CIA ALERT

Slider Archives - Page 378 of 487 - CIA Live

April 2, 2019
morbi.jpg
1min16890

મોરબીમાં 16 સિરામિક કંપની દ્વારા 17.76 કરોડની કર ચોરી, બી ડિવિઝન પોલીસે મોરબીની 16 સીરામીક કંપનીના માલિકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી : રાજકોટ વાણિજય વેરા વિભાગ દ્વારા ફરિયાદ !

મોરબીમાં 16 સીરામીક કંપનીઓને ટેક્સ ચોરીથી બચવા ખોટી વેપારી પેઢી બનાવીને કરોડોની ટેકચોરી કરવાનું ભારે પડયું હતું.16 સીરામીક કંપનીઓએ વેરો ન ભરવો પડે તે માટે ખોટી વેપારી પેઢી ઉભી કરી તેનું ઇમેઇલ આઈડી બનાવી તેના આધારે રૂ.98.93 કરોડની ટાઇલ્સ બરોબર વેચી નાખી હતી. જો કે જીએસટી વિભાગની તપાસમાં રૂ.17.76 કરોડની ટેક્સ ચોરી થઈ હોવાનું બહાર આવતા આ મામલે 16 સીરામીક કંપનીઓ સામે ઠગાઈની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર રાજકોટના વાણિજ્ય વેરા વિભાગના અધિકારી વિનોદભાઈ મગનભાઈ મકવાણાએ મોરબીની સીરામીક કંપની રાજન ટાઇલ્સ, લેરિકસ સીરામીક, ઓમકાર સીરામીક, વિનસેલ સીરામીક, હેસ્ટન સીરામીક, ડેલફાઇન સીરામીક, લેવોર્ડ સીરામીક, વિલિયમ્સ સીરામીક, વોલગોસ સીરામીક, કલાસીસ સીરામીક, કુમકુમ સીરામીક, સેલોની સીરામીક, સેમ્સ સીરામીક, ક્રિષ્ના સીરામીક, કેરોન સીરામીક, મોસ્કો સીરામીક એમ મળીને કુલ 16 સીરામીક કંપનીઓના માલિકો સામે રૂ.17.76 કરોડની ટેક્સ ચોરી કરીને છેતરપીંડી કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ 16 સીરામીક કંપનીના માલિકોએ વેરો ન ભરવો પડે તે માટે કાવતરું રચી ખોટી સીરામીક પેઢી બનાવી હતી.
ખોટી સીરામીક પેઢીના આધારે તે પેઢીના નામનું ખોટું ઇમેઇલ આઈડી બનાવ્યું હતું અને આ ઈમેલ મારફતે પોતાના ડોક્યુમેન્ટ તથા ફોટોગ્રાફ અપલોડ કરી મોરબીના સેવાસદન ખાતે વાણિજ્ય વેરા વિભાગની કચેરીમાંથી જી.એસ.ટી.નો નંબર મેળવી લીધો હતો.
જીએસટીના નંબરના આધારે આરોપીઓ કુલ 3852 ઇવે બિલ જનરેટ કરાવી નાખ્યા હતા.આથી વેરા વિભાગના અન્ય અધિકારી બી.પી.ત્રિવેદીએ આ બાબતની તપાસ કરતા 16 સીરામીક કંપનીઓએ વેરાથી બચવા ખોટા પુરાવાના આધારે રૂ.98.93 કરોડની ટાઇલ્સ બારોબર વેચીને એસ.જી.એસ.ટી. અને યુ.જી. એસ.ટીના રૂ.17.76 કરોડ નહિ ભરપાઈ કરીને ઠગાઈ કર્યાનું બહાર આવ્યું હતું .બી ડિવિઝન પોલીસે મોરબીની 16 સીરામીક કંપનીના માલિકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
April 1, 2019
rcb.jpg
1min8200
સનરાઇઝર્સ હૈદરાબાદનો કોહલીસેના સામે 118 રને ઝમકદાર વિજય
હૈદરાબાદ: 20 ઓવર 2/ 231 બેંગ્લોર: 19.5 ઓવર 113 બેયરસ્ટો (114) અને વોર્નર (100*) વચ્ચે પહેલી વિકેટમાં
185 રનની વિક્રમી ભાગીદારી: નબીની 11 રનમાં 4 વિકેટ
હૈદરાબાદ તા.31: પ્લેયર ઓફ ધ મેચ જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નરના રન સૈલાબમાં આરબીસીની કોહલીસેના તણાઇ ગઇ હતી. બેયરસ્ટો (114) અને વોર્નર (અણનમ 100)ની સદીથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઇપીએલના આજના પહેલા મેચમાં 20 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 231 રનનો જંગી જુમલો ખડકયો હતો. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હૈદરાબાદની બોલિંગ સામે ઘૂંટણિયે પડીને ટીમ 19.3 ઓવરમાં 113 રનમાં જ ડૂલ થઇ ગઇ હતી. આથી સનરાઇઝર્સનો 118 રને ઝમકદાર વિજય નોંધાયો હતો. સતત ત્રીજી હારથી સિતારા ખેલાડીઓથી સજજ આરસીબીની ટીમ પોઇન્ટ ટેબલ પર તળિયે ધકેલાઇ ગઇ છે. જયારે સનરાઇઝર્સ ટોચ પર પહોંચી છે.
232 રનના પહાડ જેવા વિજય લક્ષ્યાંક સામે આરસીબીના તમામ ટોચના બેટધરો હૈદરાબાદની સ્પિન અને પેસ જોડી નબી અને શર્મા સામે પાર્થિવ (11), હેટમાયર (9), સુકાની કોહલી (3), ડિ’વિલિયર્સ (1), મોઇન અલી (2) નિષ્ફળ રહયા હતા. સૌથી વધુ 37 રન ગ્રેંડહોમે કર્યાં હતા. નવોદિત પ્રયાસ બર્મને 19 રન બનાવ્યા હતા. અફઘાન સ્પિનર મોહમ્મદ નબીએ ચાર ઓવરમાં માત્ર 11 રન આપીને 4 વિકેટ લીધી હતી. જયારે સંદિપ શર્માને 19 રનમાં 3 વિકેટ મળી હતી. આરસીબીએ 3પ રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.
આ પહેલા આરસીબીના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને દાવ આપવાની ભુલ કરી હતી. સનરાઇઝર્સના ઇન ફોર્મ બન્ને ઓપનર ઇંગ્લેન્ડના જોની બેયરસ્ટો અને ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધમાંથી વાપસી કરનાર ડેવિડ વોર્નરે બેંગ્લોરના બોલરોનો કચ્ચરઘાણ કાઢીને ધસમસતી સદી ફટકારી હતી. બેયરસ્ટો-વોર્નરના રન સૈલાબમાં આરસીબીના તમામ બોલરો તણાઇ ગયા હતા. આથી સનરાઇઝર્સ હૈદરાબાદે તેનો આઇપીએલનો સૌથી મોટી સ્કોર બે વિકેટે 231 રન ખડકયો હતો.
બેયરસ્ટોએ તેની આઇપીએલ કેરિયરની પહેલી સદી ફટકારી હતી. તેણે માત્ર પ6 દડામાં 12 ચોકકા અને 7 છકકાથી આતશી 114 રનની ઇનિંગ રમી હતી. તો ઇન ફોર્મ કાંગારૂ ફટકાબાજ ડેવિડ વોર્નર પપ દડામાં પ ચોકકા અને પ છકકાથી 100 રને અણનમ રહયો હતો. બેયરસ્ટો અને વોર્નર વચ્ચે પહેલી વિકેટમાં 98 દડામાં 18પ રનની આક્રમક અને વિક્રમી ભાગીદારી થઇ હતી.
વોર્નર અને બેયરસ્ટોની ફટકાબાજીથી કોહલીસેનાની બોલિંગ-ફિલ્ડીંગ છિન્નભિન્ન થઇ હતી. આરસીબીને એકમાત્ર સફળતા ચહલને મળી હતી. તેણે બેયરસ્ટોને 114 રને ઉમેશના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. વિજય શંકર 9 રને રનઆઉટ થયો હતો. પઠાણ 6 રને નોટઆઉટ રહયો હતો.
April 1, 2019
mohan_kundaria.jpg
1min6030
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે જ રાજકોટના વર્તમાન સાંસદ અને આગામી લોકસભા માટે ભાજપના રીપીટ ઉમેદવાર એવા મોહન કુંડારીયાનો પાક વીમાના મુદ્દે પૂછાયેલા પ્રશ્ન સબબનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પાક વીમાનો પ્રશ્ન પૂછાતા સાંસદ ખુરશી પરથી ઉભા થઈને જતા રહેતા હોવાનું દેખાય છે. આ વિડીયોએ અનેક ચર્ચા જગાવી છે ત્યારે તે વિડીયો ચાર વર્ષ જુનો હોવાનું સાંસદ કુંડારીયા જણાવી રહ્યા છે.
વિડીયોમાં જણાઈ રહ્યું છે કે એક યુવક સાંસદને કપાસ સહિત પાક વીમા મુદ્દે પ્રશ્ન કરે છે ત્યારે કુંડારીયા કહે છે કે આ અંગે ગુજરાત સરકારને રજૂઆત કરો. પાક વીમો આપવાની જવાબદારી સરકારની છે, તમારા ધારાસભ્યની આ જવાબદારી છે. સાંસદના આ જવાબથી નારાજ થઈને યુવક કહે છે કે ‘આ તમારી રીત છે જવાબ આપવાની ?’ જેથી સાંસદ કહે છે કે ‘તમે ગાંડા કરવા આવ્યા છો. હું માણસનો ચહેરો જોઈને કહી દઉં. તમારા બોલવા પરથી જ મને ખબર પડી જાય. તમારી વાત કરવાની થીયરી જ ખોટી  હતી.’ આ વાતચીત બાદ મોહન કુંડારીયા ખુરશી પરથી ઉભા થઈને ત્યાંથી જતા રહે છે.
મોહન કુંડારીયા કહે છે વિડીયો ચાર વર્ષ જૂનો છે
સાંસદ મોહન કુંડારીયાએ વાત કરતા જણાવ્યું હતું કે ‘એ વિડીઓ ચાર વર્ષ જુનો છે. વાંકાનેરના કલાવડી નજીક પ્રતાપગઢનો છે. અમે યાત્રા લઈને ત્યાં ગયા હતા. અત્યારે કોંગ્રેસ પાસે મારી વિરુઘ્ધ કોઈ મુદ્દા નથી એટલે નેગેટીવ પ્રચાર કરે છે.’ નોંધનીય છે કે ચૂંટણીના સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીઓએ ખાસ્સી ચર્ચા જગાવી છે.
April 1, 2019
tapti-1.jpg
1min10740

તાપ્તી ગંગા એક્સપ્રેસના ચાર યાત્રિક ઘવાયા, જાનહાની ટળી :

બિહારમાં બે માસમાં બીજી ટ્રેન દુર્ઘટનાબિહારમાં બે મહિનામાં બીજી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. બિહારના છપરામાં આજે સવારે 9 વાગ્યા આસપાસ રેલ અકસ્માત સર્જાયો હતો. છપરા-બલિયા નજીક તાપ્તી ગંગા એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર યાત્રિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. અકસ્માતના બનાવને પગલે રેલ્વે દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ.

બિહારના હાજીપુરમાં ગત તા.3 ફેબ્રુઆરીએ આનંદવિહાર- રાધિકાપુર સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં સાત યાત્રીઓના મૃત્યુ નીપજ્યા હતા અને ઘણાને નાની-મોટી ઇજા પહોચી હતી. આજે સવારે સુરત-છપરા રૂટની 19046 નંબરની તાપ્તી ગંગા એક્સપ્રેસ છપરાથી નીકળી હતી. 45 મીનીટની સફર પુર્ણ કર્યા બાદ ટ્રેન ગૌતમ સ્થાન સ્ટેશને પહોંચતા જ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેનની સ્પીડ વધુ ન હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ ચાર યાત્રીક ઘાયલ થતા તેઓને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો અને હાલ છપરા-બલિયા રૂટ પર ટ્રેનની આવન-જાવન પર રોક લગાવી દેવામાં આવી છે. તાપ્તી ગંગા એક્સપ્રેસ દરરોજ સવારે છપરાથી ઉપડીને બલિયા, ઉમ, વારાણસી, સતના, જબલપુર, ખંડવા થઇને આશરે 34 કલાકના સમયાંતરે સુરત પહોંચે છે.

April 1, 2019
bharuch-1280x1011.png
1min5980

લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે. બન્ને પાર્ટીઓ ગુજરાતમાં પોતાના ઉમેદવારોની પસંદગીને લઈને અસમંજસમાં છે. ગુજરાતના રાજકારણમાં મોટો ભૂંકપ આવી શકે છે. કૉંગ્રેસના હજુ ૧૩ ઉમેદવાર જાહેર કરવાના બાકી છે ત્યારે અહેમદ પટેલને ભરૂચથી લોકસભા ચૂંટણી લડાવવા માટે કૉંગ્રેસે ચક્રોગતિમાન કર્યા છે. કૉંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે મોટો ખુલાસો કર્યો હતો.

અહેમદ પટેલનું નામ સાંભળતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજીવ સાતવે જણાવ્યું હતું કે, અમે અહેમદભાઈને ચૂંટણી લડવા રજૂઆત કરી છે. કૉંગ્રેસ અધ્યક્ષ બે દિવસમાં નિર્ણય કરશે. તેમણે ઉમેર્યું હતું કે, અહેમદભાઈ લડે તો ભરૂચમાં જીત નક્કી ગણાય છે. અન્ય બેઠકો પર પણ કૉંગ્રેસને સારું પરિણામ મળશે. સાથે તેમને એવું પણ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજકીય સમીકરણો પણ બદલાય તેવી શક્યતા છે.

જોકે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા અંગે અહેમદ પટેલે આ અંગે કોઈ પૃષ્ટિ કરી નથી. અહેમદ પટેલ ભરૂચથી ચૂંટણી લડશે તો કૉંગ્રેસમાં નવી ઊર્જા આવશે. અહેમદ પટેલ પાસે રાજનીતિનો બહોળો અનુભવ છે જેનો ગુજરાત કૉંગ્રેસને મોટો ફાયદો થશે. અહેમદ પટેલ ભરૂચ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવી કે નહિ તે આગામી સમયમાં નક્કી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલ ઘણાં વર્ષોથી કૉંગ્રેસ સાથે જોડાયેલા છે. છેલ્લા ૨૪ વર્ષથી અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ છે. ૧૯૮૯ અને ૧૯૯૧ની લોકસભા ચૂંટણીમાં અહેમદ પટેલે હારનો સામનો કર્યો હતો. અહેમદ પટેલ આ પહેલા પણ ત્રણ વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.

April 1, 2019
gujarat_map-1280x1023.png
1min7520

લોકસભાની ચૂંટણી માટે મધ્યગુજરાતની પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો આ ચૂંટણીમાં ભાજપ માટે પડકારરૂપ બની શકે તેમ છે. વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ભરૂચ બેઠકોમાંથી વડોદરા બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. ૨૦૧૪માં તમામ બેઠક પર ભાજપનો વિજય થયો હતો, પણ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો બાદ નવા રાજકીય સમીકરણ સર્જાઈ શકે તેમ છે. ભાજપ માટે પંચમહાલ, ભરૂચ, દાહોદ અને છોટાઉદેપુરની બેઠક પડકાર રૂપ રહેશે તેમ મનાય છે.

એન્ટિ ઇન્કમ્બન્સી ફેક્ટર આદિવાસી પટ્ટામાં ભાજપને નવો પડકાર આપી શકે તેમ છે. ૨૦૧૪માં મધ્ય ગુજરાતમાં તમામ પાંચેય બેઠકો ભાજપને ફાળે રહી હતી, જ્યારે ૨૦૧૭માં વિધાનસભાની ૩૫ બેઠકોમાંથી ભાજપને ફાળે ૨૦ બેઠકો, કૉંગ્રેસને ફાળે ૧૧, ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ને ૨ અને ૨ બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી. પાછળથી લુણાવાડાના અપક્ષ ધારાસભ્યે ભાજપને ટેકો જાહેર કર્યો હતો, જ્યારે મોરવાના ધારાસભ્યએ કૉંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો. વડોદરામાં ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડીને જંગી સરસાઈથી વિજયી થયા હતા. વડોદરા ૨૦૧૪ લોકસભા બેઠક પરથી ભાજપને ૭૧.૯૩ ટકા મત મળ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૨૬.૯૪ ટકા મત મળ્યા હતા. તેમ જ ૨૦૧૪માં યોજાયેલી પેટા ચૂંટણીમાં પણ ભાજપના રંજનબેન ભટ્ટ ૭૨.૭૫ ટકા મત સાથે જંગી સરસાઈથી વિજેતા થયા હતા, જ્યારે કૉંગ્રેસને ફક્ત ૧૫.૩૫ ટકા મત જ મળ્યા હતા. આ ઉપરાંત લોકસભા ૨૦૦૯માં ભાજપને ૫૭.૪૦ ટકા મત મળ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૩૯.૧૯ ટકા મત મળ્યા હતા. તે પૂર્વે લોકસભા ૨૦૦૪માં ૩૮.૪૫ ટકા મત ભાજપને ફાળે ગયા હતા, જ્યારે ૪૭.૪૪ ટકા મત કૉંગ્રેસને મળ્યા હતા. બીજી તરફ પંચમહાલમાં પ્રભાતસિંહ સોલંકી વિજયી થયા હતા. ૨૦૧૫ લોકસભા ચૂંટણીમાં ભાજપને ૫૪.૪૫ ટકા મત મળ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૩૬.૧૭ ટકા મત મળ્યા હતા. તેમ જ ૨૦૦૯ લોકસભામાં ભાજપને ૪૬.૫૦ ટકા મત સામે કૉંગ્રેસને ૪૬.૧૫ ટકા મત મળ્યા હતા.

એવી જ રીતે ભરૂચ લોકસભા ૨૦૧૪માં મનસુખ વસાવા વિજય થયા હતા તેઓને ભાજપ વતી ચૂંટણી લડતા ૫૧.૭૭ ટકા મત મેળવ્યા હતા જેની સામે કૉંગ્રેસને ૩૭.૩૨ ટકા મત મળ્યા હતા. લોકસભા ૨૦૦૯ના પરિણામ જોઈએ તો ભાજપને ૪૧.૫૦ ટકા મત જ્યારે કૉંગ્રેસને ૩૭.૮૭ ટકા મત મળ્યા હતા. તેવી જ રીતે ૨૦૦૪ લોકસભામાં ભાજપને ૪૪.૦૧ ટકા મત અને કૉંગ્રેસને ૩૩.૪૦ ટકા મત મળ્યા હતા, જ્યારે લોકસભા ૨૦૧૪માં છોટાઉદેપુરમાં રામસિંહ રાઠવા ૫૫.૨૪ ટકા મત સાથે વિજયી બન્યા હતા, જેની સામે કૉંગ્રેસને ૩૮.૯૧ ટકા મત મળ્યા હતા. ૨૦૦૯માં ૪૬.૨૦ ટકા મત ભાજપને અને કૉંગ્રેસને ૪૨.૬૭ ટકા મત મળ્યા હતા. તેવી જ રીતે ૨૦૦૪ લોકસભામાં ભાજપને ૩૭.૮૪ ટકા મત અને કૉંગ્રેસને ૪૪.૩૫ ટકા મત મળ્યા હતા. દાહોદ લોકસભા-૨૦૧૪ પર નજર નાખીએ તો જશવંતસિંહ ભાભોર ૫૬.૭૭ ટકા મત સાથે વિજયી થયા હતા જેની સામે કૉંગ્રેસને ૩૧.૧૮ ટકા મત મળ્યા હતા. ૨૦૦૯ લોકસભામાં ભાજપને ૩૫.૯૪ ટકા મત અને કૉંગ્રેસને ૪૬.૮૯ ટકા મત મળ્યા હતા, જ્યારે ૨૦૦૪માં ૪૪.૬૬ ટકા મત ભાજપને જેની સામે ૪૩.૯૯ ટકા મત કૉંગ્રેસને મળ્યા હતા.

March 31, 2019
Tej_Pratap_Yadav-1.jpeg
1min4820

લશ્કરના જવાનોને ગુણવત્તાસભર ખોરાક આપવામાં ન આવતો હોવાની ફરિયાદ કરનાર બીએસએફના જવાન તેજ બહાદુર યાદવે હરિયાણાના રેવારી ખાતે શુક્રવારે પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં તે ઉત્તર પ્રદેશના વારાણસી મતદારક્ષેત્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ઊભો રહેશે.

 

હું અપક્ષ ઉમેદવાર તરીકે વારાણસી મતદારક્ષેત્રમાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડીશ એમ જણાવતાં યાદવે કહ્યું હતું કે લશ્કરી દળમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા હું ચૂંટણી લડવા માગું છું.

લશ્કરમાં ભ્રષ્ટાચારનો મુદ્દો મેં ઊપાડ્યો હતો, પરંતુ મને બરતરફ કરવામાં આવ્યો હતો એમ જણાવતાં યાદવે કહ્યું હતું કે મારું સૌપ્રથમ લક્ષ્ય લશ્કરી દળને મજબૂત કરવાનું અને તેમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું છે.

જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા પાસેના પર્વતીય વિસ્તારમાં ફરજ બજાવતા લશ્કરી દળના જવાનોને હલકી ગુણવત્તાનો ખોરાક પૂરો પાડવામાં આવતો હોવાનું દર્શાવતો વીડિયો યાદવે વર્ષ 2017માં સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો જેને પગલે તેને બરતરફ કરવામાં આવ્યો હતો.

March 30, 2019
eway_bill.jpg
1min10000

GSTની ચોરી અટકાવવા ઇ-વે બિલમાં નવા ફેરફાર થશે

જીએસટીમાં ઇવે બિલિંગ સિસ્ટમથી ત્રાસી ગયેલા સુરતના લાખો ટેક્સટાઇલ વ્યાપારીઓ માટે રાહતના સમાચાર એ છે કે ભારત ઇલેક્ટ્રોનિક-વે (ઇ-વે) બિલિંગ સિસ્ટમમાં ઘણા ફેરફારની યોજના ધરાવે છે. જેમાં GSTની ચોરી અટકાવવા માલની હેરફેર માટેના અંતરની આપમેળે ગણતરીનો સમાવેશ થાય છે. જેથી એક ઇન્વોઇસના આધારે એકથી વધુ ઇ-વે બિલ્સ બનાવતા બિઝનેસ પર અંકુશ લાવી શકાય.

  • એક ઇન્વોઇસના આધારે એકથી વધુ ઇ-વે બિલ્સ બનાવતા બિઝનેસ પર અંકુશ લાવી શકાશે
  • પોસ્ટલ પીનલ કોડના આધારે માલ હેરફેરના અંતરની આપમેળે ગણતરી કરાશે
  • ઇ-વે બિલ વગર પકડાતી ટ્રક્સ પર ₹10,000 સુધીની પેનલ્ટી લાગે છે


ઇ-વે બિલ સિસ્ટમમાં સ્થળોના પિન કોડના આધારે ગૂડ્ઝની હેરફેરના અંતરની આપમેળે ગણતરી કરાશે. જેમાં માત્ર 10 ટકા ફેરફારની છૂટ રહેશે. ઉદાહરણ તરીકે, સ્થળ A અને સ્થળ Bના પિન કોડને આધારે તેમનું અંતર 655 કિલોમીટર હોય તો યુઝર નવી શરતો પ્રમાણે 720 કિલોમીટર (655 કિલોમીટર + 65 કિલોમીટર) સુધીનું અંતર ગણી શકશે.

સરકાર કમ્પ્લાયન્સ માટે ટેક્‌નોલોજી પર વધારે પડતી નિર્ભર છે અને તાજેતરના ફેરફાર તેનું વધુ એક ઉદાહરણ છે. પ્રસ્તાવિત સિસ્ટમને કારણે કોમ્પોઝિશન કરદાતા દ્વારા બે રાજ્યો વચ્ચેની હેરફેરના ઇ-વે બિલ પર પ્રતિબંધ આવશે. GST એક્ટમાં કોમ્પોઝિશન કરદાતાને બે રાજ્યો વચ્ચે ટ્રાન્ઝેક્શન કરવાની પરવાનગી નથી. એટલે આ પગલું સિસ્ટમની છટકબારી બંધ કરવા લેવાયું છે.

અંતરની આપમેળે ગણતરી અને એક ઇન્વોઇસ માટે એક ઇ-વે બિલ જેવા ફેરફાર સાથે સરકાર માટે RFID એનેબલ્ડ વાહનો પર વધુ ફોકસ અને કન્સાઇન્મેન્ટ પર નજર રાખવાનું સરળ બનશે.  જોકે, અપવાદરૂપ સ્થિતિમાં સિસ્ટમ ફ્લેક્સિબલ હોવી જરૂરી છે. જેમ કે, રોડ બંધ હોવાને કારણે અન્ય માર્ગ પસંદ કરવો પડે તો એવી સ્થિતિમાં સિસ્ટમ આપમેળે ગણાયેલા અંતરમાં જે 10 ટકાની છૂટ આપે છે તેમાં વધારો કરવાની જરૂર પડી શકે.

નવા નિયમોમાં એક ઇન્વોઇસ પર એકથી વધુ ઇ-વે બિલ જનરેટ કરવાની મંજૂરી નથી. એટલે કે એક વખત ઇન્વોઇસ નંબર સાથે ઇ-વે બિલ જનરેટ થયા પછી કન્સાઇનર, કન્સાઇની કે ટ્રાન્સપોર્ટર એ જ ઇન્વોઇસ નંબર સાથે બીજું ઇ-વે બિલ જનરેટ કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, રાજ્યો વચ્ચે ₹50,000થી વધુ મૂલ્યના માલની હેરફેર માટે ઇ-વે બિલ જરૂરી છે.

ઇ-વે બિલ વગર પકડાતી ટ્રક્સ પર ₹10,000 સુધીની પેનલ્ટી લાગે છે. ઉપરાંત, કરચોરીની ગણતરી માટે કાર્ગોની તપાસ પણ થઈ શકે. કરચોરી પુરવાર થાય તો ટેક્સ ઉપરાંત, કરચોરીની રકમના 100 ટકા જેટલી પેનલ્ટીની જોગવાઈ છે. સરકારને 2018-’19માં GST દ્વારા ₹6.43 લાખ કરોડની આવકનો અંદાજ છે.

March 30, 2019
srh.jpg
1min6920
IPL 2019 : હૈદરાબાદે 5 વિકેટે રાજસ્થાનને હરાવ્યું, સંજુ સેમસનની સદી એળે ગઇ
સનરાઇઝર્સ હૈદરાબાદની 5 વિકેટે જીત (PC : IPL)

આઇપીએલમાં શુક્રવારે રમાયેલી હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની રોમાંચક મેચમાં ભારે રસાકસી બાદ હૈદરાબાદે 5 વિકેટથી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે હૈદરાબાદે ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત મેળવી હતી.

રાજસ્થાન રોયલ્સ તરફથી સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતા 55 બોલમાં 102 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે રાજસ્થાનના સુકાની અજિંક્ય રહાણે 49 બોલમાં 70 રન બનાવ્યા હતા.  જોસ બટલર 5 રને રાશિદ ખાનની બોલિંગમાં આઉટ થયો હતો. બન્ને ટીમોએ આ સીઝનમાં પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદને કોલકાતા નાઈટ રાઇડર્સે અને રાજસ્થાનને કિંગ્સ ઇલેવન પંજાબે માત આપી હતી.

હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નર(69), જોની બેયરસ્ટો (45) અને વિજય શંકર (35)ની શાનદાર ઇનિગ્સની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે સંજૂ સેમસનની (અણનમ 102) સદી પર પાણી ફેરવી દીધું હતું. આઈપીએલ 2019ની આઠમી મેચમાં સનરાઈઝર્સે રાજસ્થાનને પાંચ વિકેટથી પરાજય આપ્યો છે. હૈદરાબાદની બે મેચમાંથી આ પ્રથમ જીત છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સના સુકાની અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 198 રન બનાવી  હૈદરાબાદને 199 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. તેના જવાબમાં 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 201 રન બનાવી જીત મેળવી હતી.

March 30, 2019
gondal.jpg
1min15340
નગરપાલિકા કચેરી સામે જ યુવાનોએ ઝેરી પદાર્થ પી લેતા સારવારમાં: બે યુવાનોને રાજકોટ ખસેડાયા

ગોંડલના મોટી બજાર ખાતે આવેલી બાવાબારી શેરીમાં 6 માળનું બિનઅધિકૃત બાંધકામ ખડકી નાખવામાં આવ્યું હોય જેની સામે અનેક રજૂઆત છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા પાલિકા કચેરી સામે પાંચ યુવાનો દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરાયો હતો. યુવાનોએ ઝેરી પીણું પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આત્મવિલોપન વેળા ચીફ ઓફિસર સહિત કોઈ જવાબદારો નગરપાલિકા કચેરીમાં ન હોય તંત્રની લાપરવાહી સામે રોષ ફેલાવા પામ્યો હતો.

બાવાબારી શેરીમાં રહેતા અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણ, નિલેશ મોહનભાઈ મકવાણા, ગજેરા જયદીપ વસંતભાઈ, કિશન પરમાર તેમજ ભાર્ગવ ચૌહાણ દ્વારા ત્રણ દિવસ અગાઉ અપાયેલી ચીમકી મુજબ આજે સવારે 11 કલાકે પાલિકા કચેરીએ પહોંચી ઝેરી પદાર્થ ભરેલા બોટલો મોઢે માંડી આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો આ વેળા બંદોબસ્ત રહેલી પોલીસે પાંચેય યુવાનોની અટક કરી તુરંત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં અર્જુન ચૌહાણ અને કિશાન પરમાર ને વધુ અસર થતા રાજકોટ ખસેડાયા હતા.
બાવાબારી શેરી માં વિવદિત બિન અધિકૃત બિલ્ડીંગ અંગે જિલ્લા કલેકટર દ્વારા શીલ મારવાનો આદેશ કરાયો હોય પાલિકા તંત્ર દ્વારા કામ અટકાવી શીલ મરાયું હતું પણ તબાણી પરિવાર દ્વારા શીલ તોડી ધરારી પૂર્વક બાંધકામ કાર્યનું સૂત્રોએ જણાવ્યું હતું.
બાવા બારી શેરીમાં અત્યંત સાંકડી જગ્યામાં 5 કે 6 માળનું બિલ્ડીંગ ભવિષ્યમાં જોખમ રૂપ બને ઉપરાંત આ શેરી સંવેદનશીલ પણ હોય અગાઉ બે કોમ વચ્ચે અથડામણ જેવો માહોલ, એક ગૌ સેવક હિરેનભાઈ છાંટબાર ની હત્યા થઇ હતી. આવા સંજોગોમાં શહેરના બજરંગ દળ, હિન્દૂ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓએ ઉપરોક્ત ગંભીરતાની ટકોર કરી આત્મવિલોપનની ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરી નગરપાલિકા તંત્ર દ્વારા આ બિન અધિકૃત બાંધકામ શા માટે નથી અટકાવતું તેવો સવાલ કરી તંત્રની નીતિની આકરી ટીકા કરી આગામી સમય માં આ મુદ્દે ન્યાયિક પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.’ બીજી તરફ આ અંગે તંત્રને લેખિત માં જાણ કરાઇ હોવા છતાં આજે સવારે નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ કે અન્ય જવાબદારો હાજર રહ્યા ન હતા. આ યુવાનોની મહામૂલી જિંદગીનું જાણે કોઈ મૂલ્ય ન હોય તેમ તંત્રની ઘોર બેદરકારી અંગે શહેરભરમાં રોષ ફેલાવા પામ્યો છે, જો પોલીસ હાજર ન હોત તો અઘટિત બનવા પામી હોત ત્યારે આત્મવિલોપન વેળા હાજર ન રહી બેદરકારી દાખવનારો સામે પણ કડક રાહે પગલાં ભરવા સંગઠનો દ્વારા માંગ કરાઈ છે.