CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 6 of 49 - CIA Live

January 9, 2025
carlifonia-fire.png
1min239

અમેરિકાના લોસ એન્જેલસમાં ભીષણ આગ ભડકી છે જે હવે શહેરો તરફ આગળ વધી રહી છે. આ ભીષણ આગને લીધે અત્યાર સુધી 2 લોકો મૃત્યુ પામી ગયા છે ત્યારે 70000 થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આગની લપેટમાં અત્યાર સુધીમાં 1000થી વધુ ઈમારતો આવી ચૂકી છે. લોસ એન્જેલસમાં લાગેલી આ આગની ભયાનક તસવીરો હવે સામે આવવા માંડી છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઈમારતો આખે આખી સળગી ગઈ છે.

દક્ષિણ કેલિફોર્નિયાનાં લૉસ એન્જલસ શહેરની પાસેનાં જંગલમાં ભયંકર આગ ફેલાઈ ગઈ છે. પેસિફિક મહાસાગરનાં તટે રહેલા આ વિસ્તારમાં મહાસાગર પરથી આવતા પવનોએ આગને ચોપાસ અને ઝડપભેર ફેલાવી દીધી હતી. ઇટન-ફાયર કહેવાતી આ આગ લૉસ એન્જલસ નગરની નજીકનાં શહેર અલ્ટાડીના પાસેનાં જંગલમાંથી મંગળવારે શરૂ થઇ હતી. સાંજના આશરે 6:30 કલાકે, અભયારણ્ય પાસેથી આગ શરૂ થઇ હોવાનું અનુમાન છે.

આગ એટલી ઝડપથી ફેલાવા લાગી કે હોસ્ટિલ્સમાં રહેલાઓને પાર્કીંગ વૉર સુધી પહોંચાડવા માટે તેમનાં દર્દીનાં કપડામાં જ પૈડાંવાળા ખાટલા અને વ્હીલ ચેર્સમાં લઇ જવા પડયા હતા અને પાર્કીંગ વોરમાં ઉભેલી એમ્બ્યુલન્સોમાં ચઢાવી ભયાવહ વિસ્તારમાંથી બહાર કાઢવા પડયા હતા.

આ આગને લીધે આકાશ પહેલાં નારંગી રંગનું પછી લાલ અને તે પછી ધૂમાડાને લીધે કાળું દેખાતું હતું તેમ સોશ્યલ મીડીયા પર વીડીયો દર્શાવતા હતા.પેસિફિક તટ વિસ્તાર આનો હાહાકાર મચાવી દીધો હતો અને પૃથ્વી પરનાં સ્વર્ગ સમાન હોલીવૂડના થોડા કીલોમીટર દૂરનો વિસ્તાર ભડકે બળી રહેતાં ત્યાં રહેલા 70000થી વધુ નાગરિકોને મહેનતે બહાર કાઢવામાં આવ્યાં હતાં તે સમયે એક વૃદ્ધે કહ્યું હતું કે મારાં સાંભળવાનાં વર્ષમાં મેં કદી આવી પ્રચંડ આગ જોઈ નથી.
આ જંગલની આગ શમાવવા ઠેર ઠેરથી લાઈબંબાઓ દોડાવવામાં આવ્યા હતા પરંતુ તેમને મોટી મુશ્કેલી તો તે ઉભી થઇ હતી એક જંગલના પ્રમાણમાં સાંકડા માર્ગો ઉપર અનેક લોકો પોતાની મોટરો પડતી મુકી પગપાળા નાસી રહ્યા હતા. તેનું એક કારણ તે પણ હતું કે આગની અસહ્ય ગરમીથી કદાચ મોટરની ટાંકીમાં રહેલું પેટ્રોલ કે ડીઝલ સળગી ઉઠે તો તેવો મોટરમાં ભડથું થઇ જાય. આડેધડ પડેલી આ મોટરો પેલા લાઈબંબાઓનો માર્ગ અવરોધાતી હતી. તેથી ક્રેનો બોલાવી તે મોટરો દૂર કરવી પડી હતી. તેમાંસમયનો ઘણો દુર્વ્યય થયો હતો. દરમિયાન આગ ભભૂકતી ગઈ.

હેલિકોપ્ટર્સથી પાણીનો છંટકાવ કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું કારણ કે આગની જ્વાળાઓની ગરમીથી હેલિકોપ્ટર્સમાં રહેલી ટાંકીનું વિશિષ્ટ પેટ્રોલ પણ સળગી ઉઠવાની ભીતિ હતી. છેવટે વિમાન દ્વારા પાણીનો છંટકાવ શરૂ કર્યો પરંતુ તે બહુ કામયાબ નીવડયો નહીં. નામ માત્રની આગ શમાવી શકાઈ.

આ સમયે કેલિફોર્નિયાના ગવર્નર ગેવીન ન્યૂસમ દક્ષિણ કેલિફોર્નિયામાં હતા. તેઓ તુરત જ તે ઘટના સ્થળ તરફ પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા હતા. તેમાં X પ્લેટફોર્મ પરના વીડિયોએ દર્શાવ્યું હતું. ચારે તરફ માત્ર ધૂમાડો જ દેખાતા હતા. ઇમર્જન્સી સાયરનો વાગી રહી હતી. તેમાં પણ આ વર્ષે કેલિફોર્નિયામાં વિશેષત: દ.કેલિફોર્નિયામાં વરસાદ ઘણો ઓછો થયો હોવાથી ભૂમિ પણ સુકી ભઠ્ઠ બની રહી છે. લોસ એન્જલસના ફાયર ડીપાર્ટમેન્ટના વડા ક્રીસ્ટીન ક્રાઉલીએ 110 ફાયર એન્જિન્સ કામે લગાડયાં છે. છતાં આશરે 645 ચો.કીમી.માં વ્યાપેલી આગ કાબુમાં કેમ લેવી તે પ્રશ્ન છે. સમગ્ર અભયારણ્ય તો ખતમ થઇ ગયું છે.

January 3, 2025
china-virus.png
1min270

કોવિડ-19ની યાદો એટલી ભયાનક છે કે જે કદાચ લોકોના મગજમાંથી વર્ષો સુધી નહીં ભૂલાવાની. જોકે એ વચ્ચે કોરોના કાળના 5 વર્ષ બાદ ફરી એકવાર ચીનથી એક ડરામણાં અહેવાલ સામે આવ્યા છે. ચીનમાં ફરી એકવાર કોરોના જેવો જ ઘાતક વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના દાવા થઇ રહ્યા છે.

માહિતી અનુસાર આ વાયરસ કોરોના જેવો જ ઘાતક છે અને તેના લક્ષણ પણ કોરોના જેવા જ છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) છે જે એક RNA વાયરસ છે. જે પણ વ્યક્તિ આ વાયરસથી ચેપગ્રસ્ત થાય છે તેનામાં કોરોના જેવા જ લક્ષણ દેખાય છે. આ વાયસરની લપેટમાં સૌથી વધુ બાળકો જ આવી રહ્યા છે. એમાંય 2 વર્ષની નાની વયના બાળકો સૌથી વધુ પીડિત બની રહ્યા છે.

ચીનના રોગ નિયંત્રણ તથા રોકથામ કેન્દ્ર (CDC) ના અહેવાલ અનુસાર તેના લક્ષણોમાં ખાંસી, તાવ, નાક બંધ થવી અને ગળામાં ખરાશ વગેરે થાય છે. HMPV ઉપરાંત ઈન્ફ્યૂએન્ઝા એ, માઈક્રોપ્લાઝમા, ન્યૂમોનિયા અને કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે. જેમાં દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે.

સોશિયલ મીડિયા પર કરાયેલી એક પોસ્ટમાં દર્દીઓની તસવીરો જાહેર કરવામાં આવી છે જેમાં બતાવાયું છે કે ચીને વાયરસ ફેલાયા બાદ અનેક જગ્યાએ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. આ દાવા અનુસાર હોસ્પિટલ અને સ્મશાન ઘાટ પર ફરી ભીડ જોવા મળી રહી છે. જોકે ચીન તરફથી હાલ એવી કોઈ માહિતીની પુષ્ટી કરવામાં આવી નથી. અનેક મીડિયાના અહેવાલોમાં સીડીસીએ પહેલાથી અસ્થમા અને ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી જેવા રોગો સામે ઝઝૂમતા દર્દીઓમાં સંક્રમણનો ખતરો વધવાની આશંકા વ્યક્ત કરી છે.

December 29, 2024
south-korea.jpg
1min394

દક્ષિણ કોરિયામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. રવિવારે એરપોર્ટ પર એરક્રાફ્ટનું લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે વિમાન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. આ પછી પ્લેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને હવે 179 પર પહોંચી ગયો હોવાની આશંકા છે. અમુક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિમાનમાં હાજર 179 લોકો મૃત્યુ પામી ગયા છે જ્યારે માત્ર 2ને જ બચાવી શકાયા છે.

સ્થાનિક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર આ વિમાન દુર્ઘટના બાદ લાગેલી આગમાં 179 લોકોના મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે. આગના સમાચાર મળતા જ એરપોર્ટ પર તૈનાત ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પ્લેનમાં લગભગ 181 લોકો સવાર હતા. જેમાંથી 2ને બચાવી શકાયાની માહિતી મળી રહી છે. હજુ બચાવકામગીરી ચાલી રહી છે. વર્ષના અંતે આ સૌથી મોટી કરુણાંતિકા માનવામાં આવી રહી છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો અને માહિતી અનુસાર દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટના હવામાં વિમાન સાથે પક્ષીના અથડાવાને કારણે સર્જાઈ હોવાનું પણ મનાય છે. આ દુર્ઘટનામાં 179 લોકો જીવ ગુમાવી ચૂક્યાની માહિતી સામે આવી રહી છે. પહેલા મૃત્યુઆંક 28 જાહેર કરવામાં આવ્યો હતો. જે વધીને 85 પર પહોંચ્યો હતો. જોકે વિમાનમાં કુલ 175 મુસાફર અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત 181 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેજુ એરનું આ વિમાન થાઈલેન્ડથી ઉડ્યું હતું. તે દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશન એરપોર્ટ પર લેન્ડ કરવા જતાં જ આગની લપેટમાં આવી ગયું હતું અને રનવેથી લપસી થતાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના મુજબ જેજુ એરના વિમાનમાં આગ લાગી. આ ફ્લાઈટ થાઈલેન્ડથી પરત ફરી રહી હતી. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેન સળગતું જોઈ શકાય છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અકસ્માતના કારણની તપાસ ચાલુ છે.

December 27, 2024
azarbaijan-air.png
1min423

એક તરફ એવી પણ શંકાઓ તે દુર્ઘટનાગ્રસ્ત અઝરબૈજાન એરલાઇન્સનું પ્લેન એમ્બ્રિટ-190, અઝરબૈજાનમાં તુટી પડયું તે અંગે એવી પણ થીયરી ચાલે છે કે કોઈ મોટુ પક્ષી તે વિમાન સાથે અથડાતાં એ દુર્ઘટના બની હશે. સાથે બીજી થીયરી જોર પકડતી રહી છે કે, રશિયાની સ્વયમ-સંચાલિત એર-ડીફેન્સ સિસ્ટીમે તે વિમાન યુક્રેનનું ડ્રોન માની તોડી પાડયું હશે.

આ થિયરી અત્યારે સોશ્યલ મિડીયા ઉપર ચાલી રહી છે. તે દુર્ઘટના વિમાનમાં 67 પ્રવાસીઓ અને બે પાયલોટ તથા ત્રણ અન્ય ક્રૂ મેમ્બર્સ સાથેનું તે વિમાન અઝરબૈજાનથી ચેચાન્યાના ગ્રોઝની જઈ રહ્યું હતું. તે કઝાખસ્તાનનાં આકતુ નજીક તૂટી પડયું. આકતુ વિમાનગૃહ ઉપર ઇમરજન્સી-લેન્ડિંગ કરવા તે વિમાને પરવાનગી માગી હતી. ત્યાં ઉતરતાં તે તૂટી પડયું.
આ ઘટના અંગે જે વિડીયો પ્રસિદ્ધ થયા છે તેમાં વિમાનમાં ગોળીથી પડેલા છિદ્રો દેખાય છે. તેથી નેટિઝન્સ માને છે કે તે વિમાનને રશિયાની સ્વચાલિત એર-ડીફેન્સ સિસ્ટીમે યુક્રેનનું ડ્રોન માની ગોળીબાર કરતાં વિમાન તૂટી પડયું હશે. તે ગોળીઓના છિદ્રો તો વિમાનની બેઠકોમાં પણ જોવા મળ્યા છે.

પહેલા તેમ મનાતું હતું કે, કોઈ મોટુ પક્ષી કે પક્ષીઓનું જુથ તે વિમાન સાથે અથડાતા તે વિમાન તૂટી પડયું હશે. પરંતુ પછીથી જાણવા મળ્યું છે કે ઓકિસજન ટેન્કમાં ધડાકો થતાં તે વિમાન તૂટી પડયું હશે. આ ઓકિસજન ટેન્કની સપ્લાઈ પાઈપ કોકપીટમાં પણ પહોંચે છે. આ ધડાકાથી વિમાન ટુકડે ટુકડા થઈ ગયું હશે, તેમ પણ અનુમાન કરાય છે.

December 12, 2024
thailand-flag-1280x829.jpg
1min350
Thailand country profile -

નવી દિલ્હીમાં રોયલ થાઈ એમ્બેસીએ 11/12/24, બુધવારે જાહેરાત કરી છે કે ભારતના વિઝીટર્સ માટે થાઈલેન્ડના ઈ-વિઝા ભારતમાં 1 જાન્યુઆરી, 2025થી ઉપલબ્ધ કરાવવા આવશે. થાઇલેન્ડ દૂતાવાસે એ બાબતે પણ માર્ગદર્શિત કર્યા કે ભારતીય પાસપોર્ટ ધારકો ઈ-વિઝા લઈને થાઈલેન્ડમાં 60 દિવસ સુધી રોકાણ કરી શકશે.

થાઇ એમ્બેસીના જણાવ્યા મુજબ, બિન-થાઈ નાગરિકોએ તમામ પ્રકારના વિઝા માટે https://www.thaievisa.go.th વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. અરજદાર પોતે અથવા અન્ય પ્રતિનિધિઓ દ્વારા અરજી કરી શકે છે. જો કે એક વાતનું ધ્યાન રાખવું કે જો કોઈ પ્રતિનિધિ દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજી અધૂરી હશે તો તેના માટે એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલ જવાબદાર રહેશે નહીં. અરજી કઈ રીતે કરવી તેની પ્રક્રિયા ઉપરની વેબસાઇટ પર જોઈ શકાય છે.

એમ્બેસીની નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઑફલાઇન પેમેન્ટ વિકલ્પ દ્વારા અરજી કરનારાઓએ વિઝા ફી ચૂકવવી પડશે. આ માટે સંબંધિત એમ્બેસી અને કોન્સ્યુલેટ જનરલના ઓફલાઈન પેમેન્ટ ઓપ્શન પર વિગતો આપવાની રહેશે. જો કે એ બાબત સ્પષ્ટ છે કે વિઝા ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. વિઝા પ્રક્રિયામાં ફી મળ્યાની તારીખથી લગભગ 14 કાર્યકારી દિવસો લાગી શકે છે.

થાઈલેન્ડ ભારતીય પ્રવાસીઓ માટે ખૂબ આકર્ષણનું કેન્દ્ર છે. બેંગકોક, પટાયા, ફૂકેટ, ચિયાંગ માઈ અને કોહ સમુઈ સહિતના સ્થળોએ ભારતીય પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. વર્ષ 2019માં 20 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ થાઈલેન્ડની મુલાકાત લીધી હતી. માત્ર કોવિડ-19ના ગાળામાં જ પ્રવાસીઓનો ધસારો ઘટ્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો. જો કે તેનો સીધો ફાયદો થાઈલેન્ડને થાય છે.

November 20, 2024
putin-1280x720.jpg
1min255

  • યુક્રેન યુદ્ધના 1000 દિવસ : પુતિને ન્યુક્લિયર એટેકના નિયમો બદલ્યા
  • અમેરિકાની મંજૂરીના બીજા જ દિવસે યુક્રેને રશિયાના બ્રીન્ક્સમાં યુએસ બનાવટના છ એટીએસીએમએસ મિસાઈલ છોડયા
  • યુક્રેનના રહેણાંક વિસ્તારો પર સળંગ ત્રીજા દિવસે રશિયાનો વિનાશક હુમલો : 12નાં મોત, 84 ઘાયલ
    અમેરિકાએ યુક્રેનને યુએસ બનાવટના લાંબી રેન્જના મિસાઈલનો ઉપયોગ રશિયા સામે કરવાની મંજૂરી આપ્યાના દિવસોમાં જ યુક્રેને અમેરિકાના છ એટીએસીએમએસ મિસાઈલ રશિયાના બ્રીન્સ્ક પ્રાંત પર છોડયા હતા. બીજીબાજુ અમેરિકાની બદલાયેલી નીતિના જવાબમાં યુક્રેન સાથે યુદ્ધના ૧૦૦૦ દિવસ થવાની તૈયારી છે ત્યારે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને પણ તેમની પરમાણુ નીતિમાં ફેરફાર કરતા વિશ્વ પર ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે. નવી નીતિ હેઠળ રશિયા પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશની ભાગીદારી સાથે ન્યુક્લિયર શસ્ત્રોના હોય તેવા દેશના હુમલાને મોસ્કો પર સંયુક્ત આક્રમણ ગણાશે અને સૈન્ય પરમાણુ હુમલો કરી શકશે.

અમેરિકાના વિદાય લઈ રહેલા પ્રમુખ જો બાઈડેને યુક્રેનને યુએસ બનાવટના લાંબી રેન્જના મિસાઈલોથી રશિયામાં અંદર સુધી હુમલા કરવાની મંજૂરી આપીને ગંભીર ભૂલ કરી છે. અમેરિકાની મંજૂરી મળ્યા પછી યુક્રેને મંગળવારે સવારે રશિયાના બ્રીન્ક્સ પ્રાંત પર અમેરિકન બનાવટના છ આર્મી ટેક્ટિકલ મિસાઈલ સિસ્ટમ (એટીએસીએમએસ) મિસાઈલ છોડયા હતા, જેમાંથી પાંચ અમે તોડી પાડયા હતા અને એક મિસાઈલને નુકસાન પહોંચાડયું હતું. આ મિસાઈલ યુક્રેનની સરહદથી ૭૫ માઈલ દૂર કારાચેવ વિસ્તારમાં રશિયન મિલિટ્રી ફેસિલિટીમાં પડયું હતું. જોકે, યુક્રેનના આ હુમલાથી અમને કોઈ મોટું નુકસાન થયું નથી તેમ રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો.

જોકે, રશિયા પર એટીએસીએમએસ મિસાઈલનો હુમલો કર્યાની બાબતને યુક્રેને હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટી આપી નથી. પરંતુ યુક્રેન પર રશિયાના હુમલાને મંગળવારે ૧,૦૦૦ દિવસ પુરા થયા છે ત્યારે અમેરિકાની મંજૂરી અને યુક્રેનના આ હુમલાથી સ્થિતિ વધુ વણસી હોવાનો નિષ્ણાતો દાવો કરી રહ્યા છે.

યુક્રેનને લાંબા અંતરની મિસાઈલોથી રશિયા પર હુમલો કરવાની અમેરિકાએ મંજૂરી આપી હોવાની ઘટનાને રશિયાએ મોસ્કો સાથે અમેરિકાનું સીધું યુદ્ધ ગણાવ્યું હતું. વધુમાં અમેરિકાની મંજૂરીના બીજા જ દિવસે રશિયાએ તેની પરમાણુ હુમલાની નીતિમાં ફેરફાર કર્યો હતો. આ અંગેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને કહ્યું કે, કોઈ દેશ જેની પાસે પરમાણુ હથિયારો ના હોય તે પરમાણુ હથિયારોથી સજ્જ દેશની મદદથી રશિયા પર હુમલો કરશે તો તેને રશિયા વિરુદ્ધ યુદ્ધનું સંયુક્ત એલાન સમજવામાં આવશે. રશિયા વિરુદ્ધ બેલિસ્ટિક મિસાઈલનો ઉપયોગ કરાશે તો જવાબમાં પરમાણુ હુમલો કરવામાં આવી શકે છે.

રશિયન પ્રમુખ પુતિને મંગળવારે પશ્ચિમી દેશો અને યુક્રેનને સ્પષ્ટ સંદેશો આપતા નવા ડોક્ટ્રિન પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં રશિયન કેવા સંજોગોમાં પરમાણુ હુમલો કરી શકશે તેનો દાયરો વધારવામાં આવ્યો હતો. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે યુક્રેન અને પશ્ચિમી દેશોને સ્પષ્ટ સંદેશો આપતા કહ્યું કે, અમારા સિદ્ધાંતોને વર્તમાન સ્થિતિને અનુરૂપ લાવવા જરૂરી હતા. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, રશિયા પરમાણુ હુમલો ત્યારે જ કરશે જ્યારે તે તેના માટે મજબૂર હોવાનું અનુભવશે.

અગાઉ રશિયાની નીતિ તેના પર પરમાણુ હુમલો થાય તો જ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની હતી, પરંતુ હવે બેલેસ્ટિક મિસાઈલથી હુમલો થાય તો પણ સૈન્યને પરમાણુ હુમલાની મંજૂરી અપાઈ છે. દરમિયાન રશિયાએ યુક્રેન પર હુમલા વધારી દીધા છે. રશિયાએ સતત ત્રીજા દિવસે યુક્રેનના રહેણાંક વિસ્તારો પર મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો હતો. યુક્રેનના લુખીવ શહેરમાં એક શૈક્ષણિક ઈમારતને મંગળવારે રશિયાએ નિશાન બનાવતાં ૧૨ નાગરિકોનાં મોત નીપજ્યાં હતા અને અન્ય ૮૪ ઘાયલ થયા હતા.

દરમિયાન રશિયા અને યુક્રેન યુદ્ધને ૨૪ નવેમ્બરે ૧,૦૦૦ દિવસ પૂરા થશે ત્યારે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને દેશના કુલ ૧૦ લાખ સૈનિકોનાં મોત નીપજ્યાં છે અથવા ગંભીર રીતે ઘાયલ થયા છે તેમ સૂત્રોનું કહેવું છે. ફેબુ્રઆરી ૨૦૨૨માં શરૂ થયેલા યુદ્ધને ૨૪ નવેમ્બરે ૧,૦૦૦ દિવસ થશે.

November 7, 2024
trumph-1-1280x720.jpg
1min251

અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ડોનલ્ડ ટ્રમ્પે અનેક અવરોધોને અતિક્રમીને અદ્ભુત કમબૅક કરીને વિજય મેળવ્યો છે. એક કેસમાં દોષી ઠરાવાયા, ત્રણમાં આરોપી છે, બે વખત તેમને મારી નાખવા હુમલા થયા, બે વખત તેમના પર મહાભિયોગનો સામનો કરવો પડ્યો અને મેઇનસ્ટ્રીમ મીડિયા દ્વારા તેમની સામે સતત અભિયાન ચલાવાયું એ છતાં તેમણે એ બધાને પછાડીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. વિજયી બન્યા પછી યુનાઇટેડ સ્ટેટ્સના ૪૭મા પ્રેસિડન્ટ બનવા જઈ રહેલા ટ્રમ્પે કહ્યું હતું કે વી મેડ હિસ્ટરી.

હાઉસની કુલ ૫૩૮ બેઠકોમાંથી ટ્રમ્પે ક્લિયર મૅજોરિટી સાથે ૨૭૯ ઇલેક્ટોરલ બેઠક મેળવી હતી, જ્યારે કમલા હૅરિસે ૨૨૩ બેઠક મેળવી હતી. ટ્રમ્પને કુલ ૫૧ ટકા વોટ મળ્યા હતા જેને કારણે ૨૦૨૦માં તેમણે ગુમાવેલી પ્રેસિડન્સી ફરી એક વખત અંકે કરી લીધી હતી.

ફ્લૉરિડામાં તેમની જીતથી ખુશ થઈને સમર્થકો USA… USAના પોકાર કરી રહ્યા હતા ત્યારે તેમને સંબોધતાં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાના લોકોની આ મૅગ્નિફિસન્ટ જીત છે જેણે આપણને ફરી એક વાર અમેરિકાને ગ્રેટ બનાવવાનો મોકો આપ્યો છે.

અમેરિકાના અત્યાર સુધીમાં પ્રેસિડન્ટ બનેલા બધા જ પ્રેસિડન્ટમાં તેઓ સૌથી મોટી ઉંમરે ૭૮ વર્ષની ઉંમરે પ્રેસિડન્ટ બન્યા છે. વળી તે એવા બીજા પ્રેસિડન્ટ છે જે એક વાર હાર્યા પછી ફરી ચૂંટાઈ આવ્યા હોય. તેમના પહેલાં ૧૮૯૩માં ગ્રોવર ક્લીવલૅન્ડ હાર્યા બાદ ફરી ચૂંટાઈ આવ્યા હતા.

૨૦૨૦ની ચૂંટણી વખતે ટ્રમ્પે દાવો કરતાં કહ્યું હતું કે તેમણે જો બાઇડનને હરાવ્યા હતા, પણ જો બાઇડને એ ચૂંટણી ચોરીને જીતી હતી. તેમની આ જીતથી હવે તેમની સામે મિસહૅન્ડલિંગ ઑફ સીક્રેટ ડૉક્યુમેન્ટ્સ અને ચૂંટણીમાં અંતરાય ઊભો કરવાના કેસનો અંત આવી જશે.

પૉર્નસ્ટાર સાથે વિતાવેલા સમય બદલ કરેલા પેમેન્ટની વિગતો છુપાવવા તેમના બિઝનેસ-રેકૉર્ડમાં છેડછાડ કરી હોવાના ન્યુ યૉર્કના કેસમાં ટ્રમ્પને દોષી ઠરાવાયા છે. એનો ચુકાદો આ મહિનાના અંતમાં આવવાનો છે જેમાં તેમને જેલવાસ થવાની શક્યતા જોકે ઓછી છે.

નરેન્દ્ર મોદીએ વાત કરી ડોનલ્ડ ટ્રમ્પ સાથે

ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે ફરી ચૂંટાઈ આવ્યા એ પછી નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને ભવ્ય વિજયનાં અભિનંદન આપ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર આ માહિતી આપતાં મોદીએ કહ્યું હતું કે ‘ટેક્નૉલૉજી, ડિફેન્સ, એનર્જી, સ્પેસ અને બીજાં ઘણાં ક્ષેત્રોમાં ભારત-અમેરિકાના સંબંધો મજબૂત કરવા ફરી સાથે મળીને કામ કરવા અમે ઉત્સુક છીએ.’

November 7, 2024
bitcoin.jpg
1min172

  • ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટોનું વૈશ્વિક મથક બનાવવાની ચૂંટણી પ્રચારમાં ખાતરી આપી છે કમલા હેરિસ કરતા ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સીસ માટે વધુ પોઝિટિવ હોવાનો ખેલાડીઓ મત ધરાવી રહ્યા છે. ટ્રમ્પના આવવાથી અમેરિકાના સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ કમિશન (એસઈસી)ના ક્રિપ્ટોકરન્સીસ તરફના વલણમાં બદલાવ આવવાની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે.
  • ક્રિપ્ટો માર્કેટ તરફી વલણ ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પના વિજયની અસર
    અમેરિકાના પ્રમુખપદે ક્રિપ્ટોકરન્સી તરફી ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થતાં છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનની આગેવાની હેઠળ વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં મોટી રેલી જોવા મળી હતી. દસ ટકાના ઉછાળા સાથે બિટકોઈને ૭૫૩૬૩ ડોલરની નવી ઊંચી સપાટી દર્શાવી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૬૮૬૫૪ ડોલર જોવાયો હતો અને મોડી સાંજે ૭૩૮૬૦ ડોલર કવોટ કરાતો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસમાં પણ સુધારો જોવા મળ્યો હતો. આજથી શરૂ થયેલી ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક પર બજારની નજર રહેશે.

બિટકોઈનમાં જંગી ઉછાળા પાછળ સંસ્થાકીય માગ હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. અમેરિકાના બિટકોઈન ઈટીએફ હોલ્ડિંગ્સ ગયા મહિને વધી ૬૬ અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.

જોખમ લેવા માગતા ખેલાડીઓ માટે બિટકોઈન એક પસંદગીની એસેટસ છે. બિટકોઈનમાં ઉછાળાનો અર્થ સંસ્થાકીય રોકાણકારો તેમાં નાણાં ઠાલવી રહ્યા છે એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું.

ટ્રમ્પના વિજયથી ડિજિટલ કરન્સીને બળ મળશે. પોતાના ચૂંટણી પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટોનું વૈશ્વિક મથક બનાવવાની ખાતરી આપી હતી.

બાઈડન વહીવટીતંત્ર હેઠળ જપ્તિના પગલાંઓ બાદ ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગ હવે નિયમનકારી માળખાની આશા રાખી રહ્યો છે. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ જેમ કે એથરમ વધી ૨૬૨૨ ડોલર, સોલાના ૧૮૫ ડોલર, બીએનબી ૫૮૨ ડોલર બોલાતા હતા.

એલન મસ્કના પીઠબળ સાથેની ક્રિપ્ટો ડોજકોઈન ૨૫ ટકા ઉછળી ૦.૨૦ ડોલર પહોંચી ગઈ હતી. એલન મસ્કે ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. ક્રિપ્ટોસની એકંદર માર્કેટ કેપ પણ પાંચ ટકાથી વધુ વધી ૨.૫૬ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી.

નીચા વ્યાજ દરોને બિટકોઈન માટે તેજીની સ્થિતિ તરીકે જોવામાં આવે છે, કારણ કે રોકાણકારો વધુ નાણાં ઉછીના લઈ જોખમી એસેટસમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, ત્યારે વર્તમાન સપ્તાહમાં અમેરિકન ફેડરલ રિઝર્વની ૬-૭ મીએ મળનારી બેઠકમાં વ્યાજ દરમાં જો વધુ ઘટાડોઆવશે તો બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીસમાં ઉછાળો જોવા મળવાની ખેલાડીઓને અપેક્ષા છે.

November 5, 2024
trump-vs-harris.png
1min271

અમેરિકામાં 47મી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. અમેરિકામાં ભારતીય સમય અનુસાર સાંજે (5 નવેમ્બર) મતદાન શરૂ થશે. આ ચૂંટણીઓમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આમને-સામને છે. અત્યાર સુધી કરાયેલા તમામ સર્વેમાં બંને ઉમેદવારો વચ્ચે ગાઢ મુકાબલો થવાની સંભાવના છે. નિષ્ણાતોના મતે અમેરિકાના ઈતિહાસમાં આટલી નજીકની હરીફાઈ અગાઉ ક્યારેય થઈ નથી.

મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝ કમલા હેરિસની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. બીજી તરફ, જેડી વેન્સ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાનો દાવો કરી રહ્યા છે.
અમેરિકામાં મતદાનનો સમય શું રહેશે?

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન વિવિધ રાજ્યોના સ્થાનિક સમય મુજબ સવારે 7 વાગ્યાથી સવારે 9 વાગ્યાની વચ્ચે શરૂ થશે. આ સમય ભારતીય સમય અનુસાર સાંજે 4:30 થી 9:30 નો રહેશે. મોટાભાગના મતદાન કેન્દ્રો સાંજે 6 વાગ્યાથી મોડી રાત સુધી ચાલુ રહી શકે છે. એટલે કે અમેરિકામાં મતદાન પૂરું થાય ત્યાં સુધીમાં બીજા દિવસે ભારતમાં શરૂ થઈ જશે.

અમેરિકામાં બુધવારે ભારતીય સમય અનુસાર સવારે 4.30 વાગ્યા સુધીમાં મતદાન સમાપ્ત થઈ શકે છે. ઘણા રાજ્યોમાં આ સમય વધુ હોઈ શકે છે કારણ કે અમેરિકાના રાજ્યો ઘણા જુદા જુદા ટાઈમ ઝોનમાં વહેંચાયેલા છે.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતાની સાથે જ મત ગણતરી શરૂ થઈ જશે. મતગણતરી પૂરી થયા પછી, પોપ્યુલર વોટનો વિજેતા જાહેર કરવામાં આવે છે, પરંતુ દર વખતે એવું જરૂરી નથી કે જે ઉમેદવાર સૌથી વધુ પોપ્યુલર વોટ મેળવે તે વાસ્તવમાં રાષ્ટ્રપતિ પદનો વિજેતા હોય. કારણ કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ખરેખર પોપ્યુલર વોટથી નહીં પરંતુ ઈલેક્ટોરલ કોલેજ દ્વારા ચૂંટાય છે. આ સિવાય ક્યારેક એવું પણ બની શકે છે કે એક રાજ્યમાં અંદાજિત વિજેતા જાહેર કરવામાં આવી રહ્યા છે જ્યારે બીજા રાજ્યમાં મતદાન ચાલી રહ્યું છે.

તેથી, કેટલીકવાર સચોટ પરિણામો મેળવવામાં એક કે બે દિવસ લાગે છે. અમેરિકામાં યોજાયેલી મોટાભાગની રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓમાં મતદાનના દિવસે અથવા બીજા દિવસે સવારે વિજેતાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ વખતે સખત સ્પર્ધાને કારણે રાહ પણ જોવી પડી શકે છે.