CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 2 of 49 - CIA Live

December 19, 2025
image-14.png
1min58

Heavy Rain Lashes UAE: ખાડી દેશ UAE(સંયુક્ત આરબ અમીરાત)માં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રણ ધરાવતા આ દેશમાં શુક્રવારે ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

વીજળીના કડાકા ભડાકા સાથે થતાં વરસાદના કારણે લોકોને ઘરોમાં જ રહેવા સલાહ આપવામાં આવી છે. મિડલ ઈસ્ટમાં આટલો વરસાદ ભાગ્યે જ જોવા મળે છે. એવામાં વેકેશન સિઝનમાં વરસાદના કારણે ચિંતા વધી છે. ગયા વર્ષ 2024માં જ દુબઈ અને અબુ ધાબીમાં આવો જ વરસાદ જોવા મળ્યો હતો.

દુબઈમાં ભારે વરસાદ વચ્ચે બુર્જ ખલીફા પર વીજળી પણ પડી હતી. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે વીજળી પડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.

દુબઈમાં ગુરુવાર રાતથી જ ભારે વરસાદ શરુ થઈ ગયો હતો. જ્યારે UAEના પાટનગર અબુધાબીમાં આખી રાત વાવાઝોડું આવ્યું. શુક્રવાર સવાર સુધીમાં અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. દુબઈમાં તમામ સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ અપાયા હતા. અબુધાબીમાં પણ તંત્રએ સૂચના આપી હતી કે બપોરે 2 વાગ્યા સુધી જરૂરી કામ ન હોય તો સૌ કોઈ ઘરે જ રહો.

ભારે વરસાદમાં ભારતના એક યુવકનું દુ:ખદ મૃત્યુ પણ થયું છે. રાસ અલ ખૈમાહમાં દીવાલ ધરાશાયી થતાં 27 વર્ષના સલમાન ફરીઝનું નિધન થયું છે. સલમાન કેરળના મલ્લપુરમનો વતની હતો. ગલ્ફ ન્યૂઝના અહેવાલ અનુસાર સલમાન કેફેમાં કામ કરતો હતો અને રાત્રિના 3 વાગ્યે ઓર્ડર ડિલિવર કરવા માટે ગયો હતો. જોકે ભારે વરસાદના કારણે બાઇક બંધ પડી જતાં તેણે મેનેજરને ફોન કર્યો. જે બાદ એક નિર્માણાધીન ઇમારતની દીવાલ ધરાશાયી થતાં સલમાનનું નિધન થયું.

સાવચેતીના ભાગરૂપે બીચ, પાર્ક અને પર્યટન સ્થળો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારે વરસાદના અનેક ફ્લાઇટ્સ રદ થતાં ક્રિસમસ વેકેશનમાં ઘરે જતાં લોકો હેરાન પરેશાન થયા હતા. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દુબઈ જેવા શહેરોમાં વાદળ ફાટવા જેવી ઘટનાઓ વધી રહી છે. એપ્રિલ 2024માં જ આ જ પ્રકારે અતિભારે વરસાદ વરસતાં રસ્તાઓ પાણીમાં ડૂબ્યા હતા.

ખાડી દેશ UAE(સંયુક્ત આરબ અમીરાત)માં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રણ ધરાવતા આ દેશમાં Dated 19/12/25 શુક્રવારે ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

December 16, 2025
image-12.png
1min57

દેશના પાટનગર દિલ્હીમાં છેલ્લા બે મહિનાથી સતત વાયુ પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા આકરા પ્રતિબંધો છતાં AQIમાં કોઈ સુધાર આવી શક્યો નથી. દિવસેને દિવસે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. AQI સતત 400થી 450ને પાર જઈ રહ્યો છે. આજે આનંદવિહારમાં 493 AQI નોંધાયો. જે બાદ હવે અન્ય દેશો દિલ્હી માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી રહ્યા છે.

વિવિધ દેશોએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી

સિંગાપોર હાઈ કમિશને પોતાના નાગરિકો માટે એડવાઈઝરીમાં કહ્યું છે કે ખાસ કરીને દિલ્હી-NCRમાં રહેતા અથવા મુસાફરી કરતાં નાગરિકો સતર્ક રહે તથા AQI જોતાં રહે.

બ્રિટેનના FCDO વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉત્તર ભારતમાં ઓકટોબરથી ફેબ્રુઆરી દરમિયાન વાયુ પ્રદૂષણ આરોગ્ય માટે મોટો ખતરો છે. ગર્ભવતી મહિલાઓ, હૃદય અને શ્વાસ સંબંધી રોગથી પીડિત દર્દીઓ ભારતની યાત્રા કરતાં પહેલા ડૉક્ટરની સલાહ લે. બાળકો અને વૃદ્ધો પર પ્રદૂષણની ગંભીર અસર થઈ શકે છે.

કેનેડાએ પણ એડવાઈઝરી આપતા કહ્યું છે કે નિયમિત રૂપે AQI જોતાં રહો. દિલ્હી જેવા શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ અને ધુમ્મસના કારણે શિયાળામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર હોય છે.

નોંધનીય છે કે પ્રદૂષણ અને ધુમ્મસના કારણે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં AQI 500ની નજીક નોંધાયો છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વિઝિબિલિટી ન હોવાના કારણે વિમાન સેવાઓ પ્રભાવિત થઈ છે. દિલ્હી એરપોર્ટ પર 228 ફ્લાઈટ્સ રદ કરવાની નોબત આવી છે.

ખરાબ હવાના કારણે દિલ્હીની સાથે સાથે નોઈડા અને ગાઝિયાબાદમાં પાંચમા ધોરણ સુધીની શાળાઓ ઓનલાઈન અથવા હાઈબ્રિડ મોડલ પર ચલાવવાના આદેશ અપાયા છે. મોટા ભાગના નિર્માણ કાર્યો પર રોક લગાવી દેવામાં આવી છે તથા ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે જ કામ કરવામાં આવી રહ્યું છે.

December 15, 2025
image-10.png
1min47

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હનુક્કાહની ઉજવણી પર હમાસ સ્ટાઇલનો હુમલો અને હનુક્કાહ તહેવારનું દિવાળી સાથેનું કનેક્શન દર્શાવતું ચિત્ર.

ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર યહૂદીઓના તહેવાર વખતે અજાણ્યા બંદૂકધારીઓ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાના કારણે દુનિયાભરની નજર ઓસ્ટ્રેલિયા પર કેન્દ્રિત થઈ છે. અહીં સેલિબ્રેશન ચાલી રહ્યું હતું ત્યારે બંદૂકધારીએ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં અત્યાર સુધીમાં 10 લોકોનો મોત થયાં હોવાના પણ સમાચાર છે.

આ ફાયરિંગ કોઈ સામાન્ય પાર્ટીમાં નહીં પરંતુ યહૂદી સમુદાયના સૌથી મોટા તહેવાર હનુક્કાહની ઉજવણી વખતે કરવામાં આવ્યું હતું. હનુક્કાહને યહૂદી સમુદાય લોકોની ‘દિવાળી’ કહેવામાં આવે છે. હનુક્કાહનું કનેક્શન આપણી દિવાળી જેવું કંઈક છે. દિવાળી સાથે કનેક્શનની સાથે ફાયરિંગ અંગેની વિગતવાર વાત જાણીએ.

ઓસ્ટ્રેલિયામાં યહૂદીઓના મનોબળને તોડવા માટે હિંસક હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો હમાસ સ્ટાઈલ તરીકે જોવામાં આવી રહી છે, જેમ ઇઝરાયલમાં ‘નોવા ફેસ્ટિવલ’ પર હુમલો કરવામાં આવ્યો હતો. એ જ રીતે હનુક્કાહની પાર્ટી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે.

આ ફાયરિંગનો મૂળ હેતુ લોકોને મારવાનો નહીં, પરંતુ યહૂદી સમુદાયના લોકોનું મનોબળ તોડવાનો છે, કારણ કે હનુક્કાહને પ્રકાશનો તહેવાર કહેવાય છે. દિવાળીના માફક. જોકે, હુમલાખોરોએ આજે ફાયરિંગ કરીને આતંકની સાથે અંધકાર ફેલાવવનો પ્રયત્ન કર્યો છે. નિર્દોષ લોકોને નિશાન બનાવી તેમની ખુશીઓ છીનવી લેવાનો હિંસક પ્રયાસ કર્યો છે.

હનુક્કાહને પ્રકાશનો તહેવાર પણ કહેવામાં આવે છે. યહૂદી ધર્મનો આ તહેવાર 8 દિવસ સુધી ચાલતો સૌથી મોટો ઉત્સવ છે. હિબ્રુ ભાષામાં હાનુકાનો અર્થ ‘સમર્પણ’ થાય છે. તહેવારનો ઇતિહાસ 2200 વર્ષ જૂનો હોવાનું પણ કહેવા છે.

વિગતે જાણીએ તો બીજી સદી ઇ.સ. પૂર્વે યરુશલમ પર ગ્રીકો-સીરિયન શાસકોનો કબજો હતો, જેમણે યહૂદી ધર્મના પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. યહૂદીઓના એક વિદ્રોહી સમૂહે જેને મકાબી નામે ઓળખાતો તેણે પોતાના ધર્મ અને મંદિરનું રક્ષણ કરવા માટે યુદ્ધ કર્યું તેમાં ઐતિહાસિક જીત મેળવી હતી.

આ સાથે મકાબિઓને યુદ્ધ જીતીને પોતાના મંદિરો પાછા લીધા અને અહીં મેનોરા જળાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમની પાસે માત્ર એક જ દિવસ ચાલે એટલું તેલ વધ્યું હતું. આ દરમિયાન ચમત્કાર એવો થયો કે, આ તેલ આઠ દિવસ સુધી ચાલ્યું હતું.

આ ચમત્કારને યાદ કરતા યહૂદી લોકો આઠ દિવસ સુધી આ તહેવાર મનાવે છે, જેમાં દરરોજ એક મીણબત્તી જળાવવામાં આવે છે. જેમ હિંદૂ ધર્મમાં દિવાળીને પ્રકાશનો તહેવાર કહેવામાં આવે છે, તેમ હનુક્કાહને પણ પ્રકાશનું પર્વ કહેવાય છે.

એટલે બંને મૂળ તો પ્રકાશનો તહેવાર છે. આપણે કાર્તિક અમાસે દીવા પ્રજ્વલીત કરીને ઘરને રોશન કરીએ છીએ, જ્યારે યહૂદીઓ શિયાળાની સૌથી લાંબી અને સૌથી અંધારી રાત દરમિયાન ‘મેનોરા’, એક ખાસ દીવો પણ પ્રગટાવે છે. બંનેએ ધર્મમાં અંધકારને પરાજય અને પ્રકાશની જીતનો મહિમા છે.

પશ્ચિમિ દેશો હનુક્કાહને યહુદીઓની નાતાલ માને છે
યહૂદીઓનો આ તહેવાર ક્રિસમસથી એકમદ અલગ છે. આમ તો ક્રિસમસ અને હનુક્કાહ મોટા ભાગે ડિસેમ્બર મહિનામાં આવે છે. ખાસ કીરને પશ્ચિમના દેશોમાં હનુક્કાહને યહુદીઓના યહૂદી નાતાલ તરીકે માનવામાં આવે છે. હનુક્કાહની તારીખે યહૂદીઓના કેલેન્ડર પ્રમાણે આવે છે.

આ કેલેન્ડ ચંદ્ર પર આધારિત હોય છે. કેટલીક વખત હનુક્કાહનો તહેવાર નવેમ્બર મહિનામાં પણ આવતો હોય છે. મળતી જાણકારી પ્રમાણે યહૂદીઓ માટે યોમ કિપ્પુર અથવા રોશ હશનાહ ધાર્મિક રીતે વધુ મહત્વપૂર્ણ દિવસો છે, પરંતુ સાંસ્કૃતિક રીતે હનુક્કાહ ખૂબ જ લોકપ્રિય મનાય છે.

ભારતમાં જેમ દિવાળીમાં આખો પરિવાર સાથે મળીને તહેવાર ઉજવે છે તેવી રીતે હનુક્કાહમાં યહૂદી પરિવાર પણ સાથે મળીને આ તહેવારની ઉજવણી કરી છે.

December 5, 2025
image-3.png
1min55

ભારતની મુલાકાતે આવેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો રશિયન ઈંધણ અમેરિકા ખરીદી શકે, તો ભારત કેમ નહીં? તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ માટે સતત પ્રહાર કરી રહ્યું છે. જેના કારણે ભારત પર ભારે ટેરિફ પણ લગાવવામાં આવ્યો છે.

એક ભારતીય મીડિયા સાથેની વાતચીતમાં પુતિને કહ્યું કે, ‘અમેરિકા પોતાના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે હંમેશાથી ન્યૂક્લિયર ફ્લૂલ ખરીદવાનું શરૂ રાખે છે. એ પણ તો ઇંધણ જ છે. એનર્જી છે. આ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ માટે યૂરેનિયમ છે, જે અમેરિકામાં કામ કરે છે. જો અમેરિકા પાસે ફ્યુલ ખરીદવાનો અધિકાર છે, તો ભારતને આ અધિકારથી વંચિત કેમ રાખવામાં આવે? આ ખૂબ જ ઝીણવટથી અધ્યયન કરવા જેવો મુદ્દો છે. અમે પ્રમુખ ટ્રમ્પ સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ.’

રશિયાના પ્રમુખે રશિયા પર પશ્ચિમી પ્રતિબંધોને ધ્યાને રાખીને ભારત દ્વારા ક્રૂડ ઓઇલની ખરીદી ઓછી કરવા વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ‘આ વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન કુલ વેપાર ટર્નઓવરમાં થોડો ઘટાડો થયો છે. આ એક નાનો ફેરફાર છે. એકંદરે, અમારું વેપાર ટર્નઓવર લગભગ તેના પાછલા સ્તરે જ જળવાયેલું છે..

પુતિને આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, કેટલીક વૈશ્વિક શક્તિઓ વૈશ્વિક બજારોમાં ભારતની વધતી શક્તિથી ચિંતિત છે. રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા અંગે પશ્ચિમની ચિંતાઓ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણય ભારતના વધતા આર્થિક પ્રભાવ અંગેની ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે. બંને દેશો વચ્ચેની ઊર્જા ભાગીદારીનો પાયો લાંબો છે. ભારત સાથેના અમારા ઊર્જા સહયોગ પર વર્તમાન પરિસ્થિતિ, રાજકારણ અથવા યુક્રેનની ઘટનાઓનો કોઈ પ્રભાવ પડ્યો નથી.

અમેરિકાના આક્રમક વલણ વિશેના પ્રશ્નના જવાબમાં, રશિયન પ્રમુખે કહ્યું કે, “કેટલાક બાહ્ય દબાણ છતાં, મેં કે વડાપ્રધાન મોદીએ ક્યારેય અમારી ભાગીદારીનો ઉપયોગ કોઈની વિરુદ્ધ કામ કરવા માટે કર્યો નથી.”

ડોનાલ્ડ ટ્રમ્પ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પોતાનો એજન્ડા છે, પોતાના લક્ષ્ય છે. જોકે, અમારૂ ધ્યાન અમારા પર છે. કોઈની વિરૂદ્ધમાં નહીં. અમારૂ લક્ષ્ય પોતપોતાના હિત, ભારત રશિયાના હિતનું રક્ષણ કરવું છે.’

નોંધનીય છે કે, રશિયાના પ્રમુખ પુતિનની ભારત યાત્રા એવા સમયે થઈ રહી છે. જ્યારે ભારત-અમેરિકાના સંબંધ છેલ્લા બે દાયકામાં સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને અમેરિકાએ ભારતીય સામાન પર ભારે 50 ટકા ટેરિફ પણ લાદી દીધો છે. જેમાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી પર 25 ટકા ટેરિફ પણ સામેલ છે.

November 29, 2025
image-27.png
1min95

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી ૪થી અને ૫મી ડિસેમ્બરે બે દિવસ માટે ભારતના પ્રવાસે આવશે. રશિયા-ભારત વચ્ચે વાર્ષિક સમિટ યોજાવાની છે તેમાં પુતિન ભાગ લેશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર, ડિફેન્સ, ઉર્જા સહિતના ક્ષેત્રોના કરારો થાય તેવી શક્યતા છે. બંને દેશો વચ્ચે લોકલ કરન્સીમાં આદાન-પ્રદાન અંગે પણ ચર્ચા થશે. પુતિન સમક્ષ ભારત વધુ એક વખત યુક્રેન-રશિયા યુદ્ધમાં શાંતિ સ્થપાય તે માટે રજૂઆત કરશે.

ભારત રશિયા પાસેથી એસ-૩૦૦ રશિયન મિસાઈલ્સ ખરીદવાનું છે : તેમજ જૂની થઈ ગયેલી એસ-૪૦૦ એર ડીફેન્સ સિસ્ટમના સ્થાને નવી એસ-૪૦૦ ડીફેન્સ સિસ્ટમ ખરીદશે. તે ઉપરાંત બીજી પાંચ એસ-૪૦૦ સ્કવોડ્રન્સ પણ ખરીદવાનું છે. આ પ્રકારના કરારો થાય તેવી પ્રબળ શક્યતા છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારત રશિયાને રીકવેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) મોકલવાનું છે. આ એસ-૪૦૦ વિમાનોની ૩ સ્કવોડ્રન્સ તો ભારત પાસે છે જ, જે ઓપરેશન સિન્દૂર સમયે કાર્યરત હતી. તે ઉપરાંત બીજી પાંચ સ્કવોડ્રન્સ માટે રશિયાના પ્રમુખ પુતિનભારત આવે ત્યારે સોદો પાકો કરવામાં આવશે. આ ફીફથ જનરેશન ફાયટર્સ વાસ્તવમાં ભારત પોતાના જ એએમસીએ (એડવાન્સ્ડ મીડીયમ કોમ્બેટ એરક્રાફટસ ૨૦૩૫ માં કાર્યરત થાય તે પહેલાની વચગાળાની વ્યવસ્થા સમાન છે. બીજી તરફ સુખોઈ-૫૭, કે એફ-૩૫ બેમાંથી એક અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.રશિયન પાનસ્ટર મિસાઈલ્સ સશસ્ત્ર તેવા કામીકાઝે ડ્રોન્સનો સામનો કરવા માટે છે.એસ-૪૦૦ ને ભારતમાં સુદર્શન ચક્ર કહેવાય છે. કારણ કે રશિયન બનાવટના આ એસ-૪૦૦ ટ્રાયમ્ફ એર ડીફેન્સ મિસાઈલ, દુનિયાની કોઈપણ એર ડીફેન્સ સિસ્ટીમની બરાબર કરી શકે તેમ છે. તે નામ ભગવાન વિષ્ણુનાં સુદર્શન ચક્ર ઉપરથી અપાયું છે. રશિયાની અલ્માઝ- એન્તે (સરકારી) કંપની દ્વારા બનાવવામાં આવેલા એસ-૪૦૦ મિસાઈલ્સ વિમાનો ડ્રોન તેમજ મિસાઈલ્સને ૬૦૦ કિ.મી. દૂરથી પકડી પાડે છે અને ૪૦૦ કિલોમીટરે તેને તોડી પાડી શકે છે. ટૂંકમાં ભારત કોઈ મહાયુદ્ધ આવી પડેતો તે સામે સજ્જ બની રહ્યું છે.

November 29, 2025
image-26.png
1min75

વિશ્વના સૌથી વધુ વેચાતા વિમાન, એરબસ A320 ફેમિલીના હજારો વિમાનોને આ સપ્તાહના અંતે મોટા પાયે ગ્રાઉન્ડેડ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરી પર ગંભીર અસર પડવાની છે. તાજેતરમાં સામે આવેલા એક મોટા તકનીકી જોખમને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના નિવારણ માટે વ્યાપક સોફ્ટવેર અને કેટલાક જૂના વિમાનોમાં હાર્ડવેર અપગ્રેડ ફરજિયાત કરવામાં આવ્યું છે.

ભારતમાં ઈન્ડિગો અને એર ઈન્ડિયા ગ્રુપના 350થી વધુ A320 ફેમિલી વિમાનો આ પ્રક્રિયાનો ભાગ બનશે. ઈન્ડિગોના કાફલામાં 350થી વધુ A320 વિમાનો છે, જેમાંથી લગભગ 250ને અપગ્રેડની જરૂર છે. તેવી જ રીતે, એર ઈન્ડિયાના 120-125 A320 વિમાનોમાંથી 100થી વધુ વિમાનો પ્રભાવિત થશે. આ અપગ્રેડમાં 2-3 દિવસનો સમય લાગવાની ધારણા છે, અને વિમાનો સોમવાર કે મંગળવારથી ફરી ઉડાન ભરી શકે છે. આને કારણે સપ્તાહના અંતે અને સોમવાર સુધી ઘણી ફ્લાઇટ્સ મોડી પડવાની કે રદ થવાની પ્રબળ આશંકા છે.

એર ઈન્ડિયાએ ‘X’ પર જણાવ્યું, “અમે એરબસ દ્વારા જારી કરાયેલા નિર્દેશથી વાકેફ છીએ. આના કારણે અમારા કાફલાના એક ભાગમાં સોફ્ટવેર/હાર્ડવેર રિકેલિબ્રેશનની જરૂર પડશે, જેનાથી ફ્લાઇટ્સમાં વિલંબ થવાની સંભાવના છે. અસુવિધા માટે ખેદ છે.”

જેટબ્લુની ઘટના બની કારણ

આ મોટા નિર્ણય પાછળ 30 ઓક્ટોબર, 2025ના રોજ અમેરિકન એરલાઇન જેટબ્લુની A320 ફ્લાઇટમાં બનેલી ગંભીર ઘટના જવાબદાર છે. કેનકુનથી નેવાર્ક જતી ફ્લાઇટ દરમિયાન, પાઇલટના ઇનપુટ વિના જ વિમાન અચાનક નીચેની તરફ નમી ગયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ઘટના ELAC (એલિવેટર એલેરોન કમ્પ્યુટર)માં ખામીને કારણે બની હતી. વિમાનને તાત્કાલિક તાંપામાં ઉતારવામાં આવ્યું હતું, જ્યાં કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

આ ઘટના બાદ, યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) એ ‘ઇમરજન્સી એરવર્ધીનેસ ડાયરેક્ટિવ’ જારી કર્યો. ત્યારબાદ એરબસે જણાવ્યું કે તકનીકી તપાસમાં જાણવા મળ્યું છે કે તીવ્ર સૌર વિકિરણ (Solar Radiation) ફ્લાઇટ કંટ્રોલ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ ડેટાને કરપ્ટ કરી શકે છે. આ જ કારણોસર, વિમાનોમાં સોફ્ટવેર અને હાર્ડવેર પ્રોટેક્શન ફરજિયાત કરવામાં આવ્યું છે. એરબસે આનાથી થનારી અસુવિધા બદલ મુસાફરો અને ગ્રાહકોની માફી માંગી છે અને કહ્યું છે કે “સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.”

November 27, 2025
image-23.png
1min59

હોંગકોંગના તાઈ પો (Tai Po) જિલ્લામાં આવેલા વાંગ ફૂક કોર્ટ’ (Wang Fuk Court) નામના વિશાળ રહેણાંક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 44 લોકોનાં મોત થયા છે, જ્યારે 279 લોકો હજુ પણ લાપતા છે. 

  • સ્થળ: હોંગકોંગના તાઈ પો જિલ્લામાં આવેલ વાંગ ફૂક કોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સ.
  • સમય: આગ બુધવારે 28/11/25 બપોરે લાગી હતી.
  • અસર: આગ ઝડપથી 35 માળની 7 થી 8 ઇમારતોમાં ફેલાઈ ગઈ.
  • મૃત્યુઆંક: સત્તાવાર રીતે 44 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
  • લાપતા: લગભગ 279 લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાયું છે.
  • ઈજાગ્રસ્ત: આશરે 15 થી 45 લોકો ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં દાખલ છે.
November 27, 2025
image-22.png
1min43

દુનિયાના સૌથી શક્તિશાળી દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં રહે છે, તેનાથી ફક્ત થોડા અંતર પર જ ગોળીબારની ઘટના સામે આવી છે. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસથી થોડા જ દૂર ગોળીબારમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે નેશનલ ગાર્ડ સભ્ય પણ સામેલ છે. આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે 2:30 વાગ્યે થઈ હતી. ઈજાગ્રસ્ત થયેલા નેશનલ ગાર્ડના બે સભ્યોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

વેસ્ટ વર્જીનિયાના ગવર્નર પૈટ્રિક મૉરિસી પહેલાં એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, બે નેશનલ ગાર્ડના સભ્યોના મોત થઈ ચુક્યા છે. જોકે, તેમણે પોતાની પોસ્ટ બાદમાં ડિલિટ કરી દીધી.

મેટ્રોપૉલિટન પોલીસ વિભાગે જણાવ્યું કે, ગોળીબાર વ્હાઇટ હાઉસની પાસે થયો છે. ઘટનાની તુરંત બાદ વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. અસૉલ્ટ રાઇફલથી સજ્જ અધિકારી અનેક બ્લૉક્સમાં ફેલાઇ ગયા અને આખો વિસ્તાર સીલબંધ કરી દેવામાં આવ્યો. રસ્તા બંધ કરી દેવાયા, અનેક પોલીસ ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ ટીમ સક્રિય થઈ ગઈ. ત્યાં હાજર લોકોના જણાવ્યાનુસાર, અમુક જ મિનિટોમાં સુરક્ષાનો એક મોટો ઘેરો બનાવી દેવાયો અને કોઈને પણ પાસે જવાની મંજૂરી નહતી.

FBIની વોશિંગ્ટન ફીલ્ડ ઓફિસે કહ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં બે નેશનલ ગાર્ડ સભ્યો પર થયેલી ફાયરિંગની તપાસ માટે સ્થાનિક કાયદાનું અમલ કરાવતી એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. તપાસ શરૂ હોવાના કારણે હાલ કોઈ વધુ માહિતી શેર કરી શકાશે નહીં.

જોકે, અધિકારીઓએ હજું સુધી એ નથી જણાવ્યું કે, ફાયરિંગ કેમ થઈ? આટલા મહત્ત્વપૂર્ણ સ્થળે ગોળીબાર થવો એક ગંભીર બાબત છે. તેથી, તપાસ એજન્સી કોઈપણ જાણકારીને ઉતાવળમાં જાહેર નથી કરી રહી.

જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપી અફઘાનિસ્તાનનો નાગરિક છે. શંકાસ્પદનું નામ રહેમાનુલ્લાહ લાકનવાલ જણાવવામાં આવી રહ્યું છે. શરૂઆતી તપાસમાં સામે આવી રહ્યું છે, 2021માં USCIS (યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ)એ અફઘાન નાગરિકો માટે ‘ઓપરેશન અલાઇઝ વેલકમ’ હેછળ અસાઇલમ (શરણ) અરજી પ્રક્રિયા તેજ કરવામાં આવી હતી અને લાકનવાલે પણ આ પ્રોગ્રામનો ઉપયોગ કરીને અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. વળી, આ મામલે FBI આતંકી હુમલાની તપાસ કરશે.

નેશનલ ગાર્ડના બે જવાનો પર ગોળીબાર કરનારની ઓળખ કરી લેવાઈ છે. એજન્સી અનુસાર, હુમલો કરનારા વોશિંગ્ટન વિસ્તારના નિવાસી નથી. હાલ, હુમલાખોરોની ધરપકડ કરી દેવાઈ છે અને તેમની પૂછપરછ શરૂ છે. અધિકારી ઘટનાનો હેતુ તપાસી રહ્યા છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લિવિટે જણાવ્યું કે, ‘પ્રમુખને આ વિશે જાણકારી આપવામાં આવી છે.’ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ થેંક્સગિવિંગ રજાના પહેલાં પામ બીચ સ્થિત પોતાના રિઝોર્ટમાં છે. વળી, અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી વેન્સે આ સમયે કેંટકીમાં હાજર છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, જે વ્યક્તિએ બે નેશનલ ગાર્ડ જવાનો પર ગોળી ચલાવી, તેનાથી બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ છે. તે ખુદ પણ ઈજાગ્રસ્ત છે. પરંતુ, જેણે પણ આ હરકત કરી છે તેને આની ભારે કિંમત ચૂકવવી પડશે. આપણા મહાન નેશનલ ગાર્ડ, સેના અને તમામ કાયદો લાગુ કરાવનારી એજન્સીઓને મારી સલામ. આ ખરેખર અદ્ભૂત લોકો છે. હું અમેરિકકાનો પ્રમુખ તરીકે અને પ્રમુખ કાર્યાલય સાથે જોડાયેલા તમામ લોકો તમારી સાથે ઊભા છે.’

November 25, 2025
image-18.png
1min106

ઇથિયોપિયામાં જ્વાળામુખી ફાટવાની સીધી અસર ભારત પર પણ જોવા મળી રહી છે. તેની રાખ આકાશમાં ઊંચે સુધી ફેલાઇ ગઈ છે, જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો હતો. અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે જેથી વિમાન રાખના વાદળોથી દૂર રહે.

ઇથિયોપિયાના જ્વાળામુખીની રાખના કારણે સોમવારે અનેક એરલાઇન્સે પોતાની ફ્લાઇટ રદ કરી દીધી હતી. જેમાં અકાસા એર, ઇન્ડિગો અને KLM જેવી કંપનીનો સમાવેશ થાય છે.

ઇથિયોપિયાના હાયલી દુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગોટો તા.24મી નવેમ્બરને સોમવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી ગયો. હવામાનના જાણકારો છેલ્લાં એક દિવસથી આ રાખના વાદળને જોઈ રહ્યા હતા. આ રાખનું વાદળ લાલ સાગર પાર કરીને આશરે 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ વધી રહ્યું હતું. સૌથી પહેલાં આ રાખનું વાદળ ભારતમાં પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેરની ઉપરથી આવ્યું. બાદમાં ધીમે-ધીમે આ રાખનું વાદળ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઇ ગયું.

નિષ્ણાતોએ જણાવ્યું કે, આ રાખનું વાદળ જમીનથી 25,000થી 45,000 ફૂટ ઊંચાઈ પર છે. તેથી, હાલ લોકોના સ્વાસ્થ્યને જોખમ નથી. પરંતુ, એવું બની શકે કે, અનેક જગ્યાએ થોડી-થોડી રાખની પરત નીચે પડે.

હવામાન વિભાગનું માનવું છે કે, મંગળવારે (25 નવેમ્બર) સવારનો સૂરજ અલગ અને ચમકીલા રંગમાં જોવા મળ્યો. રાખના કારણે પ્રકાશ પર આવી અસર પડી હતી.

CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના જણાવ્યા અનુસાર, અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સિવિયર એટલે ગંભીર શ્રેણીમાં રેકોર્ડ થયો છે. આ સ્તરે હવા ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે અને શ્વાસ લેવામાં સ્વાસ્થ્ય પર તેની તુરંત અસર જોવા મળી શકે છે.

આ સિવાય દિલ્હીની એમ્સ અને સફદરજંગ હોસ્પિટલ પાસે પણ ઝેરી ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આખા વિસ્તારમાં ઝેરી ધુમ્મસના કારણે હવામાં બળતરા અનુભવાઇ રહી છે. CPCB અનુસાર, અહીં AQI 323 નોંધાયો છે. જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. આવા સ્તરમાં હવા શ્વાસ લેવા લાક નથી હોતી અને ખાસ કરીને વડીલ, બાળકો તેમજ અસ્થમાના દર્દીને વધુ જોખમ હોય છે.

અમેરિકાની હવમાનાની આગાહી વિશે જાણકારી આપનારી વેબસાઇટ એક્યૂવેધર અનુસાર, દિલ્હી અને તેની આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં સવારે 6 વાગ્યે AQI 300ની આસપાસ રહ્યો.

CPCB અનુસાર, રાત્રે બે વાગ્યે દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારમાં AQI 350 પાર રહ્યો છે.

મળતી માહિતી મુજબ. ઇથિયોપિયાના જ્વાળામુખીથી નીકળેલું રાખનું વાધળ મોટાભાગે સલ્ફર ડાયોક્સાઇડથી બનેલું છે. આ વાદળમાં જ્વાળામુખીની રાખની માત્રા ઓછાથી મધ્યમ છે. આ રાખનું વાદળ હવે ઓમાન-અરબ સસાગરના રસ્તેથી મધ્ય ગુજરાતના મેદાની વિસ્તારો સુધી ફેલાઇ ગયું છે.

નોંધનીય છે કે, આ વાદળની AQI પર કોઈ અસર થશે નહીં. જોકે, નેપાળ, હિમાલયના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના તરાઈ પ્રદેશમાં સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર થોડું વધી શકે છે, કારણ કે રાખના કેટલાક વાદળ પર્વતો સાથે અથડાઈને ચીન તરફ આગળ વધશે. મેદાનોમાં રાખ પડવાની શક્યતા ખૂબ ઓછી છે, જોકે કેટલાક વિસ્તારોમાં થોડી અસર થઈ શકે છે. આ આખું રાખનું વાદળ વાતાવરણના મધ્ય-સ્તરમાં છે, તેથી જમીન પર હવાની ગુણવત્તા પર કોઈ અસર થશે નહીં. રાખનું વાદળ ધીમે ધીમે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન તરફ પણ જશે, પરંતુ સપાટી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં થાય. ફક્ત ફ્લાઇટ રિરુટિંગ અથવા વિલંબ થવાની સંભાવના છે, કારણ કે આ વાદળ વિમાનની સલામતીને અસર કરી શકે છે. સપાટી પર કણો પડવાની શક્યતા ખૂબ ઓછી છે.

DGCAની એડવાઇઝરી

રવિવારે ઇથોપિયાના હેઇલ ગબ્બિન જ્વાળામુખીના વિસ્ફોટ બાદ, ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ બધી એરલાઇન્સને એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં તેમને ઊંચાઈ પર અને જ્વાળામુખીની રાખ ફેલાતી હોય તેવા વિસ્તારો પર ઉડાન ટાળવાની સલાહ આપવામાં આવી હતી. રાખના વાદળ વિમાનના એન્જિન અને ફ્લાઇટ સલામતી માટે જોખમ ઊભો કરી શકે છે, તેથી એરલાઇન્સને તેમના રૂટ અને ઊંચાઈ બદલવાની સલાહ આપવામાં આવી છે. આ પરિસ્થિતિ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે, રાખના સૂક્ષ્મ કણો વિમાનના એન્જિનને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તમામ ભારતીય એરલાઇન્સને તાત્કાલિક ચેતવણી જારી કરી છે.

November 22, 2025
image-14.png
1min76
  • માર્ચ 2024 પછી ફાઈટર જેટ તેજસનો બીજો અકસ્માત
  • એર શોના અંતિમ દિવસે હવાઈ કરતબ કરતાં અચાનક ફાઈટર જેટમાંથી ધૂમાડો નીકળતા બંધ થયા પછી અકસ્માત સર્જાયો
  • તેજસના અકસ્માતનું કારણ જાણવા એરફોર્સે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો

દુબઈ : દુનિયાના સૌથી મોટા એર શોમાંના એક દુબઈ એર શોમાં શુક્રવારે ભારતનું સ્વદેશી મલ્ટી-રોલ લાઈટ કોમ્બેટ ફાઈટર જેટ તેજસ હવામાં કરતબ બતાવતા અચાનક તૂટી પડયું હતું. આ વિમાન અકસ્માતમાં ભારતીય એરફોર્સના પાઈલટ નયન સ્યાલનું પણ મોત નીપજ્યું હતું. ભારતીય કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સના ફાઈટર વિમાનના અકસ્માત અંગે ભારતીય એરફોર્સેે તપાસનો આદેશ આપી દીધો છે. આ પહેલાં માર્ચ ૨૦૨૪માં જેસલમેરમાં તેજસ ફાઈટર જેટનો પહેલો અકસ્માત થયો હતો.

દુબઈમાં પાંચ દિવસના એર શોનો શુક્રવારે અંતિમ દિવસ હતો. દુનિયાના ૨૦૦ જેટલા ફાઈટર જેટ અહીં આવ્યા હતા. અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતનું સ્વદેશી તેજસ ફાઈટર જેટ હવાઈ કરતબ કરતું હતું ત્યારે અચાનક જ બપોરે ૨.૧૦ કલાકે વિમાન તૂટી પડયું હતું. આ દુર્ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તેજસ વિમાન ઉપર જાય છે અને હવામાં કરતબ કરતું નીચે આવે છે. પછી ફરીથી ઉડ્ડયન કરતા ઉપર જાય છે. ત્યાં સુધી તેજસ જેટમાંથી ધૂમાડો નીકળતો રહે છે. પછી અચાનક તેમાંથી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય છે. ત્યાર પછી અચાનક ફાઈટર જેટ નીચે પડવા લાગે છે અને થોડીક જ સેકન્ડમાં તૂટી પડે છે. આ સમયમાં પાયલટને બહાર નીકળવાનો પણ સમય મળતો નથી. જમીન પર પડતાં જ તેજસ આગના ગોળામાં ફેરવાઈ ગયું અને થોડીક જ વારમાં ત્યાં માત્ર રાખનો ઢગલો બચ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ તેજસના અકસ્માતના લગભગ દોઢ કલાક પછી એર શો માં રશિયન નાઈટ ફ્લાઈગ સાથે ફ્લાઈટ ડેમોસ્ટ્રેશન્સ ફરી શરૂ થયું હતું. આ વિમાન અકસ્માતમાં હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પાયલટ નયન સ્યાલનું મોત નીપજ્યું હતું તેમ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે પાયલટના નિધન બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. ભારતીય એરફોર્સના પ્રવક્તાએ કહ્યંર કે, દુબઈ એર શોમાં એરફોર્સનું એક તેજસ ફાઈટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. એરફોર્સ પાયલટના મૃત્યુ પર ખેદ વ્યક્ત કરે છે અને આ દુ:ખના સમયમાં સંપૂર્ણ રીતે પાયલટના શોકગ્રસ્ત પરિવારની સાથે છે. દુર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપી દેવાયા છે. અકસ્માતનું કારણ વ્યાપક તપાસ પછી સામે આવશે.

પાયલટ એર શો જોવા આવેલા લોકો માટે ડેમોસ્ટ્રેશન ફ્લાઈટ ઉડાવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વિમાન અકસ્માતની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સીડીએસ જન. અનિલ ચૌહાણ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાયલટના મોત અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને પાયલટના પરિવારને સાંત્વના પાઠવી હતી તેમજ આ મુશ્કેલ સમયમાં સમગ્ર રાષ્ટ્ર તેમની સાથે છે તેમ કહ્યું હતું.

વર્ષ ૨૦૦૧માં પહેલી ટેસ્ટ ફ્લાઈટથી લઈને ૨૪ વર્ષના ઈતિહાસમાં સિંગલ સીટર ફાઈટર જેટ તેજસના માત્ર બે જ અકસ્માત થયા છે, જેમાં પહેલો અકસ્માત ગયા વર્ષે માર્ચમાં રાજસ્થાનના જેસલમેરમાં થયો હતો. તે સમયે પોખરણના રણમાં ત્રણેય સૈન્યના સૈન્ય અભ્યાસ ‘ભારત શક્તિ’માં ભાગ લઈને તેજસ પાછં ફરતું હતું ત્યારે અકસ્માત થયો હતો. તેજસનો બીજો અકસ્માત શુક્રવારે દુબઈમાં થયો હતો. જોકે, કોઈ આંતરરાષ્ટ્રી એર શોમાં તેજસનો આ પહેલો અકસ્માત હતો. તેજસ ફાઈટર જેટે ૨૦૦૧માં પહેલું ઉડ્ડયન કર્યા પછી ૨૩ વર્ષ સુધી તેના અકસ્માતનો એક પણ કેસ નોંધાયો નહોતો.