CIA ALERT

Slider Archives - Page 35 of 475 - CIA Live

October 3, 2024
sensex.jpg
1min223


ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલાને પગલે યુદ્ધ છંછેડાવાની ભીતિને પગલે ભારતીય શેરબજારમાં હડકંપ મચી ગયું છે. આજે 3/10/24 સ્ટોક માર્કેટ પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સમાં એકઝાટકે 1264 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટી 50માં પણ 345 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતી તંગદિલીથી બજારનો મૂડ બગડ્યો છે. જોકે સૌથી મોટી ડરની વાત એ છે કે ઈરાને તો 500 જેટલી મિસાઈલો ઝિંકીને ઈઝરાયલમાં હાહાકારની સ્થિતિ સર્જી દીધી પરંતુ હવે ઈઝરાયલ આ હુમલાનો જવાબ કેવી રીતે આપે છે તેના પર સૌની મોટી મંડાઈ છે. જો ઈઝરાયલ વધારે તબાહી સર્જશે તો એક મોટા યુદ્ધની આશંકા સેવાઈ રહી છે જેની અસર સીધી રીતે વેપાર અને શેરબજાર પર થવાની છે.

શેરબજારમાં કડાકા પાછળ હાલમાં ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા બાદ યુદ્ધ થવાની આશંકાને મોટું કારણ ગણવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ભારતીય શેરબજારમાં સૌથી વધુ ઓટો સ્ટોક્સમાં નુકસાન દેખાયું. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.07 ટકા તૂટ્યો. એફએમસીજીમાં પણ 1.52 ટકાનો કડાકો બોલાયો છે. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ, પીએસયુ બેન્ક, હેલ્થકેરમાં એક-એક ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સહિત મોટાભાગના ઈન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા.

October 3, 2024
ICC_Womens_T20_World_Cup.jpg
1min356

યુએઇમાં ગુરુવારે 3/10/24 મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે અને એ નિમિત્તે આઇસીસીએ પોસ્ટ કરેલી તમામ 10 ટીમની કૅપ્ટનોવાળી તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

ગુરુવારે પ્રથમ મૅચ બાંગ્લાદેશ-સ્કૉટલૅન્ડ વચ્ચે બપોરે 3.30 વાગ્યાથી રમાશે. બીજી મૅચ સાંજે 7.30 વાગ્યાથી પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતની પ્રથમ મૅચ આવતી કાલે ન્યૂ ઝીલૅન્ડ સામે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જોકે આ ટૂર્નામેન્ટની સૌથી મોટી મૅચ ભારત-પાકિસ્તાન વચ્ચેની છે જે રવિવારે બપોરે 3.30 વાગ્યાથી રમાશે.

હરમનપ્રીત કૌર ભારતની અને ફાતિમા સના પાકિસ્તાનની કૅપ્ટન છે.

મહિલાઓની ક્રિકેટમાં ભારતને ક્યારેય કોઈ વર્લ્ડ કપ ટ્રોફી નથી મળી. જોકે આ વખતે ભારતની મજબૂત ટીમ જોતાં ટાઇટલ મળવાની સંભાવના છે.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે એક મુલાકાતમાં કહ્યું છે, ‘એક જ વર્ષમાં જો ભારતને બે મોટા ટાઇટલ મળી જાય તો મજા પડી જાય.’

ભજ્જીનો કહેવાનો અર્થ એ હતો કે જૂનમાં રોહિત શર્માના સુકાનમાં ભારત ટી-20નો વર્લ્ડ કપ જીત્યું ત્યાર પછી હવે હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીમાં વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી પણ મળશે તો આ વર્ષ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

આ નવમો વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ છે. આઠમાંથી છ વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયા જીત્યું છે. એક ટાઇટલ ઇંગ્લૅન્ડ અને એક વેસ્ટ ઇન્ડિઝ જીત્યું છે. આ વખતે પણ વિકેટકીપર અલીસા હિલીના સુકાનમાં ઑસ્ટ્રેલિયાની ટીમ ટ્રોફી જીતવા માટે ફેવરિટ છે. ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ બુધવારે કહ્યું હતું કે ‘ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં કોઈ પણ ટીમને એક પણ ભૂલ કરવી ન પરવડે. તેમની સામે દરેક પ્લેયરે બેસ્ટ પર્ફોર્મન્સ જ બતાવવો પડે.’

ભારત-ઑસ્ટ્રેલિયાની લીગ મૅચ રવિવાર, 13મી ઑક્ટોબરે સાંજે 7.30 વાગ્યાથી રમાશે.

October 1, 2024
govinda.png
1min230


અભિનેતા ગોવિંદાને તેમની જ બંદૂકની પગમાં ગોળી વાગી હતી. આ ઘટના સવારે પોણા પાંચ વાગ્યાની છે. સવારે ક્યાંક જવા માટે નીકળતા હતા, ત્યારે બંદૂક સાફ કરતી વખતે મિસ ફાયર થયું હતું. હાલ તેઓ CRITI કેયર હોસ્પિટલમાં દાખલ છે. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે, તાત્કાલિક ઓપરેશન કરીને આ ગોળી બહાર કાઢી લેવાઈ છે. હાલ ગોવિંદા સ્વસ્થ છે.

માહિતી અનુસાર જે સમયે આ ઘટના બની હતી ત્યારે ગોવિંદા ઘરે એકલા હતા. તે બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા અને પોતાની લાયસન્સવાળી બંદૂકને સાફ કરી રહ્યા છે. ત્યારે અચાનક મિસ ફાયર થતાં તેમના ઘૂંટણમાં ગોળી વાગી ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ગોવિંદાએ પોતાની પડોશમાં રહેતા પોતાના સંબંધીને કોલ કર્યો અને તેમણે ઘટનાસ્થળે પહોંચી ગોવિંદામાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગ બાદ તે ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે ગોવિંદાની બંદૂકને પોતાના કબજામાં લીધી હતી. કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અભિનેતાની બંદૂકમાંથી મિસફાયર થયું છે અને ગોળી તેમના ઘૂંટણમાં વાગી છે. ગોવિંદા પાસે લાયસન્સવાળી બંદૂક છે. તો બીજી તરફ તેમના પરિવાર અને ટીમે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

માહિતી અનુસાર અભિનેતા અને શિવ સેના નેતા ગોવિંદા કોલકત્તા જવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે પોતાની બંદૂકને કવરમાં મૂકી રહ્યા હતા, ત્યારે તેમના હાથમાંથી બંદૂક પડી અને મિસ ફાયર થયું હતું, જેના લીધે તેમના પગમાં ગોળી વાગી હતી. ડોક્ટરોએ ગોળી નિકાળી દીધી છે અને તેમની તબિયત સ્વસ્થ છે. આ જાણકારી તેમના મેનેજર શશિ સિન્હાએ એએનઆઇને આપી હતી.

September 30, 2024
narmada-dam-overflow.jpg
1min202

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની (Narmada Dam) જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં 24 કલાકમાં બે સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138.46 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 1,44540 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા નદીમાં કુલ 80836 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. નર્મદા ભરૂચ અને વડોદરાના ગામોને કરાયા એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર સંપૂર્ણ ભરાવાથી ખૂબ જ નજીક છે.

ઉપરવાસમાંથી 1,44540 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના પગલે નર્મદા ડેમના 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા છે જેના કારણે 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમમાં 98 ટકા નર્મદા ડેમ ભરાયો છે. તેમજ 138.44 મીટરે નર્મદા ડેમની સપાટી પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.આ ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 24 સેન્ટીમીટર દૂર છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો ભરાઈ ચુક્યો છે. હાલ સરદાર સરોવર 100 ટકા ભરાવાથી માત્ર બે ટકા બાકી છે. તેમજ ઉપરવાસમાંથી હજુ પણ પાણીની આવક થવાની શક્યતાના પગલે નર્મદા ડેમ પણ નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. નર્મદા ડેમમાં રાજ્યના 173 શહેર અને 9490 ગામના અંદાજે 2.90 કરોડ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના 18.45 લાખ હેકટરમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવામાં આવે છે.

September 27, 2024
SGCCI.jpg
1min253

છેલ્લા ઘણાં સમયથી મંદીનો સામનો કરવા સાથે અનેક પ્રશ્નો-સમસ્યાઓ વચ્ચે અટવાયેલા સુરત સહિત દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગમાં નક્કર પગલાં ભરી શકાય તે માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સમાં શહેરના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા જુદાજુદા સ્ટેક હોલ્ડર્સ, વેલ્યુ ચેઇન યુનિટ્સના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ચેમ્બર પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ વધુ માહિતી આપતા જણાવ્યું કે હાલમાં દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગના પ્રશ્નો, સમસ્યાઓ, પ્રોજેક્ટ તેમજ અન્ય ડેવલપમેન્ટ મોટા પાયે થઇ રહ્યા છે. કાપડ ઉદ્યોગ માટે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ એક્સપર્ટસ સતત મોનીટરીંગ કરે તે માટે ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેનું કામ કાપડ ઉદ્યોગના લગતા કોઇપણ ઇશ્યુ પરત્વે ચેમ્બર ઓફ કોમર્સ વતી પરામર્શ કરવાનું રહેશે. ટેક્ષટાઇલ ટાસ્ક ફોર્સના પહેલા ચેરમેને તરીકે આશિષ ગુજરાતીની નિયુક્તિ કરવામાં આવી હોવાનું વિજય મેવાવાલાએ જણાવ્યું હતું.  વધુમાં ચેમ્બર ઓફ કોમર્સની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સમાં એડવાઇઝર તરીકે ભારતના ટેક્ષ્ટાઇલ મંત્રાલયના પૂર્વ એડિશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર એસ.પી. વર્માની નિમણૂંક કરવામાં આવી છે.

મ્બરની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ, સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ તેમજ સમગ્ર ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સ્કીલ ડેવલપમેન્ટ માટે પણ ચેમ્બરની આ ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ અંતર્ગત સુરતમાં કોમન ફેસિલિટી સેન્ટરના લાંબા ગાળાના આયોજન માટે પ્લાનિંગ કરાશે. સાથે જ રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ડસ્ટ્રીયલ સ્ટડી ટુરનું પણ આયોજન કરવામાં આવશે.

September 27, 2024
gujarati-investors.png
1min302

દેશભરના ટ્રેડરોને રૂ.૭૫,૦૦૦ કરોડની નુકશાની

What is Futures and Option (F&O) Contract in Trading?

ભારતમાં શેર બજારોમાં વાયદાના વેપાર એટલે કે ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)ના કેસીનોમાં રમનારા ટ્રેડરો ખુવાર થઈ રહ્યા હોવાના અને દેશભરમાં ટ્રેડરોએ કુલ રૂ.૭૫,૦૦૦ કરોડની નુકશાની વેઠી હોવાના સેબીના તાજેતરના રિપોર્ટમાં વધુ ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. આ કુલ નુકશાનીમાંથી ગુજરાતના જ ૧૦.૧ લાખ ટ્રેડરોએ રૂ.૮૮૮૮ કરોડની જંગી નુકશાની નાણા વર્ષ ૨૦૨૩-૨૪માં કરી છે.

સેબીના ઈક્વિટી ડેરિવેટીવ્ઝ સેગ્મન્ટ (નાણા વર્ષ ૨૦૨૨થી નાણા વર્ષ ૨૦૨૪)માં નફા-નુકશાનીના આકલન પરના રિપોર્ટના આંકડા વધુ દર્શાવે છે કે, નાણા વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતભરના ૮૬.૨૬ લાખ ટ્રેડરોએ એફ એન્ડ ઓ ટ્રેડીંગમાં રૂ.૭૫,૦૦૦ કરોડની ખોટ કરી છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં એફ એન્ડ ઓ ટ્રેડરોમાંથી અડધાથી વધુ તો ચાર રાજયો મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના રહ્યા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૧૮.૮ લાખ ટ્રેડરો (૨૧.૭ ટકા), ગુજરાતમાં ૧૦.૧ લાખ ટ્રેડરો (૧૧.૬ ટકા), ઉત્તર પ્રદેશમાં ૯.૩ લાખ ટ્રેડરો (૧૦.૭ ટકા) અને રાજસ્થાનમાં ૫.૪ લાખ ટ્રેડરો (૬.૨ ટકા) ઈક્વિટી ડેરિવેટીવ્ઝમાં છે.

ગુજરાતમાં એફ એન્ડ ઓ ટ્રેડરોએ વ્યક્તિ દીઠ સરેરાશ રૂ.૮૮,૦૦૦ નુકશાની કરી છે. જ્યારે મહારાષ્ટ્રમાં રૂ.૭૪,૦૦૦, ઉત્તર પ્રદેશમાં રૂ.૭૩,૦૦૦ અને રાજસ્થાનમાં રૂ.૮૩,૦૦૦ની સરેરાશ વ્યક્તિદીઠ નુકશાની થઈ છે.

સેબીના રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના ટ્રેડરોએ રૂ.૧૩,૯૧૨ કરોડ ગુમાવ્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશના ટ્રેડરોએ રૂ.૬૭૮૯ કરોડની નુકશાની કરી છે. દેશભરના મળીને ૧.૮૧ કરોડ ટ્રેડરોએ કુલ મળીને એફ એન્ડ ઓ સેગ્મેન્ટમાં વર્ષ ૨૦૨૨-૨૪ દરમિયાન રૂ.૧.૮૧ લાખ કરોડની નુકશાની કરી છે.

September 27, 2024
guj-birth-certi.png
1min498

ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય રજિસ્ટ્રારે બુધવાર 25મી સપ્ટેમ્બર 2024ના રોજ નવો પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં જન્મ-મરણ રજિસ્ટ્રેશનમાં વ્યક્તિના નામ કે અન્ય કોઈ સુધારા માટે એક વ્યક્તિના બે નામ હોય તો પણ જન્મ પ્રમાણપત્રમાં યથાવત રાખવા આદેશ કર્યો છે. જેના માટે બે નામની વચ્ચે ઉર્ફે એવો શબ્દ દાખલ કરવાની સૂચનાઓ અપાઈ છે.

આરોગ્ય કમિશનર અને મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ)ની સહીથી બુધવારે પ્રસિધ્ધ પરિપત્રમાં તમામ રજિસ્ટ્રારોને 12મી ઓગસ્ટ 2009 અને 18મી ફેબ્રુઆરી 2016 એમ બંને પરિપત્રો રદ કરવા કહેવામાં આવ્યું છે. આધાર કાર્ડ વગર નામ, તારીખ કે અન્ય કોઈ પણ સુધારણા માટે અરજદારોની અરજીને ધ્યાને લેવા સ્પષ્ટ આદેશ થયો છે. આથી, રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વેળા કારકૂની ભૂલ થઇ હોય તે તેને પણ સુધારવી પડશે.

Dated 25/09/2024 કરાયેલા નવા પરિપત્રમાં મુખ્ય રજિસ્ટારે સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે અરજદારની ઓળખની વિગતો, પિતાનું નામ, છેલ્લું નામ કે અટક અને જન્મતારીખ અથવા કોઈ એક અથવા તેમની કેટલીક બદલાવની માંગ કરી છે કે કેમ? તે બાબતો ધ્યાને લેવાની રહેશે. તેના માટે સર્મથનમાં અપાયેલા ફોટાવાળા ઓળખપત્રો કે ઓળખના અન્ય દસ્તાવેજો ધ્યાનમાં લેવાના રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી એક વ્યક્તિના બે નામો હોય કે અન્ય કોઈ સુધારાને તબક્કે તલાટીથી લઈને જિલ્લા રજિસ્ટ્રારના તંત્રમાં નોંધ નામંજૂર કરીને ઉપલાસ્તરે અપીલના આદેશો થતા હતા. હવે આ સુધારાથી અરજદારોને અપીલ અને તેની પ્રક્રિયામાંથી મુક્તિ મળી શકશે.

ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની કલમ 36 અનુસાર, જન્મ અને મરણના રજીસ્ટરમાં કરાવેલી નોંધ અનેક કામગીરીઓ માટે મહત્ત્વનો પૂરાવો છે. જેમાં જન્મ કે મરણ સર્ટિફિકેટમાં નોંધાયેલા નામમાં સુધારો કરવા બાબતે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે 30 જૂન 2015માં જાહેરનામું બહાર પાડ્યું હતું, ત્યારબાદ બુધવારે (25 સપ્ટેમ્બર) ગુજરાત આરોગ્ય સચિવ અને કમિશનર દ્વારા આ બાબતે જાહેરનામું રજૂ કરાયું છે. જે મુજબ નોંધણી રજીસ્ટ્રાર નામમાં ફેરફાર બાબતે ‘ઉર્ફે’ શબ્દનો ઉપયોગ કરી શકાશે. 

રાજ્ય સરકારે જન્મ-મરણ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરીને માન્ય રાખી હતી, પરંતુ તેમાં ઘણાં પેટા નિયમો અને ઘણી બાબતો બાકી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેનો ઉમેરો કરીને નાગરિકોની મુશ્કેલીને હળવી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જન્મ અને મરણના પ્રમાણપત્રમાં બંને નામ લખવાના રહેશે, પરંતુ  બે નામનો સ્વીકાર ન હોય તો રજીસ્ટ્રાર પાસે પૂરાવા સાથે અરજી કરવાની રહેશે. રજીસ્ટ્રારે સુધારાની સત્યતા ચકાસીને બંન્ને નામો નોંધમાં લેવાના રહેશે.

September 23, 2024
rhea-singha.png
1min409

Dated 23/09/24 રવિવારે રાજસ્થાનના જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. આ ઇવેન્ટમાં ગુજરાતની 19 વર્ષની રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નું ટાઇટલ જીત્યું હતું.

અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલાએ તેને ‘તાજ મહેલ’ ક્રાઉન પહેરાવ્યો હતો. આ જીત બાદ હવે રિયા લેવલ પર મિસ યુનિવર્સનો ખિતાબ જીતે તેવી બધાને અપેક્ષા છે.

રિયા અમદાવાદની છે અને તેણે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણી શાળાના દિવસોથી જ મોડેલિંગ અને પેજન્ટ કોમ્પિટિશનમાં ભાગ લે છે. હવે તે અમદાવાદની યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહી છે. આ પહેલા રિયાએ મિસ ટીન અર્થ 2023નો ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેણે મિસ ટીન યુનિવર્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

રિયાની મોટી જીત પછી તેણે કહ્યું કે, ‘આજે મેં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. હું ખૂબ જ આભારી છું. મારી જાતને આ તાજ માટે લાયક માની શકું તે સ્થાને પહોંચવા માટે મેં સખત મહેનત કરી છે. હું અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છું.’

અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલા આ ઇવેન્ટની જજ હતી. તેમજ ઉર્વશીએ રિયાની જીત પર આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘ભારત આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સનો તાજ જીતશે.’

September 23, 2024
supreme.jpg
1min293

સુપ્રીમ કોર્ટે તેના એક ઐતિહાસિક ચુકાદામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવા કે જોવાને POCSO હેઠળ અપરાધ જાહેર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત ચુકાદાને ફગાવી દીધો હતો, જેમાં જણાવ્યું હતું કે, ચાઈલ્ડ પોર્ન વીડિયો ડાઉનલોડ કરવો અને જોવો એ ગુનો નથી.

ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દ ન વાપરવા નિર્દેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા વીડિયોને POCSO એક્ટની કલમ 15(3) હેઠળ ગુનો સાબિત કરવા માટે એ સાબિત કરવું પડશે કે આ વીડિયો કોઈ લાભ માટે સ્ટોર કરવામાં આવ્યો હતો. કોર્ટે સંસદને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દને ‘બાળકોનું જાતીય શોષણ-અપમાનજનક સામગ્રી’ સાથે બદલવાનું સૂચન કર્યું છે. આ સુધારા માટે વટહુકમ લાવવા સરકારને અપીલ કરવામાં આવી છે. તદુપરાંત સુપ્રીમ કોર્ટે તમામ કોર્ટને ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દનો ઉપયોગ ન કરવા નિર્દેશ કર્યો છે.

મદ્રાસ કોર્ટના ચુકાદાને પડકાર્યો

ઉલ્લેખનીય છે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી મામલે કેરળ હાઈકોર્ટે 13 સપ્ટેમ્બર, 2023માં ચુકાદો આપ્યો હતો કે, જો કોઈ વ્યક્તિ અંગત સ્વરૂપે અશ્લીલ ફોટો કે વીડિયો જોઈ રહ્યો છે તો તે ગુનો નથી, પરંતુ તે બીજાને તે વીડિયો બતાવી રહ્યો છે, તો તે અપરાધ છે. આ નિવેદન આપતાં મદ્રાસ હાઈકોર્ટે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતે. જેના પગલે આ ચુકાદાને પડકારતા એક એનજીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

September 23, 2024
upi.jpeg
1min345

ભારતના UPI માર્કેટમાં phonepeએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તાજેતરમાં જ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ જાહેર કરેલા આંકડાઓ અનુસાર, Phonepeએ ઓગસ્ટમાં ભારતમાં UPI માર્કેટનો અડધા કરતાં પણ વધુનો હિસ્સો કબજે કર્યો છે. PhonePe એ Walmartની માલિકીની અમેરિકન કંપની છે, જે ભારતમાં Google Pay અને Paytmને ટક્કર આપીને સ્પર્ધા કરી રહી છે. Google Pay પણ અમેરિકન માલિકીની કંપની છે, જ્યારે Paytm ભારતીય કંપની છે. જોકે, RBIએ લાદેલા પ્રતિબંધ બાદ Paytmનું UPI માર્કેટ ઘણું ઘટી ગયું છે.

NPCIએ ઓગષ્ટમાં જાહેર કરેલા આંકડાઓ જોવામાં આવે તો, ઓગસ્ટમાં ભારતના UPI માર્કેટમાં રૂ. 20,60,735.57 કરોડના વ્યવહારો થયા હતા. આ લગભગ 14.96 અબજના વ્યવહારો થયા છે. તેમાંથી 10,33,264.34 કરોડ રૂપિયાના વ્યવહારો એકલા PhonePe દ્વારા થયા છે. તેની સંખ્યા 7.23 અબજથી વધુ છે. જો થયેલા કુલ વ્યવહારોના આંક પર નજર કરીએ, તો PhonePeનો બજાર હિસ્સો 48.36 ટકા છે, જ્યારે UPI પેમેન્ટની કિંમતની દ્રષ્ટિએ બજાર ભાગીદારી 50.14 ટકા જેટલી છે.

NPCI ઓગસ્ટના આંકડા:

PhonePe – રૂ. 10,33,264.34 કરોડ
Google Pay – રૂ. 7,42,223.07 કરોડ
Paytm – રૂ. 1,13,672.16 કરોડ

ઓગસ્ટમાં કોનો કેટલો માર્કેટ શેર હતો?

PhonePe – 48.39 ટકા
Google Pay – 37.3 ટકા
paytm – 7.21 ટકા

ઓગસ્ટમાં મહિનામાં Google Payએ રૂ. 7,42,223.07 કરોડના રૂપિયાની કિંમતના 5.59 અબજ UPI પેમેન્ટ કર્યા હતા, જ્યારે Paytm એ રૂ. 1,13,672.16 કરોડના વ્યવહારો કર્યા હતા. આ સમયગાળા દરમિયાન Google Payનો બજાર હિસ્સો લગભગ 37.3 ટકા રહ્યો છે, જ્યારે Paytmનો બજાર હિસ્સો 7.21 ટકા રહ્યો છે. NPCIના જુલાઈના ડેટા અનુસાર PhonePeનો માર્કેટ શેર લગભગ 48 ટકા છે. Google Payનો બજારહિસ્સો 37 ટકા હતો અને Paytmનો બજાર હિસ્સો 7.82 ટકા હતો.