CIA ALERT

Slider Archives - CIA Live

March 9, 2026
image-2.png
1min5

યુદ્ધને કારણે શેરબજારમાં ફફડાટ,

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે વધતા જતા તણાવ અને યુદ્ધની ભીતિએ આજે 09/03/2026 ભારતીય શેરબજારમાં ભૂકંપ લાવી દીધો છે. શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ કડાકો બોલાયો છે.

મિડલ ઈસ્ટમાં વધતા જતા સૈન્ય સંઘર્ષની સીધી અસર આજે 09/03/2026 ભારતીય શેરબજાર પર જોવા મળી છે. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડાં પડ્યા હતા. BSE SENSEX આજે પ્રચંડ કડાકા સાથે 76,647.38 ના સ્તર પર પહોંચી ગયો હતો, જે તેના અગાઉના બંધ 78,918.90 ની સરખામણીએ 2,271.52 (2.88%) પોઈન્ટનો તોતિંગ ઘટાડો દર્શાવે છે. આજના ટ્રેડિંગ સત્ર દરમિયાન બજાર 77,056.75 પર ખુલ્યું હતું અને નીચામાં 76,641.26 સુધી ગગડ્યું હતું.

બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ NIFTY 50 પણ આ વેચવાલીના માહોલમાંથી બચી શક્યો નથી. નિફ્ટીમાં આજે 687.45 (2.81%) પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 23,763.00 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી આજે 23,868.05 પર ખુલ્યા બાદ નીચામાં 23,762.60 સુધી સરક્યો હતો. યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો વધારો અને વૈશ્વિક અસ્થિરતાને પગલે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે, જેના કારણે બજારમાં આ પ્રચંડ કડાકો બોલાયો છે.

March 7, 2026
image-5.png
1min15

મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતીય ગૃહિણીઓના રસોડા સુધી પહોંચી ગઈ છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે, જેનાથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે.

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ઓઈલ કંપનીઓએ 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરમાં 60 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે જ હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 115 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ 07 માર્ચ 2026 થી જ અમલી બની ગયા છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2025 પછી ઘરેલું સિલિન્ડરના ભાવમાં આ પ્રથમ વધારો છે.

  • મેટ્રો શહેરોમાં નવી કિંમતો (14.2 કિલો સિલિન્ડર):
  • દિલ્હી: ₹853 થી વધીને ₹913
  • કોલકાતા: ₹879 થી વધીને ₹939
  • ચેન્નાઈ: ₹868.50 થી વધીને ₹928.50
  • કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં હવે ₹1883 અને મુંબઈમાં ₹1835 થયો છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, દેશમાં ઉર્જા અને ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગ્રાહકોએ પુરવઠામાં અવરોધ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સરકાર સસ્તું અને ટકાવ ઈંધણ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા પણ દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાના અહેવાલોને અફવા ગણાવી ફગાવી દેવામાં આવ્યા છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાય ખોરવાવાની આશંકા હોવા છતાં ભારત અત્યારે ‘કમ્ફર્ટેબલ’ સ્થિતિમાં છે. ભારત પાસે વિવિધ સ્ત્રોતોમાંથી એટલો એનર્જી સપ્લાય ઉપલબ્ધ છે કે જે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પ્રભાવિત થનારા જથ્થા કરતાં ઘણો વધારે છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલ અને ગેસના વધતા ભાવોની અસર કિંમતો પર જોવા મળી રહી છે.

March 6, 2026
image-4.png
1min13
  • ભારત સતત બીજી વખત ફાઇનલમાંઃ અમદાવાદમાં રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સાથે ટક્કર
  • સૅમસન લાગલગાટ બીજી વાર મૅચ-વિનરઃ હાર્દિક, અક્ષરના યાદગાર પર્ફોર્મન્સઃ બુમરાહે 500મી વિકેટ લીધી

ICC T-20 Cricket વર્લ્ડ નંબર-વન ભારતે 05/03/2026 વાનખેડે સ્ટેડિયમમાં નંબર-ટૂ ઇંગ્લૅન્ડને ટી-20 વર્લ્ડ કપની દિલધડક સેમિ ફાઇનલમાં હરાવીને સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને હવે ત્રીજું ટાઇટલ ફક્ત એક ડગલું દૂર છે. ભારતને સતત બીજી વખત અને વિક્રમજનક ત્રીજી વખત ટી-20 વર્લ્ડ કપ જીતવાનો સુવર્ણ મોકો મળ્યો છે. રવિવારે 08/03/2026 અમદાવાદની ફાઇનલ (સાંજે 7.00 વાગ્યાથી)માં ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે મુકાબલો થશે. નસીબવાન ઓપનર સંજુ સૅમસન (89 રન, 42 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) સતત બીજા મુકાબલામાં મૅચ-વિનર બન્યો હતો. તે 15મા રન પર હતો ત્યારે કૅપ્ટન હૅરી બ્રૂકે તેનો કૅચ છોડ્યો હતો અને સૅમસનને મળેલું જીવતદાન બ્રિટિશરોને છેવટે ભારે પડ્યું. વાનખેડેની સાત નંબરની પિચ પર રમીને ભારતીયો સાત રનથી જીત્યા.

ભારતે 254 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ શરૂઆતથી વિકેટ ગુમાવતી રહી હતી. જૅકબ બેથેલ (105 રન, 48 બૉલ, સાત સિક્સર, આઠ ફોર) એકલા હાથે ભારતીય બોલર્સ સામે ઝઝૂમ્યો હતો. તેની સેન્ચુરી યાદગાર બની, પણ મૅચ-વિનિંગ ન બની શકી. ઇંગ્લૅન્ડ 254 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં સાત વિકેટે 246 રન કરી શક્યું અને ભારતનો સાત રનથી રોમાંચક વિજય થયો હતો.

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર વિલ જૅક્સે (35 રન, 20 બૉલ, બે સિક્સર, ચાર ફોર) જૅકબ બેથેલ સાથે પાંચમી વિકેટ માટે 77 રનની ભાગીદારી કર્યા બાદ વિકેટ ગુમાવી હતી. મૅચને ટર્ન અપાવનાર આ વિકેટમાં અર્શદીપના ત્રણ વાઇડ પછીના બૉલમાં જૅક્સના ઊંચા શૉટમાં અક્ષર પટેલે બૉલ ઝીલ્યા બાદ સમયસૂચકતા વાપરીને બાઉન્ડરી લાઇનની બહાર જતાં બૉલ શિવમ દુબે તરફ ફેંક્યો હતો અને દુબેએ કૅચ ઝીલી લીધો હતો. એ પાંચમી વિકેટ વખતે કુલ સ્કોર 172 રન હતો અને ત્યાર બાદ સૅમ કરૅન અને બેથેલે ટીમને જિતાડવાની ખૂબ કોશિશ કરી હતી, પણ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતીયો સામે તેમનું કંઈ નહોતું ચાલ્યું અને છેવટે બ્રિટિશરોએ હાર સ્વીકારવી પડી હતી.

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં સતત ત્રીજી વખત સેમિ ફાઇનલ રમાઈ અને જે ભારતે જીતી લીધી. કૅપ્ટન સૂર્યાએ ગેમપ્લાન બદલીને 18મી ઓવર બુમરાહને અને 19મી ઓવર હાર્દિકને આપી હતી જેમાં અનુક્રમે માત્ર છ રન તથા નવ રન બન્યા હતા. શિવમ દુબેને આ મૅચમાં પહેલી જ વખત બોલિંગ અપાઈ અને એ પણ અંતિમ ઓવર જેમાં તેણે બાકીના 30 રન ડિફેન્ડ કર્યા હતા. એ ઓવરના પ્રથમ બૉલમાં જૅકબ બેથેલ રનઆઉટ થયો હતો. હાર્દિકના થ્રોમાં વિકેટકીપર સૅમસને આબાદ કલેક્ટ કરીને બેથેલને રનઆઉટ કરી દીધો હતો અને ત્યારે જ ભારતીયોએ જીતનું સેલિબે્રશન શરૂ કરી દીધું હતું.

બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500મી વિકેટ લીધી હતી અને હૅરી બ્રૂક તેનો 500મો બહુમૂલ્ય શિકાર બન્યો હતો. બુમરાહ 500 કે વધુ વિકેટ લેનાર આઠમો ભારતીય બોલર બન્યો છે.

એ પહેલાં, ભારતીય ટીમે ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભરોસાપાત્ર ઓપનર સંજુ સૅમસન ઉપરાંત ચાર બૅટ્સમેનની સાધારણ છતાં આક્રમક ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 253 રન કરીને ઇંગ્લૅન્ડને 254 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. સૅમસન માત્ર 15 રન પર હતો ત્યારે કૅપ્ટન હૅરી બ્રૂકથી તેનો આસાન કૅચ છૂટી ગયો હતો જેનો સૅમસને પૂરો ફાયદો ઉઠાવ્યો હતો.

ટીમ ઇન્ડિયાના પત્ની સાક્ષી સાથે આવેલા એમએસ ધોનીની હાજરીમાં ભારતીય બૅટ્સમેનોએ જબરદસ્ત ફટકાબાજી કરી હતી. જોકે તેઓ 256 રનનો આ વર્લ્ડ કપનો પોતાનો જ વિક્રમ તેમ જ 260 રનનો શ્રીલંકાનો વર્લ્ડ કપનો વિશ્વવિક્રમ નહોતા તોડી શક્યા.

અભિષેક શર્મા (નવ રન)એ બીજી જ ઓવરમાં વિકેટ ગુમાવ્યા બાદ સૅમસને બાજી સંભાળી લીધી હતી અને રવિવારે વેસ્ટ ઇન્ડિઝ સામેની અણનમ 97 રનની ઇનિંગ્સ જેવું રમ્યો હતો. સૅમસન 14મી ઓવરમાં કુલ 160 રનના સ્કોર પર સ્પિનર વિલ જૅક્સના બૉલમાં ફિલ સૉલ્ટના હાથમાં કૅચઆઉટ થયો ત્યાર પછી ટીમ ઇન્ડિયાનું રનમશીન ધીમું પડી ગયું હતું. ત્યાર પછી લગભગ અઢી ઓવર બાદ સૂર્યકુમારે શિવમ સાથે 30 રનની ભાગીદારી કરીને વિકેટ ગુમાવી હતી.

32,000-પ્લસ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ઇશાન કિશન (39 રન, 18 બૉલ, બે સિક્સર, ચાર ફોર), ચોથા નંબર પર મોકલવામાં આવેલા શિવમ દુબે (43 રન, પચીસ બૉલ, ચાર સિક્સર, એક ફોર), હાર્દિક પંડ્યા (27 રન, 12 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) તથા તિલક વર્મા (21 રન, સાત બૉલ, ત્રણ સિક્સર)એ નાના-મોટા યોગદાન સાથે છગ્ગા-ચોગ્ગાથી પ્રેક્ષકોનું અને સેલિબ્રિટીઝનું મનોરંજન કર્યું હતું. સૅમસન અને ઇશાન બાદ શિવમ, હાર્દિક તથા તિલક વર્માએ મેદાનની ચારેય બાજુએ બૉલ બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો. ઇંગ્લૅન્ડના છ બોલર્સમાં સ્પિનર વિલ જૅક્સ તથા બીજા સ્પિનર આદિલ રાશીદ બે-બે વિકેટ સાથે સૌથી સફળ રહ્યા હતા.

વાનખેડેમાં ઉપસ્થિત સેલિબ્રિટીઝમાં આઇસીસી ચૅરમૅન જય શાહ તેમ જ કે. એલ. રાહુલ, નીતા અંબાણી, શ્લોકા અંબાણી, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ, વરુણ ધવન, લક્ષ્મી મિત્તલ વગેરેનો સમાવેશ હતો. ભારતે પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર નહોતો કર્યો, જ્યારે ઇંગ્લૅન્ડે રેહાન અહમદના સ્થાને ઑવર્ટનને મોકો આપ્યો હતો.

March 4, 2026
image-3.png
1min18

અમેરિકા-ઈઝરાયેલના હવાઈ હુમલાઓ અને આયતુલ્લા અલી ખામેનેઈના મોત વચ્ચે ઈરાનની સૌથી શક્તિશાળી સંસ્થા ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ એ ખામેનેઈ પુત્ર મોજતબા ખામેનેઈને નવા સુપ્રીમ લીડર તરીકે ચૂંટી કાઢ્યા છે. આ નિર્ણય ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એટલે કે રિવોલ્યુશનરી ગાર્ડ્સના દબાણ હેઠળ લેવામાં આવ્યો હોવાનો દાવો છે.

UK સ્થિત ‘ઈરાન ઈન્ટરનેશનલ’ના સૂત્રોના હવાલેથી આ જાણકારી મળી છે. એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ દ્વારા 3 માર્ચ 2026ના રોજ આ ચૂંટણી થઈ હતી, જ્યારે દેશ યુદ્ધની સ્થિતિમાં હતો અને અલી ખામેનેઈનું ગત શનિવારે ઈઝરાયલી અને અમેરિકાના હુમલામાં મોત થઈ ચૂક્યું હતું. એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સમાં 88 સભ્યો હોય છે, જે દેશના સુપ્રીમ લીડરની પસંદગી કરે છે. સુરક્ષાના હેતુસર મતદાન રિમોટથી કરવામાં આવ્યું હતું.

મોજતબા ખામેનેઈની ઉંમર આશરે 56 વર્ષ છે. તેઓ લાંબા સમયથી રાજકીય પડદા પાછળ સક્રિય હતા. તેઓ એક મિડ-રેન્ક ધાર્મિક નેતા છે, પરંતુ તેમની અસલી તાકાત રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને બસીજ ફોર્સ સાથેના તેમના ઊંડા સંબંધો છે.

આ ચૂંટણી અત્યંત વિવાદાસ્પદ છે કારણ કે ઈરાનની 1979ની ઈસ્લામિક ક્રાંતિ રાજશાહીને ખતમ કરવા માટે થઈ હતી. ક્રાંતિના મૂળ સિદ્ધાંતોમાં પિતા-પુત્રના ઉત્તરાધિકારને ગેર-ઈસ્લામિક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ખામેનેઈના પુત્રને સુપ્રીમ નેતા બનાવવો એ ક્રાંતિની ભાવના વિરુદ્ધ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નવા નેતા મોજતબા ખામેનેઈ સામેની સૌથી મોટો પડકાર પોતાની વૈધતા સાબિત કરવાની રહેશે. તેમની પાસે તેમના પિતા જેવો ધાર્મિક દરજ્જો (આયતુલ્લાહ) નથી, તેથી તેમણે સત્તા ટકાવી રાખવા માટે IRGC (ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) પર જ નિર્ભર રહેવું પડી શકે છે. આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ટીકાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે તેને રાજશાહી જેવા વંશવાદી પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. ઈરાન અત્યારે યુદ્ધ અને વિવાદિત નવા નેતૃત્વના બેવડા પડકારનો સામનો કરી રહ્યું છે.

March 2, 2026
image-2.png
1min21

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર સીધી ભારતીય શેરબજારમાં જોવા મળી છે. બજાર ખુલતા જ પ્રી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સમાં લગભગ 2700 પોઈન્ટ તો નિફ્ટીમાં પણ 450થી પોઇન્ટથી વધુ તૂટી ગઈ હતી. જોકે પછીથી તેમાં ઝડપી રિકવરી પણ દેખાઈ હતી.

આજે 02/03/2026 શેરબજાર મોટા ગેપ અપ સાથે ખુલ્યું હતું. પ્રી ઓપન સેશનમાં જ સેન્સેક્સે શુક્રવારના ક્લૉઝિંગ 81287થી આજે સીધું 78543ની સપાટીને સ્પર્શી ગયું હતું. જે 2700થી વધુ પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. ત્યારબાદ તેમાં ઝડપી રિકવરી દેખાઈ હતી અને સેન્સેક્સ ફરી 80400ની સપાટીએ પહોંચવામાં સફળ રહ્યું હતું. જોકે બજારના મોટાભાગના સ્ટોક્સમાં તેની અસર દેખાઈ હતી.

જ્યારે નિફ્ટીની વાત કરીએ તો શુક્રવારે નિફ્ટીએ 25141 નું ક્લૉઝિંગ બતાવ્યું હતું. જોકે આજે શેરબજાર ખુલતાં જ નિફ્ટી પણ તૂટી હતી અને સીધી 24645ની સપાટીને સ્પર્શી ગઈ હતી. જોકે નિફ્ટીમાં પણ રિકવરી દેખાતા ફરી એકવાર 24800 ઉપર ટ્રેડ થવા લાગી હતી.

March 2, 2026
image-7.png
1min15

ટી20 વર્લ્ડકપમાં સુપર-8ની મેચમાં આજે ભારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિ ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 195 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ સંજૂ સેમસનની વિસ્ફોટ બેટિંગના કારણે 5 વિકેટે 199 રન નોંધાવી જીત મેળવી છે. હવે ભારત તેની સેમિ ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે.

આ મેચ જીતતાં જ ભારત સેમિ ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે ભારત પાંચમી માર્ચના રોજ ઈંગ્લેન્ડ સામે બીજી સેમિ ફાઈનલ મેચ રમશે. જ્યારે સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી માર્ચના રોજ પ્રથમ સેમિ ફાઈનલમાં રમાશે. આમાંથી જે ટીમ જીતશે તે 8મી માર્ચ રવિવારના રોજ ફાઈનલ મેચમાં સામ-સામે ટકરાશે.

વેસ્ટ ઈન્ડિઝની બેટિંગમાં શાઈ હોપે 33 બોલમાં 32 રન કર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. રોસ્ટન ચેઝે 25 બોલમાં 40 રનની ઝડપી ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. શિમરોન હેટમાયરે માત્ર 12 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. શેરફેન રધરફોર્ડે 9 બોલમાં 14 રન કર્યા હતા, જેમાં 1 છગ્ગો સામેલ હતો. રોવમેન પોવેલે અણનમ 34 રન 19 બોલમાં કર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. અંતમાં જેસન હોલ્ડરે 22 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 37 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય બોલરોમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તીએ 1-1 વિકેટ મેળવી હતી. બીજી તરફ, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે આ મેચમાં કોઈ પણ વિકેટ લીધી નહોતી. રન આપવાની બાબતમાં અર્શદીપ સિંહ સૌથી વધુ ખર્ચાળ સાબિત થયા હતા, જેમણે પોતાની 4 ઓવરમાં 43 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તી બંનેએ 40-40 રન આપ્યા હતા, જ્યારે અક્ષર પટેલે 35 અને જસપ્રીત બુમરાહે 36 રન ખર્ચ્યા હતા.

ભારતીય બેટિંગમાં સંજુ સેમસને સૌથી વધુ આક્રમક રમત રમતા 50 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 97 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 15 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 27 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 16 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 18 રન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ 14 બોલમાં 2 ચોગ્ગા સાથે 17 રન નોંધાવ્યા હતા. અભિષેક શર્મા અને ઈશાન કિશન બંનેએ 10-10 રન બનાવ્યા હતા, જેમાં અભિષેકે 11 બોલમાં 2 ચોગ્ગા અને ઈશાન કિશને 6 બોલમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. શિવમ દુબેએ 4 બોલમાં 2 ચોગ્ગાની મદદથી અણનમ 8 રન કર્યા હતા.

વેસ્ટ ઈન્ડિઝની બોલિંગમાં જેસન હોલ્ડર અને શમર જોસેફે સૌથી વધુ 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે અકીલ હોસેનને 1 વિકેટ મળી હતી. બીજી તરફ મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી, રોમારિયો શેફર્ડ અને રોસ્ટન ચેઝ એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યા નહોતા. રન આપવાની બાબતમાં શમર જોસેફ સૌથી વધુ ખર્ચાળ સાબિત થયા હતા, જેમણે પોતાની 4 ઓવરમાં 42 રન આપ્યા હતા. જેસન હોલ્ડરે 4 ઓવરમાં 38 રન અને રોમારિયો શેફર્ડે 2.2 ઓવરમાં 34 રન ખર્ચ્યા હતા.

March 1, 2026
image-1.png
1min15

Pakistan out of T20 World Cup: વર્લ્ડ કપમાં આજે રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે. શ્રીલંકા સામેની મેચમાં જરૂરી રનરેટ અને સમીકરણો જાળવી રાખવામાં અસફળ રહેતા પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે, જ્યારે ન્યૂઝીલેન્ડે સત્તાવાર રીતે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સુપર 8 મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાને શ્રીલંકાને 147 રન સુધી રોકવું જરૂરી હતું પરંતુ શ્રીલંકાએ 15મી ઓવરના 5માં બોલે 147 રનનો આંકડો પર કરી લીધો હતો. જેથી ન્યૂઝીલેન્ડે રન રેટના આધારે સેમિ ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે.

મેચની 15.5 ઓવરમાં જ્યારે શ્રીલંકાએ 147 રનનો આંકડો વટાવ્યો, તેની સાથે જ પાકિસ્તાનની સેમિ ફાઈનલમાં પહોંચવાની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. ઉસ્માન તારિકના બોલ પર દાસુન શનાકાએ એક રન લેતાની સાથે જ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડના સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

પાકિસ્તાની ખેલાડીઓ મેદાન પર ભાવુક દેખાયા હતા, ખાસ કરીને યુવા બોલર અબરાર પોતાની આંખોમાં આંસુ રોકી શક્યો નહોતો. પાકિસ્તાન બહાર થતા અને ન્યૂઝીલેન્ડ ક્વોલિફાય થતા હવે કોલકાતા સેમિ ફાઈનલ મેચની યજમાની કરશે. તેમજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ યોજાશે.

March 1, 2026
image.png
1min16

Ayatollah Khamenei died : મધ્ય પૂર્વના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક વળાંક આવ્યો છે. ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલા બાદ હવે ઈરાની મીડિયા ‘પ્રેસ ટીવી’એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ આ હુમલામાં માર્યા ગયા છે. ઈરાની સેના IRGC તરફથી પણ ખામેનેઈના નિધનની પુષ્ટી કરી દેવામાં આવી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ ઓપરેશનની સફળતાની જાહેરાત કરતા જણાવ્યું કે, “ઇતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંથી એક હવે નથી રહ્યો.” ટ્રમ્પે દાવો કર્યો કે ઈઝરાયલ સાથેના અત્યંત સચોટ અને આધુનિક ગુપ્તચર ઓપરેશનને કારણે ખામેનેઈ અને તેમની સાથેના અન્ય નેતાઓ બચી શક્યા નથી. ટ્રમ્પે આને ઈરાની જનતા માટે સ્વતંત્રતાની સૌથી મોટી તક ગણાવી છે.

ઈરાની ન્યૂઝ ચેનલ ‘પ્રેસ ટીવી’ (Press TV) એ પુષ્ટિ કરી છે કે સંયુક્ત હવાઈ હુમલામાં સર્વોચ્ચ નેતા ખામેનેઈ અને તેમના પરિવારના કેટલાક સભ્યોના મોત થયા છે. આ જાહેરાત બાદ ઈરાનમાં 40 દિવસના જાહેર શોકની જાહેરાત કરવામાં આવી છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ સંકેત આપ્યા હતા કે ખામેનેઈનું આખું ઠેકાણું જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે અને તેમનો મૃતદેહ નષ્ટ થયેલા મહેલમાંથી મળી આવ્યો છે.

ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનની ક્રાંતિકારી ગાર્ડ્સ (IRGC), સેના અને પોલીસ હવે લડવા માંગતી નથી અને અમેરિકા પાસે માફી (Immunity) માંગી રહી છે. ટ્રમ્પે સૈનિકોને સંદેશ આપતા કહ્યું કે, “અત્યારે શરણાગતિ સ્વીકારશો તો માફી મળી શકે છે, પણ પછી માત્ર મોત જ મળશે.” તેમણે આશા વ્યક્ત કરી કે ઈરાની સૈનિકો દેશભક્તો સાથે મળીને દેશને ફરીથી બેઠો કરવામાં મદદ કરશે.

પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે વ્યુહાત્મક સ્થળો પર બોમ્બમારો આખું અઠવાડિયું અથવા જરૂર પડે ત્યાં સુધી ચાલુ રહેશે. માત્ર ખામેનેઈનું મોત પૂરતું નથી, પરંતુ ઈરાનની સૈન્ય શક્તિને સંપૂર્ણપણે નષ્ટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

February 28, 2026
image-36.png
1min15

જમ્મુ-કાશ્મીરે રણજી ટ્રોફીનો ખિતાબ પોતાને નામ કરી ઈતિહાસ રચ્યો છે. જમ્મુ-કાશ્મીરે કર્ણાટક સામેની આ મેચ પ્રથમ ઈનિંગની લીડના આધારે જીતી હતી. જેમાં જમ્મુ-કાશ્મીરે પહેલી ઈનિંગમાં 291 રનની લીડ મેળવી હતી. જેમાં પાંચમા દિવસે જમ્મુ-કાશ્મીરે બીજી ઈનિંગમાં ચાર વિકેટ પર 342 રન કર્યા અને તેની કુલ લીડ 633 રન થઈ ગઈ હતી. જમ્મુ-કાશ્મીરના કેપ્ટન પારસ ડોગરાએ ઈનિંગ્સ ડિકલેર કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ બંને ટીમના કેપ્ટન દિવસની રમત સમાપ્ત કરવા સંમત થયા, જેના પરિણામે મેચ ડ્રો થઈ. આમ, જમ્મુ-કાશ્મીરે ઐતિહાસિક જીત મેળવી હતી.

આ મેચમાં જમ્મુ-કાશ્મીર માટે આકિબ નબી ડારે પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઈનિંગમાં બેટર કામરાન ઈકબાલ અને સાહિલ લોટરાએ શાનદાર પ્રદર્શન કર્યું. બંને બેટ્સમેનોએ પાંચમી વિકેટ માટે અણનમ 197 રનની ભાગીદારી નોંધાવી હતી. ઈકબાલે 311 બોલમાં 16 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 160 રન બનાવ્યા હતા. જ્યારે સાહિલે 226 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 101 રન કર્યા હતા.

જમ્મુ-કાશ્મીરે પાંચમા દિવસે બીજી ઈનિંગ ચાર વિકેટ પર 186 રનથી આગળ રહી હતી. જમ્મુ-કાશ્મીર અને કર્ણાટકની મેચમાં ઈકબાલ અને સાહિલએ અંત સુધી શાનદાર પ્રદર્શન કર્યું. જેમાં કર્ણાટકના બોલર્સ બંનેની ભાગીદારી તોડી શક્યા ન હતા. અંતે મેચ ડ્રો થાય છે. કર્ણાટક તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ, વિજયકુમાર વિશાક અને શ્રેયસ ગોપાલે એક-એક સફળતા મળી હતી.

જમ્મુ-કાશ્મીરની પહેલી ઈનિંગના 584 રનના જવાબમાં કર્ણાટક 293 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પહેલી ઈનિંગમાં 291 રનની લીડ હોવા છતાં જમ્મુ-કાશ્મીરે ફોલો-ઓન લાગુ ન કરવાનો નિર્ણય લીધો હતો.

જમ્મુ-કાશ્મીર અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ જોવા માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના ‘X’ એકાઉન્ટ પર મેચની તસવીર શેર કરી હતી.

જમ્મુ-કાશ્મીરની સફર

  • જમ્મુ-કાશ્મીરે પહેલી વાર 1959-60ની સિઝનમાં રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો અને ત્યારથી તેને મજબૂત દાવેદાર માનવામાં આવતું નથી.
  • જમ્મુ-કાશ્મીરે આ સિઝન પહેલા 334 રણજી ટ્રોફી મેચ રમી હતી, જેમાંથી ફક્ત 45 મેચ જીતી હતી.
  • 1982-83માં સર્વિસિસ સામે તેમણે પહેલી જીત નોંધાવવામાં 44 વર્ષ લાગ્યા હતા.
  • નોકઆઉટમાં પહોંચવું ક્યારેય સરળ નહોતું, પરંતુ 2013-14માં તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા ત્યારે તેમણે મોટી સફળતા મેળવી હતી. જેમાં નેટ રન રેટ પર ગોવાને પાછળ છોડી દીધું હતું.
  • વર્ષ 2015-16માં તેમણે પરવેઝ રસૂલની કેપ્ટનશીપમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈને હરાવીને સૌથી મોટી જીત નોંધાવી હતી.
  • આ સિઝનમાં કોચ અજય શર્મા અને કેપ્ટન પારસ ડોગરાના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરે તેમના આત્મવિશ્વાસને પરિણામોમાં રૂપાંતરિત કરીને ટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી.
February 28, 2026
image-35.png
1min24

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઈઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે. આ હુમલાને પગલે ભારત સહિતના સહિત વિશ્વના અનેક દેશોએ પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ભારતે ઈરાન, ઈરાક, ઇઝરાયલ, સાઉદી અરેબિયા અને UAE સહિતના યુદ્ધગ્રસ્ત દેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જાહેર કરી છે.

ભારતીયો માટે એડવાઈઝરી જાહેર

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગલ્ફના દેશોમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ સાથે ઈમરજન્સી નંબર પણ જાહેર કરાયા છે.

ઈઝરાયલમાં વર્તમાન સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકો માટે મહત્ત્વની એડવાઇઝરી જાહેર કરી છે. નાગરિકોને સાવધાની રાખવા, હંમેશા સતર્ક રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓ તેમજ ‘હોમ ફ્રન્ટ કમાન્ડ’ દ્વારા આપવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાનું કડક પાલન કરવા જણાવાયું છે.

આ ઉપરાંત ભારતીય નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નિયુક્ત આશ્રયસ્થાનોની નજીક રહેવા અને સ્થાનિક સમાચાર તથા કટોકટીની ચેતવણીઓ પર સતત નજર રાખવાનું જણાવાયું છે. કોઈપણ કટોકટીના સમયે મદદ માટે તેલ અવીવ સ્થિત ભારતીય દૂતાવાસનો 24×7 હેલ્પલાઇન નંબર +972-54-7520711 અથવા ઈ-મેલ cons1.telaviv@mea.gov.in દ્વારા સંપર્ક કરી શકાય છે.

ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકોને દૂતાવાસમાં નોંધણી કરાવવા અપીલ

ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકો કે જેમણે હજુ સુધી દૂતાવાસમાં નોંધણી કરાવી નથી, તેમને નીચેની લિંકનો ઉપયોગ કરીને નોંધણી કરાવવા વિનંતી છે:

https://indembassyisrael.gov.in/indian_national_reg

નોંધણી કરવાથી દૂતાવાસ તાત્કાલિક તમારો સંપર્ક કરી શકશે અને પરિસ્થિતિના વિકાસ દરમિયાન જરૂરી અપડેટ્સ અને સહાય પૂરી પાડી શકશે.

ભારત બાદ યુરોપિયન દેશોએ પણ જાહેર કરી એડવાઇઝરી

ભારત સરકારે અગાઉ જ સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી વર્તવા જણાવ્યું હતું. હવે બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી અને જર્મની જેવા યુરોપિયન દેશોએ પણ પોતાના નાગરિકોને આ પ્રભાવિત વિસ્તારોની મુસાફરી ટાળવા અથવા ત્યાંથી તાત્કાલિક નીકળી જવા તાકીદ કરી છે. સરકારએ ચેતવણી આપી છે કે સ્થિતિ બગડતા ફ્લાઇટ કેન્સલ થઈ શકે છે અથવા એરસ્પેસ લાંબા સમય સુધી બંધ રહી શકે છે.

યુરોપિયન દેશોએ જાહેર કરી કડક સૂચનાઓ

બ્રિટિશ સરકારે ઈરાનમાંથી પોતાના સ્ટાફને કામચલાઉ ધોરણે પાછો બોલાવી લીધો છે અને દૂતાવાસ રિમોટલી કામ કરશે તેવી જાહેરાત કરી છે. ફ્રાન્સે પણ ઈઝરાયલ, જેરૂસલેમ અને વેસ્ટ બેંકની મુસાફરી ન કરવા સલાહ આપી છે. ઇટાલીએ પ્રવાસી તરીકે ઈરાન ગયેલા પોતાના નાગરિકોને પરત ફરવા વિનંતી કરી છે અને ઈરાક તથા લેબનોન જવાની પણ સખત મનાઈ કરી છે. પોલેન્ડ અને ડચ વિદેશ મંત્રાલયે પણ પશ્ચિમ એશિયામાં સુરક્ષાની અસ્થિર સ્થિતિને જોતાં ઈઝરાયલ, ગાઝા અને લેબનોન છોડવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત સ્વીડન, ફિનલૅન્ડ, સર્બિયા અને સાયપ્રસે પણ ઈરાન અને ઈઝરાયલ માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.

વિસ્તારમાં તણાવ વધતા અમેરિકાએ પણ પોતાની સૈન્ય હાજરી મજબૂત કરી છે. અમેરિકાએ બે એરક્રાફ્ટ કેરિયર અને F-35 સ્ટીલ્થ ફાઇટર સહિત 150થી વધુ લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. સુરક્ષાના કારણોસર અમેરિકાએ બેરૂત સ્થિત પોતાના દૂતાવાસમાંથી પોતાના કર્મચારીઓને પાછા બોલાવી લીધા છે. હાલમાં ડ્રોન અને મિસાઇલ હુમલાનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે અને સ્થિતિ ગમે ત્યારે વધુ ખરાબ થઈ શકે છે તેવી આશંકા પણ છે.