આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની લીકર પોલીસી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. CBIએ 8 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ મનીષ સિસોદીયાની ધરપકડ કરી હતી. પુરાવા નાશ કરવાના આરોપસર CBIએ મનીષ સિસોદીયાની ધરપકડ કરી હતી. મનીષ સિસોદીયા Dated 26/02/2023 સવારે 11.10 કલાકે CBI કાર્યલય પૂછપરછ માટે પહોંચ્યા હતા. આ પહેલા સિસોદીયાને ગયા રવિવારે પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ બજેટની તૈયારીઓમાં વ્યસ્ત હોવાનું કારણ આપી તેઓ આગળની તારીખ માંગી હતી. આ બાદ CBIએ તેમને 26 તારીખે હાજર થવાનું કહ્યુ હતુ.
CBIએ મનિષ સિસોદીયાને પૂછપરછ દરમિયાન ઘરે પણ જવા દીધા ન હતા. આ સમયે જ મનીષ સિસોદીયાની ધરપકડ થશે તેવી આશંકા જોવા મળી રહી હતી. સિસોદીયા CBI કાર્યલય પહોંચે તે પહેલા પણ કહી રહ્યા હતા કે, તેમની ધરપકડ કરવામમાં આવશે. સિસોદીયાની ધરપકડ કરવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા હતા. આપના રાજ્યસભાના સાંસદ સંજ્યસિંહે કહ્યુ હતુ કે, આ ખરેખર તાનાશાહી છે.
મનીષ સિસોદીયા પર આરોપ છે કે, દારૂના વેપારીઓને લાઈસન્સ આપવામાં દિલ્હી સરકારે ગેરરીતિ કરી છે. દિલ્હી સરકારે દારૂના વેપારીઓને ફાયદો પહોંચાડ્યો છે જેના બદલે દારૂના વેપારીઓએ લાંચ આપી છે. જો કે, આ આરોપોનું આમ આદમી પાર્ટી દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. આ અંગે CBI દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, આબકારી નીતિમાં ફેરફાર, લાયસન્સધારકોને અનુચિત લાભ, લાયસન્સ ફીમાં મુક્તિ/ઘટાડો, મંજૂરી વિના એલ-1 લાયસન્સનું વિસ્તરણ વગેરે સહિતની ગેરરીતિ આચરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં દિગ્ગજ નેતાઓની રેલીઓ, ઉમેદવારોની બેઠકો, ઠેર-ઠેર જાહેરસભાઓ યોજાઈ રહી છે, ત્યારે આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. PM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગઈકાલથી જ રોડ-શો અને જાહેર સભાઓ શરૂ કરી દીધી છે અને તેમને નિહાળવા તેમજ સાંભળવા લોકોની જનમેદની પણ જોવા મળી રહી છે, ત્યારે PM મોદીએ વેરાવળમાં પણ વિરાટ જનસભાને સંબોધન કર્યું હતું.
આ સભામાં PM મોદીએ કહ્યું કે, આ વખતે ગુજરાતમાં રેકોર્ડ તોડવાનો છે. તમામ મતદાન મથકો પર ભાજપને જીતાડવાની છે. ગુજરાત અંગે કહેવાતું હતું કે, ગુજરાત કંઈ નહીં કરી શકે, કોઈ પ્રગતિ નહીં કરી શકે. આ તમામ ધારણાઓ પર ગુજરાત સરકારે પૂર્ણ વિરામ મુકી દીધું. ભાજપે ગુજરાતના બંદરનો વિકાસ કર્યો, દરેક યોજનાએ ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, આજે રાજ્યના દરિયા કિનારાઓ પણ વિકાસ પામ્યા છે. ગુજરાતના બંદરો ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બની ગયા છે. સૌરાષ્ટ્રમાં આ મારી પ્રથમ ચૂંટણી રેલી યોજાઈ છે અને તે પણ સોમનાથ દાદાની પવિત્ર ભૂમિ પર યોજાઈ છે. એક સમયે અમારા માટે કચ્છનું રણ ખુબ જ સમસ્યારૂપ હતું, આ સમસ્યાને દૂર કરવા અમે કચ્છના આ રણને બદલીને ‘ગુજરાતનું તોરણ’ કરી નાખ્યું.
વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસ માટે ઘણું કામ કર્યું છે. અમે આગળ પણ ગુજરાતના વિકાસ માટે કામ કરવા માંગીએ છીએ. એકવાર ફરી ભાજપને ગુજરાતમાં સેવા કરવાની તક આપો.
બોટાદમાં જનસભાને સંબોધતા PM Modi
બોટાદમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ કે આ ચૂંટણી માત્ર પાંચ વર્ષ માટે નથી પરંતુ આ ચૂંટણી નક્કી કરશે કે ગુજરાત 25 વર્ષ બાદ કેવુ દેખાશે.
PM મોદીએ જણાવ્યુ કે એક દિવસમાં હું જ્યાં પણ ગયો છુ. ત્યાં લોકોનો ઉત્સાહ જોઇને જ લાગે છે કે ગુજરાતની જનતાએ ભાજપને અભૂતપૂર્વ વિજય અપાવવાનું નક્કી કર્યુ છે. આ બોટાદ તેનું જીવતુ જાગતુ સાક્ષી છે. જનતાએ ચૂંટણી પરિણામો નક્કી કરી દીધા છે. તેમણે યુવાનોને મોટા પ્રમાણમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. ભારતીય જનતા પાર્ટી વિકાસની ગેરંટી છે. અમે મજબૂતી લાવવા માગીએ છીએ. અમે 100 વર્ષનું કામ પૂરું કરવા માગીએ છીએ. જેથી આગામી સમયમાં ગુજરાતને પાછું વળીને જોવું નહીં પડે.
વડાપ્રધાન મોદીએ કોઈપણ પાર્ટીનું નામ લીધા વગર અન્ય પાર્ટી પર પ્રહાર કરતા કહ્યુ કે આ બધા લોકો જેમણે બહારથી આવીને ગુજરાતને બદનામ કરવાનું અભિયાન ઉપાડ્યું છે. આ નકારાત્મકતાથી કોઈનું ભલુ થવાનુ નથી. તે બધાએ પોતાના ઘર ભરવા માટે જિંદગી ખપાવી દીધી છે. આપણે ગુજરાતને સમૃદ્ધ બનાવવું છે. ગુજરાતને ચેતનવંતુ બનાવવું છે. ગુજરાતના વિકાસમાં રોડા અટકાવવાવાળા, વાર-તહેવારને ગુજરાતીઓને ગાળો આપનારી આખી જમાતને અહીંથી વિદાય આપવાની જરૂર છે. લોકોની અપેક્ષા પર અમે ખરા ઉતર્યા છીએ, એટલે આજે લોકો વધુ માંગી રહ્યાં છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર નવી નીતિઓ પર સતત કામ કરી રહી છે. ભાજપ જે સંકલ્પ લે છે, એને પૂર્ણ કરીને જ રહે છે.
ગુજરાતમાં ફિર એક બાર મોદી સરકાર આવશે. ગુજરાત અને ભાજપનો જૂનો સંબંધ છે. એમાંય બોટાદ સાથે મારો જનસંઘ સમયથી સંબંધ છે. બોટાદે જનસંઘને સૌથી પહેલા નગરપાલિકામાં શાસન આપ્યું હતું. પહેલા ચૂંટણી મુદ્દા ગોટાળા અને કૌભાંડ હતા, પરંતુ ભાજપે ચૂંટણીમાં વિકાસને મુદ્દો બનાવ્યો છે. બોટાદના લોકો લખી રાખે. બોટાદ, ધંધુકા, વલ્લભીપુર, ભાવનગર સહિતનો આખો પટ્ટો ઉદ્યોગોથી ધમધમવાનો છે.
ભાજપના સૌથી દિગ્ગજ નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.19 નવેમ્બરને શનિવારથી ત્રણ દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાન ત્રણ દિવસમાં 8 રેલીઓને સંબોધિત કરશે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુદ વડાપ્રધાન મોદીએ સંભાળી છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા ટકાવી રાખવા માટે આ વખતે પુરજોર મહેનત કરી રહી છે.
આજે સાંજે 7.30 કલાકે વલસાડમાં સભા
વડાપ્રધાન મોદીનો ચૂંટણી પ્રચાર ગુજરાતમાં દક્ષિણથી શરૂ થશે. વડાપ્રધાન મોદી શનિવારે સાંજે 7-30 કલાકે વલસાડમાં જનસભાને સંબોધિત કરશે. વડાપ્રધાન રાત્રી રોકાણ પણ અહીં કરવાના છે.
રવિવારે સોમનાથના દર્શન કરીને નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં 4 જંગી રેલીઓ કરશે
તા.20 નવેમ્બરને રવિવારે વડાપ્રધાન’ સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે એ પછી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી વેરાવળમાં સવારે 11 કલાકે , ધોરાજીમાં બપોરે 12-45 કલાકે, અમરેલીમાં બપોરે 2-30 કલાકે અને બોટાદમાં સાંજે 6-15 કલાકે સભા કરશે. આ પછી વડાપ્રધાન ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
સોમવારે સુરેેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં ચૂંટણી પ્રચાર કરશે વડાપ્રધાન
વડાપ્રધાન સોમવારે ત્રણ સભાઓને સંબોધિત કરશે. વડાપ્રધાન સુરેન્દ્રનગરમાં બપોરે 12 કલાકે જનસભા સંબોધિત કરશે જ્યારે બપોરે 2 કલાકે જંબુસરમાં અને સાંજે 4 કલાકે નવસારીમાં ચૂંટણી પ્રચાર કરશે.’
મહત્વનું છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન મોદી ગુજરાતમાં’ 30 રેલીઓ અને રોડ શો કરે તેવું આયોજન કર્યું છે. અહીં નોંધવું ઘટે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ 30થી વધુ રેલી કરી હતી.
કેન્દ્રની સરકારે દેશના તમામ નાગરિકોને સમાન હક્ક મળે તે માટે યુનિફોર્મ સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાના કરેલા નિર્ણયના અનુસંધાને ગુજરાત સરકારે આ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. એટલે કે ગુજરાતમાં ટૂંકસમયમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ શરૂ થઇ શકે છે.
રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં કોમન સિવિલ કોડ માટે કમિટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
આ બેઠકમાં કેબિનેટના તમામ મંત્રીઓએ મુખ્યમંત્રીને કોમન સિવિલ કોડનો અમલ કરવાનો અધિકાર આપ્યો છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટ કે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષ સ્થાને એક કમિટી રચવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે. આ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે આ કોડના કારણે જ્ઞાાતિ, જાતિ કે ધર્મ આધારિત કાયદાની વિસંગતતા દૂર થશે. સામાજીક સદભાવના વધશે.
મહિલાઓને લગતા કાયદા ધાર્મિક રીતે સમાન થવાથી અને સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક રક્ષણ માટે આ કાયદો મદદરૂપ થશે.
તેમણે કહ્યું કે જમીન, સંપત્તિ, વારસાઇ, દાન, લગ્ન, છૂટાછેડા તમામ જગ્યાએ ધર્મ આધારિતના બદલે માનવતા અને ન્યાય આધારિત નિર્ણયો સમાનતા લાવશે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં અને ત્યારપછી ભાજપની સરકારો છે તે રાજ્યોમાં કોમન સિવિલ કોડની અમલીકરણના પ્રશ્ન પર ગંભીરતાથી ધ્યાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ધ્યાન અપાયું છે. ગુજરાત પણ હવે તે દિશામાં આગળ વધી રહ્યું છે.
બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો કે નહીં તેનો નિર્ણય માત્ર સંસદ દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જ લઇ શકાય, રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય ન લઇ શકાય ના તો તેનો અમલ થઇ શકે. ગુજરાતની ભાજપ સરકાર લોકોને મોંઘવારી, બેરોજગારીથી ધ્યાન ભટકાવીને મુર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ચૂંટણી નજીક આવી રહી છે તેથી આ મામલો ઉછાળવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી Dt.24-10-2022, સોમવારે સવારે જમ્મુ કાશ્મીરના કારગિલ પહોંચી ગયા છે. તેઓ અહીં સેનાના જવાનોની સાથે દિવાળી મનાવશે. પીએમ સેનાના જવાનોની સાથે છેલ્લા 8 વર્ષથી દિવાળીનો પર્વ મનાવતા આવી રહ્યા છે.
વર્ષ 2014માં જ્યારથી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનની ખુરશી સંભાળી છે તેઓ હંમેશા જવાનો સાથે જ દિવાળીનો તહેવાર મનાવે છે. આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવવાની પરંપરાને જાળવી રાખતા જમ્મુ-કાશ્મીરના કારગિલ દ્રાસ પહોંચી ગયા છે.
અગાઉ વડાપ્રધાન મોદી દિવાળીના તહેવાર પર જુદા-જુદા સ્થળોએ પહોંચી રહ્યા છે. તેઓ સૌથી પહેલા 21 ઓક્ટોબરે બાબા કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરવા પહોંચ્યા હતા. જે બાદ 23 ઓક્ટોબરે અયોધ્યાના દીપોત્સવમાં સામેલ થયા. સાથે જ અયોધ્યા પહોંચીને તેમણે રામલલા વિરાજમાનના પણ દર્શન કર્યા. પીએમ મોદીએ પોતાના ટ્વીટર પર દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની વડાપ્રધાન મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે દિલ્હી પોલીસે આજે અટકાયત કરી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને નોટિસ પાઠવી હતી.
જોકે હવે ગોપાલ ઇટાલીયાની અટકાયત બાદ મુક્તિ મળી છે. પીએમ મોદી મુદ્દે ટિપ્પણી કરનારઇટાલીયાને મુક્ત કરી દીધા છે. દિલ્હીમાં પોલીસે ગોપાલ ઇટાલિયાને મુક્ત કરી દીધા છે.
ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો ભાજપના નેતાઓએ શૅર કર્યો હતો જેમાં ગોપાલ ઇટાલિયા વડા પ્રધાન વિશે ટિપ્પણી કરતા અપશબ્દો વાપર્યા હોવાનો આક્ષેપ હતો. ત્યાર બાદ તેમને રાષ્ટ્રીય મહિલાપંચ તરફથી નોટિસ પાઠવી દેવામાં આવી હતી.
ઈટાલિયાને પાઠવવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, તેનાથી અમારા દેશની મહિલીઓનું અપમાન થયું છે. મહિલા આયોગે આપ નેતા દ્વારા ઉપયોગ કરવામાં આવેલ શબ્દોમાં પદનું સમ્માન ન જાળવવા, ખરાબ શબ્દોમાં કરેલી જાતિગત અભદ્ર ટિપ્પણીને વખોડી કાઢી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આ મામલે 13 ઓક્ટોબરના રોજ બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા છે. ઈટાલિયા હાજર થવા ગયા ત્યારે દિલ્હીમાં તેમની અટકાયત કરાઈ હતી.
ચૂંટણી પંચે હાલ શિવસેના નામ પર અને તેના ચિન્હ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. જેને પગલે હાલ શિવસેનાના બેમાંથી એક પણ જૂથને શિવસેના નામ અને તેના ચિન્હ ધનુષનો ઉપયોગ કરવા નહીં દેવાય. જ્યારે બન્ને જૂથોએ ૧૦મી ઓક્ટોબરે બપોરે ૧ વાગ્યા સુધી પોત પોતાના નવા ચૂંટણી ચિન્હ ચૂંટણી પંચ સમક્ષ રજુ કરવાના રહેશે. ફ્રી ચિન્હોમાંથી કોઇ પસંદ કરવાના રહેશે.
આઠ ઓક્ટોબરના રોજ જારી કરેલા પોતાના આદેશમાં ચૂંટણી પંચે કહ્યું છે કે શિવસેના ધનુષ અને તીર ચૂંટણી ચિન્હ સાથે મહારાષ્ટ્રમાં એક માન્યતા પ્રાપ્ત પક્ષ છે. ૨૫મી જૂન, ૨૦૨૨ના રોજ ઉદ્ધવ ઠાકરે તરફથી અનિલ દેશાઇએ પંચને એકનાથ શિંદેના નેતૃત્વમાં કેટલાક ધારાસભ્યો દ્વારા પાર્ટી વિરોધી ગતિવિધિઓ અંગે માહિતગાર કરવામાં આવ્યું હતું. તેઓએ શિવસેના અથવા બાળાસાહેબના નામનો ઉપયોગ કરીને કોઇ પણ રાજકીય પક્ષની સ્થાપના સામે વિરોધ નોંધાવ્યો હતો.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે જે બાદ અનિલ દેસાઇએ ૦૧.૦૭.૨૦૨૨ના રોજ મોકલવામાં આવેલા ઇમેલમાં ૩૦ જુનના જારી કરાયેલા ત્રણ પત્રોને પણ અટેચ કર્યા હતા. જેમાં એ ઉલ્લેખ કરાયો હતો કે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેનારા ચાર સભ્યોએ સ્વેચ્છાએ પાર્ટીનું સભ્યપદ છોડી દીધુ છે. અને તેથી સભ્યોને શિવસેના નેતાના ઉપનેતાના પદેથી હટાવવામાં આવે છે. જેમાં એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, તાંજી સાવંત અને ઉદય સાવંત સામેલ હતા.
સાથે જ જણાવવામાં આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રમુખ છે. તેવી જ રીતે એકનાથ શિંદે જૂથ દ્વારા પણ પક્ષના નામ અને ચિન્હ પર પોતાનો દાવો કરવામાં આવ્યો છે. બન્ને જૂથ દ્વારા હાલ શિવસેના નામ અને ચિન્હને લઇને ખેંચતાણ ચાલી રહી છે અને બન્નેની ફરિયાદો પર ચૂંટણી પંચ વિચારણા કરી રહ્યું છે. હાલ બન્નેમાંથી કોઇ જૂથ નામ કે ચિન્હનો આગામી આદેશ સુધી ઉપયોગ નહીં કરી શકે તેવી ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી દીધી છે. તેથી હાલ આગામી ત્રણ નવેમ્બરના રોજ અંધેરી પૂર્વની પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં આ બન્ને જૂથોમાંથી કોઇ પણ નામ કે ચિન્હનો ઉપયોગ નહીં કરી શકે. હાલ એવી છૂટ જરૂર આપવામાં આવી છે કે જે બન્ને જૂથ ઇચ્છે તો પોત પોતાના નામની પાછળ સેના શબ્દનો ઉપયોગ કરી શકે છે. હાલ ૧૦મીએ આ બન્ને જૂથોએ પંચ સમક્ષ નામ અને ફ્રી ચિન્હોમાંથી ત્રણ વિકલ્પ પ્રાથમિક્તાના આધારે બતાવવા પડશે.
ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ ગયો છે ત્યારે આગામી 15′ અથવા 16 ઓક્ટોબરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તેવી શક્યતાને પગલે દેશના ગૃહ મંત્રી અમિત શાહ તાત્કાલિક ધોરણે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે. ત્યાર બાદ તેમણે ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ ખાતે ચૂંટણીલક્ષી બેઠકનો શરૂઆત કરી હતી. આ બેઠકમાં પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી સહિત ભાજપના તમામ હોદ્દેદારો સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાત પ્રદેશ ભાજપે 182 બેઠકની ચાર ભાગમાં વહેચી દીધી છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપે 182 બેઠકનો ચાર વિભાગ એટલે કે એ, બી, સી અને ડીમાં વહેંચી દીધી છે. જેમાં એમાં 100 ટકા જીતી શકાય તેવી બેઠકો, બીમાં 75 ટકા જીતી શકાય તેવી બેઠકો, સીમાં 50 ટકા જેટલી જીતી શકાય તેવી બેઠકો તેમજ ડીમાં જેમાં ભાજપ ક્યારે જીતી શક્યું નથી તેવી બેઠકોનું વિશ્લેષણ કરવામાં આવ્યુ હતું.’
ભાજપનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આગામી 13 અને 14 ઓક્ટોબરના રોજ રાજ્યમાં ગરીબકલ્યાણ મેળા રાખવામાં આવ્યા છે. ત્યાર પછી 18થી 22 ઓક્ટોબરના ગુજરાતમાં ડિફેન્સ એક્સ્પો થવાનો છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે રાખવામાં આવ્યું છે.
કમલમમાં અમિત શાહની અધ્યક્ષતામાં શરૂ થયેલા બેઠકોના દૌરમાં સરકાર અને સંગઠનના સમન્વય, બૂથ સ્તરની કામગીરી પર ભાર મૂકવા, વર્તમાન પરિસ્થિતિની અંદર જે પણ જે આંતરિક વિરોધ છે તેને ખાળવા મુદ્દે નબળી બેઠકો ઉપર કયા સંયોજકો કે વિસ્તારકો મોકલવાની તે અંગે તેમજ’ ટીમ વર્કથી કામ કરવા સહિતના મુદ્દે ચર્ચા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ગુલામ નબી આઝાદે આજે તા.26મી સપ્ટેમ્બરના રોજ પોતાની પાર્ટીના નામનું એલાન કર્યું છે. તેમણે પોતાની પાર્ટીનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ રાખ્યું છે. આઝાદે 26 ઓગષ્ટના રોજ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં નવી પાર્ટીના નામની ઘોષણા કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમની પાર્ટીની વિચારધારા આઝાદ હશે. રવિવારે જ ગુલામ નબી આઝાદ શ્રીનગર પહોંચ્યા હતા. તેઓ 27 સપ્ટેમ્બર સુધી ત્યાં જ રહેશે. ત્યારબાદ તેઓ દિલ્હી જવાના છે.
આઝાદે કહ્યું હતું કે, તેમની પાર્ટીમાં ધર્મ નિરપેક્ષ લોકો જ સામેલ થઈ શકે છે. તેમણે પાર્ટીમા નામને લઈને જનતા પાસેથી પણ સૂચનો માંગ્યા હતા. શ્રીનગરની મુલાકાત દરમિયાન પણ તેમણે સમર્થકો સાથે પાર્ટીના નામને લઈને મંથન કર્યુ હતું અને ત્યારબાદ હવે પ્રેસ કોન્ફરન્સ કરીને નવી પાર્ટીનું એલાન કરી દીધું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૨મો જન્મદિવસ દેશભરમાં ઉજવાય રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે ૧૭મી સપ્ટેમ્બરે દર વર્ષે ભાજપના કાર્યકરો અને કેન્દ્ર સરકાર ૨૦૧૪થી વિવિધ લોકસેવાના કાર્યક્રમો યોજે એ રીતે આજે પણ યોજવામાં આવ્યા છે. આ વર્ષે પણ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. દિવસ દરમિયાન મોદીના ચાર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
નામિબિયાથી ભારત પહોંચેલા આઠ ચિત્તાને નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડશે. એ સાથે જ દેશમાં ચિત્તાના પુનર્વસનનો પ્રોજેક્ટ શરૂ થશે. ત્રણ નર અને પાંચ માદા ચિત્તાને નામિબિયાથી બોઈંગ ૭૪૭ વિમાનમાં જયપુર લાવવાના હતા પરંતુ આયોજનમાં ફેરફાર થયો હતો. જયપુરને બદલે ચિત્તા ગ્વાલિયર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે મધ્યપ્રદેશ લાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં આપબળે આગળ વધેલી મહિલા સાહસિકોના સંમેલનને સંબોધશે. વિશ્વકર્મા જયંતી હોવાથી પીએમ મોદી આઈટીઆઈના વિદ્યાર્થીઓને પણ સંબોધન કરશે. એ કાર્યક્રમમાં ૪૦ વિદ્યાર્થીઓ જોડાશે. મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ લોજિસ્ટિક પોલિસી લોંચ કરશે અને સાથે સાથે ભાષણ પણ આપશે.
દરમિયાન ભાજપે દેશભરમાં વિવિધ લોકસેવાના કાર્યક્રમોનું આયોજન કર્યું છે. રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો દેશભરમાં ભાજપના યુનિટો દ્વારા થશે. મોદીના જન્મદિવસે ભાજપ વિવિધતામાં એકતા પ્રોગ્રામ અંતર્ગત ગરીબોને સહાય કરશે, દિવ્યાંગોને પણ મદદ કરશે. તે ઉપરાંત સ્વચ્છતા અભિયાન પણ ચલાવાશે. ભાજપ પીએમ મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખીને ગિફ્ટ ઓફ સેવા નામનું કેમ્પેઈન શરૂ કરશે. એમાં શ્રમદાનનું મહત્ત્વ સમજીને અલગ અલગ ક્ષેત્રમાં શ્રમદાન થશે. યુપી સહિતના ઘણાં રાજ્યોમાં તળાવોની સફાઈ જશે, ક્યાંક નદીકાંઠાનો કચરો સાફ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અલગ અલગ સમયે જુદા જુદા લોકોએ આપેલા ઉપહારોની હરાજી તેમના જન્મદિવસથી શરૂ થશે અને ગાંધીજયંતિ સુધી ચાલશે. ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ થોડા દિવસ પહેલાં મોદીએ કર્યું હતું, તેની પ્રતિકૃતિ આ ગિફ્ટમાં સામેલ છે. તે ઉપરાંત અયોધ્યા મંદિરનું મોડેલ, વારાણસીમાં કાશી-વિશ્વનાથના મંદિરનું મોડેલ વગેરે જેવી ગિફ્ટ, જે મોદીને અલગ અલગ સમયે મળી હતી તેની હરાજી નિયત કરાયેલી વેબસાઈટમાં થશે. આ ગિફ્ટમાં રમતવીરોએ પીએમને આપેલા ઉપહારોનો પણ સમાવેશ થાય છે. હરાજી માટે ૧૦૦ રૂપિયાથી ૧૦ લાખ સુધીની બેઝ પ્રાઈઝ નક્કી કરાઈ છે. આ હરાજીથી લગભગ ૨૦ કરોડ રૂપિયા મળે એવી શક્યતા છે. હરાજીમાંથી મળનારી ધનરાશિ નમામિ ગંગે પ્રોજેક્ટમાં આપવામાં આવશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.