ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રે ભારતનું અગ્રણી રાજ્ય ગુજરાત હવે આયુર્વેદિક દવાઓના ઉત્પાદનમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિના વધતા વ્યાપ અને નિકાસની વિપુલ સંભાવનાઓના પગલે ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં નવા 164 યુનિટે લાઇસન્સ મેળવ્યાં છે અને રાજ્યમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતા 798 યુનિટ ધમધમે છે. ઉદ્યોગના મતે, બે વર્ષમાં આયુર્વેદિક દવાઓના ઉત્પાદન પ્લાન્ટ્સ માટે જ ₹800 કરોડથી વધારે રોકાણ થયું છે.

ગુજરાત રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)ના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજ્યમાં નવા તમામ ઉત્પાદન લાઇસન્સ માટે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (જીએમપી) સ્ટાન્ડર્ડ ફરજિયાત છે. છેલ્લાં બે વર્ષમાં જ રાજ્યમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતા 164 યુનિટોને લાઇસન્સ આપવામાં આવ્યા છે, જેમાંથી 78 યુનિટો પોતે ઉત્પાદન કરીને પ્રો઼ક્ટ્સ બજારમાં મૂકે છે જ્યારે 86 લોન લાઇસન્સ યુનિટો છે એટલે કે તેઓ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે.

આયુર્વેદિક દવાઓ માટે શિડ્યુલ-ટી ફરજિયાત છે અને દરેક યુનિટમાં લઘુત્તમ 1,100 વારનું બાંધકામ જરૂરી છે. રાજ્યની મોટી ફાર્મા કંપનીઓ પણ આયુર્વેદિક ડિવિઝન ઊભા કરી રહી છે અને બજારમાં પ્રોડક્ટ્સ મૂકી રહી છે. આયુર્વેદિક દવાઓના ઉત્પાદન માટે લાઇસન્સ આવશ્યક છે પરંતુ વેચાણ માટે લાઇસન્સની આવશ્યકતા નથી અને ગુજરાતમાં બનેલી પ્રોડક્ટ્સ કોઇપણ સ્થળે વેચી શકાય છે.
ગુજરાતમાં આયુર્વેદ માટેની જાગૃતિ વધી છે અને કેન્દ્ર સરકાર તરફથી સહકાર છે તેના કારણે રાજ્યમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્ર સરકારના આયુષ વિભાગ દ્વારા ઉત્પાદકોને વિવિધ પ્રકારની સબસિડી પણ આપવામાં આવે છે. સંશોધન, મશીનરી, ટેસ્ટિંગ લેબોરેટરી માટે પણ સબસિડી આપવામાં આવે છે. ઉપરાંત વિદેશમાં અને ભારતમાં આયુર્વેદના પ્રમોશનના એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે પણ સબસિડી મળે છે.”
આયુર્વેદમાં નિકાસની ઘણી સારી તક છે અને કોસ્મેટિક પ્રોડક્ટ્સની માંગ ભારતમાં તથા વિદેશમાં બહુ ઝડપથી વધી રહી છે તેથી સતત નવી કંપનીઓ આવી રહી છે. શિડ્યુલ-ટી જીએમપી ફરજિયાત હોવાથી એક યુનિટ સ્થાપવામાં સરેરાશ ₹5 કરોડનું રોકાણ થાય છે. રાજ્યમાં અમદાવાદ તથા આસપાસમાં ચાંગોદર અને સાંતેજ તથા પાલનપુર અને ઊંઝા ઉપરાંત અન્ય શહેરોમાં સતત નવા યુનિટ ચાલુ થઇ રહ્યા છે.









દક્ષિણ ગુજરાતમાં નદી-નાળા છલકાવ્યા બાદ મેઘરાજાએ શુક્રવારે પણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ તથા અમરેલી સહિત જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસાવતા જૂનાગઢના વિલિંગ્ડન સહિતના મોટા ભાગના ડેમ છલકાયા હતા. તેમ જ અમરેલીનો ધારવાડી ડેમ પણ છલકાયો હતો. બીજી બાજુ રાજકોટમાં આજી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાના ૧૫૭ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ ડાંગના વઘઇમાં ૮ ઇંચ વરસાદ પડ્યો હતો. ૨૯ તાલુકામાં ૪થી ૮ ઇંચ સુધીનો વરસાદ તેમ જ ૩૩ તાલુકામાં ૨થી ૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ૯૫ તાલુકામાં ૧થી ૨ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ ૨૬.૭૦ ટકા વરસાદ વરસ્યો છે. જોકે હજુ પણ રાજ્યના ૫ાંચ તાલુકા વરસાદવિહોણાં રહ્યા હતા.










