ગુજરાતમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્તોનો આઠ જ દિવસમાં નવો વિક્રમ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૧૨૭૨ પોઝિટિવ કેસ મળ્યા છે અને વધુ ૧૪ દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાં છે. ૨૧ ઓગસ્ટના રોજ પહેલી વખત રાજ્યમાં ૧૨૦૦ની સપાટીને પાર થયા પછી બીજી વખત નવી વિક્રમી સપાટી સાથે કેસ નોંધાયા છે. કુલ કેસ ૯૨,૬૦૧ થયા છે. આ સાથે રાજ્યના એક્ટિવ કેસનો આંક ૧૫૦૦૦ને પાર થયો છે. આ આંક દોઢ મહિનામાં પાંચ હજાર કેસ વધીને ૧૫૦૭૨ થયા છે. ૧૧ જુલાઇના રોજ એક્ટિવ કેસ બમણાં થઇ ૧૦,૦૦૦ને પાર થયા હતા. આમ, છેલ્લા એક મહિનામાં નવા કેસની સરખામણીમાં સાજા થનારાની સંખ્યા ભલે વધી હોય, પરંતુ સતત વધતાં કેસ સામે હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરોમાં રહીને સારવાર લઇ રહેલા એક્ટિવ દર્દીમાં વધારો થયો છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં માર્ચ મહિનાથી સંક્રમિત થયેલા શહેરોમાં જૂન સુધી ગંભીર સ્થિતિમાં આવતા દર્દીઓની સંખ્યા ઘણી ચિંતાજન હતી, એવી સ્થિતિ હવે ધીમે ધીમે ઘટી રહી હોવાનો દાવો કોરોનાની સારવાર સાથે સંકળાયેલા તજજ્ઞો કરી રહ્યા છે. શહેરોમાં બેકાળજી અને હજીયે અન્ય ગંભીર બિમારીઓ સાથે કોરોનાથી સંક્રમિત થનારા કેસમાં મૃત્યુની સંખ્યા ઘટી રહી છે એમ છતાં રાજ્યમાં રોજેરોજ થતાં મૃત્યુમાં શહેરી વિસ્તારના દર્દીઓની સંખ્યા ૭૫ ટકાથી વધારે હોય છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં કેસની સંખ્યા વધી રહી હોય એમ સ્પષ્ટ જણાય છે. શહેરમાંથી ૧૭૮ કેસ નવા નોંધાયા છે, પરંતુ જિલ્લામાંથી એક સાથે નવા ૯૨ કેસ ઉમેરાયા છે. બન્નેમાં અનુક્રમે બે અને એક મળી કુલ ત્રણ દર્દીના મૃત્યુ થયા છે. અમદાવાદ શહર રાજ્યમાં સૌથી વધુ પાંચ દર્દીના મૃત્યુ સાથે આજે ટોપ પર છે.
જ્યારે પોઝિટિવ કેસમાં ૧૪૩ નવા દર્દી ઉમેરાયા છે અને જિલ્લામાંથી ૨૩ કેસ પણ આવ્યા છે. ત્રીજા ક્રમે વડોદરામાં હવે ગમે ત્યારે કેસની સંખ્યા સદીને પાર કરે એવી શક્યતા છે. નવા ૯૭ કેસ સાથે જિલ્લાના ૩૫ કેસ મળી કુલ ૧૩૨ કુલ કેસ થાય છે. એક એક દર્દીના કોવિડથી મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૩ અને ગ્રામ્યના ૨૫ મળી ૩૮ કેસ થાય છે.
સૌરાષ્ટ્ર એક સપ્તાહથી વધુ સમય સુધી ટોપ ઉપર રહ્યા પછી જામનગરમાં આજે રાજકોટની સરખામણીમાં ઓછા કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલ ૧૦૨ કેસ નોંધાયા છે એમાં શહેરના ૮૨ નવા કેસનો સમાવેશ થાય છે. એક એક દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે જામનગર શહેરમાંથી નવા ૮૧ કેસ અને ગ્રામ્યના ૧૧ મળી કુલ ૯૨ કેસ થવા જાય છે. ભાવનગર શહેરમાંથી વધુ ૩૭ અને ગ્રામ્યના ૨૮ કેસ મળી ૬૫ કેસ થાય છે. જૂનાગઢમાં સ્થિતિ નિયંત્રણમાં આવી હોય તેમ કુલ ૨૫ કેસમાં શહેરના ૧૪ કેસનો સમાવેશ થાય છે.
રાજ્યના અન્ય જિલ્લામાં જોઇએ તો પંચમહાલમાં ૩૦, અમરેલામં ૨૮, મોરબી ૨૬, ગીર સોમનાથ ૨૪, બનાસકાંઠા ૨૩, કચ્છ ૨૨, ભરૂચ ૨૧ કેસ નવા નોંધાયા છે. જ્યારે મહેસાણામાં ૧૯, વલસાડ ૧૮ કેસ, આણંદ અને પાટણમાં ૧૬-૧૬, દાહોદ અને દેવભૂમિ દ્વારકામાં ૧૫-૧૫ કેસ નોંધાયા છે. નવસારી જિલ્લામાં ૧૪, ખેડામાં ૧૩, નર્મદા ૧૨, છોટાઉદેપુર, મહીસાગરમાં ૯-૯, સુરેન્દ્રનગર ૮, બોટાદ ૭, અરવલ્લી, બનાસકાંઠા, તાપી ૬-૬, પોરબંદર ૫ અને ડાંગમાં ૨ નવા કેસ ઉમેરાયા છે.
આમ, ચોવીસ કલાકમાં વધુ ૧૦૫૦ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ સંખ્યા ૭૪,૫૫૧ થઇ છે. એક્ટિવ કેસની સંખ્યા ૧૫૦૭૨ થઇ છે એમાં ૮૫ વેન્ટીલેટર ઉપર છે અને ૧૪૯૮૬ સ્ટેબલ છે







