CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 2 of 46 - CIA Live

May 23, 2025
harvard-university.png
1min70

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વહીવટીતંત્ર હાર્વર્ડ યુનિવર્સિટીની પાછળ જ પડી ગયું છે. ટ્રમ્પ સરકાર દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટી સામે ફરી એકવાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હવે હાર્વર્ડ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી નહીં શકે.

ગૃહ સુરક્ષા સચિવે એક પત્ર લખીને કહ્યું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. સરકારનો આરોપ છે કે હાર્વર્ડમાં યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ થઈ રહ્યું છે. સરકાર કહે છે કે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી.

જોકે, હાર્વર્ડ યુનિવર્સિટીને મોકલવામાં આવેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જો હાર્વર્ડ આગામી શૈક્ષણિક શાળા વર્ષ પહેલાં સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ સર્ટિફિકેશન પાછું મેળવવાની તક ઇચ્છે છે, તો 72 કલાકની અંદર જરૂરી માહિતી પૂરી પાડે.

યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, દર વર્ષે 500-800 ભારતીય વિદ્યાર્થીઓ અને વિદ્વાનો હાર્વર્ડમાં અભ્યાસ કરે છે. હાલમાં, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભારતના 788 વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે. હાર્વર્ડની સ્થાપના 1636માં થઈ હતી અને તે વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે.

April 10, 2025
chin-vs-us.jpg
2min97
  • અમેરિકાની આર્થિક દાદાગીરી અને બ્લેક મેઇલિંગને વશ નહીં થઈએ, છેક સુધી લડી લઈશુંઃ ચીન
  • ચીને અમેરિકાની 18 કંપનીઓને એક્સ્પોર્ટ કંટ્રોલ લિસ્ટમાં મૂકી અને તેમાની છને અવિશ્વસનીય સંસ્થાઓની યાદીમાં સામેલ કરી
  • ચીને સાત દુર્લભ ધાતુઓની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો હવે અમેરિકા સહિત કોઈપણ દેશમાં નિકાસ નહીં થાય

થોડા સમય પહેલા આવેલી ફિલ્મ પુષ્પા ધ ફાયરના હીરો અલ્લુ અર્જુનનો ડાયલોગ હતો ઝુકેગા નહી સાલા… આ ડાયલોગ ફક્ત ફિલ્મ જ નહીં ભારતીય રાજકીય વર્તુળોમાં પણ લોકપ્રિય થઈ ગયો હતો. હવે આ સંવાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. ટ્રમ્પની ૧૦૪ ટકાની ટેરિફની દાદાગીરી સામે ચીને આ જ ઝુકેગા નહીં સાલા અભિગમ અપનાવતા અમેરિકન પ્રોડક્ટ્સ પર ૮૪ ટકા ટેરિફ ઝીંકી દીધો છે. એટલેથી પણ ન અટકતા ચીને અમેરિકાની ૧૮ કંપનીઓ સામે આકરી કાર્યવાહી કરતાં તેને એક્સપોર્ટ કંટ્રોલ લિસ્ટમાં નાખી છે અને તેમાની છ કંપનીઓને અવિશ્વસનીય સંસ્થાઓની યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.

ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા મુજબ આ કંપનીઓ પર તાઇવાનને શસ્ત્રો વેચવાનો અને તેની સાથે ટેકનિકલ સહયોગ કરવાનો આરોપ છે. ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચીનના વિરોધ છતાં આ કંપનીઓ તાઇવાનને શસ્ત્ર વેચી રહી છે, જેથી ચીનના સાર્વભૌમત્વને ખતરો પહોંચી રહ્યો છે. ચીન આ કંપનીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરશે. ચીને ઉમેર્યુ હતું કે જે વિદેશી કંપનીઓ કાયદાનું પાલન કરે છે તેમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ છ કંપનીઓ શીલ્ડ એઆઈ, સિયેરા નેવાડા કોર્પોરેશન, સાઇબરલક્સ કોર્પોરેશન, એજ ઓટોનોમી ઓપરેશન્સ, ગુ્રપ ડબલ્યું, હડસન ટેકનોલોજીસ છે.

તેની સાથે ચીને ડંકાની ચોટ પર એલાન કરી દીધું છે કે અમેરિકાની દાદાગીરીને અને તેની સંરક્ષણવાદની નીતિને તે વશ નહીં થાય. તેની આર્થિક દાદાગીરીને અમે પહોંચી વળવા તૈયાર છીએ. પાછું ચીનના આ વલણને યુરોપીયન યુનિયનનું મૂક સમર્થન પણ મળ્યું છે, જેના પર ટ્રમ્પે ૨૦ ટકા ટેરિફ નાખ્યો છે. આમ હાલમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ અને રશિયા-યુક્રેન બાજુએ રહી ગયું છે અને આખા વિશ્વની નજર અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વોર પર મંડાઈ છે.

ચીને કુલ ૧૦૪ ટકા ટેરિફ લાદવાના અમેરિકાના પગલાને બ્લેકમેઇલિંગ ગણાવી તેની આકરી ટીકા કરી હતી. બૈજિંગે જણાવ્યું હતું કે ટ્રમ્પ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ટ્રેડ વોરમાં ચીન છેક સુધી લડશે. યુરોપીયન કમિશનના વડા ઉર્સુલા સાથેની મુલાકાતમાં ચીનના પીએમ લી કિયાંગે જણાવ્યું હતું કે ચીન અમેરિકાએ લાદેલા ટેરિફને પહોંચી વળવા સંપૂર્ણપણે તૈયાર છે. આ ટેરિફ છતાં ચીનનો આર્થિક વિકાસ જારી રહેશે.

આમા યુરોપીયન યુનિયનના બંને હાથમાં લાડવા છે. જો આ ટ્રેડ વોરમાં અમેરિકન તંત્રની ખો નીકળે તો તેને ચીનમાંથી સસ્તો કાચો માલ મળશે. જો ચીનની ખો નીકળશે તો અમેરિકા સાથે તેના કારોબારમાં સીધો વધારો થશે. ટ્રમ્પે લગાવેલા ટેક્સ બુધવારથી અમલી બન્યા છે. તેમા ચીનની વસ્તુઓ પર લગાવવામાં આવેલો ભારે વેરો પણ સામેલ છે. તેના લીધે ગ્લોબલ ટ્રેડ વોરની સંભાવના વધી છે. બુધવારે ચીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનને જણાવ્યું હતું કે સ્થિતિ વધારે વણસી ગઈ છે. તેણે ચેતવણી આપી હતી કે ચીન પર અમેરિકાના ટેરિફ વૈશ્વિક કારોબારમાં અસ્થિરતા સર્જી શકે છે. ચીને જણાવ્યું હતું કે રેસિપ્રોકલ ટેરિફ વ્યાપાર સંતુલન કરવાનું સમાધાન નથી, તેનાથી વિપરીત પરિણામ આવશે.

અમેરિકાએ ચીન પર કાર્યવાહી કરતાં ત્રીજો ટેરિફ બોમ્બ ફોડયો હતો. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે અમેરિકા ચીન પર કુલ ૧૦૪ ટકા ટેરિફ લગાવી રહ્યુ છે જે ૯મી એપ્રિલથી અમલી બનશે. ચીને અમેરિકાની આયાત પર ૩૪ ટકા વેરો લગાવ્યા બાદ અમેરિકાએ આ પગલું લીધું હતું.

તેમણે ચીને નાખેલા વેરાને એક ભૂલ ગણાવી હતી. તેમનું કહેવું હતું કે ટેરિફના લીધે તેમને હવે રોજના બે અબજ ડોલરથી પણ વધુ રકમ મળી રહી છે. હવે ચીને આ ૧૦૪ ટકા ટેરિફના જવાબમાં કુલ ૮૪ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.

અમેરિકા સાથે વધતા વ્યાપારિક તનાવ વચ્ચે ચીને એક ખાસ પગલું લેદા દુર્લભ ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ બધી ધાતુઓ આજના વિશ્વમાં આવશ્યક છે. તેનો ઉપયોગ નવી ટેકનોલોજી, દવાઓ, શસ્ત્રો અને ઉર્જા બનાવવા થાય છે. ચીનનો આ પ્રતિબંધ ફક્ત અમેરિકા પૂરતો જ મર્યાદિત નથી, બધા દેશો પર લાગુ થશે. ચીને જે સાત ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો તે સૈમેરિયમ, ગેડોલિનિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોસિયમ, લ્યુટેશિયમ, સ્કેન્ડિયમ અને યેટ્રિયમ સામેલ છે. આ ધાતુઓના નામ ભલે અલગ લાગે, પરંતુ તે આપણા જીવનનો હિસ્સો છે. તેના વગર કેટલાય મોટા ઉદ્યોગ ઠપ થઈ શકે છે.

ટ્રમ્પના ટેરિફની અસર હજી સુધી જાણી શકાઈ નથીઃ જયશંકર

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની અસરને હજી સુધી જાણી શકાઈ નથી અને ભારત આ સ્થિતિનો સામનો અમેરિકા સાથે આ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર કરીને કરવા માંગે છે એમ વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું. અમેરિકન ટેરિફ પોલિસી અંગેના પ્રથમ જવાબમાં જયશંકરે જણાવ્યું હતુ કે ભારત કદાચ એકમાત્ર એવો દેશ છે જેણે વોશિંગ્ટનમાં ટ્રમ્પ ફરીથી સત્તા પર આવ્યા તેનો અંદાજ મૂકીને ટ્રેડ ડીલની તૈયારી આરંભી દીધી હતી. ટ્રમ્પે નાખેલા ટેરિફની સામે ભારતે ભારે દબાણ છતાં વળતો પ્રહાર કરવાનું ટાળ્યું છે. તેના બદલે ભારતે બાઇલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ (બીટીએ) કરવા પર વધુને વધુ ભાર મૂકી રહ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પના ટેરિફના પગલાંની અસરની તો હાલમાં ખબર ન પડે, પરંતુ અમારી લાંબા ગાળાની વ્યૂહરચના સ્પષ્ટ છે. અમે ટ્રમ્પ તંત્ર સાથે વહેલામાં વહેલી તકે જોડાઈને વિવાદાસ્પદ વેપારી મુદ્દાઓ ઉકેલવા તત્પર છીએ અને અમે આ વર્ષના વસં સુધીમાં દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટ કરવા તૈયાર થયા છીએ. પીએમ મોદી અને ટ્રમ્પે ફેબુ્રઆરીમાં કરેલી મંત્રણાના પગલે બંનેએ ૨૦૨૫માં બીટીએના પ્રથમ તબક્કાની વાટાઘાટની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે દરેક દેશ અમેરિકા સાથે વાટાઘાટ કરવા તેની પોતાની આગવી વ્યૂહરચના અપનાવી રહ્યુ છે અને ભારતે ટ્રમ્પ તંત્ર સાથે વેપાર કરાર કરવાના ધ્યેય પર ભાર મૂક્યો છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે લાદેલા રેસિપ્રોકલ ટેરિફના પગલે હચમચી ગયેલા વિશ્વના નેતાઓ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા લાઇન લગાવી રહ્યા છે. તેઓ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા આતુર છે. ટ્રમ્પે નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીના ડિનરમાં જણાવ્યું હતું કે ચાતક પક્ષી પાણી માટે તરસે તે રીતે વિશ્વના નેતાઓ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવા તલસી રહ્યા છે. ટ્રમ્પે લગભગ ૧૮૦ દેશો પર લાદેલા ટેરિફના લીધે વિશ્વ સ્તરે ટ્રેડ વોરના મંડાણ થયા છે.

ટ્રમ્પનું કહેવું છે કે વિશ્વના નેતાઓ તેમને કહી રહ્યા છે કે સર પ્લીઝ ડીલ કરો, સર પ્લીઝ ડીલ કરો. તમે ડીલ કરો તે માટે અમે બધું કરી છૂટીશું. ટ્રમ્પે બીજી એપ્રિલના રોજ નવા ટેરિફની જાહેરાત કરી હતી. તેનો બુધવાર સવારથી અમલ થયો હતો.

ટ્રમ્પના ટેરિફના ચીનની માલસામગ્રી પર ૧૦૪ ટકા ટેરિફ, જ્યારે યુરોપીયન યુનિયન પર ૧૧થી લઈને ૫૦ ટકા ટેરિફનો સમાવેશ થાય છે. ટ્રમ્પ આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ્સની આયાત પર વધારાનો ટેરિફ લગાવવાનું આયોજન કરી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે હવે આગામી સમયમાં ફાર્માસ્યુટિકલ્સ પર મોટાપાયા પર ટેરિફ લગાવવાનું આયોજન કરી રહ્યા છીએ. તેઓ જ્યારે સાંભળશે ત્યારે તેઓ ચીન છોડી દેશે. તેઓ બીજા દેશો પણ છોડી દેશે. તેમની મોટાભાગની પ્રોડક્ટ અહીં વેચાય છે અને તેઓ બધા અહીં પ્લાન્ટ ખોલશે.

March 10, 2025
traudo-and-carni.png
1min170

બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક ક્રાનીને કેનેડાની સત્તાધારી પાર્ટી લિબરલના નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ સાથે માર્ક કાર્ની કેનેડાના નવા વડાપ્રધાન બનશે અને જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષની શરૂઆતમાં જ જસ્ટિન ટ્રુડોએ કેનેડાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ 59 વર્ષીય કાર્નીએ 86% સભ્યોના વોટ મેળવીને વડાપ્રધાન પદ મેળવવામાં સફળતા મેળવી હતી. એવું કહેવાય છે કે કાર્નીને રાજકારણનો અનુભવ નથી. તેમણે કહ્યું કે હું પાર્ટીને પુર્નજીવીત કરવા અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર અંગે મંત્રણા કરવા સૌથી ઉપયોગી વ્યક્તિ સાબિત થઈશ.

રાજકારણમાં પ્રવેશેલા કાર્નીએ કહ્યું કે ટ્રમ્પ સતત ટેરિફની ધમકીઓ આપી રહ્યા છે અને તેના કારણે કેનેડાના અર્થતંત્રને ઝટકો લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે કેનેડામાં આવું પહેલીવાર થશે જ્યારે કોઈ એવી વ્યક્તિ વડાપ્રધાન બનશે જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નહોતા. કાર્નીએ કહ્યું કે બે G7 સેન્ટ્રલ બેન્કના ગવર્નર તરીકે સેવા કરનાર હું પ્રથમ વ્યક્તિ છું અને આ જ મારો અનુભવ દર્શાવે છે કે હું ટ્રમ્પનો સામનો કરવા સૌથી ઉપયોગી અને યોગ્ય વ્યક્તિ સાબિત થઇશ.

માર્ક કાર્નીનો જન્મ કેનેડાના ફોર્ટ સ્મિથ, નોર્થવેસ્ટ ટેરેટરીઝમાં થયો હતો. તેમનું બાળપણ એડમંટનમાં વીત્યું અને પછી તે અમેરિકા ગયા જ્યાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ તે યુકે ગયા જ્યાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી માસ્ટર ડિગ્રી અને પછી 1995માં અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. કાર્નીને 2008માં બેન્ક ઓફ કેનેડાના ગવર્નર બનાવાયા હતા.

February 5, 2025
sweden.png
1min124

યુરોપિયન દેશ સ્વિડનના ઓરેબ્રૂ શહેરમાંથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં એક સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે જેમાં ઓછામાં ઓછા 10 લોકો મૃત્યુ પામી ગયા. આ હુમલામાં પોલીસે કાર્યવાહી કરતાં હુમલાખોરને પણ ઠાર માર્યો હોવાની જાણકારી મળી છે.

પોલીસે કહ્યું કે આ સમગ્ર હુમલામાં એક જ હુમલાખોરની સંડોવણી હતી પણ તેણે આ હુમલો કેમ કર્યો તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી શકી નથી. આ ઘટના સ્વિડનની રાજધાની સ્ટૉકહોમથી લગભગ 200 કિલોમીટર પશ્ચિમે આવેલા ઓરેબ્રૂ શહેરના કેમ્પસ રિસબર્ગસ્કામાં બની હતી. અહીં યુવાઓ ભણવા આવે છે.

કેમ્પસ રિસબર્ગસ્કામાં એવા યુવાઓ ભણવા આવે છે જેનો સમયસર તેમનો અભ્યાસ પૂર્ણ કરી શક્યતા નહોતા. જોકે આ કેમ્પસની નજીકમાં જ એક બાળકોની સ્કૂલ પણ આવેલી છે. સ્વિડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને ઘટનાને દેશની સૌથી ભીષણ સામૂહિક ગોળીબારની ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું કે આજે અમે નિર્દોષ લોકો વિરુદ્ધ ભયાનક અને જીવલેણ હિંસા જોઇ. આ હુમલાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે.

પોલીસ પ્રમુખ રોબર્ટો ઈડ ફોરેસ્ટે જણાવ્યું કે ક્રાઈમ સ્પૉટ પર થયેલા નુકસાનને જોતાં અમે મૃતકોની સાચી સંખ્યા હજુ સુધી જાહેર કરી શક્યા નથી. મૃતકાંક વધી શકે છે કેમ કે અનેક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે. પોલીસે કહ્યું કે હજુ સુધી આ હુમલા અને આતંકવાદ વચ્ચે કોઈ કનેક્શન સામે આવ્યું નથી પણ અમે એ એંગલની પણ તપાસ કરી રહ્યા છીએ.

January 20, 2025
trumph.jpg
1min163

અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે 47મા પ્રમુખ તરીકે શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના વિરોધમાં રાજધાની વોશિંગ્ટનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સખી ફોર સાઉથ એશિયન સર્વાઈવર્સ સહિત કેટલીક સંસ્થાઓ પીપલ્સ માર્ચના બેનર હેઠળ એક મંચ પર આવી હતી અને તેમણે ઈમિગ્રેશન સહિતની ટ્રમ્પની નીતિઓ સામે દેખાવો કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2017માં પહેલી વખત પ્રમુખપદના શપથ લીધા ત્યારે પણ હજારો લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. બીજીબાજુ ટ્રમ્પે રવિવારે તેમના સમર્થનમાં યોજાયેલી ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન વિક્ટરી’ રેલીને સંબોધન કર્યું હતું.

રાજધાની વોશિંગ્ટનમાં કેપિટોલ હિલ ખાતે 78 વર્ષના રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે પ્રમુખપદના શપથ લઈને 82 વર્ષના જો બાઈડેનના ઉત્તરાધિકારી બનશે. અગાઉ વીમેન્સ માર્ચ તરીકે ઓળખાતી પીપલ્સ માર્ચના બેનર હેઠળ વર્ષ ૨૦૧૭થી પ્રત્યેક વર્ષે દેખાવો યોજવામાં આવે છે. ટ્રમ્પ વિરોધી પોસ્ટર અને બેનરો દર્શાવતા દેખાવકારોએ નવા પ્રમુખ અને દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્ક સહિત ટ્રમ્પના કેટલાક સમર્થકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. આ જ ગૂ્રપે રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે જાન્યુઆરી 2017માં પણ તેમનો વિરોધ કર્યો હતો.
રાજધાની વોશિંગ્ટન ડીસીમાં શનિવારે ત્રણ વિવિધ પાર્કમાં શ્રેણીબદ્ધ દેખાવો શરૂ થયા હતા અને તેઓ લિંકન મેમોરિયલ નજીક એકત્ર થયા હતા. પીપલ્સ માર્ચે જણાવ્યું હતું કે, સામુહિક વિરોધ અમારી કોમ્યુનિટીસની તાકત દર્શાવવાની સૌથી અસરકારક રીત છે. અમે ફાસીવાદ સામે ઝૂક્યા નથી. વોશિંગ્ટન ડીસીમાં આ રેલીઓ અને દેખાવો એવા સમયે થઈ રહ્યા છે જ્યારે યોગાનુયોગ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ સમારંભ માટેના વીકએન્ડ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે વોશિંગ્ટન ડીસી પહોંચ્યા છે.

ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે દેખાવો યોજનારી સંસ્થાઓમાં એબોર્શન એક્શન નાઉ, ટાઈમ ટુ એક્ટ, સિસ્ટર સોંગ, વીમેન્સ માર્ચ, પોપ્યુલર ડેમોક્રસી ઈન એક્શન, હેરિએટ્સ વાઈલ્ડેસ્ટ ડ્રીમ્સ, ધ ફેમિનિસ્ટ ફ્રન્ટ, નાઉ, પ્લાન્ડ પેરેન્ટહૂડ, નેશનલ વીમેન્સ લો સેન્ટર એક્શન ફંડ, સિએરા ક્લબ અને ફ્રન્ટલાઈનનો સમાવેશ થાય છે. આ સંગઠનો દ્વારા વોશિંગ્ટન ડીસી ઉપરાંત ન્યૂયોર્ક, સીએટલ અને શિકાગો જેવા અન્ય શહેરોમાં પણ નાના પાયે વિરોધ પ્રદર્શન અને રેલી યોજવામાં આવ્યા હતા.

દરમિયાન હજારો લોકોના વિરોધ વચ્ચે ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે શપથ સમારંભ પહેલાં રવિવારે વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ વન અરેના ખાતે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન વિક્ટરી’ રેલીમાં જોડાયા હતા. આ એ જ જગ્યા છે જ્યાં ટ્રમ્પે ૬ જાન્યુઆરી ૨૦૨૧માં તેમના પરાજયના વિરોધમાં સમર્થકોને કેપિટોલ હિલ કબજે કરવાની હાકલ કરી હતી. આ ઘટના પછી ટ્રમ્પે પહેલી વખત આ સ્થળ પર તેમના સમર્થકોને સંબોધન કર્યું હતું. આ રેલીને ઈલોન મસ્ક અને ચૂંટાયેલા ઉપપ્રમુખ જેડી વાન્સ, અલ્ટિમેટ ફાઈટિંગ ચેમ્પિયનશિપના સીઈઓ ડેના વ્હાઈટ, કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ ચાર્લી કિર્ક અને કન્ઝર્વેટીવ ટેકેદાર મેગન કેલીએ પણ સંબોધન કર્યું હતું.

દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે પ્રમુખપદે શપથ લીધા પછી કોઈપણ સમય બગાડયા વિના પહેલા જ દિવસે ૧૦૦થી વધુ આદેશો પર હસ્તાક્ષર કરવાની તૈયારી કરી લીધી છે. આ આદેશોમાં મોટાભાગે ટ્રમ્પના ચૂંટણી વચનોને પૂરા કરવાનો આશય છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, પ્રમુખપદે શપથ લીધા પછી પહેલાં જ દિવસે વિક્રમી સંખ્યામાં આદેશો પર હસ્તાક્ષર કરવાની તેમની યોજના છે.

ટ્રમ્પના સહયોગીઓમાંના એક સ્ટીફન મિલરે જણાવ્યું હતું કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા દિવસે દક્ષિણની સરહદ સીલ કરવા, ગેરકાયદે વસાહતીઓની સામૂહિક હકાલપટ્ટી, મહિલાઓની રમતોમાં ટ્રાન્સજેન્ડર્સને દૂર કરવા, એનર્જી એક્સ્પ્લોરેશન પરના પ્રતિબંધો દૂર કરવા અને સરકારની કાર્યક્ષમતામાં સુધારા સહિતના આદેશો પર હસ્તાક્ષર કરશે. વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચાર વર્ષ પહેલાં ૬ જાન્યુઆરીએ યુએસ કેપિટોલ હિલ પર હુમલામાં કાયદાકીય એજન્સીઓએ ધરપકડ કરેલા ટ્રમ્પના સમર્થકોને માફી આપવાના આદેશો પર પણ હસ્તાક્ષર કરે તેવી શક્યતા છે.

અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે પ્રમુખપદના શપથ લેશે. આ સમારંભમાં હાજરી આપવા માટે દુનિયાના 100થી વધુ દિગ્ગજોને આમંત્રણ અપાયું છે. આ દિગ્ગજોમાં ભારતના ટોચના ઉદ્યોગપતિ દંપતિ મુકેશ અને નીતા અંબાણીનો પણ સમાવેશ થાય છે. આ શપથ સમારંભ પહેલાં શનિવારે અંગત ડિનરનું આયોજન કરાયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીએ આ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. અંબાણી પરિવાર અને ટ્રમ્પ પરિવાર લાંબા સમયથી એકબીજાની નજીક રહ્યા છે. વર્ષ 2017માં ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશિપ સમિટ સમયે ઈવાન્કા ટ્રમ્પ હૈદરાબાદ આવી હતી ત્યારે મુકેશ અંબાણી તે કાર્યક્રમમાં જોડાયા હતા. આ સિવાય ૨૦૨૪માં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાં જામનગરમાં યોજાયેલા પ્રી-વેડિંગમાં ઈવાન્કા ટ્રમ્પ, પતિ જેરેડ કુશનર અને પુત્રી અરેબેલા સાથે આવી હતી.

January 9, 2025
carlifonia-fire.png
1min130

અમેરિકાના લોસ એન્જેલસમાં ભીષણ આગ ભડકી છે જે હવે શહેરો તરફ આગળ વધી રહી છે. આ ભીષણ આગને લીધે અત્યાર સુધી 2 લોકો મૃત્યુ પામી ગયા છે ત્યારે 70000 થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આગની લપેટમાં અત્યાર સુધીમાં 1000થી વધુ ઈમારતો આવી ચૂકી છે. લોસ એન્જેલસમાં લાગેલી આ આગની ભયાનક તસવીરો હવે સામે આવવા માંડી છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઈમારતો આખે આખી સળગી ગઈ છે.

દક્ષિણ કેલિફોર્નિયાનાં લૉસ એન્જલસ શહેરની પાસેનાં જંગલમાં ભયંકર આગ ફેલાઈ ગઈ છે. પેસિફિક મહાસાગરનાં તટે રહેલા આ વિસ્તારમાં મહાસાગર પરથી આવતા પવનોએ આગને ચોપાસ અને ઝડપભેર ફેલાવી દીધી હતી. ઇટન-ફાયર કહેવાતી આ આગ લૉસ એન્જલસ નગરની નજીકનાં શહેર અલ્ટાડીના પાસેનાં જંગલમાંથી મંગળવારે શરૂ થઇ હતી. સાંજના આશરે 6:30 કલાકે, અભયારણ્ય પાસેથી આગ શરૂ થઇ હોવાનું અનુમાન છે.

આગ એટલી ઝડપથી ફેલાવા લાગી કે હોસ્ટિલ્સમાં રહેલાઓને પાર્કીંગ વૉર સુધી પહોંચાડવા માટે તેમનાં દર્દીનાં કપડામાં જ પૈડાંવાળા ખાટલા અને વ્હીલ ચેર્સમાં લઇ જવા પડયા હતા અને પાર્કીંગ વોરમાં ઉભેલી એમ્બ્યુલન્સોમાં ચઢાવી ભયાવહ વિસ્તારમાંથી બહાર કાઢવા પડયા હતા.

આ આગને લીધે આકાશ પહેલાં નારંગી રંગનું પછી લાલ અને તે પછી ધૂમાડાને લીધે કાળું દેખાતું હતું તેમ સોશ્યલ મીડીયા પર વીડીયો દર્શાવતા હતા.પેસિફિક તટ વિસ્તાર આનો હાહાકાર મચાવી દીધો હતો અને પૃથ્વી પરનાં સ્વર્ગ સમાન હોલીવૂડના થોડા કીલોમીટર દૂરનો વિસ્તાર ભડકે બળી રહેતાં ત્યાં રહેલા 70000થી વધુ નાગરિકોને મહેનતે બહાર કાઢવામાં આવ્યાં હતાં તે સમયે એક વૃદ્ધે કહ્યું હતું કે મારાં સાંભળવાનાં વર્ષમાં મેં કદી આવી પ્રચંડ આગ જોઈ નથી.
આ જંગલની આગ શમાવવા ઠેર ઠેરથી લાઈબંબાઓ દોડાવવામાં આવ્યા હતા પરંતુ તેમને મોટી મુશ્કેલી તો તે ઉભી થઇ હતી એક જંગલના પ્રમાણમાં સાંકડા માર્ગો ઉપર અનેક લોકો પોતાની મોટરો પડતી મુકી પગપાળા નાસી રહ્યા હતા. તેનું એક કારણ તે પણ હતું કે આગની અસહ્ય ગરમીથી કદાચ મોટરની ટાંકીમાં રહેલું પેટ્રોલ કે ડીઝલ સળગી ઉઠે તો તેવો મોટરમાં ભડથું થઇ જાય. આડેધડ પડેલી આ મોટરો પેલા લાઈબંબાઓનો માર્ગ અવરોધાતી હતી. તેથી ક્રેનો બોલાવી તે મોટરો દૂર કરવી પડી હતી. તેમાંસમયનો ઘણો દુર્વ્યય થયો હતો. દરમિયાન આગ ભભૂકતી ગઈ.

હેલિકોપ્ટર્સથી પાણીનો છંટકાવ કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું કારણ કે આગની જ્વાળાઓની ગરમીથી હેલિકોપ્ટર્સમાં રહેલી ટાંકીનું વિશિષ્ટ પેટ્રોલ પણ સળગી ઉઠવાની ભીતિ હતી. છેવટે વિમાન દ્વારા પાણીનો છંટકાવ શરૂ કર્યો પરંતુ તે બહુ કામયાબ નીવડયો નહીં. નામ માત્રની આગ શમાવી શકાઈ.

આ સમયે કેલિફોર્નિયાના ગવર્નર ગેવીન ન્યૂસમ દક્ષિણ કેલિફોર્નિયામાં હતા. તેઓ તુરત જ તે ઘટના સ્થળ તરફ પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા હતા. તેમાં X પ્લેટફોર્મ પરના વીડિયોએ દર્શાવ્યું હતું. ચારે તરફ માત્ર ધૂમાડો જ દેખાતા હતા. ઇમર્જન્સી સાયરનો વાગી રહી હતી. તેમાં પણ આ વર્ષે કેલિફોર્નિયામાં વિશેષત: દ.કેલિફોર્નિયામાં વરસાદ ઘણો ઓછો થયો હોવાથી ભૂમિ પણ સુકી ભઠ્ઠ બની રહી છે. લોસ એન્જલસના ફાયર ડીપાર્ટમેન્ટના વડા ક્રીસ્ટીન ક્રાઉલીએ 110 ફાયર એન્જિન્સ કામે લગાડયાં છે. છતાં આશરે 645 ચો.કીમી.માં વ્યાપેલી આગ કાબુમાં કેમ લેવી તે પ્રશ્ન છે. સમગ્ર અભયારણ્ય તો ખતમ થઇ ગયું છે.

January 3, 2025
china-virus.png
1min140

કોવિડ-19ની યાદો એટલી ભયાનક છે કે જે કદાચ લોકોના મગજમાંથી વર્ષો સુધી નહીં ભૂલાવાની. જોકે એ વચ્ચે કોરોના કાળના 5 વર્ષ બાદ ફરી એકવાર ચીનથી એક ડરામણાં અહેવાલ સામે આવ્યા છે. ચીનમાં ફરી એકવાર કોરોના જેવો જ ઘાતક વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના દાવા થઇ રહ્યા છે.

માહિતી અનુસાર આ વાયરસ કોરોના જેવો જ ઘાતક છે અને તેના લક્ષણ પણ કોરોના જેવા જ છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) છે જે એક RNA વાયરસ છે. જે પણ વ્યક્તિ આ વાયરસથી ચેપગ્રસ્ત થાય છે તેનામાં કોરોના જેવા જ લક્ષણ દેખાય છે. આ વાયસરની લપેટમાં સૌથી વધુ બાળકો જ આવી રહ્યા છે. એમાંય 2 વર્ષની નાની વયના બાળકો સૌથી વધુ પીડિત બની રહ્યા છે.

ચીનના રોગ નિયંત્રણ તથા રોકથામ કેન્દ્ર (CDC) ના અહેવાલ અનુસાર તેના લક્ષણોમાં ખાંસી, તાવ, નાક બંધ થવી અને ગળામાં ખરાશ વગેરે થાય છે. HMPV ઉપરાંત ઈન્ફ્યૂએન્ઝા એ, માઈક્રોપ્લાઝમા, ન્યૂમોનિયા અને કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે. જેમાં દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે.

સોશિયલ મીડિયા પર કરાયેલી એક પોસ્ટમાં દર્દીઓની તસવીરો જાહેર કરવામાં આવી છે જેમાં બતાવાયું છે કે ચીને વાયરસ ફેલાયા બાદ અનેક જગ્યાએ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. આ દાવા અનુસાર હોસ્પિટલ અને સ્મશાન ઘાટ પર ફરી ભીડ જોવા મળી રહી છે. જોકે ચીન તરફથી હાલ એવી કોઈ માહિતીની પુષ્ટી કરવામાં આવી નથી. અનેક મીડિયાના અહેવાલોમાં સીડીસીએ પહેલાથી અસ્થમા અને ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી જેવા રોગો સામે ઝઝૂમતા દર્દીઓમાં સંક્રમણનો ખતરો વધવાની આશંકા વ્યક્ત કરી છે.

December 29, 2024
south-korea.jpg
1min225

દક્ષિણ કોરિયામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. રવિવારે એરપોર્ટ પર એરક્રાફ્ટનું લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે વિમાન રનવે પરથી સરકીને વાડ સાથે અથડાયું હતું. આ પછી પ્લેનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને હવે 179 પર પહોંચી ગયો હોવાની આશંકા છે. અમુક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિમાનમાં હાજર 179 લોકો મૃત્યુ પામી ગયા છે જ્યારે માત્ર 2ને જ બચાવી શકાયા છે.

સ્થાનિક ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર આ વિમાન દુર્ઘટના બાદ લાગેલી આગમાં 179 લોકોના મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે. આગના સમાચાર મળતા જ એરપોર્ટ પર તૈનાત ફાયર બ્રિગેડની ટીમ એક્શનમાં આવી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ પ્લેનમાં લગભગ 181 લોકો સવાર હતા. જેમાંથી 2ને બચાવી શકાયાની માહિતી મળી રહી છે. હજુ બચાવકામગીરી ચાલી રહી છે. વર્ષના અંતે આ સૌથી મોટી કરુણાંતિકા માનવામાં આવી રહી છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો અને માહિતી અનુસાર દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટના હવામાં વિમાન સાથે પક્ષીના અથડાવાને કારણે સર્જાઈ હોવાનું પણ મનાય છે. આ દુર્ઘટનામાં 179 લોકો જીવ ગુમાવી ચૂક્યાની માહિતી સામે આવી રહી છે. પહેલા મૃત્યુઆંક 28 જાહેર કરવામાં આવ્યો હતો. જે વધીને 85 પર પહોંચ્યો હતો. જોકે વિમાનમાં કુલ 175 મુસાફર અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત 181 લોકો મુસાફરી કરી રહ્યા હતા. જેજુ એરનું આ વિમાન થાઈલેન્ડથી ઉડ્યું હતું. તે દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશન એરપોર્ટ પર લેન્ડ કરવા જતાં જ આગની લપેટમાં આવી ગયું હતું અને રનવેથી લપસી થતાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથ કોરિયાના મુઆન એરપોર્ટ પર રવિવારે એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના મુજબ જેજુ એરના વિમાનમાં આગ લાગી. આ ફ્લાઈટ થાઈલેન્ડથી પરત ફરી રહી હતી. સ્થાનિક મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્લેન સળગતું જોઈ શકાય છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. અકસ્માતના કારણની તપાસ ચાલુ છે.

December 27, 2024
azarbaijan-air.png
1min216

એક તરફ એવી પણ શંકાઓ તે દુર્ઘટનાગ્રસ્ત અઝરબૈજાન એરલાઇન્સનું પ્લેન એમ્બ્રિટ-190, અઝરબૈજાનમાં તુટી પડયું તે અંગે એવી પણ થીયરી ચાલે છે કે કોઈ મોટુ પક્ષી તે વિમાન સાથે અથડાતાં એ દુર્ઘટના બની હશે. સાથે બીજી થીયરી જોર પકડતી રહી છે કે, રશિયાની સ્વયમ-સંચાલિત એર-ડીફેન્સ સિસ્ટીમે તે વિમાન યુક્રેનનું ડ્રોન માની તોડી પાડયું હશે.

આ થિયરી અત્યારે સોશ્યલ મિડીયા ઉપર ચાલી રહી છે. તે દુર્ઘટના વિમાનમાં 67 પ્રવાસીઓ અને બે પાયલોટ તથા ત્રણ અન્ય ક્રૂ મેમ્બર્સ સાથેનું તે વિમાન અઝરબૈજાનથી ચેચાન્યાના ગ્રોઝની જઈ રહ્યું હતું. તે કઝાખસ્તાનનાં આકતુ નજીક તૂટી પડયું. આકતુ વિમાનગૃહ ઉપર ઇમરજન્સી-લેન્ડિંગ કરવા તે વિમાને પરવાનગી માગી હતી. ત્યાં ઉતરતાં તે તૂટી પડયું.
આ ઘટના અંગે જે વિડીયો પ્રસિદ્ધ થયા છે તેમાં વિમાનમાં ગોળીથી પડેલા છિદ્રો દેખાય છે. તેથી નેટિઝન્સ માને છે કે તે વિમાનને રશિયાની સ્વચાલિત એર-ડીફેન્સ સિસ્ટીમે યુક્રેનનું ડ્રોન માની ગોળીબાર કરતાં વિમાન તૂટી પડયું હશે. તે ગોળીઓના છિદ્રો તો વિમાનની બેઠકોમાં પણ જોવા મળ્યા છે.

પહેલા તેમ મનાતું હતું કે, કોઈ મોટુ પક્ષી કે પક્ષીઓનું જુથ તે વિમાન સાથે અથડાતા તે વિમાન તૂટી પડયું હશે. પરંતુ પછીથી જાણવા મળ્યું છે કે ઓકિસજન ટેન્કમાં ધડાકો થતાં તે વિમાન તૂટી પડયું હશે. આ ઓકિસજન ટેન્કની સપ્લાઈ પાઈપ કોકપીટમાં પણ પહોંચે છે. આ ધડાકાથી વિમાન ટુકડે ટુકડા થઈ ગયું હશે, તેમ પણ અનુમાન કરાય છે.