CIA ALERT

Slider Archives - Page 424 of 491 - CIA Live

November 19, 2018
mahiti2.jpg
1min6780
  • ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત ઉપક્રમે ‘‘ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો’’ વિષય પર સેમિનાર યોજાયોઃ
  • મીડિયા સમાજના સંદેશાવાહક, ચોકીદાર અને શિક્ષકની ત્રિવિધ ભૂમિકા ભજવી રહ્યું છે: સામાજિક અગ્રણી કાનજીભાઈ ભાલાળા
  • ડીજીટલ મીડિયાના યુગમાં આજે પણ અખબારોની વિશ્વસનીયતા ટકી રહી છેઃ નિવૃત્ત સંયુકત માહિતી નિયામક
  • અનેક પડકારો વચ્ચે સમાજના વૈચારિક વિકાસ માટે ઝઝુમતા પત્રકારો સમાજને દિશા દર્શન કરવાની સરાહનીય ફરજ બજાવે છેઃ ભાવસિંહ રાઠવા
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત ઉપક્રમે પ્રેસ-ડેની ઉજવણીના ભાગરૂપે ‘‘ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો’’ વિષય પર પ્રિન્ટ/ઈલેકટ્રોનિકસ અને ડીજીટલ મીડિયાના તંત્રીશ્રી/પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ચેમ્બર કોમર્સના સમૃધ્ધિ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો.
              આ પ્રસંગે સામાજિક અગ્રણી અને વરાછા બેન્કના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાએ મીડિયા સામેના પડકારો વિષે વિસ્તૃત અને રસપ્રદ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, માનવ જીવન પડકારો અને સંઘર્ષોનો સરવાળો છે. લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા મીડિયા જગતમાં પડકારોની ભરમાર છે.  સમયની સાથે લોકમાનસ, લોકાભિગમ અને મીડિયાની કાર્યશૈલીમાં નિરંતર પરિવર્તન આવતું રહ્યું છે. ૧૫મી ઓગસ્ટ આઝાદી અને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે રાષ્ટ્રીય ચેતનાનું પર્વ છે, એ જ રીતે નેશનલ પ્રેસ ડે મીડિયા ક્ષેત્રનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું અને આવનારા પડકારો સામે સુસજ્જ બનવાની પ્રેરણા આપતું પર્વ હોવાનું શ્રી ભાલાળાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સમાજજીવનને ધબકતું રાખવા, લોકસમસ્યાઓનો પડઘો પાડવા મીડિયાના પ્રહરીઓ પારિવારિક અને સામાજિક જીવનની કુરબાની આપે છે. ડીજીટલ વેબ અને સોશ્યલ મીડિયાના જમાનામાં આજે પણ એક વર્ગ એવો છે જેમની સવાર અખબાર વાંચ્યા પછી જ પડતી હોય છે. જ્યાં સુધી માનવીનું અસ્તિત્વ છે, ત્યાં સુધી  અખબારોને કોઈ ઊની આંચ નહિ આવે એમ તેમણે દ્રઢતાથી જણાવ્યું હતું.
સમાજના અભિન્ન અંગ એવા અખબારોનો વિકલ્પ મળવો મુશ્કેલ છે એમ જણાવી તેમણે પત્રકાર એ સમાજનો સંદેશવાહક, ચોકીદાર હોવા સાથે જ એક શિક્ષકની ભૂમિકા પણ ભજવી રહ્યો છે, ત્યારે પત્રકારે લોકમાનસનું ઘડતર કરવાની જવાબદારી નિભાવવી પડશે. પોતાની શ્રેષ્ઠ શક્તિઓના ઉપયોગ વડે હાથ પર લીધેલા કાર્યને દીપાવવું જોઈએ. કર્તવ્યનું પાલન કરવું એ જ સાચો ધર્મ છે એ સૂત્રને આત્મસાત કરી પત્રકારે જનહિતને સર્વોપરી ગણી અખબારી ધર્મ નિભાવવો જોઈએ એમ ઉમેર્યું હતું.
         શ્રી ભાલાળાએ વાંચન ખુબ જરૂરી હોવાનું જણાવી કહ્યું કે, પત્રકાર એક ઉત્તમ વાંચક હોવો જોઈએ, અને બહોળું વાંચન જ તેના લખાણમાં ઊંડાણ જન્માવે છે. સમાજના વિવિધ વર્ગોના વિચારો, અભિપ્રાયોને, વર્તમાન સામાજિક-રાજનૈતિક પ્રણાલીને નિષ્પક્ષતાથી રજૂ કરતા મીડિયા માટે ધાર્મિક સંસ્થાઓ અથવા રાજકીય શક્તિઓ તરફથી ભય ઊભો થઇ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. માહિતી વિસ્ફોટના આ યુગમાં સાચા અને અર્થપૂર્ણ સમાચારોથી લોકોને વાકેફ કરી લોકમાનસનું ઘડતર કરવાની દિશામાં પત્રકારોએ આગળ પડતી ભૂમિકા ભજવવી પડશે. મીડિયા પાસે અભિવ્યક્તિની તાકાત છે, પરંતુ દરેક અધિકાર અને પાવર સાથે વિશેષ જવાબદારીઓ પણ જોડાયેલી હોય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જરૂરી છે, તે સાથે સ્વતંત્રતાનો મર્યાદાપૂર્વકનો ઉપયોગ પણ જરૂરી છે એમ તેમણે જણાવી ઉપસ્થિત સૌ મીડિયાકર્મીઓને પ્રેસ દિનની શુભકામનાઓ પાઠવી હતી.
               નિવૃત સંયુકત માહિતી નિયામકશ્રી સેસિલ ક્રિસ્ટીએ જણાવ્યું હતું કે, ડીજીટલ યુગમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડિયા સામે અનેક પડકારો રહેલા છે. ડીજીટલ મીડિયામાં સમાચારની સત્યતાનો અભાવ વર્તાય છે તેની સામે અખબાર વાંચવાથી જ સમાચારની વિશ્વનિયતતા નક્કી થાય છે. આમ અખબારોએ પોતાની વિશ્વસનીયતા ટકાવી રાખવી પડશે. ડીજીટલ યુગમાં પોલિટીકલ પાર્ટીઓ રોજે રોજ એક બીજાની તરફેણ- વિરૂધ્ધમાં સમાચારોનું પ્રસારણ કરતા હોય છે. લોકોને સનસનાટી ભર્યા સમાચારો ગમે છે જેને સોશ્યલ અને ડીજીટલ મીડિયા પોષે છે પરંતુ કોઈપણ ન્યુઝની સત્યતાની ચકાસણી કરીને ત્યાર બાદ જ રજુ કરવામાં આવે તે જરૂરી છે.
આ વેળાએ પ્રશ્નોત્તરી કરતા શ્રી કાનજીભાઈ ભાલાળા અને શ્રી સેસિલ ક્રિસ્ટીએ ઉપસ્થિત તંત્રીશ્રી- પત્રકારોએ ફેક ન્યુઝ, અખબારી મૂલ્યો, પત્રકારની સજ્જતા, સોશ્યલ મીડિયાના પ્રભાવ પર પૂછેલા પ્રશ્નોના માહિતીપ્રદ ઉત્તરો આપ્યા હતા.
           આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકશ્રી ભાવસિંહ રાઠવાએ પ્રેસ કાઉન્સિલની ભૂમિકા આપી હતી. શ્રી રાઠવાએ ઉપસ્થિત તંત્રી/પ્રતિનિધિશ્રીઓને આવકારતાં કહ્યું કે, પ્રેસ કાઉન્સિલ સમાજને ઉપયોગી અને સાચી હકીકત ઉજાગર કરતા પત્રકારોને પ્રેરણા આપવાનું કાર્ય સુપેરે નિભાવી સમાજના જાગૃત પ્રહરી, નીડર મીડિયાના હિતોનું રક્ષણ કરવાની ભૂમિકા અદા કરે છે. અનેક પડકારો વચ્ચે સમાજના વૈચારિક વિકાસ માટે ઝઝૂમતાં પત્રકારો પોતાની ફરજ અહર્નિશ બજાવી સમાજનું દિશાદર્શન કરવાની સરાહનીય ફરજ બજાવી રહ્યા હોવાનું શ્રી રાઠવાએ જણાવ્યું હતું.
       સ્વાગત પ્રવચન નાયબ માહિતી નિયામકશ્રી એમ.એસ.વળવી તથા આભારવિધિ સહાયક માહિતી નિયામકશ્રી આર.આર.તડવીએ આટોપી હતી.
સેમિનારનું રસાળ શૈલીમાં સંચાલન કરતા ચિત્રલેખાના યુવા પત્રકારશ્રી ફૈસલ બકીલીએ જણાવ્યું કે, ડીજીટલ યુગના પ્લેટફોર્મના ઉપયોગ સાથે મીડીયા જગતમાં હરીફાઇ વધવાની સાથે તેની સામે પડકાર પર એટલા જ ઊભા થયા છે, જેથી સમાચારની સત્યતા જાળવવી એટલી જ કપરી બની રહી છે. જેથી ડીજીટલ યુગમાં કોઈ પણ અખબાર કે ન્યુઝ ચેનલ માટે વિશ્વનીયતા સૌથી અગત્યની છે. અને વિવેકભાન સાથે સમાજને આયનો બતાવવાનું કાર્ય થાય તે જરૂરી છે હોવાનું જણાવ્યું હતું. સમગ્ર સેમિનારનું સફળ આયોજન માટે સહાયક માહિતી નિયામકશ્રી સહાયક માહિતી નિયામકશ્રી ઉમેશ બાવીશા, માહિતી મદદનીશશ્રી મહેન્દ્ર વેકરીયા, સહાયક અધિક્ષકશ્રી અક્ષય દેસાઈ, શ્રી પરેશ ટાપણીયાએ જહેમત ઉઠાવી હતી.
               ઉલ્લેખનીય છે કે, અખબારી જગત સાથે સંકળાયેલી સંસ્થા “પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા” ની ૧૬મી નવેમ્બર,૧૯૫૬ ના દિવસે સ્થાપના થઇ હતી. પ્રેસ કાઉન્સીલના જન્મ દિવસને પ્રત્યેક વર્ષ સંભારણારૂપે ઉજવવા અને મીડિયાની સમાજમાં સંનિષ્ઠ લોકપ્રહરીની ભૂમિકાથી સમાજને અવગત કરાવવા માટે વર્ષ ૧૯૯૭માં ૧૬મી નવેમ્બરને નેશનલ પ્રેસ ડે રૂપે ઉજવવાનો નિર્ણય લેવાયો અને ત્યારથી સમગ્ર ભારતમાં આ દિવસની પ્રેસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.
November 19, 2018
paas.jpg
1min7890

આજરોજ તા.19મી નવેમ્બર 2018ના રોજ અમદાવાદ ખાતેની પલાસિયો હોટેલમાં બપોરે 3 વાગ્યાના અરસામાં પાસની એક મિટીંગ યોજવામાં આવી હતી. જોકે, આ હોટેલમાં પાસના નેતાઓ જેવા કે દિનેશ બાંભણીયા, નિખિલ સવાણી, દિલીપ સાબવા વગેરે ઉપસ્થિત હતા અને મિટીંગ શરૂ થાય એ પહેલા જ હોટેલ સંચાલકોએ ઇલેક્ટ્રીસિટી બંધ કરી દેતા મિટીંગ વિખેરી નાંખવાની ફરજ પડી હતી. હોટેલ માલિકો સાથે પાસના કાર્યકર્તાઓએ જીભાજોડી કરીને ઘર્ષણ કરવાનો પ્રયાસ કરતા હોટેલ માલિકોએ પોલીસ બોલાવવી પડી હતી. હોટેલ માલિકોએ પત્રકારોને જણાવ્યું હતું કે પાસના નેતાઓએ સ્નેહ મિલનના નામે જુઠ્ઠું બોલીને હોલ બુક કરાવ્યો હતો.

આ મિટીંગમાં લગભગ 150થી વધુ પાસ કન્વીનરો, આગેવાનો સમગ્ર ગુજરાતભરમાંથી આવ્યા હોવાની માહિતી પાસ આગેવાનોએ આપી હતી.

(પ્રતિકાત્મક તસ્વીર)

હોટેલમાં રૂપિયા ભરીને સ્થળ ફાઇનલ કર્યું હોવા છતાં પાસ, એસપીજી સમેતના આંદોલનકારી સંસ્થાઓના આગેવાનોની મિટીંગ ફિક્સ થઇ હતી પરંતુ, રાજ્ય સરકારના દબાણ હેઠળ હોટેલ સંચાલકોએ વીજળી ગુલ કરી દીધી હોવાનો આક્ષેપ દિનેશ બાંભણીયા તેમજ અન્યોએ કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પાસના નેતાઓ, કાર્યકર્તાઓ, અગ્રણીઓ, કન્વીનરોએ મિટીંગ અને મિટીંગ પછી યોજાનારી પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરી દેવાની ફરજ પડી હતી.

પાસ અગ્રણી નરેન્દ્રભાઇએ પત્રકારોને જણાવ્યું હતું કે પાટીદાર સમાજ માટે લડત ચલાવી રહેલી તમામ સંસ્થાઓના આગેવાનો જ્યારે સંગઠિત થવાના એજન્ડા પર મળવાના હતા, તેમાં સરકારે હવનમાં હાડકા નાંખ્યા છે. પણ આ મિટીંગ ટૂંક સમયમાં કોઇ ખેતરમાં કે ખુલ્લી જગ્યાએ રાખીશું. સરકાર કોઇ કાળે મિટીંગ વિખેરી શકશે નહીં.

હોટેલના માલિકે જણાવ્યું કે ફક્ત 20-25 વ્યક્તિઓના ગેટ ટુ ગેધર ના નામે હોટેલ બુક કરાવવામાં આવી હતી. અમે તેમને રાજકારણ કે વિવાદિત મુદ્દા પર મિટીંગ નહીં કરવા જણાવ્યું હતું જોકે, પાછળથી ખબર પડી કે પાસના રાજકારણ માટે હોટેલ બુક કરાવવામાં આવી હોવાથી અમારે ના પાડવી પડી હતી. પાસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવતા અમારે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

November 19, 2018
aiims_mbbs_2019.png
1min7640

નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ AIMS સમેત દેશભરમાં અન્ય 14 શહેરોમાં વિકસાવાયેલી AIMS મેડીકલ કોલેજોમાં ચાલતા MBBS અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા AIMS 2019 માટેના રજિસ્ટ્રેશન તા.30મી નવેમ્બર 2018થી શરૂ કરવા અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ધો.12 બાયોલોજી વિષય સાથે હાલમાં ભણી રહેલા દેશભરના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે લાયક છે.

એઇમ્સ 2019 પ્રવેશ પરીક્ષા માટે તા.25 અને તા.26મી મે, 2019 મુકરર કરવામાં આવી છે.

એઇમ્સ પ્રવેશ પરીક્ષા 2019ના રજિસ્ટ્રેશન 30 નવેમ્બરથી 3 જાન્યુઆરી 2019 સુધી ચાલશે. જે વિદ્યાર્થીઓ હાલમાં ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન માટે લાયક છે.

વધુ માહિતી ઉપરોક્ત જાહેરાત પરથી અગર તો એઇમ્સની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકાશે.

November 19, 2018
smimer-1280x523.jpg
1min6210

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલની 5 નંબરની લિફ્ટમાં ગઇ રાત્રે એક સગર્ભા મહિલા સમેત 6 લોકો ફસાઇ જતા ભારે બૂમાબૂમ થઇ ગઇ હતી. એક તબક્કે કંઇ મોટી ઘટના બન્યાની શંકાએ લોકોમાં ગભરાટ મચી ગયો હતો. મોડી રાત્રે સ્મીમેરની લિફ્ટમાં લગભગ પોણો કલાક જેટલા સમય તમામ ફસાયેલા રહ્યા હતા. ફાયર બ્રિગેડે સગર્ભા મહિલા સમેત અન્ય 1 પેશન્ટ અને 108ના 3 કર્મચારીઓ તેમજ એક દર્દીના સગા એમ ફસાયેલા 6 લોકોને હેમખેમ બહાર કાઢ્યા ત્યારે તમામને જીવ હેઠો બેઠો હતો. સગર્ભા મહિલાને સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવી હતી.

ઘટનાનો ભોગ બનેલી વ્યક્તિએ માહિતી આપતા કહ્યું હતું કે રવિવારે રાત્રે 11.30 વાગ્યાના સુમારે વડોદ-પાંડેસરાથી પ્રસૂતાને એડમિટ કરવા અંગેનો ફોન આવ્યો હતો . વર્ષાદેવી શર્માને પૂરા માસની પીડા ઉપડતા તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા, જ્યાં તેમને 5 નંબરની લિફ્ટમાં ઉપર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે જ અચાનક જ લિફ્ટ બંધ થઈ ગઈ હતી. પ્રારંભમાં થોડી મિનિટો સુધી લિફ્ટ પૂર્વવત ન થતાં તમામ ગભરાયા હતા, જોત જોતામાં તો 50 મિનિટ સુધી લોકો લિફ્ટમાં ફસાયેલા રહ્યા હતા. છેવટે મદદ માટે ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો અને તેમના જવાનો હોસ્પિટલ પહોંચ્યા હતા. તે પછી બધાને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

 

November 18, 2018
trupti_desai.jpg
1min6080
  • કોચી ઍરપોર્ટ પર ભારે વિરોધને કારણે મુંબઈ પરત પહોંચેલા મહિલા સામાજિક ચળવળકાર તૃપ્તિ દેસાઈ સામે ભારે દેખાવો થયા
  • પોલીસે ગુપચુપ બીજા દરવાજેથી કાઢીને પુણે મોકલાવી દીધી
  • પૂણે ખાતે પણ તેમના ઘર સામે થયું આંદોલન
  • ભાજપ અને RSS ભાડેથી માણસોને લાવીને વિરોધ કરાવી રહ્યાં હોવાનો તેનો ગંભીર આરોપ
  • જાનનું જોખમ હોવાથી પોલીસ-પ્રોટેક્શનની માગણી કરશે

trupti desai

સુપ્રીમ ર્કોટે કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરથી પ્રતિબંધ હટાવી લીધો હોવા છતાં મહિલાઓને દર્શન માટે પ્રવેશ મળતો ન હોવાથી મહિલાઓના અધિકાર માટે સતત લડતી અને ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઈ સબરીમાલામાં દર્શન માટે સાતેક મહિલાઓ સાથે મહારાષ્ટ્રથી કેરળ ગયા હતા. જોકે કોચી ઍરપોર્ટ પર જ નહીં મુંબઈ ઍરપોર્ટ અને પુણે ખાતે આવેલા તેના ઘર સામે પણ સખત વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં.

ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ પર ક્યારે પણ હુમલો કે પછી જીવ લઈ લેવામાં આવશે એવી શક્યતા હોવાનું લાગતાં તે પોલીસ-પ્રોટેકશનની માગણી કરવામાં આવશે છે. જોકે આટલા સખત વિરોધ બાદ પણ ગુપચુપ રીતે ફરી સબરીમાલા દર્શન માટે ભૂમાતા બ્રિગેડની ટીમ જશે એવો પણ મક્કમ નિર્ણય તૃપ્તિ દેસાઇએ કર્યો છે.

પત્રકારો સાથે વાત કરતા ભૂમાતા બ્રિગેડની અધ્યક્ષ તૃપ્તિ દેસાઈએ જણાવ્યું હતું કે ‘અમે સબરીમાલા દર્શને જઈ રહ્યાં હોવાનું જાહેર થતાં બધે વિરોધ-પ્રદર્શન કરવાનું શરૂ થઈ ગયું હતું. એથી અમે મુંબઈથી કોચી ઍરપોર્ટ શુક્રવારે પહોંચ્યાં ત્યારે કોચી ઍરપોર્ટની બહાર મોટી સંખ્યામાં વિરોધ-પ્રદર્શન કરનારાઓ પહોંચી ગયા હતા. સુરક્ષાનો કડક બંદોબસ્ત પોલીસે ક્ર્યો હતો, પરંતુ પોલીસે અમને સમજાવ્યું કે અમે તમને સુરક્ષા આપીને લઈ પણ જઈશું તો અહીં હિંસાનું વાતાવરણ ઊભું થઈ શકે છે અને તમારા પર હુમલો થઈ શકે એમ છે. અમે ૨-૩ ટૅક્સી બુક કરાવી હતી, પણ વિરોધ કરનારાઓએ તેમને ડરાવીને ધમકાવ્યા હતા કે આ લોકો અંદર બેસશે તો તેમની ટૅક્સી પર હુમલો કરીને તોડી નાખવામાં આવશે અને અંદર બેસેલી મહિલાઓ પર પણ હુમલો કરવામાં આવશે એટલું જ નહીં, અમે હોટેલમાં રોકાવા માટે હોટેલવાળાઓને ફોન કરતાં તેમણે પણ અમને કહ્યું કે વિરોધ કરનારાઓએ અમને ચીમકી આપી છે કે અહીં તમને રોકાવા આપીશું તો હોટેલમાં તોડફોડ કરવામાં આવશે. અમે ઍરપોર્ટની બહાર નીકળવાની કોશિશ કરી તો લોકોએ હંગામો શરૂ કરી દીધો હતો. ભાજપ અને RSSએ મોકલેલા ભાડાના લોકો ઝંડા લઈને એમાં દેખાઈ રહ્યા હતા. કેરળમાં ગ્થ્ભ્ને સત્તા જોઈતી હોવાથી આ વિરોધ કરાવીને એને વોટબૅન્કમાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે.’

ટૂંકમાં તૃપ્તિ દેસાઇએ કહ્યું અમે ગુપચુપ રીતે સબરીમાલા દર્શન કરવા પહોંચી જવાનાં છીએ, પણ આ વખતે અમે ક્યારે અને કેવી રીતે જઈશું એ જાહેર કરવાનાં નથી.

November 18, 2018
punjab-1.jpg
1min4770

આતંકી હુમલાની આશંકાને લઈ સમગ્ર પંજાબમાં હાઈએલર્ટની સ્થિતિ વચ્ચે આજે સવારે પોણા અગિયારના સુમારે અમૃતસરના નિરંકારી ભવન ખાતે ચાલી રહેલા સત્સંગ દરમિયાન બાઇક પર આવેલા બે હુમલાખોરો એ એક ગ્રેનેડ ફેંકીને હુમલો કરી નાસી ગયા હતા. અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ ફેંકાવાની ઘટનામાં ઘટના સ્થળે જ ત્રણ સત્સંગીઓના મોત નિપજ્યા હતા. એટલું જ નહીં હુમલાખોરોએ ગ્રેનેડ ફેંક્યા બાદ ફાયરિંગ પણ કર્યું. મળતી માહિતી પ્રમાણે સવારે 11 વાગ્યાની આસપાસ બે બાઈક સવારો નિરંકારી ભવનમાં આવ્યા, જેમણે પહેલા ગ્રેનેડ ફેંક્યો અને પછી ફાયરિંગ કર્યું અને ફરાર થઈ ગયા હતા.

હાલ ફોરેન્સિક ટીમ સહિત પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટનામાં વિદેશી કટ્ટરપંથી સંગઠનોનો હાથ હોવાની સંભાવના સેવાય રહી છે. આ હુમલા પછી રાજધાની દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે. હુમલો કોણે કરાવ્યો, શા માટે થયો તેની કોઈ માહિતી હજી સામે નથી આવી.  પરંતુ કેટલાક દિવસોથી સુરક્ષા એજન્સીઓએ પંજાબમાં આતંકી હુમલાની ઘટનાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે સમગ્ર રાજ્યમાં એલર્ટ છે.

ગુપ્તચર એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓ કરનારા જાકિર મૂસા ફિરોઝપુર આવ્યો હતો. ગુપ્તચર એજન્સી પાસે તેવા ઈનપુટ છે કે જાકિર મુસા ગ્રુપના 7 આતંકીઓ ફિરોઝપુર આવ્યાં હતા. આ આતંકીઓ અમૃતસરમાં પણ જોવા મળ્યાં હતા.

November 18, 2018
girnar.jpg
1min6570

ગિરનારની લીલી પરિક્રમા આદી અનાદી કાળથી થાય છે. વર્ષો પહેલા ગિરનારની પરિક્રમા યાત્રાળુઓ 4 દિવસે પૂર્ણ કરતા અને પરિક્રમા દરમિયાન જંગલમાં ચાર રાત્રિ ગાળતા, અને બાદ પરિક્રમા પૂર્ણ કરી દામોદર કુંડમાં સ્નાન કરતા. પરંતુ હાલ પરિક્રમા ઝડપથી પૂર્ણ થઈ જાય છે. 

સોમવાર, તા 19 નવેમ્બર 2018 થી શરૂ થઇ રહેલી સૌરાષ્ટ્રમાં પવિત્ર મનાતી ગિરનારની પરિક્રમા આ વખતે ગિરનારની તળેટીથી લઇને પર્વત માર્ગ પર પ્લાસ્ટીક ફ્રી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓ તેમની સાથે પ્લાસ્ટીકની બેગની જગ્યાએ કાગળની થેલીઓ લઇ જાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવશે. દર વર્ષ કરતા આ વર્ષે ગિરનારની પરિક્રમા કરનારાઓની સંખ્યા વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવાય રહી છે.

આવનારાઓની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા તા 18 થી 24 દરમ્યાન વધારાની ટ્રેનો તેમ જ હાલ દોડતી અને જૂનાગઢથી ઉપડતી તેમ જ આવતી ટ્રેનોમાં વધારાના કોચ લગાડાયા છે. જ્યારે એસ.ટી.તંત્રે 40 ઉપરાંત વધુ બસો દોડાવી છે. દરમિયાન ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન જંગલ પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે વિવિધ સંસ્થાઓ પરિક્રમા રૂટ ઉપર યાત્રિકોને કાગળની થેલીઓનું વિતરણ કરનાર છે. જેમાં પ્રકૃતિ મિત્ર મંડળ, બોલબાલા ટ્રસ્ટ, સિનિયર સિટીઝન મંડળ, નેચર નિસર્ગ કલબ અને બાબા મિત્ર મંડળનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓના સભ્યો, જંગલમાં કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક ન જાય તેની ખાસ તકેદારી રાખશે.

કારતક સુદ અગિયારસથી ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. પરિક્રમા કરવા માટે ભાવિકો જીવના જોખમે ટ્રેનના ડબ્બા પર બેસી જૂનાગઢ આવી રહ્યા છે. ટ્રેનના ડબ્બા પરથી સેલ્ફી લેવા જતા એક યુવાન નીચે પટકાયો હતો અને તેને માથાના ભાગે ઇજા પહોંચી હતી.

ગિરનારની લીલી પરિક્રમા માટે લોકોના ટોળેટાળાં જૂનાગઢ આવી રહ્યા છે. એસટી બસો અને ટ્રેનોમાં ચિક્કાર ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ટ્રેનના ડબ્બા પર ચડી લોકો જૂનાગઢ આવી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા લોકોને નીચે ઉતારવા મહેનત કરી પરંતુ લોકો માન્યા નહિ. જોખમી સવારીમાં ઊનાના હરમડિયા પાસે ડબ્બા પર એક યુવાન સેલ્ફીના ચક્કરમાં નીચે પટકાયો હતો. આથી તેને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.

  • ગિરનારની લીલી પરિક્રમા માટે લોકોના ટોળેટાળાં જૂનાગઢમાં ઠલવાયા
  • ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન હાઉસફૂલ, લોકો ડબ્બા પર ચડી ગયા, સેંકડો લોકો જીવના જોખમે મુસાફરી
  • ભવનાથ અને પરિક્રમા રૂટ પર 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા
  • 32 જેટલી ધર્મશાળા, 2200 પોલીસ, 45 રાવટી, 26 સીસીટીવી, 390 એસટી બસ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી

એસ.ટી. વિભાગે પણ બસોની સંખ્યા વધારી છતાં ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. ભવનાથ અને પરિક્રમા રૂટ પર 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ભાવિકો પ્રસાદનો લાભ લઈ લીલી પરિક્રમા પૂર્ણ કરશે. તેમજ 32 જેટલી ધર્મશાળા, 2200 પોલીસ, 45 રાવટી, 26 સીસીટીવી, 390 એસટી બસ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આજે લીલી પરિક્રમા કરવા માટે 2 લાખ ભાવિકો જૂનાગઢ પહોંચી ગયા હતા અને ઘણા બધા પદયાત્રીઓએ લીલી પરિક્રમાનો પ્રારંભ પણ કરી દીધો છે.

જૂનાગઢની લીલી પરિક્રમાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જૂનાગઢ જતી ટ્રેનમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ટ્રેનના એન્જિન ઉપર તેમજ ડબ્બા ઉપર ચડીને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે. ધારી રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા જ હાઉસફૂલ હોવાથી લોકો ડબ્બા પર ચડી ગયા હતા. સેંકડો લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે છતાં તંત્રના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે.

ગિરનારની લીલી પરિક્રમા આદી અનાદી કાળથી થાય છે. વર્ષો પહેલા ગિરનારની પરિક્રમા યાત્રાળુઓ 4 દિવસે પૂર્ણ કરતા અને પરિક્રમા દરમિયાન જંગલમાં ચાર રાત્રિ ગાળતા, અને બાદ પરિક્રમા પૂર્ણ કરી દામોદર કુંડમાં સ્નાન કરતા. પરંતુ હાલ પરિક્રમા ઝડપથી પૂર્ણ થઈ જાય છે.

પરિક્રમા કરવા આવતા લોકો એક દિવસમાં જ જંગલની બહાર નીકળી જાય છે. રાત્રિ રોકાણ તો ભાગ્યે જ કરે છે. તેમજ પહેલા પરિક્રમા દરમિયાન ભોજન પણ જંગલમાં બનાવતા હવે ગણ્યા ગાંઠ્યા લોકો જ રસોઈ બનાવે છે.

November 18, 2018
government_gujarat.jpg
1min4860
  • 45 તાલુકા માટે 1300 કરોડનું વિશેષ પેકેજ
  • તાલુકા દીઠ 28થી 30 કરોડની સહાય
  • વિશેષ પેકેજથી 10 લાખ ખેડૂતોને લાભ થશે
  • 250થી 300 મી.મી. વરસાદવાળા 14 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 6300 રૂપિયા સહાય
  • 350થી 400 મી.મી. વરસાદવાળા 19 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 5400 રૂપિયા સહાય
  • આર્થિક મદદ સીધી ખેડૂતોના બૅંક ખાતામાં જમા થશે

 

રાજ્ય સરકારે 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ અન્ય તાલુકાના ખેડૂતોએ પણ સરકાર પાસે મદદ માગી હતી ત્યારે રાજ્ય સરકારે 51 તાલુકા ઉપરાંત અન્ય બીજા 45 તાલુકા માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર વધુ 45 તાલુકાને આર્થિક મદદ કરશે.

400 મિલીમિટરથી ઓછા વરસાદવાળા વધુ 45 તાલુકાને મદદ કરાશે. 250થી 300 મી.મી. વરસાદવાળા 14 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 6300 રૂપિયા સહાય કરાશે. જ્યારે 350થી 400 મી.મી. વરસાદવાળા 19 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 5400 રૂપિયા સહાય કરવામા આવશે. નવા ખાસ પેકેજ અંતર્ગત વધુમાં વધુ બે હેક્ટર સુધી લાભ મળશે. બે હેક્ટરથી વધુ જમીન ધારકોને લાભ મળશે નહીં. સરકારે આ 45 તાલુકા માટે 1300 કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે. તાલુકા દીઠ 28થી 30 કરોડની સહાય કરવામાં આવશે. આ વિશેષ પેકેજ આજથી જ લાગુ પડશે. ખેડૂતો આજથી જ નોંધણી કરાવી શકશે. જેમાં એક વખત જ લાભ મળી શકશે જ્યારે અછતગ્રસ્ત 51 તાલુકાઓને 1લી ડિસેમ્બરથી જુન માસ સુધી લાભ મળશે. આમ રાજ્યમાં કુલ મધ્યમ અને ઓછા વરસાદવાળા 96 તાલુકાને સહાય કરાશે. આર્થિક મદદ સીધી ખેડૂતોના બૅંક ખાતામાં જમા થશે.

મુખ્ય પ્રધાને તમામ કામને મંજૂરી આપી દીધી છે. વધુ 45 તાલુકામાં ધોરાજી, બેચરાજી, ઉપલેટા, ધારી, ચુડા, વઢવાણ, લાઠી, મહેસાણા, કડી, પાદરા,જસદણ, સાણંદ, વડનગર, દાંતીવાડા, ગાંધીનગર, અમીરગઢ, ટંકારા, સિદ્ધપુર, બાબરા, ધોરાજી, લાલપુર, ઉમરાળા, ગોંડલ, આમોદ, કલોલ સહિતના તાલુકાનો સમાવેશ થાય છે. આ વિશેષ પેકેજથી 10 લાખ ખેડૂતોને લાભ થશે.

November 17, 2018
piracy.jpg
1min6040

પાયરેટેડ સામગ્રી પીરસનારી 203 વૅબસાઈટ એક વર્ષમાં બંધ કરી હોવાનું મહારાષ્ટ્ર ડિજિટલ ક્રાઈમ યુનિટે જણાવ્યું હતું. આ યુનિટ એક વર્ષથી સાયબર પોલીસ સાતે કામ કરે છે. આ વૅબસાઈટ ગેરકાનૂની રીતે ટીવી પ્રોગ્રામ, ફિલ્મ, સંગીત, સોફ્ટવૅર અને ગૅમ્સ બતાવતી હતી અને લગભગ 16 કરોડ ઉપભોક્તા દર મહિને તેને જોતા હતા. આ યુનિટ આખા એશિયામાં એક માત્ર એવી એજન્સી છે જેમાં મનોરંજન જગત અને રાજ્ય સરકાર સાથે કામ કરી બૌદ્ધિક સંપત્તિની રક્ષા કરી રહ્યા છે. આ વૅબસાઈટ ખોટું સોફ્ટવેર વાપરી ઉપભોક્તાઓના ડેટા ચોરી કરતા હતા અને અમુક પોર્નોગ્રાફિક સામગ્રી પણ દર્શાવતા હતા. આ માટે યુનિટે ડૉમેન રજિસ્ટ્રાર, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર અને સરકારી એજન્સીઓ સાથે તો વાત કરી જ હતી, પરંતુ આ સાથે એડ્વર્ટાઈઝર, બ્રાન્ડમાલિકો, પેમેન્ટ ગેટ વૅ આપતી કંપનીઓ સાથે પણ વાત કરી હતી અને આ પોર્ટલનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. એક આંકડા અનુસાર ભારતીય મીડિયા અને મનોરંજન જગત દર વર્ષે પાયરસીને લીધે રૂ. 30,000થી 50,000 કરોડનું નુકસાન વેઠે છે. જ્યારે પણ કોઈ મોટી ફિલ્મ રિલીઝ થાય ત્યારે તે મિનિટોમાં વેબસાઈટ પર જોવા મળે છે.

November 17, 2018
vib.jpg
1min4980

રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં રોકાણ આકર્ષવા માટેના ફોરેન રોડ-શો બાદ હવે ડોમેસ્ટિક રોડ-શો શરૂ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે તા.16મી નવેમ્બર 2018ના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં નવી દિલ્હીમાં રોડ-શો યોજીને અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં રોડ શો યોજ્યા બાદ ઉદ્યોગકારો સાથે બેઠક પણ યોજશે.

નવી દિલ્હી ઉપરાંત મુંબઈમાં રોડ-શો યોજાશે જેમાં રાજ્યના નાયબ વડાપ્રધાન નીતિન પટેલ હાજરી આપશે. ત્યાર બાદ અન્ય શહેરો જેવા કે બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ અને પૂણે જેવાં શહેરોમાં યોજાનારા રોડ-શોમાં ઉદ્યોગપતિઓ સમક્ષ ગુજરાતમાં વિવિધ સેક્ટરમાં રોકાણની તકો અંગે વિગતે રજૂઆત કરાશે. રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભ પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ રોડ-શોની આગેવાની કરીને રોકાણને આકર્ષશે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણી દિલ્હીમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2019ની વિશેષતાઓ અંગે રોડ-શો અને વેપાર-ઉદ્યોગ અગ્રણીઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજશે. તેઓ વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો સાથે પણ બેઠકો પણ યોજશે. વાઇબ્રન્ટ ગુજરાત-2019નો આ કર્ટન રેઝર કાર્યક્રમ હશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીની હોટેલ તાજ પેલેસમાં તા.16મી નવેમ્બર 2018ની સવારે 9થી 1 દરમ્યાન ઉદ્યોગ-વેપારજગતના વરિષ્ઠ સંચાલકો અને અગ્રણીઓ સાથે વાઇબ્રન્ટ સમિટ-2019 સંદર્ભે બેઠકો યોજી હતી. તેઓ વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથોસાથ વૈશ્વિક ફલક પર બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે ગુજરાતની ઊભરી રહેલી પ્રતિભા સંદર્ભમાં આ ઉદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શો અને વન-ટુ-વન બેઠક યોજી હતી. મુખ્યમંત્રી વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ અંગે માહિતગાર કર્યા હતા.

આ બેઠકોમાં ભારત સરકારના વિદેશ, ઉદ્યોગ તથા અન્ય મંત્રાલયોના વરિષ્ઠ સચિવો મુખ્ય સચિવ ડો. જેએન સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ એમકે દાસ, સચિવ અશ્વિનીકુમાર, ઉદ્યોગ કમિશનર મમતા વર્મા અને ગુજરાત સરકારના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.