વિશ્ર્વની સંખ્યાબંધ વિમાની કંપનીઓએ બુધવારે ઈરાન-ઈરાકના આકાશમાંથી પસાર થતા રૂટનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. ભારત, ફ્રાન્સ, અમેરિકા, રશિયા, હોલેન્ડ, જર્મની, પોલેન્ડ, ઑસ્ટ્રેલિયા, વિયેટનામ, જાપાન, હોંગકોંગ સહિતના દેશોએ ઈરાન-ઇરાકની ઍરસ્પેસ પરથી ઉડ્ડયન નહીં કરવાનું બુધવારે જાહેર કર્યું હતું. ઍરફ્રાન્સના એક પ્રવક્તાએ કહ્યું કે, ‘હવાઈ હુમલાના સમાચાર પછી સાવચેતીના પગલાં તરીકે ઍરફ્રાન્સે ઈરાન, ઈરાક રૂટ પરથી જતી તમામ ફ્લાઈટસ રદ કરવાનો નિર્ણય
કર્યો છે. યુએસ ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશને ઈરાક, ઈરાન, ગલ્ફ ક્ષેત્રની ઍરસ્પેસ પરથી અમેરિકાની વિમાની કંપનીઓની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાની ફેડરલ ઍર ટ્રાન્સપોર્ટ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસની સલામતી સામેના જોખમને ધ્યાનમાં લઈ ઈરાન, ઈરાક, પર્શિયન ગલ્ફ, ઓમાન ગલ્ફની ઍરસ્પેસમાંથી ઉડ્ડયન નહીં કરવાની વિમાની કંપનીઓને ભલામણ કરવામાં આવે છે.
આ ક્ષેત્રની ઍરસ્પેસ યુરોપ અને એશિયા વચ્ચેની ફ્લાઈટસ માટે મહત્ત્વનું કોરિડોર છે. કેએલએમ, લુફથાન્સા, પોલેન્ડની એલઓટી ઍરલાઈને, ઑસ્ટ્રેલિયાની ક્વાન્ટસે, સિંગાપોર ઍરલાઈન્સ, મલયેશિયા ઍરલાઈન્સે, વિયેટનામ ઍરલાઈન્સે, જાપાનની એએનએ અને જેએએલ ઍરલાઈન્સે, હોંગકોંગની કેથેપ પેસિફિક ઍરલાઈન્સે પણ આવો જ નિર્ણય કર્યો હતો.
તા.7મીની મધરાતે ઇરાન દ્વારા ઇરાકમાં સ્થાપિત અમેરિકાના એરબેઝ પર મિસાઇલોથી હુમલા કર્યાના સમાચાર છે. આ એજ એરબેઝ છે જેની ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત લઇ ચૂક્યા છે. એક પછી એક ડઝન જેટલી મિસાઇલો અમેરીકન એરબેઝ પર દાગવામાં આવી હોવાના અહેવાલે અમેરીકાને પણ હચમચાવી મૂક્યું છે.
પેંટાગનના મતે તેમના એરબેઝ પર એક ડઝનથી વધુ મિસાઇલો છોડાઇ છે. એરબેઝ પર અમેરિકાની સાથે ગઠબંધન સેનાઓ તૈનાત છે. આ હુમલામાં અમેરિકા અને ગઠબંધન સેનાઓને હજુ સુધી કોઇપણ નુકસાનના સમાચાર નથી. અમેરિકન રક્ષા અધિકારીના મતે લગભગ આજે બુધવાર ભારતીય સમય અનુસાર સવારે સાડા પાંચ વાગ્યે અમેરિકન અને ગઠબંધન સેનાના ઠેકાણા પર 1 ડઝન મિસાઇલોથી હુમલો કરાયો છે.
US મીડિયા સીએનએન ન્યૂઝે પણ એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી હુમલાની
પુષ્ટિ કરી જ્યાં અમેરિકન સેનાનો બેઝ કેમ્પ છે. આની પહેલાં પણ ઇરાને અમેરિકન
દૂતાવાસ પર હુમલો કર્યો હતો ત્યારબાદ બગદાદમાં અમેરિકન ડ્રોન હુમલામાં કાસિમ
સુલેમાનીને ઠાર મારવામાં આવ્યો હતો.
બુધવારે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કમાંડરે સરકારી મીડિયાને જણાવ્યું કે, ‘ઈરાકમાં આવેલ USના એરબેસ પર ઈરાની મિસાઈલ હુમલો તો ફક્ત એક પહેલું પગલું છે. તેહરાન અમેરિકન સૈન્યને નહીં છોડે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે પોતાની સેનાઓને પરત પાછી ખેંચવી જ પડશે અથવા તો અમારી પહોંચથી દૂર કરવી પડશે.
અમેરિકન સેના બેઝ પર બુધવારે વહેલી સવારે
મિસાઇલ હુમલા બાદ પેંટાગને નિવેદન રજૂ કરીને કહ્યું કે તેઓ હુમલામાં થયેલા
નુકસાનની અંગે સર્વે કરી રહ્યા છે. કમાંડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઈરાન
ખૂબ જ ગુસ્સામાં છે અને તેણે આક્રમક પગલા ઉપાડશે તેવી સ્પષ્ટ વાત જાહેર કરી હતી.
સૌથી નાની વયે કોઇ દેશના વડાપ્રધાન
બનવાનું શ્રેય ધરાવતા ફિનલેન્ડના વડાંપ્રધાન સના મરીને એક નવો કાયદો રજૂ કર્યો છે.
આ કાયદા અનુસાર હવે લોકો સપ્તાહમાં ફક્ત ચાર દિવસ કામ કરશે અને આ ચાર દિવસ પણ
તેમને છ કલાક કામ કરવાનું રહેશે. સાથે જ લોકોને ત્રણ દિવસની રજા પણ મળશે. સૌથી
નાની ઉંમરના વડાંપ્રધાન સના મરીને કહ્યું છે કે આવું કરવાથી લોકો પોતાના પરિવાર
સાથે વધારેમાં વધારે સમય પસાર કરી શકશે.
ડેઈલી મેઈલના અહેવાલ પ્રમાણે સનાએ કહ્યું
છે કે મને લાગે છે કે લોકોને પોતાના પરિવાર, મિત્રો અને પોતાના શોખ કે જીવનના
લક્ષ્યાંક જેમ કે સાંસ્કૃતિક કાર્યો માટે વધારે સમય મળવો જોઈએ. આ આપણા કામકાજના
જીવન કરતા અલગ પગલું હોઈ શકે છે.
વડાપ્રધાન સના મરી દ્વારા રજૂ કરવામાં
આવેલા આ પ્રસ્તાવનો હેતું કર્મચારીઓની ઉત્પાદકતામાં સુધારો કરવાનો છે. સનાએ જ્યારે
આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે ડાબેરી ગઠબંધનના નેતા અને શિક્ષા મંત્રી લી એન્ડરસને
તેમના પગલાંની પ્રશંસા કરી હતી. સનાએ કહ્યું છે કે આ જરૂરી છે કે ફિનલેન્ડના
લોકોને ઓછું કામ કરવાની મંજૂરી આપવામાં આવે. તેનાથી લોકોને મદદ મળશે અને અમે
મતદાતાઓને આપવામાં આવેલા વચનોને પૂરા કરી શકીશું.
સામાન્ય રીતે ફિનલેન્ડમાં લોકો સપ્તાહના
પાંચ દિવસ, આઠ કલાક કામ કરે છે. જ્યારે તેના પાડોશી દેશ સ્વીડનમાં 2015મા છ કલાક કામ કરવાની પોલીસી બનાવવામાં આવી હતી. તેના કારણે
ત્યાંના કર્મચારીઓમાં હકારાત્મક ફેરફાર જોવા મળ્યો હતો. થોડા સમય અગાઉ
માઈક્રોસોફ્ટે જાપાન અને યુકેની એક કંપની પોર્ટકુલિસ લીગલે પણ સપ્તાહમાં ત્રણ
દિવસની રજાની પોલીસી બનાવી હતી. ત્યારબાદ ત્યાંના કર્મચારીઓમાં પણ હકારાત્કમ
પરિવર્તન જોવા મળ્યું હતું અને કામની ગુણવત્તામાં પણ વૃદ્ધિ થઈ હતી.
અમેરિકાએ ગુરુવારે મોડી રાત્રે ઈકારની
રાજધાની બગદાદમાં હવાઈ હુમલો કરીને ઈરાનના અત્યંત પ્રશિક્ષિત કદ્સ ફોર્સના પ્રમુખ
મેજર જનરલ કાસિમ સુલેમાનીને મોતને ઘાટ ઉતારી દીધો. કહેવાઈ રહ્યું છે કે સુલેમાનીનો
કાફલો બગદાદ અરપોર્ટ તરફ વધી રહ્યો હતો, આ દરમિયાન અમેરિકાએ રોકેટ મારો કરી દીધો.
આ હુમલામાં લોકપ્રિય મોબલાઈઝેશન ફોર્સના ડેપ્યુટી કમાન્ડર અબૂ મેહદી અલ મુહાંદિસના
પણ માર્યા જવાની ખબર છે.
ઈરાનની સરકારી ટીવીએ સુલેમાનીના માર્યા
જવાની પુષ્ટી કરી છે. જણાવી દઈએ કે સુલેમાની પશ્ચિમ એશિયામાં ઈરાની ગતિવિધિઓ
ચલાવવા માટે પ્રમુખ રણનીતિકાર મનાતો હતો. સુલેમાની પર સીરિયામાં પોતાની પકડ મજબૂત
કરવા અને ઈઝરાયલમાં રોકેટ એટેક કરવાનો આરોપ હતો. અમેરિકા લાંબા સમયથી સુલેમાનીને
શોધી રહી હતી.
આ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે
સુલેમાનીના માર્યા ગયા બાદ અમેરિકાનો ધ્વજ ટ્વીટ કર્યો છે. સમજાઈ રહ્યું છે કે
ટ્રમ્પે આ દ્વારા સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. પાછલા વર્ષે અમેરિકા અને ઈરાન
વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા. અમેરિકાએ ઈરાન પર ઘણા પ્રતિબંધો લગાવી રાખ્યા
છે.
અમેરિકાના આ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં
તણાવ વધવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. અમેરિકાએ આ હુમલો તેવા સમયે કર્યો છે
જ્યારે ઈરાન સમર્થિત મિલિશિયાએ બગદાદ સ્થિત અમેરિકન દૂતાવાસ પર હુમલો કર્યો હતો.
પાછલા દિવસોમાં અમેરિકાના નાણાં મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે વિદેશી અભિયાનો
માટે જવાબદાર ઈરાનની રિવોલ્યૂશનરી ગાર્ડ્સની એક ટીમે ‘કદ્સ ફોર્સ’ના ક્રૂડ ઓઈલના માધ્યમથી અસદ અને તેના લેબનોનના સહયોગી
હિજબુલ્લાનું સમર્થન કર્યું હતું.
સુલેમાની ઈરાનની ઈસ્લામિક રિવોલ્યૂશનરી
સેનાની એક શક્તિશાળી વિંગ ‘કદ્સ ફોર્સ’નો પ્રમુખ હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે અલ મુહાંદિસ એક
કાફલા સાથે સુલેમાનીને રિસીવ કરવા પહોંચ્યો હતો. સુલેમાનીનું વિમાન સીરિયા અથવા
લેબેનોનથી અહીં પહોંચ્યું હતું. જેવો સુલેમાની વિમાનથી નીચે ઉતર્યો અને મુહાનદિસને
મળવા જઈ રહ્યો હતો અમેરિકાએ રોકેર હુમલો કરી દીધો અને આ બધા માર્યા ગયા. એક વરિષ્ઠ
અધિકારીએ જણાવ્યું કે સુલેમાના શબની ઓળખ તેની અંગુઠીથી થઈ.
સુલેમાની અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પનો વિરોધ મનાતો હતો. તેણે ઘણીવાર અમેરિકાને વોર્નિંગ આપી હતી. બગદાદમાં
અમેરિકન દૂતાવાસ પર હુમલા બાદ ટ્રમ્પે ઈરાનને ચેતવ્યું હતું. નવા વર્ષના પહેલા
દિવસે ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું હતું કે હવે ઈરાનને નુકસાન ઉઠાવવું પડશે.
ટ્રમ્પની આ ધમકી બાદ અમેરિકાએ આ કાર્યવાહી કરી છે.
01/01/2020ના દિવસે જન્મેલા વિશ્વના 17 ટકા નવજાત બાળકો ભારતીય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
યુનિસેફ સંસ્થાએ બુધવાર તા.1લી જાન્યુઆરી 2020ની રાત્રે જારી કરેલી પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એક માહિતી એવી પણ છે કે 2020 કેલેન્ડર વર્ષના પહેલા દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ 67,385 બાળકોએ ભારતમાં જન્મ લીધો છે. 2020ના પહેલા દિવસે બાળ જન્મની આ સંખ્યા સૌથી વધુ વસતિ ધરાવતા ચીન કરતા પણ વધુ છે.
તા.1લી જાન્યુઆરી 2020ના રોજ ભારતમાં 67,385 બાળકોના જન્મની સંખ્યામાં બીજા નંબરે ચીનમાં કુલ 46,299 એ પછી નાઇજીરીયામાં 26,039, ચોથા નંબરે પાકીસ્તાન 16,787, પાંચમાં નંબરે ઇન્ડોનેશીયા 13,020 અને છઠ્ઠા નંબરે અમેરીકામાં 10,452 બાળકોએ તા.1લી જાન્યુઆરી 2020ના રોજ જન્મ લીધો હોવાની ગણતરી છે.
યુનિસેફની પ્રોજેક્ટેડ ઇન્ફર્મેશનમાં એમ પણ જણાવાયું છે કે સમગ્ર વિશ્વમાં તા.1લી જાન્યુઆરીએ જન્મ લેનારા બાળકોની સંખ્યા 3,92,078 છે. આ સંખ્યામાં 17 ટકા ફાળો એકલા ભારત દેશનો છે.
એવી પણ રસપ્રદ માહિતી છે કે તા.1લી જાન્યુઆરી 2020ના દિવસે સમગ્ર વિશ્વમાં સૌથી પહેલા જન્મ લેનાર બાળક ફિજી દેશનું છે અને એવી જ રીતે 1લી જાન્યુઆરી 2020ના દિવસે સૌથી છેલ્લું બાળક અમેરીકામાં જનમ્યું હતું.
યુનિસેફ એવી સંસ્થા છે જે દર નવા વર્ષના દિવસે નવજાત બાળકોના જન્મ તેમજ તેના વિકાસ માટે કાર્ય કરે છે. તેની માહિતીઓ એકત્રીત કરીને તેની જાળવણીના કામમાં વ્યસ્ત સંસ્થા છે.
કેટલાક નિષ્ણાંતો એ આ મુદ્દા પર એમ પણ જણાવ્યું કે વિશ્વના અનેક દેશોમાં અનેક યુગલોએ પોતાના બાળકની જન્મતારીખ 01-01-2020 રાખવા માટે સીઝેરીયન ઓપરેશન્સ કરાવીને બાળકને જન્મ અપાવ્યો છે. આ બાબત હવે સામાન્ય થઇ ગઇ છે કે બાળકની જન્મ તારીખ કોઇક યાદગાર કે આકર્ષક આંકડા ધરાવતા દિવસે થાય એ માટે યુગલો સીઝેરીયનથી જન્મ આપવાની પદ્ધતિ અપનાવી રહ્યા છે.
કઝાકિસ્તાનના અલમાટી એરપોર્ટની પાસે શુક્રવારે સવારે એક વિમાન ઉડાન ભર્યાના થોડા સમય બાદ જ ક્રેશ થઇ ગયું છે. એરપોર્ટે જણાવ્યું છે કે, વિમાનમાં 95 યાત્રીઓ અને 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. અત્યાર સુધી 14 યાત્રીઓના મોત થયા હોવાના એહવાલ પ્રાપ્ત થયા છે.
કઝાકિસ્તાનના અલમાટી એરપોર્ટ ટેક ઓફ થયા પછી સ્થાનિક સમય મુજબ સવારે 7.22 વાગ્યે વિમાને તેનું બેલેન્સ ગુમાવી દીધું હતું અને બે માળની બિલ્ડિંગ સાથે ટકરાઈ ગયું હતું. વિમાનમાં 100 યાત્રીઓ સવાર હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બેક એરલાઈનનું વિમાન અલમાટી શહેરથી નૂર સુલ્તાન જઇ રહ્યું હતું.
કઝાકિસ્તાનના અલમાટી એરપોર્ટથી વિમાન ઉડાન ભરી હતી પરંતુ થોડા સમય બાદ એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો અને વિમાન ક્રેશ થઇ ગયું હતું. ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં બિલ્ડિંગના કાટમાળની નીચે દબાયેલી મહિલા એમ્બયુલન્સ માટે બુમો પાડતી જોવા મળી રહી છે.
યુએઇ તરીકે ઓળખ ધરાવતો સંયુક્ત આરબ અમીરાતનો પ્રદેશ આર્થિક સમૃદ્ધિમાં અળોટતા પ્રદેશ તરીકે વિખ્યાત છે. ક્રૂડ ઑઇલને કારણે વીસમી સદીમાં આ પ્રદેશે ઘણાં સારા દિવસો જોયા. વીસમી સદીના ઉત્તરાર્ધમાં અસંખ્ય ભારતીયો મુખ્યત્વે અબુ ધાબી, દુબઇ અને શારજાહ અમિરાતમાં જઇને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવામાં ખાસ્સા સફળ રહ્યા. આ વિસ્તારને કોઇ સમસ્યા નથી એવું નથી, પણ પૈસાનું જોર અને એની સગવડને કારણે ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે.
યુએઇની સાત અમિરાતોને જો કોઇ સૌથી વધુ સમસ્યા સતાવતી હોય તો એ પાણીની છે. સમસ્યા સામે તાકીને બેસી રહેવાને બદલે એને સુલઝાવવાનો પ્રયાસ જ એ તકલીફનું નિરાકારણ લાવી શકે છે. યુએઇના ૪૦ વર્ષના એક ધનાઢ્ય ઉદ્યોગપતિ અબ્દુલ્લા અલ શેહીએ ઍન્ટાર્કટિકામાં રહેલા આઇસબર્ગ-હિમખંડને ખસેડીને ઑસ્ટ્રેલિયા કે સાઉથ આફ્રિકા સુધી લાવવાની યોજના તૈયાર કરી છે. ત્યાં પરીક્ષણ થશે અને જો એમાં સફળતા મળશે તો એ આઇસબર્ગને યુએઇના સાત અમિરાતમાંના એક ફ્યુજેરાહ સુધી ખસેડીને લાવવામાં આવશે.
પ્રથમ નજરે આ વિચાર તુઘલખી લાગી શકે છે. ૧૪મી સદીમાં દિલ્હીના શાસક મોહમ્મદ-બિન-તુઘલખે રાજધાની દિલ્હીથી ખસેડીને દૌલતાબાદ લઇ જવાનો કરેલો પ્રયત્ન હાસ્યાસ્પદ અને વિચિત્ર હોવાને કારણે તુઘલખી વિચાર તરીકે જાણીતો થયો હતો. ત્યાર બાદ જો કોઇ આવા વિચિત્ર કે અસંભવ આઇડિયા રજૂ કરે તો એ તુઘલખી વિચાર ગણાતો. અલબત્ત અબ્દુલ્લા અલ શેહીનો આઇડિયા આજે ભલે અસંભવ લાગતો હોય, પણ આ બિઝનેસમૅનને હૈયૈ વિશ્ર્વાસ છે કે એ આઇડિયા સફળ સાબિત થશે.
યુએઇ પાણીની અછતથી પીડાય છે એ વાત તો જગજાહેર છે. આજની તારીખમાં આ વિસ્તારમાં પાણીનો વપરાશ જોતા આગામી ૨૫ વર્ષમાં યુએઇનો સમગ્ર વિસ્તાર તીવ્ર દુકાળમાં સપડાઇ જશે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સમસ્યાથી વાકેફ અને એનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ અબ્દુલ્લા અલ શેહીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ‘આખી પ્રક્રિયાનો અમે તલસ્પર્શી અભ્યાસ કર્યો છે. અમારા સંશોધન અનુસાર પાણીનું ડિસેલિનેશન (ખારા પાણીને ગરમ કરી એની બાષ્પને મીઠા પાણીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા જે ગુજરાતીમાં નિસ્યંદનની પદ્ધતિ તરીકે ઓળખાય છે)ની સરખામણીમાં આઇસબર્ગ ખસેડીને લાવવામાં ઓછો ખર્ચ થશે. ડિસેલિનેશનની પ્રક્રિયા કરવા માટેના ઉદ્યોગમાં જંગી મૂડીરોકાણ કરવું પડે છે.
આ ઉપરાંત મોટા પાયે દરિયાનું પાણી ગલ્ફ દેશોમાં લઇ આવવું પડશે અને એમ કરવાને કારણે માછલીઓ અને અનેક દરિયાઇ જીવો નાશ પામશે. અમારું દૃઢપણે માનવું છે કે આઇસબર્ગ ખસેડવા આર્થિક રીતે પોસાય એવી યોજના તો છે જ, પણ સાથે સાથે પર્યાવરણને અનુકૂળ પણ છે.’ આટલું કહ્યા પછી તેઓ વાતમાં એક ખૂબ મહત્ત્વનો ઉમેરો કરે છે. તેમની દલીલ છે કે ‘પીવાના પાણીનો આ ઉકેલ કેવળ યુનાઇટેડ આરબ અમિરાત માટે જ નહીં બલકે સમગ્ર વિશ્ર્વ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.’ આ વાત અત્યંત મહત્ત્વની છે અને એને ગંભીરતાથી લેવાની જરૂર છે.
બિઝનેસમૅન અબ્દુલ્લા અલ શેહીનો આ રજૂઆતવાળો ઇન્ટરવ્યૂ રજૂ થયા પછી સમગ્ર વિશ્ર્વનું ધ્યાન યુએઇની આ વિશિષ્ટ યોજના તરફ ખેંચાયું છે. તેમણે પ્રોજેક્ટ રજૂ કરીને એના માટે લાખો ડૉલરના રોકાણની જરૂર પડશે એવી માંડણી કરી છે. આ અનોખો આઇડિયા અને એમાં વ્યક્ત કરવામાં આવેલા અંદાજો આશાસ્પદ હોવાની ચણભણ થઇ છે. તેમની યોજના અનુસાર ૨૦૨૧ના પ્રારંભમાં ઑસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકામાં આ પ્રયોગનું પ્રાથમિક સ્તરે પરીક્ષણ કરવામાં આવશે. તેમને વિશ્ર્વાસ છે કે આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે કેટલીક અડચણો આવે એમ હોવા છતો તેમ જ નાણાભીડનો પણ કદાચ સામનો કરવો પડે એમ હોવા છતાં આ અનોખો પાણીદાર વિચાર અમલમાં મુકાઇ જશે. અત્યારે યુએઇ પીવાલાયક પાણી મહદ્અંશે અત્યંત ખર્ચાળ એવી ડિસેલિનેશન પદ્ધતિથી મેળવે છે. જો નવી પદ્ધતિ અમલમાં આવી તો પીવાનું પાણી મેળવવાના ખર્ચમાં ખાસ્સો ઘટાડો થઇ જશે.
લાંબા અંતરે આઇસબર્ગ ખસેડવાનો અને એને પાણીના સ્રોત માટે વાપરવા વિશે ઘણાં દાયકાઓથી વિચાર થઇ રહ્યો છે, પણ એને ક્યારેય સફળતા નથી મળી. અલબત્ત મિસ્ટર અલ શેહીની વિચાર કરવાની પદ્ધતિ જરા જુદી છે. તેઓ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે અને યુએઇની પાણીની સમસ્યાના નિરાકરણ વિશે તેમણે એક પુસ્તક પણ લખ્યું છે. અન્ય લોકો જેમાં નિષ્ફળ ગયા એમાં પોતાને સફળતા મળશે જ એવો વિશ્ર્વાસ એમના હૈયે છે.
આ આઇડિયા તઘલખી છે એવા આક્ષેપનો જવાબ શું આપશો એવા સવાલના જવાબમાં અલશેહી કહે છે કે ‘આકાશમાં ઉડી શકાય એ વિશે અગાઉ લોકોના મનમાં શંકા હતી, પણ આજની તારીખમાં એ વાત વાસ્તવિકતા બની ગઇ છે ને. લોકો વિમાનમાં ઉડતા જોવા મળે છે ને. આ જે વિજ્ઞાને ગજબની હરણફાળ ભરી છે અને સર્વાંગી વિકાસ પણ થયો છે.
આ માત્ર વિજ્ઞાનની કાલ્પનિક વાર્તા નથી, એક દિવસ હકીકત બનીને નજર સામે આવી જશે. તમને કદાચ જાણીને નવાઇ લાગશે કે હવામાં ઉડવા કરતાં આઇસબર્ગ ખસેડવો સરખામણીમાં સહેલો છે. હું જાણું છું કે કોઇ પણ નવતર પ્રોજેક્ટ આવે ત્યારે લોકોના ભવાં ઊંચકાય, એનો વિરોધ થાય અને એની સામે શંકાની નજરે પણ જોવામાં આવે.’ પોતાની યોજના વિશે વિગતવાર માહિતી આપતા અલ શેહી જણાવે છે કે એક ખાસ પ્રકારની નૌકાની અને દરિયાના પાણીના પ્રવાહની મદદથી આઇસબર્ગને ખસેડવામાં આવશે.
આજની તારીખમાં કેટલાક આઇસબર્ગ છૂટા પડીને દરિયાના પ્રવાહને કારણે ઍન્ટાર્કટિકાના ઉત્તરીય વિસ્તાર તરફ ખસવા લાગ્યા છે. પ્રોજેક્ટની દરખાસ્ત પ્રમાણે ઉપગ્રહની મદદથી એક યોગ્ય આઇસબર્ગની પસંદગી કરવામાં આવશે અને એની વિશિષ્ટ પદ્ધતિથી સાચવણી કરવામાં આવશે. આર્કટિક નજીક બરફને ઓગાળીને પાણીને મોકલવાનો વિચાર ટ્રાન્સપોર્ટનો તોતિંગ ખર્ચ જોતા વ્યવહારુ નથી.
પાઇલટ પ્રોજેક્ટ માટે ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરની કે પછી સાઉથ આફ્રિકાના કેપ ટાઉન શહેરની પસંદગી કરવામાં આવશે. આ જગ્યાની પસંદગી વિશે ચોખવટ કરતા અલશેહી સ્પષ્ટતા કરે છે કે ‘આ શહેરો પણ પાણીની તંગી અનુભવી રહ્યા છે અને બીજું યુએઇથી આ શહેરો ત્રણથી ચાર હજાર કિલોમીટરના અંતરે આવેલા છે. સમગ્ર પ્રોજેક્ટ બરાબર કામ કરે છે એની તકેદારી લઇને તેમ જ સલામતીના મુદ્દે ચોકસાઇ રાખીને તેમ જ પર્યાવરણને નુકસાન નથી પહોંચતું એનું ધ્યાન રાખવામાં આવશે. જો બધું અમારી યોજના અનુસાર સાંગોપાંગ પાર ઉતરશે તો ૨૦૨૧ના પ્રારંભમાં આઇસબર્ગ ગલ્ફના કિનારે પહોંચી જશે.
પ્રાથમિક ગણતરી પ્રમાણે આ આઇસબર્ગ બે કિલોમીટર લાંબો, ૫૦૦ મીટર પહોળો ૨૦૦ મીટર ઊંડો હશે. એને લાવવાનો ખર્ચ ૨૦ કરોડ ડૉલરની આસપાસ થશે. યુએઇના ફ્યુજેરાહના કિનારે પહોંચતા આઇસબર્ગને આશરે નવ મહિનાનો સમય લાગશે. સફળ પરીક્ષણના એક વર્ષ પછી આ પ્રોજેક્ટ અમલમાં આવશે. એક અંદાજ પ્રમાણે મુસાફરી દરમિયાન ૩૦ ટકા આઇસબર્ગ પીગળી જશે અને તેમ છતાં ૭૦ ટકા આઇસબર્ગ બહુ મોટો કહેવાય કારણ કે એમાંથી અબજો ગૅલન (એક ગૅલન એટલે પોણા ચાર લિટર) પાણી મળશે. આ એક ફેરાને કારણે એક લાખ લોકોને
પાંચ વર્ષ સુધી પીવાલાયક ફ્રેશ વૉટર મળી રહેશે એવી ગણતરી છે.
સમગ્ર પ્રક્રિયાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આઇસબર્ગ યુએઇના દરિયાકિનારેથી ૧૨ નૉટિકલ માઇલ્સ દૂર હશે ત્યારે બરફને ક્રશ કરી એને કારણે થનારા પાણીને સાચવવાની શરૂઆત થઇ જશે. અલ શેહીના અંદાજ પ્રમાણે ડિસેલિનેશન પ્લાન્ટથી એક વર્ષમાં જેટલું પાણી મળી શકે છે એટલું પાણી એક આઇસબર્ગમાંથી મળી શકશે. આ આઇડિયા સાવ નવો છે એવું નથી. અગાઉ ૧૯૭૫માં સાઉદી અરેબિયાએ આવો પ્રયાસ કરેલો જે સરિયામ નિષ્ફળ રહ્યો હતો. ટેક્નિકલ કારણોસર એ પ્રોજેક્ટ બે વર્ષ પછી પડતો મૂકવો પડ્યો હતો. જોકે, અલ શેહીની દલીલ છે કે એ વાતને ૪૫ વર્ષ વીતી ગયા છે. આજે ટેક્નોલૉજી ઘણી આગળ વધી ગઇ છે અને ૧૯૭૫માં જે સમસ્યાઓ આવી હતી એ આજની તારીખમાં ન આવે એની તકેદારી પણ રાખવામાં આવશે.
આ પ્રોજેક્ટના આડકતરા ફાયદા પણ છે. ડિસેલિનેશનનો પર્યાય ઊભો કરવાને કારણે પર્યાવરણની પણ જાળવણી થઇ શકશે. ડિસેલિનેશન માટે ગલ્ફમાં ખારું પાણી મોટા જથ્થામાં લાવવું પડે છે. એને કારણે દરિયાની ખારાશ ખાસ્સી વધી જાય છે અને માછલીઓ તથા સમુદ્રી જીવો મરણ પામે છે. આઇસબર્ગને કારણે આ બધું અટકી જશે. એક એવી પણ દલીલ કરવામાં આવી છે કે યુએઇના દરિયાકિનારે આઇસબર્ગ ખસેડવાને કારણે આજુબાજુના રણવિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધી જશે. એનો સીધો ફાયદો સ્થાનિક ખેતીને થશે.
વિચાર તો એકદમ ક્રાંતિકારી છે. એને કેવી અને કેટલી સફળતા મળે છે એ તો આવનારો સમય જ કહેશે.
ઇમ્પીચમેન્ટ દરખાસ્તથી શરમજનક સ્થિતિમાં મૂકાયા હોય તેવા ત્રીજા અમેરિકી પ્રમુખ બન્યા ટ્રમ્પ
અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તા.18મી ડિસેમ્બર 2019ના રોજ બુધવારે મહાભિયોગ થનારા અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા છે. કારણ કે અમેરીકાના હાઉસ રિપ્રેઝન્ટેટિવ્સે ભરેલા ઐતિહાસિક પગલામાં વર્તમાન અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તાનો દુરુપયોગ અને કોંગ્રેસના અવરોધના આરોપને બહુમતિએ પસાર કરીને તેમની સામેની મહાભિયોગ દરખાસ્ત પર મહોર લગાડી દીધી છે.
આ સાથે જ અમેરિકી પ્રમુખ તરીકેનો દબદબો ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પની આબરુ ધૂળધાણી થઇ જવા પામી છે. સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ તેમની સામે નિશ્ચિત થઇ ચૂક્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઇમ્પિચીમેન્ટની દરખાસ્ત પસાર થતાની સાથે જ સમગ્ર વિશ્વમાં આ સમાચાર વાઇરલ થયા હતા. અનેક દેશોમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામેની ઇમ્પ્ચીમેન્ટની દરખાસ્તને પગલે ખુશાલી પ્રસરી જવા પામી હોવાના પણ અહેવાલો પ્રકાશિત થઇ રહ્યા છે.
મોટાભાગે પાર્ટી-લાઇન મત પર મહાભિયોગના બે
લેખોનો ડેમોક્રેટિક નેતૃત્વ ગૃહ પસાર થવું એ રિપબ્લિકન-નિયંત્રિત સેનેટ – ટ્રમ્પ
માટે મૈત્રીપૂર્ણ ભૂપ્રદેશ – તેને દોષી ઠેરવવા અને તેને પદ પરથી હટાવવાનો છે કે
નહીં તે અંગે આવતા મહિને રિપબ્લિકન-નિયંત્રિત સેનેટમાં સુનાવણીનો તબક્કો ગોઠવે છે.
અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેની મહાભિયોગની બે દરખાસ્તો પૈકી
સત્તાનો દુરુપયોગ કરવા સબબની દરખાસ્ત 230-197 મત પર પસાર થઇ હતી
જ્યારે આડખિલી રૂપ ભૂમિકા સબબના અવરોધનો ડ્રાફ્ટ 229-198 મતથી પસાર
કરવામાં આવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોની દરખાસ્ત બહુમત થી
પસાર થઇ ત્યારે તેઓ મિશિગનના બેટલ ક્રિકમાં એક રેલીને સંબોધન કરી રહ્યા હતા
ઑસ્ટ્રેલિયાની સરકારે ભારતમાં સુધારિત નાગરિકત્વ ધારાને મુદ્દે ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને ભારતના પ્રવાસ સામે ચેતવણી આપી હતી.
અગાઉ, અમેરિકા, યુકે, સિંગાપોર, કેનેડા અને ઇઝરાયલે પણ પોતાના નાગરિકોને આવી ચેતવણી ગયા અઠવાડિયે આપી હતી.
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશમાંની ધાર્મિક સતામણીથી કંટાળીને ૨૦૧૪ની ૩૧મી ડિસેમ્બરની પહેલાં નાસીને ભારત આવેલા હિંદુ, જૈન, શીખ, ખ્રિસ્તી અને બૌદ્ધ લોકોને ભારતનું નાગરિકત્વ આપવાની સુધારિત નાગરિકત્વ ધારામાં જોગવાઇ છે.
ઑસ્ટ્રેલિયાના નાગરિકોને જમ્મુ અને કાશ્મીરમાં અને ભારત – પાકિસ્તાનની સરહદે આવેલા અન્ય વિસ્તારોમાં નહિ જવાની સલાહ પણ અપાઇ હતી.
ઑસ્ટ્રેલિયાની સરકારે પોતાના નાગરિકોને ચેતવણી આપતા બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ગુવાહાટી સિવાયના આસામ, નાગાલેન્ડ, મણિપુર, છત્તીસગઢ અને તેઓના પાડોશી રાજ્યોમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને ત્યાં નહિ જવાની નાગરિકોને સલાહ આપીએ છીએ.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુધારિત નાગરિકત્વ કાયદાથી ભારતના કોઇપણ વિસ્તારને માઠી અસર નહિ થાય.
તેમણે જણાવ્યું હતું કે સ્થાપિત હિત ધરાવતા લોકો સમાજનું વિભાજન કરવા પ્રયાસ કરી રહ્યા છે અને તેથી જનતાએ અફવા પર ધ્યાન આપવું ન જોઇએ.
સંયુક્ત રાષ્ટ્ર મુજબ લિબિયામાં આશરે નવ લાખથી વધારે લોકોને વર્ષ 2020માં માનવીય સહાયતાની જરુરત છે. આ ખુલાસો સંયુક્ત રાષ્ટ્રના ઓફિસ ફોર ધ કોર્ડિનેશન ઓફ હ્યુમનટેરિયન અફેર્સ (OCHA)ના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
OCHAએ શુક્રવારે જણાવ્યું કે, લિબિયામાં લગભગ 897000 લાખ લોકોને માનવીય મદદની જરુરિયાત છે. આ તમામ લોકો સૌથી વધારે નબળા લોકો છે જેમને ગંભીર રીતે મદદની જરુર છે. OCHA મુજબ આ એવા લોકો છે જે આંતરિક રીતે વિસ્થાપિત છે, દેશમાં પરત ફરનારા, બિન-વિસ્થાપિત પરંતુ સંઘર્ષથી પ્રભાવિત લોકો અને શરણાર્થી તથા પ્રવાસીઓ છે.
OCHAએ જણાવ્યું કે આંતરિક રીતે વિસ્થાપિત અને પરત ફરનારા આવા હજારો લોકો માટે સ્વચ્છ પેયજળ, ચિકિત્સા સેવા અને સુરક્ષિત આવાસ જેવી પ્રાથમિક જરુરિયાતો દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે ખોરવાઇ ગઇ છે. જેમાં સૌથી વધારે પ્રભાવિત લોકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
સંયુક્ત રાષ્ટ્રએ અનુમાન લગાવ્યું હતું કે લિબિયામાં 6,55,000 શરણાર્થી અને પ્રવાસી છે જેમાં 48,000 શરણાર્થી રજિસ્ટર થયેલા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.