CIA ALERT

સૌરાષ્ટ્ર Archives - Page 24 of 59 - CIA Live

March 23, 2021
ambaji_temple-1280x720.jpg
1min493

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરેલા ભક્તોને પ્રવેશ આપવા નહીં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવીને આ અંગેની માહિતી આપી છે. આ પહેલા અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાનાં મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરના પ્રવેશદ્વાર પર લગાવેલા બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે, નમ્ર વિનંતી ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવો પોષાક પહેરીને જ મંદિર સંકુલમાં પ્રવેશ કરવા વિનંતી. ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર સંકુલમાં પ્રવેશ ન કરવા વિનંતી. મહત્ત્વનું છે કે, અંબાજી મંદિરમાં રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે ત્યારે તમામ ભક્તજનોએ આ અંગે હવે સાવચેતી રાખવી પડશે.

રાજ્યભરમાંથી હજારો પ્રવાસીઓ અંબાજી મંદિર ખાતે આવતા હોય છે. લોકો મા અંબાના દર્શન કરી ધન્ય બનતા હોય છે ત્યારે હવે મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં એક મર્યાદા સાથે સંકૃતિનું પાલન થાય તે માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશમાંથી અલગ અલગ સ્થળો પરથી આવતા શ્રદ્ધાળુઓ બરમુડા, સ્કર્ટ જેવા ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા હોય છે. આ કારણે મંદિરમાં અન્ય લોકો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાતા હોય છે.

March 22, 2021
corona-gujarat.jpg
1min478

ગુજરાતમાં 24 કલાકમાં 1585 નવા કેસ સામે આવ્યા છે તો વધુ 989 દર્દીઓ સ્વસ્થ થતાં હવે રિકવરી રેટ પણ 95.90% થયો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કુલ 1585 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 989 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 2,75,238 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 95.90%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 451, સુરતમાં 510, વડોદરામાં 132 તેમજ રાજકોટમાં 130 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 7321 એક્ટિવ કેસમાંથી 71 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 7250 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, વડોદરામાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4450એ પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 30,48,462 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 5,96,893 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું હતું. આમ કુલ 36,45,355 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા હતાં. જ્યારે આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,09,305 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

March 22, 2021
holi.jpg
1min602

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં થઇ રહેલા વધારાને પગલે હવે હોળી-ધુળેટી પર્વની જાહેરમાં ઉજવણીના કાર્યક્રમો પર પ્રતિબંધ ફરમાવાયો છે જોકે હોલીકા દહન માટે છૂટ આપવામાં આવી છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે હતું કે, રાજ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે, પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્યમાં ધુળેટીની જાહેર ઉજવણી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

શનિવારે મુખ્ય પ્રધાન સાથેની કોરગ્રુપની મીટિંગમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. ધાર્મિક ઉજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અત્યારે કેટલાંક શહેરોમાં જુદા જુદા પ્રકારના સ્ટ્રેઇન જોવા મળી રહ્યા છે. પરંતુ સદનસીબે જે ઇંગ્લેન્ડનો સ્ટ્રેન ખૂબ ફેલાવે એવી ચિંતા હતી તેવા ચિંતાકારક કોઈ સ્ટ્રેન હોય તેવું માલૂમ પડ્યું નથી. ક્રિકેટના કારણે સંક્રમણ ફેલાયું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે સંક્રમણ ફેલાયું તેવું કહેવું ઉચિત નથી. કારણ કે એવું હોત તો મહારાષ્ટ્રમાં ચૂંટણી નથી, મેચ પણ નથી છતાં દેશના ૫૦ ટકા કરતાં વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવે છે. અગાઉ જે કોરોનાના ગંભીર કેસ આવતા હતા, એવા ગંભીર કેસ હાલમાં રાજ્યમાં નોંધાઈ રહ્યા નથી.

March 21, 2021
corona-gujarat.jpg
1min479

૨૦મી માર્ચ ૨૦૨૧ના રોજ રાત્રે ૮ કલાકે પૂરા થયેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1565 નવા કેસ નોંધાતા કુલ કેસનો આંક 2,85,429 પર પહોંચ્યો છે. બીજી તરફ આજે 6 દર્દીના મૃત્યુ થતા કોરોનાથી મૃતકનો કુલ આંક 4443 થયો છે.

તા.૨૦મી માર્ચે રાત્રે ૮ કલાકે મળતી માહિતી મુુુજબ 969 દર્દી કોરાનાને મહાત આપવામાં સફળ થતા ડિસ્ચાર્જ દર્દીનો આંક 2,74,249 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારે 6737 એક્ટિવ કેસ છે, જેમાં 69 દર્દી વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં નોંધાયેલા 1565 નવા કેસમાં ચાર મહાનગરોમાંથી આવેલા આંકડા ખૂબ જ ચિંતાજનક છે.

રાજ્યના મોટા શહેરો જેવા કે સુરતમાં 484, અમદાવાદમાં 406, વડોદરામાં 151, રાજકોટમાં 152, ભાવનગરમાં 35, જામનગરમાં 32, ગાંધીનગરમાં 33, જૂનાગઢમાં 13, મહેસાણામાં 29, ખેડામાં 27, પંચમહાલમાં 24, દાહોદમાં 19, નર્મદામાં 18, કચ્છ અને સાબરકાંઠામાં 16-16, ભરૂચ અને મહીસાગરમાં 14-14, આણંદમાં 12, બનાસકાંઠા, મોરબી અને પાટણમાં 11-11, અમરેલીમાં 8, નવસારી અને સુરેન્દ્રનગરમાં 5-5, ગીર સોમનાથમાં 4, દેવભૂમિ દ્વારકા અને તાપીમાં 3-3, અરવલ્લી અને વલસાડમાં 2-2, બોટાદ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાવાપામ્યો છે. જ્યારે ડાંગમાં એકપણ કેસ નોંધાવા પામ્યો નથી. જ્યારે આજે અમદાવાદમાં 2, સુરતમાં 2 જ્યારે રાજકોટ અને વડોદરામાં 1-1 મૃત્યુ નોંધાયા છે.

March 17, 2021
ferry.jpg
1min935

દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ, પોર્ટ્સ, શિપીંગ અને વોટરવેઝ મંત્રાલય ભારત સરકાર દ્વારા દહેજ-ઘોઘા-દહેજ વચ્ચે એક નવી ફેરી સર્વિસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ ફેરી મુસાફરો માટે ખૂબ જ આરામદાયક તેમજ ઓછા સમયમાં વધારે અંતર કાપવાની ક્ષમતા ધરાવશે. સંપૂર્ણ એસી બેઠક વ્યવસ્થા ધરાવતી આ ફેરી ફક્ત 2.00 કલાકમાં ઘોઘાથી દહેજ વચ્ચેનું અંતર કાપી શકશે, જ્યારે રોડ મુસાફરીમાં લગભગ 7-8 કલાકનો સમય લાગે છે. 

વધુમાં મુસાફરોને સુવિધા રહે તે માટે ઘોઘા અને દહેજની આસપાસના વિસ્તારોમાં બસ ડ્રોપ અને પીકઅપ સુવિધા પણ રાખવામાં આવી છે. આ ફેરી દરરોજ સવારે 10 કલાકે દહેજથી અને ઘોઘાથી બપોરે 3.30 કલાકે પ્રસ્થાન કરશે. 

અંક્લેશ્વર-દહેજથી પીકઅપ માટેના સ્થળોમાં વાલિયા ચોકડી, ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી સર્કલ ચોકડી, દહેજ રોપેક્સ ટર્મિનલનો તથા ઘોઘા-ભાવનગરથી પીકઅપ માટેના સ્થળોમાં નિલમબાગ જેલ સર્કલ, કાળીયાબીડ પાણીની ટાંકી, સંસ્કાર મંડળ, શિવાજી સર્કલ અને ઘોઘા ફેરી ટર્મિનલનો સમાવેશ થાય છે. આ ફેરીના કોન્ટ્રાક્ટર એંગ્રીયા સીઇગલ લિમીટેડ છે. ફેરીનું એક તરફી ભાડુ પુખ્ત વયના લોકો માટે રૂ. 350 અને 12 વર્ષથી નાના બાળકો માટે રૂ. 250 નક્કી કરવામાં આવ્યા છે.

March 10, 2021
vaccine-1.jpg
1min395

ગુજરાતમાં ૨૫૫૦ જેટલી સરકારી સંસ્થાઓમાં વિના મૂલ્યે વેક્સીનેશનની સંપૂર્ણ સગવડયુક્ત સુવિધા ઉપલબ્ધ બનાવી છે એવું રાજયના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતુ. ગુજરાત વિધાનસભામાં બોલતા તેમણે વધુમાં કહ્યું હતુ કે, રસીકરણના કાર્યક્રમને ૪ નિષ્ણાત તબીબોની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા આખરી ઓપ અપાયા બાદ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રસીકરણની કામગીરીનો ગુજરાતમાં આરંભ થઈ ચૂક્યો છે. કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસી પર્યાપ્ત માત્રામાં ગુજરાતને ઉપલબ્ધ થઈ છે.

રસીકરણના કાર્યક્રમ માટે રાજ્યમાં ૧૬૦૦૦ વેક્સિનેટરને તાલીમબદ્ધ કરાયા છે. પ્રત્યેક સેન્ટર ઉપરથી એક દિવસમાં ૧૦૦ લોકોને રસી અપાતાં પ્રતિદિન ૧૬ લાખ લોકોને રસી આપી શકાય તેવું આયોજન કરાયું છે. વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાના ૬ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ ૪૧ સ્ટોર તથા ૨૧૮૯ કોલ્ડ ચેઈન પોઈન્ટ પ્રથમ તબક્કે ઉપલબ્ધ છે.

March 3, 2021
guj_budget.jpg
3min398

નાયબ મુખ્યમંત્રી તેમજ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે રાજ્યનું 2021-22નું બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટનું કદ 2,27,029 કરોડ રુપિયાનું છે. ગુજરાતના અત્યારસુધીના સૌથી મોટા બજેટમાં આરોગ્ય, શિક્ષણ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પોતાની બજેટ સ્પીચમાં નીતિન પટેલે આગામી પાંચ વર્ષમાં બે લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ-મહેસાણા હાઈવેને સિક્સ લેન બનાવવાની તેમજ અમદાવાદ-ગાંધીનગર અને સુરત સિવાય વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો દોડાવવા માટે આયોજન કરાયું છે.

587.88 કરોડ રુપિયાન પુરાંત દર્શાવતા આ બજેટમામં મહેસૂલી આવક 1,67,969.40 કરોડ, મહેસૂલી ખર્ચ 1,66,760.80 કરોડ અંદાજવામાં આવ્યા છે. જ્યારે મહેસૂલી હિસાબ પર પુરાંત 1208.60 કરોડ, મૂડીની આવક 50751 કરોડ, લોન અને પેશગીઓ વગેરે સહિત મૂડી ખર્ચ 56,571.72 કરોડ, મૂડી હિસાબ પર ખાધ (માઈનસ) 5820.72 કરોડ અંદાજવામાં આવ્યા છે. કોરોનાને કારણે સરકારે આ બજેટમાં કોઈ નવા કરવેરા નથી નાખ્યા અને પ્રવર્તમાન વેરામાં કોઈ પ્રકારનો વધારો પણ નથી કર્યો.

ગૃહ વિભાગ માટે 7960 કરોડની જોગવાઈ

– ગૃહ વિભાગમાં વિવિધ સંવર્ગની 3020 નવી જગ્યા ઉભી કરાશે

– 41 શહેરોમાં 6000થી વધુ સીસીટીવી કેમેરા લગાડાશે.

– પોલીસ તંત્ર માટે 876 વાહનો ખરીદવામાં આવશે

– પોલીસ આધુનિકીકરણ માટે 26 કરોડની જોગવાઈ

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ

– 800 ડિલક્ષ અને 200 સ્લીપર કોચ મળીને 1000 નવી એસટી બસો કાર્યરત કરાશે. લાંબા અંતરની મુસાફરી માટે 500 વોલ્વો બસ પીપીપી ધોરણે શરુ કરાશે

– એસટી દ્વારા 50 ઈલેક્ટ્રીક બસો સંચાલનમાં મૂકાશે. 50 સીએનજી વાહનોનો પણ સમાવેશ કરાશે

– રાજકોટ, માધાપર ચોકડી ખાતે પીપીપી ધોરણે નવું બસ સ્ટેશન બનાવાશે

– 4800 કરોડના રોકાણ સાથે નારગોલ અને ભાવનગર બંદરનો પીપીપી ધોરણે વિકાસ કરાશે

– દહેજ ખાતે કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતિકરણ માટે 1200 કરોડના ખર્ચે બીજી જેટ્ટી વિકસાવાશે

– નવલખી બંદર ખાતે 192 કરોડના ખર્ચે નવી જેટી બનાવાશે

– સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ ખાતે 25 કરોડના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે

માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 11,185 કરોડની જોગવાઈ

– સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રિકારપેટ ના થયા હોય તેવા 4949 કામોના 16,857 કિમી લંબાઈના રસ્તાના રિસરફેસિંગ માટેના કામો 4506 કરોડના ખર્ચે હાથ ધરાશે

– 3400 કરોડના ખર્ચે 68 નવા રેલવે ઓવરબ્રિજ બનશે

– 2893 કરોડના ખર્ચે અમદાવાદ-બગોદરા-રાજકોટના 201 કિમીના રસ્તાને સિક્સ લેન બનાવવાનું કામ પ્રગતિમાં

– સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડતા રાજકોટથી અમદાવાદ રસ્તાનું 2620 કરોડના ખર્ચે સિક્સ લેનનું કામ પ્રગતિ હેઠળ

– 116 રસ્તાના અનુભાગોની 1951 કિમ લંબાઈને 10 મીટર કે 7 મીટર પહોળા કરવાની કામગીરી 2331 કરોડના ખર્ચે પ્રગતિમાં

– 3015 કિમીના ગ્રામ્ય માર્ગોને સાડા પાંચ મીટર સુધી પહોળા કરવા 1749 કરોડની અંદાજીત કિંમતના કામોનું આયોજન

– અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રાજ્ય સરકારના શેરફાળા પેટે 1500 કરોડની જોગવાઈ

– અમદાવાદ-મહેસાણા હાઈવે સિક્સ લેન બનશે, જેના માટે 100 કરોડની જોગવાઈ

– વિધાનસભાની સદસ્ય નિવાસ સમિતિની ભલામણ અનુસાર ગાંધીનગર ખાતે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,323 કરોડની જોગવાઈ

– પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના માટે 1106 કરોડની જોગવાઈ

– ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મૂલ્યે સારવાર પૂરી પાડતી બાલસખા-3 માટે 145 કરોડની જોગવાઈ

– નવી સિવિલ, અમદાવાદની સુવિધાઓને 87 કરોડના ખર્ચે અપગ્રેડ કરાશે

– 108 સર્વિસમાં 30 કરોડના ખર્ચે નવી 150 એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે.

મહિલા અને બાળ વિકાસ માટે 3511 કરોડની જોગવાઈ

– પૂરક પોષણ યોજનાઓ માટે 939 કરોડની જોગવાઈ

– ગંગા સ્વરુપ આર્થિક સહાય યોજના હેઠળ 8 લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા 700 કરોડની જોગવાઈ

– 15થી 18 વર્ષની 11 લાખ 76 હજાર કિશોરીઓને લાભ આપવા પૂર્ણા યોજના અંતર્ગત 220 કરોડની જોગવાઈ

પાણી પુરવઠા માટે 3974 કરોડની યોજના

– આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ 2841 ગામોના પ્રગતિ હેઠળના તથા 1941 ગામોના મંજૂર થયેલા પાણી પુરવઠાના કામો માટે 1 હજાર કરોડની જોગવાઈ

– વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, સુરત, નવસારી અને વલસાડમાં બલ્ક પાઈપલાઈન યોજનાઓ માટે 968 કરોડની જોગવાઈ

– નાવડાથી ચાવંડ અને બુધેલથી બોરડા સુધીની 143 કિલોમીટરની બલ્ક પાઈપલાઈન માટે 675 કરોડની જોગવાઈ

– સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ગામોમાં 27 કરોડ લિટર ક્ષમતાના ડીસસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા 300 કરોડની જોગવાઈ

– રાજ્યના બાકી રહેલા 17 લાખ 78 હજાર ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા 300 કરોડની જોગવાઈ

– અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં ઔદ્યોગિક ગંદા પાણીના વહન માટે 2275 કરોડના પ્રોજેક્ટનું અમલીકરણ થશે, જેના માટે 758 કરોડની જોગવાઈ.

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે કુલ 4353 કરોડની જોગવાઈ

– વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃદ્ધ યોજના અને વય વંદના અંતર્ગત 10 લાખ 95 હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા 1032 કરોડની જોગવાઈ

– 6.63 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 549 કરોડની જોગવાઈ

– 1.82 લાખ કન્યાઓને વિના મૂલ્યે સાઈકલ આપવા સરસ્વતી સાધના યોજના હેઠળ 71 કરોડની જોગવાઈ

– કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ હવે 12 હજાર રુપિયા અપાશે, જેના માટે 40 કરોડની જોગવાઈ.

શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે 13,493 કરોડની જોગવાઈ

– ન.પા., મનપા અને શહેરી વિકાસ સત્તામંડળો માટે 4563 કરોડની જોગવાઈ

– અમદાવાદ સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મનપા તથા દાહોદ નપાને સ્માર્ટ સિટી હેઠળ 700 કરોડની જોગવાઈ

– અમદાવાદ-ગાંધીનગર તેમજ સુરત શહેરમાં મેટ્રો રેલ માટે 568 કરોડની જોગવાઈ

– 2022માં શહેરમાં સૌને ઘર આપવા માટે 55,000 આવાસો બનાવાશે, જેના માટે 900 કરોડની જોગવાઈ

– રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં પણ મેટ્રો લાઈટ- મેટ્રો નીઓ જેવી નવી ટેક્નોલોજીવાળી મેટ્રો સેવા શરુ કરાશે, જેના માટે 50 કરોડ ફાળવાયા

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કોરડની જોગવાઈ

– ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, પાણી, ગટરની વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણની પ્રાથમિક વ્યવસ્થા માટે 15મા નાણાંપંચ હેઠળ 2385 કરોડની જોગવાઈ

– માદરે વતન અને રુર્બન યોજના માટે 140 કરોડની જોગવાઈ

March 2, 2021
Bhavnath_Mahadev.jpg
1min445

ગિરિવર ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતો વિખ્યાત મહાશિવરાત્રીનો મેળો કોરોના સંક્રમણને લીધે મોકૂફ રાખવાની જિલ્લા કલેકટરે જાહેરાત કરી હતી. પણ સાધુ-સંતો દ્વારા પરંપરાગત જાળવવામાં આવશે.

કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને મેયર ધીરૂભાઈ ગોહેલની ઉપસ્થિતિમાં સાધુ-સંતો ઉતારા મંડળના હાદ્દેઁદારની બેઠકમાં કલેકટરે કોરોના સંક્રમણ હોવાથી શિવરાત્રી મેળો મોકૂફ (રદ)ની જાહેરાત કરી હતી.

તેમણે ઉમેર્યું કે, શિવરાત્રી મેળાની સાધુ-સંતો દ્વારા પરંપરાગત’ જળવાશે. તેમાં આગામી તા.8 ને રવિવારે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાશે અને શિવરાત્રીની રાત્રે’ રવેડી નીકળશે પણ તેમાં માત્ર સાધુ-સંતોજ જોડાઈ શકશે. મેળામાં સાધુ-સંતો દ્વારા યોજાનાર કાર્યક્રમોમાં લોકોને પ્રવેશ અપાશે નહીં. આ નિર્ણયથી માત્ર પરંપરા જળવાશે. કલેકટરના આ નિર્ણયથી શિવરાત્રી મેળાની આશામાં બેઠેલાઓના અરમાનો ચકનાચૂર થઈ ગયા છે.

શિવરાત્રીનો મેળો ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાવાય છે. તેથી મેળામાં વર્ષોવર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે અને પાંચ દી’’ તળેટીમાં શિવનાદ ગુંજે છે પરંતુ આ વર્ષે માત્ર સાધુ-સંતો પૂરતો મર્યાદિત રહેશે.

જૂનાગઢ મનપા દ્વારા દોઢેક માસ પહેલા તૈયારીઓ આરંભી દેવાઈ હતી. આવતીકાલ તા.2ના તળેટીમાં સ્ટોલની હરાજી કરનાર હતી પણ આ નિર્ણયથી બંધ રખાઈ છે. આ બેઠકમાં કમિશનર તુષાર, સુમેરા ઉતારા મંડળના ભાવેશ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા.’

March 1, 2021
gujarat_vidhansabha.jpg
1min427

ગુજરાત વિધાનસભાનું 31 દિવસિય બજેટ સત્ર આજરોજ તા. 1 માર્ચ 2021ને સોમવારથી શરુ થયું છે, આ સત્ર તા. 1લી, એપ્રિલ 2021ના દિવસે પૂરું થશે. આ સત્ર દરમ્યાનમાં 10 દિવસ રજાની રજા રહેશે અને 20 દિવસ ગૃહનું કામકાજ થશે.

સામાન્ય રીતે ગૃહની બેઠક’ પ્રથમ કે બીજા દિવસે સરકારનું બજેટ રજૂ થતું હોય છે પરંતુ આ વખતે બેઠકના પ્રથમ દિવસે જ રાજ્યના બે પૂર્વ મુખ્યપ્રધાનો અને 11 જેટલા પૂર્વ ધારાસભ્યોના નિધન બદલના શોક-પ્રસ્તાવો રજૂ થશે ત્યારબાદ ગૃહની બેઠક મુલતવી રહેશે.

બેઠકના બીજા દિવસે પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના હોવાથી રજા રહેશે. જ્યારે 3જી, માર્ચે ગૃહની બે બેઠક મળશે. જેમાં પ્રથમ બેઠકમાં જ લગભગ સવારના 11 વાગ્યાની આસપાસ રાજ્ય સરકારનું વર્ષ 2021-22નું વાર્ષિક બજેટ રજૂ કરાશે.

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું બજેટનું કુલ કદ રૂ. 2.17 લાખ કરોડ જેટલું છે પરંતુ આ વર્ષમાં કોરોના-લોકડાઉનની અસરને કારણે સરકારની વેરાની આવકો ઘટી હોવાથી વર્ષ 2021-22નું કદ રુ. 2.30 કરોડની આસપાસ રહે તેવી સંભાવના છે.

રાજ્ય વિધાનસભાના આ વખતના બજેટ સત્રમાં સરકારને તેની કામગીરી બદલ ઘેરી શકાય તેવા મોંઘવારી, કોરોના, લોકડાઉન, મંદી, બેકારી ઉપરાંતના સંખ્યાબંધ મુદ્દાઓ છે. જેને લઈ વિપક્ષ કોંગ્રેસ, વર્તમાન સરકાર પર પસ્તાળ પાડી શકે છે પરંતુ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના સંપૂર્ણ રકાશની સ્થિતિ જોતાં કોંગ્રેસના સભ્યોનું નૈતિક બળ તૂટયું છે અને તેનો ભરપૂર લાભ સત્તાધારી પક્ષ-ભાજપ ઉઠાવશે.

આ વખતના વિધાનસભાના સત્રની કામગીરી મુજબ, બેઠકના પ્રથમ દિવસે રાજ્યપાલ દ્વારા ગૃહને જે સંબોધન કરાશે, તેનો આભાર માનતી ચર્ચા 3 દિવસ સુધી ચાલશે ત્યારબાદ સરકારને હાલના ચાલુ બજેટ કરતાં જ્યાં વધુ ખર્ચ કર્યો હશે ત્યાં વધારાની રકમની માગણી કરતાં પૂરક બજેટ ઉપર 2 દિવસ સુધી ચર્ચા થશે. એવી જ રીતે નાણાપ્રધાન નીતિન પટેલ દ્વારા રાજ્ય સરકારનું જે વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કરાશે. તેના ઉપર ગૃહમાં 4 દિવસ સુધી ચર્ચા કરાશે. 9 દિવસની આ ચર્ચાઓ બાદ રાજ્ય સરકારના 26 વિવિધ વિભાગોના બજેટ (માગણીઓ) પરની ચર્ચા આરંભાશે. જે 12 દિવસ સુધી ચાલશે. અંતે 31મી, માર્ચે રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ મુજબ તેને ખર્ચ કરવાની સત્તા આપતું વિનિયોગ વિધેયક રજૂ કરીને પસાર કરી દેવાશે. જ્યારે 1લી એપ્રિલના અંતિમ દિવસે સરકારી વિધેયકો અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરાશે. આ વખતના બજેટ સત્રમાં કુલ 4 દિવસ ડબલ બેઠકો યોજાશે. જેમાં સત્રના બીજા જ દિવસે રજા રહેવાની હોવાથી તે દિવસનું કામકાજ 3 માર્ચે બે બેઠક યોજીને પૂરું કરાશે. એવી જ રીતે 10 માર્ચ, 16 અને 23 માર્ચે બે બેઠક યોજાશે.

વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જાહેર કર્યા મુજબ લવ જેહાદ ઉપરનું વિધેયક રજૂ કરાશે. જેમાં હિંદુ યુવતી સાથે મુસ્લિમ ઉપરાંત અન્ય કોઈપણ ધર્મના યુવક લગ્ન કરશે તો, તેના માટેની વ્યાખ્યા નક્કી કરાશે. જેની સામેની કાયદાકીય કાર્યવાહી માટેની પ્રક્રિયા, સક્ષમ સત્તા મંડળ રચાશે. જો, યુવક ગુનેગાર ઠરે તો, તેને સામે દંડનીય કે જેલની સજા સહિતની જોગવાઈઓ થશે. આ વિધેયક ઉપર ગૃહમાં ચર્ચા થશે અને અંતે તે બહુમતિથી પસાર કરાશે. આ ઉપરાંત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ગુજરાત રાજવીત્તિય જવાબદારી (સુધારા) વિધેયક, ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક (સુધારા) વિધેયક ઉપરાંત અન્ય 7 જેટલા વિધેયકો રજૂ કરાશે.

February 27, 2021
vaccine-1.jpg
1min1505

કેન્દ્ર સરકારે શુક્રવાર તા.26મી ફેબ્રુઆરી 2021ના રોજ જાહેર કર્યું હતું કે ૬૦થી વધુ વયની બધી જ વ્યક્તિ અને એકથી વધુ રોગ ધરાવતી ૪૫થી વધુ વયની કોઇપણ વ્યક્તિ ૧લી માર્ચથી કોવિડ-૧૯ની રસી મુકાવી શકશે અને એ માટે તેઓ ત્રણ રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

1 માર્ચે કેન્દ્ર સરકાર કોવિડ 2.0 વેબસાઈટ લોન્ટ કરશે, એના પર યોગ્ય ઉંમર ધરાવનાર વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. ઉપરાંત આરોગ્ય સેતુ મોબાઈલ એપ હોય તો એમા એક નંબર ઉપર ચાર વ્યક્તિનું રજિસ્ટ્રેશન થઈ શકશે. આ નોંધણી માટે આધાર્ડ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ઈલેક્શન કાર્ડ સહિત ફોટા સાથેના સરકારના માન્ય ઓળખપત્રોની જરૂર રહેશે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેરાત પ્રમાણે ઉપરોક્ત કૅટેગરીની કોઇપણ વ્યક્તિ રસી મુકાવવા માટે ત્રણ રીતે નોંધણી કરાવી શકશે.

રસીકરણ માટે પોતાનું નામ નોંધાવવાની રીતો આ પ્રમાણે છે:

  • પહેલી રીત ઑનલાઇનની છે અને આ રીત હેઠળ લાભકર્તા અગાઉથી પોતાનું નામ ઑનલાઇન નોંધાવી શકશે. આ માટે એમણે કો-વિન ૨.૦ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય ઍપ મારફત પોતાનું નામ નોંધાવવાનું રહેશે. આ પોર્ટલ અને ઍપ્સ પર સરકારી તેમ જ ખાનગી રસીકરણ કેન્દ્રોના નામ, રસીકરણ માટે નિયત કરેલા સમય અને તારીખની માહિતી આપેલી હશે. વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે સરકારી અથવા ખાનગી કેન્દ્રની પસંદગી કરીને અપોઇન્ટમેન્ટ બુક કરાવી શકશે.
  • બીજી રીત ઑનસાઇટ નોંધણીની છે. ઑનલાઇન નોંધણી ન કરાવી શકતી વ્યક્તિ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાનું નામ નોંધાવીને રસીકરણ કરાવી શકશે.
  • ત્રીજી રીત સંયુક્ત નોંધણીની છે અને એમાં ચોક્કસ જૂથનું રસીકરણ કરવા માટે નોંધણી કરવામાં આવશે. એ માટે બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.

કયા ડોક્યુમેન્ટ જોઇશે

રસી મુકાવવા માગતા લાભકર્તા પછી તેઓ સરકારી કેન્દ્રમાં રસી મુકાવે કે ખાનગી કેન્દ્રમાં, એમણે રસીકરણ કેન્દ્રમાં નીચે જણાવ્યામાંથી કોઇપણ એક ફોટો આઇડી કાર્ડ સાથે લઇ જવાનો રહેશે. માન્ય ફોટો આઇડી કાર્ડમાં આધાર કાર્ડ, મતદાતા ઓળખપત્ર, ઑનલાઇન નોંધણીની બાબતમાં નોંધણી વખતે જણાવેલો ચોક્કસ ફોટો આઇડી કાર્ડ.

45થી વધુ વયના કો-મોર્બિડ પેશન્ટ માટે

૪૫થી વધુ વયની અને ૫૯ વર્ષ સુધીની બહુરોગ ધરાવતી વ્યક્તિએ નોંધણીકૃત મૅડિકલ પ્રૅક્ટિશનર્સ દ્વારા રોગ વિશે પ્રમાણિત સર્ટિફિકેટ, રોજગારનું પ્રમાણપત્ર/સત્તાવાર આઇડી કાર્ડ (ફોટો અને જન્મતારીખ સાથેનો કોઇપણ એક) હોવું જરૂરી છે.

જે વ્યક્તિ સરકારી કેન્દ્રોમાં જશે, એમને મફતમાં રસી આપવામાં આવશે. ભારત સરકાર રસીની કિંમત ચૂકવશે. કેન્દ્ર સરકાર જરૂરી રસી ખરીદીને પ્રત્યેક રાજ્યોને મોકલશે. ખાનગી કેન્દ્રો રસીકરણ માટે કેટલી ફી લેશે, એ વિશે હજુ કોઇ નિર્દેશ જાહેર નથી કરાયા, પણ એ વિશે ચોક્કસ રકમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

રસીકરણ માટેની ખાનગી સંસ્થાઓ અને હૉસ્પિટલોમાં જરૂરી સુવિધા વિશેના દિશાનિર્દેશ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.

માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે અગાઉ જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા રસીકરણનો બીજો તબક્કો સોમવારથી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયની કોઇપણ વ્યક્તિ (આપણા દેશમાં એ દસ કરોડથી વધુ નહીં હોય) અને ૪૫થી વધુ વયની વિવિધરોગ ધરાવતી વ્યક્તિને ૧૦,૦૦૦ સરકારી સારવાર કેન્દ્રો અને ૨૦,૦૦૦ ખાનગી હૉસ્પિટલોમાં રસી આપવામાં આવશે.

વિશ્ર્વનું સૌથી મોટું રસીકરણ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થયું હતું અને ભારતે ૧,૦૭,૬૭,૦૦૦ વ્યક્તિને પહેલા અને ૧૪ લાખ વ્યક્તિને બીજા તબક્કામાં રસી આપી હતી.

એ તબક્કે મુખ્યત્વે સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી અને એમને બધાને સરકાર દ્વારા મફતમાં રસી આપવામાં આવી હતી. ભારતમાં રસીકરણ સફળ રહ્યું છે અને ભાગ્યે જ કોઇ ફરિયાદ આવી છે.