CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 7 of 49 - CIA Live

October 25, 2024
voting-early.png
1min187
  • પ્રમુખપદની ચૂંટણીને હજી બે અઠવાડિયા બાકી
  • ડોનાલ્ડ ટ્રમ્પનો વહેલા મતદાનની પદ્ધતિ સામે વિરોધ છતાં તેમના પક્ષના મતદારોએ જ આ વિકલ્પ વધુ અપનાવ્યો

5 નવેમ્બરે યોજાનાર અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને હજી બે અઠવાડિયા બાકી છે ત્યારે બે કરોડથી વધુ અમેરિકનો મતદાન કરી ચૂક્યા છે જે ઉપ-પ્રમુખ કમલા હેરિસ (ડેમોક્રેટ ઉમેદવાર) અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (રિપબ્લિકીન ઉમેદવાર) વચ્ચેની સ્પર્ધાની તીવ્રતા દર્શાવે છે. ફ્લોરિડાની ઈલેક્શન લેબની યુનિવર્સિટી અનુસાર ૭૮ લાખ મતદારોએ વહેલા ઈન-પર્સન વોટિંગમાં ભાગ લીધો હતો જ્યારે એક કરોડથી વધુ મતદારોએ ટપાલ બેલોટનો વિકલ્પ પસંદ કર્યો હતો.

ભારતથી વિપરીત જ્યાં મતદાન શરૂ થવા અગાઉ પ્રચાર બંધ કરવામાં આવે છે, અમેરિકામાં અનેક અઠવાડિયા સુધી બંને સમાંતર ચલાવવાની મંજૂરી છે. આ વર્ષે એરિઝોના, નેવાડા, વિસ્કોનસિન, મિશિગન, પેનીસીલવેનિયા, ઉત્તર કેરોલિના અને જ્યોર્જિયા જેવા પરિણામ પર પ્રભાવ પાડવા સક્ષમ મહત્વના સાત રાજ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

અમેરિકામાં વહેલું મતદાન લોકપ્રિય પદ્ધતિ છે જેમાં મતદારોને ચૂંટણીના નિર્ધારિત દિવસ અગાઉ જ ટપાલ અથવા નક્કી કરાયેલા પોલીંગ બૂથ પર તેમના મત આપવાની છૂટ હોય છે.

નોંધનીય છે કે રિપબ્લિકન મતદારોએ વહેલા વોટિંગમાં વધુ રસ દાખવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના આ પદ્ધતિ સામે વિરોધને જોતા આ બાબતે ઘણાને આશ્ચર્ય થયું હતું. પ્રત્યક્ષ વોટિંગમાં ૪૧.૩ ટકા રિપબ્લિકન મતદારો હતા જ્યારે ડેમોક્રેટ્સ ૩૩.૬ ટકા હતા. બીજી તરફ ટપાલ દ્વારા વોટિંગમાં બંનેની સંખ્યા લગભગ સમાન હતી.

સેમ એલ્મી જેવા રાજકીય નિષ્ણાંતોના મતે રિપબ્લિકન મતદારોએ સગવડ અને અસરકારકતાને કારણે વહેલા મતદાનનો વિકલ્પ અપનાવ્યો હતો. જ્યોર્જિયા જેવા રાજ્યોમાં ચૂંટણીના દિવસ પહેલા ૭૦ ટકા મતદારો તેમના મત આપવાની સંભાવના હોવાથી મતદાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ખાસ કરીને રિપબ્લિકન મતદારોમાં વધુ પ્રમાણમાં મતદાન થવાની બાબત ચૂંટણીના પરિણામ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

October 15, 2024
traudo-vs-modi-1280x720.jpg
1min221

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર (Hardeep Singh Nijjar)ની કથિત હત્યા બાદ કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Canadian PM Justin Trudeau) વારંવાર ભારત વિરુદ્ધ અવાર-નવાર ઝેર ઓકતા રહે છે. ટ્રુડો સરકારે નિજ્જર કેસમાં ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ ‘વ્યક્તિગત હિત’નો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યા બાદ ભારતે કેનેડામાંથી ભારતીય રાજદૂતને પરત બોલાવી લીધા બાદ વધુ એક મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે કેનેડાના હાઈકમિશનર સહિત છ રાજદ્વારીની હકાલપટ્ટી કરી છે. ભારતે તેમને 19 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ પહેલા કેન્દ્ર સરકારે સંજય કુમાર વર્માને તાત્કાલિક ત્યાંથી ભારત પરત બોલાવી દીધા છે. ભારત સરકારે કેનેડામાંથી હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.

ભારતે કેનેડાના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે અને તેમને શનિવાર 19 ઓક્ટોબરની મધ્યરાત્રિ 12 પહેલા ભારત છોડવા આદેશ આપ્યો છે. આ રાજદ્વારીઓમાં કાર્યવાહક હાઈ કમિશનર સ્ટુઅર્ટ રોસ વ્હીલર, ડેપ્યુટી હાઈ કમિશનર પેટ્રિક હેબર્ટ, ફર્સ્ટ સેક્રેટરી મેરી કેથરીન જોલી, ફર્સ્ટ સેક્રેટરી લેન રોસ ડેવિડ ટ્રાઈટ્સ, ફર્સ્ટ સેક્રેટરી એડમ જેમ્સ, ફર્સ્ટ સેક્રેટરી પૌલ ઓર્જુએલાના નામ સામેલ છે.

આ મામલાને લઈને ભારતીય વિદેશ મંત્રાલયે સોમવારે સાંજે કેનેડાના કાર્યકારી રાજદ્વારીને બોલાવ્યા હતા અને તેમને જણાવ્યું છે કે, કોઈપણ પુરાવા વિના ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ પર આરોપ લગાવવા અસ્વીકાર્ય છે. ભારત સરકારે સ્પષ્ટતા કરી હતી કે આવા આરોપોથી ઉગ્રવાદ અને હિંસાનું વાતાવરણ ઊભું થયું છે, જેના કારણે અમારા રાજદ્વારીઓની સુરક્ષા જોખમમાં છે. અમને અમારા રાજદ્વારીઓની સુરક્ષા માટે વર્તમાન કેનેડાની સરકારની પ્રતિબદ્ધતા પર કોઈ વિશ્વાસ નથી. તેથી ભારત સરકારે હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રુડો ભારત વિરુદ્ધ અવારનવાર ઝેર ઓકતા રહે છે. અગાઉ તેમણે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. હવે તેમની સરકારે ભારતના રાજદ્વારીઓને મુશ્કેલીમાં નાખવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. કેનેડિયન સરકારે ભારતીય હાઈ કમિશનર વિરુદ્ધ કથિત કાર્યવાહી કરવાની તૈયારી કરતા ભારતે પોતાના રાજદ્વારીઓને ત્યાંથી પરત બોલાવી અને ભારતમાંથી કેનેડાના રાજદ્વારીઓને હાંકી કાઢી ટ્રુડો સરકારને જડબાતોડ જવાબ આપ્યો છે.

વાસ્તવમાં કેનેડિયન સરકારે ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ નિજ્જરની હત્યાની તપાસમાં ‘વ્યક્તિગત હિત’ રાખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જેનો ભારતે જડબાતોડ જવાબ આપી ભારતીય હાઈ કમિશનર પર આરોપ લગાવવાના કેનેડાના પ્રયાસોના જવાબમાં કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. હવે ભારતે આકરો નિર્ણય લઈ ભારતીય હાઈકમિશનરને તાત્કાલિક ભારત બોલાવી દીધા છે.

કેનેડાના પાયાવિહોણા આક્ષેપોને રદિયો આપતા ભારતે કહ્યું હતું કે, અમે કેનેડાના કોઈપણ આક્ષેપોને સાંભળવાના નથી. આ પહેલા વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ભારતીય હાઈકમિશનર હત્યાની તપાસમાં રસ રાખનાર વ્યક્તિ હોવાના આક્ષેપ તદ્દન પાયાવિહોણા છે. ભારતે વળતો જવાબ આપી કહ્યું હતું કે, કેનેડાની સરકાર પુરાવા વગર અમારા અધિકારીઓને બદનામ કરી રહી છે. તેમની સરકાર પોતાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદીઓને અટકાવવામાં નિષ્ફળ ગઈ છે, તેથી તેઓ પાયાવિહોણા દાવાઓ કરી રહી છે.

October 13, 2024
mohan-bhagwat.png
1min248

દેશની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના 100મા સ્થાપના દિને આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ઓટીટી(ઓવર ધ ટોપ મીડિયા સર્વિસ) પ્લેટફોર્મ પર નિશાન સાધ્યું હતું અને તેને લોકોની નૈતિકતા ભ્રષ્ટ થવાનું એક કારણ ગણાવ્યું હતું.

નાગપુરના રેશિમબાગ ખાતે દશેરાની પારંપારિક રીતે યોજાતી રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે લોકોની નૈતિકતા ભ્રષ્ટ થવાનું એક કારણ ઓટીટી પ્લેટફોર્મ છે અને તેના પર કાયદાકીય અંકુશો લાદવા જરૂરી છે. ઓટીટી પર દેખાડવામાં આવતી વસ્તુઓ એટલી ઘૃણાસ્પદ હોય છે કે તેના વિશે વાત કરવું પણ અસભ્ય ગણાશે, એટલે હું કહું છું કે તેના પર કાયકાદીય અંકુશો લાદવા જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે દુનિયાના સૌથી મોટા સ્વયંસેવી સંઘ આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની સ્થાપનાના દિવસે આજે નાગપુરમાં યોજવામાં આવેલા કાર્યક્રમ નિમિત્તે મોહન ભાગવત બોલી રહ્યા હતા અને એ દરિમયાન તેમણે ઓટીટી પર પીરસવામાં આવતી હિંસક તેમ જ અશ્લીલ સામગ્રી સામે આંગળી ચીંધી હતી. આ સામગ્રીના કારણે યુવાનો, બાળકો, કુમળી વયના જનમાનસ પર અવળી અસર પડતી હોવાનું મોહન ભાગવતે જણાવ્યું હતું.

આ વર્ષે આરએસએસ 100મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેના કારણે આ વખતના સ્થાપના દિવસનું મહત્ત્વ હોઇ બધાની નજર મોહન ભાગવત શું કહે છે તેના પર હતી. મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ એક પોડકાસ્ટમાં આરએસએસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના ભરપેટ વખાણ કર્યા હતા.

October 10, 2024
milton.jpg
1min184

ફલોરિડાના પશ્ચિમ કાંઠે 33 લાખની વસતી ધરાવતાં ટામ્પા બે વિસ્તારમાં કેટેગરી ફાઇવ હરિકેન મિલ્ટન બુધવારે મોડી રાત્રે અથવા ગુરૂવારે સવારે 260 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે ત્રાટકશે. સત્તાવાળાઓએ આ વિસ્તારને ખાલી કરવાની તાકીદ કરી હોવા છતાં ઘણાં રહેવાસીઓએ આ સ્થળે રહેવાનો આગ્રહ રાખતાં અધિકારીઓએ તેમના બચવાની તકો ઓછી હોવાનું જણાવી તેમને ચેતવ્યા છે. હરિકેન સેન્ટર દ્વારા અપાયેલી ચેતવણી અનુસાર વેસ્ટ સેન્ટ્રલ ફલોરિડામાં મિલ્ટન સૌથી વિનાશક વાવાઝોડું બની રહેશે. ચેતવણીને પગલે ફલોરિડાવાસીઓએ કારમાં બેસી વિસ્તાર ખાલી કરવા માંડતા હાઇવે પર કારોની લાંબી લાઇન જોવા મળી હતી. દરિયામાં પંદર ફૂટ ઉંચા પાણીના મોજાં ઉછળશે તો શહેરમાં તમામ ઘરો પાણીમાં ગરકાવ થઇ જશે તેવી આગાહી ટેમ્પાના મેયર જેન કેસ્ટરે કરી હતી.

સૌથી વિનાશક ગણાતું આ વાવાઝોડું હાલ ટેમ્પાથી 485 કિમીના અંતરે 260 કિમીની ઝડપે ફૂંકાતા પવનો સાથે ફલોરિડા તરફ કલાકે 22 કિમીની ઝડપે આગળ ધસી રહ્યું છે. ફલોરિડાના ઘણાં વિસ્તારોમાં વાવાઝોડાં પૂર્વે જ ભારે વરસાદ પડી રહ્યો છે અને ફલોરિડાનાઅખાત કાંઠે આખો દિવસ હવામાન ખરાબ રહેવાની આગાહી હરિકેન સેન્ટર દ્વારા કરાઇ છે. ગુરૂવારે મધ્યથી ઉત્તર ફલોરિડા વિસ્તારમાં છથી બાર ઇંચ વરસાદ પડવાની આગાહી કરાઇ છે. જેને કારણે વિનાશક પૂર આવશે.

હરિકેન હેલેને પખવાડિયા અગાઉ ફલોરિડામાં વેરેલાં વિનાશમાંથી લોકો હજી ઉભર્યા નથી ત્યાં મિલ્ટન ત્રાટકવાની તૈયારીમાં છે. હેલેન વાવાઝોડામાં ૨૩૦ લોકોના મોત થયા હતા. ફલોરિડાની 11 કાઉન્ટીઓમાં સત્તાવાળાઓએ ફરજિયાત સ્થળાંતરના આદેશો આપ્યા છે. આ કાઉન્ટીઓમાં 60 લાખ લોકો વસે છે. હેેલેને વેરેલી તારાજીને કારણે સર્જાયેલા ભંગારને દૂર કરવા રાજ્ય અને સ્થાનિક તંત્રો હજી મહેનત કરી રહ્યા છે. અધિકારીઓને ડર છે કે મિલ્ટન વાવાઝોડાંમાં આ ભંગાર ઉડશે તો તે વિનાશક બની જશે. ગવર્નર રોન સેન્ટિસે જણાવ્યું હતું કે સરકારે ૩૦૦ કચરાં ગાડીઓને તહેનાત કરી 1300 ટન ભંગાર દૂર કર્યો છે.

હેલેન વાવાઝોડાંનો ભોગ બનેલા લોકો હવે મિલ્ટન વાવાઝોડાં સામે કોઇ ચાન્સ લવા માંગતા નથી. લોકોના પેટમાં આ વાવાઝોડાની આગાહી થતાં જ ફાળ પડી છે. મોટાભાગના લોકો કારમાં બેસી ફલોરિડાથી રવાના થવા માંડયા છે. તો અમુક લોકો એવા પણ છે જેમણે હેલેન હરિકેન દરમ્યાન ભારે નુકસાન થવા છતાં હરિકેન મિલ્ટન દરમ્યાન પોતાના ઘરમાં જ રહેવાની તૈયારી કરી લીધી છે.

October 2, 2024
thailand-bus.png
1min243

આગળનું ટાયર ફાટતાં બસ બેકાબૂ બની લોખંડની આડશ સાથે અથડાઈ તેથી આગ ભભૂકી ઉઠી

પાટનગર બેંગકોકનાં પરાં ઉત્થાઇ થાનીથી દેશનાં પ્રાચીન યુગનાં પાટનગર અયુત્થીયા સહેલ માટે જતા વિદ્યાર્થીઓની બસનું આગળનું ટાયર પાટનગર થોડે દૂર જતાં જ ફાટી ગયું. પરિણામે વાટ ખાઓ સ્કૂલની બસ, લોખંડની આડશ સાથે અથડાતાં બસ સળગી ઉઠી, બસમાં રહેલા ૪૪ વિદ્યાર્થીઓ પૈકી ૨૫ વિદ્યાર્થીઓનાં કરૂણ મૃત્યુ થયાં. આ અતિકરૂણ દુર્ઘટનાથી દેશમાં હાહાકાર મચી ગયો, સરકારે એક દિવસનો શોક પણ જાહેર કર્યો છે.
આ દુર્ઘટના પછી થાઈલેન્ડના વાહન વ્યવહાર વિભાગના મંત્રી સૂરિયા (સૂર્ય) જુંગ રૃંગ રૂએન્ગકીન દુર્ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચી ગયેલા વિદ્યાર્થીઓની સારવાર માટે વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. આંતરિક બાબતોના મંત્રી અનુતિન ચર્ણ બિરાકુલે કહ્યું હુતં કે હજી સુધી અધિકારીઓ મૃત્યુ આંક નક્કી કરી શક્યા નથી. કારણ કે દુર્ઘટના અંગે હજી તપાસ પૂરી થઇ નથી. પરંતુ બચી ગયેલાઓની સંખ્યા ઉપરથી કહી શકાય તેમ છે કે ઓછામાં ઓછા ૨૫ વિદ્યાર્થીઓનાં નિધન થયાં હશે. બસ હજી એટલી ગરમ છે કે તેમાં જઇ વધુ શોધખોળ કરવી તત્કાળ તો શક્ય નથી. સંભવ છે કે હજી પણ કેટલાક મૃતદેહો બસની અંદર હોઈ શકે.

આ દુર્ઘટનાનો વિડીયો દર્શાવે છે કે સમગ્ર બસ આગની ઝપટમાં આવી ગઇ હતી. તેમાંથી કાળા ધૂમાડા બહાર નીકળતા દેખાતાહતા. જો કે આ દુર્ઘટના તો રોડના છેડા ઉપર બની હતી. તેથી બસ તો રોડની એકબાજુએ પડી છે. પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓનાં નામ, વય કે અન્ય માહિતી મળી શકી નથી.

આ દુર્ઘટના પછી બચાવ કર્મીઓ તુર્ત જ તે સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ સ્પષ્ટ મંતવ્ય આપ્યું હતું કે બસનું આગમન એક ટાયર ફાટી જતાં બસ બેકાબુ બની ગઇ હશે. અને રોડની બાજુએ રહેલી લોખંડના બારની આડશ સાથે અથડાતાં તણખા પણ ઉડયા હશે. તેથી ડીઝલ કે પેટ્રોલ આગ પકડતાં બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઇ હશે.

September 19, 2024
usa-rate-cut.png
1min280

અમેરિકાએ 4 વર્ષ બાદ લીધો મોટો નિર્ણય, સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ અથવા 0.50 ટકાનો મોટો ઘટાડો જાહેર કર્યો

આજે ભારતીય શેરબજારમાં થશે મોટી ઉથલપાથલ

અમેરિકાથી એક મોટા સમાચાર આવ્યા છે, જેની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે. ખરેખર અમેરિકન ફેડએ લગભગ ચાર વર્ષ પછી વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. અગાઉ માર્ચ 2020માં અમેરિકામાં પોલિસી રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બેંકે વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટ અથવા 0.50 ટકાનો મોટો ઘટાડો જાહેર કર્યો છે. અમેરિકાના આ પગલાની તાત્કાલિક અસર અમેરિકન બજારોમાં ઉછાળાના રૂપમાં જોવા મળી રહી છે.

અમેરિકામાં નવા વ્યાજ દરો લાગુ

અમેરિકાની સેન્ટ્રલ બેંકે પોલિસી રેટની સમીક્ષા કર્યા બાદ વ્યાજદરમાં અડધા ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ત્યારપછી યુએસ પોલિસી રેટ હવે 4.75 ટકાથી 5 ટકાના સ્તરે આવી ગયો છે. આ પહેલા તે લાંબા સમય સુધી 5.25 ટકાથી 5.5 ટકાના સ્તરની વચ્ચે હતો. ઉલ્લેખનીય છે કે દરોમાં આ ઘટાડો બજાર નિષ્ણાતોના અનુમાનને અનુરૂપ છે. કેટલાક નિષ્ણાતો પોલિસી રેટમાં એક ચતુર્થાંશ ટકા અને કેટલાક અડધા ટકાના ઘટાડાની આગાહી કરી રહ્યા હતા.

September 18, 2024
lebanon.png
1min322

પેજર્સમાં સિરિયલ બ્લાસ્ટના કારણે લેબનોન અને સીરિયાની સરહદે આવેલા કેટલાક વિસ્તારોમાં અરાજકતા ફેલાઈ ગઇ છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 4000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાં લેબનોનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે.

હિઝબુલ્લાહનો મોટો દાવો…

એવી ચર્ચા છે કે પેજર્સને હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ પેજર્સનો ઉપયોગ હિઝબુલ્લાહના લડાકૂઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ હેકિંગ પાછળ ઈઝરાયેલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે તે આ હુમલા માટે ઈઝરાયેલ જ જવાબદાર છે. જોકે, ઈઝરાયેલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ વિસ્ફોટો સ્થાનિક સમય અનુસાર મંગળવારે બપોરે લગભગ 3.30 કલાકે થયા હતા.

શું મોસાદે પેજર્સ હેક કર્યા?

ઘણા અહેવાલો અનુસાર ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહને નિશાન બનાવતી વખતે આ પેજર્સ સાથે છેડછાડ કરી હતી. આ પેજર સાથે છેડછાડ કરીને પાંચ મહિના પહેલા જ તેમાં વિસ્ફોટક ફીટ કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે.

એક કલાક સુધી પેજર બ્લાસ્ટ થતા રહ્યા

મંગળવારે અચાનક લેબનોનમાં ઘરો, શેરીઓ અને બજારોમાં લોકોના ખિસ્સામાં વિસ્ફોટ થવાનું શરૂ થયું હતું. લગભગ એક કલાક સુધી લેબનોનથી સીરિયા સુધી વિસ્ફોટો થયા હતા. લેબનોનનું કહેવું છે કે ઈઝરાયેલે હિઝબુલ્લાહને નિશાન બનાવી સીરીયલ પેજર બ્લાસ્ટ કર્યા હતા. આ હુમલાને હિઝબુલ્લાહની કોમ્યુનિકેશન સિસ્ટમ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.

પેજર બ્લાસ્ટથી લેબનોનમાં સનસનાટી મચી

લેબનોનમાં મંગળવારે ત્યારે સનસનાટી મચી ગઈ જ્યારે એક પછી એક જોરદાર પેજર બ્લાસ્ટ થવા લાગ્યા. પેજર કોઈના ખિસ્સામાં તો કોઈના હાથમાં ફાટ્યાં. આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોતના અહેવાલ છે.

August 28, 2024
pm-modi-in-usa.png
1min215

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)સપ્ટેમ્બર માસમાં અમેરિકાના પ્રવાસે જશે. પીએમ મોદી ન્યુયોર્કમાં 22 સપ્ટેમ્બરે ભારતીય મૂળના અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ માટે 24 હજારથી વધુ ભારતીય પ્રવાસીઓએ નામ નોંધાવ્યા છે. આ કાર્યક્રમને ‘મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ નામ આપવામાં આવ્યું છે. જે નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમ ખાતે યોજાશે. આ ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી 26 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઉચ્ચ સ્તરીય સત્રને પણ સંબોધિત કરશે.

42 રાજ્યોમાંથી ભારતીય પ્રવાસીઓ કાર્યક્રમમાં ભાગ લેશે

આ અંગે ઈન્ડો-અમેરિકન કોમ્યુનિટી ઓફ યુએસએ જણાવ્યું હતું કે અમેરિકાના 42 રાજ્યોમાંથી ભારતીય પ્રવાસીઓ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે. અમે આ ઐતિહાસિક કાર્યક્રમમાં શક્ય તેટલા વધુ લોકો ભાગ લે તેમ ઈચ્છીએ છીએ. અમે બેઠક વ્યવસ્થા વધારવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ. અત્યાર સુધી આ કાર્યક્રમ માટે 24 હજારથી વધુ ભારતીય પ્રવાસીઓએ નામ નોંધાવ્યા છે.

કાર્યક્રમમાં વિશેષ વ્યવસ્થા

વડાપ્રધાન મોદીના સંબોધન ઉપરાંત આ કાર્યક્રમમાં વેપાર, વિજ્ઞાન, મનોરંજન અને કલાના ક્ષેત્રોમાં અગ્રણી ભારતીય-અમેરિકનો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન અને પ્રસ્તુતિઓ પણ દર્શાવવામાં આવશે.

August 27, 2024
japan-passport-1280x914.jpg
1min221
Alert of record breaking rain in Japan, threat of typhoon looming

જાપાનના દક્ષિણ પશ્વિમ ટાપુઓ પર શક્તિશાળી વાવાઝોડું શાનશાનનો ખતરો મંડરાઇ રહ્યો છે. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે આગામી દિવસોમાં જાપાનના દક્ષિણ-પશ્ચિમ ટાપુઓ પર એક શક્તિશાળી વાવાઝોડું શાનશાન ટકરાશે. વાવાઝોડાને પગલે હવામાન વિભાગે ભારે વરસાદ અને ઝડપી પવનની ચેતવણી આપી હતી.

જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું તોફાન શાનશાન મંગળવારે સવારે દક્ષિણ ટાપુ અમામીથી લગભગ 130 કિલોમીટર પૂર્વમાં હતું. જ્યારે તે ધીરે ધીરે ઉત્તર તરફ ક્યૂશૂ તરફ આગળ વધી રહ્યું છે. તોફાનની ગતિ પ્રતિ કલાક 162 કિલોમીટરની છે. હજુ તોફાનને લઇને કોઇ નુકસાન થયાના અહેવાલ નથી. લોકોને આવનારા ભારે વરસાદ અને પવનને લઇને ચેતવણી આપવામાં આવી છે.

શિંકાનસેન સુપર એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરતી જાપાન રેલવે કંપનીઓએ જણાવ્યું હતું કે બુધવાર અને રવિવાર વચ્ચે જાપાનના મુખ્ય દક્ષિણી ટાપુ ક્યુશુ અને હોન્શુના મોટા ભાગોમાં સેવાઓ સ્થગિત કરવામાં આવી શકે છે.

વધુમા તેણે જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં અમામી દ્વીપ પર 400 મીમી (15.7 ઇંચ) સુધીનો વરસાદ પડી શકે છે અને બુધવારથી ગુરુવાર સુધી ક્યુશુ પ્રદેશમાં 500 મીમી (19.7 ઇંચ) સુધીનો વરસાદ પડી શકે છે. ક્યુશુ પ્રદેશના માછીમારોએ સોમવારે તેમની બોટને પોર્ટ્સ પર બાંધી દીધી હતી.

August 26, 2024
image-1.jpeg
1min192
Kyiv: Russia strikes Ukraine capital, other cities as Putin threatens more  attacks | CNN
Russia pounds Kyiv, Kharkiv with deadly missile and drone strikes

રશિયા અને યુક્રેન વચ્ચે પાછલા અઢી વર્ષોથી યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં આજે (26 ઓગસ્ટ) રશિયાએ યુક્રેનના ઘણા શહેરોમાં ઘાતક મિસાઈલ અને ડ્રોન હુમલા કરી વિશાળ કાર્યવાહી કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ પણ આ વાતની પુષ્ટી કરી છે.

ઝેલેન્સ્કીએ રશિયાના હુમલાની પુષ્ટી કરતાં કહ્યું કે, ‘રશિયાએ 100થી વધુ મિસાઈલ અને 100થી વધુ ડ્રોનનો ઉપયોગ કર્યો છે. જેના કારણે ભારે વિનાશ થયો છે. જો કે, યુક્રેનની સેના પણ રશિયાના કુર્સ્ક વિસ્તારમાં આગળ વધી રહી છે.’ બીજી તરફ, રશિયાની સેનાએ પણ યુક્રેનના પૂર્વીય વિસ્તારમાં વિશાળ જમીન કબજો કર્યો છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ હબ પોકરોવસ્ક બંધ કરી દેવામાં આવ્યું છે.

આ દરમિયાન ઝેલેન્સ્કીએ તેમના મિત્ર દેશોને એર ડિફેન્સ સિસ્ટમ્સ અને વધુ મિસાઇલોનો સપ્લાય ચાલુ રાખવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે, ‘યુક્રેનને સમર્થન કરતા દેશોએ સંયુક્ત હવાઈ સંરક્ષણ કરાર કરવો જોઈએ. જેથી રશિયન ડ્રોન અને મિસાઈલોને એકસાથે હવામાં જ નાશ કરી શકાય. આ વખતે જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે મોટા ભાગના ટાર્ગેટ વીજળી સપ્લાય ગ્રીડ અને પાવર સ્ટેશન હતા.’

રશિયન મિસાઇલો અને ડ્રોને કિવ, વિનીતસિયા, ઝાયટોમીર, ખ્મેલનીત્સ્કી, ડેનેપ્રોપેટ્રોવસ્ક, પોલ્ટાવા, નિકોલેવ, કિરોવાગ્રાડ અને ઓડેસામાં પાવર સબસ્ટેશનો ઉપરાંત લ્વિવ, ઇવાનો-ફ્રેન્કોવસ્ક અને ખાર્કિવના ગેસ કોમ્પ્રેસર સ્ટેશનો અને ગેસ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સને નિશાન બનાવ્યા હતા. આ સિવાય કિએન અને ડેનિપ્રોપેટ્રોવસ્ક વિસ્તારમાં એરફિલ્ડ અને હથિયારોના ડેપોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ હુમલા બાદ યુક્રેનના મોટા વિસ્તારોમાં વીજળી નથી. યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ 15 રશિયન મિસાઈલો અને ડ્રોન તોડી પાડ્યા હતા. આમ છતાં રશિયાનો હુમલો ખૂબ જોરદાર હતો જેનાથી યુક્રેનના ઘણા શહેરોને નુકસાન થયું છે.

રશિયાએ દાવો કર્યો છે કે, ‘અમારા ડ્રોન અને મિસાઇલોએ નિશાન પર સચોટ હુમલો કર્યો છે. યુક્રેનમાં ઘણી જગ્યાએ વીજળીનો પુરવઠો નથી, રેલ્વે પરિવહન બંધ થઈ ગયું છે અને હથિયારોના ડેપોને પણ ઉડાવી દેવામાં આવ્યા છે.’

આ દરમિયાન ઝેલેન્સ્કીએ પોતાની ટેલિગ્રામ ચેનલ પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને બીમાર વ્યક્તિ ગણાવ્યા છે અને હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. બીજી તરફ પુતિને પણ નિવેદન જારી કરીને કહ્યું કે, ‘હવે કોઈ વાતચીત થશે નહીં. યુક્રેનને યોગ્ય જવાબ મળશે.’