CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 38 of 49 - CIA Live

April 20, 2019
amazon_logo.png
1min6890

ટોચની વૈશ્વિક ઇ-કોમર્સ કંપની Amazon.comને ચીનમાં પીછેહટ કરવી પડી છે. કંપનીએ જુલાઈમાં ચીન ખાતેનો માર્કેટપ્લેસ બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આગામી સમયમાં કંપની સ્થાનિક ગ્રાહકોને લોકલ વેન્ડર્સની પ્રોડક્ટ્સ વેચવાને બદલે વિદેશી પ્રોડક્ટ્સના માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

એમેઝોન ચીનમાં અન્ય બિઝનેસ ચાલુ રાખશે. જેમાં એમેઝોન વેબ સર્વિસિસ, કિંડલ ઇ-બુક્સ અને ક્રોસ-બોર્ડર કામગીરીનો સમાવેશ થાય છે. ક્રોસ-બોર્ડર બિઝનેસ ચીનના વેપારીઓને વિદેશી ગ્રાહકોને માલ પહોંચાડવામાં મદદ કરે છે. 18 જુલાઈથી જે ગ્રાહકો એમેઝોનના ચાઇનીઝ વેબ પોર્ટલ Amazon.cn પર લોગ-ઈન કરશે તો એ થર્ડ-પાર્ટી સેલર્સને બદલે એમેઝોનના ગ્લોબલ સ્ટોરમાંથી જ ગૂડ્ઝ પસંદ કરી શકશે.

વિશ્વના સૌથી મોટા રિટેલ માર્કેટના ઇ-કોમર્સ બિઝનેસમાંથી એક્ઝિટ એમેઝોન અને CEO જેફ બેઝોસ માટે મોટો આંચકો કહી શકાય. બેઝોસ લાંબા ગાળાના લક્ષ્યાંક હાંસલ કરવા નુકસાન વેઠવા જાણીતા છે. જોકે, એક બાબત એ પણ સ્પષ્ટ થઈ છે કે અમેરિકન કંપની ચીનમાં લોકલ ઇ-ટેલર્સ અલીબાબા ગ્રૂપ અને JD.કોમ તેમજ ગ્રૂપ બાઇંગ એપ Pinduoduo ઇન્ક સાથે સ્પર્ધા કરી શકી નથી.

એમેઝોને ચીનના લોકલ બૂક સેલરને 7.5 કરોડ ડોલરમાં ખરીદી 2004માં ચીનમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી કંપનીએ વેરહાઉસિસ, ડેટા સેન્ટર્સ અને ચીનના સેલર્સને તાલીમ આપવામાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. કંપનીએ 2016માં ગ્રાહકોને આકર્ષવાના હેતુ સાથે ચીનમાં પ્રાઇમ મેમ્બરશિપ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. જેમાં ઉચ્ચ ગુણવત્તાના વેસ્ટર્ન ગૂડ્ઝ અને ફ્રી ઇન્ટરનેશનલ ડિલિવરી જેવાં વચન અપાયાં હતાં. જોકે, એમેઝોન અન્ય દેશોમાં ગ્રાહકોને ખેંચવા પ્રાઇમ વિડિયો જેવાં આકર્ષણોનો ઉપયોગ કરે છે, જે ચીનમાં ઉપલબ્ધ નથી.

એમેઝોનની એન્ટ્રી પછી અલીબાબા, JD અને અન્ય ચાઇનીઝ પ્લેટફોર્મ્સે અમેરિકન ચેરીથી માંડી ઓસ્ટ્રેલિયન બેબી ફોર્મ્યુલા સુધીની તમામ પ્રોડક્ટ્સ નોંધપાત્ર ડિસ્કાઉન્ટમાં વેચવાનું શરૂ કર્યું હતું. આઇરિસર્ચના જણાવ્યા અનુસાર ચીનમાં એમેઝોનનો હિસ્સો એક ટકાથી પણ ઓછો હતો. ચીનમાંથી એક્ઝિટ એ વાતનો સંકેત છે કે, એમેઝોન હવે ભારત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં તેની પાસે ટોચની ઇ-કોમર્સ કંપની બનવાનો અવકાશ ઘણો સારો છે.

એમેઝોને 2013માં વેબસાઇટ શરૂ કર્યા પછી ભારતમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને 50થી વધુ વેરહાઉસ બનાવ્યા છે. જોકે, ભારતમાં પણ એમેઝોને ચીનની કંપનીઓનો સામનો કરવો પડશે. કારણ કે અલીબાબા અને અન્ય કંપનીઓ ભારતમાં વિસ્તરણ માટે સક્રિય છે અથવા તેમણે Paytm અને બિગબાસ્કેટ જેવા લોકલ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કર્યું છે.

એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “કંપની ચીન માટે મજબૂત કટિબદ્ધતા ધરાવે છે અને તે દેશમાં રોકાણ ચાલુ રાખશે. જોકે, કંપનીએ ઓનલાઇન રિટેલ બિઝનેસનું ફોકસ બદલી ક્રોસ-બોર્ડર સેલ્સ તરફ વાળ્યું છે.”

April 12, 2019
julian_assange.jpg
1min5930

લંડનસ્થિત ઍક્વાડૉરની એલચી કચેરીમાં સાત વર્ષ રહ્યા બાદ વીકીલિક્સના સહસ્થાપક જુલિયન અસાન્જેની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હોવાનું સ્કૉટલૅન્ડ યાર્ડ પોલીસે કહ્યું હતું.  અસાન્જેની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલને સ્કોટલૅન્ડ યાર્ડે સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે યુકેની જામીનની શરતોનો ભંગ કરવા બદલ જૂન 2012માં અમારા અધિકારીઓએ અસાન્જે વિરુદ્ધ વૉરંટ બહાર પાડ્યું હતું.

બળાત્કાર અને જાતીય હુમલાના આરોપસર સ્વીડનમાં તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદથી લગભગ સાત વર્ષ સુધી 47 વર્ષના અસાન્જે સેન્ટ્રલ લંડનસ્થિત ઍક્વાડૉરની એલચી કચેરીની પાછળના ભાગમાં આવેલા આ ઓરડામાં રહ્યો હતો.

તેને અંતે અમેરિકાને સોંપી દેવામાં આવશે એવા ભયની ભૂમિકાને આધારે તેણે આશરો માગ્યો હતો. અમેરિકાની ગુપ્ત માહિતી જાહેર કરી દેવાના કથિત આરોપસર અસાન્જેને અમેરિકામાં મૃત્યુદંડની સજા થવાનો તેને ભય હતો. વૅસ્ટ મિનિસ્ટર્સ કૉટ્રમાં રજૂ કરતા અગાઉ અસાન્જેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. અસાન્જેને સેન્ટ્રલ લંડન પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવવાનો છે.

ઍક્વાડૉરની સરકારે આશ્રય આપવાનું નકાર્યા બાદ અને રાજદૂત દ્વારા તેને એલચી કચેરીમાં બોલાવવામાં આવ્યાને પગલે મૅટ પોલીસ સર્વિસે વૅસ્ટમિનિસ્ટર કૉર્ટ વતી વૉરંટનો અમલ કર્યો હતો, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. બળાત્કાર અને જાતીય શોષણ અંગેની પ્રશ્ર્નોત્તરી માટે યુકેની સુપ્રીમ કૉર્ટ સુધી પહોંચેલા અસાન્જેએ જૂન 2012માં નાઈટ્સબ્રિજસ્થિત ઍક્વાડૉરની એલચી કચેરીમાં આશરો માગ્યો હતો.

જામીનની શરતોનો ભંગ કરવા બદલ અસાન્જે સ્કૉટલૅન્ડ યાર્ડના વૉન્ટેડ લિસ્ટમાં હતો અને રાજકીય રીતે સુરક્ષા પૂરા પાડતા વિસ્તારમાંથી બહાર પગ મૂકતાની સાથે જ તે ધરપકડનો સામનો કરી રહ્યો હતો, પરંતુ જેવું એ સુરક્ષા કવચ ખસેડી લેવામાં આવ્યું કે તરત જ તેની ધરપકડ કરવામાં આવી હતી. યુકેની સરકારે અસાન્જેની ધરપકડને એમ કહીને આવકારી હતી કે યુકે અને ઍક્વાડૉર વચ્ચેની સઘન વાટાઘાટનું આ પરિણામ હતું.

ઍક્વાડૉરના પ્રમુખ લૅનિન મૉરેનોએ કહ્યું હતું કે અસાન્જેએ આશ્રય આપવાની શરતોનો અવારનવાર ભંગ કર્યો હોવાને કારણે તેને આશ્રય આપવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

ક્વિટોએ રાજકીય આશ્રય પાછો ખેંચી લીધા બાદ ગુરુવારે લંડનમાં ધરપકડ કરાયેલા વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાન્જેને મૃત્યુદંડની સજા આપતા દેશને સોંપવામાં નહીં આવે, એમ ઍક્વાડૉરના પ્રમુખ લૅનિન મૉરેનોએ કહ્યું હતું.

અસાન્જેની હેરાનગતિ કરવામાં આવે કે તેને મૃત્યુદંડની સજા કરવામાં આવે એવા કોઈપણ દેશને તેની સોંપણી ન કરવાની ખાતરી આપવાનું બ્રિટનને જણાવ્યું હોવાનું લૅનિન મૉરેનોએ સોશિયલ મીડિયામાં પૉસ્ટ કરેલા વીડિયો સંદેશામાં કહ્યું હતું.

બ્રિટનની સરકારે લેખિતમાં આ અંગે બાંયધરી આપી છે, એમ તેમણે કહ્યું હતું.

અસાન્જેને રાજકીય આશરો આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને હાલ બૅલ્જિયમમાં રહેતા મૉરેનોના પુરોગામી રાફૅલ કૉરેઆએ મૉરેનો પર ભ્રષ્ટ હોવાનો આક્ષેપ કર્યો હતો અને ગુના અંગેની નીતિમાં ફેરફાર કરવાના તેમના નિર્ણયને એમ કહીને વખોડી કાઢ્યો હતો કે તેમણે જે કર્યું છે તેને માનવતા ક્યારેય માફ નહીં કરે.

April 11, 2019
therasa.jpg
1min8310

બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ બુધવારે કહ્યું કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ બ્રિટિશ ઈન્ડિયન ઈતિહાસ પર ‘શરમજનક દાગ’ છે. જો કે તેમણે વિધિવત માફી માગી ન હતી. થેરેસા મેએ એક નિવેદનમાં કહ્યું કે ‘1919ની જલિયાંવાલા બાગ કરુણાંતિકા બ્રિટિશ ભારતીય ઈતિહાસ પર શરમજનક દાગ છે. 1997માં જલિયાંવાલા બાગની મુલાકાત લેતા અગાઉ હર મેજેસ્ટી ધ ક્વિન (એલિઝાબેથ દ્વિતીય)એ કહ્યું હતું તે પ્રમાણે ભારત સાથેના આપણા ભૂતકાળના ઈતિહાસમાં કરુણ બનાવ છે.’ થેરેસા મેએ રાષ્ટ્રવતી ઔપચારિક માફી ન માગી હતી અને ફક્ત ‘ખેદ’ વ્યક્ત કર્યો હતો. સંસદમાં વિવિધ નેતાઓ દ્વારા વિધિવત માફીની માગ કરવામાં આવી હતી, પણ વડા પ્રધાન મેએ કહ્યું કે ‘જે થયું હતું અને જે યાતના સહન કરવી પડી હતી તેનો અમને ખૂબ જ ખેદ છે.’

મંગળવારે વિપક્ષ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્વિને માગ કરી હતી કે ‘જે થયું હતું તેને માટે સંપૂર્ણ, સ્પષ્ટ માફી’ હોવી જોઈએ. 13મી એપ્રિલ 1919ના દિવસે જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો અને આગામી શનિવારે તે કરુણાંતિકાને સદી પૂરી થશે તે ધ્યાનમાં રાખી મંગળવારે બ્રિટિશ સાંસદોએ વિધિવત માફીના મુદ્દા પર વેસ્ટમિન્સ્ટર હોલમાં ચર્ચા કરી હતી.

ભારતીય મૂળના સાંસદ પ્રીતકૌર ગિલે કહ્યું હતું કે ‘હત્યાકાંડમાં બ્રિટનની ભૂમિકાનો યુકે સરકારે સ્વીકાર કરવો જોઈએ અને ઔપચારિક માફી માગવી જોઈએ.’

April 7, 2019
eupassport.png
1min15570

બ્રૅક્ઝિટમાં વિલંબ અને યુકે ક્યારે તેમાંથી બહાર નીકળશે એ અંગે પ્રવર્તી રહેલી અનિશ્ર્ચિતતા છતાં બ્રિટને કવર પરથી ‘યુરોપિયન યુનિયન’નું લખાણ હટાવી દઈ પાસપૉર્ટ આપવાનું શરૂ કરી દીધું છે. વર્ષ 2017માં લેવામાં આવેલા નિર્ણયને પગલે મૂળમાં બ્રિટન વર્ષ 2019ની 29 માર્ચે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવાનું હતું તેના એક દિવસ બાદ એટલે કે 30 માર્ચે આપવામાં આવેલા અમુક પાસપૉર્ટમાં ‘યુરોપિયન યુનિયન’નો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, એમ આંતરિક બાબતોના ખાતાએ એક નિવેદનમાં કહ્યું હતું.

‘યુરોપિયન યુનિયન’ લખેલો કે એમ ન લખેલું હોય તેવા બંનેમાંથી કોઈપણ પાસપૉર્ટ વાપરવાથી બ્રિટિશ નાગરિકોને કોઈ ફરક નહીં પડે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે પ્રવાસ કરવા માટે આ બંને પાસપૉર્ટ માન્ય હશે. બ્રિટન 29 માર્ચે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવાનું હતું, પરંતુ છૂટા પડવાના કરારની શરતોને પગલે બ્રિટન રાજકીય રીતે લકવાગ્રસ્ત થઈ જતાં યુરોપિયન યુુનિયનમાંથી ખસી જવામાં વિલંબ કરવાની તેને ફરજ પડી હતી.

April 4, 2019
kamlesh_bassi.jpg
1min16480

કમલેશ બસ્સી નામની ભારતીય મૂળની 58 વર્ષીય મહિલા પોતાને મેડિકલ ડૉક્ટર, નર્સ, ઑક્યુપેશનલ થૅરપિસ્ટ, ફિઝિયૉથેરપિસ્ટ, ઑસ્ટિયૉપેથ અને હાડવૈદ્ય જેવી વિવિધ ઓળખ આપીને બ્રિટનમાં લોકોને, ખાસ કરીને વૃદ્ધોને ઠગતી પકડાઇ ગઇ છે અને વૉરવિક ક્રાઉન કૉર્ટે તેને આવા સાત કિસ્સામાં દોષી ઠેરવી હતી.

કમલેશ બસ્સી પોતાને મેડિકલ પ્રૉફેશનલ ગણાવીને વૃદ્ધોની સાથે છેતરપિંડી કરતી હતી. તે મસાજ અને ઘરેલુ કામકાજમાં મદદની પણ ઑફર કરતી હતી.

વેસ્ટ મિડલેન્ડ્સમાંની ક્રાઉન પ્રૉસિક્યુશન સર્વિસના વકીલ હેના સિડવેએ જણાવ્યું હતું કે કમલેશ બસ્સી ઇરાદાપૂર્વક વૃદ્ધોને પોતાના શિકાર બનાવતી હતી. તે આવા લોકોનો વિશ્ર્વાસ મેળવીને તેઓના ઘરમાં ઘૂસી જતી હતી અને લોકોના જાન જોખમમાં મૂકતી હતી.

કમલેશ બસ્સીએ ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સમાં અનેક લોકોને પોતાના શિકાર બનાવ્યા હતા. તેને દોષી ઠેરવ્યા બાદ કસ્ટડીમાં રખાઇ છે. તેની સજાની સુનાવણી પાંચમી મેએ કરાશે.

March 27, 2019
china.png
1min767

અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ દર્શાવતા અને તાઈવાનને સ્વતંત્ર દેશ દર્શાવતા 30000 વિશ્ર્વના નકશાનો ચીની કસ્ટમ વિભાગે નાશ કર્યો છે.

ચીનના શાનડોંગ ક્ષેત્રના કિવંગડો શહેરમાં કસ્ટમ અધિકારીઓ નકશા તૈયાર કરતી કંપની પર ત્રાટક્યા હતા. અંગ્રેજીમાં તૈયાર કરાયેલા આશરે 30000 નકશા ભરેલા 800 બોક્સનો અધિકારીઓએ નાશ કર્યો હતો. ચીન સત્તા વિભાગે ચીનના સાર્વભૌમત્વ અને અખંડિતતાની સલામતીને પડકારરૂપ નકશાનો નાશ કરાયો હોવાનું જણાવ્યું હતું.

ચીન ભારતના અરુણાચલ પ્રદેશ પર હકનો દાવો કરતું આવ્યું છે. ચીનના નકશામાં અરુણાચલ પ્રદેશને સાઉથ તિબેટ ઓટોનોમસ રિજિયન (ટીએઆર)નો ભાગ બતાવવામાં આવ્યો છે.

તાઇવાન પણ ચીનનો જ ભાગ હોવાનો દાવો ચીન દ્વારા થઈ રહ્યો છે.

28908 નકશા ભરેલા 803 બોક્સનો નાશ કરવામાં આવ્યો હોવાના સમાચારને ચીનના નેચરલ રિસોર્સિઝ મિનિસ્ટ્રીએ સમર્થન આપ્યું હતું.

વિભાગે પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.

પૂર્વ ચીનના અન્હુઈ વિસ્તાર સ્થિત કંપનીએ અન્ય વિદેશી દેશમાં મોકલવા નકશા તૈયાર કર્યા હોવાનું બહાર આવ્યું છે.

સંલગ્ન વિભાગે ચીનના બજારમાં વેચાતા 10,000 વિશ્ર્વના નકશાનો નાશ કર્યો હતો જેમાં સાઉથ તિબેટ, તાઈવાન તથા અરુણાચલ પ્રદેશને ચીનના ભાગ તરીકે દર્શાવવામાં ન આવ્યા હોય. નેશનલ રિસોર્સ મંત્રાલયના જિયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સેન્ટરના અધિકારી મા વેઈએ જણાવ્યું હતું કે નકશો દેશની અખંડતા દર્શાવે છે. સાર્વભૌમત્વ દર્શાવે છે. તેથી જે નકશામાં દેશની અખંડતા અને સાર્વભૌમત્વ ખંડિત થતા હોય તેનો નાશ કરવો દેશની સલામતી માટે જરૂરી હોય છે. તેમણે ચીનના પગલાંને યોગ્ય ઠેરવ્યું હતું.

ચીન વિદેશ મંત્રાલયના આંતરરરાષ્ટ્રીય કાયદા વિભાગના લૂઈ વેંગજોંગે પણ ચીનના પગલાંને યોગ્ય ઠેરવતા ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર પણ સાઉથ તિબેટ ચીનની ટેરિટરીનો ભાગ છે.

ભારતીય નેતાની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો પણ ચીને વિરોધ વ્યક્ત કર્યો હતો. એપ્રિલ 2017માં પણ દલાઈલામાની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો ચીને વિરોધ દર્શાવ્યો હતો.

અરુણાચલ પ્રદેશના 6 પ્રદેશના નામ આપી તેના વિશે વિવિધ દલીલો

દ્વારા તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે ચીનનો ભાગ હોવાનો દાવો કર્યો હતો. અરુણાચલ પ્રદેશ સાંસ્કૃતિક રીતે અને ઐતિહાસિક રીતે ચીનની સંસ્કૃતિ દર્શાવતો હોવાનું ચીને જણાવ્યું હતું.

ફેબ્રુઆરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અરુણાચલની મુલાકાત અંગે પણ ચીને વાંધો વ્યક્ત કર્યો હતો. ચીન દ્વારા તાજેતરમાં તાઇવાનને ચીનના ભાગ તરીકે મંજૂરી આપવા આંતરરાષ્ટ્રીય એરલાઇન તથા ઇન્ટરનેશનલ ફર્મ પર દબાણ કર્યું છે.

March 25, 2019
mali-1.jpg
1min5430

માલીમાં 134 લોકોનો સામૂહિક સંહાર

બાળકોથી માંડીને ગર્ભવતી મહિલાઓને પણ વીંધી નખાઈ
આફ્રિકાનાં સૌથી મોટા દેશ પૈકી એક એવા માલીનાં એક ગામમાં 134 લોકોનાં સામૂહિક સંહારની ભયંકર ઘટનાએ દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. માલીમાં નજીકનાં ભૂતકાળનો આ સૌથી ઘાતકી હુમલો ગણાવાય છે.

આ હત્યાકાંડ શનીવારે મધ્ય માલીનાં ઓગોસ્સાગોઉ ગામમાં થયો હતો. જે આતંકવાદ પ્રેરિત વંશીય હિંસાગ્રસ્ત વિસ્તર છે. આ ઘટના વિશે જાણવા મળેલી વિગતો અનુસાર ડોંઝો શિકારીઓએ આ ઘાતકી કૃત્યમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને પણ બક્ષ્યા નહોતાં. ઓગોસ્સાગોઉ ગામની નજીકનાં શહેર બંકાસનાં મેયરે આ હુમલાને જેહાદી હિંસા ગણાવી હતી. તેમનાં કહેવા અનુસાર ડોંઝો શિકારીઓનાં વેશમાં આવીને સવારે 4 વાગ્યાનાં સુમારે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યા હતાં.
સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદ માલીમાં જારી હિંસાનાં દોરનો ઉકેલ શોધવા પ્રયત્નશીલ છે. થોડા સમય પૂર્વે જ તેની એક ટીમે પણ માલીની મુલાકાત લીધી હતી અને આ આંતરવિગ્રહમાં તેની દખલને પગલે પણ આ ઘાતકી હિંસા આચરવામાં આવી હોવાનું પણ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે તેઆરેગ વિદ્રોહીઓ લીબિયામાં ગદ્દાફી માટે લડતા હતાં અને પાંચ-સાત વર્ષ પહેલા તે માલીમાં ઘુસવામાં સફળ રહ્યા હતાં. ત્યારબાદથી માલીમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. ફ્રાન્સે આ જેહાદીઓને ખધેડવાનાં પ્રયાસો કર્યા હતાં. જો કે તેમાં તેને સફળતા મળી નહોતી.’
March 21, 2019
h-1b_visa_1mmn.jpg
1min1493

યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસિઝ (યુએસસીઆઇએસ)એ પહેલી એપ્રિલથી નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે એચ-૧બી વિઝા પિટિશન્સ સ્વીકારવાનું શરૂ કરી દેશે. આ વિઝા માટે રોજગાર શરૂ કરવાની તારીખ પહેલી ઓક્ટોબર રહેશે.

જોકે અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પણ એચ-૧ માટે નિયમિત વિઝાની મર્યાદા પણ ૬૫,૦૦૦એ સ્થિર રહેશે. આ ઉપરાંત યુએસ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ ડિગ્રી અથવા માસ્ટર્સ મેળવનાર અન્ય ૨૦,૦૦૦ પિટીશનર્સને પણ વિઝા મળશે. પરંતુ ઘણાં વકીલોનું કહેવું છે કે આ વર્ષ અસાધારણ બની શકે છે મોટાભાગે એટલે કે આ વર્ષના પ્રારંભમાં જ અનેક નિયમો બદલાયા હતા.

યુએસસીઆઇએસે જાન્યુઆરીમાં ઓર્ડરમાં ફેરફાર કર્યો હતો. જે મુજબ હવે ફાળવણીની ગણતરી કરશે. હવે તમામ પિટિશનોને નિયમિત મર્યાદામાં જ ગણાશે. જેમાં એડવાન્સ્ડ ડિગ્રીનો પણ સમાવેશ થાય છે. બીજા રાઉન્ડમાં તે બાકીની પિટીશન્સની પસંદગી કરશે. યુએસસીઆઇએસના જણાવ્યાનુસાર નવો ફેરફાર ૧૬ ટકા વધારો થશે. જેને કારણે એડવાન્સ્ડ યુએસ ડિગ્રી સાથે પસંદગી પામેલા એચ-૧ બી પિટીશનરોમાં ૫,૩૪૦ કામદારોનો વધારો થશે. જોકે, કેટલાક વકીલોનું કહેવું છે કે એચ-૧ બી પર અમેરિકાના દેખીતા અંકુશને કારણે ઇમીગ્રેશન પર એકંદરે નકારાત્મક સેન્ટિમેન્ટ દેખાશે અને તેની અસર ફાઇલિંગ્સ પર દેખાશે.

March 18, 2019
flood.jpg
1min7180

ઈન્ડોનેશિયાના પાપૂઆ પ્રાંતમાં આવેલા ઘોડાપૂરમાં ૫૦ જેટલા લોકોનું મૃત્યુ થયું હતું. પાપૂઆ પ્રાંતની રાજધાની જયાપુરા પાસેના સેન્ટાનીમાં ભારે વરસાદ પડવાથી અને તેના પરિણામે થયેલા ભૂસ્ખલનના સંખ્યાબંધ બનાવોના પગલે ઘોડાપૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી. સંખ્યાબંધ ઘરને નુકસાન થયું હતું અને ૫૯થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવકતાએ કહ્યું હતું કે બચાવ રાહત ટુકડીઓ પૂરપ્રભાવિત વિસ્તારોમાં પહોંચી રહી છે અને વધુ વિગત મળતા વાર લાગશે.

પાણી ઓસરી રહ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. હજારો વૃક્ષ માર્ગમાં પડ્યા હોવાને કારણે અને પથ્થરો, કાદવ વિગેરેને કારણે બચાવ – રાહત ટુકડીઓ બધા પ્રભાવિત વિસ્તારોમાં હજુ પહોંચી નથી.

નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવકતા સુરોપો પુરવો નુગ્રોહોએ કહ્યું કે, ‘જમીન ધસી પડવાને કારણે ઘોડાપૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી.

ઉપલબ્ધ વીડિયો ફૂટેઝમાં જોઈ શકાતું હતું કે, ઠેર ઠેર વૃક્ષોની ડાળીઓ અથવા થડ, અન્ય કાટમાળ કાદવિયા માર્ગો પર પથરાયો હતો. જયાપુરાના નાના એરપોર્ટના એક પ્રોપેલર પ્લેન તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું.

ઈન્ડોનેશિયામાં ઓકટોબરથી એપ્રિલ સુધી વરસાદની સીઝન રહેતી હોય છે અને ઘોડાપૂરની પરિસ્થિતિ નિયમિતપણે સર્જાતી હોય છે.૧૭૦૦૦ ટાપુથી બનેલા આ રાષ્ટ્રમાં ભૂકંપ, જવાળામુખી ફાટવાની ઘટના પણ અવારનવાર થતી રહે છે.

સુલાવેસી ટાપુ પર પૂર અને ભૂસ્ખલનના પગલે ૭૦ વયક્તિનું મોત થયું હતું. આ મહિનામાં થોડા દિવસ અગાઉ વેસ્ટજાવા પ્રાંતમાં ભારે વરસાદ અને પૂરના કારણથી સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા.

જાવાના પશ્ર્ચિમ હિસ્સામાં જવાળામુખી ફાટવાથી સુનામી આવ્યું હતું, જેમાં ૪૦૦ લોકો માર્યા ગયા હતા. ગયા વર્ષે સુલાવેસીના પાલુ શહેરમાં સુનામીને કારણે હજારો લોકો માર્યા ગયા હતા, જયારે બાલી પાસેના લોમ્બોક ટાપુ પર ભૂકંપના હારબંધ આંચકાને પગલે સેંકડો લોકો માર્યા ગયા હતા.

March 15, 2019
n11.jpg
1min13390

Helpline numbers for Indians in New Zealand needing assistance: 021803899 or 021850033

તા.15મી માર્ચ 2019ની સાંજ ન્યુઝીલેન્ડ માટે સૌથી કારમી સાંજ નિવડી છે. ન્યુઝીલેન્ડ દેશ પર થયેલા સૌથી પહેલા આતંકી હુમલામાં 40થી વધુ લોકોના મોત તો નિપજ્યા છે, પરંતુ, આ નાનકડા દેશમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટનાએ લાખો લોકોને હચમચાવી મૂક્યા છે. ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની બે મસ્જિદોમાં વણઓળખાયેલા હુમલાખોરે અંધાધૂંધ ફાયરીંગ કરીને જે વ્યક્તિ દેખાઇ તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. અંધાધૂંધ ફાયરિંગના આ આતંકી હુમલામાં 50થી વધુ લોકોના મોત થવાની અને 30 જેટલા લોકોના ઘાયલ થયા હોવાના મિડીયા રિપોર્ટસ ન્યુઝીલેન્ડથી મળી રહ્યા છે.

પહેલો હુમલો અલ નૂર મસ્જિદમાં થયો. રિપોર્ટ્સ મુજબ હુમલાવરને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે. હુમલાને પ્રત્યક્ષ જોનારા લોકોના કહેવા મુજબ હુમલાખોરે કાળા કપડાં પહેર્યા હતા અને તે માથા પર હેલ્મેટ પહેરીને આવ્યો હતો. તેની પાસે રહેલા સ્વચાલિત હથિયાર વડે તે ફાયરિંગ કરી રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

ન્યૂઝીલેન્ડ પોલીસે એક નિવેદન દ્વારા જાણકારી આપી છે કે,‘ક્રાઈસ્ટચર્ચની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં શૂટર્સ ઘુસી આવ્યા છે જે હજી પણ સક્રિય છે. પોલીસ તેને ઠાર કરવાના શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે પરંતુ હજી પણ પરિસ્થિતિ પોલીસના હાથની બહાર છે

ન્યૂઝીલેન્ડના પીએમ જૈસિન્ડા ઓર્ડર્ને તેને દેશનો સૌથી કાળો દિવસ જણાવતા કહ્યું કે, મસ્જિદમાં ઘણી જગ્યાઓથી ફાયરિંગ થઈ રહ્યું છે. તેમણે લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવાનો આગ્રહ કરતા કહ્યું કે હુમલાવર હજુ સક્રિય છે અને તે લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું, ન્યૂઝીલેન્ડમાં હિંસાની કોઈ જગ્યા નથી.

મસ્જિદમાં થયેલા હુમલા બાદ બંને ટીમોએ શનિવારે ક્રાઈસ્ટચર્ચમાં રમાનારી ટેસ્ટ મેચને રદ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પોતાના ઔપચારિક ટ્વીટર હેન્ડલ દ્વારા આ વાતની જાણકારી આપી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટમાં આ હુમલામાં પ્રભાવિત થયેલા લોકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી.

ન્યૂઝીલૅન્ડમાં ક્રાઇસ્ટચર્ચ સ્થિત મસ્જિદ પાસે ગોળીબાર થયો છે, જેમાં 40 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું તથા 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું વડા પ્રધાને જણાવ્યું છે.

બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલૅન્ડના પ્રવાસે હતી અને તેઓ મસ્જિદમાં પ્રવેશે એ પહેલાં જ હુમલો થયો હતો. આ પ્રવાસ રદ કર્યો હોવાનું ખેલાડીઓએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું. પોલીસ કમિશનર માઇક બુશે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હુમલાની ઘટના બાદ ત્રણ પુરુષો અને એક મહિલાની અટકાયત કરાઈ છે.

ન્યુઝીલેન્ડના ઇતિહાસમાં બ્લેક ડે

ન્યૂઝીલૅન્ડના વડા પ્રધાન જૅસિંડા અર્ડર્ને મૃતકોની પુષ્ટિ કરતાં શુક્રવારને પોતાના દેશ માટે ‘કાળો દિવસ’ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આ મામલે એક મહિલા સહીત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડા પ્રધાને કહ્યું કે, “ક્રાઇસ્ટ ચર્ચ આ પીડિતોનું ઘર હતું. આમાંથી ઘણી લોકોનો જન્મ અહીં જ થયો હતો, ઘણા લોકો માટે ન્યૂઝીલૅન્ડ તેમનો મનપસંદ દેશ હતો.” દેશના પ્રથમ વડા પ્રધાને દેશના નામે આપેલાં સંદેશમાં કહ્યું હતું, “હું તમને કહી શકું છું કે ન્યૂઝીલૅન્ડ માટે આ કાળા દિવસોમાંનો એક છે.”

ન્યૂઝીલૅન્ડના પોલીસ કમિશનર માઇક બુશે કહ્યું કે આ મામલામાં ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ત્રેણ પુરુષો અને એક મહિલાઓ છે. હજી એવું ન કહી શકાય કે ખતરો ટળી ગયો છે. સ્થાનિક તંત્રે તમામ મસ્જિદો આગામી જાહેરાત ન કરાય ત્યાં સુધી બંધ રાખવાની સૂચના આપી છે. પોલીસ કમિશનર માઇક બુશે કહ્યું કે ક્રાઇસ્ટચર્ચની શાળાઓ બંધ રાખવામાં આવી છે. મસ્જિદમાં હુમલો થયો છે તેની બાજુની અન્ય મસ્જિદ ખાલી કરાવી હોવાના અહેવાલ છે. મીડિયાના અહેવાલો મુજબ પોલીસ આસપાસની ઇમારતોને ખાલી કરાવી રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કૅથેડ્રલ સ્ક્વેર પણ ખાલી કરાવાયું છે, જ્યાં ક્લાઇમેટ ચૅન્જ માટેની એક રેલી માટે હજારો બાળકો એકઠાં થયાં હતાં. પોલીસ કમિશનર માઇક બુશે જણાવ્યું, “ક્રાઇસ્ટચર્ચમાં એક શૂટરના કારણે ગંભીર ઘટના બની છે, જેની હજુ વધુ માહિતી આવી રહી છે. ” “આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ પૂરતા પ્રયત્નો કરી રહી છે. પરંતુ હજુ પણ જોખમ રહેલું છે. “પોલીસે કહ્યું છે કે ક્રાઇસ્ટચર્ચની આસપાસ રહેતા લોકોએ આગામી આદેશ સુધી ઘરમાં જ રહેવું, બહાર રસ્તા પર ન આવવું.” “પોલીસે સ્થાનિકોને તેમના ઑપરેશનમાં સહકાર આપવા બદલ આભાર માન્યો છે, અને નાગરિકોને વધુ માહિતી આપતા રહેવાની વાત કરી છે.”

ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે શનિવારથી શરૂ થતી ટેસ્ટ મેચ રદ

તાજેતરમાં જ ક્રિકેટ મૅચ માટે બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલૅન્ડ પહોંચી છે. ત્યારે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના એક રિપોર્ટરે ટ્વીટ કર્યું છે, “હૅગલે પાર્ક પાસેની મસ્જિદમાં ભાગદોડ, ત્યાં હુમલાખોરો હતા.”. જાણકારી મુજબ ગોળીબાર સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ મસ્જિદમાં ઉપસ્થિત હતી, પરંતુ તે સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહી. સ્થાનિક મીડિયાના આધારે કૅંટબરી ડિસ્ટ્રિક્ટ હૅલ્થ બોર્ડે પોતાની ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી દીધી છે.