે રાજકોટમાં રામનાથ મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. રાજકોટ ઉપરાંત તેની આસપાસ ગોંડલ, જેતપુરમાં પણ ભારે વરસાદ છે. મોતીસર ડેમમાં નવા પાણીની આવક સાથે ડેમ ઓવરફલો થયો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં બે ડેમમાં પાણીની આવક થતા ગોંડલી અને વાછપરી ડેમમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. ભાડવા, ભાડુઇ, દેવળીયા ગામમાં વરસાદથી ગોંડલી ડેમમાં નવા નીર આવ્યા છે. રાજપરા, નારણકા, નવાગામમાં વરસાદથી વાછપરી ડેમ પણ છલકાયો છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેને પગલે રાજ્યનાં ૧૦૦ ગામો સંપર્કવિહોણા થઈ ગયાં છે. અત્યાર સુધી વરસાદથી કુલ ૨૨ના મોત થયાં છે. અત્યાર સુધીમાં ૧૧૮૩ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૮૮થી વધુ પશુઓનાં મોત થયા છે. ભારે વરસાદને પગલે તાપીમાં ૧ નેશનલ અને નવસારી-ડાંગમાં ત્રણ સ્ટેટ હાઈ-વે સહિત રાજ્યના ૧૫૪ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ છે. સૌરાષ્ટ્રના ૧૩ ગામમાં વીજપુરવઠો ખોરવાયો છે. અતિ ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બચાવ કામગીરીમાં કુલ ૧૫ ટીમ કાર્યરત છે. જ્યારે વડોદરા ખાતે ૪ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે.

July 14, 2018
bdb.jpg
1min11370

ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)માં ચાલતા આશરે 2000 કરોડ રૂપિયાના મની લૉન્ડરિંગના રૅકેટનો ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ પર્દાફાશ કર્યો હતો અને આ સંબંધે ચાર વ્યક્તિની ધરપકડ કરી હતી, એમ એક અધિકારીએ માહિતી આપી હતી. ડીઆરઆઇને તાજેતરમાં ટિપ મળી હતી , જેના આધારે તેમણે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં આવેલા બીડીબીમાં છટકું ગોઠવ્યું હતું અને 156 કરોડ રૂપિયાની જાહેર કિંમત ધરાવતા નિમ્ન કક્ષાના રફ ડાયમંડના ક્ધસાઇન્મેન્ટને આંતર્યું હતું. આ હીરાની પુન:આંકણીમાં તેની કિંમત 1.2 કરોડ રૂપિયા જ જાણવા મળી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ હીરા ઊતરતી અને હલકી કક્ષાના હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે હોંગકોંગ અને દુબઇમાંથી નિકાસકારો સાથે સાંઠગાઠ કરીને રફ ડાયમંડ્સ આયાત કરવામાં આવે છે અને તેને ઊંચી કિંમતે ખરીદવામાં આવ્યા તેમ પેપર પર બતાવવામાં આવે છે.

આ સંદર્ભે ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. દસેક લાખ રૂપિયાની રોકડ, 2.2 કરોડ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક બુક્સ, આધાર કાર્ડ અને પૅન કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. ચારે ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ ડાયમંડ વેલ્યુઅર્સની પેનલના સભ્યોની સાઠગાઠથી આવા કાળાધોળા કરતા હતા.

ડાયમંડ બુર્સના આગેવાનોએ જણાવ્યું કે ઉદ્યોગ ઘણો નાનો છે. લોકો એકબીજાને સારી રીતે ઓળખતા હોય છે. ધરપકડ કરાયેલા વેલ્યુઅર્સ વિશે અમે ક્યારેય સાંભળ્યું જ નથી અને તેઓ કેવી રીતે વેલ્યુએશન કરતા હતા તેની પણ અમને જાણ નથી. આ બહુ નવાઇની વાત છે. જોકે એકાદ બે દિવસમાં આ આખી બાબત સ્પષ્ટ થઇ જશે. અમને તપાસકર્તા એજન્સી અને સરકાર પર પૂરો વિશ્ર્વાસ છે,’ એમ તેમણે જણાવ્યું હતું.

ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે આવા બનાવો રોકવા માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સરકારને વેલ્યુઅર્સ માટે એકમાત્ર અપ્રુવિંગ એજન્સી બનવા જણાવી રહી છે.

July 14, 2018
thermo3.jpg
1min10990

મહારાષ્ટ્રના આગામી ગણપતિના તહેવાર દરમિયાન થર્મોકોલ અને તેની બનાવટની ડેકોરેશન આયટમ પરનો પ્રતિબંધ હળવો કરવાનો હાઇ કોર્ટે ઇનકાર કર્યો હતો.

ન્યાયમૂર્તિ અભય ઑક અને ન્યાયમૂર્તિ રિયાઝ ચાગલાની ખંડપીઠે થર્મોકોલ ફેબ્રિકેટર એન્ડ ડેકોરેશન એસોસિયેશનનો થર્મોકોલ પરનો પ્રતિબંધ ફક્ત આ વર્ષ માટે હળવો કરવા હાઇ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણી હતી. પ્લાસ્ટિક અને થર્મોકોલના ઉત્પાદન અને વપરાશ પર રાજ્યમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે થર્મોકોલની વસ્તુઓને બજારમાં વેચવા માટે મંજૂરી નહીં આપવામાં આવે તો એસોસિયેશનના સભ્યોને ઘણું નુક્સાન થશે. થર્મોકોલનો નિકાલ પણ તેઓ જ કરશે એવી એસોસિયેશને કોર્ટમાં રજૂઆત પણ કરી હતી.

રાજ્ય સરકારે એસોસિયેશનની અરજીનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતુું કે સરકારે 23 જૂન સુધીમાં પ્લાસ્ટિક અને થર્મોકોલની સામગ્રીનો નિકાલ કરવા જણાવ્યું હતું અને ત્યાર બાદ તેના ઉત્પાદન અને વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં પણ એસોસિયેશને તેમની પાસેની વસ્તુઓનો નિકાલ નથી કર્યો અને તેઓ હવે પ્રતિબંધ હળવો કરવા માગ કરી રહ્યા છે.

સરકારની દલીલોને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. રોજનો 1200 ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે અને તેના વૈજ્ઞાનિક રીતે નિકાલની કોઇ વ્યવસ્થા કે આયોજન નથી. પ્લાસ્ટિકની પર્યાવરણ પર થતી માઠી અસરોને નજરઅંદાજ કરી શકાય નહીં, એમ હાઇ કોર્ટે નોંધ્યું હતું.

ગણપતિનો તહેવાર પતી ગયા બાદ લોકો પાસેથી થર્મોકોલની વસ્તુઓ પાછી લઇ લેવામાં આવશે અને તેનો નિકાલ કરી દેવામાં આવશે, એવી એસોસિયેશનની દલીલ સ્વીકારવાનો પણ કોર્ટે ઇનકાર કરી દીધો હતો. થર્મોકોલની સુશોભનની આઇટમોમાં વર્ષાનુવર્ષ વધારો જ થતો જાય છે. આ વર્ષના માર્ચ મહિનામાં રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડી પ્લાસ્ટિક અને થર્મોકોલની વસ્તુઓના ઉત્પાદન, વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સરકારના આ પ્રતિબંધને હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં હાઇ કોર્ટે આ નોટિફિકેશન પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો હતો. નોટિફિકેશનમાં પ્લાસ્ટિક અને થર્મોકોલની વસ્તુઓનો નિકાલ કરવા 23 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

જે કોઇ આ પ્રતિબંધનો ભંગ કરશે તેમને દંડ કરવામાં આવશે અને વારંવાર ભંગ કરનારાઓને જેલની સજા કરવામાં આવશે.

July 14, 2018
rath3.jpg
1min8510

અષાઢ સુદ બીજના રોજ ગજ કેસરી યોગ અને પવિત્ર પુષ્ય નક્ષત્રમાં ગુજરાતની સૌથી મોટી રથયાત્રા, અમદાવાદ જમાલુપર મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાનો હર્ષોલ્લાસ સાથે રંગેચંગે પ્રારંભ થયો. સવારના ભગવાનની મંગળાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રના નેત્રો ખોલવામાં આવ્યા હતા. રજવાડી વાઘા અને સાજા શણગાર સાથે સવારે છ વાગ્યાથી ભગવાનને રથમાં આરૂઢ કરાયા હતા ત્યારદમાં સાત કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી.

યુનેસ્કો દ્વારા અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના ધ્યાનમાં રાખીને આ વર્ષે 141મી રથયાત્રાની થીમ હેરિટજ રખાઈ છે. જેમાં ગુજરાતી-કાઠિયાવાડી થીમ પર  ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના અનેક હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે.
આ સાથે ભગવાન જગ્ગનાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામે રજવાડી વેશ ધારણ કર્યા છે. જેમાં ભગવાને મોરપીંછ રંગના વાઘા ધારણ કર્યા છે. ભગવાન જગન્નાથજી મથુરા-બનારસથી લવાયેલા રજવાડી વસ્ત્રોમાં રાજા-મહારાજાના વેશમાં પાઘડી સાથે સજ્જ થઈને નગરચર્યાએ નીકળી લોકોના ખબર-અંતર પૂછશે. જેમાં 18 શણગારેલાં ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રકો, અંગ-કસરતનાં નિદર્શન કરાવતા 30 અખાડા, 18 ભજનમંડળીઓ અને 3 બેન્ડવાજા પણ સામેલ છે.
આજે રથયાત્રાના અવસર પર બે લાખ ઉપરણાનો પ્રસાદ વહેંચાશે. જેમાં ભાવિકોને 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચાશે. ભગવાનને જે વિશિષ્ટ ભોગ ધરાવાશે તેમાં 2500 કિલો ચોખા, 600 કિલો દાળ, 1400 કિલો ડ્રાયફ્રૂટ અને 151 ડબા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રથયાત્રાનો રૂટ
સવારે 7 વાગ્યે નિજ મંદિરથી રથયાત્રાનો આરંભ
સવારે 9 વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન
સવારે 9.45 વાગ્યે રાયપુર ચકલા
સવારે 10.30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા
સવારે 11.15 વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે 12 વાગ્યે સરસપુર
બપોરે 1.30 વાગ્યે સરસપુરથી પરત
બપોરે 2 વાગ્યે કાલુપુર સર્કલ
બપોરે 2.30 વાગ્યે પ્રેમદરવાજા
બપોરે 3.15 વાગ્યે દિલ્હી ચકલા
બપોરે 3.45 વાગ્યે શાહપુર દરવાજા
સાંજે 4.30 વાગ્યે આર.સી. હાઇસ્કૂલ
સાંજે 5 વાગ્યે ઘીકાંટા
સાંજે 5.45 વાગ્યે પાનકોર નાકા
સાંજે 6.30 વાગ્યે માણેક ચોક
રાત્રે 8.30 વાગ્યે નિજ મંદિરે પરત
July 13, 2018
gaya2.jpg
1min6400

પોતાનો રાજકીય હેતુ સાધવા હિંદુ અને મુસ્લિમોના મનમાં વેર વધારતા ભારતમાં હિંદુ-મુસ્લિમ ભાઇચારાના ઉદાહરણ તરીકે બિહારના ગયા જિલ્લામાં આવેલા બુધપુર ગામમાં મુસ્લિમોએ પોતાના હિંદુ બાંધવો માટે નાણાં ભેગાં કરીને મંદિર બાંધી આપ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પોતાના દેવતા માટે બિહારના ગયા જિલ્લાના બુધપુર ગામના હિંદુઓ મંદિર બાંધી નથી શકતા અને ભગવાનનું નામ લખેલા પાણાની પૂજા કરતા હોવાની વાત ગામનાં મુસ્લિમોના ધ્યાનમાં આવી હતી. ગામના એક રહેવાસી મોહંમદ અઝહરુદ્દીને જણાવ્યું હતું કે મંદિરના અભાવે અમારા હિંદુ ભાઇઓ પૂજાપાઠ કરવામાં તકલીફ અનુભવતા હતા અને માટે અમે નાણાં ભેગાં કરીને એમને માટે મંદિર બાંધવાનું નક્કી કર્યું હતું. બધાએ મળીને ત્રણ લાખ રૂપિયા ભેગાં કર્યાં હતાં અને એક મુસ્લિમ બાંધવે મંદિર બાંધવા માટે પોતાનો જમીનનો ટુકડો પણ દાનમાં આપ્યો હતો.

એક જમાનામાં નક્સલવાદીઓ અને માઓવાદીઓનું ઠેકાણું ગણાતા આ ગામમાં આજે મુસ્લિમોની બહુમતી છે અને અહીંના રહેવાસીઓ ગર્વથી કહે છે કે બંને કોમ હંમેશ હળીમળીને રહી છે તથા એકબીજાના તહેવારોમાં ભાગ પણ લે છે.

July 13, 2018
carlile.jpg
1min6160

બ્રિટિશ સાંસદ અને બંગલાદેશના ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલેદા ઝીયાના વકીલ લોર્ડ એલેકઝાંડર કાર્લાઇલ યોગ્ય વીઝા ન હોવાના કારણસર ભારતમાં પ્રવેશ નકારાયા બાદ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એ ભારત-બંગલાદેશના સંબંધો બગાડવાનો પ્રયત્ન કરતો હતો. અત્યાર સુધી આપણને એવા જ ન્યુઝ મળતા હતા કે ફલાણા ઇન્ડિયનને  ફલાણા એરપોર્ટ પરથી ભારત પાછો રવાના કરી દેવાયો. પહેલી વખત એવા સમાચાર મળ્યા કે ભારતે અંગ્રેજ સાંસદ એલેકઝાંડર કાર્લાઇલને દિલ્હી એરપોર્ટ પરથી પાછો મોકલી આપ્યો હતો.

ગૃહ મંત્રાલયના અધિકારીએ પણ જણાવ્યું હતું કે કાર્લાઇલ પત્રકાર પરિષદ સંબોધીને રાજકારણ કરવા માગતો હતો, જે વીઝાના નિયમની વિરુદ્ધ છે.


કાર્લાઇલને તા.11 જુલાઇને બુધવારે રાતે નવી દિલ્હી હવાઇમથકેથી યુકે પાછો રવાના કરાયો હતો. એણે યુકેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે બાંગલાદેશની સરકારના દબાણ હેઠળ એને ભારતમાં પ્રવેશ નકારાયો હતો. ભારત સરકારે એના વીઝા નકારવા માટે ખરું કારણ ન આપ્યું હોવાનો દાવો પણ એણે કર્યો હતો.

દિલ્હીમાં એ જે નિવેદન આપવાનો હતો એ એણે જાહેર કરતા જણાવ્યું હતું કે ઝીયા સામેના આરોપ રાજકીય પ્રેરિત હતા અને એ માટેના કોઇ પૂરાવા નથી.

આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું હતું કે એ અહીં જે કરવા માગતો હતો, એ વાત વીઝામાં જણાવેલ કારણ સાથે મેળ નહોતી ખાતી. એણે જે નિવેદન આપ્યું છે એ પરથી તમે સમજી જશો કે એ શા કારણસર અહીં આવવા માગતો હતો, એના વીઝા પર વ્યાપારી કારણ દર્શાવાયું હતું.